Opinion Magazine
Number of visits: 9680529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા પિતાજીની 95મી જન્મ જયંતીએ પુણ્યસ્મરણ અને પ્રેમાંજલિ :



વિજય ભટ્ટ, 
વિજય ભટ્ટ, વિજય ભટ્ટ|Opinion - Opinion|30 October 2020

ઓક્ટોબર 24,  ડો. જયેન્દ્ર મણિધર ભટ્ટ, ઉર્‌ફે બચુભાઈ, બુલબુલ ભાઈ, બચુદાદા, દાદા તરીકે ઓળખાતા મારા પિતાજીની ૯૫મી જન્મ જયંતી! (1925 – 2008)

બ્યાશી વર્ષના એમના સરળ, સાદા પણ રસપ્રદ, અને પ્રેરણાદાયક જીવન વિષે ઘણું કહી શકાય. પણ ચાલો, આજે  એમને એક પુત્રના કેલિડોસ્કોપમાંથી જોઈએ!

બધાં એમને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના એક સરળ સન્નિષ્ઠ અધ્યાપક તરીકે ઓળખે. એમના જેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા બીજા અનેક અધ્યાપક સાથીઓને પણ આપણે આજે બિરદાવીએ.

ઘર અને પાડોશમાં સૌ એમને બચુભાઈ કહેતા. હા, આબાલવૃદ્ધ સૌ. અને પાછળથી એમને  'દાદા'ની પદવી ઘરના બાળકોએ આપી, તેથી બચુદાદા પણ કહેવાયા! શુદ્ધ ગાંધીમૂલ્યોનું  અનુસરણ કરનારી, પ્રગતિશીલ અને માનવતાવાદી વ્યક્તિ. પરંતુ કદી પોતાનો કોઈ મત કુટુંબીઓ કે બીજા પર ઠોકી ન બેસાડતા એટલે પહેલા ઉદારમતવાદી. સાથે સાથે થોડી માનવ સહજ અવ્યહારુ મર્યાદાઓ પણ ખરી જ. આગળ જોઈશું.

એક વાર એમને એવી મોટી છીંક આવી હતી કે લેંઘાનું નાડું તૂટી ગયું! બધ્ધાની હાજરીમાં. પછી તો જે નિખાલસપણે, સંકોચ વગર, એ હસ્યા અને સાથે અમે સૌ પણ! એમને ગયે વર્ષો થયાં છતાં, આજે જ્યારે પણ ઘરમાં કોઈથી આવી નિર્દોષ કે ભુલકણી રમૂજ થાય ત્યારે અમે મોજથી કહીએ કે "બચુદાદા જેવું!"

એમને નાકમાં વાંકુ હાડકું (સેપ્ટમ) હતું, તેથી સાઈનસનું દર્દ બાળપણથી જ. તેમના લંગોટિયા માણેકલાલનાં દાદીએ છીંકણીં સૂંઘવાનું લફરું લગાડી આપ્યું. બસ પડી ગઈ ટેવ!  ખાદીનાં કપડાં, ખાદીનો રૂમાલ, પણ ગજવામાં છીંકણીંની ડબ્બી! વર્ષો પછી ચાલીસીમાં આ અભદ્ર એવી ગણાતી ટેવ ગઈ ખરી!

કોઈ પણ નાની વસ્તુ પણ રીપેર કરવાની આવે એટલે મોતિયાં મરી જાય! સમાચાર સાંભળવા ડાયલવાળા રેડિયો પર અમદાવાદ-વડોદરા સ્ટેશન સાચું ગોઠવવાની પૂરતી કુશળતા ખરી, પણ ટેપ રેકોર્ડરમાં કેસેટ મૂકી સાચી સ્વીટ્ચ દબાવવી ન ફાવે ને સાયકલની ચેન ઊતરે તો તો સહેજ કસોટીકારક આહ્વાન! અમારા ઈસબભાઈ વોરાકાકા, એક સહ-અધ્યાપક અને અમારા પાડોશી, તે એમનો પહેલો ને છેલ્લો સહારો! 

કૃષ્ણાશ્રય! 

વર્ષો સુધી અમારા ઘરમાં વાહન તરીકે માત્ર એક સાઇકલ! પાછળથી લેમ્બ્રેટ્ટા (ઇટાલિયન) ખરીદ્યું! પણ ચલાવતાં ના આવડે! તેથી એમના મિત્રો એમના વાહન-ચાલાક. મહિનાઓ પછી જાતે ચલાવતા થયા! કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ વિષે શીખવાનું શરૂ કર્યું, પણ રસ ન જાગ્યો. પરંતુ કમ્પ્યુટરની ભાષા – પ્રોગ્રામિંગ શીખી લીધું. ભાષા તરીકે જાવા પ્રોગ્રામિંગ સરસ શીખ્યા. આખો પ્રોગ્રામ જાવાની ભાષામાં લખે. કમ્પ્યુટરની ભાષાના નિયમો અને વ્યાકરણ તદ્દન સાચાં. આ પ્રોગ્રામિંગ પણ કાગળ પેન્સિલથી જ લખેલું. પરફેક્ટ! શિક્ષકની પણ ભૂલ કાઢે. પરંતુ કમ્પ્યુટર ઉપર તે પ્રોગ્રામ લૉડ કરવો કે કમ્પ્યુટર ચલાવવું વગેરે ન ફાવે. કહે “જવા દો ત્યારે !" મોબાઈલ ફોન મેં આપ્યો હતો પણ જવલ્લે જ વાપરે. શૈક્ષણિક અભિગમ (એપ્ટિટ્યૂડ) જન્મજાત, પણ યાંત્રિક નહીં.

એકસઠ પછી રિટાયર થઇ અમેરિકા આવી જોડાયા અમારી સાથે. ઘરમાં બેસી રહેવું ગમે નહિ. કાર શીખવડાવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી! પાછળથી કહેતા કે સારું થયું, કારણ કે બસમાં ફરવાથી લોકોને મળાય, જુદી જુદી જાતિના અને ભાષાના લોકો સાથે ભળાય  ને વાતો થાય.  અમુક નવા મિત્રો બને તેમને તો બસથી ઘરે લઈ આવે – વાતો કરવા અને ચા પીવા. અરે, ઘણી વાર અમે કામ ઉપરથી ઘરે આવીએ ત્યારે કોઈ વાર ગોરા, કોઈ વાર કાળા, કે મેક્સિકન, કે વિયેતનામી એવા અજાણ્યા મહેમાન અમારા દીવાન ખંડમાં આદુવાળી ચા, ગુજરાતી નાસ્તો અને બચુભાઈની કંપની માણતા હોય, અને તે માતુશ્રીની બદોલત! લોસ એન્જલ્સના વિવિધ જાતિના અનેક લોકોની સાથે એમની દોસ્તી. જાણે યુનિટેડ નેશન્સના પ્રમુખ!

બસમાં ફરવામાં વાર બહુ લાગે, થોડું ચાલવું પણ પડે, છતાં ભાગ્યે જ કોઈને વિનંતી કરે કે તમારી કારમાં મને મૂકી જાવ. પોતાની સ્વતંત્રતાથી ફરવાની મોજ અને જુદી જુદી સંસ્કૃતિના લોકોને મળવાનું વધુ ગમે. લોસ એન્જલ્સમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળાં લોકો બસમાં ફરે. તે છતાં (અને કદાચ તેથી જ) બસ ગમે. એન.આર.આઈ. સિનિયર સિટીઝન્સની પણ ક્લબ શરૂ કરી અને એ એક સહાયક (સપોર્ટ ગ્રુપ).

અધ્યાપક 


એમનો પીએચ.ડી.નો વિષય હતો – ગાંધી-વિનોબાની શૈક્ષણિક ફિલસૂફીનો અભ્યાસ.  એમના માર્ગદર્શન હેઠળ લગભગ સાઠથી વધુ પીએચ.ડી. સ્નાતકો થયાં જે બધાં જ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરે છે. વૈવિધ્યપૂર્ણ વાચન એમની સુટેવ. ટી.વી. જોવાને સમયનો વ્યય કહેતા. અનેક રસપ્રદ વિષયો પર માંડીને બોલી શકે. અમને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્તેજિત કરે અને શીખવે. નખશિખ અધ્યાપક!

અંગ્રેજી, સંસ્કૃત, અને ગુજરાતી ભાષા પર અદ્દભુત પ્રભુત્વ. ઉર્દૂ લિપિ શીખ્યા. હસીને સ્વીકારતા કે “મારું પોતાનું લખેલ ઉર્દૂ  પાછળથી વાંચતાં અઘરું પડે છે, પણ બીજાનું લખેલું ઉર્દૂ સહજ વાંચી શકું છું એટલી નબળાઈ છે.”( મૂજી લાગે પણ સાચું). તેમના સહ અધ્યાપકો એમની વ્યાવહારિક બિનઆવડત અને ભોળપણ પર હંમેશાં એમની પ્રત્યક્ષ જ પ્રેમથી હસતા, પરંતુ એમની વિદ્વત્તા, ઉચ્ચ મૂલ્યો, અને ઉદારતા માટે અત્યંત આદર અને સન્માન રાખતા.

કિશોરકાળથી જ કસરતી. છેક છેલ્લે સુધી શારીરિક સહનશક્તિ એવી કે પાછલી ઉંમરે પણ ચાર વાર થાપાની સર્જરી ખાસ ફરિયાદ વગર સહી. પહેલેથી ગાવાનો શોખ તેથી જ  હુલામણું નામ બુલબુલ પડેલું. પોતે સંગીત શીખી ના શક્યા પણ અમને સંગીત શીખવવાનો આગ્રહ રાખ્યો તેનો આજે અમને ફાયદો અને આનંદ છે.

ધર્મનિરપેક્ષ, એગ્નોસ્ટિક, કે નાસ્તિક?


ભારતમાં હતા ત્યારે ક્યારે ય મંદિર ન જતા. અમેરિકા આવ્યા પછી અહીંના મંદિરમાં માત્ર બીજા ભારતીયોને મળી શકાય, વાતો થાય માટે જ જતા, અને લગભગ બહાર બાંકડે જ બેસતા. એમણે ભાષ્યો અને મીમાંસાનાં ભાષાંતર કરેલાં અને શાસ્ત્રોનો અભ્યાસ કરેલો તે છતાં તેમાં જરા ય માનતા ન હતા. બાઇબલ, કુરાન, બૌદ્ધ, અને જૈન શાસ્ત્રોમાં ઊંડો રસ અને અભ્યાસ. પણ કહેતા "ઠીક છે બધું. માનવધર્મ જ ધર્મ". બચુભાઇને નાસ્તિક કહી શકાય કે નહિ તે હજી એક કોયડો છે, પણ એ એક માનવતાવાદી, ધર્મનિરપેક્ષ, ઉદારમતવાદી, અને પોતની આગવી રીતે આધ્યાત્મિક વિદ્વાન જરૂર હતા.

અમારાં બાળકો માટે ખૂબ જ પ્રેમ, અને માનવતાવાદી અને જ્ઞાનનાં મૂલ્યોનું સિંચન બાળકોમાં કરવાનો અતિ આગ્રહ. એ સાદા અને સરળ માનવી કે જેમને અમારા પિતા કહેતાં અમને ગૌરવ થાય છે, એમને કવિશ્રી ઉમાશંકર જોશીનાં ‘માવતર’ કાવ્યની પંક્તિઓ ટાંકીને સાદર પ્રેમાંજલિ :



પિતા! હું તો નાનું ઝરણ અમથું; ઈશ્વરકૃપા


થકી જન્મ્યું, જીવું, જગતલ વહું આર્દ્ર ઉરથી


તમારા પ્રેમાળુ (ઉપરથી ભલે વજ્ર સમ હો!), -


મીઠું ગાણું મારી રગ રગ વહે આપ રગનું

.
…. બની બાદલ પાછું તમ ઉર વસું, જો પ્રભુકૃપા!

(લોસ એન્જલ્સ)


e.mail : vijaybhatt01@gmail.com

Loading

જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

ગુણ-નિવેદનમ્‌ – વિનોબા (અનુવાદ : ભદ્રા સવાઈ)|Opinion - Opinion|30 October 2020

વ્યક્તિ વિશેષ

(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.)

જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો.

‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો પાઠ રહેંટ ચલાવતાં ચલાવતાં થતો હતો. એક વાર જયપ્રકાશજી મને મળવા આવ્યા. તે દિવસોમાં અમારો વિચારભેદ હોવા છતાં તેઓ મારી સાથે રહેંટ ચલાવવામાં જોડાઈ ગયા. તેઓ ઘણી પ્રેરણા લઈને ગયા. (જે.પી.એ કહ્યું હતું, “મેં ત્યાં પ્રકાશનું કિરણ જોયું. વિનોબા સાથે એમની એ પહેલી મુલાકાત હતી.)

જયપ્રકાશજી વિદ્યાપ્રાપ્તિ માટે અમેરિકા ગયા હતા. અહીંથી પૈસા લઈને ગયા નહોતા. ત્યાં એમણે મજૂરી કરી. હૉટેલ વગેરેમાં કામ કર્યું, પૈસા કમાયા અને અધ્યયન કર્યું. બિલકુલ મામૂલી મજદૂરી કરી. આ રીતે એમના જીવનમાં પુરુષાર્થની પ્રેરણા હતી. જેઓ કષ્ટ સહન કરીને વિદ્યા મેળવે છે તેઓ જીવનમાં ક્યારે ય હારતા નથી.

જયપ્રકાશજીએ સાહિત્ય ખૂબ વાંચ્યું હતું. એને પચાવ્યું હતું. પરંતુ એમને લાગ્યું કે ઈશ્વર વગર ‘ગુડનેસ’(ભલાઈ)ને માટે ‘ઇન્સેન્ટિવ’ (પ્રેરણા) નથી થતી. દુનિયામાં પરિશુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત છે. તે જ પરમાત્મા છે. એ વ્યાપક પરિશુદ્ધ ચૈતન્ય સાથે જ આ પિંડના ચૈતન્યનો સંબંધ થવાથી આ ચૈતન્ય શુદ્ધ બને છે.

જયપ્રકાશજીની બે-ત્રણ વિશેષતાઓ હતી. પહેલાં ચર્ચા ચાલતી હતી કે જવાહરલાલજી પછી પ્રધાનમંત્રી કોણ બનશે ? ત્યારે જયપ્રકાશજીનું  જ નામ લેવાતું હતું. પણ જયપ્રકાશજીએ ક્યારે ય સત્તા હાથમાં લીધી નહીં. સત્તાની ઇચ્છા એમને નહોતી. લોકોએ એમને ‘લોકનાયક’નું બિરુદ આપ્યું. પરંતુ એમણે ક્યારે ય પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં. લોકસેવક જ માન્યા.

જો તેઓ ઇચ્છતા હોત તો પ્રધાન મંત્રી કે રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ આવી કોઈ ઇચ્છા એમના મનમાં ક્યારે ય થઈ નહીં. લોકો સાથે એકરૂપ થઈને જ તે લોકોની સેવા કરતા રહ્યા. ગામેગામ લોકોની, ખાસ કરીને ગરીબોની શક્તિ વધે, એ એકમાત્ર એમની ઇચ્છા હતી. તે માટે એમણે આખું જીવન હોમી દીધું. છેલ્લે સુધી દરિદ્રનારાયણની સેવા કરતાં કરતાં એમણે પોતાનું જીવન સાર્થક બનાવ્યું.

બીજી વિશેષતા, તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ પતિ-પત્ની બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મચારી હતા. એમના લગ્ન કરાવ્યાં તો એમની પત્ની શારદાદેવી બ્રહ્મચારિણી રહ્યાં. એનાથી ઊંધી વાત જયપ્રકાશજીની છે. પ્રભાવતી બાપુની સેવામાં રહેતાં હતાં, બાપુ સાથે નિકટના સંબંધ હતા. બાપુના વિચારોને કારણે પ્રભાવતીજીને બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી અને નિશ્ચય કર્યો. જયપ્રકાશજીએ કહ્યું, ‘હું તમને અનુકૂળ રહીશ.’ આ બિલકુલ સહજ રીતે થયું. ‘મેં કોઈ બહુ મોટી વાત કરી’ એવો અહમ્‌ નહીં. સહજ નિરહંકારી હતા. આ વાત કોઈને ખબર પણ નહોતી. ગાંધીજીએ કસ્તૂરબાને ‘માતા’ માન્યાં હતાં એ વાત બધાને ખબર છે. રામકૃષ્ણની વાત પણ જાહેર છે. પરંતુ જયપ્રકાશજીની વાત કોઈને ખબર નથી. દુનિયામાં આવાં ઉદાહરણો ઓછાં જોવા મળે છે.

જયપ્રકાશજીની ત્રીજી વિશેષતા હતી, એમની નમ્રતા, સરળતા અને સ્નેહ. એમના અનેક ગુણોનો પ્રભાવ મારા પર પડ્યો છે. એમાં એમના હૃદયની સરળતા મને વધુ પ્રિય હતી.

ગાંધી-નિધિએ ગાંધીજીના શતાબ્દી-મહોત્સવનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. એમાં અધ્યયન મંડળ, પુસ્તકાલય, ખાદી વગેરે અંગે વાતો થઈ હતી. જે.પી. એના સભ્ય હતા. મેં એમનો લેખ વાંચ્યો. એમાં લખ્યું હતું કે “ઘણા કાર્યક્રમ છે. પણ ક્રાંતિકારી કાર્યક્રમ કોઈ નથી. એટલે આ પ્રસંગ પછી ગાંધી-નિધિ પાંચ વર્ષ સુધી ગ્રામદાન અને ખાદીનું કામ ઉપાડી લે. ત્યારે મને યાદ આવી સિંહણની વાર્તા. શિયાળનું બચ્ચું ઘરડી સિંહણની પાસે શૂરાતનની વાતો વધારીને કરવા લાગ્યો. બધું સાંભળ્યા પછી સિંહણે કહ્યું. “નિ:સંદેહ તું શૂરવીર છે. પણ ખેદ એ વાતનો છે કે જે કુળમાં તું જન્મ્યો છે, ત્યાં હાથીનો શિકાર કરવામાં આવતો નથી. ઘણાં કામો શિયાળના આ બચ્ચાના કામ જેવાં થતાં હોય છે. પણ ગાંધીજીના નામે કોઈ કામ કરવું હોય તો એની કસોટી હશે ‘ક્રાંતિ’.

જયપ્રકાશજીનું શરીર થાકેલું હતું. લોકોના આગ્રહને કારણે થોડો સમય આરામને સારુ હિમાલયની ગોદમાં ગયા હતા. એટલામાં બિહારમાં અમારા સાથીઓને નક્સલવાદીઓ દ્વારા ખૂનની ધમકી મળી. એની ખબર જયપ્રકાશજીને મળી. તો તેઓ તરત દોડી આવ્યા. અને એમણે ત્યાં પોતાના જાનની બાજી લગાવી દીધી. નકસલવાદીઓનું કામ શરૂ થઈ ગયું હતું. માલિકોનાં ખૂન શરૂ થઈ ગયાં હતાં. જયપ્રકાશજીનું પણ ખૂન થઈ શકે ! તો તે આશ્ચર્યની વાત નહોતી. જે.પી. ત્યાં ગયા તો કોઈ કહેતા, હવે ક્રાંતિની દિશામાં નવું પગલું મળશે; કોઈ કહેતું, ગ્રામદાનની નવી ટેકનિક મળશે; કોઈ કહેતું, સત્યાગ્રહનો નવો રસ્તો મળશે. પણ આ બધાની કિંમત ઓછી છે. જે સ્નેહ હતો, જેને માટે તેઓ દોડી આવ્યા, તેની કિંમત વધારે હતી.

જે.પી. પોતાનો આરામનો કાર્યક્રમ છોડી, મુસહરી પ્રખંડમાં ગામે – ગામ ફરી રહ્યા હતા, અને હું મારું મગજ બંધ રાખું તે બની શકે નહીં. મેં મારું મગજ ખુલ્લું રાખ્યું. મેં કહ્યું, “જયપ્રકાશજીએ જાનની બાજી લગાવી છે એટલે બાબા ભારતના મધ્યમાં આવીને બેઠા છે. બાબા કચરો ઉઠાવે છે, તો તે પણ એક જપ બની જાય છે. આ સફાઈનું કામ એ બાબાનો મુસહરી પ્રખંડ છે. જયપ્રકાશજી ત્યાં કામમાં લાગ્યા છે અને બાબા અહીંયા. એમની તરફ મારું અભિધ્યાન સતત રહ્યું છે. એ બે-ત્રણ મહિના સ્નેહની મૂર્તિ મારી સામે રહી હતી જયપ્રકાશ બાબુની. મારી ટેવ છે હંમેશાં જલદી સૂવા જવાની, અને મધ્યરાત્રીમાં જાગી જાઉ છું તો કલાક બે કલાક આપણા સાથીઓનું સ્મરણ કરતો રહું છું. એ દિવસોમાં ઘણી વાર જયપ્રકાશજીને યાદ કરતાં મારી આંખોમાંથી આંસુ વહેતાં.

જયપ્રકાશજીનાં કામનો (વિચાર-ભિન્નતા હોવા છતાં) વિરોધ હું નહોતો કરતો. એનું કારણ બતાવીને હું કહેતો: નંબર એક, તેઓ સજ્જન છે. નંબર બે, તેઓ નિ:સ્વાર્થ છે. નંબર ત્રણ, જ્યારે તેમને ભૂલ સમજાશે, ત્યારે તેઓ ભૂલ કબૂલ કરશે અને વાત પાછી વાળી લેશે.

જયપ્રકાશજીએ છેલ્લે નિવેદન કર્યું હતું એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “વિનોબાજીએ આપણી સામે જે આદર્શ મૂક્યો છે, તે અત્યંત વિચારવાલાયક છે. એમાં આપણે આપણી તાકાત લગાવવી જોઈએ. ફક્ત રાજનૈતિક કાર્યથી કામ થશે નહીં, આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરવું પડશે.

બિહારમાં બાબા અને જે.પી. જ્યારે એક જ સભામાં બોલતા હતા; બાબાનું વ્યાખ્યાન અડધો કલાક થતું હતું અને જે.પી.નું દોઢ-બે કલાક થતું. બંનેનું મેળવી શ્રોતાઓનું સમાધાન થઈ જતું હતું. સર્વોદયવાળામાં એ કહેવત રૂઢ થઈ ગયેલી કે બાબાનું કોઈ પણ વ્યાખ્યાન અડધા કલાકથી વધારે થાય નહીં. અને જયપ્રકાશજીનું કોઈપણ વ્યાખ્યાન બે-અઢી કલાકથી ઓછું થાય નહીં. અને બંનેને સાંભળીને શ્રોતાઓની આકાંક્ષા પૂર્ણ થતી હતી. પણ તે જવાબદારી મારા એકલા ઉપર આવી પડી હતી. કારણ કે જે.પી. બીમાર થઈ ગયા હતા. તેઓ મુંબઈ ગયા હતા અને ટ્રસ્ટીશિપની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બોલતાં બોલતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા અને બીમાર થઈને પટના પહોંચ્યા હતા.

એ દિવસોમાં જે.પી.ના ચિત્તમાં શાંતિ રહે એવી પ્રાર્થના હું હંમેશાં કરતો હતો. એક સાથી મળવા આવ્યા. મેં એમને લખીને આપ્યું હતું કે, “જે.પી.ને હું રોજ યાદ કરું છું. વળી હું રોજ અહીં ફરું છું, તો મને જે.પી.નાં દર્શન રોજ થાય છે. (વિનોબા કુટિરની પાસે જમીન પરની વિવિધ આકૃતિઓમાં વિવિધ લોકોના ચિત્રની કલ્પના કરતા. એમાં જે.પી. પણ એક હતા.) અમે બંને સાથે જ રહીએ છીએ.

પંડિત નહેરુને ગંગા પર એટલો પ્રેમ હતો કે એમણે કહ્યું કે, “મારી થોડી રાખ દૂર દૂર ખેતરોમાં અને થોડી ગંગામાં વિસર્જન કરજો. જયપ્રકાશજીએ પણ કહ્યું કે, “જલદીથી જલદી મને ગંગાકિનારે લઈ જાઓ. મુંબઈથી બહાર કાઢો. તેઓ તો ભોલેનાથ હતા જ.

અહીંયા (બ્રહ્મવિદ્યા મંદિરમાં) પ્રજ્ઞા પથ પર જયપ્રકાશ અને પ્રભાવતીજીનાં નામ પર કેરીનાં બે ઝાડ છે (જે.પી. – પ્રભાવતીજીએ બંનેએ પોતે જ વાવ્યાં છે). હું રોજ કહું છું, जयप्रभा एकिती, तुलसी रामायण गाती (પ્રભાવતી દીદી રોજ તુલસી રામાયણનો પાઠ કરતાં).

જયપ્રભા સાંભળે છે, તુલસીદાસ રામાયણ ગાય છે. ગીતાઈમાં જયપ્રકાશજીનું નામ આવ્યું છે :

जय मी आणी निश्चय ….

જયપ્રકાશજીનું દેહાવસાન થયું. તેઓ હંમેશાં સૂર્યોદય થતા પહેલાં એક-દોઢ કલાક વહેલા ઊઠતા. આધ્યાત્મિક શબ્દ, સૂત્ર, મંત્ર ગણગણતા રહેતા હતા. અથવા એમને સંભળાવવામાં આવતા હતા. તે દિવસે પણ એવું જ કર્યું. પછી સૂવા ગયા. સવારે પોણા છ વાગ્યે તેઓ ચાલ્યા ગયા. પ્રાર્થના પછી જે ઊંઘમાં જ ચાલ્યા જાય છે તે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જાય છે.

મેં જયપ્રકાશજીને ‘જપુજી’ નામ આપ્યું હતું. એમને જે.પી. કહેતા હતા. હિંદીમાં એનું જ.પ. થાય છે. એને ‘ઉ’ લગાવ્યો. પ્રેમથી ‘જી’ લગાવ્યો તે આદર માટે. તો બન્યો જપુજી. ‘જપુજી’ ગુરુ નાનકનો પ્રખ્યાત ગ્રંથ છે, ગુરુ નાનકનું એક ભજન એમની સ્મૃતિ માટે ઉત્તમ છે.

बिसर गयी सब तात पराई
जब ते साधु-संगत मोंहि पाई
ना को बैरी नाज़ बिगाड़
सकल संगि हमको बनि आई …

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 08-09 

Loading

હોઇ શકે…..

નારણ મકવાણા|Opinion - Opinion|30 October 2020

કવિતા …..
અંદાજ,
અનુભૂતિ,
મનોરંજન કે મનમોહક,
યાદ ને મરશિયા,
વિચાર, કલ્પન,વાણી,
ગદ્યનું  ટૂંકુ રૂપાંતર,
યાચના કે આક્રોશ,
વેદનાંનું વર્ણન,
ગાળો કે ડંફાશો,
એક શબ્દ કે નવલકથા,
સલાહ ને શિખામણ,
ભૂમિતિ ને વ્યાકરણ,
વિશ્વયુદ્ધનું  સ્લોગન,
પ્રેમનું કારણ,
પ્રેમીઓની ભાષા,
નિજાનંદની આભા,
ગણગણાતું ગીત,
છંદબદ્ધ કે અછંદ ગઝલ,
ભજન, કીર્તન,ધૂન ને દુહા,
પૈસાથી ખરીદાતી વસ્તુ,
છપાતી કે ન છપાતી રચના,
સકારણ કે અકારણ લખાણ,

બધ્ધું જ હોઇ શકે…

પેટ નહીં…..

૩૦/૧૦/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

...102030...2,1412,1422,1432,144...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved