Opinion Magazine
Number of visits: 9578160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે? રમેશ ઓઝા

રમેશ ઓઝા|Opinion - Opinion|18 December 2018

ગઈકાલે જોયું એમ સર્વોચ્ચ અદાલતે રાફેલના સોદાની તપાસ કરવામાં આવે એવી અરજી ફગાવી દેતાં દલીલ કરી હતી કે સોદાના ભાવતાલ અંગેની ચકાસણી કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ(કૅગ)એ કરી છે, કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિએ ચકાસ્યો છે અને તેની સુધારેલી આવૃત્તિ સંસદમાં રજૂ કરવામાં આવી છે, એટલે સોદાની આખી પ્રક્રિયા લોકો જોઈ – ચકાસી શકે એવી ખુલ્લી છે. જે ઉઘાડું છે એની તપાસ શું કરવાની? ચુકાદો આવ્યો એ જ દિવસે રાહુલ ગાંધીએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને પત્રકારો સમક્ષ ઉપસ્થિત કરીને જૂઠનો ભાંડો ફોડી નાખ્યો. સપડાઈ ગયેલી સરકારે તરત જ સર્વોચ્ચ અદાલતમાં જઇને કહ્યું કે બંધ પરબીડિયામાં આપવામાં આવેલી વિગતો ખોટી રીતે સમજવામાં આવી છે અને એને આ રીતે વાંચવી જોઈએ, વગેરે વગેરે.

પહેલી વાત તો એ કે આ બંધ પરબીડિયાનું નોનસેન્સ બંધ થવું જોઈએ. ન્યાય થવો પણ જોઈએ અને ન્યાય થતો નજરે પડવો પણ જોઈએ એમ ન્યાયશાસ્ત્ર કહે છે. એટલે તો ઓપન કૉર્ટ એવો શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે. તમે ઈચ્છો તો દેશની કોઈ પણ અદાલતમાં બેસી શકો છો અને ન્યાયની પ્રક્રિયા નિહાળી શકો છો. તમને એની પણ જાણ હશે કે જ્યારે બંધ કમરામાં (ઇન કેમેરા) સુનાવણી જરૂરી લાગતી હોય ત્યારે ખાસ પરવાનગી લેવી પડતી હોય છે અને એવી પરવાનગી સ્ત્રી સાથે કરવામાં આવેલા બળાત્કાર જેવા અપવાદરૂપ ખટલામાં આપવામાં આવે છે. એ પણ કોઈ અંગત કુટુંબીએ કર્યો હોય ત્યારે, બહારની કોઈ વ્યક્તિએ કર્યો હોય તો નહીં.

આજકાલ કારણ વિના બંધ પરબીડિયાનું નોનસેન્સ વધી રહ્યું છે. રાફેલ સોદાની વિગતો સર્વોચ્ચ અદાલતે પોતે બંધ પરબીડિયામાં માગી હતી, કારણ કે સંરક્ષણ જેવી સંવેદનશીલ બાબત તેની સાથે સંકળાયેલી છે. સર્વોચ્ચ અદાલતની સંરક્ષણ અંગેની ચિંતા આપણે ઘડીભર સ્વીકારી પણ લઈએ, પરંતુ બૅન્કોને નવડાવી નાખનારાઓની યાદીનું બંધ પરબીડિયું શું કામ ખોલવામાં નથી આવતું? ડૉ. રઘુરામ રાજન રિઝર્વ બેન્કના ગવર્નર હતા, ત્યારથી પરબીડિયું સર્વોચ્ચ અદાલતમાં પડ્યું છે અને બંધનું બંધ છે. એ શા માટે ખોલવામાં નથી આવતું? એમાં  દેશની રક્ષાનો તો કોઈ તકાદો નથી! આઠ વરસ પહેલાં સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે ભ્રષ્ટ ન્યાયાધીશોની એક યાદી બંધ પરબીડિયામાં સર્વોચ્ચ અદાલતને આપી હતી. એ પરબીડિયું પણ હજુ સુધી બંધ છે. 

જો સર્વોચ્ચ અદાલતે બંધ પરબીડિયાની વિગતો અરજકર્તાઓને આપી હોત, તો સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠા ન ઝંખવાઈ હોત. અદાલત કહે છે એમ સરકારી દાવા મુજબ ખુલ્લી વિગતો જ ખુલ્લી કરવાની હતી, કોઈ ગોપિત રહસ્યો તો આપવાનાં નહોતાં. પણ મામલો જેવો દેખાય છે એવો સરળ નથી. અદાલતના ચુકાદામાં અસંખ્ય વિરોધાભાસો છે. અસંખ્ય એટલે અસંખ્ય. એટલે તો કોલકત્તાના ‘ધિ ટેલીગ્રાફ’ નામના અંગ્રેજી અખબારે તેના શનિવારના અંકમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અહેવાલનું મથાળું આપવાની જગ્યાએ સાત કૉલમમાં નવ પ્રશ્ન-ચિહ્ન મૂક્યાં છે. એક પણ શબ્દ નહીં, માત્ર પ્રશ્ન-ચિહ્ન. સર્વોચ્ચ અદાલતે ચુકાદો નથી આપ્યો, પ્રશ્નો પેદા કર્યા છે અને છે એને ગૂંચવ્યા છે.

અદાલતે બંધ પરબીડિયાનો આશરો લઈને કહ્યું છે કે બધું ઉઘાડું છે એટલે તપાસ કરવાની જરૂર નથી. અદાલતે બીજી જગ્યાએ કહ્યું છે કે અમે (જજોએ) નક્કી કરવામાં આવેલા ભાવ-તાલની ઝીણવટભરી તપાસ કરી છે અને બધું બરોબર છે. અદાલતે વળી ત્રીજી જગ્યાએ કહ્યું છે કે ડિફેન્સ ટેકનોલોજી, ઈક્વિપમેન્ટ્સ અને તેના ભાવની વિગતો એટલી ટેકનિકલ હોય છે કે તેની ચકાસણી કરવાની સજ્જતા અદાલત ધરાવતી નથી. અદાલતે ચોથી જગ્યાએ કહ્યું છે કે આપણા દુશ્મન પાડોશી દેશો પાસે ફોર્થ જનરેશન લડાકુ વિમાનો છે એટલે આપણે સજ્જ બનવું જ રહ્યું અને માટે વિઘ્નો નાખવાનાં ન હોય. અદાલતે પાંચમી જગ્યાએ ઍર ફોર્સના અધિકારીઓની જુબાની નોંધીને લડાકુ વિમાન મેળવવામાં ઘણો વિલંબ થયો છે એની નોંધ લીધી છે, પરંતુ ભારત ફોર એન્ડ એ હાફ જનરેશન સુખોઈ વિમાન ધરાવે છે એવી જુબાનીની નોંધ નથી લીધી. બાય ધ વે, આ વિમાનો હિન્દુસ્તાન ઍરોનોટિક લિમિટેડ બનાવે છે.

અદાલતે છઠ્ઠી જગ્યાએ સરકારનો અને રાફેલ વિમાન બનાવનારી કંપનીનો દાવો પડકાર્યા વિના કબૂલ રાખ્યો છે કે ૨૦૧૫માં રિલાયન્સનો અચાનક પ્રવેશ નથી થયો, પરંતુ ૨૦૧૨થી ડૅસ્સોલ્ટ અને રિલાયન્સ વચ્ચે ભાગીદારી છે. અચ્છા? એ કઈ રીતે? તો કે ડૅસ્સોલ્ટની મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ૨૦૧૨થી વ્યાવસાયિક ભાગીદારી છે અને અનિલ અંબાણીની કંપની તેની સબસિડિયરી કંપની છે. બે ભાઈઓ વચ્ચે ખાસ અંગત સંબંધ નથી ત્યાં વ્યાવસાયિક સંબંધ તો દૂરની વાત છે એ ભારતમાં નાનું છોકરું જાણે છે, પરંતુ અદાલતને જાણ નથી. બીજું મૂકેશ અંબાણીની કંપની અઢળક કમાય છે જ્યારે અનિલ અંબાણી દેવાદાર છે. ટૂંકમાં ઘઉં, કાંકરા અને ઈયળ એમ બધું જ આ ચુકાદામાં છે. સાતમી જગ્યાએ અદાલતે અરજદારોના વારંવારના આગ્રહ છતાં ભૂતપૂર્વ ફ્રેંચ પ્રમુખ હોલાંડેના નિવેદનને લક્ષમાં લીધું નથી અને આઠમી જગ્યાએ ફ્રેંચ સરકારની સોદામાં વળતી ગેરંટીના અભાવને પણ લક્ષમાં લીધો નથી. આગલા સોદામાં ફ્રેંચ સરકાર ગેરંટર હતી જે રિલાયન્સવાળા સોદામાં નથી. આ બધા ઉલ્લેખો ઉડાઉ પ્રકારના છે.

આ તો થોડા નમૂના માત્ર છે. આવાં વીસ કરતાં વધુ બાકોરાં છે.

એમ લાગે છે કે અદાલતે બહુ તર્કનો ઉપયોગ કર્યો નથી. નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવો ચુકાદો છે. જો ટેકનિકલ વિગતો બહુ સમજાતી ન હોય તો ઍમિકસ ક્યુરીની એટલે કે જાણકાર વ્યક્તિની મદદ લેવાની કાયદામાં જોગવાઈ છે. જજોને આ જગતના દરેક પ્રશ્નો સમજાતા હોય એવું જરૂરી નથી, પરંતુ ખટલા દરેક પ્રકારના આવતા હોય છે અને અદાલતે સાંભળવા પડતા હોય છે. ટેકનીનિકલ બાબત છે અથવા દેશના સંરક્ષણનો મામલો છે એમ કહીને અદાલત હાથ ઊંચા ન કરી શકે. એક શક્યતા એવી પણ છે કે અદાલત દબાવતંત્રનો શિકાર બની હોય. વર્તમાન સરકાર દરેક લોકતાંત્રિક સંસ્થાને દબાવવા દબાવતંત્રનો ઉપયોગ કરે છે.

ખેર હવે શું? ઉત્તમ એ છે કે સર્વોચ્ચ અદાલત પોતાના ચુકાદાને સામે ચાલીને રિવ્યુ કરે. મોકો પણ છે, કારણ કે કેન્દ્ર સરકારે બંધ પરબીડિયામાં ખોટી રજૂઆત કરી હતી. બીજો માર્ગ અરજદારો રિવ્યુ પિટિશન કરે જે પાંચ જજોની ખંડપીઠ સાંભળે. ત્રણ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિઓ ઉપરાંત નવા બે. અદાલત આમાંથી કયો રસ્તો અપનાવે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ વિદેશથી પાછા ફરશે એ પછી જાણ થશે. અરુણ શૌરીએ કહ્યું છે કે જજની અદાલતમાં જ્યારે ખટલો ચાલતો હોય છે ત્યારે જજની ન્યાયનિષ્ઠા વિષે પણ સમાંતરે ખટલો ચાલતો હોય છે અને એમાં જજે ખરા ઊતરવું પડતું હોય છે. 

બીજી બાજુ કેન્દ્ર સરકાર જો સતી સાવિત્રી જેવી પવિત્ર હોય તો રાફેલની તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિ રચવી જોઈએ. બોફોર્સ સોદાની તપાસ કરવા માટે રાજીવ ગાંધીની સરકારે રચી હતી. જી હાં, ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2018

Loading

NDTV-ના પ્રણય રૉયને રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપેલા ઉત્તરોથી દેશના વર્તમાનનું જે ચિત્ર ઊપસે છે, તે ખૂબ ધ્યાનપાત્ર છે

સુમન શાહ|Opinion - Opinion|18 December 2018

માનો કે ન માનો ચૂંટણીઓનો મહિમા છે અને છે

ચૂંટણીઓથી ત્રણ હેતુઓ પાર પડે છે

૧૫ ડિસેમ્બરના લેખમાં મેં કહેલું કે સામાન્યજનની કારકિર્દીમાં એ અવસર આવતો જ નથી કે એ રાજકારણવિષયક અધ્યયનો કે સંશોધનો સુધી પ્હૉંચે. એ સંદર્ભમાં એક વાચકે મને લખ્યું કે એવું કોઇ તાજેતરમાં પ્રકાશિત અધ્યયન છે કે કેમ; હોય તો મને સૂચવો.

મેં એને કહ્યું કે મારા મતે NDTV-ના પ્રણય રૉયને રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપેલા ઉત્તરો એ પ્રકારના અધ્યયનનું ફળ છે. એમાંની કેટલીક બહુ જરૂરી વાતો હું ખાસ તમારા માટે મારા આગામી લેખમાં લખીશ, તમે વાંચી શકશો.

એમાંની કેટલીક બહુ જરૂરી વાતો સાદી રીતના સાર રૂપે મારા શબ્દોમાં આ પ્રમાણે છે :

રઘુરામે કહ્યું કે ભારતના વર્તમાન અર્થતન્ત્ર સામે અનેક પડકારો છે જેને નિસબતપૂર્વક સમજવા જરૂરી છે. ત્રણ મોટા પ્રશ્નો છે : ખેતી સંદર્ભે પ્રગટેલી પીડા-યાતના. પાવર સૅક્ટરમાં શરૂ થયેલો મંદવાડ. અને, બૅન્કિન્ગ સિસ્ટમમાં જોવા મળેલી મુશ્કેલીઓ. એમણે જણાવ્યું કે : સંસ્થાઓમાં સરકારની દખલગીરીને લીધે ગ્લોબલ અને ડોમેસ્ટિક ઈન્વેસ્ટમૅન્ટ પર – નિવેશ, થાપણો કે મૂડીરોકાણ પર – અસરો પડી શકે છે. માત્ર દેશના જ નહીં પણ વિદેશી થાપણકારોને પણ વિશ્વાસ પડવો જોઇએ કે કાયદાકાનૂન સચવાયા છે અને દેશ ઠીક પ્રકારે વિકાસોન્મુખ છે : આ વર્ષે વિકાસ વૈશ્વિક સ્તરે ધીમો પડી રહ્યો છે અને બને કે આવતા વર્ષે પણ ધીમો જ રહે : નોટબંધી વિશે ચોખ્ખી છાપ એ છે કે એણે આપણા વિકાસને અસર પ્હૉંચાડી છે. દુનિયા ફાસ્ટ સ્પીડે વિકાસ કરતી’તી પણ આપણે ધીમા પડી ગયા : GST-થી લાંબા ગાળે ફાયદો થઇ શકે છે, હાલ તો એની પ્રારમ્ભકાલીન તકલીફો છે – ટ્રીથિન્ગ પ્રૉબ્લેમ્સ : ભારતીય અને વિદેશી નિષ્ણાતોની એક સ્વતન્ત્ર સંસ્થાની જરૂર છે જે GDP – માપનની સમગ્ર પ્રક્રિયાની જાંચપડતાલ કરી શકે : ગામડાંના લોકો માટે ઢોરઢાંખર ઘરડાં થાય ત્યારે એમનું શું કરવું એ મહા પ્રશ્ન થઇ પડે છે. ગાયોના જતનપૂર્વકના સ્વાસ્થ્ય બાબતે કંઇક ઉપાય યોજીશું તો ગાયને માટે કંઇક કર્યું કહેવાશે. એ રીતે અને વધુ ને વધુ ગૌશાળાઓ ખોલીને ગાયોની કતલ પરના પ્રતિબન્ધને સંતુલિત કરી શકાય : કૃષિને ઉદ્યોગ ગણવાને બદલે વિકાસયન્ત્ર ગણવાની જરૂર છે – ગ્રોથ ઍન્જિન : બેરોજગારી ઘણો ગમ્ભીર મુદ્દો છે. રેલવેની ૯૦ હજાર નોકરીઓ માટે ૨ કરોડ ૫૦ લાખ લોકો ઍપ્લાય કરે છે ! : અર્થકારણમાં સ્ત્રીઓની ભાગીદારી માટે તકો નથી સરજી શકાઇ…

આ લખતો’તો ત્યારે મને થયું કે સામાન્ય નાગરિક પૂછી શકે કે – આ બધી બાબતો અર્થકારણ વિશે છે, રાજકારણ સાથે એનો શો સમ્બન્ધ? મતદાર પાસે ‘લિમિટેડ કૉગ્નિશન’ હોય છે એમાં આ પણ છે કે દેશની અર્થવ્યવસ્થા વિશે એ અણજાણ હોય છે. માત્ર રાજનેતાઓને જોયા કરે છે. એને રાહુલ કે મોદી અથવા કૉન્ગ્રેસ કે ભા.જ.પ. જેવાં દ્વન્દ્વ સિવાયનું ભાગ્યે જ કશું સૂઝે છે. સંગીન અર્થતન્ત્ર કોઇ પણ શાસનનો કે કોઈ પણ દેશના વિકાસનો પાયો છે. આપણે ઈસ્યુબેઝ્ડ પોલિટિક્સની વાતો કરતા હોઇએ તો, દેખીતું છે કે એમાં દેશના અર્થકારણનો મુદ્દો અગ્રિમ ગણાય.

પણ જુઓ, રઘુરામે રાજકારણ અંગે પણ એક ખૂબ વિચારણીય વાત રજૂ કરી છે : એમણે ઓછો જાણીતો શબ્દ પ્રયોજ્યો, ‘મૅજોરિટેરિયનિઝમ’. ‘મૅજોરિટી’ એટલે બહુમતિ. મૅજોરિટીમાં માનનાર ‘બહુમતિવાદી’. બહુમતિવાદીઓના આગ્રહોમાં માનનારાઓનો વાદ તે મૅજોરિટેરિયનિઝમ. આમ તો, બહુમતિ લોકશાહીનો પ્રાણ ગણાય. પણ રઘુરામ એમ કહે છે કે બહુમતિવાદીઓના આગ્રહને કારણે ભાગલા પડે છે – અમુકોને બાકાત કરી દેવાય છે – અમુકોને અંદર લઈ લેવાય છે. ઍક્સ્ક્લુઝન અને ઈન્ક્લુઝન. એમણે કહ્યું કે ભારતમાં આ ચર્ચા સુલભ છે : હિન્દુ મૅજોરિટેરિયનિઝમ સહજ કૅટેગરી છે. અને એમાંથી બાદ કરાયેલી કૅટેગરીઝ છે, ખ્રિસ્તી અને મુસ્લીમ, જે માઈનોરિટીઝ છે. એને પરિણામે, એક સૅટને સરખો ગ્રથિત કરવાને બદલે, દેશને big warring pieces-માં વહેંચી નાખવાનું બને છે. જૂથો પડી જાય અને એકબીજા સાથે સંઘર્ષ કરતાં થઇ જાય. એમની આ વાતમાં બહુમતિનો વિરોધ નથી પણ બહુમતિવાદીઓના આગ્રહોથી થનારા નુક્સાનનો સંકેત છે.

વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોથી ભા.જ.પ.માં માનનારાઓ ‘દુ:ખી’ થયા ને કૉન્ગ્રેસમાં માનનારા ‘સુખી’ થયા. એ પરિણામોની ભૂમિકાએ ૨૦૧૯ની ચૂંટણીઓ વિશે વરતારા ચાલુ થયા છે અને સંભવ છે કે સાચા પડે. પરન્તુ એ વરતારા વચ્ચે રઘુરામે આપેલા ઉત્તરોથી દેશના વર્તમાનનું જે ચિત્ર ઊપસે છે, મને લાગે છે, તે ખૂબ ધ્યાનપાત્ર છે. રઘુરામ રાજન કેટલા સાચા છે એ તો એ ક્ષેત્રના નિષ્ણાતો કહી શકે. એમના કેટલા અને કયા મુદ્દા કયા પક્ષને કેટલા સ્વીકાર્ય છે એ પણ, ન કહી શકાય. પણ કોઈ પણ ક્ષેત્રના એમની કોટિના વિદ્વાનમાં શ્રદ્ધા તો રાખી જ શકાય. અને એવી વ્યક્તિઓના જ્ઞાનને શક્ય એટલું, આમ, પ્રસરાવી શકાય. અને, મતદારના ‘લિમિટેડ કૉગ્નિશન’-નું જે બીજું કારણ આપણી ચર્ચામાં છે એ લિમિટને એ પ્રકારે ઘટાડી શકાય.

એ મૂળ લેખમાં આપણો છેલ્લો મુદ્દો આ હતો : ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર નીપજાવવામાં કામયાબ નથી નીવડતી. ભલે. તો એ કઇ રીતે સારી છે? એથી બીજા કયા હેતુઓ સિદ્ધ થાય છે?

ચૂંટણીઓ ત્રણ હેતુઓ પાર પાડે છે :

૧ : ચૂટણીઓથી કમ્યુનિટી, સમુદાય, કહો કે, એક અલગ પ્રકારની સામાજિકતા પ્રગટે છે. ચૂંટણીઓ આપણને સહભાગી કેમ બનાય એનો રસ્તો બતાવે છે. સૌ જોડાય છે અને સૌને લાગે છે કે પોતે સૌ સરખા છે. માણસને કશા સમૂહના સાથી થવું હંમેશાં ગમે છે. સૌ આપણને જાણે-સમજે અને એથી આપણો દરજ્જો નક્કી થાય, ગમે છે. અને, મનુષ્ય માટે એ બહુ જરૂરી પણ છે.

૨ : ચૂંટણીઓ આપણને મદદ કરે છે કે આપણે નાગરિક રૂપે નાગરિક સંસ્કૃતિમાં ભાગ લઇ શકીએ. એ સંસ્થાઓમાં જોડાઈ શકીએ. એનો સાર અથવા લાભ એ છે કે એમાં સંભવતી કોઇપણ પ્રવૃત્તિની આપણા વડે જિવાઈ રહેલા જીવન પર અસર પડે છે. ચૂંટણીઓથી આપણે વૅલ-બીઈન્ગ માટે જરૂરી એવી ચાવીરૂપ બાબતો સાથે જોડાઇએ છીએ. હક્કો અને ફરજો બાબતે  સુધારા ઈચ્છીએ કે એને સમુચિત ગણીને ચાલીએ, જે કરીએ એ; સમાજે ઘડેલી એ સંસ્થાઓ જ આપણી નાગરિકતાનો હિસ્સો છે.

૩ : ચૂંટણીઓ વૈયક્તિક અને સામુદાયિક અભિવ્યક્તિનું સાધન છે. અભિવ્યક્તિની સ્વતન્ત્રતા અમેરિકન સંસ્કૃતિ માં વણાઈ ગયેલી વસ્તુ છે. વાણી-સ્વાતન્ત્ર્ય તો આપણે ત્યાં પણ ક્યાં નથી? મુક્ત સમાજનો અર્થ જ એ છે કે માણસને વ્યક્ત થવાની મૉકળાશ હોય. માણસોને જો અંકુશો નીચે જીવવાનું હોય કે અવારનવાર સૅન્સરનો ભોગ બનવું પડતું હોય, તો એનો સમાજ મુક્ત નથી.

માનો કે ન માનો, ચૂંટણીઓનો મહિમા છે અને છે. ચૂંટણીઓ લોકશાહીના જેવું જ ટૅરિબલ મિકેનિઝમ છે જે સાધ્યો કે વચનો વિશે માણસને હંફાવે છે, દોડતા રાખે છે. તેમ છતાં ચૂંટણીઓ મૂલ્યવાન છે, મહત્તાપૂર્ણ છે. ચર્ચિલે એટલે જ કહેલું કે બીજા બધા વિકલ્પો નકામા છે…

= = =

[ચૂંટણીવિષયક કેટલીક વાતો : લેખ-ક્રમાંક : ૩ : તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૮]

આ એન.ડી.ટી.વી.વાળા ઇન્ટરવ્યૂની લિંક :

https://www.ndtv.com/video/exclusive/ndtv-special-ndtv-24×7/majoritarianism-divides-raghuram-rajan-tells-prannoy-roy-501586

 

Loading

આદિવાસીઓના આલ્બર્ટ સ્વાઇત્ઝર : ડૉ. નવનીત ફોજદાર

બકુલા ઘાસવાલા|Samantar Gujarat - Samantar|17 December 2018

પિંડવળ – ધરમપુરમાં વંચિતો માટે સેવાકાર્યની ધૂણી ધખાવીને બેઠેલા એ ચારેચાર કર્મઠો વાસ્તવમાં માનવીય મૂલ્યોને વરનારાં સાચૂકલાં જણ હતાં. ડૉ. નવનીતભાઈ ફોજદાર, કાન્તિભાઈ શાહ, હરિશ્ચંદ્ર બહેનો : કાન્તાબહેન અને હરવિલાસબહેન.

કાન્તિભાઈ શાહ તો “ભૂમિપુત્ર”, પોતાનાં પુસ્તકો અને મનન-ચિંતનના કારણે જાણીતા. ‘એકત્વની આરાધના’ દ્વારા એમણે હરિશ્ચંદ્ર બહેનોનો પરિચય પણ કરાવ્યો. સર્વોદય પરિવાર ટ્રસ્ટનાં અમારાં જેવાં શુભેચ્છકોને ક્યારથી રાહ હતી કે ક્યારેક ડૉ. નવનીતભાઈના પ્રદાનની પણ ગુજરાતને જાણ થાય. જો કે ડૉક્ટર-સાહેબ પોતાની કોઈ કદરદાની કે પ્રશંસાના ક્યારે ય મોહતાજ ન હતા. વાસ્તવમાં એનાથી અળગા જ રહેતા. કામને સમર્પિત, નિર્મોહી, અપરિગ્રહને આત્મસાત્‌ કરનાર, તૃણમૂળ વસનારાં વંચિતોની સમસ્યાને સમજનાર, જિંદગીને ચાહનાર ડૉક્ટર નવનીતભાઈ ફોજદારના જીવન-કવનને સર્વગ્રાહી છતાં સંક્ષિપ્તમાં વર્ણવીને પણ એમને ન્યાય આપનાર વિક્રમભાઈ અને ભદ્રાબહેન તો સાથે પુસ્તિકામાં સરસ, તરલ, પ્રવાહી શૈલીમાં અભિવ્યક્તિ કરનાર મુનિ દવેનો આભાર માનીએ એટલો ઓછો. વિચારવર્તુળ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા ગુજરાતી પ્રજાને મળેલી અનોખી ભેટ છે, તો ડૉક્ટરસાહેબનું સાચું તર્પણ છે.

છેંતાળીસ પાનાંમાં સંકલિત એમની જીવનગાથા આ ક્ષેત્રની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધ-કટિબદ્ધ-સમર્પિત ડૉક્ટર સાહેબ અને એમના સહકર્મીઓએ કરેલા પ્રયાસોની વાત માંડે છે. અમારે તો વલસાડથી ધરમપુર ઢૂંકડું. સાચું કહું તો મને સતત એક પ્રશ્ન થતો જ રહ્યો છે કે આઝાદીનાં સિત્તેર વર્ષ પછી પણ આ વિસ્તાર કેમ ત્યાંનો ત્યાં જ હોય તેવું લાગે છે! રાજારજવાડાં, સર્વોદય કાર્યકર્તાઓ, મિશનરીઓ, હિંદુત્વવાદીઓ, વિકાસશીલ સંસ્થાઓ અને કલ્યાણપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સહિત કેટલા ય લોકો સક્રિય છે. આઝાદી પછી આજપર્યંત સંસદસભ્યની બેઠક આદિવાસી અનામત જ રહી છે. ઉત્તમભાઈ પટેલથી લઈ વર્તમાન રાજકર્તાઓ સહિત સંસદસભ્યો અને ધારાસભ્યોએ સરકાર દ્વારા પણ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. અહીંની પ્રજાએ આદિવાસીઓથી વનવાસી સુધીની યાત્રા કરી લીધા પછીથી પણ હજી કેમ એ જ નિષ્કામ સેવાની જરૂર વર્તાયા કરે છે?

આઝાદ ભારતનો કદાચ પ્રથમ પ્રજાકીય સત્યાગ્રહ પણ ‘પારડી અન્ન ખેડસત્યાગ્રહ’ આ ભૌગોલિક વિસ્તારથી જ થયેલો. તમે ધરમપુર જુઓ તો સમૃદ્ધિની ઝાંખી કરાવતું નગર લાગે. અમાપ કુદરતી સૌંદર્ય વેરાયેલું છતાં મૂળ નિવાસીઓને તો ભારોભાર અભાવ ને રોટી-કપડાં-મકાનનાં વલખાં એ કેવી કુદરતી મજાક! પરંતુ એ જ સત્ય છે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છતાં પણ પાણીની સમસ્યા તો ખરી.

જો કે આજે પણ અહીં કામ કરનારા પ્રશ્નો પૂછ્યા વગર જે કાંઈ કામ થાય તે કર્યા જ કરે છે. પોતે લાખોની કમાણી કરી મહાનગરમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા હોત કે કામ કરતાં કરતાં પોતાની મસમોટી સંસ્થા બનાવી મિલકતો વસાવી લીધી હોત, પરંતુ આ લોકોએ તો ક્યારે ય પણ પોતાની સાદગી અને સ્વીકારેલી નિમ્ન મધ્યમવર્ગીય જીવનશૈલી છોડી નહીં. હજી પણ ખડકીમાં સુજાતા કે ખોબામાં નીલેશ જેવાં કાર્યકર્તા એ જ સાદગીથી રહીને પોતાના ધ્યેયને સમર્પિત રહે છે.

નવનીતભાઈનાં કામનો પરિચય મને જ્યોતીન્દ્ર દેસાઈના કારણે થયેલો, તો કાન્તાબહેન-હરવિલાસબહેનની ઓળખાણ મારી નાનીબહેનનાં કારણે થયેલી. વરસો સુધી અમે ચાદરચારસા, ટુવાલ, નેપકિન્સ અને વસ્ત્રો માટે ખાદી પિંડવળની જ ખરીદતાં. જો કે અમે ખાદીધારી નહીં, પરંતુ અમને ખાદી ગમે અને પિંડવળની પ્રવૃત્તિઓને વેગવંત બનાવી શકાય એટલે. ઝાઝી ગતાગમ તો નહીં કે અહીં કામ કરવું કેટલું કપરું છે, પરંતુ જઈ શકાતું ત્યારે અમે ધરમપુર વિસ્તારમાં મિત્રોને શક્ય તેટલા સહાયભૂત થવાનું તો પસંદ કરતાં જ એટલે આ લોકોનાં કામને પણ જાણીએ.

છતાં આ નાનકડી પુસ્તિકાના કારણે નવેસરથી નવનીતભાઈ અને મંડળીનું જાણવાનું ગમ્યું. નાથાબાપા સાથે એમના સંબંધો કે નવનીતભાઈને  ગમતાં ભજનની ઝલક એ પાસાની જાણ તો આજે આ વાંચતાં જ થઈ. જો કે એમના અન્ય રસક્ષેત્રની ઝાંખી પણ અહીં મળે છે. જેમ કે જૂની ફિલ્મોનાં ગાયનોમાં એમનો રસ અને મધુર ગાયકી. આમ, સાદો ખોરાક છતાં સ્વાદના રસિયા હોવું, વંચિતો માટે અતિ સંવેદનશીલતા અને અભાવો વચ્ચે પણ રસ્તા કાઢવાની કુનેહ જેવી લાક્ષણિકતાઓ ધ્યાનાકર્ષક બની રહે છે. અંતિમ દિવસોમાં વેઠેલી શારીરિક પીડાઓ વચ્ચે પણ જાળવેલી સમતાની નોંધ તો એમને વિશે લખનારાં સૌએ લીધી છે. અમે પણ મિત્ર ડૉ. ઉષાબહેન મૈસેરીના કારણે જાણેલું કે એમણે હરફ ઉચ્ચાર્યા વગર કેવી પીડા ભોગવી હતી.

આજે આ પુસ્તિકા વાંચતાં સાંઈ મકરન્દ દવે-કુન્દનિકા કાપડિયા, કોકીબહેન-ભીખુભાઈ, હર્ષાબહેન, અશ્વિનભાઈ, કાન્તિભાઈ ચંદારાણા, દક્ષા અને આર્ચ ટીમ, અપર્ણા કડીકર, આદરણીય શ્રીમદ્‌ રાજચન્દ્ર-રાકેશભાઈની ટીમ, ઋષિત મસરાણી, નીતિનભાઈ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડની ટીમ, અમારી સંસ્થા અસ્તિત્વની ધરમપુર ટીમ અને ગિરિબાલા, પ્રજ્ઞા રાજા અને અન્ય કેટલાક સેવાભાવીઓ યાદ આવે છે. પુસ્તિકામાં સંસ્મરણો તાજાં કરનાર ડૉ. લતાબહેન-અનિલભાઈ, મયંકભાઈ, અશ્વિન પટેલ, અશ્વિન શાહ, અશોક ગોહિલ, મહેશ ભણસાલી, હસમુખ પારેખ, પ્રકાશ શાહ અને મુનિ દવેએ પણ નવનીતભાઈના જીવનનાં વિવિધ પાસાં વિશે પારદર્શકતાથી લખ્યું છે.

શ્રી સુરેશભાઈ પરીખ અને વિચારવલોણું વિશે પણ લખવું જોઈએ, જેથી સમાજમાં શિષ્ટવાચન વિશે જાણ થાય. આજે તો આટલું જ. મુનિ દવે, પ્રજ્ઞા પટેલ, નિરંજન શાહ, તરુણ શાહ – ‘વિચારવલોણું’ના વર્તમાન સંપાદકો છે. ફરીથી વિક્રમભાઈ અને ભદ્રાબહેનનો આભાર કે એમણે એક નવનીતભાઈના વ્યક્તિચિત્ર શબ્દસ્થ કર્યું અને મને યાદ કરી આ પુસ્તકથી પરિચિત પણ કરી. સામાન્ય રીતે હું કરતી નથી, પરંતુ આજે મિત્રોને ખાસ વિનંતી કે આ પુસ્તિકા ખરીદીને ઘરમાં તો રાખે, પરંતુ વહેંચવાની કાળજી પણ કરે. આ એવી વ્યક્તિનું જીવનકવન છે કે જ્યારે ડૉક્ટરો મન મૂકીને પૈસા પાછળ દોડે છે, ત્યારે લગભગ અકિંચન રહીને, અગવડો ભોગવીને પોતાના વંચિતબંધુ-ભગિનીઓ માટે જીવન ન્યોછાવર કર્યું. નવનીતભાઈને દિલી સલામ.

E-mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 10

Loading

...102030...2,9032,9042,9052,906...2,9102,9202,930...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved