Opinion Magazine
Number of visits: 9952352
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—293

દીપક મહેતા|Opinion - Opinion|14 June 2025

તુકોજીરાવનો જીવનમંત્ર : ‘તૂ નહિ, ઔર સહી.’       

આજથી દાયકાઓ પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી : ‘તૂ નહિ, ઔર સહી.’ એ જ શબ્દોથી શરૂ થતું ટાઈટલ સોંગ લખેલું મજરૂહ સુલતાનપુરીએ. સંગીતકાર રવિએ બાંધેલી તરજમાં ગાયું હતું મુકેશ ચંદ માથુર ઉર્ફે મુકેશે. આ ફિલ્મ તો આવેલી ૧૯૬૦માં. અને ઇન્દોર રાજવી તુકોજી મહારાજે ગાદીત્યાગ કર્યો તે ૧૯૨૬માં. એટલે તેમણે તો આ ગીત ક્યાંથી સાંભળ્યું હોય? હા, કદાચ તેમના જીવન પરથી મજરૂહ સુલતાનપુરીને પ્રેરણા મળી હોય!

રાજકાજ ગયા પછી કરવું શું? દીકરો યશવંતરાવ ગાદીએ તો બેઠો પણ હજી સગીર વયનો હતો એટલે રાજ્યનો કારભાર પોલિટિકલ એજન્ટ અને તેમણે નીમેલી સમિતિના હાથમાં હતો. એટલે તુકોજીરાવને તુક્કો આવ્યો : ચાલો જઈએ, પરદેશની મુસાફરીએ. 

સ્વિત્ઝરલેન્ડમાં તુકોજીરાવનો પોતાનો બંગલો હતો. એટલે નાની રાણીને લઈને ઊપડ્યા સ્વિત્ઝરલેન્ડ. પણ છ એક મહિના થયા ત્યાં નાની રાણી તો કંટાળી ગયાં. કહે ચાલો, પાછાં ઘરે જઈએ! ‘તમારે જવું હોય તો જાવ, ઇન્દોર. મને તો અહી ગોઠી ગયું છે.’ નાની રાણી ઇન્દોર ગયાં પછી તુકોજીરાવ મનમાં ને મનમાં ગણગણ્યા હશે: ‘આજ મૈં આઝાદ હું દુનિયા કે ગગન મેં.’ અને તૈયાર થઈ ગયા નવી ગિલ્લી નવો દાવ, માટે. 

અમેરિકન પત્ની નેન્સી સાથે તુકોજીરાવ

અને થયું કાગનું બેસવું, અને તાડનું પડવું જેવું. અમેરિકાના સીએટલ, વોશિંગ્ટનમાં ૧૯૦૭ના સપ્ટેમ્બરની નવમીએ જન્મેલી નેન્સી મિલર. બાપ અલાસ્કાની ઘણી સોનાની ખાણોનો માલિક. તો મા હતી કોન્સર્ટ પીઆનિસ્ટ. નેન્સીએ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘ઓરિએન્ટલ સિવિલીઝેશન’ કહેતાં પૂર્વની સંસ્કૃતિનો અભ્યાસ કરેલો. બાપ પાસે ચિક્કાર પૈસો, એટલે કમાવાની ચિંતા તો નેન્સીને હતી જ નહિ. અવારનવાર ફરવા નીકળી પડે, ઘણી વાર મા-બાપ પણ સાથે હોય. જે વખતે તુકોજીરાવ સ્વિત્ઝરલેન્ડમાં, એ જ વખતે નેન્સી પણ ત્યાં. તુકોજીરાવ અવારનવાર લુસેનના કેસિનોમાં જાય. લાખ્ખો કમાય કે ગુમાવે. નેન્સી પણ એ કેસીનોમાં જાય. અને એક વાર બંનેની નજર મળી, મન હળ્યાં. મૈત્રી થઈ. તુકોજીરાવ કરતાં નેન્સી સત્તર વરસ નાની. પણ તુકોજીરાવના સંગનો રંગ લાગ્યો. એ પેરિસ ગઈ, તો તુકોજીરાવ પણ પેરિસ. એ દાદી પાસે અમેરિકા ગઈ તો તુકોજીરાવ પણ અમેરિકા. ત્યાં જઈ નેન્સીનાં દાદીને મળ્યા. કહે : ‘હું નેન્સી સાથે લગન કરવા માગું છું.’ દાદીએ નેન્સી સામે જોયું. નેન્સી કહે : ‘હા, હું પણ તેમના પ્રેમમાં પડી છું.’ મિયાં-બીબી રાજી, તો ક્યા કરે દાદીજી! દીકરી અને દાદી એસ.એસ. જિનોઆ નામની સ્ટીમરમાં બેઠાં અને ૧૯૨૭ના ડિસેમ્બરની ૨૬મી તારીખે આવી પહોચ્યાં મુંબઈ. 

મુંબઈના એક છાપામાં લગ્નની તૈયારીઓ વિશેનો અહેવાલ

તુકોજીએ હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો ત્યારથી બ્રિટિશ સરકારના ખબરીઓ તેમની નાની-મોટી વાતોની ખબર લંડન પહોચાડતા હતા. એટલે તુકોજીરાવ અને નેન્સીના પ્રેમપ્રકરણની વાત વાયા લંડન મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ સરકારે અમેરિકન એલચીને ચેતવ્યા. એસ.એસ. જિનોઆ મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરી ત્યારે નેન્સીને મળવા અમેરિકન એલચી હાજરાહજૂર હતા. તેમણે તુકોજીરાવ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી. પછી આડકતરી ધમકી. કશું બોલ્યા વગર નેન્સીએ પોતાનો પાસપોર્ટ તેમના હાથમાં મૂક્યો અને બોલી : ‘વાંચો મારી જન્મ તારીખ.’ એલચીએ વાંચી: ‘સપ્ટેમ્બર ૯, ૧૯૦૭.’ નેન્સી : ‘હવે હું સગીર વયની નથી, પુખ્ત વયની છું. એટલે આપ મને રોકી શકો નહિ.’ અને અમેરિકન એલચીએ ચાલતી પકડી. 

એ અરસામાં ગ્રેટ બ્રિટન અને અમેરિકાના સંબંધો બહુ એખલાસભર્યા નહોતા. એટલે એક તો બ્રિટિશ સરકારને વહેમ હતો કે આ નેન્સી હિન્દુસ્તાનમાં રહીને જાસૂસી તો નહિ કરે ને? નેન્સીના બાપની સંપત્તિ અને લાગવગ અંગે બ્રિટિશ સરકાર જાણતી હતી. એટલે એવો પણ વહેમ હતો કે અમેરિકન સરકારને ઉશ્કેરીને તુકોજીરાવના ગાદીત્યાગ અંગે હોબાળો તો ઊભો નહિ કરાવે ને? અમેરિકન એલચીના હાથ હેઠા પડ્યા એટલે બ્રિટિશ સરકારે તુકોજીરાવ સામે હથિયાર ઉગામ્યું : ‘તમને દર વરસે ૫૦ હજાર પાઉન્ડનું પેન્શન આપીએ છીએ તે સાવ ઘટાડી નાખશું.’ તુકોજીરાવ કહે : ‘ગાદીત્યાગ અંગેના કરારમાં આવી કોઈ કલમ નથી. છતાં તમે આમ કરશો તો હું પ્રીવી કાઉન્સિલમાં ધા નાખીશ.’

તો બીજી બાજુ ઈન્દોરની રૈયતે આ લગ્નનો વિરોધ કર્યો. કારણ નેન્સી પરધર્મી હતી. તેમાં ય તુકોજીરાવની ધનગર જ્ઞાતિનો વિરોધ તો ઘણો ઉગ્ર હતો. મોટી અને નાની રાણીઓએ પણ વિરોધ કર્યો : ‘ન કરે નારાયણ, ને કાલ સવારે તમારાં સંતાનો રાજગાદી પર હક્ક કરતાં આવે તો? અને નાની રાણીએ તો તરત ઉપવાસ શરૂ કરી દીધા. પણ આ વખતે તુકોજીરાવે મનમાં ગાંઠ વાળી લીધી હતી : ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’ બે રાણીઓનો વિરોધ છે? નેન્સી અને તુકોજીરાવે લેખિત બાંહેધરી આપી કે ભવિષ્યમાં અમારું કોઈ સંતાન રાજગાદી પર હક્ક નહિ કરે. બિન-હિંદુ સ્ત્રી સાથેનાં લગનનો ધનગર જ્ઞાતિ વિરોધ કરે છે? ૧૩મી માર્ચે નાશિક જઈને નેન્સીએ પોતાનો ધર્મ ત્યજી હિંદુ ધર્મ અંગીકાર કર્યો અને નામ બદલીને નેન્સીમાંથી શર્મિષ્ઠા દેવી બની. 

નવવધૂ નેન્સી લગ્ન પહેલાં ભેટ–સોગાદો સ્વીકારતાં પાછળ ઇન્દોરનરેશ અને ઓરમાન દીકરા યશવંતરાવ હોલકરનું તૈલચિત્ર

૧૭ માર્ચ ૧૯૨૮. ઇન્દોરથી લગભગ ૩૭ માઈલ દૂર આવેલ બડવાહ ગામ વહેલી સવારથી ધમધમતું હતું. દરિયા મહાલ પેલેસને શણગારવામાં આવ્યો હતો. ગામમાં ઠેર ઠેર તોરણો બંધાયાં હતાં અને ચોરે-ચૌટે શરણાઈઓ ગુંજતી હતી. પેલેસની બહારના મેદાનમાં પચીસ હજાર મહેમાનોને સમાવી શકે એવો વિશાળકાય તંબુ બાંધ્યો હતો. વરઘોડા માટે ઇન્દોર રાજ્યના હાથી-ઘોડા, પાયદળના સૈનિકો, બેન્ડ વગેરે વાપરવાની તુકોજીરાવની માગણી અંગ્રેજ સરકારે સ્વીકારી હતી. પણ પોલિટિકલ એજન્ટે તમામ અંગ્રેજ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે લગ્ન સમારંભ વખતે હાજર ન જ રહેવું. પણ કેટલાક બિન-સરકારી અંગ્રેજો અને પારસી અમલદારો હાજર રહ્યા હતા. કેટલાંક દેશી રાજ્યોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. 

તુકોજીરાવ ત્રીજાનાં ત્રીજાં લગ્નનાં બેન્ડ, બાજા, બારાત

… લગ્ન પછી તુકોજીરાવ અને નેન્સી ઉર્ફે શર્મિષ્ઠા દેવી પરદેશ આવજા કરતાં, પણ મુખ્યત્ત્વે ઇન્દોરમાં જ રહ્યાં. નેન્સીએ ચાર દીકરીને જન્મ આપ્યો. અને બધીને મરાઠા કુટુંબોમાં પરણાવી. ૧૯૭૮ના મે મહિનાની ૨૭મી તારીખે તુકોજીરાવાનું અવસાન થયું. તે પછી નેન્સી મોટો મહેલ છોડી સુખ નિવાસ પેલેસ નામના નાના મહેલમાં રહેવા ગઈ. એક અહેવાલ પ્રમાણે નેન્સીના મૃત્યુ પછી તેની ચાર દીકરીઓ – શારદા રાજે, સીતા રાજે, સુમિત્રા રાજે, અને સુશીલા રાજે – પોતાની માની સંપત્તિ અંગે ઝગડી હતી અને ઝગડો અદાલત સુધી ગયો હતો. 

યશવંતરાવ હોલકર (બીજા) ઉંમર લાયક થતાં ૧૯૩૦ના મે મહિનાની ૯મી તારીખે પોલિટિકલ એજન્ટે તેમને રાજસત્તા સોંપી હતી.  તેમણે ઇન્દોર રાજ્યમાં પહેલી વાર વિધાન સભાની સ્થાપના કરી અને વડા પ્રધાન અને ત્રણ પ્રધાનોનું મંત્રીમંડળ નીમીને તેમને કારભાર સોંપ્યો. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૧મી તારીખે ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર તેમણે સહીસિક્કા કર્યા અને ૧૯૪૮ના મે મહિનાની ૨૮મી તારીખે ઇન્દોરનું રાજ્ય ‘મધ્ય ભારત’ (આજનું મધ્ય પ્રદેશ) રાજયમાં ભળી ગયું. મુંબઈની એક હોસ્પિટલમાં ૧૯૬૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે યશવંતરાવનું અવસાન થયું.

પણ પછી મુમતાઝનું શું થયું? ૧૯૨૫ના જુલાઈની ૧૯મી તારીખે તેણે બાવલાથી થયેલી દીકરીને મુંબઈમાં જનમ આપ્યો, અને તેનું નામ પાડ્યું સદ્દાત બેગમ. પણ પછી ૧૯૨૬ના માર્ચમા તેણે ૨૮ વરસના અબ્દુલ રહેમાન સાથે નિકાહ પઢી લીધા. તે ચામડાનો મોટો વેપારી હતો. આ તેની ત્રીજી શાદી હતી. કૌટુંબિક ઝગડાને કારણે મુમતાઝે પોતાની અમ્મીજાન પર કેસ માંડ્યો તો અમ્મીજાને સામો તેના પર કેસ ઠોકી દીધો. અબ્દુલ રહેમાન અને મુમતાઝ મુંબઈ છોડી કરાચી રહેવા ગયાં. ત્યાં ગયા પછી એ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. અને બંનેએ કાયદેસર છૂટાછેડા લીધા. ૧૯૨૯માં મુમતાઝ ફરી મુંબઈ આવી અને ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. ઉર્દૂ, ફારસી, અને મરાઠી ગીતોના તેના કાર્યક્રમ રોયલ ઓપેરા હાઉસ અને એડવર્ડ થિયેટરમાં યોજાતા. થોડા વખત પછી તેને હોલીવૂડની પાંચ લાખ રૂપિયાની ઓફર મળી અને તે અમેરિકા ગઈ. તે પછીની તેને અંગેની કોઈ વિગત જાણવા મળતી નથી. હોલીવૂડની કોઈ ફિલ્મમાં તે જોવા મળી નહિ. 

પણ હા, બાવલા મર્ડર કેસ પરથી મુંબઈમાં ‘કુલીન કાન્તા’ નામની મૂંગી ફિલમ બનેલી. ૧૯૨૫માં રિલીઝ થયેલી અ ફિલ્મનું દિગ્દર્શન હોમી માસ્તરે કર્યું હતું અને ઇન્દોરનરેશનું પાત્ર ભજવ્યું હતું જેને હિન્દી સિનેમાના પહેલવહેલા સ્ટાર તરીકે ઓળખાવવામાં આવે છે તે ખલીલ નામના એક્ટરે. મુમતાઝનો રોલ મિસ મોતીએ ભજવ્યો હતો. પટકથા લેખક હતા મોહનલાલ જ. દવે અને સિનેમેટોગ્રાફી હતી જી. કે. ગોખલેની. 

આજે આપણા દેશનાં વહીવટી તંત્રમાં, ન્યાય પદ્ધતિમાં, પોલીસ ખાતામાં, જે કાંઈ મર્યાદા કે ઊણપ દેખાય તેને માટે અંગ્રેજ રાજને ભાંડવાની આપણને ટેવ પડી ગઈ છે. પણ જરા વિચાર કરો : જ્યારે આજના જેવાં સાધન-સગવડ મુદ્દલ નહોતાં ત્યારે બાવલા ખૂન કેસનો નિવેડો કેટલો ઝડપથી આવી ગયેલો!

મિસ્ટર બાવલાનું ખૂન થયું ૧૯૨૫ના જાન્યુઆરીની બારમી તારીખે સાંજના સાડા સાત વાગ્યે. વાઈસરોયની મંજૂરી મેળવ્યા પછી ૧૯મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસની ટીમ ઇન્દોર પહોંચી અને આરોપીઓને ‘વધુ પૂછપરછ માટે’ મુંબઈ લઈ આવી. ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકરની કોર્ટમાં ૨૬મી માર્ચે કેસ દાખલ થયો અને એ જ દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં ટ્રાન્સફર થયો. ૨૭મી એપ્રિલથી ત્યાં સુનાવણી શરૂ થઈ. ૨૩મી મે,૧૯૨૫ના દિવસે બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. ગવર્નર, વાઈસરોય, લંડનની પ્રીવી કાઉન્સિલ સુધી અપીલ થઈ. તેમના જવાબો આવી ગયા. અને ૧૯મી નવેંબરની સવારે તો બે ગુનેગારોને ફાંસી પણ અપાઈ ગઈ.  

પહેલા ખૂન કેસ સાથે રાજાબાઈ ટાવર જોડાયેલો હતો. આ બીજા ખૂન કેસ સાથે મલબાર હિલનો સંબંધ. હવે ત્રીજા ખૂન સાથે મુંબઈનું કયું સ્થળ જોડાયેલું હશે? રાહ જુઓ, આવતા શનિવાર સુધી.

e.mail : deepakbmehta@gmail.com

XXXXXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 જૂન 2025

Loading

મારી અહિંસા-યાત્રા

માર્ટિન લ્યૂથર કિંગ (અનુવાદ : પ્રકાશ ન. શાહ)|Gandhiana|14 June 2025

રોશેનબુશને વાંચ્યા પછી બીજા મહાન ફિલસૂફોના સામાજિક ને નૈતિક સિદ્ધાંતોના ગહન અભ્યાસ તરફ હું વળ્યો. સામાજિક સમસ્યાઓને હલ કરવાના પ્રેમના સામર્થ્ય અંગે, આ ગાળા દરમ્યાન મેં હાથ હેઠા મૂકી દીધા હતા. મને લાગતું કે, બીજો ગાલ ધરવાની ને શત્રુને ય ચાહવાની ફિલસૂફી વ્યક્તિ-વ્યક્તિના સંઘર્ષમાં જ ચાલી શકે; જાતિ કે રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષમાં વધુ વહેવારુ તરીકો જરૂરી બને છે.

પછી મારો પરિચય મહાત્મા ગાંધીના જીવન અને બોધ સાથે થયો. એમનાં પુસ્તકો વાંચતાં અહિંસક પ્રતિકારનાં આંદોલનોએ મને મુગ્ધ કર્યો. સત્યાગ્રહની ગાંધી વિભાવના મારે મન ગજબની અર્થપૂર્ણ હતી. ગાંધીની ફિલસૂફીમાં હું ઊંડો ઊતરતો ગયો અને ક્રમે ક્રમે પ્રેમના સામર્થ્ય અંગેની મારી સાશંકતા ઓસરતી ચાલી અને મને પહેલી જ વાર સમજાયું કે, ગાંધી-પ્રયોજી પદ્ધતિ દ્વારા અમલી બનતો પ્રેમનો ખ્રિસ્તી સિદ્ધાંત, શોષિત પ્રજાને પોતાની મુક્તિ માટેની હલચલમાં ખપ આવી શકે એવું અમોઘાસ્ત્ર છે. જો કે તે દિવસોમાં મારી આ સમજ અને કદર નકરી બૌદ્ધિક ભૂમિકાએ જ હતી. એને સામાજિક સ્તર પર કારગત સંગઠિત રૂપ આપતો દૃઢ સંકલ્પ ત્યારે ન હતો.

અલાબામામાં મોન્ટગમેરી ખાતે 1954માં હું પાદરીની હેસિયતથી ગયો ત્યારે મને લગીરે અણસાર નહોતો કે અહિંસક પ્રતિકાર પ્રયોજી શકાય એવી કોઈ કટોકટી સાથે મારે સંકળાવાનું આવશે. વરસેક ત્યાં રહ્યો હોઈશ, એવામાં બસ-બહિષ્કાર આરંભાયો. મોન્ટગમેરીના વતનીઓએ, બસોમાં અપમાનભર્યા અનુભવોને અને ધીરજ ખૂટી જતાં વ્યાપક અસહકારનો તરીકો અજમાવીને સાચા અર્થમાં મુક્ત થવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો. એને સમજાઈ ચૂકયું હતું કે તિરસ્કૃત અવસ્થામાં બસમાં બેસવા કરતાં શેરીમાં ઉન્નત શિરે ચાલવું વધુ સંમાનપૂર્ણ છે. પ્રતિકારના પ્રારંભિક તબક્કામાં એમના મોવડી તરીકે ફરજ બજાવવાનો એ લોકોએ મને અનુરોધ કર્યો. આ જવાબદારી સ્વીકારતાં, સભાનપણે કે અભાનપણે મારા મનમાં ઈસુનું ગિરિપ્રવચન અને અહિંસક પ્રકારની ગાંધી-પદ્ધતિ રમી રહ્યાં. અમારી ચળવળમાં આ સિદ્ધાંત દીવાદાંડી સમો બની રહ્યો. ઈસુએ પ્રેરણા ને ભાવના પૂરી પાડી, ગાંધીએ ૫દ્ધતિ.

અહિંસાના પ્રશ્નમાં મોન્ટગમેરીના આ અનુભવે, મેં વાંચેલાં બધાંયે પુસ્તકો કરતાં વિશેષ સ્પષ્ટતા આપી, કાળના વહેવા સાથે અહિંસાના સામર્થ્યમાંની મારી શ્રદ્ધા દઢાતી ગઈ. અહિંસા મારે મન એક બુદ્ધિસંમત તરીકા કરતાં કંઈક વિશેષ બની ગઈ – વિશિષ્ટ જીવનરીતિ પરત્વેની  સમર્પિતતા જાણે. અહિંસાને લગતી જે કેટલીયે બાબતો બૌદ્ધિક રીતે હું સુલઝાવી શક્યો નહોતો તે હવે પ્રત્યક્ષ વ્યવહાર દ્વારા ઊકલતી ચાલી.

ભારતયાત્રાના સુયોગે મારા પર અંગત રીતે ઘેરી છાપ પાડી. આઝાદી માટેના અહિંસક સંગ્રામનાં આશ્ચર્યભર્યાં પરિણામોને નજરોનજર નિહાળ્યાથી મેં નવ-પ્રાણનો સંચાર અનુભવ્યો. હિંસક આંદોલન પછી દેખા દેતી ઘૃણા ને કટુતા ભારતમાં ક્યાંયે ન જણાઈ, જોવા મળ્યું તે તો રાષ્ટ્રકુટુંબની અંદર સંપૂર્ણ સમાનતાની ભૂમિકાએ ભારત અને બ્રિટનની મૈત્રીનું વિરલ દૃશ્ય.

અહિંસા રાતોરાત ચમત્કાર કરી નાખશે તેવી કોઈ છાપ ઉપસાવવાની મને મુદ્દલ ઇચ્છા નથી. માણસને એના બંધાઈ ચૂકેલા માનસિક ઢાંચાની બહાર સહેલાઈથી આણી શકાતો નથી; એના પૂર્વગ્રહો કે અબૌદ્ધિક લાગણીઓ પણ ક્ષણવારમાં દૂર કરી શકાતી નથી. ‘રહિતો’ સ્વાધીનતા માગે છે, ત્યારે ‘સહિતો’નો પ્રથમ પ્રતિભાવ કટુતા અને ધરાર પ્રતિકારનો હોય છે. અહિંસક ઢબે આ માગ રજૂ થઈ હોય તો પણ સામેથી શરૂશરૂમાં તો આવો જ ઉત્તર મળવાનો. છતાં પણ અહિંસક અભિગમ એને અંગિકૃત કરનારના હૃદય અને આત્મા પર જરૂર અસર નિપજાવે છે. એ એમને એક નવું જ આત્મગૌરવ આપે છે. તેઓ પોતે ય જેનાથી આજ દિન તક અજાણ્યા હતા એવા અભય સામર્થ્યના સ્રોતને તે એકાએક પ્રવહમાન કરી મૂકે છે. અને અંતે, પ્રતિપક્ષીના આત્માને તે એવી રીતે આંદોલિત કરે છે કે સમાધાન વાસ્તવિકતા બની રહે.

14 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343

Loading

માટીનું કોડિયું ત્યાં બોલે ‘મારા ઈશ, બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|14 June 2025

આપણી આ 47મી સામાન્ય સભામાં તમારું દરેકનું સ્વાગત છે.  … 

વારુ, કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1977ના દિવસે તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.

જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.

આ પરંપરામાં, ગત આખું વરસ પસાર થયું. અને હવે અધૂરાં પૂરાં કરવાના ઓરતા સાથે નવા વરસમાં પગરણ માંડીએ છીએ. 

ગઈ સાલે આપણે કેટલુંક મેળવ્યું − અને મહદ્દ અંશે એ નક્કર. દર મહિને થતા અવસરો, જેવા કે, ‘ઓટલો’; ‘વાર્તા વર્તૃળ’, ‘કાવ્યચર્યા’ તેમ જ ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ના નેજા હેઠળની બેઠકો. તેને સારુ, આપણે ભદ્રાબહેન વડગામા, ધવલભાઈ સુધન્વા વ્યાસ, અનિલભાઈ વ્યાસ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ, અશોકભાઈ કરણિયા, કેતનભાઈ રુપેરા તેમ જ રૂપાલીબહેન બર્કના ઊંડા આભારી છીએ. એ દરેકના સાથે, હૂંફે, અકાદમીનાં કામો સુપેરે પાર પડ્યાં છે. 

પ્રકાશન ક્ષેત્રે ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાપીઠ’ના નેજા હેઠળ આપણી પોઠ સ્વમાનભેર આગળ ધપતી રહી છે. એમાં ય ખાસ કરીને, કેતનભાઈનું કામ રણકે છે.

અકાદમીના પૂર્વ પ્રમુખ બળવંત નાયકના અપ્રકાશિત લેખોનું સંપાદન વલ્લભભાઈ નાંઢાએ કરેલું તે પુસ્તક પ્રકાશિત થયા બાદ, દીપક બારડોલીકરની શતાબ્દી ટાંકણે એમનાં પાંચ પુસ્તકો ય પ્રકાશિત થયાં. તેના લોકાર્પણનો અવસર અમદાવાદમાં ગત સાલ વેળા સમ્પન્ન થયો. સ્વાધ્યાયપીઠનાં માનદ્દ નિયામક રૂપાલીબહેન બર્કે અવસરનું સંચાલન કરેલું. લોકાર્પણ અદમ ટંકારવીએ કર્યું જ્યારે અતિથિ વિશેષ પદે પ્રકાશભાઈ ન. શાહ હતા.

સ્વાધ્યાપીઠના પાયાગત દસ્તાવેજ અનુસાર હવે અતુલ સવાણીની જન્મ શતાબ્દી અવસરે પાંચ પુસ્તકો અને પ્રદ્યુમ્ન તન્નાની યાદમાં એક પુસ્તક પ્રકાશિત કરવા તરફ અકાદમી આગળ ધપી રહી છે. તે પછી, અકાદમીના ભાષાશિક્ષણ પ્રકલ્પ બાબતનું પુસ્તક તેમ જ અકાદમીના હેવાલો, ભાષા-સાહિત્ય પરિષદોના વ્યક્તવ્યોને ગ્રંથસ્થ કરવાનું કામ હાથ લેવાશે.

આ સાલથી અકાદમીએ, વળી, નવું પ્રસ્થાન કર્યું છે. અકાદમીની રચના વારતારીખ ચોપાસ ચોપાસ વાર્ષિક વ્યાખ્યાનમાળા યોજવાનું નક્કી કરાયું છે. પહેલું વ્યાખ્યાન 15 ફેબ્રુઆરી 2025ના યોજાયું હતું અને વ્યાખ્યાતા હતા ડૉ. અદમ ટંકારવી. હવે પછીનું બીજું વ્યાખ્યાન આવતા ફેબ્રુઆરીમાં હશે.

આ અને અકાદમીના સઘળા અવસરો માટે કાર્યવાહકોનો સાથસહકાર રહ્યો છે. તેમના વગર આ બધું ગોઠવવું અઘરું થાય. એમ છતાં, ઓનલાઈન અવસરો ગોઠવવા સારુ નીરજભાઈ શાહ અને પંચમભાઈ શુક્લની પાયાગત જવાબદારીઓ રહી હોવાને કારણે ભારે સુગમતાએ કામ હીંડ્યાં કર્યું છે.

એકદા કાર્યવાહી સમિતિ પર સેવારત આપણા લેખક ઉપેન્દ્રભાઈ ગોર હતા. ગઈ સાલે એમનું અવસાન, થયું. એમની વિદાય ટાંકણે કેટકેટલાં સ્મરણો સાંભરી આવ્યાં. અકાદમીનાં અનેક વ્યવસ્થાનાં કામોમાં એમની સામેલગીરી રહેતી. એવું જ બીજું નામ તે ડૉ. રોહિત બારોટનું. લગભગ આરંભ કાળથી અકાદમીનાં અનેકવિધ અવસરોમાં સક્રિયપણે હાજર. આ વિદ્વાનના હેવાલોએ અકાદમીને પુષ્ટિ આપી છે. આ અને આવી બીજીત્રીજી વિદાયખોટ વસમી રહી છે. 

ખેર ! … ચાલો, જેની આપણે ખેવના રાખીએ છીએ અને સતત ખિદમત કરીએ કરીએ છીએ તે આપણી જબાન ગુજરાતીની વાત કરીએ : જાણું છું, બૃહદ્દ ગુજરાતે ગુજરાતી આપણી માતૃભાષા ન પણ હોય; બલકે વારસાની જ ભાષા હોય. અને તેથી જ, કદાચ, અદમ ટંકારવી શા વિદ્વાન કહે છે, તે સમજાય છે. અદમભાઈ લખે છે : ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.’

અદમસાહેબનું આ તારણ હચમચાવી જાય છે. છતાં, તેથીસ્તો, વાસ્તવિક્તાનો સ્વીકાર છે. તળ ગુજરાતમાં ય પાણી ડૂકી રહ્યાં હોય તેમ વર્તાય છે !

‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના પુસ્તક 90, અંક 1માં, ‘સંપાદકની કલમે’ નામે સ્થંભમાં, સિતાંશુ યશશ્ચંદ્રે ‘જે રણમાં દૃઢ રહે તે શૂર’ નામે વિષદ લખાણ આપ્યું છે. ‘સાહિત્ય, સમાજ અને સમૂહ-માધ્યમો વિશે’ના આ સંપાદકીયમાંથી આ અવતરણો ઉધાર લેવાની ચેષ્ટા કરું છું :

‘કાવ્યમ્‌ યશસે, અર્થકૃતે’ એ ભલે હોય, પણ એટલે જ અટકી પડવાનું ? આ એક સવાલ આજનો દરેક ગુજરાતી લેખક પોતાના એકાન્તમાં પોતાને પૂછે તો કેવું સારું ! કેમ કે વિવિધ શરણાગતિઓ પણ નશીલી હોય છે અને એ નશો ચડ્યે બોલવાચાલવાનાં ઠેકાણાં રહેતાં નથી. એ રીતે આજે બે ઘડી રાજાપાઠમાં આવી ગયેલા વ્યાંગ્યકારો થોડું એકાન્ત ગોતીને જાતને સવાલ પૂછી લે એ સહુના હિતમાં છે.

‘નહીં તો ક્યારેક ગુજરાતી ભાવક, જે હાલ એકંદરે રસપરક હાઇબરનેશનમાં, શૈત્યસુષુપ્તિમાં, ગયેલો જણાય છે, એ ક્યારેક તો જાગી જવાનો. એ જાગ્રત વાચક કેટલાક આકરા સવાલ આજના આપણા શરણશીલ અને સમૂહમાધ્યમિક (‘બાલદૃષ્ટા’?) સાહિત્યકારોને પૂછશે : “રાજ્ય કે સમાજના પૈસે યોજાતા તમારા મોંઘાદાટ સમારંભોમાં ચાલેલું તમારું આખું વાક્-ઉદ્યોગ-પર્વ માત્ર તમને નાણાં અને સન્માન મળે એ વાસ્તે જ હતું ?”

‘સેલ્ફ ઑડિટ સમયસર નહીં કરાય તો પબ્લિક ઑડિટ વહેલું-મોડું આવી તો પડવાનું જ છે.

‘ગળ્યું ખાવું ઘણાંને બહુ ગમે. એવા મધુપર્કો એમને પૂરા પાડનારી વિવિધ સત્તાઓ પણ હોય. પણ એવા મધુપર્કો આરોગવાની લત જો ગુજરાતી લેખકો અને વાચકને લાગી, તો બંનેની તબિયત બગડવાનું નક્કી સમજવું. એવાં મિષ્ટાનો મેળવવાની ટેવ પડી તો એ લેખોનું શું થાય ? ખવડાવનારાઓનાં આત્મશિસ્ત ધરાવતા લેખક મટીને કહ્યાગરા કલમબાજ થવારૂપી મધુમેહ રોગનો ભોગ બન્યા વિના એઓ ન રહે. એવા લેખકોની આંખોની રોશની અને યકૃતની શક્તિ કમ થતી જાય. અંતે ન જાતે જોઈ શકે, ન સમાજ-શરીરમાં રક્તસંચાર સ્વચ્છ રાખવા અંગે કશું કહી શકે, એ તે કેવો લેખક ? બાપડો.’ 

આ મારે મન એક દીવાદાંડી છે.  

અને આવું આવું છતાં, આપણાં સમૂળાં કામો હાથ ઘરતી વેળાએ ગુરદેવ રવિ ઠાકુર સતત સ્મરણમાં રાખ્યા છે. નારાયણભાઈ દેસાઈએ ‘રવિ છબિ’ પુસ્તક કર્યું છે, તે અનુસાર, ‘કર્તવ્યગ્રહણ’ કણિકામાં કવિ કહે છે :

‘કોણ લેશે મારું કામ’ સાંજે રવિ કહે

સુણી જગ મોઢું સીવી નિરુત્તર રહે.

માટીનું કોડિયું ત્યાં બોલે ‘મારા ઈશ,

બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’

તળ ગુજરાતના ભાષા-સાહિત્યના વિધવિધ પ્રવાહોને કોરાણે ઠેલીને, બસ, આપણે આ મુલકે, આ જ કહ્યું છે, આમ જ વર્ત્યું છે. − ‘મારા ઈશ, બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’ અને જોતજોતામાં, અકાદમીનાં આ વહેણને હવે સક્ષમ રૂપે પાંચ દાયકા થવાના !

આવો, ભેરુ, આપણે સૌ અકાદમીને સહિયારા પોંખીએ અને અવસરને જૂહારીએ.

31 મે 2025
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...329330331332...340350360...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved