Opinion Magazine
Number of visits: 9843232
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસમાં શું અનુભવ્યું?

રમેશ સવાણી|Diaspora - Features, Opinion - Opinion|1 August 2025

રમેશ સવાણી

12 જુલાઈ 2025ના રોજ સવારે પરિવાર સાથે શિકાગોથી કાર દ્વારા પ્રવાસ આારંભ્યો હતો. 28 જુલાઈ 2025ના રોજ, 4,700 માઈલનો પ્રવાસ કરી બપોરે 2.40 વાગ્યે પરત આવ્યા. 

આ પ્રવાસના 17 દિવસ દરમિયાન USના કુલ – 11 રાજ્યો  Illinois / Wisconsin / Minnesota / South Dakota / Wyoming / Montana / Idho / Utah / Denver / Nebraska / Iowaમાં ફર્યા.

પ્રવાસ દરમિયાન અમે શું અનુભવ્યું? 

[1] આ પ્રવાસ દરમિયાન એક પણ ચાર રસ્તા પર પોલીસ ન જોઈ. અમદાવાદ / સુરત / વડોદરા / રાજકોટમાં તથા જિલ્લાઓમાં પોલીસ કાર / ટ્રકને ચેક કરવાના બહાને તોડ કરે છે એવું એક પણ દૃશ્ય ન જોયું ! 

[2] કોઈ સ્થળે અમેરિકન પ્રેસિડન્ટનો ફોટો ન જોયો કે તેમનું હોર્ડિંગ ન જોયું. આપણે ત્યાં મોદીજી સર્વવ્યાપી છે ! 

[3] કોઈ જગ્યાએ લોકોને ઊંચા અવાજે વાત કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને ઝઘડા કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને દાદાગીરી કરતા ન જોયાં. મોલ હોય / ગેસ સ્ટેશન / હોટલ / રેસ્ટોરન્ટ / વોશરૂમ હોય દરેક જગ્યાએ લોકો લાઈનમાં શિસ્તમાં ઊભા રહે. 

[4] કોઈ જગ્યાએ ગંદકી ન જોઈ. દરેક જગ્યાએ ગાર્બેજ-કેન હોય. કચરો તેમાં જ નાખે. રસ્તામાં ફેંકે નહીં. 

[5] અમેરિકામાં પ્રવાસન ઉદ્યોગની સફળતાનું રહસ્ય છે : સ્વચ્છતા ! દર બે કલાકે વિઝિટર સેન્ટર હોય ત્યાં ફ્રેશ થઈ શકાય. ત્યાં મિની મ્યુઝિયમ હોય. માહિતી-પેમ્ફલેટની વ્યવસ્થા હોય. ગિફ્ટ શોપ હોય. નાસ્તો / ઠંડાપીણાની સગવડ હોય. આપણે જો પ્રવાસન ઉદ્યોગ ખીલવવો હોય તો વિઝિટર સેન્ટર ન બનાવી શકીએ? 

[6] આખા અમેરિકામાં દારુ પીવાની છૂટ છે. પરંતુ કોઈ દારુ પીને કૂકડા થઈ ગયા હોય તેવું જોવા ન મળ્યું. આપણે ત્યાં જોવા મળે છે તેવાં ‘દેશી દારુ કા ઠેકા / અંગ્રેજી શરાબ કા ઠેકા’ એવા બોર્ડ જોવા ન મળ્યા. 

[7] જાહેર બગીચાઓ પુષ્કળ છે. તેમાં અદ્દભુત શિલ્પ કૃતિઓ જોવા મળી. 

[8] અમેરિકાની એક ખાસિયત છે કે અહીંના રાજ્યોમાં સૌથી મોટા શહેરમાં તેમની રાજધાની હોતી નથી. પણ નાના કે મિડિયમ શહેરમાં હોય છે. ન્યુ જર્સીનું કેપિટલ તેના સૌથી મોટા શહેર જર્સી સિટીમાં નહિ ટ્રેનટનમાં છે. ન્યુયોર્ક સ્ટેટનું કેપિટલ એના મોટા શહેર ન્યુયોર્કમાં નહિ અલ્બેનીમાં છે, પેન્સિલવેનિયાનું કેપિટલ તેના મોટા શહેર ફિલાડેલ્ફીયા કે પિટ્સબર્ગમાં નહીં પણ હેરિસબર્ગમાં છે. ઇલિનોયની રાજધાની સ્પ્રિંગફિલ્ડમાં છે નહિ કે શિકાગોમાં. આવું આપણે ન કરી શકીએ? 

[9] દૂધ / ફળો / શાકભાજી / ગ્રોસરીના સ્ટોર હોય ત્યાં પૂરતું પાર્કિંગ હોય. 

[10] ખાદ્ય ચીજવસ્તુઓમાં કોઈ ભેળસેળ ન હોય. 

[11] કોઈ જગ્યાએ પ્રદૂષણ નહીં. કોઈ જગ્યાએ અંકલેશ્વર જેવી ગંધ નહીં. કોઈ જગ્યાએ નદી પ્રદૂષિત નહીં. વટવા GIDC સાબરમતીમાં ગંદું પાણી ઠાલવે છે તેવું દૃશ્ય ન જોયું ! આવું અહીં કોઈ કરે તો લોકો અવાજ ઊઠાવે, જીવતી લાશો બની જોયા ન કરે ! 

[12] મને અહીંની ‘Food Bank’ની સેવા સૌથી વધુ ગમી. ઘણી ફૂડ બેંકો ધાર્મિક નહીં પણ માનવવાદી સિદ્ધાંતો હેઠળ કાર્ય કરે છે, જેનો ઉદ્દેશ્ય ભૂખમરો દૂર કરવાનો અને જરૂરિયાતમંદોને ખોરાક સહાય પૂરી પાડવાનો છે, પછી ભલે તે કોઈ પણ પૃષ્ઠભૂમિ / માન્યતા / ધર્મના હોય. આ એક પ્રકારની સખાવતી સંસ્થા છે જે ખોરાકની અસુરક્ષા ઘટાડવા અને મુશ્કેલીનો સામનો કરી રહેલા વ્યક્તિઓ અને પરિવારોને ખોરાકનું વિતરણ કરે છે. ભારતમાં ‘ફૂડ બેન્ક’ની ખાસ જરુરિયાત છે. 

[13] અહીં ગજબનો વિરોધાભાસ જોવા મળ્યો. કોઈ કોઈ જગ્યાએ હોમલેસ-ઘરવિહોણાં જોવા મળે. બીજી તરફ મોટા સ્ટોરમાં / ટ્રક પાછળ ‘We are hiring – અમે ભરતી કરી રહ્યા છીએ’ લખેલું જોવા મળે. રોજગારી આપનાર છે છતાં હોમલેસ કેમ? કેટલાંક પરિબળો બેઘર વ્યક્તિઓને રોજગાર મેળવવામાં આડે આવે છે. જેમ કે  સ્થિર સરનામાનો અભાવ / સંસાધનો, ટેકનોલોજી અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ / સ્વચ્છતા સુવિધાઓની મર્યાદિત પહોંચ / પરિવહન સમસ્યાઓ / માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો અભાવ, માદક દૃવ્યોની લત / ભેદભાવ અને સામાજિક કલંક / મર્યાદિત કાર્ય અનુભવ અથવા કુશળતાનો અભાવ અને ગુનાહિત રેકોર્ડ વગેરે રોજગારી મેળવવામાં હોમલેસ માટે અવરોધો છે.

અમારો પ્રવાસ એટલે રખડવાનો આનંદ ! પ્રવાસ એટલે પાઠશાળા ! પ્રવાસ એટલે કૂપમંડૂકતામાંથી મુક્તિ ! Mark Twain કહે છે : ‘પ્રવાસ પૂર્વગ્રહ, કટ્ટરતા અને સંકુચિત માનસિકતા માટે ઘાતક છે !’ મતલબ કે પ્રવાસ  દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અને જીવનશૈલીનો અનુભવ કરવાથી વ્યક્તિને; પૂર્વગ્રહોને દૂર કરવામાં અને વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનનો દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળે છે. પ્રવાસના અંતે એક વિશાળ દૃષ્ટિકોણ મળે છે !

31 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

NRIs હવે ભારત પ્રત્યેનો પ્રેમ બતાવશે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 August 2025

હેમન્તકુમાર શાહ

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતની વસ્તુઓ પર પહેલી ઓગસ્ટથી ૨૫ ટકા જેટલી જકાત નખાઈ છે. એટલે અમેરિકામાં ભારતથી આવેલ ચીજો મોંઘી થશે. 

અમેરિકામાં આશરે ૪૮ લાખ બિન-નિવાસી ભારતીયો (NRIs )વસે છે. એ બધા ત્યાં રહ્યે રહ્યે ભારતને બહુ જ પ્રેમ કરે છે એ એક નક્કર હકીકત છે. 

હવે તેઓ બધા ભારતને થોડો વધુ પ્રેમ કરે તેવી અપેક્ષા સ્વભાવિક રીતે જ ઊભી થાય છે. 

ભલે, ભારતની ચીજો ટ્રમ્પ દ્વારા મોંઘી કરી નાખવામાં આવી હોય, ભલે ભારતની ચીજો કરતાં અમેરિકામાં પેદા થયેલી ચીજો હવે થોડી સસ્તી થઈ જાય; પરંતુ NRIs ત્યાં ભારતની જ ચીજો ખરીદે તો તેમણે ટ્રમ્પને બરાબર જવાબ આપ્યો કહેવાય. 

શું તેઓ આવો જવાબ આપશે? કે પછી આવી રહેલી પંદરમી ઓગસ્ટના રોજ અમેરિકાનાં શહેરોમાં ભારતનો તિરંગો લહેરાવીને જ સંતોષ માનશે?

શું આવું બીજા બધા દેશોમાં રહેતા NRIs કરે? તેઓ અમેરિકન ચીજોનો બહિષ્કાર કરે અને ભારતની ચીજો જ ખરીદે? 

અને હા, ભારતમાં લોકો, બીજું બધું તો છોડો પણ, અમેરિકાની બે કંપનીઓનું મોંમાં ચચરે એવું કોકા કોલા અને પેપ્સી પીવાનું બંધ કરી દે ને તો પણ ભારત માતા કી જય બોલવાની ઓર મઝા આવે. 

તા.૩૧-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બેંકો સૌથી વધુ અન્યાય પેન્શનર્સ સાથે કરી રહી છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 August 2025

રવીન્દ્ર પારેખ

વૃદ્ધો બધી રીતે પરવારી ચૂકેલા હોય છે, એટલે તેમની કુટુંબમાં કે સમાજમાં બહુ ગણના થતી નથી કે જરૂર પણ હોતી નથી, સિવાય કે તેમની કારકિર્દી કે બચત માર્ગદર્શક રહી હોય. પેન્શન આવતું હોય તો વૃદ્ધો સચવાઈ જતાં હોય છે, તે સિવાય તો તેમનો ભાવ ભાગ્યે જ કોઈ પૂછે છે. મોટે ભાગના પેન્શનર્સ તેમની મૂડી બેન્કોમાં વ્યાજે મૂકતા હોય છે ને તેમનો મોટા ભાગનો વ્યવહાર વ્યાજ પર જ ચાલતો હોય છે. પેન્શનર્સ આર્થિક બાબતોમાં બહુ સાહસિક હોતા નથી. તે એટલે કે તેમની બચત ડૂબી જાય તો જીવવાનો આધાર જ ન રહે, એટલે બહુ બચત ન હોય તો પેન્શનર્સ બેંકો સિવાય બીજે રોકાણ કરતા નથી. બેન્કોમાં તેમનું રોકાણ તેમને સલામત લાગે છે ને બહુ લોભ નથી હોતો, એટલે વ્યાજ પર તેમનો કારભાર ચાલ્યા કરે છે.

પણ, હવે ચાલે એમ લાગતું નથી, કારણ બેંકો નાના મોટા ચાર્જિસ કોઈને કોઈ બહાને વધારતી રહે છે. એવી એવી ફાલતુ બાબતે ચાર્જ વસૂલાય છે કે જતે દિવસે બેંકમાં ગ્રાહકોની આવ-જા પર પણ ચાર્જ વસૂલાય તો નવાઈ નહીં. એક તબક્કે બેંકમાં મિનિમમ બેલન્સ માટે ચાર્જ વસૂલાતો હતો. હવે કંઇ રામ વસ્યા તો તે ન વસૂલવાની વાત છે. સરકારે આ પેનલ્ટી ન વસૂલવાની સૂચના આપી છે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં 11 સરકારી બેન્કોએ 9,000 કરોડ મિનિમમ બેલન્સ ન રાખવા માટે ગ્રાહકો પાસેથી ખંખેરી લીધા છે- એવું કાલના જ સમાચાર કહે છે.

એક તરફ ચાર્જિસ વધતા જાય છે ને નાની બચતના વ્યાજ દર ઘટતા આવે છે. જે વ્યાજ પર પેન્શનર્સને ટકવાનું હોય તેમાં કાપ પડતો રહે ને મોંઘવારી વધતી જ જતી હોય તો તેમણે કેમ જીવવું એ ચિંતા તેમનું આયુષ્ય કોતરતી રહે છે. ભારતીય રિઝર્વ બેંક(આર.બી.આઈ.)ના છેલ્લા ફતવા મુજબ જાહેર અને ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકોમાં ઐતિહાસિક સ્તરે વ્યાજ દરોમાં ઘટાડો થયો છે, તે નાગરિકો અને અર્થવ્યવસ્થા સંદર્ભે દુખદ છે. 2011માં કેન્દ્રીય બેન્કે વ્યાજદરો સ્વતંત્ર રીતે નક્કી કરવાની છૂટ આપી ત્યારે એનો હેતુ બજાર આધારિત સ્પર્ધાને ઉત્તેજન આપવાનો હતો. આજે સ્થિતિ એવી છે કે કેટલીક જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોનાં બચત ખાતાના વ્યાજ દર ઘટીને 2.5 ટકા સુધી આવી ગયા છે. આટલા ઓછા વ્યાજ દરો ચિંતા ઉપજાવનારા છે. તે એટલે કે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ગૃહિણીઓ, વડીલો, પેન્શનરો બેન્કોમાં નાની મોટી બચત મૂકે છે, જેથી તેમને વ્યાજની આવકથી થોડોઘણો ટેકો થઈ શકે, પણ વ્યાજ દરોમાં ઘટાડો તે આવકને નહિવત કરી રહ્યો છે, પરિણામે નાના ખાતેદારોમાં ભારે નિરાશા વ્યાપી છે.

એ સાચું છે કે રિઝર્વ બેંક પ્રમાણે ફેબ્રુઆરી, 2025 મુજબ રેપોરેટમાં બેઝિક પોઈન્ટના ઘટાડા સંદર્ભે બેન્કોએ લોનના દરોમાં ફેરફાર કર્યા છે ને તેથી લોન સસ્તી પણ થઇ છે, દેશના વિકાસ માટે લોન સસ્તી કરવામાં આવે એ જરૂરી પણ છે, પણ તેની સામે બચત પર જીવનારા નાના લોકોને ઓછા વ્યાજને કારણે ઘણું વેઠવાનું આવ્યું છે. આ મામલે વિચાર થવો જોઈએ એવી એક સાર્વત્રિક માંગ પણ નાના ખાતેદારોમાં ઊઠી છે. આ માંગ નજર અંદાજ કરવામાં અર્થવ્યવસ્થા ખોરવાવાનો ભય પણ છે. ભય એટલે કે વ્યાજ ઓછું જ મળવાનું હોય તો નાના ખાતેદારો વધુ આવકના લોભમાં એવી જગ્યાએ રોકાણ કરવા લલચાય જ્યાં આવક તો ઠીક, મૂડી પર પણ જોખમ રહે. એ સ્થિતિમાં બેંકો તો ડિપોઝીટ ગુમાવે જ છે, તો એ ઈચ્છવા જેવું ખરું? વારુ, છેલ્લાં સપ્ટેમ્બર કવાર્ટરમાં પણ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, મતલબ કે વ્યાજદરો વધ્યા નથી, એ સ્થિતિમાં વધુ ડિપોઝીટ બેન્કોમાંથી ઊપડે એ શક્યતાઓ પણ છે જ. આ સ્થિતિ કોઈ પણ રીતે બેંકો માટે ઉત્સાહવર્ધક નથી ને બચતકારો માટે તો જોખમ વધારનારી જ છે. કોણ જાણે કેમ પણ ડિપોઝીટમાં રસ જ ન હોય એ રીતે બેંકો વર્તે છે, તો સવાલ એ થાય કે ઓછા વ્યાજની લોન આપ આપ કરતી બેંકોને ડિપોઝીટ વગર ચાલે એવો કોઈ કીમિયો હાથ લાગ્યો છે? વળી લોન તો માંડવાળ કરવાનું પણ આજકાલ વધ્યું છે, ત્યારે બેંકોને ટકવાનો આધાર કયો છે તે નથી સમજાતું.

આશ્ચર્ય ઉપજાવનારા સમાચાર એ પણ છે કે બેન્કિંગ ક્ષેત્રમાં આજથી શરૂ થતા ઓગસ્ટથી ડી.એ.માં પેન્શનર્સ માટે (કદાચ) એકાદ સ્લેબનો ઘટાડો થયો છે અને કમ સે કમ આ ઘટાડો ફેબ્રુઆરી, 2026 સુધી તો રહેવાનો જ છે. (એ પછી પણ ચાલુ રહે તો નવાઈ નહીં !) છે ને કમાલ, ક્યાં ય મોંઘવારી ઘટવાનો અણસાર નથી, પણ પેન્શનર્સને મોંઘવારી નડતી ન હોય તેમ ડી.એ.માં ઘટાડો જાહેર થયો છે. આ ઘટાડો છ મહિના સુધી તો લાગુ રહેશે જ ને એ છ મહિનામાં મોંઘવારી વધે તો પણ આ ઘટાડો ચાલુ જ રહે એ આ ડી.એ.ની વિશેષતા છે. એ કેવળ શરમજનક છે કે ભ્રષ્ટાચારમાં આખો દેશ વગોવાઇ રહ્યો છે ને તે ઘટાડવાનો ઉપાય થતો નથી, પણ બેન્કર્સનું ડી.એ. ઘટાડીને, વ્યાજદરો ઘટાડીને સાધારણ માણસોની યાતના વધારવાનું ગૌરવ લેવાતું જ રહે છે.

એક સમયે નિવૃત્ત વ્યક્તિનો વીમો, કંપનીઓ ઉતારતી ન હતી. હવે એવું થયું છે કે નિવૃત્ત બેંક કર્મચારીઓનો ગ્રૂપ હેલ્થ ઇન્સ્યુરન્સ (મેડિક્લેઇમ) ઊતરે છે. એમાં ઘણાં જોડાય છે, કારણ આજકાલ માંદા પડવાનું ભયંકર રીતે મોંઘું છે. એ વખતે આરોગ્ય વીમો હોય તો રાહત રહે. પણ, દર વર્ષે પ્રીમિયમમાં એટલો વધારો થાય છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે. ઘણાંના તો બબ્બે મહિનાના પેન્શન જ મેડિક્લેઇમ લેવામાં ખતમ થઇ જાય છે. શોષણના એવા એવા પ્રકારો વધી રહ્યા છે કે સાધારણ માણસ એનાથી બચી શકે એમ જ નથી.

છેલ્લે, એક વાત બેંક રિટાયર્ડ સ્ટાફનાં પેન્શન અપડેશનની. આર.બી.આઈ. મુજબ પેન્શન સ્કિમ 1993માં સાઈન થઈ. એ પછી કોઇ પેન્શન અપડેટ થયું નથી. બીજી તરફ રિઝર્વ બેંકે બે વખત પેન્શન અપડેટ કર્યાની વાત છે, પણ એનો લાભ એ જ લાઈન પર અન્ય બેન્કોને મળવો જોઈએ તે જુલાઈ, 2025 સુધી નથી જ મળ્યો એ હકીકત છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ’ એસોશિએશને (AIBOA) 5 જુલાઈ, 2022ને રોજ બધાં યુનિટોને/સ્ટેટ કમિટીઝને પત્ર લખીને જાણ કરી, જેનો વિષય હતો, ‘અપડેશન ઓફ પેન્શન ઓન ધ લાઈન્સ ઓફ આર.બી.આઈ. બ્રૂક્સ નો ડિલે’. સીધી વાત એ છે કે બેંક પેન્શનર્સનું અપડેશન આર.બી.આઈ.ની ગાઈડલાઈન્સ મુજબ થવું જોઈએ. થવું જ જોઈએ. પેન્શન રેગ્યુલેશન એકટ પણ એના પર આધારિત છે. પત્રનો બીજો મુદ્દો એ છે કે પેન્શનર્સને કેટેગરાઈઝ ન કરવામાં આવે. આ વન ટાઈમ સેટલમેન્ટ હોવું જોઈએ. અન્ય સેટલમેન્ટ્સ વખતો વખત થતાં રહે છે, પણ રિટાયર્ડ સ્ટાફનું પેન્શન અપડેશન થતું નથી. જો રિઝર્વ બેંક રિટાયરીઝને બબ્બે વખત પેન્શન અપડેશનનો લાભ મળ્યો હોય તો એની જ અન્ય બેન્કોના નિવૃત્તોને એ લાભથી વંચિત રાખવાનું કારણ શું છે એનો ખુલાસો થવો જોઈએ. કેન્દ્રીય બેન્કનું અન્ય બેંકો સાથેનું ભેદભાવ ભરેલું આ વલણ અકળ છે.

એ સાચું કે નિવૃત્ત બેન્કર્સ પાસેથી સરકારને કોઈ લાભ નથી, નથી એમના મતનું એવું કંઇ મૂલ્ય ને ઘણાં તો ગુજરી પણ ગયાં હોય. એ રીતે આ નિવૃત્તો સ્પેન્ટફોર્સથી વિશેષ કંઇ નથી, એટલે એ તરફ સરકારનું કે રિઝર્વ બેન્કનું બહુ ધ્યાન ન જાય એ સમજી શકાય એવું છે. મેડિક્લેઈમનું પ્રીમિયમ ઘટાડવા સંદર્ભે કે પેન્શન અપડેશન સંદર્ભે સંબંધિત મંત્રીઓ સુધી વખતોવખત રજૂઆત થઇ છે, પણ પરિણામ આવતું નથી. આ એવા કથળી રહેલા નિવૃત્તો છે કે તે સભા ભરીને કે સરઘસ-રેલી કાઢીને કે બુલંદ સૂત્રો પોકારીને વિરોધ કરી શકે એમ નથી. એ લાચારીનો લાભ લેવાતો હોય એવું લાગે છે.

આ સ્થતિ સુધરવી જોઈએ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2025

Loading

...102030...244245246247...250260270...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved