Opinion Magazine
Number of visits: 9843147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નીચા દેખાડે છે ? કદાચ કશુંક અંગત છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 August 2025

રમેશ ઓઝા

લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૧મી જુલાઈએ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર ૨૫ ટકા ટેરીફ લાગુ કરવામાં આવશે? શા માટે? તો કહે, ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરીફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે? ડોનાલ્ડ ટ્રમ્પની આ દલીલ છે અને તેઓ બીજી વાર સત્તામાં આવ્યા ત્યારથી આ દલીલ કરી રહ્યા છે. 

અમેરિકા એક પ્રભુસત્તા ધરાવનારો દેશ છે એટલે તેને આવો અધિકાર છે એમ દલીલ ખાતર ઘડીભર આપણે માની લઈએ, પણ હકીકત એ છે કે અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરીફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. વાચકોને યાદ હશે કે એ સમયે (૧૯૯૧થી ‘૯૫નાં વર્ષોમાં) અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું. 

એકાદ-બે અપવાદોને છોડીને ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એમ માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબકિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું ઉદાહરણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે. 

તો વાતનો સાર એ કે ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધી તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર ૨૫ ટકા ટેરીફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય છે કે છે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. દંડવસૂલીનું પ્રમાણ જાહેર કર્યું નથી, પણ દંડની જાહેરાત કરી દીધી છે. આવું? આ જોઇને જો કોઈ દેશપ્રેમી રાષ્ટ્રવાદીનું લોહી ગરમ ન થતું હોય તો એનો અર્થ એ થયો કે તે મુસ્લિમ વિરોધી છે, દેશપ્રેમી નથી. તેઓ મુસ્લિમ વિરોધી કોમી માનસિકતાને દેશપ્રેમના પડીકામાં છૂપાવે છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે? પંદર મિનિટમાં ભારત સરકારે તમાચો મારતો જવાબ આપવો જોઈતો હતો, પણ પૂરા છત્રીસ કલાક પછી ભારતે પ્રતિક્રિયા આપી છે એ પણ નમાલી છે. 

શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રીલીઝ કરવામાં આવે. મેક્સીકો અને બ્રાઝીલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે? એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. મેં યુદ્ધ રોકાવ્યું એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે. આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. ૨૫ ટકા ટેરીફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં. ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા. દેશના વડાને નહીં, લશ્કરી વડાને. પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે. વડા પ્રધાન બોલતા નથી. 

રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે ટ્રમ્પે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને મરેલાં અર્થતંત્ર તરીકે ઓળખાવ્યું છે. ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો. આ ટ્રમ્પના શબ્દો છે, મારા નથી. જેનાં ઓવારણા લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર. શા માટે ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે. 

ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૩૧માં ભારતના વાઇસરોય લોર્ડ ઈરવીને મહાત્મા ગાંધીને રાજકીય સમજૂતી માટે વાઇસરોય હાઉસ (અત્યારનું રાષ્ટ્રપતિ ભવન) બોલાવ્યા હતા. તેની તસ્વીર જોઇને બ્રિટનના ભાવિ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે આપણે ત્યાંના ઇનર ટેમ્પલનો વકીલ જે અત્યારે અર્ધનગ્ન ફકીરનો વેશ ધારણ કરીને ફરે છે તેને બ્રિટિશ સામ્રાજ્યનો પ્રતિનિધિ માનભેર બોલાવે, સમાન આસને બેસાડે અને તે (ફકીર) આંખમાં આંખ પરોવીને વાત કરે અને શરતો મૂકે એ મારાથી જોવાતું નથી. એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય અમેરિકા આજે જેટલી તાકાત ધરાવે છે તેનાં કરતાં કમ સે કમ દસ ગણી વધારે તાકાત ધરાવતું હતું અને ભારત આજ કરતાં સોગણું નિર્બળ હતું. 

તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી — 300

દીપક મહેતા|Opinion - Opinion|2 August 2025

ચલ મન મુંબઈ નગરી — 300

દીપક મહેતા

૧૩ જુલાઈ, ૨૦૧૯. ચલ મન મુંબઈ નગરીનો પહેલો હપતો ‘ગુજરાતી મિડ-ડે’માં પ્રગટ થયો ત્યારે સપને ય ખ્યાલ નહોતો કે મુંબઈની આ યાત્રા આટલી લાંબી ચાલશે. ના, ધાર્મિક અનાસ્થાને કારણે આજ સુધી એકે યાત્રા નથી કરી. પણ દર અઠવાડિયે મુંબઈ વિષે લખવા બેસવું એ મારે મન યાત્રા કરતાં ય વધુ પાવન કામ છે. સાધારણ રીતે એક હપતો લખતાં બે દિવસ લાગે. પણ એને અંગે વિચારવાનું તો લગભગ સતત ચાલતું હોય. તથ્યને જોખમાવ્યા વગર લખાણને પથ્ય કેમ બનાવવું એવો પ્રયાસ સતત ચાલતો હોય છે. ઘણી વાર તેમાં સફળતા નયે મળે. કેટલીક વાર મળે. 

અખબારમાં હપતો પ્રગટ થાય તે જ દિવસે તેને FB પર વહેંચવાનું પણ પહેલા જ હપતાથી શરૂ કર્યું. અહીં પણ આ લેખો વિષે કોઈએ અણગમો વ્યક્ત કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. આપણા રામને ગણિત સાથે બાળપણથી જ બારમો ચંદ્રમાં. પણ મિત્ર વિપુલ કલ્યાણીએ આજ સુધી એકેએક હપતો તેમના Opinionમાં સમાવ્યો એટલું જ નહિ, દરેક હપ્તાને સળંગ ક્રમાંક પણ આપ્યો. એટલે ખબર પડી કે આજનો આ હપતો એ ૩૦૦મો હપતો છે.  આ હકીકત  અંગે મનમાં આનંદ કરતાં આશ્ચર્ય વધારે છે. 

અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ના કર્ણધારોનું ધ્યાન પણ આ કોલમ તરફ ગયું અને તેમાંથી પસંદ કરેલા લેખોનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું. પચાસેક પુસ્તકો પ્રગટ થયા પછી પહેલી વાર આ પુસ્તકનું પ્રકાશન પર્વ પણ મુંબઈમાં યોજાયું, ૨૦૨૨ના જૂનની ચોથી તારીખે. અને હવે આ પુસ્તકનો બીજો ભાગ પણ નવજીવન થોડા વખતમાં પ્રગટ કરશે. પુસ્તકની નાનકડી પ્રસ્તાવનાનું મથાળું બાંધ્યું હતું : ‘મુંબઈ, મારી મા.’ માગ્યા વગર આપે એનું નામ મા. એટલે મા પાસે માગવાનું તો શું હોય? પણ એક ઇચ્છા ખરી : પહેલો શ્વાસ મુંબઈની ધરતી પર લીધો, એમ છેલ્લો શ્વાસ પણ મુંબઈની ધરતી પર જ લેવાનું સદ્ભાગ્ય મળે. 

અને છેલ્લે આભાર આ સફરના સૌ સાથીઓનો. 

ફરી મળીશું આવતા શનિવારે. સફર અભી જારી હૈ. 

— દીપક મહેતા

* * * 

જો મારે આહુજાને મારી નાખવો હોત તો રિવોલ્વરમાંની બધી ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત

મરનાર પ્રેમ આહુજાના ફ્લેટની અદાલતે મુલાકાત લીધી તે પછીના દિવસે અદાલતનું કામકાજ શરૂ થયું. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે નામદાર, મારે આપને એક અરજ ગુજારવાની છે.

જજ મહેતા : શું? બોલો.

અત્યારે આરોપી નાણાવટી નેવીના તાબામાં કેદ છે. એ જગ્યાએ તેનાં જેટલાં કપડાં હોય તે બધાં જ પોલીસે જપ્ત કરવાં જોઈએ.

જજ મહેતા : પણ શા માટે? 

કારણ ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેને મળવા આવ્યો ત્યારે તેનાં કપડાં પર નહોતા લોહીના ડાઘ, કે નહોતાં એ ફાટેલાં-તૂટેલાં.

જજ મહેતા: પોલીસે શું કરવું અને શું ન કરવું એ કહેવાનું કામ અદાલતનું નથી. એટલે તમારી અરજી સ્વીકારી શકાય એમ નથી. પણ તમે ચાહો તો ડેપ્યુટી પોલીસ કમિશનરને ફેર ઉલટતપાસ માટે બોલાવી શકો છો.

આભાર, યોર ઓનર!

ફેર જુબાનીમાં ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ કહ્યું કે આરોપી નાણાવટીનાં કપડાં જપ્ત કરવા અંગે મેં કોઈ સૂચના આપી નહોતી, કારણ એમ કરવું મને જરૂરી લાગ્યું નહોતું?

કેમ?

મેં જો એનાં કપડાં પર લોહીના ડાઘ જોયા હોત અથવા તેનાં કપડાં ફાટેલાં હોત તો તે જપ્ત કરવાની સૂચના મેં આપી હોત. આવી બધી બાબતો નોંધવા માટે મારી આંખ ટેવાયેલી છે. તેણે છ-સાત મિનિટ મારી સાથે વાત કરી ત્યારે તે નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી અને સામે ચાલીને સરન્ડર થયો હતો.

એ વખતે તેણે શું પહેર્યું હતો તે તમને યાદ છે?

હા. તેણે હાફ સ્લીવ શર્ટ અને સફેદ ટ્રાઉઝર્સ પહેર્યાં હતાં. 

જજ મહેતા : તમે કહ્યું કે ‘આરોપી નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી.’ તમારા મન પર આવી છાપ કઈ રીતે પડી?

યોર ઓનર! મેં જે એમ કહ્યું તે મારા મન પર પડેલી છાપ નહોતી. પણ મેં જે નોંધ્યું હતું તે જ જણાવ્યું હતું. લાંબા અનુભવને કારણે આવી બધી બાબત અમારા મનમાં આપોઆપ નોંધાઈ જતી હોય છે. 

પછીના સાક્ષી હતા પોલીસ સર્જન ડો. આર.એમ. ઝાલા. તેમણે મરનારની લાશનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું. એ અંગેની તબીબી અને કાનૂની વિગતો તેમણે અદાલતને જણાવી હતી. 

બચાવ પક્ષના વકીલ : મરનાર આહુજા બંદૂકની ગોળીનો ભોગ બન્યો તે પહેલાં આરોપી અને મરનાર વચ્ચે ઝપાઝપી થઈ હોય તેમ તમે માનો છો?

ડો. ઝાલા : ના. કારણ મરનારના માથામાં જે ઈજા થઈ હતી તે તેની પાછળથી છોડાયેલી ગોળીને કારણે થઈ હતી. અને એ ઈજા ફેટલ, એટલે કે જીવલેણ હતી. એટલે ઝપાઝપીનો અવકાશ જણાતો નથી. 

બચાવ પક્ષના વકીલ : મરનારની છાતી અને તેના માથા પર જે ઈજા થઈ હતી તેનાથી મોત નીપજે જ એવું નથી, પણ તે ઈજાને કારણે મોત નિપજવાની શક્યતા રહે છે એમ ન કહી શકાય?

ના. એવું ન કહી શકાય. માત્ર છાતી પરનો ઘા પણ એવો હતો કે તેથી મોત નીપજી શકે. અને માથામાં જે ઘા થયો હતો તેનું પરિણામ તો મોતમાં જ આવી શકે.

ત્યાર બાદ બોમ્બે સી.આઈ.ડી.ના ઇન્સ્પેક્ટર કાણેને જુબાની માટે બોલાવાયા હતા. તેમણે ૨૭મી એપ્રિલે, એટલે કે બનાવના દિવસે, નાણાવટીના કોલાબા ખાતેના ઘરની જડતી લીધી હતી. 

એ દિવસે તમે આરોપી નાણાવટીના ઘરમાંથી શું શું જપ્ત કર્યું હતું?

એક ક્રિસમસ કાર્ડ જેના પર મામી અને પ્રેમ(આહુજા)ની સહીઓ હતી. અને ૧૯૫૯ના વરસની મિસિસ નાણાવટીની ડાયરી. આ બે વસ્તુ મેં પંચની હાજરીમાં જપ્ત કરી હતી. 

આ સાથે અદાલતની તે દિવસની કારવાઈ પૂરી થઈ હતી.

*

બીજે દિવસે સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવા માટે ફક્ત લાગતાવળગતા લોકોને, વકીલોને, છાપાના ખબરપત્રીઓને જ પાસ અપાયા હતા. અને પાસ વગરની કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર રહેવા દેવી નહિ એવો જજ મહેતાનો કડક આદેશ હતો. પણ કેમ? કારણ એ દિવસે આરોપી નાણાવટીનું નિવેદન નોંધાવાનું હતું. સુનાવણી શરૂ થતાં પહેલાં કોર્ટ રૂમની બહારની લોબીથી માંડીને કોર્ટના મકાનના દરવાજા સુધી કડક પોલિસ બંદોબસ્ત હતો. અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ઇન્ડિયન નેવીની એક સફેદ મોટર કોર્ટના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. તેના ચારે કાચ ચડાવેલા હતા. કમાન્ડર નાણાવટી મોટરમાંથી ઊતરીને સીધા દાદાર ચડીને કોર્ટ રૂમમાં પહોંચી ગયા હતા. અગિયાર વાગે પહેલાં જ્યુરીના માનવંતા સભ્યો અને પછી જજ મહેતા દાખલ થયા. તેમણે કમાન્ડર નાણાવટીને પોતાનું નિવેદન રજૂ કરવા કહ્યું.

કોર્ટમાં જુબાની આપતા કમાન્ડર નાણાવટી – કલ્પના ચિત્ર

નાણાવટી : યોર ઓનર! મેં જાણી જોઇને, સમજી વિચારીને, અગાઉથી ઘડેલી યોજના પ્રમાણે પ્રેમ આહુજાનું ખૂન કર્યું એવો જે આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે તે સદંતર ખોટો છે અને હું એ આરોપ મુદ્દલ સ્વીકારતો નથી. મરનાર પ્રેમ આહુજા અને મારી વચ્ચે રિવોલ્વરની ખેંચતાણ થઈ, અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ દરમ્યાન અકસ્માત છૂટેલી ગોળી દ્વારા પ્રેમ આહુજાનું મોત થયું. ફરિયાદ પક્ષે જે ઝીણી ઝીણી વિગતો રજૂ કરી છે તે હું સ્વીકારું છું. પણ મારે માથે જે ખૂનનો આરોપ મૂક્યો છે તે હું મુદ્દલ સ્વીકારતો નથી. મારા હાથમાંની રિવોલ્વર ઝૂંટવી લેવા તેણે મારા પર હુમલો કર્યો હતો જેનો મેં સેલ્ફ ડિફેન્સમાં પ્રતિકાર કર્યો હતો. એ દરમ્યાન અકસ્માત મારી રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી હતી. જો મારે તેને મારી જ નાખવો હોત તો રિવોલ્વરમાંની છએ છ ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત.

પ્રેમ આહુજાનો બેડ રૂમ અને તેમાં આવેલી બાથ રૂમ – ખરેખરી તસવીર

ત્યાર બાદ કમાન્ડર નાણાવટીએ અગાઉ પોલીસ સમક્ષ જે નિવેદન નોંધાવ્યું હતું તે અદાલતમાં તેમને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. એ સાંભળ્યા પછી નાણાવટીએ કહ્યું કે હા, મેં જ આ પ્રમાણેનું નિવેદન નોંધાવ્યું હતું. 

આ તબક્કે જજ મહેતાએ નાણાવટીને કહ્યું કે ફરિયાદ પક્ષે તમારી સામે જે પુરાવાઓ અદાલતમાં રજૂ કર્યા છે તે અંગે તમારે કાંઈ કહેવું છે? અલબત્ત, આ અંગે કશું કહેવાનું તમારે માટે ફરજિયાત નથી. કમાન્ડર નાણાવટીએ જવાબમાં કહ્યું કે આ અંગે હું કશું જ કહેવા માગતો નથી. 

ત્યાર બાદ જજ મહેતાએ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા. દરેક આરોપના જવાબમાં કમાન્ડર નાણાવટી એક જ વાક્ય દોહરાવતા હતા : ‘આ અંગે મારે કશું કહેવાનું નથી.’

જજ મહેતા : જુબાનીમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવન જ્યોત મકાનના ચોકીદાર પુરણ સિંહે તમને જતા રોકીને પૂછ્યું હતું કે તમે આહુજાનું ખૂન શા માટે કર્યું? ત્યારે તમે જવાબ આપ્યો કે તેને મારી પત્ની સાથે લફરું ચાલતું હતું એટલે મેં એનું ખૂન કર્યું.

નાણાવટી : એક અજાણ્યા ચોકીદાર સાથે હું મારા અંગત લગ્ન જીવન અંગે વાત કરું એવું સૂચન કરવું એ તદ્દન વાહિયાત છે. 

જજ મહેતા : જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે તમે પુરણ સિંહને કહ્યું કે હું પોલીસ પાસે જ જાઉં છું. તારે સાથે આવવું હોય તો ચાલ. પણ પછી તમે મોટર હંકારી ગયા.

નાણાવટી : આ વાત તદ્દન ખોટ્ટી અને ઉપજાવેલી કાઢેલી છે. 

આ તબક્કે ફરિયાદ પક્ષ તરફથી મિસિસ સિલ્વિયા નાણાવટીને જુબાની માટે બોલાવવાની માગણી થઈ જેનો બચાપક્ષે વિરોધ કરતાં કહ્યું કે આ આખા મામલા અંગે મિસિસ નાણાવટી અંગત રીતે મુદ્દલ સંડોવાયેલાં નથી. આ બનાવ બન્યો ત્યારે તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે મેટ્રો થિયેટરમાં પિક્ચર જોઈ રહ્યાં હતાં. ત્યાર બાદ પણ તેઓ બનાવના સ્થળે કે પોતાને ઘરે ગયાં નહોતાં. પણ પોતાનાં સાસુ-સસરાને ઘરે ગયાં હતાં. વળી આ મુકદમ્મો કહેવાતા ખૂન અંગેનો છે. તથાકથિત લગ્નબાહ્ય સંબંધ અંગેનો નથી. એટલે મિસિસ નાણાવટીને જુબાની માટે બોલાવી શકાય નહિ. 

બંને પક્ષને સાંભળ્યા પછી જજ મહેતાએ કહ્યું : જો પબ્લિક પ્રોસીક્યુટરને એમ લાગતું હોય કે અમુક વ્યક્તિને સાક્ષી તરીક બોલાવવાથી કશો ખાસ અર્થ સરે તેમ નથી તો એવી વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવાની ફરજ પાડી શકાય નહિ. વળી બનાવ વખતે મિસિસ નાણાવટી બનાવના સ્થળે હાજર નહોતાં. એટલે તેઓ આ બનાવનાં ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમને  સાક્ષી તરીકે બોલાવવાનો આદેશ હું આપી શકતો નથી.   

કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા

ત્યાર બાદ બોમ્બે પોલીસની સી.આઈ.ડી. બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પી.એલ. મોકાશીને જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બનાવ બન્યો તે પછી રાત્રે કમાન્ડર નાણાવટીનાં મા-બાપ સી.આઈ.ડી ઓફિસમાં આવ્યાં હતાં. તેઓ તેમની સાથે બદલવા માટેનાં કપડાં અને સૂવા માટે ચાદર, તકિયો, વગેરે લાવ્યાં હતાં જે મેં કમાન્ડર નાણાવટીને લેવા દીધાં હતાં. ત્યાર બાદ તેમનાં મા-બાપે તેમને થોડી વાર મળવા દેવાની વિનંતી કરી હતી. એટલે મારી હાજરીમાં તેમને મળવા દીધાં હતાં. બીજે દિવસે સવારે મેં આ વાત મારા ઉપરી-અધિકારીને મૌખિક રીતે જણાવી હતી. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર મોકાશીને ઘેરા ભૂરા રંગનું આખી બાયવાળું શર્ટ અને લગભગ એવા જ રંગનું પેન્ટ બતાવીને કહેવામાં આવ્યું હતું કે હકીકતમાં કમાન્ડર નાણાવટી સી.આઈ.ડી. ઓફિસમાં આવ્યા ત્યારે તેમણે આ કપડાં પહેર્યાં હતાં. ઇન્સ્પેક્ટર મોકાશીએ કહ્યું કે હું ખાતરીપૂર્વક કહી શકું તેમ છું કે કમાન્ડર નાણાવટીએ એ વખતે આ કપડાં નહિ, પણ સફેદ કપડાં પહેર્યાં હતાં અને તેના પર ક્યાં ય લોહીના ડાઘ હતા નહિ.

આ તબક્કે પબ્લિક પ્રોસીક્યૂટરે કમાન્ડર નાણાવટીને જુબાની માટે ફરી બોલાવવાની માગણી કરી હતી. ત્યારે જજ મહેતાએ કહ્યું કે તમારી માગણી સ્વીકારવામાં આવે છે. પણ હવે અદાલતનો સમય પૂરો થવા આવ્યો છે. એટલે તેના પર અમલ આવતી કાલે થશે.

એ ‘આવતી કાલ’ની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 ઑગસ્ટ 2025

Loading

શ્રમ-કાયદામાં વટહુકમ થકી ફેરફારની ઉતાવળ કેમ? 

નેહા શાહ|Opinion - Opinion|2 August 2025

નેહા શાહ

અર્થશાસ્ત્રના પાયાના અભ્યાસમાં ઉત્પાદનનાં સાધનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન (એ સાથે જોડાયેલાં બધાં પ્રાકૃતિક સંસાધનો), મૂડી, શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા. આ સાથે એક શ્રમજીવી, માણસમાંથી ઉત્પાદનનાં સાધનમાં ફેરવાઈ જાય છે. શ્રમ માટેની શરતો નફાના સંદર્ભે જ નક્કી થાય અને માનવીય ધોરણો નેપથ્યમાં જતા રહેતા હોય છે! એક માણસ શ્રમનું કામ કેટલા કલાક કરી શકે? માનવીય ધોરણે કેટલા કલાક હોવું જોઈએ? આ કામ સતત ચાલતા મશીનના ઘોંઘાટમાં કરવાનું હોય, સામે ચાલતી કેમિકલ પ્રોસેસની વાસ સતત શ્વાસમાં લઈને કરવાનું હોય કે પછી ઉડતી રજકણોની વચ્ચે કરવાનું હોય કામના સ્થળની એવી  સ્થિતિને ધ્યાનમાં રાખીને કામના કલાકોનું માપ નક્કી કરજો. 

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં વર્સેલ્સ સંધિ પછી વિશ્વ શાંતિ માટે વિશ્વ શ્રમ સંસ્થા(આઈ.એલ.ઓ.)ની સ્થાપના થઈ. સ્થાપકો માને છે કે સ્થાયી શાંતિ માટે સામાજિક ન્યાય આવશ્યક છે, અને તે માટે શ્રમિકોની પરિસ્થિતિમાં સુધારો જરૂરી છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોનાં શોષણ સામે યુરોપમાં આંદોલનો થઈ રહ્યા હતા. કામના કલાકો નક્કી કરવા તથા શ્રમિકોને આરામ અને જીવનનો આનંદ મળવો જોઈએ એવી માંગ ઉઠી. “આઠ કલાક શ્રમ, આઠ કલાક આરામ અને આઠ કલાક સામાજિક જીવન” – આ ‘વર્ક-લાઈફ બેલેન્સ’ના સિદ્ધાંત પર આધારિત માગને આધારે આઈ.એલ.ઓ.ના પ્રથમ સંમેલનમાં કામના કલાકોને આઠ સુધી મર્યાદિત કરવાનો કરાર થયો. ભારત પણ આમાં ભાગીદાર હતું. આઝાદી પછી ૧૯૪૮માં બનેલા ફેકટરી એક્ટમાં આ સમજૂતી આધારે નિયમ બન્યા.  

આ જ ફેકટરી એક્ટની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે પહેલી જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં ફેક્ટરી કામદારોના દૈનિક કામના કલાકો નવથી વધારીને બાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે ફેક્ટરીનો માલિક શ્રમિકને બાર કલાક સુધી રોકી શકે. જો કે સપ્તાહના કામના મહત્તમ કલાકની મર્યાદા 48 કલાકમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. વધુમાં, વટહુકમમાં ઓવરટાઇમના કલાકો પરની ત્રિમાસિક મર્યાદા હાલના 75થી વધારીને 125 કરવામાં આવી છે, અલબત્ત, ઓવર ટાઈમના બમણા પૈસા આપવાની જોગવાઈ કરી છે અને કામદારની લેખિત મંજૂરી પણ જરૂરી છે. પહેલા સતત પાંચ કલાક પછી રીસેસ મળી શકતી હતી હવે છ કલાક પછી મળશે. આ વટહુકમમાં સલામતીની વ્યવસ્થા અંગે કેટલીક શરતો હેઠળ મહિલાઓને રાતની પાળીમાં નોકરી કરવાની પણ મંજૂરી અપાઈ છે.  

કાયદામાં કરાયેલા આ સુધારાએ સંલગ્ન સૌ કોઈને ચિંતા સાથે આશ્ચર્યમાં મૂકી દીધા છે. મજૂર સંગઠનોએ વિરોધ કર્યો છે. એમની ચિંતાને કારણ છે. શ્રમિકો વિરામ વિના લાંબો સમય કામ કરશે તો એ ચોક્કસ ઉત્પાદન વધારશે. જ્યારે બજારમાં માંગ વધે તો એને પહોંચી વળવા પુરવઠો વધારવાનું સરળ બનશે, જે કંપનીનો નફો વધારશે અને રાજ્યમાં આર્થિક વૃદ્ધિ પણ થશે. લવચીકતા પણ વધશે – ચાર દિવસ બાર કલાક કામ કરી ત્રણ દિવસની છુટ્ટી! સાંભળવામાં આ જોગવાઈ સારી લાગે પણ જે કામની વાત છે એ ટેબલ-ખુરશી પર બેસીને કરવાનું નથી એટલે શ્રમિકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડનાર અસર અંગે પ્રશ્નો થાય. વટહુકમમાં શ્રમિકની સહમતીની વાત છે, પણ શું શ્રમિક સ્વેચ્છાએ લેખિત મંજૂરી આપે એવી પરિસ્થિતિ હોય છે ખરી? જરૂરત મંદ કામદાર માટે નોકરી ગુમાવવાનો ડર લેખિત મંજૂરી આપવા માટે પુરતો હોય છે એવું કોઈની પણ સામાન્ય બુદ્ધિ કહે છે. હવે જ્યારે કાયદાએ મહોર મારી છે ત્યારે માલિક કોઈને બાર કલાક કામ કરવા દબાણ કરશે તો એ કાયદાના દાયરામાં જ ગણાશે! એટલે ૧૯૧૯માં જે સિદ્ધાંતને શ્રમ કાયદાનો પાયો બનાવાયો હતો એ સિદ્ધાંત જ બદલવામાં આવી રહ્યો છે. 

મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની મંજૂરી મળવાથી પ્રથમ દૃષ્ટિએ જાતીય સમાનતા તરફનું પગલું લાગે કારણ કે મહિલાઓને મળતી તકોમાં વધારો થશે. પણ, જે સલામતીનાં પગલાંની જોગવાઈઓ વટહુકમમાં છે તેનું પાલન થયું કે નહિ એનું ઓડીટ કોણ કરશે? મહિલા સુરક્ષા માટે આમ પણ સરકારે લીધેલાં પગલાં ઓછાં પડે છે, પોલીસ કાચી પડે છે, નિર્ભયા ફંડ વણ વપરાયેલું રહે છે ત્યારે કાગળ પર બતાવાયેલી સુરક્ષાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. 

અત્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી, એટલે વટહુકમ બહાર પાડી ફેક્ટરી એકટના આ સુધારાનો તાત્કાલિક અમલ કરાયો છે. સરકારના કહેવા પ્રમાણે આ સુધારા દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, નવા પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય મહત્ત્વમાં રોકાણને આકર્ષવા અને રોજગારીનું સર્જન કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવાનો પ્રયાસ છે. પણ, રાજ્યમાં એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઇ કે વટહુકમના માર્ગે રાતોરાત શ્રમ સંબંધી કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડી? વિધાન સભાના સત્રની રાહ ના જોવાઈ? મજૂર સંગઠનો સાથે કોઈ પરામર્શ કે ચર્ચા પણ કરવામાં નથી આવી, એટલે જેમના કામની શરતોમાં બદલાવ આવ્યો છે એ વર્ગ જ વટહુકમ આવતા સુધી આખી પ્રક્રિયાથી અજાણ હતો! આવી ગુપ્ત રીતે કરેલી ઉતાવળનું શા માટે કરી હશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...243244245246...250260270...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved