અગાઉ કચ્છને સિંધુ નદીનાં જળ અપાવવા ઉધામા કરનારા મોદી હવે પંજાબને વચનોની લ્હાણી કરે છે
ભારતીય ચૂંટણીઋતુમાં અગસ્ત્ય મુનિના વાયદાનું સ્મરણ થવું સ્વાભાવિક છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબની ચૂંટણી સભાઓમાં પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિ તોડીને પણ પંજાબને દુશ્મનદેશમાં વહી જતાં ભારતીય નદીઓનાં જળ પૂરાં પાડવાના સંકલ્પની ઘોષણાઓ કરી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે, 9 વર્ષની મહેનત પછી, એ વેળાની પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ થયેલી અને 12 જાન્યુઆરી 1961થી અમલમાં આવેલી આ સંધિ પર હસ્તાક્ષર કરનાર ડબલ્યૂ.એ. આઇલિફનો ત્રીજો પક્ષ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વિશ્વબેંક પણ છે, એ રખે ભૂલાય. વિશ્વ બેંકના એ વેળાના અધ્યક્ષ યુજેન આર. બ્લેક બીમાર હોવાથી બેંકના ઉપાધ્યક્ષ આઇલિફે હસ્તાક્ષર કરવા પડ્યા હતા.
આ સંધિના ઉકેલનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વરવા જળવિવાદને ઉકેલવા માટે 1951માં ટેનેસી વેલી ઓથોરિટીના પૂર્વ અધ્યક્ષ ડેવિડ લિલિએન્થલે અમેરિકાના માતબર સામયિકમાં લખેલા લેખમાં બંને દેશો મળીને સમજૂતી પર આવે અને જરૂરી આર્થિક સહાય વિશ્વ બેંક આપે એવું સૂચવાયું. એને પગલે મંત્રણાઓ શરૂ થઈ અને નવ વરસને અંતે સમજૂતી શક્ય બની. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. એમાં કોઈ વિવાદ ઉકેલવા માટે બંને દેશોના કાયમી પંચની જોગવાઈ છે અને એમ છતાં વિવાદ ઉકેલાય એવા સંજોગો ન હોય, તો એ વિશ્વ બેંક પર છોડીને એનો નિર્ણય કબૂલ રાખે. તે પછી પણ બંને દેશોને એનો ચુકાદો સ્વીકાર્ય ન હોય, તો બંનેને સ્વીકૃત લવાદનો ત્રીજો અને અંતિમ વિકલ્પ રહે છે. વિશ્વમાં 20,000 જેટલી જળ સંધિઓ વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે થયેલી છે. ભારતે એ સંધિઓ કરાવવામાં કે એ અંગે સુધારા કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી હોઈ એ પોતે ઊઠીને કોઈ જળ સંધિ તોડે તો દુનિયાભરમાં એની બદનામી થવી સ્વાભાવિક છે.
દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો તખ્તો તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં સંધિ તોડવાની તૈયારી માટે બેઠક પણ યોજી હતી. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ ભા.જ.પ.ના ટેકે સરકાર ચલાવતાં હોવાથી કેન્દ્રના નિર્ણયને આગોતરો આવકાર આપવા માંડ્યાં હતાં. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવા આ ઘાટની ભીતર ખૂબ રસપ્રદ છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી ઉધામા મારતા રહેલા મુખ્યમંત્રી મોદી હવે વડાપ્રધાન છે, ત્યારે કચ્છને ભૂલીને પંજાબ ભણી વચનોની લ્હાણી કરતા થયા છે.
31 જુલાઈ, 2014ના રોજ મોદી સરકારના વિદેશ રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે સંસદમાં આ જળ સમજૂતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ પછી હવે સરકાર એને તોડવાની વાત કરે છે. વિરોધાભાસોથી ભરેલા આ ઘટનાક્રમને જોતાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવી ચૂંટણીલક્ષી ઘોષણાઓને ગંભીરતાથી લેવાને બદલે હસી કાઢે છે. કારણ? ત્રણ-ત્રણ યુદ્ધ લડતાં પણ અખંડ રહેલી આ સમજૂતીને ખરેખર તોડવાનું શક્ય છે ખરું, એ મહાપ્રશ્ન છે.
મુખ્યમંત્રી મોદીએ દિલ્હીની વાજપેયી સલ્તનત પાસે યાચના કરી હતી કે કચ્છને સિંધુ નદીનાં પાણી સિંધુ જળ સંધિ હેઠળ પૂરાં પાડવામાં આવે. વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.
ઉત્તરે હિમાલયના ચીનમાંથી અને જમ્મુ-કાશ્મીરમાંથી વહી આવતી પૂર્વની નદીઓ સતલજ, બિયાસ અને રાવી તથા પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીની બંને દેશો વચ્ચે વહેંચણી કરવાનું આ સંધિ હેઠળ નક્કી થયેલું છે. સતલજ, બિયાસ અને રાવીનાં મોટા ભાગનાં જળ ભારતને અને સિંધુ, જેલમ અને ચિનાબનાં મોટા ભાગનાં જળનો લાભ પાકિસ્તાનને મળે. ભારતમાં તો આ મુદ્દે ઝાઝી ચર્ચા થતી નથી, પણ પાકિસ્તાનમાં આ સંધિ તોડવાની વાતે અત્યારથી વિશ્વ મંચ પર ફરિયાદ કરી દેવાઈ છે એટલું જ નહીં, ભારત સંધિનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનને મળવાનું થતું પાણી બંધ કરી દે, તો એણે ‘પાણીના ત્રાસવાદ’ તરીકે લેખાવીને દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની ગોઠવણ પણ થઈ ચૂકી છે. પાકિસ્તાન વિરુદ્ધનાં મોદીનાં ભાષણો સાંભળીને હરખપદુડી થનારી પ્રજાને આ સંધિ તોડવાનાં દુષ્પરિણામો અંગે ભાગ્યે જ અંદાજ હશે.
1960માં સિંધુ જળ સંધિ થઈ, એ પહેલાં ભારતે યથાસ્થિતિ કરાર થાય ત્યાં સુધી એટલે કે મે, 1948માં ત્રણેક મહિના માટે પાકિસ્તાનમાં જતાં જળ રોકવા બદલ જે નુકસાની ભરપાઈ કરવી પડી હતી એની કલ્પના પણ મુશ્કેલ છે. આ સંધિ માત્ર ભારત અને પાકિસ્તાન બેઉ દેશનો આપસી મામલો નથી રહેતો, વિવાદ વણસે ત્યારે એ આંતરરાષ્ટ્રીય મામલો બની જાય છે. સંધિ થતાં ભારતે અગાઉ પાકિસ્તાનનું જે પાણી રોક્યું હતું એની નુકસાની પેટે પાકિસ્તાનને 6.2 કરોડ પાઉન્ડ તથા એના બે પ્રકલ્પ વિલંબમાં પડતાં એ પ્રકલ્પ માટે 87 કરોડ અમેરિકન ડોલર ચૂકવવા પડ્યા હતા. આજની કિંમતે આ રકમ કેટલી થાય એનો અંદાજ મેળવવો ભારતને કેટલો મોંઘો પડે એ સમજી શકાય છે.
વાત આટલે અટકતી નથી. આ મુદ્દે યુદ્ધના સંજોગો પેદા થાય પણ બેમાંથી એકેય દેશને યુદ્ધ કરવાનું પરવડે તેમ નથી. ઉલટાનું પાકિસ્તાન તરફ વહી જતું વધારાનું પાણી રાતોરાત રોકવાની યંત્રપ્રણાલિ તૈયાર કરવાની સ્થિતિમાં પણ ભારત નથી. વળી ભારત પાણી સંગ્રહની વ્યવસ્થા કરવા માંગે તો પણ પાંચ કે દસ વર્ષ લાગે. એ પહેલાં નદીઓનાં વધારાનાં જળને વાળવા માટે ડેમ બની શકે નહીં.
સિંધુ જળ સંધિ અન્વયે આ નદીઓનાં પાણીની વહેંચણી બંને દેશોને સ્વીકાર્ય એવા ડેમ બાંધી જળવિદ્યુત ઊર્જાના ઉત્પાદન સહિતના પાણીના વપરાશની એમાં જોગવાઈ છે. ભારત સિંધુ જળ સંધિ તોડવામાં કોઈ આક્રમક પગલું ભારે તો ચીન ટાંપીને બેઠું છે. એ ચીનમાંથી નીકળીને ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી થકી ભારતની 20 ટકા જળ જરૂરિયાતને ખોરવી નાખે. આમ પણ ચીન દાંડાઈ કરીને એ નદી પર ડેમ બાંધી ભારતનો પાણી પુરવઠો ખોરવવાના વહેંતાં જ છે. એના મિત્ર પાકિસ્તાનની વહારે ધાવાની તક ચૂકવા એ તૈયાર નથી. એટલે પાકિસ્તાન છાતી કાઢીને ગર્જના કરે છે કે ભારત આ સંધિ તોડતાં પહેલાં સો વાર વિચારશે. પાકિસ્તાની મીડિયામાં તો આ મુદ્દાને માત્ર મોદી સરકારનો વધુ એક ચૂંટણીલક્ષી ‘જુમલો’ જ ગણાવવામાં આવે છે.
e.mail : haridesai@gmail.com
હરિ દેસાઈ, લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે
સૌજન્ય : ‘પાણી વગરની વાત’, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2017