ભારતીય જન નાટ્ય સંઘ(ઈપ્ટા)એ અઢળક ટેલેન્ટેડ કલાકાર, ગીતકાર અને નિર્દેશક આપ્યા છે. શૈલેન્દ્ર પણ આવા જ એક ગીતકાર હતા કે જેમનો સાહિત્યિક ઉછેર ઈપ્ટામાં થયો અને તેઓ ઈપ્ટા થકી ફિલ્મી દુનિયામાં પહોંચ્યા. શૈલેન્દ્ર એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર હતા. તેઓ ખરા અર્થમાં પ્રગતિશીલ જનકવિ હતા. તેમની કવિતાઓમાં સામાજિક ચેતના અને રાજનૈતિક જાગૃતિ સ્પષ્ટરૂપે જોવા મળે છે. તેમના મોટાભાગના ગીતો પણ જિંદગી અને જન-આંદોલનની ઉપજ રહ્યા છે.
ગીતકાર શૈલેન્દ્રનો જન્મ તારીખ 30 ઓગસ્ટ 1923ના રોજ આજના પાકિસ્તાનના પંજાબમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં વર્ષ 1950-60ના દાયકાની અનેક ફિલ્મોમાં અર્થપૂર્ણ ગીતોની રચના કરી. શૈલેન્દ્રએ જે ફિલ્મો માટે ગીતો લખ્યાં તેમાં શ્રી 420, ગાઈડ, અનાડી, આવારા, તીસરી કસમ, યહૂદી, કાલા બઝાર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે રાજ કપૂરની અનેક ફિલ્મોમાં ગીતકાર તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું. તારીખ 14 ડિસેમ્બર, 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રનું મુંબઈ ખાતે નિધન થયું હતું.
રાજ કપૂરની સાથે શૈલેન્દ્રની મુલાકાત કેવી રીતે થઈ અને તેમનો ફિલ્મોમાં પ્રવેશ કેવી રીતે થયો તેનો કિસ્સો કંઈક આ પ્રકારે છે. મુંબઈમાં ઈપ્ટાએ એક કવિ સંમેલનનું આયોજન કર્યું હતું કે જેમાં શૈલેન્દ્ર તેમનું ગીત 'જલતા હે પંજાબ સાથીઓ …' વાંચી રહ્યા હતા. ત્યાં શ્રોતાઓમાં રાજ કપૂર પણ સામેલ હતા અને તેમને આ ગીત ખૂબ જ પસંદ પડ્યું. આ કવિ સંમેલન પૂર્ણ થયા બાદ રાજ કપૂર, શૈલેન્દ્રને મળ્યા અને પોતાની ફિલ્મોમાં ગીતો લખવા માટેની શૈલેન્દ્રને રજૂઆત કરી. ત્યારે ગીતો લખવાની રાજ કપૂરની રજૂઆતને શૈલેન્દ્રએ એવું કહીને નકારી દીધી કે હું પૈસા માટે નથી લખતો અને એવી કોઈ વાત પણ નથી કે મને તમારી ફિલ્મોમાં ગીતો લખવા માટેની પ્રેરણા મળે. પરંતુ, એક સમય એવો આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને તેઓને પૈસાની તાત્કાલિક જરૂરિયાત હતી માટે તેઓ રાજ કપૂર પાસે પહોંચ્યા. રાજ કપૂર તે દરમિયાન તેમની ફિલ્મ 'બરસાત' બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટેના 6 ગીતો હસરત જયપુરી લખી ચૂક્યા હતા અને બાકીને 2 ગીતોની જરૂરિયાત હતી કે જે શૈલેન્દ્રએ લખી આપ્યા.
શૈલેન્દ્રએ તેમના ફિલ્મી જીવનમાં કુલ મળીને 28 અલગ-અલગ સંગીતકારોની સાથે કામ કર્યું, જે પૈકી સૌથી વધુ ફિલ્મો તેમણે સંગીતકાર શંકર-જયકિશનની સાથે કરી. આ કિસ્સો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રાજ કપૂરની ફિલ્મ 'આવારા'નું શીર્ષક ગીત શૈલેન્દ્રએ ફિલ્મની વાર્તા સાંભળ્યા વિના લખી નાખ્યું હતું. આ ગીત જ્યારે રાજ કપૂરને પહેલીવખત સંભળાવ્યું ત્યારે તેમણે આ ગીતને મંજૂરી આપી નહોતી. જ્યારે આ ફિલ્મ બની ગઈ ત્યારે રાજ કપૂરે ફરીવખત આ ગીત સાંભળ્યું અને ફિલ્મના લેખક ખ્વાજા અહમદ અબ્બાસને પણ સંભળાવ્યું. આ ગીત સાંભળતા જ ખ્વાજા અહમદ અબ્બાસે કહ્યું કે આ તો ફિલ્મનું મુખ્ય ગીત હોવું જોઈએ. ત્યારબાદ આ ગીતે દેશ-વિદેશમાં ઇતિહાસ રચ્યો હતો એ તો આપણે જાણીએ જ છીએ. ગીતો લખવા માટેની શૈલેન્દ્રની રચનાત્મક પ્રક્રિયા પણ અજીબ હતી, તેઓ લખવા માટે સવારે ચાર-પાંચ વાગ્યે ઊઠીને દરિયાકિનારે જઈને બેસી જતા હતા. તેઓ લખવા માટે કાગળ લઈને નહોતા જતા, પરંતુ સિગારેટની ડબ્બી અથવા તો તેના પેકેટના કાગળ પર તેમણે અનેક શાનદાર ગીતોની રચના કરી છે. શૈલેન્દ્ર મોટાભાગે સંગીતની ધૂન પર ગીતોની રચના કરતા હતા, સંગીતકાર પહેલા તેમને કોઈએક ધૂન સંભળાવતા હતા અને તેના આધારે તેઓ ગીત લખતા હતા.
શૈલેન્દ્રનો જન્મ અવિભાજિત ભારતના રાવલપિંડી શહેરમાં એક દલિત પરિવારમાં થયો હતો, તેમના પિતાનું મૂળ વતન બિહાર હતું. પરંતુ, સેનામાં નોકરીના કારણે તે સમયે તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા હતા. બાદમાં શૈલેન્દ્રનો પરિવાર ઉત્તર પ્રદેશના મથુરામાં આવી પહોંચ્યો. શૈલેન્દ્રનું બાળપણ સુવિધાઓના અભાવ અને સંઘર્ષમાં પસાર થયું હતું, તેમણે સ્કોલરશિપ મેળવી અને ટ્યુશનો કરાવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે-સાથે તેમનું મન કવિતાઓમાં રમતું હતું અને તેઓ કવિ સંમેલનની મુલાકાત લેવાનું ચૂકતા નહોતા. આખરે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર પોતે કવિતા લખવા માંડ્યા અને કવિ સંમેલનોમાં એક કવિ તરીકેની પોતાની છબી સ્થાપિત કરી.
શૈલેન્દ્રએ દેશ-વિદેશની ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યનું અધ્યયન કર્યું અને તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. શૈલેન્દ્ર પર માર્ક્સવાદી વિચારકો અને રશિયન સાહિત્યનો ભારે પ્રભાવ પડ્યો. વર્ષ 1941માં શૈલેન્દ્રની પ્રથમ કવિતા સાહિત્યિક પત્રિકા 'સાધના'માં છપાઈ અને ત્યારબાદ એક કવિ તરીકેનો તેમનો રસ્તો ખૂલી ગયો. ત્યારબાદ તેમની કવિતાઓ તે સમયના પ્રમુખ મેગેઝિન જેવા કે 'હંસ', 'ઘર્મયુગ', 'સાપ્તાહિક હિંદુસ્તાન' અને 'માધુરી' વગેરેમાં છપાઈ. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું, તેમાં પણ શૈલેન્દ્રએ ભાગ લીધો અને તેઓ જેલમાં પણ ગયા. શૈલેન્દ્રના એકમાત્ર કવિતા સંગ્રહનું નામ 'ન્યૌતા ઔર ચુનૌતી' છે કે જેમાં 32 કવિતા અને જનગીતનું સંકલન છે. આ સંકલન મરાઠીના પ્રસિદ્ધ લોકગાયક જનકવિ અણ્ણાભાઉ સાઠેને સમર્પિત છે. વર્ષ 1945થી 1954ની વચ્ચે લખવામાં આવેલી આ સંગ્રહની મોટા ભાગની કવિતાઓ અને ગીતો પર જન આંદોલનોનો પ્રભાવ જોવા મળે છે.
શૈલેન્દ્રએ ફણીશ્વરનાથ 'રેણુ'ની વાર્તા 'મારે ગએ ગુલફામ' આધારિત 'તીસરી કસમ' નામની ફિલ્મની રચના કરી. આ ફિલ્મ વર્ષ 1966માં રિલીઝ થઈ હતી અને તેનું દિગ્દર્શન બાસુ ભટ્ટાચાર્યે કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રાજ કપૂર અને વહિદા રહેમાન હતાં અને ફિલ્મની પટકથા પણ ફણીશ્વરનાથ 'રેણુ'એ લખી હતી. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેન્દ્ર હતા. આ ફિલ્મને નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા હતા. પરંતુ, આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી અને શૈલેન્દ્ર શરાબના નશામાં ડૂબી ગયા. 14 ડિસેમ્બર 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું. શૈલેન્દ્રના મૃત્યુથી તેમના ખાસ મિત્ર રાજ કપૂરને ખૂબ દુ:ખ થયું અને તેમણે કહ્યું કે ભારતની સમગ્ર જનતા આ મહાન કલાકારને ક્યારે ય ભૂલી નહીં શકે કારણકે શૈલેન્દ્ર દેશની જનતાના કવિ હતા.
[‘પિય્યર પરફેક્ટ’ નામક કટાર, “નવગુજરાત સમય”, 27 માર્ચ 2019]