હૈયાને દરબાર
તાજેતરમાં મારી પહાડી (એટલે કે ગઢવાલની લીલીછમ વાદીઓ વચ્ચે જેનું વતન છે એ) પત્રકાર મિત્ર કમલા બડૌનીએ વસંતના એક ખુશ્બોદાર, મજેદાર પર્વ તથા એની સાથે સંકળાયેલાં ગીતોની વાત કરી. ઉત્તરાખંડ તેની ખૂબસૂરત ખીણો, ઊંચા ઊંચા પહાડ, પર્વતો, નદીઓ, ઝરણાં અને શાનદાર હિમાલય દર્શન માટે પ્રખ્યાત છે. પ્રકૃતિએ આ પ્રદેશને ભરપૂર કુદરતી સૌંદર્ય આપ્યું છે એ બદલ કુદરતનો આભાર માનવા માટે ફાગણ અને ચૈત્ર વચ્ચેના સંક્રાંતિકાળ સમયે આવતો ‘ફૂલ દેઈ’ તહેવાર ત્યાંની પ્રજા રંગેચંગે મનાવે છે.
ફૂલ દેઈ, છમ્મા દેઈ, દેણી દ્વાર, ભર ભકાર
યે દેલી સ બારમ્બાર નમસ્કાર, ફૂલે દ્વાર …!
ઉત્તરાખંડી લોકપર્વ ફૂલ દેઈ બહુ ઈન્ટરેસ્ટિંગ તહેવાર છે. રંગ પર્વ ધુળેટીએ સમાપ્ત થતા આ તહેવારમાં ઉત્તરાખંડનાં બાળકો જંગલમાં જઈ અને જાત-ભાતનાં ફૂલો લઈ આવે. ત્યારબાદ ટોકરી લઈને ગામના દરેક ઘરે જઈને આંગણું પૂજે, પરિવારજનોને ફૂલ આપે, આશીર્વાદ આપે (હા, બાળકો જ સુગંધિત જીવનના આશિષ આપે). એની સામે ઘરના લોકો બાળકોને મીઠાઈ અને પૈસા આપે.
આ દિવસોમાં લોકગીતોના ગાયનનો અંદાજ બદલાઈ જાય છે. હોળીના ફાગની ખુમારીમાં ડૂબેલા લોકો આ દિવસોમાં હોરી અને ચૈતી ગાયનમાં ડૂબવા લાગે છે. ઢોલક વગાડનારા પણ દરેક આંગણામાં જઈ ગીતો ગાય છે. બાળકો ઘરને આંગણે જઈને રંગબેરંગી ફૂલોથી આંગણાંની પૂજા કરે અને ઘરના વડીલ આ બાળકોને અનાજ, દક્ષિણા કે એ દિવસોમાં ખાસ ચોખાના લોટમાંથી બનાવાતી સઈ નામની મીઠાઈ આપે છે. આપણા તહેવારોનો મિજાજ અને મસ્તી જ અલગ છે. હોળી ભલે ઊજવાઈ ગઈ પણ વાસંતી પમરાટ હજુ ય હવામાં ભળેલો છે. વિશ્વ આખામાં ફાગણ-ચૈત્ર એટલે કે સ્પ્રિંગનું આગવું મહત્ત્વ છે. વસંતઋતુ વિશ્વભરમાં અત્યારે ફૂલોની સેજ બિછાવી રહી છે.
આપણી માતૃભાષા ગુજરાતીમાં ફાગણનો મહિમા તહેવાર સ્વરૂપે તો છે જ પરંતુ એ અનેક ગીતોમાં પણ ગવાયો છે. ફાગણ ફોરમતો આયો, રસિયો ફાગણ આયો, ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, ફાગણની કાળઝાળ સૂક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું … જેવાં ઉત્તમોત્તમ ગીતોની પંગતમાં બેસી શકે એવું આજનું આ ગીત આજ મારા હૈયામાં … કાવ્ય અને સંગીત બંને દૃષ્ટિએ અદ્ભુત છે. પ્રથમ પંક્તિ છે, આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે, પિચકારી મારો નહિ ગિરીધારી લાલ રે …!
સુરેશ દલાલનો કૃષ્ણપ્રેમ આપણાથી અજાણ્યો નથી. જલસાના જ્યોતિર્ધર એવા સુરેશ દલાલ એક તરફ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ;
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ!
લખે છે તો બીજા એક અંદાજમાં સુરેશ દલાલ કૃષ્ણને એમ પણ સંભળાવે છે કે :
શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે;
યમુનાનો ઘાટ શું વિસાત છે?
આજ મારા હૈયામાં … જેવી પારંપરિક રચનાઓથી માંડીને સુરેશભાઈ તેમની આધુનિક કવિતા દ્વારા એક ડોસી એક ડોસાને હજી વ્હાલ કરે છે … જેવી હળવીફૂલ વાત પણ ગીતોમાં લખી શકે છે. શિયાળામાં એ શ્યામને મોરપીંછની રજાઈ ઓઢાડે છે અને ફાગણમાં રાધા-ગોપી સંગ ફાગ ખેલાવે છે.
સુરેશ દલાલનું કાવ્ય હોય અને ક્ષેમુ દિવેટિયા જેવા સંગીતકારે એ સંગીતબદ્ધ કર્યું હોય પછી ગીતનો મહિમા અપરંપાર જ હોય ને! રાધા-કૃષ્ણના પ્રેમની નાજુક અભિવ્યક્તિ દર્શાવતા આ ગીતમાં રાધા કહે છે કે હે ગિરિધારી, મારા હૈયામાં તો ફાગણ બારેમાસ મહેકતો-ચહેકતો રહે છે. એટલે મને રંગવાની કોઈ જરૂર નથી. તારા કાળજાના કેસૂડે મારા અંતરની ડાળ ઝૂલે છે અને તારી આંખના ઉડતા ગુલાલમાં મારો રોમેરોમ રંગાય છે. મારે ક્યાં દુન્યવી રંગથી રંગાવું છે? મને તો ફક્ત એક જ રંગ પ્રિય છે, એ છે પ્રેમનો ગુલાબી રંગ. એટલે જ એ કહે છે કે રાધિકાનો એક રંગ, તારું તે વહાલ, પિચકારી મારો નહિ ગિરિધારી લાલ …!
સંગીતની દૃષ્ટિએ વિચારીએ તો આ ગીત ગાવું અઘરું છે પણ સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય-સહજ છે. સુગમ સંગીતમાં સંપૂર્ણપણે શાસ્ત્રીય રાગ આધારિત રચનાઓ પ્રમાણમાં ઓછી છે. ક્ષેમુ દિવેટિયાએ બે-ત્રણ રાગોના મધુર સંયોજનથી આ રચનાનું સ્વરાંકન કર્યું છે. આ ગીતમાં સિંધુરા રાગથી શરૂ થતું મુખડું પછીથી દેસી, ચંદ્રકૌંસ, નટ ભૈરવ જેવા કંઇ કેટલાયે સુમધુર રાગોમાં આગળ વધી ગીતને કર્ણમંજુલ બનાવે છે. ક્ષેમુ દિવેટિયા હંમેશાં કહેતા કે શ્રોતાને ગમે એ ગીત ખરું. પરંતુ કેટલા શ્રોતા કે પ્રેક્ષકો સંગીત, નૃત્ય અને નાટક જેવી ઊંડી સમજ માંગી લે એવી કલાને એ દૃષ્ટિકોણથી સમજીને એની મધુરતા માણે છે? આને માટે તેઓ ‘રિયાઝી’ શ્રોતા શબ્દ વાપરતા. શ્રોતા માનસિક રીતે તૈયાર હોય, અભ્યાસુ હોય તો દરેક કલા માણવાનો આનંદ જુદો જ તરી આવે અને કલાકારની કદર કરવાની શક્તિ આપોઆપ કેળવાય. મૂર્ધન્ય સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ ‘સંગીત સુધા’ નામની ગુજરાતના ૩૫ કવિઓનાં ગીતો ૨૬ જુદા જુદા કલાકારોના કંઠે ગવડાવીને સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી ૧૦ કેસેટ્સ પ્રસ્તુત કરી ગુજરાતનું અને ગુજરાતી ગીતોનું ગૌરવ વધાર્યું છે. ક્ષેમેન્દ્ર વીરમિત્ર દિવેટિયા અર્થાત્ ક્ષેમુભાઈ, જેમને સંગીત જગતની વ્યક્તિઓ ક્ષેમુકાકા તરીકે સંબોધે છે, તેઓ ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુભાઈના દીકરા માલવ દિવેટિયા કહે છે કે આ કમ્પોઝિશન બહુ જૂનું છે. ૧૯૬૬માં મુંબઈના પાટકર હોલમાં કૌમુદી મુનશીએ આ ગીત સૌ પ્રથમ ગાયું હતું. એ પછી તો ઘણા કલાકારોએ ગાયું હતું.
ક્ષેમુ દિવેટિયાને પિતાતુલ્ય માનતા જાણીતા સંગીતકાર અમર ભટ્ટ ક્ષેમુભાઈની ખાસિયતો વિશે કહે છે કે, "ક્ષેમુકાકાનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત હતું. એમનું ઘર એટલે કલાકારો માટેનું આશ્રયસ્થાન. આપણા જાણીતા શાયર શેખાદમ આબુવાલા એમના ઘરને ‘આઠમો સૂર’ કહેતા. એ આઠમા સૂરમાં સંગીતની નાની-મોટી મહેફિલો, બેઠકો સજ્યા કરે. તેઓ ક્રિકેટના જબરા શોખીન હતા એમણે ગુજરાતીમાં રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી આપી છે અને ગુજરાત કૉલેજમાં ઓપનિંગ બેટ્સમેન રહી ચૂક્યા છે. આજ મારા હૈયામાં … ગીત વિશે વાત કરું તો આ ગીત ખરેખર ખૂબ કર્ણપ્રિય અને એમનાં લોકપ્રિય ગીતોમાંનું એક છે. એક જ ગીતમાં ત્રણ રાગો પ્રયોજાયા હોવા છતાં એનું સાતત્ય એવું જળવાઈ રહે છે કે જાણે સળંગ ગીત જ ન હોય! ક્ષેમુકાકા ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’થી ઘણા પ્રભાવિત હતા. એનો અંતરો, પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિંડોળો ફરતી ફૂમતડાંની ફોર … સાંભળો તો આ ગીતનાં મૂળિયાં મળી આવે. બીજું, રૂપક તાલ એમનો મનગમતો તાલ. સામાન્ય રીતે મોટા ભાગનાં ગુજરાતી ગીતોમાં ખેમટા કે કહેરવા તાલનો પ્રયોગ થતો હોય છે કારણ કે એ પ્રમાણમાં સહેલા છે. ક્ષેમુકાકાએ એમનાં ઘણાં ગીતો જેવાં કે, સાવ રે અધૂરું મારું આયખું, કેવા રે મળેલા મનના મેળ, મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી તથા આજ મારા હૈયામાં … રૂપક તાલમાં જ સ્વરબદ્ધ કર્યા છે. જમ્પ નોટ્સ પણ એમનાં ગીતોની ખાસિયત છે. જેમ કે, સા પરથી સીધા પ,ધ,ની સ્વરોનો પ્રયોગ. જો કે, ગીતનું મૂળભૂત માળખું તૈયાર થઈ જાય પછી એ ગાયક કલાકારને ફ્રી હેન્ડ આપી દે. એ પછી કલાકારો ગાયનમાં પોતાના રંગ પૂરે.
આ ગીતમાં સરસ રંગ પૂરનાર વરિષ્ઠ ગાયિકા માલિની પંડિત નાયક કહે છે, " ‘સંગીત સુધા’માં આ ગીત ગાવાનો મને મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. હું ‘શ્રુતિ વૃંદ’ સાથે જોડાયેલી હતી એટલે ક્ષેમુભાઈ પાસે આ ગીત થોડું ઘણું તો શીખી જ હતી. એ વખતનાં ગાયિકા મૃદુલા પરીખ પણ આ ગીત ગાતાં. એટલે ગીતનો ટ્રેક તો તૈયાર જ હતો. ક્ષેમુકાકાએ મને મોકલી આપ્યો. નાની મોટી બારીકીઓ સાથે ગીતની તૈયારી મારે જ કરવાની હતી. એ સમય દરમિયાન સંગીતકાર પરેશ નાયક સાથે પરણીને હું મુંબઈમાં સ્થાયી થઇ હતી. તેથી ગીત તૈયાર કરવામાં એમના માર્ગદર્શનનો મને ખાસ્સો લાભ મળ્યો. ગૌરાંગ વ્યાસની મ્યુઝિક અરેન્જમેન્ટ પણ એટલી સરસ હતી કે ટ્રેક પર ગાવાની મને ખૂબ મજા આવી હતી. મારી ઓળખ સમાન ગીત બની ગયું હતું. શાસ્ત્રીય રાગ આધારિત ગીત તૈયાર કરવામાં ક્ષેમુકાકાની માસ્ટરી હતી. એમના ગરબા પણ એ વખતે ખૂબ વખણાતા. ગરબામાં પણ એવા પ્રયોગો કરે કે એ નિત્યનૂતન લાગે. એક પ્રયોગ તો બહુ વિશિષ્ટ હતો જેમાં એક લોકઢાળ સામે એક શાસ્ત્રીયતા ધરાવતો ગરબો હોય અને બે લીડ સિંગરો આ બંને પ્રકાર ગાય તથા કોરસ એ ઝીલે. મહામૂલો વારસો એ મૂકી ગ યા છે.
————————-
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે
તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારું તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે
મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે
• કવિ : સુરેશ દલાલ • સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા • ગાયિકા : માલિની પંડિત-નાયક
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 માર્ચ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=472884