Opinion Magazine
Number of visits: 9843420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સફારી’ મેગેઝીન – થોડીક પેટછૂટી અંગત નહીં પણ જાહેર વાતો

ભરત કુમાર|Opinion - Opinion|4 June 2025

ભરત કુમાર

જ્ઞાનવિજ્ઞાનના સામયિકની ઓળખ બની રહેલા ‘સફારી’એ એકમેવ અને અદ્વિતીય ઢબે ગુજરાતી ભાષામાં એક નવો ચીલો ચાતર્યો હતો. બુદ્ધિશાળી બાળકોનાં સામયિક તરીકેની શરૂઆત બાદ બુદ્ધિશાળી વાચકોનું સામયિક – સુધીની સફારીની સફર શાનદાર રહી. સફારીએ વિજ્ઞાનના લેખોને સહેલીસટ ભાષામાં કઈ રીતે સમજાવી શકાય તે ઉદાહરણ સહિત સમજાવ્યું. વિષય અઘરા કે કઠિન નથી હોતા, તે વિષયની રજૂઆત કરનાર પર નિર્ભર રહે છે, આ વાત ‘સફારી’ના વાચનથી સમજ્યો. વિજ્ઞાનના લેખો ઇતિહાસના અવનવા બનાવો, કનુ – મનુ અને ટીનુ ટેણીના જોક્સ, કોયડાઓ – બધુ સરસ પેકેજિંગમાં આપનાર ‘સફારી’ ગુજરાતના લાખો વાચકોનો પ્રેમ અને સ્વીકૃતિ મેળવવામાં જબ્બર સફળ થયું.

‘સફારી’ના શરૂઆતના અંક લેવામાં મેં મારી આખા મહિનાની પોકેટમની વાપરી કાઢેલી. કહું? તો પણ ‘સફારી’ની શરૂઆતની નજીવી કિંમત પણ મને પોષાતી નહીં, એટલે હું બે કે ત્રણ મહિના પછી થોડા ડિસ્કાઉન્ટ સાથે ‘સફારી’ના જૂના અંકો ખરીદતો અને વાંચતો. વિષયની રીતે ‘સફારી’ના અંક કદી વાસી ન લાગતાં. પ્રકાશિત થયાના બે કે ત્રણ મહિના પછી પણ ‘સફારી’ વંચાય છે એ મારે મન મોટી વાત હતી. તેની સાથે જિંદગી જિંદગી, શેરખાન, કપિના પરાક્રમો, હાથીના ટોળામાં અને વિશ્વયુદ્ધની સાહસ કથાઓ જેવા ‘સફારી’ પુસ્તકો પણ ઓછી કિંમતે ખરીદીને વસાવેલા. ‘સફારી’ની અંદર મને તેના નવીન વિષય તો ગમતા પણ સૌથી વધુ ગમતી તેની ભાષા. દિગંબર વ્યાસ, કેપ્ટન બી.એમ. પુરોહિત, બી.એમ. કૌશિક અને નગેન્દ્ર વિજય – આ બધા લેખકો મારા હીરો હતા. અલબત્ત, પછીથી ખબર પડી કે આ બધાને લેખકોમાં એક સામ્યતા એ હતી કે આ બધા નામો એ નગેન્દ્ર વિજયની અલગ અલગ ઓળખ હતી. નગેન્દ્ર વિજય વન મેન આર્મી બનીને ‘સફારી’ લખતા અને ચલાવતા હતા. અમારા મગજ વિકસિત થઈ રહ્યા હતા ત્યારે વિજ્ઞાનવિષયક સૂઝ અને ભાષાઘડતરમાં ‘સફારી’નો મોટો ફાળો હતો. તેના માટે આભાર નહીં પણ વંદન શબ્દ જ યોગ્ય લાગે. 

પણ …

પણ ‘સફારી’ના આ બહુ મોટા સાંસ્કૃતિક યોગદાનની સાથે જ ગુજરાતમાં નાનાનાના નિર્દોષ બાળકો અને બાળબુદ્ધિ વાચકોને જમણેરી વિચારધારામાં પલોટવાનું પાપ પણ ‘સફારી’ના ખાતે જ નોંધાયું. વિજ્ઞાનના રસાળ લેખોની આડમાં પોતાને બુદ્ધિશાળી માનતા હજારો લોકોને નેહરુ અને ગાંધી પરત્વે રીતસરનો અભાવ (ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ઘૃણા કે નફરત) જન્મે તેવી ભૂમિકા ‘સફારી’એ બખૂબી ભજવી. નહેરુ કે ગાંધીની ભૂમિકા ચકાસતા પહેલા તે સમયનો કાળખંડ, તે સમયના સંજોગો – આ બધાનું પોસ્ટમોર્ટમ એક કુશળ તબીબની જેમ ‘સફારી’એ કરવું જોઈતું હતું. પણ ‘સફારી’એ ઇચ્છિત ચશ્માં પહેરીને જોવું હતું તેટલું જ જોયું અને મળેલું અધૂરું કચાશ ભર્યું ચિત્ર બરાબરનું ઘૂંટીઘૂંટીને ઘેરી રંગપૂરણી સાથે ગુજરાતી વાચકો સામે મુક્યું. ઇતિહાસના વિશાળ ફલકમાંથી એકાદ ટુકડો ઉઠાવીને તેને જ સંપૂર્ણ ચિત્ર તરીકે રજૂ કરવાની બેઇમાની ‘સફારી’એ કરી. 

સફારી એ તેના લેખોમાં કાશ્મીર અને શેખ અબ્દુલ્લા વિશે જે સમજ આપી તેને હું યથાર્થ માનતો હતો પણ પછીથી અશોક કુમાર પાંડેયનાં કાશ્મીર વિષયક પુસ્તકો વાંચ્યા ત્યારે ખબર પડી કે ‘સફારી’એ મને એવો ભ્રમિત કરેલો. ‘સફારી’ના લલચામણા મોહક વર્તુળમાંથી બહાર નીકળીને નહેરુ અને ગાંધી વિશે પછી તો અનેક પુસ્તકો વાંચ્યાં ત્યારે મારી ઇતિહાસ વિષયકદૃષ્ટિ વ્યાપક બની. ‘સફારી’એ ઇતિહાસની જે ધૂળ મારા દિમાગમાં ભરી હતી તેને સાફ કરવામાં ઘણો સમય લાગ્યો. પણ છેવટે હું ‘સફારી’ની ભભકમાંથી મુક્ત થયો. પણ જે ‘સફારી’મય બની જવામાં જ સાર્થકતા અનુભવતા હોય, તેવા અસંખ્ય લોકોને ગુમરાહ કરવામાં ‘સફારી’ના ફાળાને કઈ રીતે નકારી શકાય? 

‘સફારી’ના અંક નંબર 369 સાથે તેના પ્રકાશન પર પરદો પાડવાની જાહેરાત નગેન્દ્ર વિજયે કરી, તેની સાથે જ આલાપ-વિલાપ-પ્રલાપ અને રુદન શરૂ થઈ ગયાં છે, ત્યારે થયું કે  ‘સફારી’ની આ તમસ બાજુ પર પણ કોઈકે પ્રકાશ ફેંકવો જોઈએે. ગણ્યાગાંઠ્યા મિત્રોએ ‘સફારી’ની અધૂરપ વિશે કહ્યું , તેમાં મેં વાંચેલી કૉમેન્ટમાં સૌથી યાદગાર અને કાયમી ધોરણે મનમાં  સંગ્રહવા કોમેન્ટ ચંદુભાઈ મહેરિયાની વાંચી. તેમણે લખ્યું કે – અવનવું વાંચવાની ટેવ છતાં ‘સફારી’ માટે કદી આકર્ષણ ન થયું, એટલું જ નહીં, તેના પ્રચંડ પ્રભાવથી અળગો રહ્યો – તેનું આશ્ચર્ય પણ નથી થતું. આ કોમેન્ટ ચંદુભાઈનું સ્તર બતાવે છે. ગુજરાતી લખતા બહુ ઓછા લોકોમાં આ હદની સ્પષ્ટતા જોવા મળે છે. બાકી તો મોટાભાગના લોકોએ મરણપોક મૂકી, અને બાકીનાઓ તેની ચેપી અસરમાં તણાયા. 

‘સફારી’એ લોકમાનસમાં વિજ્ઞાન માટેનો રસ ઊભો કર્યો, વિજ્ઞાન માટે રુચિ જન્માવી – તેના માટે બે હાથે સલામ કરીને ય કહેવું જોઈએ કે આ જ ‘સફારી’એ આપણા નાયકો પર ધૂળ ફેંકવાની, નાયકોને ખલનાયક અને ખલનાયકોને નાયક બનાવવાની કુચેષ્ટા પણ કરી જ છે. 

આદર કે અહોભાવનાં ચશ્માં પહેરીને ‘સફારી’માં ડૂબી જનારને કદાચ આ બધું નહીં પચે, પણ જમા અને ઉધાર – બેઉ પાસાં સાથે રાખીને જોઈએ તો જ ‘સફારી’નું ખરું અને વાસ્તવિક ચિત્ર મળે. 

‘સફારી’ની સફર પૂરી થયાની જાહેરાતે કશુંક ગમતું અટક્યાની લાગણી જન્માવી, તો સાથે જ જમણેરી વિચારધારાની વિષભરી ભૂરકી છંટકાવાનો ક્રમ અટક્યાની હાશ પણ અનુભવાઈ.

વિજ્ઞાન સામયિક ગણાતા ‘સફારી’ના ચગડોળમાંથી હું બહુ વહેલો જ ઉતરી ગયેલો. આ પુખ્તતા અને સમજ – મને બુદ્ધિશાળી વાચકના ટેગ કરતા વધુ મહત્ત્વની લાગી. 

‘સફારી’એ એક બોધપાઠ શીખવ્યો કે – અહોભાવના ચક્કરમાં આવીને કદી પણ કોઈની ય બાળાગોળીઓ નહીં ગળવાની. કોઈના ધિક્કારમય વિચારોની ખેતી માટે આપણું દિમાગ રેઢું મળી રહે, એટલા નિશ્ચિંત અને આળસુ કે બુદ્ધિશાળી નહીં બની જવાનું. 

બુદ્ધિશાળી હોવું સારી વાત છે, પણ એક પ્રેમાળ અને ધિક્કારરહિત માણસ બનવું વધુ જરૂરી છે. 

ખૂબ વાંચીએ, સમજીએ અને એવા મિત્રો બનાવીએ કે જે આપણને કોઈ પણ કુંડાળામાં કદી ફસાવા ન દે. 

વિદાય લઈ રહેલા ‘સફારી’ને તેના જ્ઞાનભર્યા પ્રદાન માટે સલામ અને નહીં શીખવવા જેવા પાઠો ઘૂંટતા રહેવાની દાનત પરત્વે તીવ્ર ખટકા છતાં માફ કરું છું. 

આપણા સૌ માટે ‘સફારી’ એક કેસ-સ્ટડી છે, જે શીખવે છે કે સમતોલ અને વ્યાપક દૃષ્ટિ સાબૂત રાખીને જ વાંચવું. વાંચતી વખતે સુસંગત ફિલ્ટર કાયમી ધોરણે વાપરવું. આપણું દિમાગ કદી કોઈને ત્યાં ગીરવે ન મૂકવું.

સૌજન્ય : ભરત કુમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિધિની વિચિત્રતા : કલાનું ઔચિત્ય

ડ્વાઈટ મેકડોનાલ્ડ|Gandhiana|4 June 2025

ડ્વાઈટ મેકડોનાલ્ડ

ગાંધીજી જેવી શાંતિ ચાહક વ્યક્તિનું મૃત્યુ એક રિવોલ્વર વાપરનારાને હાથે થાય એ ય વિધિની એક વિચિત્રતા જ છે … ના, કદાચ એની પાછળ પણ એક કલાત્મક ઔચિત્ય રહેલું છે.

ગાંધીજી આ જમાનાની કદાચ છેલ્લામાં છેલ્લી એવી ખ્યાતનામ વ્યક્તિ હતી, કે જેણે હંમેશાં લોકો સાથે સીધો સંપર્ક રાખવાનો આગ્રહ સેવ્યો હતો. મોઢા-મોઢા મેળાપ સાધી સીધો વ્યક્તિ સાથે સમજણનો તાર જોડવા મથનારા તેઓ હતા. જેમને માથે સાદા પોશાકવાળા જાસૂસોની ચોકી રહેતી હોય છે, ને જેઓ બંદૂકની ગોળી ન ભેદી શકે એવા કાચની દીવાલ ઓથે રહીને નાથી આણેલ ટોળાં સાથે જ વ્યવહાર બાંધવા ટેવાયેલા છે, એવા નેતાઓમાં તેઓ ન હતા. વ્યક્તિગત યા માનસિક રીતે પોતાની સાથે સંબંધમાં આવવા ઇચ્છતા ગમે તે માણસને પોતાથી અળગો રાખવો નહિ. એ એમનો સૈદ્ધાંતિક રાખવો નહિ, એ એમનો સિદ્ધાંતિક આગ્રહ હતો. ને આથી જ એમણે કોઈ પણ પ્રકારે પોલિસનું સંરક્ષણ સ્વીકારવાની સાફ ના પાડી દીધેલી.

મેં કેટલાક લોકોને આ બાબત એમ કહેતા પણ સાંભળ્યા છે કે, ‘ગાંધીએ પોલિસનું રક્ષણ ન સ્વીકાર્યું એ એની નરી મૂર્ખાઈ જ હતી. ને આખરે એનાં જ માઠાં ફળ એને ચાખવાં પડ્યાં !’ ખેર, એક રીતે જોતાં કદાચ તેઓ સાચા પણ હોઈ શકે. કારણ આપણી આ દુનિયા એવી રીતે ઘડાયેલી છે કે, ‘જાહેર વ્યક્તિ’ ‘ખાનગી વ્યક્તિ’ બનીને જ જીવી શકે એમ છે … ને આવી દુનિયામાં સૌથી મોટું જોખમ કશામાં હોય તો તે પોતાની જ કહેવાતી ‘જાહેર જનતા ’નો મોઢામોઢ સામનો કરવામાં રહેલું છે.

ગાંધી આ દુનિયાના છેલ્લામાં છેલ્લા રાજકીય નેતા હતા, જેને પોતાનું અનોખું વ્યક્તિત્વ હતું. તેઓ કોઈ બહુરૂપીનો ચહેરો નહોતા, અવારનવાર રેડિયો પર સંભળાતો અવાજ નહોતા કે નહોતા તેઓ કોઈ એક સંસ્થા યા તંત્ર. તેઓ માનવીય જીવ હતા ! 

એ એક એવા માણસ હતા, કે જેને માટે મને કદી ભય, તિરસ્કાર, ઉદાસીનતા યા ઉપેક્ષાની લાગણી થઈ નથી; એટલું જ નહીં, મેં હંમેશાં એમના પ્રત્યે ઉત્કંઠા ને પ્રેમની લાગણી જ અનુભવી છે. તેમના પરની મારી પ્રીતિ આજે એમના મૃત્યુ પછી જ કદાચ હું પહેલી વાર આટલી ઉત્કટતાથી અનુભવી રહ્યો છું. ને એનાં કારણો ય અનેક છે.

તેઓ પ્રેમપંથમાં માનનારા હતા. તેઓ મૃદુતા, સમજાવટ ને આચારની સરળતામાં શ્રદ્ધા ધરાવનારા હતા. ને હું જે બધા માણસોને જાણું છું, તેમાં પોતાના વિચારોને આચરણમાં ઉતારી બતાવવામાં સૌથી વધુ સફળ થયેલા તરીકે હું એમને જાણું છું. એનાથી ઊંધી જ વસ્તુઓની ખેંચમાં તણાનારા ‘મોટી તોપ’ જેવા ગણાતા માણસોનો તો અહીં સવાલ જ નથી … મને આશ્ચર્ય તો એ વાતનું છે કે, પોતે માન્યા તેમાંના આટલા બધા આદર્શોને એ જીવનમાં ઉતારી શી રીતે શક્યા ! આ હું મારા અંગત અનુભવના આધારે કહું છું.

તેઓ મને વ્હાલા હતા, કારણ રેલગાડી ને યંત્ર ઉદ્યોગોની (એસેમ્બ્લી બેલ્ટની) પેદાશ પ્રત્યે, ભૌતિક પ્રગતિને નામે જે રાચરચીલાંની આજે દુનિયામાં બોલબાલા છે, તેના પ્રત્યે તેમને બિલકુલ માન નહોતું. તેઓ તો એમાંની પ્રત્યેક વસ્તુને માનવીય મૂલ્યોના સામા ત્રાજવે મૂકીને તોળી જોનારા હતા.

તેઓ મને વ્હાલા છે, કારણ તેઓ કુશળ, મર્માળુ, જીવનના તાજગીથી ઉભરાતા ને આગ્રહી હતા, ને તેએાને ‘ફાસિઝમ’, ‘લોકશાહી’, ‘આમજનતા’, ને ‘વિશ્વસરકાર’ વિષે ભાષણો કરવાની ટેવ નહોતી. 

હું એમને ચાહતો થયો છું, કારણ જીવનની સામાન્ય લાગતી, ફાલતુ ગણાતી નાની નાની ઘરગથ્થુ વિગતોને પકડી શકે એવી તીવ્ર ઘ્રાણેન્દ્રિય શક્તિ એમની પાસે હતી – જે બધી વિગતો મોટે ભાગે કવિઓ સિવાયના તમામ લોકોને મન ઉપેક્ષાની વસ્તુ ગણાય છે! 

ને એમને ચાહવાનું મારું અંતિમ કારણ એ પણ છે કે, તેઓ એક ‘સારા માણસ’ હતા, અર્થાત્ તેઓ ‘સારા ’ હતા એટલું જ નહિ, પણ સાથે સાથે ‘માણસ’ પણ હતા.

[મેમ્વાર્સ ઓફ એ રિવોલ્યૂશનિસ્ટ]
04 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 333

Loading

ગુલઝાર – અ મેન ઑફ મેની સિઝન્સ 

સોનલ પરીખ|Opinion - Opinion|2 June 2025

પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી – આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે  

ગુલઝાર

દસેક વર્ષ પહેલાની વાત. ‘જય હો’ માટે ઑસ્કાર એનાયત થયો એ પછીની સવારે ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હતો. 16 મેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને હાથે ગુલઝારને અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ ઍવોર્ડ એનાયત થયો. ફરી ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હશે અને એમણે શાંતિથી, ફરીથી કોઈને એ જ કહ્યું હશે જે એ વખતે મિત્ર અરુણ શેવાટેને કહ્યું હતું, ‘પ્લાસ્ટિક હટા દેના ભાઈ, યે ફૂલ સાંસ નહીં લે સકેંગે …’ ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી રહેતી ઠંડી ભીનાશને સીલન કહે છે. 

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. સંવાદ, પટકથા, ગીતો કે દિગ્દર્શનના રૂપમાં તેમનામાં રહેલી સર્જકતાને ઓળખ મળી છે. ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી, છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ 

ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. એમની ‘મૌત તુ એક કવિતા હૈ’ રચના સાંભળીને કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જનારની સંખ્યા નાની નહીં હોય. ‘લખવામાં શું મળે?’ એ પિતાના યક્ષપ્રશ્નનો જવાબ આપી ન શકનાર સંપૂર્ણસિંહ કાલરા પ્રોગ્રેસીવ રાઇટર બનવાનાં છાનાં સપનાં જોતા ને ગુલઝાર બનતા પહેલા તેઓ આખેઆખા ટાગોર ગટગટાવી ગયા હતા. ‘ટાગોર’ કાવ્યમાં તેઓ લખે છે, ‘એક દેહાતી માથા પર ગોળનું ભીલું લઈને ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, ટપકે છે અને એ ચાટતો જાય છે. સુગંધથી ખેંચાઇ આવેલી એક છત્રી ભિનભિન કરતી સાથે ચાલે છે. છેલ્લી પંક્તિમાં ગુલઝાર સિક્સર મારે છે, ‘મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રખ દી?’ 

ખેતરમાં બનતા ગોળનો સુંદર સંદર્ભ આ કાવ્યમાં પણ છે, ‘સુબહ સુબહ એક ખ્વાબ કી દસ્તક પર દરવાજે ખોલેં. સરહદ કે ઉસ પાર સે કુછ લોગ આયે થે. આંખો કે માનુસ થે, ચહેરે સુને-સુનાયે થે. હમને તંદૂર પે મક્કી કે કુછ મોટે મોટે રોટ પકાયે, પોટલી મેં મહેમાન મેરે પિછલે સાલોં કા ગુડ લાયે થે ..’ મધુર ચિત્ર પછી વેદનાભર્યો વળાંક આવે છે, ‘સરહદ પર કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પર કલ રાત સુના હૈ કુછ ખ્વાબોં કા ખૂન હુઆ હૈ’ વતન પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બીછડે ચમન તુઝપે દિલ કુરબાન’ અને ‘યે ફાંસલે તેરી ગલિયોં કે હમસે તય ન હુએ, હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નજર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે. 

1963માં બિમલ રૉયની ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઇ લે’થી શરૂઆત કરનાર ગુલઝાર 50 વર્ષની કારકિર્દીમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા અને તમામને નિજી સ્પર્શ આપ્યો. 2004થી 2014ના દાયકામાં જ એમણે ‘જય હો’, ‘કજરારે’ ને ‘બીડી જલાઈ લે’ જેવા ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટેમ સોંગ્સ સહિત 30 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં હતાં. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે 4 ફિલ્મફેર ઍવોર્ડ મેળવનાર ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી, એક ગ્રામી, પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવ્યા છે. 1999ની ‘હુતુતુ’ નિષ્ફળ ગઈ એ પછી ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઇ તેઓ પોતાનું બધું ધ્યાન સર્જનાત્મક લેખન અને દીકરી મેઘનાના પુત્ર સમય પર આપે છે. 

એક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું બધું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પસંદ હોય છે. આવું કેમ હશે? કદાચ એટલા માટે કે કવિતા માણસને જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, વ્યક્ત થવાની અને બધું ખંખેરી મુક્ત થઈ જવાની તક આપે છે. ગુલઝારને કઈ રીતે ઓળખાવું ગમતું હશે? જવાબ એમની જ એક પંક્તિ આપે છે, ‘હાં, વહી વો અજીબ સા શાયર, રાત મેં ઊઠ કે કોહનિયોં કે બલ, ચાંદ કી ઠોડી કો ચૂમા કરતા હૈ …’ 

શું છુપાયું છે ગુલઝારના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે.  

એમની વાર્તાઓ પણ ખાસ છે. એમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. તેનું શીર્ષકગીત જગજિતસિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ શહેરમાં જ નહીં, વેરાન લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ. 

કેવાં કેવાં પાત્રોની બનેલી છે આ સૃષ્ટિ? ‘રાવી પાર’ વાર્તામાં ભાગલાસમયની ઊથલપાથલના આઘાતોથી બાવરો બનેલો દર્શનસિંહ રાવી નદી પાર કરી રહેલી ટ્રેનના છાપરા પરથી મરી ગએલા નવજાત બાળકને બદલે જીવતા બાળકને નદીમાં ફેંકી દે છે. ‘સનસેટ બુલિવાર્ડ’માં અત્યારે જેનો કોઈ ભાવ નથી પૂછતું એ જૂના જમાનાની જાજરમાન હીરોઈન ભવ્ય ભૂતકાળ સાથે નાતો તોડવા તૈયાર નથી. ‘હિસાબકિતાબ’માં માણસ અંગત સંબંધોમાં પણ કેવો ગણતરીબાજ હોઈ શકે તેનું ચિત્રણ છે. ‘હાથ પીલે કર દો’માં મુગ્ધ પ્રેમ અને કૌટુંબિક-સામાજિક મર્યાદાઓના પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંઘર્ષનું માર્મિક આલેખન છે. ‘સીમા’માં અતિવ્યસ્ત પતિથી કંટાળી તેના એક મિત્ર સાથે રહેવા ચાલી ગયેલી પત્નીના હાથમાં આવે છે તોડવાથી ન તૂટતા સંબંધો અને પાછું ન ફરી શકવાની મજબૂરી. ‘અદ્ધા’માં એક અડધિયો એટલે કે ઠિંગુજી એક બજારુ જેવી સ્ત્રીના બાળકને અપનાવી નોર્મલ પુરુષ કરતાં ઊંચેરો પુરવાર થાય છે. ‘લેકિન’માં છે એક ભટકતા આત્માની કરુણ સ્થિતિ અને તેને ઉગારતો એક મ્યુઝિયમ ક્યૂરેટર. વાર્તાની શરૂઆત જે વાક્યથી થાય તે જ વાક્યથી તેનો અંત લાવી ગુલઝાર સંવેદનાનું વર્તુળ પૂરું કરતા હોય છે. 

‘નઝ્મ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠો પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લબ્ઝ કાગઝ પે બૈઠતે હી નહીં’ કહેતા ગુલઝાર આમ પણ કહે, ‘ન સમંદર નિગલ સકા હૈ ઈસે, ન તવારીખ તોડ પાઇ હૈ, વક્ત કી મૌજ પે બહતા હૈ સદા, આદમી બુલબુલા હૈ પાની કા’ અસ્તુ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 મે  2025

Loading

...102030...314315316317...320330340...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved