Opinion Magazine
Number of visits: 9965312
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ ઇનામો : ઉમદા ઇતિહાસ અને થોડો વર્તમાન

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|3 January 2021

ભાગ્યે જ કોઈ એવી શિક્ષિત વ્યક્તિ હશે, જેણે નોબેલ ઇનામોનું નામ નહીં સાંભળ્યું હોય. દર વર્ષે વિજ્ઞાનની ત્રણ શાખાઓ, સાહિત્ય અને શાંતિ એમ પાંચ ક્ષેત્રે નોબેલ ઇનામો અપાય છે. છેક ૧૯૦૧થી અપાતાં આ ઇનામોનું આ ૧૨૦મું વર્ષ છે. આ ઉપરાંત એક ઇનામ અર્થશાસ્ત્રનું પણ છે, જે મૂળથી નોબેલ ઇનામ નહોતું, પરંતુ ૧૯૬૯માં રૉયલ સ્વીડિશ બૅન્કે તે પોતા તરફથી શરૂ કર્યું છે, અને બીજાં ઇનામો જોડે જ જાહેર થવાથી હવે તેને લોકો નોબેલ ઇનામ જ ગણે છે. બધાં ઇનામોના વિજેતાઓનાં નામોની એક પછી એક જાહેરાત ઑક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થાય છે અને ઇનામો નોબેલની જન્મતારીખ દશમી ડિસેમ્બરને દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અને શાંતિનું ઇનામ નૉર્વેના પાટનગર ઑસ્લોમાં અપાય છે. 

જેના નામે આ પારિતોષિકો અપાય છે, તે ઓલ્ફ્રેડ નોબેલનો જન્મ તો સ્વીડનમાં થયો, પરંતુ તે રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને છેવટ અમેરિકામાં રહી ચૂક્યો હતો. એની પ્રતિભા સર્વતોમુખી હતી; ઇજનેર હતો, પણ રસાયણશાસ્ત્ર જાણતો અને ઉદ્યોગપતિ હતો. તેની અનેક શોધોમાંથી મુખ્ય તે ડાયનેમાઇટની. રશિયાની ખનીજતેલની કંપનીઓમાં પણ તેનું રોકાણ હતું. પ્રખ્યાત તોપ બોફોર્સની કંપનીમાં ય તેનો હિસ્સો હતો. આ બધાથી તેને પુષ્કળ ધન મળ્યું. આજીવન અપરિણીત અને શરમાળ પ્રકૃતિના નોબેલને પોતાની જાતને આગળ ધકેલવાની ટેવ ન હતી. થોડો શોખ સાહિત્યનો હતો. એક ઑસ્ટ્રિયન મહિલા બર્થા વોન સટનર(જે એનાં સેક્રેટરી હતાં)ના પરિચયથી તેમને શાંતિના વિષયમાં બહુ રસ પડ્યો. આથી ૧૮૯૩માં તેણે જ્યારે વસિયતનામું બનાવ્યું ને ઇનામોની રચના કરી, ત્યારે શાંતિનો પણ તેમાં સમાવેશ કર્યો. લોકકથા એવી છે કે તેના મૃત્યુની ખોટી ખબર છપાયા બાદ જેવી ‘અંજલિ’ તેને મળી, તેનાથી તેનો આત્મા જાગ્યો અને તેણે ઇનામોનું દાન કર્યું; એ વાતને આધાર મળે તેવું કંઈ એની જીવનકથામાં વાંચવામાં ન આવ્યું. વિજ્ઞાનને ક્ષેત્રે કશુંક ઉપયોગી શોધી કાઢનારાઓને સન્માનવા તે જ મુખ્ય ઉદ્દેશ દેખાય છે. આથી જ ઇનામો માટે જાતિ, ધર્મ કે દેશની સીમાઓને તેણે શરત તરીકે અંકિત નથી કર્યાં.

નોબેલનું મૃત્યુ થયું ૧૮૯૬માં, પરંતુ ઇનામો ૧૯૦૧માં જ શરૂ થઈ શક્યાં કારણ કે એના ભત્રીજાઓએ ‘વિલ’ સામે વિવાદ કર્યો અને તેને ઉકેલતા પાંચ વર્ષ ગયાં. સૌથી પહેલું ઇનામ ક્ષ-કિરણોના શોધક વિલિયમ કોનરાડ રોન્જન(૧૮૪૫-૧૯૨૩)ને ગયું. ખાસ કરીને વિજ્ઞાનને લગતાં ઇનામોની જાહેરાતની વૈજ્ઞાનિકો રાહ જોતા હોય છે. તેમાં કોને મળ્યું તે કરતાં કયા વિષયને મળ્યું તેનું નામ વધુ લેવાય છે. જેમ કે આ વરસે મેડિસીનનું ઇનામ હિપેટાઈટિસ ‘C’ના વાઇરસની શોધને મળ્યું; વિજેતાનાં નામ હાર્વે અલ્ટર, માઇકલ હફટન અને ચાર્લ્સ રાઇસ ઓછાં મહત્ત્વના બને. સામાન્ય રીતે દર વર્ષે પહેલું જે ઇનામ જાહેર થાય તે ‘શરીરશાસ્ત્ર અથવા ઔષધવિજ્ઞાન’નું હોય છે. (આ ઇનામનું નામ વસિયતનામામાં Physiology OR Medicine એ રીતે લખાયું છે, એટલે કે આ બંને વિષય મળીને એક જ ઇનામ આપવાનું છે.) કમળાના એક પ્રકાર ‘હિપેટાઇટિસ-સી’નું કારણ એક વાઇરસ છે, તે બતાવી તેને જુદું તારવવા માટે આ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચાયું છે. અગાઉ કમળો થવા માટે A તથા B નામે ઓળખાતા વિષાણું જવાબદાર છે, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ તે બંનેની ગેરહાજરીમાં પણ કમળો થાય છે અને તે આ વાઇરસ તેમ આ ત્રણ જણાએ દર્શાવ્યું. લોહીની તપાસમાં આ વિષાણુને પકડી શકાય છે. જેના યકૃત(લિવર)ને આ વાઇરસ લાગુ પડે તેમને લિવરનું કૅન્સર થવાની શક્યતા રહે છે. 

પદાર્થવિજ્ઞાન (Physics) માટેનું ઇનામ પણ ત્રણ જણ વચ્ચે સંયુક્ત રીતે મળ્યું. રોજર પેનરોઝ, ગેન્ઝેલ અને એન્દ્રિયા ઘેઝ (મહિલા) એ ત્રણે એ અલગ-અલગ સમયે Black Hole ‘શ્યામગર્ત’ ઉપર કાર્ય કરેલું. બ્લૅક-હૉલ એવા અવકાશી પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ગયેલો કોઈ પદાર્થ પાછો નીકળી શકતો નથી, તે એટલે સુધી કે પ્રકાશ પણ નહિ! જેમાંથી પ્રકાશ ન નીકળે તેને જોઈ કેમ શકાય? એટલે તેનું નામ ‘કાળું કાણું’ એવું પડ્યું. આપણી આકાશગંગાના કેન્દ્રમાં પણ આવું જ એક બ્લૅક-હૉલ છે. પેનરોઝે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો ઉપયોગ કરી તેનું અસ્તિત્વ સમજાવ્યું, પરંતુ તે વાસ્તવમાં છે કે નહિ તેની સાબિતી ગેન્ઝેલ અને ઘેઝે આડકતરી રીતે આપી. તેઓએ અવલોકન કર્યું કે બ્રહ્માંડમાં અમુક તારાઓનું ટોળું એક અદૃશ્ય બિંદુની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એનો અર્થ કે ત્યાં આગળ એક ભારે પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ તેમને ફેરવે છે. પેનરોઝે કોલકાતાના એક પ્રોફેસર અમલકુમાર રાય ચૌધરીનું ગણિત વાપરેલું, એટલે અગાઉ એમને મળવા ખાસ કોલકાતા પણ આવી ગયા છે.

રસાયણશાસ્ત્રનું ઇનામ પણ આમ જુઓ તો બાયૉલૉજીને જ ગયું કહેવાય. આનુવંશિકતાના મહા અણુ DNAમાં આપણી ઓળખના જિન્સ (જનીન) રહેલા હોય છે. જિનેટિક એન્જિનિયરિંગમાં DNAના અમુક ભાગમાં રહેલા જિનને કાઢી નાખવાનું અથવા તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો ખાસ જગ્યાએ એ મહા અણુમાં નવું જિન બેસાડવું હોય, તો તેને બરાબર જગ્યાએથી કાપવો પડે. અમુક રસાયણો આ કામ કરી આપે છે, જેને અણુને કાપવાની કાતર કહી શકાય. CRISPR Cas૧૯ નામની આ ટેક્‌નોલૉજી ઇમેન્યુઅલ ચાર પેન્ટિયર અને જેનિફર ડૂડના નામનાં બે સ્ત્રીવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. CRISPRએ લાંબા નામના પ્રથમ અક્ષરોથી  બનેલું નામ છે. આ યુક્તિ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરવા માટે વપરાય છે. કેટલાકે તેનો ઉપયોગ માણસની પ્રજાતિ સુધારવાના સંશોધન માટે પડકાર અને એમ કંઈક વિવાદ પણ ઊઠેલો. નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે સંયુક્ત ઇનામનાં બંને દાવેદાર મહિલા હોય, પરંતુ ભાભા પરમાણુકેન્દ્રના ડૉ. રથે આ વિષયે વ્યાખ્યાન આપતાં કહ્યું કે આ બંને ઉપરાંત લિથુયાનિયાના ડૉ. સિકિસ્નસે પણ આ જ શોધ કરી હતી, અને એમનું શોધપત્ર આ બંને કરતાં પહેલા પ્રકાશન માટે અપાયું હતું (મે ૨૦૧૨), પરંતુ આ લોકોએ જે જર્નલને પેપર મોકલ્યું, તેના તંત્રીને આ વિષય નવો લાગતાં તેમણે મોડા આવેલ પેપરને જલદી (જૂનમાં મળેલ પેપરને જૂનમાં જ) છાપ્યું. નોબેલ કમિટીએ ધાર્યું હોત, તો ત્રણેને સંયુક્ત ઇનામ આપી શકી હોત, પણ તેણે જે શોધપત્ર વહેલું છપાયું તેને ઇનામ આપ્યું. (એ વાત જુદી છે કે આમાંથી એક મહિલા સ્વીડનનાં છે, જ્યાં આ ઇનામોનો નિર્ણય થાય છે.)

સાહિત્યનું ઇનામ ૭૭ વર્ષનાં અમેરિકન કવિયિત્રી લુઇસ ગ્લુકને અપાશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૬૮માં પ્રકાશિત થયો હતો. એમ કહે છે કે એમની ખાસિયત છે કે બધાને સમજાય તેવી કવિતા લખવી. એમના કાર્ય વિષે સિતાંશુભાઈએ ગયા મહિનાના ‘નવનીત સમર્પણ’માં વિસ્તારથી વાત કરી છે. શાંતિનું પારિતોષિક યુનોની એક સંસ્થા વર્લ્ડ ફૂડપ્રોગ્રામને અપાયું. ફૂડપ્રોગ્રામ અનેક દેશોમાં શાળાનાં કુપોષિત બાળકોને ખોરાક પહોંચાડવાનું કામ છેલ્લાં સાઠેક વર્ષથી કરે છે. શાંતિ અને સાહિત્યનાં ઇનામો બાબતે ક્યારેક નોબેલ કમિટી થોડું ઍક્ટિવિઝમ કરી લેતી હોય છે. અર્થશાસ્ત્ર (જેને નોબેલ કમિટી Econonomic Science કહે છે!) માટે પોલ મીલ્ગ્રોમ અને રૉબર્ટ વિલ્સનની વરણી થઈ છે. એ લોકોએ નીલામી (Auction) કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેની વિવિધ રીતો પેશ કરી છે. આપણા દેશમાં સ્પેક્ટ્રમ અને કોલસાની ખાણોના પટ્ટાના નીલામી બાબતે બહુ ચર્ચા થઈ. પરંતુ આ અર્થશાસ્ત્રી જોડીએ દર્શાવ્યું છે કે મોઘા ભાવે ખરીદાયેલ પટ્ટા સરકારોને ગમે, પરંતુ સરવાળે પ્રજાને માથે જ ભારે પડે છે. 

ઇનામ મેળવનારે સામાન્ય રીતે મંચ પર પોતાના કામ વિષે વ્યાખ્યાન આપવાનું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કદાચ અર્પણવિધિ પ્રત્યક્ષ નહિ હોય. આમ છતાં વ્યાખ્યાન હોઈ પણ શકે. નોબેલ ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર આજ લગી થયેલા દરેક ભાષણની પ્રતિલિપિ મળે છે. બી.બી.સી. વર્લ્ડ ન્યૂઝ ડિસેમ્બરની દશમી તારીખે ઇનામ અપાયાં પછી આ બધી વ્યક્તિઓ સાથે વાતચીતનો કાર્યક્રમ કરે છે, જેમાં તેઓના અભિગમ તેમ જ કાર્યક્ષેત્ર વિષે વધુ જાણવા મળે છે. આમ તો નોબેલ ઇનામો વિષે બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે, જેમ કે કોને બે વાર મળ્યું, એક કુટુંબમાં કેટલાને મળ્યું, કોને મળવું જોઈતું હતું ને ન મળ્યું અથવા ના મળવું જોઈતું હતું, તેને મળ્યું વગેરે … પણ તે ટ્રિવિયા વિષે ક્યારેક પછીથી.

E-mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 13 તેમ જ 15

Loading

કોરોના વાઇરસ વેક્સિનની હોડમાં વિજ્ઞાન અને રાજકારણના ગિયરનો ફાળો અગત્યનો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 January 2021

જો આપણને આપણી સરકાર પર આંધળો વિશ્વાસ હોય તો વિજ્ઞાન પર વિશ્વાસ રાખવામાં આપણે ખચકાવું ન જોઇએ.

ગયા વર્ષે જાન્યુઆરીમાં આપણે ટ્રમ્પ આવશેની વાતો કરતા હતા, તો હવે એના કરતાં ચાર ગણી આતુરતાથી આ જાન્યુઆરીમાં વેક્સિન આપણા દેશમાં ક્યારે પહોંચશે તેની રાહ જોઇશું. એક્સપર્ટ્સની વાતને ગણતરીમાં લઇએ તો આપણા દેશમાં વેક્સિન આવવામાં હજી ચાર-છ મહિના થઇ જશે. યુ.એસ.એ.માં વેક્સિનના ડોઝીસની ડિલિવરી શરૂ થઇ ગઇ છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા અનુસાર યુ.એસ.એ.ના વિવિધ સ્ટેટ્સમાં ૧૧.૪ મિલિયન ડોઝિસની ડિલિવરી થઇ ચૂકી છે. આ તરફ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જે રીતે વેક્સિનની વહેંચણી કરે છે તેની જો બાઇડને આકરી ટીકા કરી છે, અને કહ્યું છે કે જો આમ જ ચાલશે તો અમેરિકન્સનું વેક્સિનેશન કરવામાં મહિનાઓ નહીં, પણ વર્ષો નીકળી જશે. આ ટિપ્પણીમાં કેટલું રાજકારણ અને કેટલું સત્ય એ તો વખત આવ્યે ખબર પડશે, પણ વેક્સિન અને રાજકારણનો ખેલ તમે ધારશો તેના કરતાં વધુ પેચિદો અને લાંબો ચાલશે, એ ચોક્કસ.

વળી, આ રાજકારણમાં વિજ્ઞાન પ્રત્યે લોકોની જાગરૂકતા પણ મોટો ફાળો આપશે. જેમ કે જ્યારે રશિયાના પ્રેસિડન્ટે સ્પુટનિક વેક્સિનની જાહેરાત કરી તો સોવિયેત યુનિયને આ જ નામે લૉન્ચ કરેલા ઉપગ્રહને લઇને ૧૯૫૭માં જેટલો આવકાર અને ઉમળકો મળ્યા એટલા વેક્સિનની જાહેરાતને ન મળ્યા. આ વેક્સિનની જાહેરાત થતાં લોકોએ શંકા-કુશંકાઓ વ્યક્ત કરી અને સલામતીની પ્રશ્નો પણ ખડા કર્યા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કયું રાષ્ટ્ર સૌથી પહેલાં વેક્સિન લૉન્ચ કરે છે એની જાણે હોડ લાગી. આ હોડમાં માત્ર વૈજ્ઞાનિક સ્તરની સ્પર્ધા નહીં પણ આંતરરાષ્ટ્રીય સંબંધોનો પણ પ્રભાવ પડશે જ, તે સ્વાભાવિક છે. આ તરફ રશિયાએ જાહેરાત કરી તો યુ.કે. અને ચીનના વેક્સિનની જાહેરાત પણ થઇ, આ રેસમાં પોતાની ગતિ સાચવવા માટે યુ.એસ.એ.એ પણ કોઇ કચાશ ન છોડી. આ તમામ રાષ્ટ્રોએ અલગ અલગ વય જૂથ, મેડિકલ વર્કર્સ વગેરેને વેક્સિન્સ આપવાની શરૂઆત કરી છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકોનું માનવું છે કે વેક્સિન જેને પણ અપાયા છે તે તમામ ઉમેદવારો પર તે હકારાત્મક અસર કરે છે તે સાબિત થશે, એ પછી પણ વેક્સિનનું આ પ્રોટેક્શન કેટલું ટકશે તેનો ક્યાસ કાઢવા માટે હજી સમય લાગશે.


રશિયાની વેક્સિન સફળ જાય એ પુતિનના રાજકીય કરિયર માટે બહુ જ મહત્ત્વનું છે અને એ જ પ્રમાણે યુ.એસ.એ.માં વેક્સિનનું વિતરણ સફળ રીતે પાર પડે એ ટ્રમ્પ માટે જરૂરી છે, જો કે ટ્રમ્પે પોતાની કાબેલિયતનું પ્રદર્શન વાઇરસ પૂર જોશમાં હતો ત્યારે કર્યું જ છે, એટલે એની પાસેથી કેટલી આશા રાખવી એ ચોક્કસ એક મોટો પ્રશ્ન છે. આ તરફ વેક્સિનની રેસમાં ઝડપથી દોડવા માગતા રશિયાના ઇન્ટેલિજન્સ માટે કામ કરતા હેકર્સે યુ.કે., યુ.એસ.એ. અને કેનેડાનો વેક્સિન સંબંધિત ડેટા ફાર્માસ્યુટિકલ્સ અને એકેડિમિક સોર્સિઝમાંથી ચોરવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ પણ મુકાયો હતો.

દુનિયા આખી વાઇરસથી એટલી કંટાળી છે કે જે દેશ વેક્સિન આપવા તૈયાર હોય તેની સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. હા, પણ રશિયન વેક્સિનને મામલે આ રાષ્ટ્રોને યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન તથા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ‘ઓકે’ની જરૂર પડશે.

વળી રાતોરાત તૈયાર થઇ ગયેલા વેક્સિનને લઇને લોકોમાં શંકા તો છે જ પણ યુ.એસ.એ.ની હિસ્પેનિક અને બ્લેક જેવી માઇનોરિટી કમ્યુનિટિઝને તેમના સુધી વેક્સિન પહેલા તબક્કામાં નથી પહોંચવાનું તેની ખાતરી પણ છે. વેક્સિનનું રાજકારણ બહુપરિમાણીય છે. માત્ર કયો દેશ વેક્સિન પહેલાં બનાવે છે કે કયું રાષ્ટ્ર કોની પાસેથી વેક્સિન મંગાવે છે, એ બધાં ઉપરાંત દરેક રાષ્ટ્ર સૌથી પહેલાં સમાજના કયા હિસ્સાનું રસીકરણ કરે છે, આખી વસ્તી સુધી કેવી રીતે પહોંચે છે, તે તમામ નિર્ણયોમાં રાજકીય વલણ બહુ મોટો ફાળો આપશે. વળી તમે રાજકીય ચહેરાઓએ જાહેરમાં લીધેલા વેક્સિનના સમાચાર વાંચ્યા જ હશે, અને તેની પાછળનું સીધું કારણ છે કે લોકોના મનમાંથી વેક્સિનનો ડર નીકળી જાય. ભૂતકાળમાં જ્યારે પોલિયોની રસી શોધાઇ ત્યારે યુ.એસ.એ.ની એક લેબમાંથી ઉતાવળે રસી ‘રોલઆઉટ’ કરવાની લ્હાયમાં ઇન્ફેક્શન વધારે તેવી રસી માર્કેટમાં પહોંચી ગઇ હતી અને પછી લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે એલ્વીસ પ્રેસલી જેવા સ્ટારે જાહેરમાં રસી લેવી પડી હતી, તે પણ ટેલિવિઝન શો પર દેખાવાની ગણતરીની ક્ષણો પહેલાં.

હવે આપણા દેશની વાત કરીએ તો આપણે ત્યાં તો નવા જ વાંધા હોય છે. જેમ કે આયુષ્માન ભારત સ્કીમના સી.ઇ.ઓ. ઇન્દુ ભૂષણે એમ કહ્યું કે, “જો આ તબક્કે જ્યારે ‘આર.ઓ.’ એટલે કે આર નૉટ – એવો સરેરાશ આંકડો જે સંક્રમિત લોકોને કારણે બીજા લોકોને લાગતા ચેપની સંખ્યા બતાડે – નીચે આવ્યો હોય અને દેશ હર્ડ ઇમ્યુનિટી મેળવવાની નજીક હોય તો પછી સરકારે વેક્સિનને ફાઇનાન્સ કરવાની જરૂર જ શું છે?” ભૂષણે આ સવાલ સંક્રમણ ફેલાવી શકનારા જૂથને સંબોધીને કર્યો હતો. આ તરફ અલગ અલગ રાજ્યોએ પોતે કેવી રીતે રસીકરણની પ્રક્રિયા સંભાળશે તેની પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. સરકારનું ફોકસ છે કે જેમને સંક્રમણ લાગી શકે છે અને જેની પર તેની અસર થઇ શકે છે તેવા લોકોનું રસીકરણ પહેલાં કરવું. આપણા દેશમાં પણ સામાજિક સ્તરે રસીકરણમાં સમાનતા અને પારદર્શિતા જળવાય તેવી આશા અને અપેક્ષા રાખવાં જરૂરી છે. સરકાર આ મહાકાર્ય કેવી રીતે પાર પાડે છે એ ઘણાં સવાલોના જવાબ આપી શકશે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકારનો અભિગમ વેક્સિનની વહેંચણીમાં મોટો ફાળો ભજવશે. જે રીતે મતદાનની તૈયારીઓ થતી હોય છે તે રીતે વેક્સિન બુથ્સ ખડાં કરવા પડશે અને લોકો વેક્સિન લેવા આવે અને કોઇ ડર ન રાખે તે પણ સરકારની જવાબદારી જ રહેશે. અને હા વેક્સિન ઝડપથી શોધાઇ છે એટલે વિશ્વસનીય નથી એમ માનવામાં સાર નથી કારણ કે કોરોના વાઇરસ કોવિડ-૧૯ એક પ્રકારનો સાર્સ વાઇરસ છે અને સાર્સ પર તો લાંબા સમયથી કામ થઇ રહ્યું હતું, ચીને એકવાર વાઇરસનું બંધારણ જાહેર કર્યું પછી લેબ્ઝ માટે આ દિશામાં કામ કરવું મુશ્કેલ ન હતું, જો આપણને આપણી સરકાર પર આંધળો વિશ્વાસ હોય તો વિજ્ઞાન પર વિશ્વાસ રાખવામાં આપણે ખચકાવું ન જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 જાન્યુઆરી 2021 

Loading

નવું સત્ય સમજાય કે તરત તેને સ્વીકારી અભિપ્રાય સુધારતા

રમેશ ઓઝા|Opinion - Opinion|3 January 2021

વિડંબના જુઓ! મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિંદુ લાગતા હતા, તો હિન્દુત્વવાદીઓને અર્થાત્ હિંદુ કોમવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિંદુ લાગતા હતા. દલિતોને અને સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિંદુ લાગતા હતા તો સનાતની સવર્ણ હિંદુઓને ગાંધીજી સુધારક લાગતા હતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી બુર્ઝવા લાગતા હતા, તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી સમાજવાદી લાગતા હતા. રસ્તા ઉપર ઉતર્યા વિના સુવિધાપરસ્ત જિંદગી જીવીને આવેદન-નિવેદનનું રાજકારણ કરનારા લોકોને ગાંધીજી જહાલોમાં પણ જહાલ લાગતા હતા તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખાવનારાઓને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા હતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ આદર્શવાદી લાગતા હતા પણ પાછા પોતાને ચતુર વ્યવહારુ સમજનારાઓ ગાંધીજી સામે ચિત્ત થતા હતા. જનમાનસને એટલી હદે પ્રભાવિત કરે અને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહારકુશળ પ્રભાવી નેતા કલ્પના પણ ન કરી શકે.

આવું કેમ બની શકે? દરેક માણસને ગાંધી નામનો એક જ માણસ અલગ અલગ કેમ ભાસી શકે? લોકમાન્ય તિલક જેટલા પણ હિંદુ હતા એટલા દરેકને એક સરખા હિંદુ નજરે પડતા હતા. ગોપાલકૃષ્ણ ગોખલે જેટલા સુધારક હતા એટલા દરેકને એક સરખા સુધારક નજરે પડતા હતા. ભગતસિંહ જેટલા ક્રાંતિકારી હતા એટલા દરેકને એક સરખા ક્રાંતિકારી નજરે પડતા હતા. ડૉ. આંબેડકર જેટલા સમાનતાવાદી હતા એટલા દરેકને એક સરખા સમાનતાવાદી નજરે પડતા હતા. ગાંધીમાં એવું શું હતું કે તે દરેકને દરેક બાબતમાં ઓછાવત્તા નજરે પડતા હતા?

આમ બનવાનાં બે કારણ હતાં. એક તેમની સત્યનિષ્ઠા અને બીજી તેમની ખુદવફાઇ. અસ્પૃશ્યતાનું પાલન હિંદુ ધર્મનું કલંક છે, એમ કહે એટલે સનાતનીઓને વાકું પડે. વર્ણાશ્રમ તેના મૂળ સ્વરૂપમાં આદર્શ વ્યવસ્થા હતી અથવા સફાઈ અને ચમારકામ જેવા બાપીકા ધંધાને અપનાવાવામાં કાંઈ ખોટું નથી, એમ કહે એટલે દલિતોને વાંકુ પડે. હિંદુ ધર્મ સંપૂર્ણ અને શ્રેષ્ઠ નથી અને તેનામાં ઘણી ખામી છે, એમ કહે એટલે હિંદુ કોમવાદીને તેમ જ હિંદુ ધર્માભિમાનીને વાંકુ પડે. હું સનાતની હિંદુ છું અને હિંદુ ધર્મે અને હિંદુ દર્શને મારું ઘડતર કર્યું છે એટલું જ નહીં હું હિંદુ હોવા માટે ગર્વ અનુભવું છું, એમ કહે એટલે વિધર્મીઓને અને આધુનિકોને વાંકુ પડે. શ્રમ કર્યા વિના ખાવું અને જરૂરથી વધારે સંઘરવું એમ કહે એટલે મૂડીવાદીઓને વાંકુ પડે અને રાજ્ય દ્વારા અંકુશો લાદવા એ ખોટું છે એમ કહે એટલે સામ્યવાદીઓને વાંકું પડે.

ગાંધીજીએ આવા વિરોધાભાસોની ચિંતા નહોતી કરી એનું કારણ તેમની સત્યનિષ્ઠા હતી. તેમને ખબર હતી કે તેને કારણે તેમને બન્ને બાજુએથી માર પડી રહ્યો છે. દલિતો પણ ઝૂડે અને સનાતનીઓ પણ ઝૂડે. સેક્યુલારિસ્ટો પણ ઝૂડે અને કોમવાદીઓ પણ ઝૂડે. મૂડીવાદીઓ પણ ઝૂડે અને સમાજવાદી/સામ્યવાદીઓ પણ ઝૂડે. આધુનિકો પણ ઝૂડે અને પરંપરા સંરક્ષક જુનવાણીઓ પણ ઝૂડે. વિનીતો પણ ઝૂડે અને ક્રાંતિકારીઓ પણ ઝૂડે. એવું નહોતું કે બીજા નેતાઓને જે તે ધર્મની, જ્ઞાતિની, સમાજવાદની, મૂડીવાદની, ભાષા અને પ્રાંત જેવી અસ્મિતાઓની મર્યાદાઓની જાણ નહોતી. તેઓ વિસંગતિ ટાળવા માટે અને સાતત્ય જાળવવા માટે એટલું જ અને એવું જ બોલતા હતા, જે તેમની ભૂમિકાને સુસંગત હોય. તેઓ વકીલની જેમ પોતાનો પક્ષ રાખે અને વકીલની જેમ પોતાના પક્ષને અનુકૂળ ન હોય ત્યાં આંખ આડા કાન કરીને મૂંગા રહે. તેઓ પોતાની ભૂમિકાએ રહીને કાં બીજા ઉપર આરોપ કરે અથવા પોતાનો બચાવ કરે. ગાંધીજી એક સત્યનિષ્ઠ સાક્ષી તરીકે જે તે વિષયોને જોતા હતા અને પોતાને જે સમજાય કે ભળાય તે કહેતા હતા. તેમણે પ્રયત્નપૂર્વક પરાણે સાતત્ય જાળવવાનો પ્રયાસ નહોતો કર્યો.

આ રીતે સત્યનિષ્ઠા સાથે બીજું કારણ હતું તેમની ખુદવફાઇ. જે સત્ય લાગે તે જ કહેવું અને તેને જ અપનાવવું. દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે. ગાંધીજીએ અનેકવાર કહ્યું છે કે તેમને એકલા પડી જવાનો ડર નથી લાગતો. આખી દુનિયા એક તરફ અને હું એક તરફ એવી સ્થિતિ પેદા થાય તો પણ હું વિચલિત નથી થતો, એમ તેમણે અનેક વાર કહ્યું છે. ગાંધીજીએ કહ્યું છે કે નવું સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવું સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો પછી ભલે દુનિયા તેમને ઢોંગી અને જૂઠાડા કહે.

ગાંધીજીના આવા સત્યનિષ્ઠ વલણના કારણે જે રાજકીય પરિણામ આવ્યું એ અહીં ધ્યાનપૂર્વક સમજવાની જરૂર છે. ભારતીય સમાજની વિસંગતિઓ, વિરોધાભાસો, જટિલતાઓ, ચહેરાઓ, અનેક પ્રકારની સામાજિક રંગછટાઓ તેમણે એના એ સ્વરૂપમાં નગ્ન આંખે જોઈ, સમજી, તપાસી, કેટલીક સ્વીકારી અને કેટલીક નકારી. તેમણે ભારતીય સમાજની જટિલતાઓનું ચોક્કસ એક ભૂમિકાએથી એ ભૂમિકાને માફક આવે એ રીતે સરળીકરણ નહોતું કર્યું. વકીલ બનવાની જગ્યાએ સાક્ષી તરીકે આ દેશને જોયો અને એક સાક્ષીને જેવો દેશ નજરે પડ્યો એવો રાજકીય અભિગમ અપનાવ્યો.

કેવો દેશ નજરે પડ્યો? વિરોધાભાસોથી ગ્રસ્ત. અપવાદ વિના આ દેશમાં દરેક પાસે ગર્વ લેવા જેવું કેટલુંક શુભ છે અને અપવાદ વિના દરેક પાસે શરમાવું પડે એવું અશુભ પણ છે. કેટલુંક છોડવા જેવું છે અને કેટલુંક જાળવી રાખવા જેવું છે. બ્રાહ્મણ આખેઆખો ખરાબ નથી અને દલિત આખેઆખો દોષ વિનાનો નથી. દલિત આખેઆખો નીચ નથી અને બ્રાહ્મણ આખેઆખો શ્રેષ્ઠ નથી. આવું જ હિંદુ ધર્મની બાબતમાં, ઇસ્લામની બાબતમાં, અન્ય જ્ઞાતિઓની બાબતમાં, સમાજવાદ અને મૂડીવાદની બાબતમાં, પ્રાંતો અને ભાષાઓની બાબતમાં, ભારત અને ઇંગ્લેન્ડની બાબતમાં.

આનું રાજકીય પરિણામ એ આવ્યું કે જે તે સમાજવિશેષનું તેના નેતાઓને માફક આવે એવું સરળીકરણ કરનારું રાજકારણ પરાસ્ત થવા લાગ્યું. અમે વિકટીમ અને તમે વિલન એવું સરળીકરણ મુશ્કેલ થઈ ગયું. ઝીણા હોય કે સાવરકર, માલવિયા હોય કે આંબેડકર, બિરલા હોય કે એસ.એ. ડાંગે, તેજબહાદુર સપ્રુ હોય કે ભગતસિંહ, હિન્દી સાહિત્યકાર હોય કે તમિળ સાહિત્યકાર દરેકને અમે વિકટીમ તમે વિલનવાળી ભૂમિકા છોડવી પડી. જેમણે નહોતી છોડી તેઓ ગાંધીજીના કારણે એકલા પડી ગયા અને પરાસ્ત થયા. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ગાંધીજીને ગાળો શા માટે આપવામાં આવે છે. આજે જે લોકો પોતપોતાના સમાજવિશેષનું અમે વિકટીમ તમે વિલનવાળું સરળીકરણ કરીને રાજકારણ કરે છે અથવા કરવા માગે છે અથવા તેનું સમર્થન કરે છે, તેમના પૂર્વસૂરિઓ ભૂતકાળમાં ગાંધીજી સામે પરાસ્ત થયેલા છે. એનો ચરચરાટ તેઓ ભૂલ્યા નથી.

ગાંધીજીના રાજકારણનું બીજું રાજકીય પરિણામ એ આવ્યું કે સમાજવિશેષની જગ્યા વ્યક્તિએ લીધી અને વિક્ટીમ તેમ જ વિલનની જગ્યા સમાજનિરપેક્ષ મૂલ્યોએ લીધી. ભારતનાં બંધારણના કેન્દ્રમાં સમાજ નથી નાગરિક છે અને સમાજનિરપેક્ષ મૂલ્યો છે. અત્યારે ભારતના બંધારણ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે, એનું કારણ પણ તમને હવે તમને સમજાઈ ગયું હશે. ભારતનું બંધારણ હિંદુ માટે નથી, નાગરિક માટેનું છે એ તેમની પીડાનું કારણ છે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021

Loading

...102030...2,1552,1562,1572,158...2,1702,1802,190...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved