ઘણા સમય પછી ‘નિરીક્ષક’ (૧૬/૬) ફરી હાથમાં પકડવા મળ્યું તેનો આનંદ … શિરીષ પંચાલ, રમણ સોની, હિમાંશી શેલત અને જયદેવ શુક્લ દ્વારા થયેલી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં બદલાતા અભ્યાસક્રમો બાબતની સમયસરની ચિંતાનો પણ આનંદ.
મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ ચારેય ગુરુ / મિત્રોએ અભ્યાસક્રમ સમિતિની સભામાં શું થયું હતું એ જાણવાની કોશિશ કર્યા વગર ‘યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષને આ બાબતે કશું કહેવાનું છે ખરું?’ એવું લખી કાઢ્યું છે. હું અધ્યક્ષ છું એ ગૌણ બાબત છે પણ એક શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે હું મારી નોકરીને જોખમમાં મૂકીને છેલ્લી ક્ષણ સુધી લડી હતી. આ સભાએ માત્ર બે જ ચોપડી નથી બદલી એમાં તો પાંચેક પુસ્તકોનો ભોગ લેવાયો છે.
પણ આવી ચિંતા સેવનારાઓએ ખરી માહિતી માટે સભામાં હાજર વ્યક્તિને પૂછીને પછી લખવું જોઈએ. દુ:ખ એ વાતનું છે કે મને વર્ષોથી ઓળખનારાઓને પણ ભરોસો ન રહ્યો કે અન્યાય થયો હોય, ખોટું થતું હોય ત્યાં હું વિરોધ કરું જ. કમસેકમ મને એક ફોન કર્યો હોત આવો આક્ષેપ કરતા પહેલાં તો …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 07