Opinion Magazine
Number of visits: 9968630
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અશિક્ષણના રસ્તે

મીનાક્ષી જોષી|Opinion - Opinion|2 May 2019

સરકારની શક્તિ જનતાની અજ્ઞાનતાઓમાં સમાયેલી છે અને એ વાતને સરકાર ખૂબ સારી રીતે જાણે છે, એટલે જ એ હંમેશાં સાચા જ્ઞાનનો વિરોધ કરતી આવી છેઃ રશિયાના મહાન સાહિત્યકાર ટૉલ્સ્ટૉયે કરેલી આ વાત દેશની ૧૭મી લોકસભાની ચૂંટણી દરમ્યાન યાદ આવી રહી છે. આ ચૂંટણી ટાણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર ચર્ચાઓમાં સૌથી અસ્પૃશ્ય કોઈ મુદ્દો હોય, તો તે છે શિક્ષણનો પ્રશ્ન!

કોઈ પણ સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. નવજાગરણ સમયે શિક્ષણે પશ્ચિમમાં ધર્મ અને રાજાના જોહુકમીપણા અને બંધિયારપણા, વ્યક્તિના મનુષ્યત્વને ડામતા અત્યાચારો અને ધાર્મિક બંધનો સામે અવાજ ઉઠાવ્યો હતો. લોકશાહી ક્રાંતિ અને લોકશાહી જીવનરીતિ માટે શિક્ષણ જ મશાલ બન્યું હતું. ભારતમાં પણ ભક્તિ-ચળવળે, જ્ઞાન અને ભક્તિના અધિકારને સર્વ મનુષ્યો સુધી પહોંચાડવા એક અનોખી મથામણ કરી હતી. બધી જ ભાષા, ધર્મ અને રાજ્યોમાં પેદા થયેલા એ ભક્તો અને સંતોએ જ્ઞાતિ-જાતિ-લિંગ અને ધર્મના ભેદોને ભાંગીને, ‘સાબાર ઉપર માનુષ’ની ઘોષણા કરી હતી. એ ભક્તિ – ચળવળે સીંચેલ મનુષ્યત્વને નવજાગરણકાળમાં આપણા દેશમાં, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, શિક્ષણના પ્રસાર દ્વારા દૃઢીભૂત કર્યું. આપણા રાજ્યમાં, દુર્ગારામ મહેતા, વીર કવિ નર્મદ અને કરસનદાસ મૂળજીએ ધર્મમાં પેઠેલા સડા સામે અવાજ ઉઠાવ્યો હતો.

દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન જ ધર્મનિરપેક્ષ આધુનિક શિક્ષણની શરૂઆત થઈ હતી. આપણી આઝાદીની ચળવળ દરમિયાન પણ એક સાચા ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક અને લોકશાહી-શિક્ષણ અને શિક્ષણના ખર્ચની સરકારની જવાબદારી એ બંને માંગણીઓને લઈને લડાઈ થઈ હતી, પરંતુ આ માંગણીઓ પૂરી થવાની તો દૂર, આઝાદી પછી શિક્ષણ ઉપર એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

દેશની આઝાદી પછી આજ સુધી જેટલા પણ પક્ષોએ કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા પર કબજો જમાવ્યો છે, તેમણે શિક્ષણને સંકુચિત કરવાની નીતિ અપનાવી છે. ૧૯૫૭માં યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશનના અધ્યક્ષ સી.ડી. દેશમુખે કહ્યું હતું : We want to restrict eudcation in order to minimise the number of educated unemployed.

આપણા દેશમાં શિક્ષણના વેપારનાં દ્વાર ખોલી આપ્યાં ૧૯૮૬ની નવી શિક્ષણનીતિએ. જેનો સાર એટલો જ હતો કે શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી નથી! (NPE, ૧૯૮૬, આર્ટિકલ-૧૧.૨) આ ત્યારે જ શક્ય બને કે ફીમાં જંગી વધારા કરવામાં આવે અને રોજગારલક્ષી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે ખાનગી પેઢીઓને સોંપવામાં આવે. (NPE-૧૯૮૬, ૪.૬૮૭૪.૬૯) પરિણામસ્વરૂપે આપણે જોયું કે શિક્ષણના બજેટમાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો અને આજે સ્થિતિ એવી છે કે, ‘પૈસા દો, શિક્ષણ લો’ની નીતિ છે. દેશના અનેક વિદ્વાનો અને કમિશનોએ ભલામણ કરી છે કે કેન્દ્રીય બજેટના ઓછામાં ઓછા ૧૦ ટકા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, પરંતુ તેની સામે સ્થિતિ સાવ જ વિપરીત છે.

દેશમાં ૨૦૧૬-૧૭માં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ ૮૬૪ અને માન્યતાપ્રાપ્ત કૉલેજો ૪૦,૦૨૬ છે. તેની સામે શિક્ષણમાં પ્રવેશનો આંકડો લગભગ ૨૬ ટકા છે. (‘ધ હિંદુ’, તંત્રીલેખ, ૩૦-૬-૧૨)

શિક્ષણ પાછળ ખર્ચ જોઈએ તો :

૨૦૧૩-૧૪ના બજેટમાં ૪.૫૭ ટકા

૨૦૧૬-૪૭ના બજેટમાં ૩.૬૫ ટકા

૨૦૧૭-૧૮ના બજેટમાં ૩.૭૧ ટકા.

શિક્ષણને સંકુચિત કરવામાં દેશના બંને મોટા સંસદીય પક્ષોની ભૂમિકા સમાન જ રહી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, તમામ સ્તરે સ્થિતિ અતિ ગંભીર છે.

દેશમાં ૨૦૧૪ બાદ અને રાજ્યમાં છેલ્લાં ૨૩ વર્ષથી ભા.જ.પ.નું શાસન છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યના શાસકપક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ સંદર્ભે અનેક મોટાં વચનો આપ્યાં હતાં. જેમાં સૌથી પહેલું વચન હતું; શિક્ષકોની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે, મહિલાઓ માટે વિશેષ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવશે અને યુ.જી.સી.ને દૂર કરીને એક હાયર એજ્યુકેશન કમિશન બનાવવામાં આવશે. અલબત્ત, દેશમાં ચારે બાજુથી પ્રબળ વિરોધ થયો હોવા છતાં શાસકપક્ષે, શિક્ષણમાં વેપાર અને વિદેશી મૂડીરોકાણની સરળતા કરી આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ના નામે શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરી નાંખતો હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર કરી દીધો. પરંતુ એ સિવાયનાં વચનો તો આજે પાંચ વર્ષે ઠાલાં જ સાબિત થયાં છે. કેટલાક આંકડાઓ પર નજર નાંખીએ:

– સત્તામાં આવ્યાનાં અઢી વર્ષ બાદ ડિસેમ્બર, ૨૦૧૬માં કેન્દ્રિય માનવસંસાધન મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે, લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં સરકારી શિક્ષકોની પ્રાથમિક કક્ષાએ ૧૭.૫ ટકા જગ્યાઓ અને માધ્યમિક કક્ષાએ ૧૪.૭૮ ટકા જગ્યાઓ ખાલી છે. ભારતમાં મંજૂર થયેલી માધ્યમિક શિક્ષકોની કુલ એક લાખ જગ્યાઓ ખાલી છે. લોકસભામાં મુકાયેલા આંકડા અનુસાર ૯,૦૭,૫૮૫ પ્રાથમિક શિક્ષકો અને ૧,૦૬,૯૦૬ માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી છે. અલબત્ત, વાસ્તવિક આંકડો, સરકારી આંકડાઓ કરતાં જુદો હોઈ શકે છે.

– સરકારી તેમ જ સરકારી અનુદાનિત, ખાનગી શાળાઓ અને અન્ય તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લેનારની સંખ્યા ૧૩,૦૫,૦૧,૧૩૫(૨૦૧૪-૧૫)થી ઘટીને ૨૦૧૬-૧૭માં ૧૨,૨૩,૦૭,૮૯૨ જેટલી થઈ. એટલે કે કુલ ૬૬,૯૩,૨૪૩ વિદ્યાર્થીઓની ઘટ થઈ. સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ ગયા ક્યાં ?

– ૨૦૧૬-૧૭ના આંકડાઓનો એક અંદાજ માત્ર જોઈએ, તો પ્રાથમિક શાળામાં (ધો.૧થી ૫)માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨,૩૮,૦૭,૮૯૨ છે, પરંતુ એ જ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા (ધો.૬થી ૮) ૬,૬૦,૭૯,૧૨૩ છે, તો માધ્યમિક શાળામાં(ધો.૯-૧૦)માં પ્રવેશ લેનારની સંખ્યા ૩,૨૨,૨૩,૮૫૪ છે. જે ઉચ્ચતર માધ્યમિકમાં ૨,૪૩,૯૭,૫૩૬ થઈ જાય છે.

હજુ કેટલાક વધુ આંકડાઓ જોઈએ :

– દેશની માત્ર ૫૫.૩૧ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમ છે.

– વીજળીનું કનેક્શન માત્ર ૬૦.૮૧ ટકા શાળાઓમાં છે.

– દેશની ૮૨.૯૬ ટકા શાળાઓમાં પુસ્તકાલય છે, પરંતુ ગ્રંથપાલ માત્ર ૫.૦૨ ટકા શાળાઓમાં જ છે.

– દેશની માત્ર ૨૮.૨૪ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર છે, તેમાંથીયે માત્ર ૧૪.૧૧ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર કામ કરે છે, જ્યારે ઇન્ટરનેટ કનેક્શન માત્ર ૯.૪૬૨ શાળાઓમાં છે.

એક નજર ગુજરાતની સ્થિતિ પર પણ નાંખીએ :

– ગુજરાતમાં ૧૨.૮૯ ટકા શાળાઓ આચાર્ય વગરની છે.

– માત્ર ૪૮.૫૨ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમની વ્યવસ્થા છે.

– ગુજરાતની ૩૩.૫૬ ટકા શાળાઓમાં પાણી, શૌચાલય અને હાથ ધોવાની સુવિધાનો અભાવ છે.

– લાઇબ્રેરીની સુવિધા ૯૪.૬૯ ટકા શાળાઓમાં છે, પરંતુ લાઇબ્રેરિયન માત્ર ૮.૫૫ ટકા શાળાઓમાં છે.

– શાળામાં ભણાવતા શિક્ષકોમાંથી ૧.૧૬ ટકા શિક્ષકો માધ્યમિકથી પણ ઓછું ભણેલા, ૧૮.૯૦ ટકા શિક્ષકો, માધ્યમિક પાસ થયેલા, ૧૭.૩૮ ટકા શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક સુધી ભણેલા, ૩૬.૫૨ ટકા ગ્રૅજ્યુએટ થયેલા, ૨૫.૨૧ ટકા અનુસ્નાતક થયેલા અને ૦.૫૩ ટકા એમ.ફિલ. થયેલા. જ્યારે માત્ર ૦.૩૦ ટકા શિક્ષકો પીએચ.ડી. થયેલા છે.

– ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ૪૧૩ ગ્રંથપાલોની નિમણૂક થતી નથી. રાજ્યની શાળાઓમાં ૩,૦૦૦થી વધુ આચાર્યની જગ્યાઓ ખાલી છે. (ગુજરાત સમાચાર, ૧૯-૬-૨૦૧૮)

– રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં ૨૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પછી ભણવાનું છોડી દે છે. રાજ્યના ૨૮ તાલુકાઓમાં ૪૦ ટકાથી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે.

– ગુજરાતની ૬૫ ટકા આશ્રમશાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો  નથી. (ગુજરાત સમાચાર, ૧૦-૪-૨૦૧૮)

– સરકારી અંગ્રેજીમાધ્યમ શાળાઓમાં ૮૮૪ના બદલે માત્ર ૪૫ શિક્ષકો છે. (ગુજરાત સમાચાર, ૨૭-૪-૨૦૧૮)

– ગુજરાત ઉચ્ચશિક્ષણ લેનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૭૨ ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૧૮.૮૮ ટકા છે.

– એક આર.ટી.આઈ.માં મળેલી માહિતી મુજબ રાજ્યમાં ૬૮૫૪ જેટલી શાળાઓમાં ૧૬,૪૪૩ વર્ગખંડની અછત છે.

સહુથી વધુ અરાજકતા અને અંધાધૂંધી ઉચ્ચશિક્ષણમાં જોવા મળી રહી છે. સેમેસ્ટરપ્રથા, ઑનલાઇન ઍડ્‌મિશન, યુનિવર્સિટી અને કૉલેજોમાં થતી લાયકાત વગરની અને રાજકીય વગ આધારિત નિમણૂકો, અભ્યાસક્રમની અનિશ્ચિતતા, શિક્ષણના ઘટતા જતા દિવસો, પાઠ્યપુસ્તકોનો અભાવ, પરીક્ષાઓ અને પરિણામોમાં છબરડા, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોને ખતમ કરવાની નીતિ, ખાલી જગ્યાઓમાં ભરતી અંગે ઉદાસીનતા, ગ્રામકક્ષાએ કૉલેજોનો અભાવ, હૉસ્ટેલ્સનો અભાવ, વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ અને અંતિમ ઘા સમાન, શિક્ષણની સ્વાયત્તતાને ખતમ કરી નાંખનાર હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટની જોગવાઈઓ, વગેરેએ ઉચ્ચશિક્ષણની દુર્દશા કરી નાંખી છે.

૧૯૯૨માં બુડાપેસ્ટની કેન્દ્રિય યુરોપિયન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપતાં ઇતિહાસકાર ઍરિક હોબ્સબૉમે કહ્યું હતું કે ‘હું એવું વિચારતો હતો કે ઇતિહાસનો વ્યવસાય પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર જેવો જોખમી નથી, પરંતુ હવે હું સમજ્યો છું કે તે પણ જોખમી હોઈ શકે છે. અમારો અભ્યાસ બૉમ્બફેક્ટરીમાં પરિવર્તિત થઈ શકે છે. આવી પરિસ્થિતિ અમને બે રીતે અસર કરે છે : એક તો એ કે અમારી સામાન્ય જવાબદારી છે ઐતિહાસિક તથ્યો, હકીકતો વિશેની; અને બીજી જવાબદારી છે રાજકીય વૈચારિક ઇરાદાઓથી ઇતિહાસની ટીકા કરવાના સંદર્ભની.’

ભારતમાં અભ્યાસક્રમોમાં ઇતિહાસ સાથે ભયંકર ચેડાં થઈ રહ્યાં છે. ભારતમાં જ બધું શ્રેષ્ઠ હતું, વિજ્ઞાનની તમામ શોધો પણ ભારતમાં જ થઈ હતી, હિંદુધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે વગેરે મુજબની વાતો વિવિધ રીતે અભ્યાસક્રમોમાં દાખલ કરાઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણમાં પૂરકવાચન તરીકે દાખલ કરાયેલ દિનાનાથ બત્રાનાં પુસ્તકો તેનું તરતનાં વર્ષોનું ઉદાહરણ છે. આમ, ધર્મનિરપેક્ષ શિક્ષણના બદલે સાંપ્રદાયિક શિક્ષણને સામેલ કરીને ભાવિ પેઢીની વૈચારિક ક્ષમતાને રૂંધવાની સાજીશ ચાલી રહી છે.

આટલાં વર્ષોનો અનુભવ દર્શાવે છે કે શિક્ષણ બાબતે તમામ સરકારોની ભૂમિકા સંપૂર્ણપણે નકારાત્મક જ રહી છે. ઓછામાં ઓછું શિક્ષણ લોકો સુધી પહોંચે છે અને જેટલું પણ શિક્ષણ લોકો સુધી પહોંચે, તે પણ મૂલ્યવિહીન હોય, તે પ્રકારની નીતિઓ ઘડવામાં આવે છે. પરિણામે શિક્ષણમાં ચાલી રહેલી હાલાકીઓ ક્યારે ય ગંભીર મુદ્દો બનતી નથી.

તેમાં ય છેલ્લાં પાંચ વર્ષ તો શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર તરાપનાં રહ્યાં છે. જે.એન.યુ.ની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રગતિશીલ વિચારો અને મુક્ત વાતાવરણ, જે શૈક્ષણિક સંસ્થાઓની પાયાની બાબત છે, તેને રૂંધવાનો એક ફાસીવાદી તખ્તો જાણે કે તૈયાર થઈ રહ્યો છે.

આ અંધાધૂંધી અને અરાજકતામાં, શિક્ષણ પ્રત્યે આપણી નિસબત કેળવાય અને સક્રિયતા ઉજાગર થાય, એ સમયની તાતી જરૂરિયાત છે.

E-mail : meenakshijoshi@in.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 09 – 10

Loading

હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી !

મનીષી જાની|Samantar Gujarat - Samantar|1 May 2019

1961માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેવડિયા ગામમાં સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક,ર્યો ત્યારથી, દાયકાઓ લગી ચૂંટણી ટાણે આપણા ગુજરાતમાં નર્મદા ડેમ, નર્મદા યોજનાનો મુદ્દો એક યા બીજી રીતે સતત ગાજતો રહ્યો.

1974માં જનતા દ્વારા જેમને ઘરે બેસાડી દેવાયેલા તે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે,1992માં નર્મદા ગુજરાતની જીવાદોરી છે, એવા આક્રમક પ્રચાર દ્વારા ચૂંટણી જીતી સત્તાનાં રાજકારણમાં મજબૂત બનેલા.

દેશની સૌથી પ્રાચીન એવી નર્મદા નદી ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. મધ્યપ્રદેશથી નીકળી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઇ સમુદ્રને મળે છે. એટલે આ મહત્ત્વાકાંક્ષી અને વિશાળ કાયની નર્મદા યોજનામાં પોતાના લાભ-ગેરલાભને લઈ, ત્રણ રાજ્યોની ખેંચાખેંચી વર્ષો લગી ચાલુ રહી અને તે પણ ચૂંટણીઓમાં રમવાનું રમકડું બની રહી. ગુજરાતને અન્યાય થાય છે એવી નારાબાજી કરવામાં નર્મદા યોજનાનું મોટું પ્રદાન રહ્યું એવું કહીએ તો ચાલે !

ખાસ તો 1982થી આ મહાકાય નર્મદા ડેમને લઈ જે એક લાખ જેટલાં લોકો વિસ્થાપિત થવાનાં હતાં તેમને જમીનના બદલામાં જમીન મળે તેવી માગણી સાથેની લડત આપણા ગુજરાતમાંથી જ શરૂ થઈ હતી. આદિવાસીઓના હક્ક માટે સતત સંઘર્ષશીલ રાજપીપળાના ફાધર જોસેફ અને આર્ચવાહિની-ગુજરાતના સાથીદારોએ આ વળતરના મુદ્દે આદિવાસીઓને સંગઠિત કરી વિશાળ રેલી કેવડિયા કોલોની ખાતે યોજી હતી. એ રેલીમાં હું સામેલ થયેલો અને તે વખતે એ આંદોલન વિશેનો લેખ પણ વર્તમાનપત્રમાં લખ્યો હતો તે અત્યારે યાદ આવે છે.

ત્યારબાદ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં તમામ વિસ્થાપિતોની સંગઠિત લડાઈ તેજ બનતી રહી.

મેં હમણાં જ એક પરદેશી ફિલ્મકારે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, જે 1992માં બની હતી. તે વખતે સમાજસેવક બાબા આમટેએ આ મુદ્દે મહારાષ્ટ્રથી ગુજરાત સુધીની પદયાત્રા યોજી હતી અને તેઓ ગુજરાતમાં પ્રવેશવાના હતા.

આ પદયાત્રાનો વિરોધ કરવા ચીમનભાઈની સરકારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર કરી હતી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઊર્મિલાબહેન પટેલની આગેવાનીમાં અમદાવાદ શહેરની મહિલાઓને બાબા આમટે ગુજરાતમાં પ્રવેશે નહીં, તેમને રોકવા રસ્તે બેસી રામધૂન કરવા મોકલેલી.

બાબા આમટેએ ગુજરાતની સીમા પર, ફેરકૂવા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું ત્યાં મોટા માઈકના ભૂંગળા ગોઠવી તેમને કેવી રીતે માનસિક ત્રાસ આપણા આ ગુજરાતના આગેવાનો આપતા હતા તેનું આબાદ દસ્તાવેજીકરણ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં થયેલું જોવા મળે છે.

રાજકીય રોટલા શેકવા, ચૂંટણી વખતે કેવાં ખેલ પડાય છે, કેવાં આંદોલનો-પ્રતિ આંદોલનોનો રાજકીય પક્ષો લાભ લે છે તેનો વરવો નમૂનો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતાં જણાય છે.

અને રસપ્રદ વાત એ છે કે આ સરકાર દ્વારા વિસ્થાપિતોના હક્ક માટેની લડાઈ – આંદોલનનો વિરોધ કરવામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ સાથ આપ્યો. અને નર્મદા ડેમની તરફેણમાં આંદોલનો ચલાવવા, મહાકાય-બીગ ડેમનો વિરોધ કરનારા આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવા માટે મંચ પણ અમદાવાદના વેપારી મહામંડળના કાર્યાલયમાંથી ચાલતો રહ્યો.

સરદાર સરોવર ડેમ બને તો તેમાંથી ઉદ્યોગોને સતત પાણી મળ્યા કરે એ હિતને લઈ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રધારો સરકારની સાથે ચાલી રહ્યા હતા.

ડેમ બની ગયો અને એના વિજયોત્સવો ઉજવી ચૂંટણી પ્રચારમાં ગુજરાતની જીવાદોરી કહેવાનું નાટક ચાલતું રહ્યું.

ગઈ ચૂંટણીમાં "કેન્દ્ર સરકારની આડોડાઈ હોવાં છતાં અમે ડેમના દરવાજા નાંખી દીધા !" – એમ કહીને પણ ગુજરાતની ભા.જ.પ. સરકારે કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતની વાત બનાવી ચૂંટણી પ્રચાર ચલાવે રાખ્યો.

સામાન્યજનનાં મનમાં ડેમના દરવાજા ન બાંધવા દીધા એટલે જાણે કે પડોશી-પડોશી વચ્ચેના ઝગડામાં કોમન જમીનને લઈ, ઈર્ષાને લઈ એકબીજાને ઓટલા કે દિવાલ ન કરવા દે એવી વાત બનાવી દીધી ! ટેકનિકલ અને કાયદાકીય બાબતને મામૂલી વાત બનાવી દઈ કોંગ્રેસ વિરુદ્ધ ભા.જ.પ.નો પ્રચાર ચાલ્યો.

મુખ્ય મુદ્દો તો નર્મદા યોજનાના વિસ્થાપિતોને યોગ્ય જમીનો ને ન્યાયી પુનર્વસન મળ્યું કે નહીં તે હોઈ શકે, ગુજરાતમાં ગામેગામ નાની કેનાલો બની કે નહીં તે હોઈ શકે, નર્મદાનું પાણી ક્યાં ક્યાં પહોંચ્યું એ હોઈ શકે. પણ આવા બધા મુદ્દાઓને લઈ ચર્ચા તો જાહેરમાં ખાસ કોઈએ કરી નહીં.

વર્ષો પહેલાં જીવાદોરીના નામે ઠેઠ કચ્છમાં ઘરે ઘરે પાણી પહોંચશે અને ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગો માલામાલ થઈ જશે એવાં રૂપકડાં ચિત્રો ઊભાં કરાયાં હતાં ..! હવે તો એને યાદ કરીને ય કોઈ વાત કરતું નથી !

એટલી વાત જરૂર કે અત્યારે ડેમનું 30% જેટલું પાણી 481 જેટલાં ઉદ્યોગોને પહોંચતું થઈ ગયું છે.

પણ આ વર્ષે આ 2019ની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે નર્મદા ડેમની વાત છેડી નહીં, દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પૂતળાની વાત અને તેની આજુબાજુ ટુરિઝમ વિકાસની મોટી મોટી વાતો કરી જરૂર પણ એ સિવાય સૌએ મૌન રહેવાનું પસંદ કર્યું ..! પ્રશ્ન થાય કે એવું કેમ બન્યું ?

આ તો એવો ખેલ થયો કે દુઝણી ગાય વસૂકી જાય એટલે એ ગૌમાતા તરીકે પૂજાતી ય મટી જાય !એની પછી કોઈ પરવા ન કરે .

આવડો મોટો ડેમ બનવાને લઈ જેની મોટી ચિંતા હતી અને તેના વિશે જાણકાર લોકોએ વર્ષોથી હોહા અને ચર્ચાઓ માંડી હતી એ મુદ્દો એ જ હતો કે ડેમ બન્યા પછી ત્યાંથી હેઠવાસમાં નર્મદા નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીનું અંતર 161 કિલોમીટર જેટલું છે, આ 161 કિલોમીટરની નર્મદાને કાંઠે ભરુચથી લઈને 211 નાનાંમોટાં ગામોમાં લોકોનો વસવાટ છે. માછીમારોથી માંડી કેટકેટલા પશુપાલકો, ખેડૂતો,પશુ પંખીઓ ને વન-વનસ્પતિનાં જીવનનો ધબકાર નર્મદા મૈયાનાં વહેતાં પાણી પર આધારિત છે તે બધાંનું શું થશે ?

અત્યારે નદી સૂકી ભઠ પડી છે. નદીમાં વહેતું પાણી ન હોવાથી માછીમારોને તેમની હોડીઓ બેકાર પડી છે. 28 પ્રકારની અહીંની માછલીની પ્રજાતિઓ ખતમ થઈ ગઈ.

અને વિશેષમાં ઉદ્યોગો-ફેક્ટરીઓનાં કેમિકલ્સ ને કચરા ઠલવાતાં રહેતાં હોય છે ને ખાસ તો સમુદ્રનું પાણી ને ખારાશ ખાલી પડેલી નદીમાં પાછું ધસી આવતું રહેવાથી નર્મદાનું પાણી ભારે દૂષિત બનતું રહ્યું છે.

આ બધી ગંભીર બાબતો અને તેના ઉકેલ વિશે લગીરે ચર્ચા આપણી આ ચૂંટણીમાં કોઈએ ના કરી.

આ ચૂંટણીનાં ઢોલ પીટાતા હતા તેવા સમયે જ ગુજરાતનાં કેટલાક સંગઠનોએ ભેગા થઈ આ ઝેરી બની ગયેલાં પાણીનો અભ્યાસ કર્યો અને અત્યારે આ પાણી માનવજીવન માટે કેટલું બધું જોખમી છે તે વાતને લઈ સરકારને લાગતાં વળગતા તંત્રોને તેમણે કાયદાકીય નોટિસ ફટકારી છે.

આ વાત પણ કોઈ રાજકીય પક્ષે ચૂંટણીના સમયમાં ઉપાડી નહીં.

આ અભ્યાસ કરનારાં સંગઠનોમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ, સમસ્ત ભરુચ જિલ્લા માછીમાર સમાજ, નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ, ભરુચ સિટીઝન્સ કાઉન્સિલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ, બ્રોકીસ વોટર રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ જે અભ્યાસનાં પરિણામો આવ્યાં તે ટાંકીને સામૂહિક કાનૂની નોટિસ સરકારનાં પર્યાવરણ મંત્રાલયથી માંડી વિવિધ તંત્રોને આપી છે.

સંગઠનોએ મૃતઃપ્રાય બની રહેલી નર્મદા નદીનાં પાણીનાં વિવિધ જગ્યાઓએથી લીધેલાં સેમ્પલોનાં અભ્યાસ પરથી તારણો કાઢ્યાં છે તે ચિંતાજનક છે.

ટી.ડી.એસ. એટલે કે પીવાનાં પાણીમાં ટોટલ ડિઝોલ્વ સોલીડની માત્રા વધુમાં વધુ લિટરે 500 મીલીગ્રામ ચાલી શકે. તેનાથી વધુ હોય તો તે પાણી પીવા માટે જોખમી બની ગયેલું કહેવાય. આ અભ્યાસમાં સરાસરી 19000 મીલીલિટર ટી.ડી.એસ.ની માત્રા જોવા મળી જે ખતરનાક કહી શકાય. આ ઉપરાંત પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા લિટરે 5 મીલીગ્રામથી પણ ઓછી જોવા મળી.

જીવંત બની રહેવા હાંફી રહેલી આ નદી પર બનેલા ડેમને લઈ થયેલી રાજકીય ચર્ચાઓનો પચાસ વર્ષનો હિસાબ તપાસીએ તો તેમાં લોકલક્ષી, લોકોને શું નક્કર ફાયદો કે ગેરફાયદો થશે તેની ચર્ચા ઓછી થઈ છે પણ 'જીવાદોરી' કે 'ડેમની ઊંચાઈ' કે 'ડેમનાં દરવાજા' જેવા શબ્દો વાપરી લોકોની લાગણી અને સમજણ સાથે સાથે છેતરપિંડી થઈ છે એવું જરૂર આપણે હવે કહી શકીએ.

હવે તો નર્મદા નદી કેવી રીતે જીવતી રહે એ અંગે તાકીદે વિચારવું ને કંઈક નક્કર કરવું રહ્યું.

નિષ્ણાતો એ ઠેઠ 1990માં અભ્યાસ કરી એમ જણાવ્યું હતું કે બંધ બની ગયા બાદ રોજનું ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી છોડવું પડે તો જ આ બારમાસી નદીમાં સતત પાણી વહ્યાં કરે.

આ હિસાબ તો જૂના અંદાજ પ્રમાણે હતો. અત્યારે વધી ગયેલી વસતિના હિસાબે આ આંકડો ઘણો નાનો છે એવું નિષ્ણાતો માને છે.

પણ વાસ્તવિકતા એવી છે કે આ જૂનાં અંદાજ કરતાં ય ઓછું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જે દુ:ખદ છે.

અત્યારના નિષ્ણાતોના અંદાજ પ્રમાણે રોજ 4000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાય તો જ નર્મદા નદી વહેતી – જીવતી અને લોકોને જીવાડતી બની રહે.

આ માગણી માટે સહિયારો અવાજ બુલંદ નહીં બને તો વિકાસને નામે, મુઠ્ઠીભર સ્વાર્થી લોકો માટેની કુદરતી સંપદાની બેફામ લૂંટ ચાલુ રહેવાની છે એટલી વાત નિશ્ચિત.

સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”; 01 મે 2019

Loading

શ્રીલંકામાં આતંકવાદઃ સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવા ‘નાના’ ટાર્ગેટ પર મોટી સિદ્ધિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 April 2019

પોતાના ધર્મને સર્વોપરી બનાવવા મથતા આતંકવાદીઓ રોમમાંથી ચર્ચને ફગાવી દેવા માગે છે.

શ્રીલંકાનો અત્યાર સુધીનો પરિચય એટલે સરસ મજાનો દરિયો, જ્યાં મંદિરમાં રાવણ જોવા મળે એવો દેશ, જેનો સિલોન રેડિયો આપણે ત્યાં હિટ હતો એ દેશ અને દક્ષિણ એશિયાનો એવો ભાગ જે બહુ વિશાળ ન હોવા છતાં ય જાત જાતની સંસ્કૃતિઓનું ઘર છે.

કમનસીબે શ્રીલંકાની આ ઓળખ ઇસ્ટરના દિવસે થયેલા લોહિયાળ આતંકી હુમલાને કારણે જાણે સ્તબ્ધ બની ગઇ છે. શ્રીલંકાએ આ પહેલાં પણ યુદ્ધ જોયું છે જે ૧૯૮૩માં શરૂ થયું. શ્રીલંકાનાં સિવિલ વૉરમાં લઘુમતી અને બહુમતી વચ્ચે યુદ્ધ થયું. તામીલ ભાષા બોલનારા લઘુમતી અને સિંહાલી ભાષા બોલનારા બહુમતીના લોકો વચ્ચે થયેલા સિવિલ વૉરમાં ધાર્મિક તાણાવાણા વણાયેલા હતા. શ્રીલંકાની સિત્તેર ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાળનારા સિંહાલીઓની છે. અમુક સિંહાલીઓ ખ્રિસ્તી છે, એમ કેટલાક તામીલ પણ ખ્રિસ્તી ધર્મ પાળનારા છે, જો કે મોટા ભાગનાં તામીલભાષીઓ હિંદુ છે. કુલ વસ્તીના દસ ટકા જેટલા લોકો મુસલમાન છે પણ તેઓ સિવિલ વૉરનો હિસ્સો ન હતા અને તામીલ ટાઇગર્સ દ્વારા તેમને પણ ટાર્ગેટ કરાતા. શ્રીલંકામાં હિંસા નથી થઇ એમ નથી પણ આ દેશને આંતરરાષ્ટ્રીય આતંકી જૂથોની ચિંતા કરવી પડે એવી સ્થિતિ હજી સુધી ખડી નહોતી થઇ, જે ઇસ્ટરના હુમલાઓએ બદલી નાખી છે. શ્રીલંકામાં થયેલા હુમલાને પગલે ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં ૫૦ જણનાં જીવ લેનારું શૂટિંગ, ઑક્ટોબર ૨૦૧૮માં પિટ્સબર્ગ પેન્સિલવેનિયાના ટ્રી ઑફ લાઇફ સિનેગૉગમાં થયેલી ૧૧ જણાની હત્યા તથા ૨૦૧૭નાં એપ્રિલમાં ઇજિપ્તમાં ૪૫ જેટલાં જીવ લેનાર પામ સન્ડે બોમ્બિંગની ઘટનાઓ મગજમાં ચમકી જાય. 

શ્રીલંકામાં થયેલા હુમલાનો મૃત્યુ આંક અને ધાયલોની યાદીનો આંકડાથી વધારે જાનહાનિ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં જ થઇ હતી. ઓક્લાહોમા શહેરનાં બોમ્બિંગ્ઝ, કેન્યા અને તાન્ઝાનિયાની યુ.એસ. એમ્બેસીઝ પર થયેલા હુમલા અને સ્કોટલેન્ડ પર થયેલા પાન એમ બોમ્બિંગમાં માર્યા ગયેલાઓનો આંકડો પણ શ્રીલંકામાં થયેલી જાનહાનિ કરતાં ઓછો હતો. ભારત, યુરોપ કે એશિયામાં થયેલા આતંકી હુમલાઓનો મૃત્યુ આંક પણ શ્રીલંકામાંના આ હુમલાઓ કરતાં વધુ હતો એમ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં થયેલી કેટલી દુર્ઘટનાઓ આ આંકડા કરતાં વધારે મૃત્યુ આંક ધરાવતી હોય એમ બને.

આ સરખામણી કરવાનું સીધું કારણ એ છે કે આધુનિક ઇતિહાસમાં જેનો સમાવેશ થઇ શકે તેવો આ સૌથી મોટો (ન્યુ યોર્કનાં ટ્વીન ટાવર અટેક્સને બાદ કરતાં) અને હચમચાવી નાખે તેવો આતંકી હુમલો છે. આ હુમલાને પગલે શ્રીલંકા પણ હવે ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડી.સી., લંડન, પેરિસ, મેડ્રીડ, મુંબઇ, ન્યુઝીલેન્ડ અને અન્ય ઘણાં શહેરો કે દેશોની યાદીમાં જોડાઇ ગયો છે, જ્યાં આતંકીઓએ સ્વતંત્ર સમાજમાં ડરનો પેગપેસારો કરાવવામાં અને અરાજકતા ફેલાવવામાં સફળતા મેળવી છે. શ્રીલંકામાં થયેલો હુમલો એ જેહાદીઓની બદલાયેલી હિંસાનું નિશાન છે.

વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો નેવુંના દાયકામાં અલ-કાયદાને જ્યુઝ અને ક્રુસેડર્સની સામે વિરોધ હતો અને બિનસાંપ્રદાયિક મથકો અને સ્થળો જ તેમનાં ટાર્ગેટ પર હતા.  ઇરાકમાં જ્યારે આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટનું જોર વધ્યું ત્યારે તેમણે ત્યાં રહેતા એવા મુસલમાનોની હત્યા કરી, જેઓ આઇ.એસ.ના કુરાનનાં લોહિયાળ તારણ સાથે સંમત નહોતા. આઇ.એસ.ની હિંસા તો અલ-કાયદાનાં આતંકીઓને પણ વધારે હિંસક લાગતી એટલી વરવી હતી. ૨૦૧૭ની સાલમાં અલ-કાયદાની દક્ષિણ એશિયન શાખાએ નિયમ બહાર પાડ્યો કે હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મનાં સિવિલિયન અને ધાર્મિક સ્થળો પર હુમલો ન કરવો. એનાથી તદ્દન વિરુદ્ધ આઇ.એસ.એ બહુ ગર્વથી ઇજીપ્ત, ફિલિપીન્સ, પાકિસ્તાન અને હવે શ્રીલંકા એમ આ દેશોમાં ધાર્મિક સ્થળોએ હુમલાની જવાબદારીઓ સ્વીકારી.

વૈશ્વિક સ્તરે આનું સીધું વિશ્લેષણ એ છે કે આઇ.એસ.નું ધ્યેય છે જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે ટકરાવ કરાવવો. આ સેક્ટેરિયન ટેરરિઝમ – સાંપ્રદાયિક આતંકવાદ છે – જેહાદીઓનાં આ ધ્યેયની સાથે વ્હાઇટ નેશનાલિસ્ટ ટેરરિસ્ટની માનસિકતા પણ મળતી આવે છે. પશ્ચિમીઓ ખાસ કરીને શ્વેત વર્ણીઓ જ્યારે પણ આવા ગુના આચરે ત્યારે તેમને આતંકવાદનું લેબલ જોડાય એ ગમતું નથી, પણ ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં થયેલો હુમલો વ્હાઇટ નેશનલિસ્ટ ટેરરીઝમનો જ દાખલો છે. આતંકવાદી જૂથનું મૂળ લક્ષ્ય હોય છે આમ નાગરિકને કોઇ પણ એક બાજુની પસંદગી કરવા બળજબરી કરવી.  વિસંવાદિતા પ્રસરાવવી અને અન્ય ધર્મ પ્રત્યે અણગમાનાં મૂળિયાં ઊંડા ઊતારવા એ જ આ આંતકી જૂથો ઇચ્છતા હોય છે. જેહાદીઓને મુસલમાનો સામે નકારાત્મકતા વધે એમાં જ રસ છે જેથી વધુને વધુ મુસલમાનો જેહાદીઓની વિચારધારાનો સ્વિકાર કરે. કોઇ પણ સરકારો કે નાગરિકોએ જેહાદીઓનાં આ ફાસલામાં ઝડપાવું ન જોઇએ.

આઇ.એસ. સાથે જોડાઇ રહેલી નવી પેઢીનાં અંતિમવાદીઓનું નિશાન ધાર્મિક સ્થળો છે. યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વૈશ્વિક આતંકવાદ પર કરાયેલા એક અભ્યાસ અનુસાર ૨૦૦૦થી માંડીને ૨૦૦૪ દરમિયાન ધાર્મિક સ્થળો પર ૨૪૦ જેટલા હુમલા થયા થયા જેમાં ૬૨૦ લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર બાદ ૨૦૧૩ અને ૨૦૧૭નાં ગાળામાં ધાર્મિક સ્થળોએ થતા હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. આ સમય દરમિયાન ધાર્મિક સ્થળો પર લગભગ ૧૪૦૦ હુમલા થયા જેમાં ૪૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા.  છેલ્લા બે વર્ષનો ચોક્કસ ડેટા હજી આ અભ્યાસમાં ઉમેરાયો નથી પણ આપણે છેલ્લા બે વર્ષમાં ચર્ચ અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર કરાયેલા આતંકી હુમલાઓથી માહિતગાર છીએ. અહીં જે સમયગાળાની વાત કરાઇ છે તેમાંથી બે – તૃતિયાંશ હુમલાઓ પાકિસ્તાન, નાઇજીરિયા, અફધાનિસ્તાન અને ઇજીપ્તમાં થયા છે. વળી ઇરાક અને સિરિયામાં થતા આતંકી હુમલાઓના આંકડાનો આમાં સમાવેશ નથી કારણ કે ત્યાંના સિવિલ વૉર્સ તો વૈશ્વિક આંકડાઓને ક્યાં ય પાછળ છોડી દે તેવા છે.

આઇ.એસ.એ પોતાનાં શરૂઆતી વર્ષોમાં ઇરાકમાં ‘અલ-કાયદા ઇન ઇરાક’ જૂથ તરીકે શિયા મુસલમાનોને ટાર્ગેટ કર્યા કારણ કે તેઓ ત્યાં પ્રજામાં ધ્રુવીકરણ ઇચ્છતા હતા. આઇ.એસ.ની આ માનસિકતાએ અલ-કાયદાનાં મૂળ નેતૃત્વને પણ ચોંકાવી દીધા હતા. ૨૦૧૪માં અલ-કાયદા ઇન ઇરાકે પોતાની નવી ઓળખ બનાવી અને આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટ નામ અપનાવ્યું. ઇરાક અને સિરિયાનાં પ્રદેશોમાં અણધારી હિંસા, અન્ય સંપ્રદાયોની સતામણી સહિત આખા વિશ્વમાં ઠેરઠેર છૂટા છવાયા હુમલા કરવા માટે તેમણે પોતાના સાથીદારો અને મદદનીશોને પ્રોત્સાહન આપ્યું, જે અલ-કાયદાએ ક્યારે ય નહોતું કર્યું. આઇ.એસ.ને થિએટ્રિકલ અસૉલ્ટ્સ કરવામાં વધારે રસ છે વળી આઇ.એસ.ના યુરોપિયન અનુયાયીઓએ ટ્રાન્સપોર્ટ હબ્સ, કોન્સર્ટ્સ વગેરે ટાર્ગેટ બનાવવાનું પણ ચાલુ રાખ્યું. આઇ.એસ.નું એક માત્ર ધ્યેય છે ખ્રિસ્તી ધર્મને ફગાવી દઇને રોમને તાબામાં લેવું.

આઇ.એસ.ની ઇજીપ્તની શાખાએ દેશનાં કોપ્ટિક ખ્રિસ્તીઓ અને સૂફી મુસલમાનોને પણ નથી છોડ્યા તો ગલ્ફનાં આઇ.એસ. અનુયાયીઓએ શિયા મસ્જિદો પર મારો ચલાવ્યો છે. આ પહેલાં ઇન્ડોનેશિયામાં થયેલા ચર્ચ બોમ્બિંગ્ઝ અને ફિલપાઇન્સનાં બોમ્બિંગ્ઝમાં પણ આઇ.એસ.નો હાથ છે એમ બહાર આવ્યું હતું. અલ-કાયદાએ ધાર્મિક સ્થળો પર હુમલા નથી કર્યા એમ નથી પણ તેમનું મુખ્ય લક્ષ્ય અમેરિકા અને પશ્ચિમનાં દેશો જ છે, તેમને આઇ.એસ.ની કટ્ટર સાંપ્રદાયિકતા બહુ માફક નથી આવતી. આમ જોવા જઇએ તો આઇ.એસ. અને અલ-કાયદા બંન્નેનું ધ્યેય એક જ છે પણ તેને મેળવવાની પદ્ધતિ અંગે બંન્ને જૂથોની માનસિકતા જૂદી પડે છે. 

અમેરિકાને ટાર્ગેટ કરવું અલ-કાયદા માટે અઘરું બન્યું છે અને તેની સાથે જોડાનારા આતંકીઓને પણ અલ-કાયદાને સમજવામાં – ખાસ કરીને ‘ફાર એનિમી’વાળા વાતને સમજવામાં, મુશ્કેલી પડે છે. આ તરફ આઇ.એસ.ની કોઇ.પણ ભેદ-ભાવ વગરની, બેફામ અને સારાસાર વગરની માનસિકતા ‘રિક્રુટ્સ’ને સમજવામાં સહેલી પડે છે. આઇ.એસ.ને માટે ઘાતકી હિંસા, ખૂના-મરકી, મોત, જીત મેળવી તથા સાંપ્રદાયિક અરાજકતા બધું જ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ચલાવાય છે. આઇ.એસ.ની આ અંતિમવાદી માનસિકતાને પગલે તેનો ડર વૈશ્વ સ્તરે પ્રસરી ચુક્યો છે અને જે હજી સુધી આતંકી બન્યાં નથી પણ અંતિમવાદી વિચારધારા ધરાવે છે તેમને આ ગોઠી ગયું છે. ૨૦૧૪માં જે રીતે ખલિફતની રચના થઇ અને જે રીતે ૪૦ હજારથી પણ વધુ વિદેશી ‘લડવૈયા’ઓ વિશ્વનાં અલગ અલગ ૮૦ દેશોમાંથી ઇરાક અને સીરિયા ધસી ગયા હતા તે ખલિફત પડી ભાંગ્યા બાદ આતંકી જૂથોનાં સંપર્કો, ટ્રેઇનિંગ અને સાંપ્રદાયની સહાય વગેરે સાથે પોતાના રાષ્ટ્રોમાં પાછા ફર્યા છે. શ્રીલંકા પરનાં હુમલા સાબિત કરે છે કે જ્યાં ખ્રિસ્તી વિરોધી હુમલાઓનો જરા અમસ્તો ઇતિહાસ પણ નથી ત્યાં પણ ધાર્મિક સ્થળોએ ફરી વળવું એ જેહાદીઓને માટે પોતાના ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો હોઇ શકે છે.

આપણે સમજી લેવું પડશે કે આતંકવાદ અંતે તો વિશ્વનાં બે સૌથી મોટા ધર્મોમાં ચડસાચડસીનું પરિણામ છે. મુસ્લિમ અંતિમવાદીઓને પોતાના ધર્મને સર્વોપરી સાબિત કરવો છે અને માટે તેઓ આતંકવાદનો રસ્તો અપનાવે છે. પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે દરેક મુસલમાન આતંકવાદી નથી હોતો. આતંકવાદીઓ જે ધર્મનાં નામે ઠેકડા મારે છે એ ધર્મ તેમને માટે વૈમનસ્ય પ્રસરાવવાનું હથિયાર છે. આતંકવાદીઓને ધર્મ સાથે ખરેખર કોઇ ‘પવિત્ર’ સંબંધ નથી.

બાય ધી વેઃ

યુ.એસ.એ.માં ચર્ચ અને મસ્જિદોમાં સલામતી વ્યવસ્થા હવે અગત્યનો હિસ્સો બની છે. વળી ખ્રિસ્તી અને મુસલમાન ધર્મનાં ઉચ્ચ વડાઓ પરસ્પર આપ-લે વધે એ માટે મોટા પાયે પ્રયાસ કરી રહ્યા છે. બરાક ઓબામાના કાળ દરમિયાન અમેરિકામાં તથા અન્ય રાષ્ટ્રોમાં ધાર્મિક સ્વતંત્રતાનાં પ્રતિનિધિઓને પણ નિમવામાં આવ્યા હતા. દેખીતી રીતે બે ધર્મો વચ્ચેનાં યુદ્ધ કરતાં આ તમામ ઘટનાઓને બે ધર્મો પર તોળાતા જોખમ તરીકે જોવા જોઇએ. ધાર્મિક લધુમતીનું દમન એ વૈશ્વિક વાસ્તવિકતા છે, પછી એ કોઇ પણ ધર્મ કેમ ન હોય. પરંતુ તેમાં સત્તા અને બળનું જોર બતાડવાની મહેચ્છા જેટલી પ્રબળ છે એટલી પ્રબળ કોઇ ધર્મની માન્યતા નથી જ. આ બધાંની વચ્ચે પાકિસ્તાનનો ‘સ્ટેટ સ્પોન્સર્ડ’ આતંકવાદ પણ એક બહુ મોટી સમસ્યા છે જે વૈશ્વિક સ્તરે રાજકારણને અસર કરનારી બાબત છે કારણ કે તેમાં ચીનના અંગત રસ છે પણ ચીનના હાથ દઝાવા માંડે એ સમય બહુ દૂર નથી.  નોસ્ત્રાદેમસે કરેલી ભવિષ્યવાણીને માનીએ તો ખ્રિસ્તી અને મુસલમાન રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય તેમ નથી. એ મુજબ આ બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ બની શકે છે જે જમીન, હવાઇ તથા જળ માર્ગે ખેલાશે.

સૌજન્ય : ‘બહુશ્રુત’ નામે લેખિકાની સાપ્તાહિક કટાર, રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2019

Loading

...102030...2,9212,9222,9232,924...2,9302,9402,950...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved