વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ – કામ થઈ જાશે.
ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.
લોકસેવાના કોઈ પણ મુદ્દે,
મોરચા કાઢ – નામ થઈ જાશે.
લોકશાહીમાં લોકના નામે
લોકશાહી લિલામ થઈ જાશે.
સત્ય કહેવાની ભૂલ ના કરશો.
જીવવું પણ હરામ થઈ જાશે.
હોય તે ઓળખાણ વર્દીની
તો બધો ઇન્તેઝામ થઈ જશે.
શું ખબર લોકશાહીમાં લોકો
સેવકોના ગુલામ થઈ જશે.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 15
![]()


આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્યની આપણને કદાચ પડી નથી.