Opinion Magazine
Number of visits: 9968939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂડીવાદ, રાજ્ય અને દલિતો

રોહિત શુક્લ|Opinion - Opinion|16 May 2019

ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યુરોપના દેશોમાં સમાજ ઝડપથી બદલાવા માંડ્યો હતો. ઇંગ્લૅન્ડમાં રહીને કાર્લ માર્ક્સ (૧૮૧૮-૧૮૮૩) સમાજના આર્થિક – સામાજિક – રાજકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવાહનું અવલોકન અને પૃથક્કરણ કરતા હતા, ત્યારે અમેરિકાથી માંડીને રશિયા સુધી સાહિત્યકારો દ્વારા આ નવા અવતરતા જતા જગત અંગે ઘણી વિશદ સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ થઈ. અમેરિકામાં ‘કાળા-ગોરા’નો ભેદ ઘણાં લખાણોમાં અભિવ્યક્ત થયો. અમેરિકામાં લેખિકા હેરિયટ એલિઝાબે બિયર સ્ટોવે (૧૮૧૧-૧૮૯૬), ૧૮૫૨માં ‘અંકલ ટોમ્સ કૅબિન’ પ્રકાશિત કર્યું. તે સાથે અમેરિકામાં ગુલામી અને રંગભેદની સામે ગૃહયુદ્ધની ભૂમિકા રચાઈ. અમેરિકાના જ સેમ્યુઅલ લેન્ગહાર્ન ક્લેવન્સ ઉર્ફે માર્ક ટ્‌વેને (૧૮૩૫-૧૯૧૦), રમૂજ સાથે, ‘ટૉમ સૉયર’, ‘હકલબરી ફિન’ જેવી નવલકથાઓ દ્વારા સમાજનું ચિત્રણ આદર્યું. નૉર્વેમાં હેન્રિક ઈબ્સને (૧૮૨૮-૧૯૦૬), ‘ડૉલ્સહાઉસ’ દ્વારા સમાજનો સ્ત્રીઓ તરફનો વર્તાવ ચીતરી આપ્યો. કાઉન્ટ લીઓ ટૉલ્સ્ટૉયે (૧૮૨૮-૧૯૧૦) અન્ના કેરનિનામાં પણ સ્ત્રીઓ માટેના સાંસ્કૃતિક પિંજરખાના સામે આક્રોશ વ્યક્ત કર્યો. અલબત્ત ટૉલ્સ્ટૉયે તો ‘વૉર ઍન્ડ પીસ’ જેવો મહાગ્રંથ પણ આપ્યો.

ટૉલ્સ્ટૉયના સમકાલીન એવા ફ્‌યોડર દોસ્તોવસ્કી(૧૮૨૧-૧૮૮૧)ના ‘બ્રધર્સ કારાયાઝોફ’ અને ‘ધ ઇડિયટ’ પણ સમાજ ઉપર અસર પાડી શક્યા. રશિયામાં જ મેક્સિમ ગોર્કી(૧૮૫૮-૧૯૩૬)ની ‘મધર’ અને એન્તોન ચેખોવ(૧૮૬૦-૧૯૦૯)ની ચોટદાર ટૂંકી વાર્તાઓએ સમાજની આત્મચેતનાને ઢંઢોળી. પાખંડ, જૂઠ, ફરેબ, કાવત્રાખોરી, સત્તાની લાલસા, સામાજિક ન્યાયની અવહેલના વગેરે જેવા અનેક મુદ્દે આ લેખકો અને સાહિત્યકારો ગજબનું ગર્જ્યા.

આ બધાએ સામાજિક ન્યાયનું આર્કિટેક્ચર વિકસાવ્યું. આ આર્કિટેક્ચરમાં જન્મ, જાતિ, ધર્મ, લિંગ વગેરે મુદ્દે ભેદભાવ કરવો તે પોતે માત્ર અનૈતિક જ નહીં પણ સામાજિક દૃષ્ટિએ અન્યાયકારી પણ છે એમ લોકમતમાં પ્રવેશ્યું. આ પ્રકારના વિચાર-પ્રવાહોમાં ૧૭૮૯ની ફ્રૅન્ચ ક્રાંતિ અને વિદાય લઈ રહેલી રાજાશાહી-સામંતશાહીનો પણ મોટો ફાળો હતો.

અમેરિકાથી રશિયા સુધી આ સાંસ્કૃતિક પરિવર્તનના પ્રવાહો ફરી વળ્યા, ત્યારે ભારત ક્યાં હતું?

મહંમદ ગઝની(૯૭૧-૧૦૩૦)ની ભારત ઉપર કુલ સત્તર ચઢાઈઓ થઈ. મથુરા અને કનોજ ઉપર (૧૦૧૩-૧૫) અને સોમનાથ ઉપર (૧૦૨૫-૨૬) તે લૂંટના ઇરાદાથી આવ્યો. આ આક્રમણખોર લૂંટારાને ગઝની(અફઘાનિસ્તાન)થી મથુરા કે સોમનાથ સુધી, લાવ-લશ્કર સાથે આવવા-જવામાં ખાસ વિરોધ ન થયો. ભારતીય સમાજ અને સંસ્કૃતિ વિશે વિચારવાયોગ્ય બે મુદ્દા અહીં ઊભા થાય છે. એક ગઝનથી મથુરા કે સોમનાથ સુધી હુમલા કરીને લૂંટ ચલાવનારની સામે ખાસ લડાઈ કેમ ન થઈ? રસ્તામાં આવતા અનેક રાજાઓએ આવા લૂંટારાને હેમખેમ જવા કેમ દીધો? બે, સોમનાથના અને હવે જાણીએ છીએ તેમ પદ્મનાભના મંદિરમાં આટલી અઢળક સંપત્તિ આવી તેનું મૂળ શેમાં હતું? આ સંપત્તિ ભક્તોએ ‘ન્યોછાવર’ રૂપે આપી એમ કહેવાથી વાતનો પૂરતો ખુલાસો થતો નથી. તે સમયના સામંતયુગી સમાજમાં કરોડો ગરીબો અને વંચિતો પાસેથી સામાજિક અને આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે શોષણ કરીને એકઠી કરાયેલી આ સંપત્તિ હતી. મંદિરો, કિલ્લા, મહેલો અને પછીથી મસ્જિદો બની તે આ આર્થિક વ્યવસ્થા દ્વારા ખેંચી જવાયેલી સંપત્તિનો પરિપાક છે. સોમનાથ કે મથુરા ઉપરના અગિયારમી સદીના આક્રમણ પછી, બીજાં સાતસો વર્ષે પણ આ દેશ જાગ્યો ન હતો. ૧૭૫૭ના યુદ્ધમાં મુઠ્ઠીભર અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યો. તે દર્શાવે છે કે આપણે, આપણી ઉપર કોણ, શા માટે અને કેટલા સમય સુધી રાજ કરે છે, તે બાબતે સાવ તટસ્થ છીએ. નોંધવા જેવું છે કે આ જ યુરોપિયન સત્તાઓએ આફ્રિકાના દેશો ઉપર પણ આધિપત્ય જમાવવા પ્રયાસ કર્યો, પણ તેની સામે સ્થાનિકો લડ્યા અને આ ગોરાંઓને ભગાડી મૂક્યા.

આ ટૂંક ચર્ચા ઉપરથી એક તરફ ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક સર્વોપરિતા કે તથાકથિત મહાનતા સામે પ્રશ્ન ઊભો થાય છે તો બીજી તરફ દેશના વંચિતો અને બાકીના સમાજની સામંતશાહી વ્યવસ્થા તરફ પણ અંગુલિનિર્દેશ થાય છે, આથી ‘ભારત એક વિચાર’ તરીકે વધુ મૂલાગ્ર તપાસના ફોકસમાં આવી જાય છે. વેદ-ઉપનિષદ, વિવિધ ધર્મો અને આટલી બધી વિવિધતાના સંદર્ભે આ દેશના દલિતો અને વંચિતો ક્યાં છે? આ દલિતો-વંચિતોની ઇતિહાસ-નિમજ્જ સ્થિતિ, આધુનિક મૂડીવાદ તથા ટેક્‌નોલૉજીગ્રસ્ત બની રહેલા ભાવિમાં આ વર્ગ કેવા આયામોમાંથી ગુજરશે?

સમગ્ર વિશ્વમાં આજની એકવીસમી સદીમાં પણ માત્ર ભારતના હિંદુ ધર્મમાં જ જાતિભેદ છે. વિનોબાએ કહેલું તેમ ‘જો કભી જાતી હી નહીં વહ જાતિ હૈ’. અરુંધતી રૉય કહે છે તેમ (આંબેડકર યુનિવર્સિટી, મરાઠાવાડ, ઔરંગાબાદનું યુ-ટ્યૂબનું પ્રવચન). ભારતમાં ૧૯૮૯માં બે તાળાં ખૂલ્યાં. એક બાબરી મસ્જિદ, રામમંદિરનું અને બીજું આર્થિક ક્ષેત્રે નવ્ય મૂડીવાદનું. પ્રથમ તાળું હિંદુ ફન્ડામેન્ટાલિઝમનું તો બીજું માર્કેટ ફંડામેન્ટાલિઝમનું. ઉદ્યોગ-વ્યવસાયોનું ખાનગીકરણ થવા માંડ્યું અને તે સાથે જ દલિતવંચિત સમૂહો માટેનો પૉઝિટિવ ડિસ્ક્રીમિનેશન(વિધાયક ભેદભાવ)ની પ્રક્રિયાનો અંત આણવાની શરૂઆત થઈ. હિંદુત્વ કે રાષ્ટ્રવાદ જેવા શબ્દોનાં તાત્પર્યો જ બદલાવા માંડ્યા. હવે હિંદુત્વ એટલે સવર્ણ હિંદુઓનો પરંપરિત ધર્મ અને રાષ્ટ્રવાદ એટલે આવા હિંદુઓના શાસનના આગ્રહો.

હિંદુત્વ અને નવો મૂડીવાદ એકઠાં કરીને ચલાવાતી સરકારમાં આ દલિત-વંચિત સમાજની જે સ્થિતિ કરાઈ છે, તે તેના કાર્યાન્વિત સ્વરૂપને છતું કરે છે. ઊનાકાંડ તેનું ઉદાહરણ છે. આ ઉપરાંત, દલિત મૂછો રાખે કે જાહેરમાં તેને મરડે, ઘોડા ઉપર સવારી કરે, સવર્ણોની જીહજૂરી કે ગુલામી ના કરે કે પછી અન્યોને સમકક્ષ ઊંચું જીવન જીવે, તે સવર્ણોને અનુકૂળ નથી. તેમને મારવા, લજ્જિત કરવા, મારી નાંખવા કે આર્થિક દૃષ્ટિએ પાયમાલ કરવા તે આ એકવીસમી સદીમાં પણ સવર્ણોએ જાતે સ્વીકારી લીધેલી જવાબદારી છે!

આધુનિક મૂડીવાદ એકંદરે રાજ્ય સાથે અને ભારત જેવા દેશોમાં ધર્મની સાથે પણ, મેળાપીપણામાં ચાલે છે. હિંદુત્વની પકડ જમાવી રાખવા વાસ્તે તે રામરાજ્ય કે રાજ્યધર્મ જેવાં કલ્પનોનો પ્રયોગ તો કરે છે, પરંતુ વાસ્તવમાં શોષણ, શાશ્વત સત્તા અને આર્થિક સામ્રાજ્યની નવી ને નવી દિશાઓ ખોલી આપે છે. અમેરિકા જેવા દેશોમાં પણ અતિ જમણેરી એવા ટ્રમ્પના સામ્રાજ્યમાં સામાન્ય અમેરિકનના દુઃખમાં વધારો જ થયો છે. પણ ભારત જેવા દેશમાં તો ભયાનકતા જ સર્જાવા માંડી છે.

એક ઉદાહરણ જુઓઃ તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પટાવાળાની થોડીક જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી. લગભગ ૯૦,૦૦૦ અરજીઓ આવી; આ પૈકી ૫૦,૦૦૦ સ્નાતક, ૨૮,૦૦૦ અનુસ્નાતક અને ૪,૦૦૦ પીએચ.ડી થયેલા હતા! આ સમસ્યા માત્ર બેકારીના મુદ્દે સીમિત થઈને રહી જતી નથી, આટલું ભણનારાની જાતિ કઈ હશે, તે પૈકી કઈ જાતિવાળાને નોકરી મળશે, આવા પ્રશ્નો પણ વિચારવા રહ્યા. સવાલ ગંભીર બને છે, કારણ કે ખાનગી ક્ષેત્રમાં અનામતની પ્રથા નથી, એટલે કે ૧૯૮૯માં બાબરી મસ્જિદ અને વૈશ્વિક મૂડીવાદ એમ બેના તાળાં ખોલ્યાં તે બંને દલિત-વંચિતને વધુ બરબાદ કરનારાં નીવડ્યાં છે.

બિહાર રાજ્યની ચૂંટણી(૨૦૧૫)ના અરસામાં આર.એસ.એસ.ના વડાએ અનામતના મુદ્દે ‘ફેરવિચાર’ની જરૂરત દર્શાવી હતી. તેની થોડીક અસર પડી અને એન.ડી.એ.ની થોડીક બેઠકો ઘટી. પણ પછીથી અનામત હટાવવાના મુદ્દે જે બન્યું, તે પણ લક્ષમાં લેવા જેવું છે. એક તરફ ‘સવર્ણ’ અનામત દાખલ કરીને વાસ્તવમાં અનામત દૂર કરી દેવાઈ છે. ‘દૂધમાં એટલું પાણી ઉમેરો કે દૂધ રહે જ નહીં’ એ બાબતને ચરિતાર્થ કરે, તેવો આ કીમિયો છે. હિંદુત્વવાદી રાજકારણે આધુનિક મૂડીવાદના વાતાવરણમાં આ કીમિયો કર્યો છે.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ અનામતને નેસ્ત નાબૂદ કરવા વાસ્તે યુ.જી.સી. તરફથી બસો પૉઇન્ટ રોસ્ટરની પ્રથા હટાવીને તેર પૉઇન્ટ રોસ્ટરની પ્રથા દાખલ કરવામાં આવી છે. આ પ્રથાના કારણે હવે ડિપાર્ટમેન્ટ પ્રમાણે અનામતની જોગવાઈ કરવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, પણ આખી યુનિવર્સિટીનો કુલ સરવાળો મોટો હોય; આથી આખરે કોઈ જ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી વેળાએ અનામત કૅટેગરીમાંથી કોઈ જ ભરતી કરવાની રહેતી નથી. એટલે હવેથી ‘સવર્ણ’ અનામતના કારસાથી તેમ જ યુ.જી.સી.નાં નવી રોસ્ટર પ્રવૃત્તિને કારણે, ૨૦૧૫ની બિહારની ચૂંટણી વેળાએ આર.એસ.એસે. જે કહ્યું હતું. તે પાર પાડવામાં આવી રહ્યું છે.

આ પ્રકારની નીતિઓને વધુ વ્યાપક સ્વરૂપે અને આઇડિયા ઑફ ઇન્ડિયા સાથે જોડીશું, તો આવનારાં વર્ષોમાં અતિ ભયંકર બનનારા ચિત્રની રૂપરેખા ઊતરતી જણાશે. આ ચિત્રના રેખાંકનનાં બિંદુઓ આ પ્રમાણે વિચારી શકાયાંઃ

(૧) આવનારાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ ને વધુ વ્યાપક બનશે. આથી, માણસની રોજી છીનવાઈ જ જશે.

(૨) ભારતીય અને હિંદુત્વવાદી સમાજે જાતિભેદ કરીને દલિતોને પગ નીચે કચડી નાખ્યા છે. ૧૯૫૦થી ૧૯૮૯ દરમિયાન અનામતની નીતિના ફાયદા મળવાથી ઘણા દલિતો જીવનની મુખ્ય ધારામાં પ્રવેશી શક્યા. હવે તે માર્ગ બંધ થાય છે.

(૩) ભારતની કૉર્પોરેટ દુનિયા લગભગ સંપૂર્ણપણે હિંદુ સવર્ણોના હાથમાં છે. આ કૉર્પોરેટ દુનિયાના લાભાર્થે રાજ્ય પેરવીઓ કરતું રહે છે. તેમાં દલિતો માટે ભાગ્યે જ કોઈ સ્પેસ બચે.

આ સંજોગોમાં ડૉ. આંબેડકરનાં લખાણો, વિચારો અને તત્ત્વદર્શનનો વધુ ઘનિષ્ટ અને હેતુપૂર્ણ અભ્યાસ થાય તે જરૂરી ગણાય.

[સંપાદક, “અભિદૃષ્ટિ”]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 02-04

Loading

હું ગરીબ છું પછાત વર્ગમાંથી આવું છું એવાં રોદણાં શું કામ રડવા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2019

દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્‌ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.

ભારતીય રાજકારણમાં પહેલી પેઢીના નેતાઓમાંથી બહુ ઓછા નેતાઓને જાહેરજીવનમાં રાજમાર્ગ મળ્યો હતો, પછી તેઓ સવર્ણ પરિવારમાંથી આવતા હોય કે અવર્ણ અથવા આદિવાસી. લાલ બહાદુર શાસ્ત્રીનો દાખલો જાણીતો છે. તેઓ બ્રાહ્મણ હતા અને છતાં ગરીબીનો સામનો કરીને પોતા માટે જગ્યા બનાવી હતી. રામનગરથી બનારસ ભણવા જતા કેટલીક વાર ગંગા તરીને જવું પડતું. તેમણે ગરીબાઈનાં રોદણાં ક્યારે ય રડ્યાં નહોતાં. વલ્લભભાઈ પટેલ તેમની આગળની સો પેઢીમાં કોઈ ભણ્યું નહોતું એવા ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. કામરાજ નાદર ગરીબ અને પછાત પરિવારમાંથી આવતા હતા અને સાવ અશિક્ષિત હતા, પણ તેમણે પાટુ મારીને પોતાના માટે જગ્યા બનાવી હતી. તેઓ કૉન્ગ્રેસના પ્રમુખ હતા અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા. આપણે એ.પી.જે. અબ્દુલ કલામ માટે શા માટે ગર્વ લઈએ છીએ? સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત પરિવારમાંથી આવતા કલામે સંઘર્ષ કરીને સ્વબળે પોતાની જગ્યા બનાવી હતી અને છેક ભારતના રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. અહીં જે નામ ગણાવ્યાં છે એ તો માત્ર નમૂનારૂપ છે, બાકી ભારતમાં સેંકડો નેતાઓ ગરીબ અને પછાત પરિવારમાંથી આવ્યા છે અને તેમણે પોતાની જગ્યા બનાવી છે. એમાંના કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું યાદ નથી. મને તો એવો એક પણ દાખલો નજરે ચડતો નથી. તમે યાદ કરી જુઓ, તમને કોઈ યાદ આવે છે? 

એમાં વળી સ્ત્રીઓને તો પુરુષો કરતાં ઘણો વધુ સંઘર્ષ કરવો પડ્યો છે અને હજુ આજે પણ કરે છે, પછી ભલે તે સવર્ણ પરિવારમાંથી આવતી હોય. ૧૯મી સદીમાં જે સ્ત્રીઓએ સતી, વિધવાવિહાહ અને બીજા કુરિવાજો સામે સંઘર્ષ કર્યો છે એ બધી સવર્ણ પરિવારોની સ્ત્રીઓ હતી. ડૉ. આનંદીબાઈ જોશી, ડો. રખમાબાઈ, હરકોરબે’ન વગેરે સવર્ણ હોવા છતાં પણ સંઘર્ષ કરીને આગળ આવી હતી અથવા બીજી સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની હતી. ભણવાના અધિકાર માટે પણ તેમણે લડત આપવી પડી હતી. કોઈએ તેમના માર્ગમાં લાલ જાજમ નહોતી બિછાવી. તેમના પિતા, ભાઈઓ કે પતિએ પણ નહીં, બલકે તેમના માર્ગમાં અવરોધ પેદા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બીજી અનેક મૂંગી પણ વીરતાભરી દાસ્તાનો છે જેના વિષે આપણે કાંઈ જાણતા પણ નથી. સાવિત્રીબાઈ ફૂલેના નામથી તમે પરિચિત હશો, પણ શાંતાબાઈ દાણીનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. શાંતાબાઈ દાણીએ નાસિકમાં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તેનું નેતૃત્વ કર્યું હતું. આવી બીજી અનેક દલિત અને આદિવાસી સ્ત્રીઓ છે જેના સંઘર્ષથી આપણે પરિચિત પણ નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એમાં ગરીબ અને અભણ ગિરમીટિયા સ્ત્રીઓ મોખરે હતી. ટૂંકમાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવવી પડી છે, પછી સમાજ સવર્ણ હોય કે અવર્ણ.

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. ભારતના કેટલાક ઇતિહાસકારોના ધ્યાનમાં આવ્યું હતું કે દેશમાં અન્યાય સામેની તેમ જ દરેક પ્રકારની મુક્તિ માટેની લડતનો ઇતિહાસ જે રીતે લખવામાં આવી રહ્યો છે એમાં જે પ્રજા હાંશિયામાં છે તેની લડતની વાત જ આવતી નથી.  કેટલાક લોકોનાં નાનકડાં યોગદાનો અને પ્રમાણમાં મામૂલી સંઘર્ષોની દાસ્તાનો રોચક રીતે કહેવામાં આવી છે. જેમણે આઝાદીની લડતમાં કોઈ ભાગ લીધો નહોતો અને માફી માગીને જેલમાંથી છૂટ્યા હતા એ સ્વાતંત્ર્યવીર તરીખે ઓળખાય છે અને જેમણે મોટા સંઘર્ષ કર્યા અને વિદ્રોહ કર્યા એના વિષે કોઈ બોલતું જ નથી. તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવે છે. તેમણે દલિત, આદિવાસી, ભટકતી કોમો, ગુનેગાર જાહેર કરાઈ છે એવી કોમો, દેવાદાસીઓ અને તેમના જેવી બીજી સ્ત્રીઓ વગેરેનાં સંઘર્ષની ઘટનાઓ એકઠી કરી હતી. એવી કેટલી ઘટનાઓ હશે, કલ્પના કરી જુઓ તો? એક બે નહીં, વીસ ખંડમાં નાના લોકોના સંઘર્ષની દાસ્તાનો સંગ્રહાયેલી છે. એ વીસ ખંડ તપાસી જુઓ, એમાં કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું જોવા નહીં મળે.

તો વાતનો સાર એટલો જ કે ભારતમાં પહેલી પેઢીના નેતાઓમાં મુઠ્ઠીભર નેતાઓ એવા હશે જે મોમાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા અને આગળ વધવા માટે રાજમાર્ગ મળ્યો હતો; બાકીના દરેકે સંઘર્ષ કર્યો છે અને પોતાની જગ્યા બનાવી છે. ખાતરી કરવી હોય તો જુદા જુદા વર્ગના નેતાઓએ લખેલી આત્મકથાઓ કે સંસ્મરણો જોઈ જાઓ. તમને પ્રમાણ મળી રહેશે. જે સ્થિતિ રાજકારણની છે એવી જ અન્ય ક્ષેત્રોની છે. અનેક લોકોએ સંઘર્ષ કરીને સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળાજગતમાં અને અન્ય ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. તેમના માટે પણ કોઈ રાજમાર્ગ નહોતો, બલકે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક પૂર્વગ્રહોના અવરોધો હતા. 

એનો અર્થ એવો નથી કે આંસુ સારનારાઓ અને કાખલી કૂટનારા લોકો જે તે સમાજમાં ત્યારે પેદા નહોતા થયા કે આજે નથી થતા. એવા લોકોને તેમના જ સમાજના લોકોએ હસી કાઢ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે’ વગેરે રોદણાં રડવાની જગ્યાએ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને એમાં પણ પછાત વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ તરફ એક નજર કરવી જોઈએ અને તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ કરે કે ન કરે, આપણે વંચિત લડવૈયાઓને પ્રણામ કરવા જોઈએ.

15 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2019

Loading

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|16 May 2019

હૈયાને દરબાર

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા … સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ. ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું … જેટલું એ પ્રચલિત નથી, પરંતુ ચૂકાય એવું પણ નથી. એમાં ય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચો ય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં, પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારે ય થયો ન હતો. ૪૫ ડિગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શિથિલ થઇ જાય. દેશભરમાં આ હિટવેવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારે ય કવિની કલમ અટકતી નથી. કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી. કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે, પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય …! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે, પરંતુ વાત છે અહીં વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, "લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંત:કરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યૂટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે:

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે. એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, "બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પના ય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.

વ્યવસાયે એડ્વોકેટ, પરંતુ સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, "ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષ ૨૦૧૧માં ‘પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉમાશંકર જોશીનું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ધીમે ધીમે કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ‘લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ‘ધીમે ધીમે’ તાર સપ્તકના ષડ્જથી સ્વરસંગતિ કરે છે. ‘વા અને ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. "ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબદ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે, પરંતુ ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગેરંટી. ઉ

———————

લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …
                                    લૂ, જરી તું ……
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં …
                                    લૂ, જરી તું ……
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય.

• કવિ : ઉમાશંકર જોશી  • સંગીતકાર : અમર ભટ્ટ  • ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

https://www.youtube.com/watch?v=0npAWbFMHkM

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507129   

Loading

...102030...2,9042,9052,9062,907...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved