Opinion Magazine
Number of visits: 9560175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટોળાંના આક્રમણ સામે ઝંખવાતું સત્ય

હિમાંશી શેલત|Opinion - Opinion|31 October 2016

નિસબત

આંખે પડળ તો ચડે, વારંવાર દૃષ્ટિ ઝાંખી થવાની. એ પડળ દૂર કરીને સમયાંતરે નજરને સાફ રાખવાનું કામ સર્જકનું. એ શબ્દ સાથે કામ કરે કે પીંછી સાથે, રંગમંચ સાથે હોય કે ફિલ્મ સાથે, એનું કામ એક જ, સત્યને ઢાંકતો પડદો ખસેડી આપવાનું.

મહાશ્વેતાદેવીએ એ કરેલું. એમની અનેક કૃતિઓ આ હકીકતની સાબિતી આપશે. પરંતુ એમણે જ્યારે “દ્રૌપદી” નામની અમર વાર્તા રચી ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એના નાટ્યરૂપાંતરનું આવું વરવું અર્થઘટન કોઈ કરી શકે. હરિયાણા યુનિવર્સિટી (મહેન્દ્રગઢ) ખાતે ૨૧ સપ્ટેમ્બરે ત્યાંના અંગ્રેજી વિભાગે ‘દ્રૌપદી’નું નાટ્યરૂપાંતર રજૂ કર્યું. નકસલવાદી આંદોલન દરમિયાન બળવાખોરોને પકડવા લશ્કર શું કરતું એ વર્ણવવાનો અહીં આશય નથી. ‘દ્રૌપદી’માં એક આદિવાસી સ્ત્રી પાસેથી બાતમી કઢાવવા એના પર સૈનિકો કેવો અત્યાચાર કરે છે, અને એ પછી સ્ત્રી એનો કઈ રીતે પ્રતિકાર કરે છે એની વેધક, જલદ કથા આલેખાઈ છે. આખીયે ઘટનાના સમય અને પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના લશ્કરી સિપાહીને આ રીતે બતાવી જ ન શકાય, અને આવી રજૂઆત સૈનિકોની તાજેતરની શહાદતનું અપમાન છે, એમ સમજી આક્રમક ટોળાંઓ આસપાસથી થોડા બળિયાઓનો સાથ લઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં ધમાલ આદરે છે. સાહિત્ય સર્જન સાથે અને મહાશ્વેતા દેવી એમની કૃતિઓ જેને સ્પર્શે છે તે મુદ્દા સાથે જેમને બિલકુલ સંબંધ નથી એવાં ટોળાં નાટકની રજૂઆતને ‘દેશદ્રોહ’ની ચિઠ્ઠી ચોંટાડે છે ! સાહિત્યકૃતિના આવા સંકુચિત અને વિકૃત અર્થઘટનના માઠા દિવસો ટકોરા મારી રહ્યા છે બારણે, અને આપણી પાસે તો પ્રતિકારનીયે એવી તાકાત ક્યાં છે ?

આમ તો વિશ્વવિદ્યાલયોનાં તેજ વિલાયાંને ઠીકઠીક સમય વહી ગયો છે. પ્રખર પંડિતો અને જ્ઞાનના ઉપાસકો જ્યાં સાધના કરતાં એ પ્રાંગણમાં ઝાંખીપાંખી, પડછાયા જેવી અને સત્તાને લળી લળી નમન કરતી આકૃતિઓ હરતી ફરતી જોવા આપણે ટેવાતાં જઈએ છીએ. છતાં એમાં હરિયાણાની આ યુનિવર્સિટી તો શિરમોર. ત્યાંના સૂત્રધારો નાટક ભજવવાની પરવાનગી આપવા બદલ પ્રથમ તો ક્ષમાયાચના ધરે છે. પછી બનાવની તપાસ માટે સમિતિઓ રચે છે, અને નાટક ભજવવામાં પહેલ કરનારાં પેલાં બે અધ્યાપકો સામે ફરિયાદોયે થવા માંડી છે, દેશદ્રોહની! વિશ્વવિદ્યાલયો સત્યશોધન માટે હોય છે એમ કોણે કહ્યું ?

સમાજને સૈન્ય માટે, અને સૈનિકોનાં બલિદાન માટે આદર હોવો જોઈએ, એમાં બે મત નહીં. પરંતુ જે બની ગયું છે, જેના દસ્તાવેજી પુરાવાઓ છે, એ કમનસીબ બનાવોને શી રીતે નકારીશું? મણિપુરમાં આફસ્પ (આર્મડ્ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ ઍક્ટ) દ્વારા જે અત્યાચારો થાય હતા એનું શું કરીશું? આસામ રાઇફલ્સના સૈનિકોએ મનોરમા નામની યુવતી પર ગુજારેલા ત્રાસની, અને એ બનાવને પગલે લશ્કરની છાવણી સામે મણિપુરની મહિલાઓ નિર્વસ્ત્ર બનીને જે દેખાવો કરેલા, એ આઘાતજનક ઘટનાનું શું ? એ સમયે ઇમ્ફાલમાં પણ દ્રૌપદીનું નાટ્યરૂપાંતર ભજવાયું હતું, અને પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. બનાવટી એન્કાઉન્ટરની કેટલીયે દારુણ ઘટનાઓ બાદ તો જસ્ટીસ હેગડે કમિશનની જરૂર પડી હતી! આ સઘળું ઇતિહાસનો ભાગ, સાચેસાચું અને ટકોરાબંધ એ વાસ્તવિકતાને નકારીને કશુંયે સાબિત નથી થવાનું.

સાહિત્યસર્જન કોઈ સભારંજન નથી, કે નથી એ તાળીઓ ઉઘરાવવાનો ખેલ કે નથી. સત્તાધીશોને રાજી રાખવા સાહિત્ય રચાતું નથી. પ્રજા વૈચારિક રીતે રાંકડી થતી જતી હોય અને સમાજને મોટો ભાગ નિર્માલ્ય થતો જતો દેખાતો હોય ત્યારે કલમે સાબદાં થવું પડે.

– પણ કલમ તો અત્યારે અપરાધીના ચોકઠામાં હડસેલાતી દેખાય છે. સાચું જોવાની અને બોલવાની તાકાત ખોઈ બેઠાં પછી પ્રજાનો કોઈ વિકાસ હોય ખરો ? સત્યદર્શનનો અજંપો અને બેચેની તો મોટી કમાઈ  છે, એવી, જેનું ગૌરવ હોય. ટોળાંના આક્રમણથી વિદ્યાલય ઝંખવાય, પાછું પડે, કે નાકલીટી તાણે, ત્યારે સમસ્ત પ્રજાનું વૈચારિક અવસાન નજીક ગણાય, અને મૌનનો આધાર સર્જકો માટે સામૂહિક આત્મહત્યા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 20

Loading

ઊહ અને અપોહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2016

આ અંક (નિ. ૧૬/૧૦) ટપાલ થશે ત્યારે અમદાવાદને આંગણે એક મોટો અવસર ઊઘલી ગયો હશેઃ દરિયાપારના મિત્રોની ઉમંગી પહેલથી હાથ ધરાયેલ દર્શક વ્યાખ્યાનમાળાનું પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજકીય ચિંતક પ્રો. ભીખુ પારેખ આપી ચૂક્યા હશે. એમણે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિ’ (‘ડિબેટિંગ ઇન્ડિયા’) એ વિષય ચહીને પસંદ કર્યો છે. જેમ અમર્ત્ય સેનનું ‘આર્ગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ તેમ ભીખુભાઈનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તાજેતરનાં વર્ષોનું એક સમયસરનું, સમસામયિક એટલું જ દૂરવર્તી મહત્ત્વ ધરાવતું પ્રકાશન છે. અમર્ત્ય સેન અને ભીખુ પારેખના વિચારો આજના દિવસોમાં સવિશેષ મહત્ત્વના એટલા માટે પણ છે કે સ્વરાજનો સાતમો દાયકો પૂરો થવામાં છે એવે દેશમાં દિલ્હી સ્તરે વિરાજિત પરિબળો એક વૈકલ્પિક વિમર્શની આવડે એવી કોશિશમાં છે. આ કોશિશને, સ્વાતંત્ર્યસંગ્રામ અને પ્રજાસત્તાક સ્વરાજની હજુ હમણે લગીની કોશિશને પણ, જોવામૂલવવાની રીતે, સાતત્ય અને શોધન-રિપીટ, શોધન-ની રીતે જેમ નિકષ તેમ નીરક્ષીરવિવેક સારુ મહત્ત્વનું પાથેય સેન-પારેખ ઊહાપોહમાં પડેલું છે.

નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ દર્શકના ૧૦૩મા જન્મદિવસ(ઑક્ટોબર ૧૫, ૨૦૧૬)નો જોગાનુજોગ આ ઊહ અને અપોહ વાસ્તે નિમિત્ત બને એનો આનંદ જ હોય. લોકભારતીના કૃષિ-સ્નાતકને વિશ્વના વિવિધ વિચારપ્રવાહોનીયે કંઈક ખબર હોય એની કાળજી અધ્યાપક દર્શક લેતા. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથી, આ વિચારજુવારું ભાંગે એ એમની નિસબત હતી. દેશભરના કૃષિગ્રામવિદ્યાના અભ્યાસક્રમોમાં લોકભારતી સ્કૂલની આ પાયાની પહેલ હતી અને છે. દર્શકનાં, એ અંગેનાં વર્ગખંડનાં વ્યાખ્યાનો (કેટલાંક ધ્વનિમુદ્રિત, કેટલાંક કાચી હાથનોંધમાં) રામચંદ્ર પંચોળી અને રવીન્દ્ર પંચોળી દ્વારા સંપાદિત થઈ ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ શીર્ષકે ભીખુ પારેખનાં આવકારવચનો સાથે ગુજરાતવગાં થઈ રહ્યાં છે એનો અહીં વિશેષોલ્લેખ કરવો જોઈએ, ખાસ તો હમણાં જે વિમર્શકોશિશનો નિર્દેશ કર્યો તે સંદર્ભમાં.

આ વ્યાખ્યાનોમાંથી પસાર થતાં ભીખુ પારેખને શું લાગ્યું તે એમના જ શબ્દોમાં જોઈએ :  “મનુભાઈનું આ પુસ્તક એ માત્ર પાશ્ચાત્ય વિચારોનું ક્રમબદ્ધ સરવૈયું નથી. તેઓ આ વિચારપરંપરાના મહત્ત્વના તબક્કાઓને પિછાણી શક્યા છે અને એનાં આગવાં પાસાં ઉજાગર કરી શક્યા છે. તદુપરાંત, તેઓ પાશ્ચાત્ય વિચારકોને ભારતીય અનુભવો સાથે જોડીને તેમના વિચારોને યોગ્ય ભારતીય દૃષ્ટાંતો આપી નિરૂપે છે. જરૂર પડ્યે ભારતીય વિચારકોને દાખલ કરી, તેમનો પાશ્ચાત્ય વિચારકો સાથે સંવાદ પણ ઊભો કરે છે, જે આ પુસ્તકનું એક અનન્ય પાસું છે. આ પુસ્તકમાં તેઓ પોતાના નાગરિકત્વના વિચારોને વિકસાવે છે અને જાહેર હિત માટે વ્યક્તિગત નાગરિક ધર્મને કેળવવાની ફરજને પણ નિરૂપે છે.” લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ઓપિનિયન પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ સાથે ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ પુસ્તકનું દર્શક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવું, તે પણ અતીત-સામ્પ્રત-અનાગતના સંદર્ભમાં ગુજરાતછેડેથી ભારત સમસ્ત જોગ એક અચ્છું અર્પણ લેખાશે. કાશ, તે હિંદી-અંગ્રેજીમાં પણ ઉતરે!

આ અંકમાં ફાર્બસ ત્રૈમાસિકમાંથી ભીખુભાઈનું એક વિશેષ વ્યાખ્યાન ઉતાર્યું છે. એમાંથી પસાર થતાં વાચક જોશે કે ડેમોફિલિયા, પેટ્રિયટિઝમ, નેશનલિઝમ વિશે એક સુરેખ અભિગમનાં સંકેતો પડેલા છે. આપણે ત્યાં મે ૨૦૧૪ના પલટા સાથે જે.એન.યુ., કાશ્મીર, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ઉરી ઘટના નિમિત્તે ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યા અને સમજ અંગે જે મુદ્દા આગળ આવ્યા છે તે તપાસવા સારુ આ અભિગમ ઉપયોગી થઈ પડે એમ છે.

બંગભારતીય સાહિત્યમાં બંકિમથી રવીન્દ્રની અને ગુર્જરભારતીય સાહિત્યમાં મુનશીથી ઉમાશંકર-દર્શક ભણીની જે ગતિ છે એના મેળમાં ભીખુ પારેખનો ‘ડેમોફિલિયા’ પરનો, આ મારા માણસો છે કે પ્રજાપ્રેમનો, ઝોક ઠીક બેસતો આવે છે. નાગરિક ધર્મની (અને એને અનુષંગે રાજધર્મની) દર્શકની મીમાંસા એ રીતે જોવાસમજવા જેવી છે.

પેટ્રિયટિઝમ – નેશનલિઝમના સેળભેળ શોર વચાળે આજના લોકશાહી સંદર્ભમાં સોક્રેટિસનું બચાવનામું જોવા જેવું છે. ભીખુભાઈએ ચોક્કસ સંદર્ભમાં એનો ઉલ્લેખ પણ કર્યો જ છે. પણ અહીં ‘સોક્રેટિસ’ એ દર્શકકૃત નવલકથાનું સ્મરણ થઈ આવે છે. પોતે ગૃહમાં હતા અને ધારાસભ્યોની હરાજી જોઈ એના આંચકાથી દર્શકે લખેલી આ નવલકથા છે. એથેન્સની અન્યથા નમૂનેદાર લોકશાહીએ સોક્રેટિસનો ભોગ લીધો એની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં સારરૂપે બે વાનાંની જ જિકર કરીશું. લોકશાહીને ભયરૂપ જે બે તત્ત્વો કે પરિબળો એમાં જોવા મળે છે તે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’નાં છે. સ્વસ્થ, સમ્યક્, નિરામય મતઘડતરની પ્રક્રિયા બરાડાબહાદુરો અને ભળતીસળતી દલીલના ધંધાદારીઓ હસ્તક બલાત્કૃત ને અપહૃત શી બની રહે છે. આપણો જાહેર વિમર્શ આવા કોઈ કળણમાં ન ખૂંપે તે જોવાપણું છે.

તેથી સ્તો, દર્શક વ્યાખ્યાન સારુ, ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તરેહના ઊહ અને અપોહની પસંદગી, અને ‘નિરીક્ષક’ના તંત્રીસ્થાનેથી આ થોડીક નુક્તેચીની.

ઑક્ટોબર ૧૩, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 01-02

Loading

ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી

ભીખુ પારેખ|Gandhiana|30 October 2016

આપણી એક વિરલ સંસ્થા, ફાર્બસ ગુજરાતી સભાની સાર્ધ શતાબ્દી નિમિત્તે હાથ ધરાયેલ એક ઉપક્રમ તરીકે મીમાંસાપર્વ – ૧, ૨, ૩ રૂપે ત્રૈમાસિકનો વિશેષાંક હમણાં જ પ્રકાશિત થયો છે. રાહ જોવી, મોડું થયાની ફરિયાદ કરવી, એ બધું જ ભૂલી જવાય એવો રાજીપો એમાંથી પસાર થતા અનુભવાય છે. દેશમાં અને ગુજરાતમાં વિમર્શની જે પરિપાટી અને ધોરણો અપેક્ષિત છે એ દૃષ્ટિએ અહીં સુલભ સામગ્રી સેવવા (અને કાલવવા) જોગ છે. ગાંધી જેપીલોહિયા પખવાડિયામાં – અને, અલબત્ત, ગોમાત્રિ દિવસોમાં – ત્રૈમાસિકના સાર્ધશતાબ્દી વિશેષાંક(૩)માંથી અહીં ભીખુ પારેખનું આ વક્તવ્ય સાભિપ્રાય ઉતારીએ છીએ. સાહિત્ય અને સમાજના સંદર્ભમાં વ્યાપક વૈચારિક પૃષ્ઠભૂની ખાસી સામગ્રી એમાં પડેલી છે. દાયકાઓ પર ઉમાશંકર જોશીના આગ્રહી સૂચનથી ભીખુભાઈએ માર્ક્સવાદ અને સૌન્દર્યશાસ્ત્ર પર ગુજરાતીમાં એક વ્યાખ્યાન આપ્યું હતું. (સાથી વક્તાઓમાં ગુલામ મોહમ્મદ શેખ અને હી-ઑલ્સો-રેન જેવો આ તંત્રી પણ હતો.) તે પછી, ભીખુભાઈનું આ બીજું, સિતાંશુ યશશ્ચંદ્રના આગ્રહથી અપાયેલું એક અર્થમાં પ્રવર્તક કહી શકાય એવું ગુજરાતી વ્યાખ્યાન છે. એમાંના મુદ્દાઓ અને ઇંગિતો, આશા છે, હાલના માહોલમાં સંબલ બની રહેશે. આ અંક ટપાલ થશે તે પૂર્વે એમણે ‘ડિબેટિંગ ઇન્ડિયા’ બાબતે દર્શક વ્યાખ્યાન નિમિત્તે વ્યક્ત કરેલા વિચારો હવે પછી સુલભ કરવાનો ખયાલ છે જેથી વિમર્શશોધન અનિરૂદ્ધ રહે.

— તંત્રી, “નિરીક્ષક”

સિતાંશુભાઈ, અમિત ધોળકિયા, અત્રે ઉપસ્થિત થયેલાં સજ્જનો અને સન્નારીઓ, હું મારું વક્તવ્ય, જો કે વક્તવ્ય શબ્દ જરા વધારે પડતો મોટો થઈ ગયો, શરૂ કરું એ પહેલાં બે કારણસર માફી માગી લેવી જરૂરી છે. પહેલું તો એ કે સિતાંશુએ જેમ કહ્યું તેમ ગુજરાતીમાં બોલવાની ટેવ મેં ઘણાં વર્ષોથી છોડી છે. છેલ્લું ગુજરાતીમાં મેં પ્રવચન આપ્યું’તું એક સિરિયસ વિષય ઉપર, ૧૯૮૩માં. કાર્લ માર્ક્સની શતાબ્દી હતી. મારું માર્ક્સ વિશેનું પુસ્તક, ‘માર્ક્સિઝ થિયરી ઑફ આઇડિયોલૉજી’ તે જ વખતે પ્રસિદ્ધ થયું હતું. અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં શામલાલે એનો સેન્ટર પેઇજ ઉપર મોટો અને સુંદર રિવ્યૂ કર્યો અને કહ્યું હતું કે માર્ક્સ ઉપર ઘણાં પુસ્તકો લખાયાં છે પણ અત્યાર સુધી distinctively Indian perspective મળ્યો નથી. ફ્રૅન્ચ પર્સ્પેક્ટિવ આલ્થુઝરે આપ્યો છે, ચાઇનીઝ પર્સ્પેક્ટિવ માઓ ત્સે તુન્ગે આપ્યો છે, પણ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ નથી. જ્યારે આ ચોપડીમાં ઇન્ડિયન પર્સ્પેક્ટિવ દેખાય છે, એમ શામલાલે લખ્યું. મને આશ્ચર્ય થયું કે આટલાં બધાં વર્ષો વિદેશમાં રહ્યા પછી ઇન્ડિયન પર્સ્પેક્ટિવ ક્યાં રહ્યો ? અને કોક-કોક વાર એમણે એમ પણ કહ્યું’તું કે ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ છે. ત્યારે મને થયું કે મારા જેવો સોનીનો દીકરો ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ ક્યાંથી લાવ્યો ? છતાં ય, એ ઉમાશંકરભાઈએ વાંચ્યું’તું ને ખૂબ ખુશ થયા. મને ચોપડી આપો મારે વાંચવી છે. આપી. ઘણી ગમી એમને. પછી મને કહ્યું એ આ માર્ક્સવાદ અને સૌંદર્યશાસ્ત્ર ઉપર તમે લેક્ચર આપો. ને એક શરતે કે ગુજરાતીમાં બોલવું પડશે. મેં એમને કહ્યું કે એક શરતની સામે મારી બીજી સામી શરત એ છે કે અડધું અંગ્રેજી, અડધું ગુજરાતી – compromise કરીએ! તૈયાર થયા. ત્યારથી  સિતાંશુએ મને કહ્યું કે એક દિવસ તમારી પાસે સંપૂર્ણ ગુજરાતીમાં બોલાવીશ. મને ડર હતો કે કદાચ જો સિતાંશુ સત્યાગ્રહ કરે તો મારી પાસે એનો પ્રત્યુત્તર નથી. એટલે મેં હા પાડી. અને ત્રીસ વર્ષ પછી પહેલી વાર આ રીતે ગુજરાતીમાં એક ઊંડા વિષય ઉપર કે જે ખૂબ ચિંતન માગી લે છે, એ વિષય ઉપર ગુજરાતીમાં બોલી રહ્યો છું. જ્યારે મારી આખી વૈચારિક ભૂમિકા જે છે conceptual framework જે આ વિષય ઉપર ઍપ્લાય કરીશ એ આખું અંગ્રેજીમાં ઘડાયેલું છે. કોક-કોક વાર જો કંઈક લાગે કે આ માણસ કંઈક વિચિત્ર બોલે છે, તો ભાષાનો વાંક છે. મારો વાંક નથી.

બીજું એ કે સાહિત્ય એ મારો વિષય નથી. સાહિત્યથી કોઈ દૂર ન રહી શકે. સાહિત્યના ઉપભોક્તા આપણે બધા જ છીએ. પણ સાહિત્યમાં મેં કંઈ આજ સુધીમાં નિબંધો લખ્યા હશે – પણ નથી કવિતા લખી કે વાર્તા. એટલે સાહિત્યમાં કદાચ લાગે કે જેટલું ઊંડાણમાં જવું જોઈએ એટલો ઊંડો હું ગયો નથી, તેથી તેની હું પહેલેથી જ માફી માંગી લઉં છું.

આજનો વિષય છે, સિતાંશુએ કહ્યું એમ, ‘ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી.’ આ જવાબદારી શબ્દ જરાક પથ્થર જેવો લાગે છે, હેવી, ઑથોરિટેરિયન. કારણ કે સાહિત્યકાર જે-શબ્દના મિજાજનો માણસ છે, એની જવાબદારી ન હોઈ શકે. મને બીજો કોઈ શબ્દ મળ્યો નહીં. ‘ફરજ’ જરા હેવી થયો. તો સાહિત્યકારની responsibility. અંગ્રેજીમાં એટલું બધું heavy નથી, પણ જ્યારે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ છીએ, ત્યારે ‘જવાબદારી’ આવીને ઊભી રહે છે ! અને જવાબદારીનો અર્થ અંગ્રેજીમાં accountability, એવો થાય; responsibility નહીં. એટલે ‘જવાબદારી’ શબ્દને જો અહીં વાપરીશું, responsibilityના અર્થમાં વાપરવાનો થશે, accountabilityના અર્થમાં નહીં.

આ વિષયમાંથી ત્રણ પ્રશ્નો ઊભા થાય છે : પહેલો, ગાંધીનો ગુજરાત જોડેનો સંબંધ શું ? બીજું ગાંધીજીના સાહિત્ય પ્રત્યેના વિચારો શું ? અને ત્રીજું એ કે મારી દૃષ્ટિએ, આજના ગુજરાતમાં સાહિત્યકારે શું કરવું જોઈએ? જવાબદારી શબ્દને જેમ બને તેમ આપણે હાંસિયામાં મૂકીએ છીએ. સાહિત્યકારે શું કરવું જોઈએ? – એ ત્રણ સવાલો એક પછી એક આ ક્રમમાં લેવા માગું છું.

પહેલો સવાલ જે હું ઝડપમાં બાજુએ મૂકી દઈશ, કારણ કે બાકીના બે સવાલો મારે માટે વધારે મહત્ત્વના છે. આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત – આ વાક્ય મને ખૂબ મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનો કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય  કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે, ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું deconstruction શું ? એનો અર્થ શું ? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું ? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. મારું એવું માનવું છે કે ગાંધીજીની અંદર ગુજરાતીની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં, રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃિત જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણવ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં આપણા હિંદુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયા રૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં, પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે, ત્યારે ત્યાં મૅડમ બ્લેવેેટ્સ્કીની થિયોસૉફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે આ મોક્ષ એટલે શું ? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે ? એમની પાસે કોઈ જાતનો જવાબ ન હતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિંદુધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિંદુ જે થોડું ઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે, એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે ? શું છે ? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnold-નો The Light of Asia, જે ‘ગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ છે (અને ગાંધીજીએ છેલ્લે સુધી કહ્યુું હતું કે ‘ગીતા’નો અંગ્રેજીમાં કોઈએ સારામાં સારો અનુવાદ કર્યો હોય તો આ) – એ અનુવાદ વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો. મારો ઈશ્વર ગુમાવ્યો. વિશ્વાસ જ નહોતો બેસતો અને ખાસ કરીને હિંદુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – તેને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિંદુ છે તેનું અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. બહારના માણસો એમની પાસે જે વંચાવે છે. તે વાંચીને અભિમાન આવે છે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે. અને ગાંધીજીના જીવનમાં હિંદુ ધર્મ અને ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિંદુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિંદુ છે કે ખ્રિસ્તી હિંદુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નોન હિંદુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ માટે એક વાર; અને તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ એવો નેતા મારા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આજ મારી કર્મભૂમિ છે. અહીંયા જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’માં લંડન ગયા. બાકી આઈન્સ્ટાઇનનું આમંત્રણ આવ્યું. જે વિશે મેં લખ્યું છે. આઇન્સ્ટાઈનના Archivesમાં એમની અને ગાંધીજી વચ્ચેનો સુંદર કોરસ્પોન્ડન્સ છે. ‘તમે આવો અહીંયાં’ – તો ગાંધીજી કહે છે કે ‘હું તો મારો દેશ છોડતો નથી, કારણ કે મારા જીવનની એકેક સેકન્ડ હું મારા દેશને ગિરવે આપી ચૂક્યો છું. પણ તમે આવશો તો આનંદ થશે : એ શરતે કે મારા આશ્રમમાં આપણે જામીન ઉપર સુઈશું.’ માણસ દેશ છોડતો જ નથી. જે જોવાનું તે જોઈ લીધું છે.

બીજો એનો જે કોરિલેટિવ સવાલ છે કે ગુજરાત ગાંધીમાં કેટલું પણ ગાંધી ગુજરાતને શું આપતા ગયા? ગુજરાતે ગાંધીને શું આપ્યું એ મોટો સવાલ છે. પણ સાથોસાથ ગાંધીએ ગુજરાતને નશાબંધી સિવાય બીજું કંઈ આપ્યું છે, તે શું આપ્યું છે? લગભગ ત્રીસ-બત્રીસ વર્ષ પહેલાં મેં ઉમાશંકરભાઈને પૂછ્યું કે ‘ગુજરાતીઓની લાક્ષણિકતાઓ શું?’ બંગાળીઓ, યુપીવાળાઓ, તામિલ, કશ્મીરીઓ એ બધાની સરખામણીમાં ગુજરાતી કઈ રીતે જુદો પડે છે?’ એમણે કહ્યું કે ‘એ મોટો વિષય છે. પણ એટલું કહી શકું કે કાઠિયાવાડીઓની શું લાક્ષણિકતા છે.’ હા, એ ચાલશે !’ કાઠિયાવાડની ત્રણ લાક્ષણિકતાઓ છે : સંતો, મુત્સદ્દી અને બહારવટિયા. કાઠિયાવાડીએ આ ત્રણ પેદા કર્યા છે, ગાંધીને સમજવા હોય તો એક વસ્તુ સમજવી જરૂરી છે. એ માણસ ત્રણેય હતો. બહારવટિયોય હતો, સંતેય હતો – એ એની મહાનતા. એટલે ગુજરાત એને પકડી ન શકે. તમે જો એને ગુજરાતી તરીકે જોવા જશો તો એ પેલો સાદો, practical, વ્યવહારુ ગુજરાતી નથી દેખાતો. પણ એ બહારવટિયો છે. જ્યારે કૉંગ્રેસની અંદર ચળવળ ચાલતી હતી, આપણે સત્યાગ્રહ કરવો કે ન કરવો? મોહમ્મદ અલી ઝીણા, ગોખલે, બધાએ કહ્યું કે આ constitutional method નથી. ગાંધીજીએ કહ્યું કે સત્યાગ્રહ જ કરવો. ચળવળ-ચળવળ. ક્યાંય તમે કોઈ પણ એની પ્રવૃત્તિ જુઓ તો એ ચાલતા જ હોય. શાંત સ્થિર બેઠા હોય એવું જે બુદ્ધમાં જોવા મળે છે, એ ગાંધીજીમાં બહુ ઓછું જોવામાં આવે છે. એમણે આખી જનરેશન ઊભી કરી. સોશ્યલ ઍક્ટિવિઝમ આજે ગુજરાતમાં ઘણું છે. એન.જી.ઓ. મૂવમેન્ટ તો જવા દઈએ. પણ સોશ્યલ ઍક્ટિવિઝમ, સિવિક ઍક્ટિવિઝમ – એ ગાંધીજીનો વારસો છે અને એ જ રીતે એમ અલગ અલગ ધર્મોમાંથી લઈને એમણે જે પોતાનો ધર્મ ઊભો કર્યો એ જાતની સોફ્ટ, ઓપન માઈન્ડેડ રિલિજીયોસિટી જેને કહીએ, એ ગાંધીજી ગુજરાતને આપતા ગયા અથવા તો ગુજરાતે એમની પાસેથી લીધું. તો પહેલો સવાલ જે મેં રજૂ કર્યો તો ‘ગાંધીમાં ગુજરાતને ગુજરાતમાં ગાંધી’ એનો આ એક સાત મિનિટમાં જવાબ.

પછીનો સવાલ જે છે, ગાંધીજીના સાહિત્ય વિશેના શું વિચારો? એમાં ઘણું સમાયેલું છે. ઘણા ઓછા માણસોને ખબર છે કે ગાંધીજીને સાહિત્યમાં કેટલો બધો રસ હતો. લંડન ગયા તો મોટા ભાગના પૈસાનો એમણે ઉપયોગ કર્યો નાટકો જોવામાં. દર અઠવાડિયે કોક ને કોક નાટક હોય તો જુએ. ખાસ કરીને શેક્સપિયરના અને મોટા મોટા શેક્સપિયરના જે બધા ડાયલોગ્ઝ હતા તે તેમણે કંઠસ્થ કર્યા અને બોલ્યે રાખે. એકલા હોય તો બોલ્યે રાખે. ‘ઇનર ટેમ્પલ’માં ભણે. તો ઘરેથી જતા હોય તો પેલો ડાયલોગ બોલતા હોય. મને લાગે છે કે આ માણસની અંદર સેન્સ ઑફ થિએટર બીજા બધા પોલિટીશિયન્સની સરખામણીમાં વધારે. જ્યાં જાય ત્યાં એક નાટક ઊભું કરવું. દાંડી માર્ચ જે છે તે એની નિશાની છે. કપડાં જે છે તે એની નિશાની છે. હું આ ધોતિયું પહેરીશ. અથવા તો આ જાતનું ધોતિયું પહેરીશ. કોઈએ એને કહ્યું કે તમે તો loin cloth પહેરો છો. તો એમણે કહ્યું, ‘If that’s what you want to call it, you may. But it is not that. Whatever it is, it is the dress of my mission. કે મારું લાઇફમાં જે મિશન છે એનું પ્રતીક છે. મર્યા તો’યે થિએટ્રીકલી મર્યા. ન ઓર્ડિનરી જીવન કે ન ઓર્ડિનરી મૃત્યુ. Walter Scott અને ઘણા માણસોને વાંચ્યા. અને ૧૯૩૧માં કોઈએ એમને પૂછ્યું, તમે રાજકારણમાં આટલા બધા પરોવાયા છો એને લઈને જીવનમાં તમે શું ગુમાવ્યું? સૌથી મોટો સેક્રિફાઈસ કર્યો? તેમણે કહ્યું કે સાહિત્યમાં જેમને ખૂબ જ રસ હતો તે રસ હું કેળવી ન શક્યો.

એટલે ઘણાએક કહે છે, અમર્ત્ય સેન કહે છે, ગાંધી અને ટાગોરની વચ્ચેની સરખામણીમાં, કે પેલો સાહિત્યનો માણસ છે. એ ખોટી વાત છે, કારણ કે ગાંધીજી એટલા જ સાહિત્યના માણસ હતા. એટલો જ એમનો ઊંડો રસ હતો. એટલું જ નહીં પણ એ માણસે છ પુસ્તકો લખ્યાં. માત્ર સાહિત્યનો રસ જ ન હતો, એમણે પણ છ પુસ્તકો લખ્યાં. એમાં ‘હિંદ સ્વરાજ’ છે કે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ છે કે ‘ગીતાબોધ’ છે. આ બધું એમણે ગુજરાતીમાં લખેલું. એ બધું લખ્યું એમણે. એટલું જ નહીં પણ એમણે અનુવાદો કેટલા બધા કર્યા. એ પણ એક સમજવા જેવું છે કે આ માણસ જિંદગીભર અનુવાદો કરતા રહ્યા છે. શું કામ? એની એક મિનિટમાં તપાસ કરું છું. પણ વિલિયમ સોલ્ટનું એક પુસ્તક હતું, ‘Ethical Religion’ એનો મુદ્દો એ છે કે કોઈ પણ religionનું હૃદય જે છે તે તેના એથિક્સમાં, મેટાફિઝિક્સમાં નથી. ગાંધીજીને ગમ્યું તરત એમણે કર્યો ગુજરાતીમાં અનુવાદ. Ruskinનું ‘Unto this Last’ – ગુજરાતીમાં અનુવાદ! ‘સર્વોદય.’ પ્લેટોની ‘Apology’. એ પુસ્તકમાં સોક્રેટિસને સત્તાવાળા લોકો હેમલોક ઝેર પીવાનું કહે છે. સોક્રેટિસ પોતાની જાતનો બચાવ કરે છે. આ લોકોને કહ્યું કે તારા દેશની ટીકા કરવા બદલ તારે ક્યાં તો મરવું પડશે, ક્યાં તો દેશ છોડીને ચાલ્યો જા. દેશ તો હું ન છોડી શકું. મરીશ તો અહીંયા. આ જ મારું છે ઘર. એ પ્લેટોની Apologyનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. સારું કોઈ વાંચવાનું આપે તો તે તરત એનો ગુજરાતીમાં અનુવાદ. ક્યાં તો પુસ્તકરૂપે, ક્યાં તો એમના ‘Young India’ કે ‘નવજીવન’ કે ‘Indian Opinion’ એમાં લેખો રૂપે અનુવાદ કરતા રહે.

તો બે પ્રશ્નો ઊભા થાય છે. એમનો ગુજરાતી ઉપરનો કાબૂ હું અત્યારે જેવું ગુજરાતી બોલું છું એવો. બહુ સારો નહીં. નગીનભાઈ પારેખે ‘સંસ્કૃિત’માં અને ‘બુદ્ધિપ્રકાશ’માં બે લેખો લખ્યા છે, ગાંધીજીના ગુજરાતી વિશે. એમાં એ કહે છે કે ગુજરાતી સાહિત્ય ભણેલા નહીં એટલે થોડું ઘણું સૌરાષ્ટ્રમાં પિક અપ કરેલું. પછી દક્ષિણ આફ્રિકામાં જઈને સૌરાષ્ટ્રના મુસલમાનો જોડે સતત કોન્ટેક્ટ એટલે જે કંઈ અડધું-પડધું શીખેલા એ એમનું ગુજરાતી. એવા ગુજરાતીમાં લખે. જોડણીના કે વ્યાકરણનાં કંઈ ઠેકાણાં ન હોય. એમ છતાં, એમનો આગ્રહ ગુજરાતીમાં લખવાનો કેમ ? ગુજરાતીમાં સતત અનુવાદો કેમ કરે રાખે છે? એના પર આજ સુધીમાં મારા ધ્યાન પ્રમાણે સાહિત્યકારોએ કંઈ કામ કર્યું નથી.

એથી આગળ જઈને ત્રીજો સવાલ ઊભો થાય છે કે અનુવાદ કરે છે, તો કયા પ્રકારના અનુવાદ કરે છે? અનુવાદ તો ઘણી રીતે હોઈ શકે. પોતાની આત્મકથાને ગુજરાતીમાં કહે છે ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’; અંગ્રેજીમાં અનુવાદ થાય છે તે એનો Autobiography of Experiments of Truth તો Experiments તો પાછળ આવે છે, પહેલાં નથી આવતું. ગુજરાતીમાં સત્યના પ્રયોગો પહેલાં આવે છે.

ગાંધીજીના અનુવાદમાં પણ જે વિચક્ષણતા છે તે જેને ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ. એ વિચક્ષણતાનો પ્લેટોના પુસ્તક Apologyમાં આપણને ખ્યાલ આવે. એ સરખાવવા જેવું છે. Plato’s Apology : તમને ખ્યાલ છે શું પુસ્તક છે ? અનુવાદમાં એનું ટાઈટલ ઘણી રીતે આપી શક્યા હોત. ગાંધીજીએ એનું ગુજરાતીમાં શીર્ષક શું આપ્યું? ‘એક સત્યવીરની કથા.’ પણ સાથેસાથે ખરેખરું જે ટાઈટલ છે એ તો કહેવું જ પડે. એટલે કહ્યું ‘અથવા સોક્રેટિસનો બચાવ’ જો કેવી રીતે શરૂ કરે છે માણસ. ‘એક સત્યવીરની કથા અથવા સોક્રેટિસનો બચાવ.’ અને પછી તેમાં શું શબ્દો વાપરે છે? સોક્રેટિસ કોણ હતા? બહુ મોટો માણસ. ત્યાં ગાંધી અટકતા નથી, પહેલી જ વાર (અને એમાં ય આપણે લોકોએ જરા ય ઊંડી તપાસ કરી નથી,) એ સોક્રેટિસને ‘મહાત્મા’ કહે છે. એ શબ્દ એમને માટે વપરાય છે તે પહેલાં આ શબ્દ તે બીજાને માટે વાપરી ચૂક્યા છે. એ સોક્રેટિસને ‘મહાત્મા’ કહે છે. એટલું જ નહીં, પણ એ ‘મહાત્મા’ શબ્દ હોમર માટે વાપરે છે. ‘મહાત્મા હોમર’. તો કેટલી છૂટછાટ લે છે અને શું કહેવા માગે છે? આગળ જાય છે અને જે અંગ્રેજીમાં છે એને ગુજરાતીના જે પરિચિત લઢણો છે એના માધ્યમમાં વ્યક્ત કરે છે. એટલે મારા શબ્દોમાં જો કહું તો એ તરજુમો નથી કરતા. ભાષાંતર નથી કરતા. અનુવાદ કરે છે. આ અનુવાદના શબ્દો આવ્યા ક્યાંથી? આપણે ત્યાં એવું છે કે જ્યારે જાહેર ચર્ચા થતી હોય ત્યારે વાદી જે છે એની અમુક જવાબદારીઓ ગણાય છે. વાદીની પોઝીશન પ્રતિવાદી એવી રીતે પોતાના શબ્દોમાં રજૂ કરે જેથી કરીને પ્રતિવાદી વાદીની પોઝિશન પોતાના શબ્દોમાં એ રીતે રજૂ કરે જેથી કરીને વાદી કહે કે હા, ખરેખર હું આ જ કહેવા માગું છું. અનુવાદ, મારો વાદ છે તમારી પાછળ પાછળ. કહીશ મારા શબ્દોમાં પણ એ રીતે કે તમે પોતે પણ કહો તો કે ના, આ તો બરાબર છે. હું આ જ કહેવા માગું છું. ભલે શબ્દોમાં પણ એ રીતે કે તમે પોતે પણ કહો તો કે ના, આ તો બરાબર છે. હું આ જ કહેવા માગું છું. ભલે શબ્દો તમે બીજા વાપર્યા. આ અનુ-વાદ. ગાંધીજી આ અનુવાદ કરે છે. એમને બિચારાને જ જમાનામાં સંસ્કૃતનો ખ્યાલ ન હતો એ જમાનામાં પણ અનુવાદ કરે છે. પ્લેટોને કહે છે કે તું જે કહેવા માગે છે એ જ હું કહીશ. તારી પાછળ પાછળ પણ મારા શબ્દોમાં. મારી ઇમેજ વાપરીને. પણ એ રીતે કહીશ કે તું પોતે જ જો વાંચતો થાય, વાંચી શકે તો તું કહેશે કે હું બરાબર આ જ કહેવા માગતો હતો. એનો અર્થ એમ થયો કે ભાષાથી કંઈ ફરક પડતો નથી. એક જ વસ્તુ એ જ ભાષામાં કહી શકાય છે એ જ વસ્તુ બીજી ભાષામાં કહી શકાય છે. એ આખું જે linguistic equivalentનું એઝમશન છે.

આ અનુવાદ એ શા માટે કરે છે અને ગુજરાતીમાં શું કામ લખે છે ? એનાં બે કારણો છે … એની દક્ષિણ આફ્રિકામાં શરૂઆત થાય છે. ગુજરાતીમાં લખે છે અને ગુજરાતીમાં અનુવાદ કરે છે. એક તો એ કે આ મારી ભાષા છે. ભાષા પ્રત્યે જાણે માત્ર સ્વમાનનો સવાલ નથી પણ સ્વાભિમાનનો સવાલ છે. બીજું જે એક-બે વાક્યોમાં કહે છે તે એ, – અને એ મહત્ત્વની વસ્તુ છે, – કે મને જે કાંઈ જાણવામાં આવ્યું છે એ ખજાનો મારે મારી પ્રજા પાસે લઈ જવો છે. એને માટે ‘હિંદ સ્વરાજ’માં ‘પ્રજાપ્રેમ’ શબ્દ વાપર્યો છે. બોગસ નૅશનાલિઝમ નહીં. એ ન મળે ગાંધીમાં કે ન ટાગોરમાં. બોગસ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રવાદ બધું બકવાસ છે. એ તો એ રાષ્ટ્ર શું છે ? જીવતા-જાગતા મારા સમાજના જે માણસો છે એનો પ્રત્યેનો પ્રેમ. રાષ્ટ્ર પ્રતિ પ્રેમ હોઈ ન શકે. એ તો ઇમ્પર્સનલ વસ્તુ છે. જમીન માટે કંઈ લડાતું હશે? જમીન થોડી જીવિત છે ? જીવતા માણસો માટે મારે જાન આપી દેવો. ‘Wipe away every tear from every eye.’ જે ગાંધીજી કહેતા હતા. એ પ્રજાપ્રેમને લઈને પોતાની જ ભાષામાં લખે છે. પ્રજાપ્રેમને લઈને હું વખતોવખત અનુવાદ કરીશ, જેથી કરીને મારી પ્રજાને કંઈક આપતો જઈશ. એમાંથી સાહિત્યની કલ્પના જાગે છે.

એટલે આ સવાલ મેં રજૂ કર્યો કે ગાંધીજીનો સાહિત્ય પ્રત્યેનો ખ્યાલ શું? તો સાહિત્ય પ્રત્યેનો ખ્યાલ આમાંથી ઊભો થાય છે કે સાહિત્યનું ઉદ્ભવ સ્થાન પ્રજાપ્રેમ. મારી પ્રજા છે. મારાં માણસો છે. મારો સમાજ છે. એ મારા સમાજને મારે કંઈક કહેવું છે. બધા સમજી શકે એ રીતે, એમની ભાષામાં. જે મારી ભાષા છે. અને દુનિયાનો કોઈ ખજાનો હોય તો મારે એમની પાસે લાવવો છે. તે સાહિત્ય પ્રજાપ્રેમમાંથી જન્મે છે. અને પ્રજાપ્રેમ માટે આપણે ત્યાં શબ્દ નથી. મેં એક શોધ્યો છે. પણ અંગ્રેજીમાં તે જરા ડલ થઈ જાય છે. ‘Demophilia’. ‘Demos’ એટલે People. Phil/feel એટલે Love. મારાં લખાણોમાં આ શબ્દ પ્રચલિત કર્યો છે. Patroitism નહીં, બોગસ. Nationalism એથી વધારે બોગસ. પણ Demophilia કે મારા માણસો છે – એ પ્રજાપ્રેમ છે. અથવા તો જેને ટાગોર કહેતા’તા, ‘સ્વદેશચિંતા’. રાષ્ટ્રવાદ નહીં; ‘સ્વદેશચિંતા’. અથવા તો ગાંધીજી, પંડિત નેહરુ કોઈ વાર શબ્દ વાપરતા ‘સ્વદેશભાવના’. આવા શબ્દો ગાંધીજીની સાહિત્યની થિયરીને સારી રીતે સમજાવી શકે. તો આ પ્રજાપ્રેમમાંથી જન્મેલું સાહિત્ય – એની લાક્ષણિકતા. કેવું સાહિત્ય હોવું જોઈએ? કે જેમાં તમને વાક્યે-વાક્યે પ્રજાપ્રેમ દેખાય. તો ગાંધીજી કહે છે કે એ સાહિત્ય જે છે પ્રજાપ્રેમમાંથી જન્મેલું હોય એમાં આટલાં પાંચ કે છ ચિહ્નો અથવા લાક્ષણિકતાઓ હોવી જોઈએ. એક તો એ કે પ્રજાનું હિત એમાં જળવાવું જોઈએ. ગાંધીજીએ શબ્દ વાપર્યો ‘uplift’. સાહિત્ય તેને જ કહેવાય કે જે તમને lift up કરે, uplift કરે. જે તમને નીચે લઈ જાય તે ‘પોર્નોગ્રાફી’ થયું. બીજું કે પ્રજાને ‘વાચા’ આપે છે. કે પ્રજાપ્રેમ છે માટે. પ્રજામાં એવી લાગણીઓ હશે કે જે વ્યક્ત નથી થતી. અથવા એવા લોકો હશે કે જે બિચારા બોલી શકતા નથી. દલિતો હોઈ શકે. નીચલી જ્ઞાતિઓ હોઈ શકે. માઇનોરીટીઝ હોઈ શકે. ગભરાય છે. બોલી શકતા નથી. અને બોલે તો બુલંદ અવાજે નથી બોલી શકતા. તો to give voice to the voiceless. જે મૂંગા છે તેને બોલાવવા. પણ એમાં ગાંધીજી ચોખ્ખું કહે છે ને તેમાં મારી નજરમાં ગાંધીયુગના આપણે ત્યાં લેખકો છે તે ભૂલ કરે છે. સવાલ એ નથી કે તમે ગરીબો વિશે કે દલિતો વિશે લખો છો કે નહીં. સવાલ એ છે કે તમારા લખાણમાં ગરીબો બોલે છે કે નહીં ? દલિતો બોલે છે કે નહીં ?

માર્ક્સવાદીઓ પણ લખે છે. માર્ક્સવાદીઓથી ગાંધી જુદા ક્યાં પડે છે ? કે ગરીબો એ પરાયા નથી. Distant નથી. Object નથી, subject છે. તમે એને વાચા આપો છો, એ શબ્દ જ કંઈક અંશે ખોટો છે. તમે વાચા આપો છો એનો અર્થ કે મૂંગો છે. એ મૂંગો નથી, એટલું જ કે એની ભાષા જે છે એમાં એ રજૂ નથી કરી શકતો, આપણને સમજાય એ રીતે. માટે તમે એને સહેજ ‘પ્રોમટિંગ’ કરીને મદદ કરીને, એની લાગણીઓ છે એને રજૂ કરો છો. એને વિશે લખતા નથી. તમારી મારફત એ ડોકિયું કરીને અવારનવાર કહેતો રહે છે, આ બીજું.

ત્રીજું કે પ્રજાને એક કરવી છે. પ્રજાનાં જે અલગ અલગ ગ્રુપ છે. તો કશુંક એવી રીતે કરવું કે જેથી કરીને એક ગ્રુપ બીજા ગ્રુપને સમજી શકે. અંગ્રેજીમાં કહું તો ‘interprete one group to the other.’ લોકોને ખરાં લાગે એવાં પાત્રો મૂકીને સમજાવો કે આ લોકો કઈ રીતે જીવન જીવે છે. મુસલમાનોને સમજાવો કે હિંદુઓ કઈ રીતે, ગુજરાતીને સમજાવો કે બંગાળી કઈ રીતે ખરેખર જીવે છે. એકબીજાને આ રીતે ઇન્ટરપ્રીટ કરવાનું કામ સાહિત્યકાર કરે. એ દુભાષિયો છે, સાહિત્યકાર. એટલે એક અલગ અલગ ગ્રુપો જે એકબીજા જોડે બોલતાં નથી, દીવાલ ઊભી કરી છે, એને એકબીજા જોડે બોલતાંકરે. અને મારા શબ્દોમાં કહું તો ‘conversational space’ ઊભી કરવી. એણે બારણાં બંધ કરી દીધાં છે, મગજનાં. એને સહેજ હલાવીને એવી જગ્યા ઊભી કરવી કે જ્યાં બંને હાથ મિલાવીને એકબીજા જોડે વાત કરી શકે.

ચોથું, સાહિત્યનું કામ જે છે તે માત્ર ‘હાઇબ્રો લિટરેચર’ જેને કહીએ ત્યાં મર્યાદિત નથી. પોપ્યુલર લિટરેચર, ફોક લિટરેચર એ ય સાહિત્ય છે. એટલું જ નહીં. પણ ગાંધીજીનાં મોટા ભાગનાં લખાણો જર્નાલિઝમમાં આવે છે. ‘He was a great journalist’, કમ્યુિનકેટર બહુ મોટો. પહેલેથી સમજ્યા કે ‘માસ કમ્યુિનકેશન’ સિવાય પોલિટિક્સમાં તમે સક્સેસફુલ ન થઈ શકો. અને માસ કમ્યુિનકેશન માટે સિમ્બલ્સ જોઈએ. નાટકો કરવાની શક્તિ – થિયેટ્રિકલ એલીમેન્ટ્સ જોઈએ. પણ સાથે સાથે એવી ભાષા પણ હોવી જોઈએ. એટલે એમણે શું કર્યું. જર્નલિઝમ શરૂ કર્યું. જર્નાલિઝમ એ પણ એક સાહિત્ય છે. એટલે સાહિત્યની આવી જે કલ્પના જે છે એ એમણે વિશાળ કરી. બીજું, ‘spoken’ અને ‘written’ કે બોલેલી ભાષા અને લખાણની ભાષા એ વિશે આપણે ત્યાં હંમેશાં કાસ્ટના સેન્ટિમેન્ટ્સ આવીને ઊભા રહે છે. જે સાહિત્યકાર હોય તે અમુક જ રીતે લખે. ઉપલા વર્ગ અને નીચલા વર્ગના માણસની વ્યાખ્યા, એ પરથી જો થાય, તો એ ભદ્રંભદ્ર ટાઇપનું થયું.

આ માણસે, ગાંધીએ, બોલેલું ગુજરાતી અને લખેલું ગુજરાતી એ બે વચ્ચેનો આખો તફાવત તોડી નાખ્યો. આ વાત એની આત્મકથામાં સંપૂર્ણપણે જોવામાં આવે છે. શરૂઆત એ જ રીતે થાય છે અને એ તમે વાંચી પણ શકો. સાહિત્ય તરીકે અને તમે મોટેથી બોલી પણ શકો. કોઈને એવું ન લાગે કે આ બોલેલું અજુગતું છે અને છેલ્લું તે પ્રજાપ્રેમમાંથી જન્મેલો સાહિત્યકાર છે. એ સેન્ટિનલ અથવા તો કોન્સિયન્સ છે, પોતાના સમાજનો. જે શબ્દ ગાંધીજીએ ઘણી વાર ટાગોરની જોડે ચર્ચામાં વાપર્યો હતો. ટાગોરને જ્યારે કહે કે ભાઈ ‘You are poet’ અને હું ? ‘I have not succeded in composing a rhyme in my life. And I look upon you as the sentinel.’ પ્રજા માટે દીવાદાંડી. ને સાહિત્યકારનું કામ દીવાદાંડી જેવું છે.

આપણે ત્યાં ‘ગાંધીયુગ’ એવો શબ્દ વાપરવામાં આવે છે. એ શબ્દ મને પૂરતો યોગ્ય નથી લાગતો. કારણ કે યુગની શરૂઆત હોય ને યુગનો અંત પણ હોય. આ તો એક વિચારધારા છે. અને અનેક આવતા યુગોમાં એ વિચારધારા રહેવાની. ગાંધીયુગમાં પણ એવા માણસો હતા કે જે ગાંધીવાદી નહોતા. એટલે ગાંધીયુગ કહીને આપણે એ ગાળો જે છે, ૧૯૨૦થી ૧૯૫૦ સુધીનો, એમાં એક મોટી યુનિટી મૂકી દઈએ છીએ. આર્ટિફિશિયલ યુનિટી. એના બદલે ‘ગાંધી વિચારધારા’ કહીએ તો વધારે યોગ્ય બને. એ ગાંધી વિચારધારા એક જમાનામાં પ્રોમિનન્ટ હતી. પછી પ્રોમિનન્ટ નથી, પણ વહે છે એક નાનકડા પ્રવાહરૂપે. આ ગાંધીનું સાહિત્ય પ્રત્યેનું વલણ અથવા તો એમની સાહિત્ય પ્રત્યેની થિયરી અને એ થિયરી જે છે એ ટાગોરની થિયરી કરતાં જુદી પડે છે. એને લઈને ગાંધીજી અને ટાગોર વચ્ચે સૌથી ભયંકર ચર્ચા થઈ હતી. એટલી આકરી, જેમાં એકબીજા જોડેનાં સંબંધો તૂટી જવાની શક્યતા હતી. ગાંધી-ટાગોરની એ ચર્ચા ઉપર બહુ ઓછું કામ થયું છે. ગાંધી-ટાગોર વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ. બિહારના ધરતીકંપ ઉપર, ચરખા ઉપર, અસહકાર ઉપર. પણ એ બધી સભ્ય ચર્ચા. પણ ચર્ચામાં જ્યારે રામમોહન રાયની વાત આવી અને ગાંધીએ જ્યારે  એમના ઉપર એક રિમાર્ક કરી, ત્યારે ટાગોર એટલા બધા ગુસ્સે થયા કે એમણે ગાંધીજી વિશે લખ્યું ‘You must stop running down a great man of our own history!’ આગળ ચાલ્યા, પછી કહે, ‘I have sometimes seen great falling in love with his own ideas and I am affraid that you are becoming a victim of that.’

આવું ટાગોરે આજ સુધીમાં ન પંડિતજી વિશે. ન કોઈ વિશે કહ્યું છે. ગાંધીજી વિશે કહ્યું. શું કામ ? થયું એવું કે ગાંધીજીએ એક વાર કોઈને કહ્યું કે રામમોહન બહુ મોટા માણસ છે. જબરજસ્ત માણસ છે. બંગાળ ઉપર એની કેટલી મોટી અસર થઈ. પછી પેલાએ પૂછ્યું કે એટલા મોટા કે જેટલા આપણા ઉપનિષદના unknown authors? ત્યારે ગાંધીજીએ કહ્યું કે ‘Compared to the unknown authors of the Upnishads, Kabir and Nanak, he was a pigmy.’ – આ બધાની સરખામણીમાં તે પિગ્મી હતા. કંઈક ઉતાવળે કહ્યું અને ગાંધીજીને પછી એનો પસ્તાવો થયો. ટાગોરને કોઈએ રિપોર્ટ આપ્યો છાપામાં. બંગાળમાં તો ઊહાપોહ થઈ ગયો. રામમોહનરાય ઇઝ એ પિગ્મી, સેયઝ ધ મહાત્મા. એટલે ટાગોર અકળાયા. ટાગોર બહુ ઝડપી નારાજ થઈ જાય. ટાગોરે કાગળ લખ્યો કે આ શું છે? ગાંધીજીએ કહ્યું કે આવું મેં નહોતું કહ્યું. પણ કહ્યું તો કહ્યું; આ જાતનું કહ્યું’તું.

હું એમ કહું કે વોલ્ટર સ્કૉટ બહુ મોટો માણસ છે, પણ શેક્સપિયરની સરખામણીમાં બહુ નાનો છે. તુલનાત્મક જજમેન્ટ હતું. ટાગોર સંતોષાયા નહીં. બંને વચ્ચે ચર્ચા ચાલી. તો ગાંધીજીએ એને પિગ્મી કહ્યા અને હિસ્ટોરિકલી સવાલ ઊભો થાય છે કે કબીર અને રામમોહનરાય વચ્ચે ફેર શું ? એક બાજુ ગાંધીજી કબીર, ચૈતન્ય અને ગુરુ નાનકને મૂકે છે. બીજી બાજુ રામમોહનરાયને મૂકે છે. બે વચ્ચે શું ફેર છે ? રામમોહનરાય પણ અલગ અલગ સંસ્કૃિત, સભ્યતાને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે. આ લોકો પણ કરે છે. કબીરમાં અને રામમોહનમાં ફેર શું છે? કબીર ભક્ત. રામમોહનરાય ઇન્ટેલેક્ચ્યુઅલ. એક પિગ્મી કેમ? સાહિત્યની થિયરીમાંથી આ તફાવત જન્મે છે. બે કારણસર. એક એમ કહે રામમોહનરાય જે છે તેમાં કબીરની માફક પોતાનો પ્રજાપ્રેમ મને નથી દેખાતો. પ્રજાની ભાષામાં કેમ લખતા નથી? એક તો એ; અને બીજું કે એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને જે છે, તે કબીર તો કહે છે કે હું હિન્દુ છું. મુસલમાન છું. એકબીજામાંથી લે છે, ભેગું કરે છે, અને લોકોને સમજાવ્યા કરે છે. પોતાની સંસ્કૃિતથી એની શરૂઆત છે. જ્યારે રામમોહનરાય એ પોતાના સમાજને જુએ છે એ સમાજને બૂરો દેખાય છે. ક્રિશ્ચિયાનિટીમાં અમુક વસ્તુઓ સારી લાગે છે, માટે મારા સમાજને મારે બદલવો જોઈએ. એટલે એ માણસને માટે એની પોતાની સંસ્કૃિત એ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. એનો રેફરન્સ પોઈન્ટ હંમેશાં ક્રિશ્ચિયાનિટી છે. માટે મારા ધર્મને ક્રિશ્ચિયાનિટીની જેવો સીધો કરવો છે. સેનિટાઇઝ કરવો છે. એ અરસામાં ગાંધીજીએ જે એક શબ્દ ઘણી વાર વાપર્યો છે, એનો સાચો અર્થ થતો નથી. ગાંધીજી વિવેકાનંદ પાસેથી એક વોકેબ્યૂલરી લે છે. વિવેકાનંદ કહે છે કે ‘I don’t believe in reform. I believe in growth.’ અને પછી એમ કહે છે કે ‘I am as progressive as the next man. But these two are different ways of progress.’

‘રિફોર્મ’નો અર્થ એમ થયો કે તમે બહારથી કોઈ વસ્તુ અંદર લાવો છો. ગ્રોથનો એમ થયો કે અંદરથી જ તમે એનાં જે ‘ક્રિટિકલ ડિઝાયરેબલ એલિમેન્ટ્સ’ છે એને તમે આગળ ધરો છો. તો ગાંધીજીએ કહ્યું કે રામમોહનરાય રિફોર્મમાં માનનારા હતા. ગ્રોથમાં અથવા જેને ગાંધીજી આત્મશુદ્ધિ કહે છે એમાં માનનારા નહોતા. ટાગોરની લિટરેચરની થિયરીમાં બંને બાજુએ એની ‘સિમ્પથી’ હતી. એટલે એમની અને ગાંધીજી વચ્ચે મતભેદ એમને સાહિત્યની થિયરીમાં જન્મે છે. મારી પાસે ટાઈમ નથી નહીંતર ટાગોરની લિટરેચર વિશેની થિયરી શું છે એની આપણે ચર્ચા કરી હોત. અને એ બંને જનરલી થિયોરેટિકલ લેવલ પર મૂકીને એમાંથી શું ડિડક્શન હોત તે આપણે જોઈ શક્યા હોત. પણ એ આ પ્રસંગે નહીં, કોક બીજી વાર. આ ગાંધીજીની સાહિત્યની વિભાવના. What is literature, એમાં ધીરે ધીરે તપાસીએ. એટલે અત્યારે ટીકા ય નથી કરવી, કારણ કે એ ય પ્રસંગ નથી. ડાયડેક્ટિક થઈ જાય છે. સોશિયલ થીમ વધારે મહત્ત્વનું હોય છે. સાહિત્યનું કામ જે અંદરથી ઊંડી લાગણીઓ તપાસવી. રોમેન્ટિક ફીલિંગ્સ વગેરે, એ બધું બહાર રહી જાય છે અને એ ય પાછું ગાંધી અને ટાગોરના તાજમહેલ વિશેના વિચારો છે એ તમે સરખાવો ત્યારે ફરી ધ્યાનમાં આવે છે. ગાંધી જ્યારે તાજમહેલ જુએ છે ત્યારે એમ કહે છે ‘વૅસ્ટ ઑફ મની’. આ ગરીબોનું શોષણ થયું. એટલે જ નહીં, પણ બીજો શબ્દ આપે છે. ‘Its public dispaly of private emotions’, કે મને મારી પત્ની પ્રત્યે કે મારી પ્રેયસી પ્રત્યે ખૂબ અનહદ પ્રેમ છે તે પબ્લિકમાં જાહેર  કરવાની જરૂર છે? ટાગોર શું કહે છે, ‘Its a tear drop on the cheeks of eternity.’ અને પછી કહે છે તે તાજમહેલ ‘it’s crying’ ચીસ પાડીને કહે છે, ‘I love you my darling. I love you and I will always.’

આ તાજમહેલ અને ગાંધીનો તાજમહેલ. ગાંધીના તાજમહેલની જે મર્યાદા છે એ એમની સાહિત્ય મર્યાદા છે. એને લઈને ધીરે ધીરે જેમ જેમ એ રાજકારણમાં ઊંડા પડતા જાય છે, ઉંમર વધતી જાય છે, તેમ તેમ લિટરેચરનો પહેલાં એમનો જે રસ હતો, એ ઊડી જાય છે. મને હજી પકડ નથી આવતી કે કેમ ઊડી જાય છે? એટલી હદ સુધી કે એમને બધું મળીને લગભગ ૧૬-૧૭ વર્ષ જીવનનાં જેલમાં ગાળ્યાં. મોટું રીડિંગ લિસ્ટ હતું એમનું. એ લિસ્ટમાં નોવેલ એકેય નહીં. લિટરેચરની એકેય વસ્તુ નહીં. કેટલુંક સાહિત્ય હતું તાંત્રિક દર્શનોનું હતું, કારણ કે એમને એમાં એમને રસ પડ્યો, પેલા સેલિબસીના પ્રયોગો માટે અને એપિક. જેલમાંથી નીકળીને કહે છે કે મેં ‘મહાભારત’ વાંચ્યું છે અને મહાભારત શરૂ થાય છે. જ્યારે એમની એજ્યુકેશનલ સિસ્ટમ ઊભી કરે છે, બુનિયાદી તાલીમ વિદ્યાર્થીઓ માટે, ત્યારે બુનિયાદી તાલીમમાં સાહિત્યનો કોઈ ઉલ્લેખ નથી. આ એમની થિયરી ઑફ લિટરેચર. જીવનમાં જ્યારે છેલ્લાં વીસ વર્ષ આવે છે ત્યારે સાહિત્યમાંથી એમનો રસ ઊડી જાય છે. એ એમની થિયરીમાં કંઈ ખામી છે અથવા તો થિયરીનું ઇન્ટરનલ લોજિક એવું છે કે જેને લઈને આ પરિણામ આવે. પણ એ જુદો સવાલ છે.

ત્રીજો અને છેલ્લો સવાલ લઈએ. આજના ગુજરાતમાં સાહિત્યકાર, સાહિત્યનું સ્થાન શું? અથવા તો પેલો ભારી શબ્દ વાપરો તો સાહિત્યકારની જવાબદારી શું ? મારી નજરે આને જવાબ આ રીતે આપી શકાય. આજનું ગુજરાત જે It’s not a fact – ગુજરાત એ હકીકત નથી. ગુજરાત તો સર્જન છે. ‘It’s an idea.’ જેમ આપણે the idea of India કહીએ છીએ તેમ ગુજરાત એક સ્વપ્ન અથવા દર્શન (vision) છે, it is an historical construction. આપણી પાસે ૪૦૦ રજવાડાંઓ હતાં. અલગ અલગ ઇતિહાસ એનો, બ્રિટિશ ઇન્ડિયા હતું. પછી મહારાષ્ટ્ર જોડેની બોર્ડર. દરેક ભાગોનો અલગ અલગ ઇતિહાસ. અલગ અલગ ભૂગોળ. આ બધાં ભેગાં કરીશું તો ગુજરાત ભેગું થશે. એટલે ગુજરાતનું તો સર્જન કરવાનું છે અને સતત રોજ રોજ થતું રહ્યું છે. કોક વાર લાગે કે ગુજરાતનો જન્મ થઈ રહ્યો છે. કોક વાર લાગે છે કે ના, એનું મૃત્યુ થઈ રહ્યું છે. આ બધા ભાગોને ભેગા કરવા, અને એક સમગ્ર ગુજરાતની કલ્પના ઊભી કરવી, એ સાહિત્યકારનું કામ છે. અને એ આખા ગુજરાતની કલ્પના કરવી કેવી હોઈ શકે કે જેમાં ગુજરાતના એકએક ભાગને પોતાનું સ્થાન હોય. જો હું અહીં એક ‘ડિફરન્ટ અન્ડરસ્ટેિન્ડગ’ની વાત કરું છું કે ગુજરાતમાં એવું છે કે આપણે બધા શેર કરી શકીએ. પણ સાથે સુરતી કહે છે ‘ના, મારો ટોન જુદો છે’. અમદાવાદી કહેશે કે ‘ના, મારો ટોન જરા જુદો છે.’ એટલે ભાષા એક જ પણ અલગ અલગ ઉચ્ચારથી બોલાય. આપણે બધા જ ગુજરાતીઓ છીએ, પણ આપણી રીતે, એટલે ગુજરાત એ રીતે ઊભું કરવાનું છે કે અંદર એક (કોમન) સમાન આઇડેન્ટિટી રહે પણ છતાં ય આ જે ડિફરન્સીસ છે, તે રહે. એ જ રીતે ગુજરાતની અંદર હિન્દુઓ પણ હોવાના, મુસલમાનો પણ હોવાના, જૈન, ખાસ કરીને, મહાજન કલ્ચર, અને ખ્રિસ્તીઓ. તો ગુજરાતની કલ્પના એવી પણ હોવી જોઈએ કે જેમાં દરેકને પોતાનું સ્થાન હોય. દરેકને એમ લાગે કે આ મારું ગુજરાત છે. એનો અર્થ એમ થયો કે જેમ સુરતી ગુજરાતી ભાષા પોતાની મેળે બોલશે, તેમ ગુજરાતનો મુસલમાન. એમાં ય પાછી મોટી ચર્ચા છે. મુસ્લિમ ગુજરાતી કે ગુજરાતી મુસ્લિમ, જેમ ‘ઇન્ડિયન મુસ્લિમ’ કે ‘મુસ્લિમ ઇન્ડિયન’. ગુજરાતી મુસલમાન જે છે અથવા તો મુસલમાન ગુજરાતી, એ એમ કહે છે કે હું ય ગુજરાતી છું. પણ મારા ગુજરાતમાં ‘આ’ને વધારે મહત્ત્વ આપવામાં આવશે. આપણે એક જ લેવલ ઉપર છીએ. પણ સહેજ ભાર જુદો. એમ્ફસિસ જુદો. આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એનો અર્થ એમ થયો કે ગુજરાત જે છે એ કંઈ ઇતિહાસે આપણને આપેલું નથી. એ કંઈ ભૌગોલિક વસ્તુ નથી. એનું તો સર્જન આપણે કરવાનું છે. કેવી રીતે કરીશું એ આપણા પર આધાર રાખે છે. એમાં સાહિત્યકારનું મોટું યોગદાન છે.

અંગ્રેજીમાં કહું. વળી પાછું આખી જે નૅશનાલિઝમની થિયરી છે, તે એમ કહે છે કે ‘Every nation is lived in the imagination of the country.’ કેરળમાં એવા લાખો ભારતીય હશે, જેમને મેં જોયા નથી. પણ ઇમેજિનેશનથી હું માનું છું કે મારા જેવા જ હશે. એ મારા દેશબંધુઓ છે, કાશ્મીરમાં મેં કોઈ માણસો ન જોયા તો ય મારા છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં ૧.૩ અબજ ભારતીયો છે. એમાંથી એક ટકો પણ મેં જોયા નથી. છતાં ય એ બધાને હું મારા ગણું છું. કારણ કે મારી કલ્પના એટલી વિસ્તૃત છે કે એમાં એ લોકો આવી જાય છે. બીજા નથી આવતા. એવું જ ગુજરાતનું કે ગુજરાતની કલ્પના એ રીતે કરીએ કે બધાં ગુજરાતીઓ આવી જાય. અંદરના ભેદો છે એ મારી નજર બહાર ન જાય. હું એને સ્વીકારું, અભિવાદન કરું. પણ સાથેસાથે એક કોમન ફ્રેમવર્ક પણ હોય. આમાં એક વસ્તુ બહુ મહત્ત્વની છે અને તે એ કે આ જાતની આઇડેન્ટિટી જે છે તે એક સ્ટ્રેઇટજેકેટ થઈ જાય છે. તમે એક વ્યાખ્યા આપો જે તમારા હાથમાં એક એવું શસ્ત્ર થઈ જાય, જેને લઈને બીજા બધાને તમે તમારા માળખામાં મૂકવાનો પ્રયત્ન કરો.

માર્ગારેટ થેચર જ્યારે સત્તા ઉપર આવ્યાં ત્યારે એણે એમ કહ્યું કે આ એક નાનકડો દેશ છે, આપણે આખી દુનિયા પર રાજ કર્યું. તો આપણી એવી શું શક્તિ છે? કારણ એ કે આપણે તો entrepreneurial પ્રજા છીએ. એનો અર્થ એ થયો કે આપણામાંથી જેentrepreneurial નથી, એ સાચા અર્થમાં English નથી. એટલે આખા દેશનો જે વર્કિંગ કલાસ, ગરીબો જે છે એ બધા આપોઆપ નૅશનલ ડેફિનેશનની બહાર જાય છે. ગુજરાતમાં કહેવામાં આવે કે સાચો ગુજરાતી તો એ જ જે શુદ્ધ ગુજરાતી બોલે, ઉર્દૂ બોલે તો ગઝલમાં ભલે બોલે પણ વ્યવહારમાં નહીં, અથવા પ્રેક્ટિકલ અને સહિષ્ણુ હોય, જરા પણ અસહિષ્ણુ થયો કે કહે કે આ પ્રકૃતિજન્ય ગુજરાતી છે જ નહીં. આ ગુજરાતમાં એનું સ્થાન નથી. આઇડેન્ટિટી આ રીતે એક શસ્ત્ર બની જાય. અમર્ત્ય સેને ‘Identity and Violence’-માં સાચું કહ્યું છે કે દરેક આઇડેન્ટિટીની અંદર, જો કેરફુલ ન રહ્યાં તો, જબરદસ્ત હિંસાના મૂળ રહ્યાં છે. કારણ કે આઇડેન્ટિટીનો ઉપયોગ થશે આ બધાને આપણા માળખામાં લાવવા માટે અને સાહિત્યકારની ફરજ છે કે આઇડેન્ટિટી આપે પણ એવી ન આપે કે જેમાં હિંસાનું સ્થાન હોય.

ગુજરાતની અંદર એવું કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’, એ ખોટું છે! નહીં તો અમને ઇંગ્લૅન્ડમાંથી કાઢી મૂકવામાં આવશે!! એ અર્થમાં ગુજરાત, નાનાં-નાનાં ગુજરાત ઊભા થતાં રહે. એને સુધારવાની જરૂર છે. એટલું કહી શકાય કે ગુજરાતીઓ ગુજરાતની બહાર પણ છે. એનો અર્થ એ નહીં કે ત્યાં મેં ગુજરાત ઊભું કર્યું છે. એનો અર્થ એ કે ત્યાં રહીને પણ ગુજરાતની સંસ્કૃિતઓ અમુક અંશે જાળવી રાખી. અમુક અંશે બદલી. કેમ કે ન બદલે તો ત્યાં રહેવાય નહીં, ત્યાંના નાગરિક છીએ નહીં. પણ બહાર રહેતો જે ડાયસપોરા જે છે આખો, એ ડાયસપોરાએ ગુજરાતી સંસ્કૃિત કંઈક અંશે જાળવી રાખી છે. એનો ગુજરાત પ્રત્યેનો જે પ્રતિભાવ છે, એને ગુજરાતની અસ્મિતાની રચનામાં પૂરતો ધ્યાનમાં નથી લેવાતો. નાયપોલ ટ્રિનિડાડના ભારતીયોને જુએ, ગરીબ અને દયામણાં, ત્યારે એ પોતાને કહે છે કે આ લોકો જ્યાંથી આવે છે તે સંસ્કૃિત એટલી પાંગળી હશે કે આમને એક ઉપરછલ્લી ‘કલ્ચરલ કૅપિટલ’ પણ આપી ન શકી? એટલે ત્યાંની દૃષ્ટિએ, ત્યાંના અનુભવને ધ્યાનમાં લઈને એ ભારતને જુએ છે. અને એની જે વેદના છે. હું ક્યાંથી આવું છું અને એણે મને શું આપ્યું, આ સમાજે, અને લખે છે : ‘India, a Wounded Civilization.’

અને એ જ રીતે ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ જ્યારે ગુજરાત પર નજર નાખે છે, ત્યારે કહે છે કે આ ગુજરાત કયું, અમને શું આપીનેે મોકલ્યા, એ અહીંયાં કામમાં આવ્યું કે ન આવ્યું ? આવ્યું હોય તો એ ગુજરાતનું ગૌરવ છે, અનેે ન આવ્યું તો ગુજરાતની મર્યાદા છે. આપણે જેને ડિસમિસિવલી ‘NRG’ કહીએ છીએ, એમને માટે વપરાતો ‘નોન રેસિડેન્ટ ગુજરાતી’, એ શબ્દ જરા વિચિત્ર છે.

ટૂંકમાં સમાવી લઈએ તો, આનો અર્થ એમ થયો કે સાહિત્યકારની જવાબદારી મારી નજરે ચાર ગણાય : એક તો, આજના અર્વાચીન ગુજરાતમાં જે પ્લુરલ આઇડેન્ટિટી છે, જે વિવિધતા છે, એને જાળવી રાખવાની. બીજી જવાબદારી તે ગુજરાતમાં જે અલગ અલગ ગ્રુપો છે, એ એકબીજાને સમજી શકે એ જાતનો એક સંવાદ છે, કોન્વર્સેશન, ઊભો કરવો. એ રીતે જે ફેમિલિયર છે તેને અનફેમિલિયર બનાવવું અને જે અનફેમિલિયર છે, તેને ફેમિલિયર બનાવવું. પણ આ એવું સિમ્પલ નથી. How do you render the familiar unfamiliar ? એટલે તમારા મગજમાં એક સભાનતા જાગે કે આવું માનતો હતો પણ આ તો એટલું સિમ્પલ નથી. હિન્દુ હોવું એટલે આ, હિન્દુઓને બધા ધર્મો પ્રત્યે સમભાવ છે. પણ ગુજરાતનો ઇતિહાસ જોતાં, ૧૯૬૯ જોતાં કે પછી જોતાં કંઈ બેસતું નથી. એટલે ફેમિલિયરને અનફેમિલિયર કરવું અને ડાઉટ ઊભો કરવો, અને જે અનફેમિલિયર છે એને પાસ લાવવું, એ સાહિત્યકારનું કામ છે. ત્રીજું કે જે મહત્ત્વની ‘વેલ્યુ’ છે, મૂલ્યો જે છે જેના વિના સાહિત્ય આગળ ચાલી જ ન શકે. ગાંધીજીએ પ્રજાપ્રેમ કહ્યું. સત્યપ્રેમ પણ એટલો જ મહત્ત્વનો છે. જ્યાં એને જૂઠાણું, હમ્બગ દેખાતાં હોય ત્યાં એમને એક્સપોઝ કરવાં અને આ બધું કરતી વખતે. ચોથી વસ્તુ : વાચકોની કલ્પનાને ખુલ્લી રાખવી. કલ્પનાનાં બારણાં જ્યારે બંધ થઈ જશે ત્યારે નવા વિચારો આવતા, નવી પ્રજા નીપજતી બંધ થઈ જશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 03-09

Loading

...102030...3,4923,4933,4943,495...3,5003,5103,520...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved