Opinion Magazine
Number of visits: 9752196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અહેમદ પટેલઃ ગાંધી અટક વિના, કાઁગ્રેસના સૌથી શક્તિશાળી રાજકારણી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 November 2020

અહેમદ પટેલઃ આંતરિક જૂથવાદને પગલે ગાંધીનગરને બદલે દિલ્હીની વાટ પસંદ કરી

અહેમદ પટેલઃ ગુજરાતનું કયું રાજકારણ આ મૃદુભાષી ચાણક્યને માફક ન આવ્યું?

માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી અહેમદ પટેલની અગ્રિમતાઓ હતી

સાદો કૂરતો પાયજામો અને મંદ સ્મિત એમનો બેઝિક દેખાવ હતો. એક માત્ર એવી વ્યક્તિ જેની અટક ગાંધી નહોતી છતાં ય તે કાઁગ્રેસ પાર્ટી પર રાજ કરતા હતા પણ છતાં ય તે સત્તા પર નહોતા. ભરૂચ જિલ્લાના પિરામણના ખેડૂત પરિવારના આ દીકરાને રાજકારણ સારી પેઠે સમજાતું હતું પણ એમાં રહીને ય એનાથી દૂર રહેવાની અનિવાર્યતા અને આવડત બન્ને તેમનામાં હતી. અહેમદ પટેલની વિદાયથી કાઁગ્રેસ ફરી એકવાર નોંધારી બની છે અને એ પણ એવા સમયે કે જ્યારે કાઁગ્રેસને જોડી રાખે તેવા સોય-દોરા એટલે કે પરોવણી કરી શકે તેવા એક મક્કમ તંતુની તાતી જરૂર છે.

અહેમદ પટેલના કાઁગ્રેસમાં મહત્ત્વ અંગે કોણ નથી જાણતું, પણ તેમનું એ પાસું એવું છે કે તેની વાત કર્યા સિવાય અહેમદ પટેલની વાત ન થઇ શકે. છતાં ય એ મુદ્દે જતાં પહેલાં એક પ્રશ્ન ચોક્કસ કરવો પડે કે ભરૂચના પિરામણનો જે માણસ કાઁગ્રેસમાં ભલભાલનો ડાબો હાથ કે મૅન-ફ્રાઇડે થઇ શક્યો તે ચહેરો ગુજરાતના રાજકારણમાં પોતાનો સિક્કો ન જમાવી શક્યો. શું હતું આમ થવાનું કારણ? ભા.જ.પા.ની પકડ ગુજરાતમાં મક્કમ થઇ એ કારણ તો આ પાછળ હતું જ કારણ કે જ્યાં સુધીમાં અહેમદ પટેલનું નામ ઝળક્યું ત્યાં સુધીમાં ગુજરાતમાં સમીકરણોમાં ફેરફાર થવા માંડ્યા હતા, એટલું જ નહીં પણ અહીં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ પણ હતો કારણ કે અહેમદ પટેલને જ્યારે રાજીવ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ બનાવ્યા, ત્યારે કેટલાક કાઁગ્રેસીઓને પણ કઠ્યું હતું.

અહેમદ પટેલ રાજીવ ગાંધીની નજીક કેવી રીતે આવ્યા તેની વાત પછી કરીએ પણ જ્યારે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રેસિડન્ટ બન્યા ત્યારે ગુજરાતમાં કાઁગ્રેસી નેતાઓમાં મજબૂત નામો હતા. તેમાં માધવસિંહ સોલંકી, સનત મહેતા, ઝીણાભાઇ દરજી, પ્રબોધ રાવળ અને અમરસિંહ ચૌધરી જેવા મોટા માથાનો સમાવેશ થતો હતો. અહેમદ પટેલનું ગુજરાતમાં સ્થાન આ બધાએ ચલાવ્યું ખરું, પણ છતાં ય તેમને જેટલો માનમરતબો મળવો જોઇએ તે ન થયું અને અહેમદ પટેલ જેવા સરળ માણસ માટે આ એક આઘાતજનક પરિસ્થિતિ હતી. ચાણક્યનું બિરૂદ મેળવનારા અહેમદ પટેલને કાવાદાવા, ખેંચાતાણી અને હુંસાતુંસીમાં બહુ રસ નહોતો અને જ્યારે તે સમયના દિગ્ગજો તરફથી માન અને ઉમળકાની ગેરહાજરી વર્તાઇ ત્યારે તેમને સમજાયું કે ગુજરાત કાઁગ્રેસનો જૂથવાદ જ તેની ઊધઇ બનશે. હિંદુત્વનો ચહેરો ત્યારે ગુજરાતમાં ઘુંટાવા લાગ્યો હતો, તે મોદી ફિવરને સારી પેઠે સમજતા હતા, પણ આંતરિક ખેંચતાણમાં ગુજરાતના વરિષ્ઠ કાઁગ્રેસીઓએ મચક ન આપી અને પરિણામ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં પક્ષની આંતરિક વાડાબંધીને પગલે અહેમદ પટેલે એક મક્કમ નીતિ અપનાવી, કાંગ્રેસને નબળો કરનાર દરેક સંજોગ અને વ્યક્તિથી દૂર રહેવું. આ નીતિ તેમણે છેક છેલ્લે સુધી અનુસરી અને જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે પી.વી. નરસિંહા રાવની સામે પડેલા નટવર સિંઘ, અર્જુન સિંઘ, શિલા દિક્ષીત, શિવ શંકર બધાના એજન્ડાને નેવે મૂકીને અહેમદ પટેલે જે મુદ્દા પર ફોકસ કરવાની જરૂર હતી, તેની પર જ ધ્યાન આપ્યું. જો કે એ જ અહેમદ પટેલે વખત આવ્યે સિતારામ કેસરી અને નરસિંહા રાવને અકબર રોડથી વિદાય આપવાનું બીડું પણ ઝડપ્યું. કાઁગ્રેસનો જૂથવાદ અહેમદ પટેલને માફક નહોતો આવ્યો, પણ પોતાની મહત્ત્વાકાંક્ષા જેને ન હોય તેની કટિબદ્ધતાને કોઇ ન પહોંચી વળે. એ જ હિસાબે અહેમદ પટેલ કાઁગ્રેસમાં એ સ્તરે પહોંચ્યા જ્યાં તેમની પાસે કહેવાતી કોઇ સત્તા, ખુરશી, પદવી કે મંત્રાલય નહોતું છતાં ય તેમનું માન યથાવત્ હતું.

અહેમદ પટેલની સફર કાઁગ્રેસમાં સૈનિકથી સેનાપતિ સુધીની રહી. સેનાપતિ રાજાનો સૌથી નિકટનો માણસ હોય છે અને યુદ્ધોના પૂરતા અનુભવ બાદ તે આવનારા સંજોગો ભાખીને માર્ગદર્શન આપે છે. અહેમદ પટેલે આ ભૂમિકા સુપેરે નિભાવી. નિઃસ્વાર્થ હોવું, મહત્ત્વાકાંક્ષા વગરના હોવું પણ રાજકારણમાં હોવું આ બાબતો વિરોધાભાસી છે, અને આ બધું જ અહેમદ પટેલમાં હોવાને કારણે જ તે ખાસ હતા. સોનિયા ગાંધીના કાન અને આંખ બનીને બે દાયકા સુધી સતત તેમની પડખે રહેલા અહેમદ પટેલે બેક સ્ટેજમાં રહીને આખા ય ખેલનો દોરી સંચાર પોતાના હાથમાં જ રાખ્યો હતો. આમ કરવું તેમની ચાહ નહીં પણ તેમને સોંપાયેલી જવાબદારીની હિસ્સો હતો, જેને તે પૂરી રીતે કટિબદ્ધ હતા. દાન ધર્માદા હોય, ધર્મની વાત હોય કે પછી રાજકારણ હોય તેમણે હંમેશાં કોલાહલ વિના, કોઇ પણ દેકારા કર્યા વિના જ કામ કરવાનું પસંદ કર્યું. પોતાનું મહત્ત્વ શું છે તે જાણતા હોવા છતાં ય આ કદાવર છબિનો બોજ તેમના વહેવારમાં લગીરેક વર્તાતો નહીં. તેઓ મોડી રાત સુધી લોકોને મળતા રહેતા કારણ કે તે માનતા હતા કે જેટલા સંબંધો સચવાય, જેટલી મૈત્રી જળવાય અને જેટલો જનસંપર્ક થાય તેટલું બહેતર છે. જેની સાથે વાત કરે તેની સાથે મોકળા મને અને મૃદુતાથી જ વાત કરે તે તેમની યુ.એસ.પી. નહીં પણ સ્વભાવ હતો.

કાઁગ્રેસના આ ટ્રબલ શૂટર પક્ષનો ઇતિહાસ પણ સારી પેઠે જાણતા હતા અને બદલાયેલા સંજોગો અને સમીકરણોમાં આગળ શું થઇ શકે છે તે કળવાની પણ તેમનામાં સમજ હતી. જ્યારે કાઁગ્રેસના સભ્યોએ આંતરિક પુનઃચૂંટણીની માગ કરતો કાગળ લખ્યો ત્યારે સિફતથી આખી વાત ટાળવાની આવડત માત્ર અહેમદ પટેલમાં હતી. તેણે આ રોષે ભરાયેલા એકેએક કાઁગ્રેસી નેતા સાથે અંગત સ્તરે વાત કરી અને વાતનો નિવેડો આવ્યો. સચીન પાયલોટને વાંકુ પડ્યું ત્યારે પણ અહેમદ પટેલે જ ગેહલોતની સ્થાનને નુકસાન ન થાય અને સચીન પણ પક્ષમાં ઠરીઠામ થાય તે રીતે સંવાદ સાધ્યો હતો. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સાથે ગઠબંધન કરાવવામાં દસ દિવસ મુંબઇ રહેલા અહેમદ પટેલનો જ હાથ હતો. ૨૦૦૮માં મનમોહન સિંઘની સરકાર ટાણે યુ.પી.એ. સરકારને સંમતિના મત ઘટતા હતા ત્યારે એ ઘડી સાચવી લેવામાં પણ અહેમદ પટેલે પ્રણબ મુખર્જી સાથે મળીને બાજી સંભાળી હતી.

કાઁગ્રેસમાં જે બધું સાંગોપાંગ પાર પડતું હતું, તેમાં અહેમદ પટેલનો બહુ જ મોટો ફાળો હતો.

સોનિયા ગાંધીને પણ અહેમદ પટેલ પર આંધળો વિશ્વાસ હતો, જેની પાછળ પણ તેમનો મહત્ત્વાકાંક્ષા વિના, કટિબદ્ધતાથી કામ કરવાનો સ્વભાવ જ કામ કરી ગયો. તેમને પોતાનાં કામ અને સંબંધોના નગારાં વગાડવાનો શોખ નહોતો. પરિવાર સાથેનું નૈકટ્ય, કાઁગ્રેસના ઇતિહાસની સમજ ધરાવનાર અને પરિવર્તનનો હિસ્સો રહી ચૂકેલા અહેમદ પટેલ માટે જેટલું કહેવાય તેટલું ઓછું છે.

બાય ધી વેઃ 

તેમને કોમવાદી અને બિનસાંપ્રદાયિકની ચર્ચાઓમાં રસ નહોતો. માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી તેમની અગ્રિમતાઓ હતી. એક સમયે તેમને ય એવા આક્ષેપનો સામન કરવો પડ્યો કે મોદીની પ્રગતિ થાય માટે તેમણે ગુજરાતમાં કાઁગ્રેસને નબળી પડવા દીધી, પણ જોવાનું એ છે કે આવા આક્ષેપોની વચ્ચે પણ તેઓ એ કરતા જ રહ્યા જે તેમને કરવું હતું અને પોતાનું મૂલ્ય પોતાનાં કામ થકી જ દર્શાવ્યું. કાઁગ્રેસની સ્થિતિ અત્યારે ધરી વગરના ગોળા જેવી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સોનિયા ગાંધીનો અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ તેમની અગત્યતાને સારી પેઠે ઘૂંટે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 નવેમ્બર 2020 

Loading

‘ઋણાનુબંધ’ : પન્ના નાયક

બકુલા ઘાસવાલા|Opinion - Literature|30 November 2020

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટી.વી. પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” 

— પન્ના નાયક

ગુજરાતી સાહિત્યની ઢગલાબંધ વાર્તાઓ વાંચવાનું બન્યું છે. એને સ્ત્રીની દ્રષ્ટિથી તપાસવાનું પણ બન્યું છે, તો પણ પન્નાબહેનની બિન્ધાસ્ત, પારદર્શક, વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અને હળવી શૈલીમાં પણ લખાયેલી બે-ત્રણ વાર્તા સમેત પંદરેક જેટલી ડાયસ્પોરા વાર્તાઓ માટે પણ કહી શકાય જે એમણે ઉપર કવિતાઓ માટે લખ્યું છે. એટલે જ કદાચ વાર્તા, કવિતા બન્ને વિશે અભિવ્યક્તિ સાથે સાથે પણ થઈ જાય તો નવાઈ નહીં. નીના પટેલ અને દેવિકા રાહુલને પણ ડાયસ્પોરા સાહિત્યમાં પન્નાબહેન સાથે વાંચ્યાં છે. નારીવાદીઓની વિવિધ જ્ઞાતિમાં પન્નાબહેન ક્યાં બંધબેસે તે વિશે મારે વિચારવું નથી કારણ કે સ્ત્રી કેન્દ્રિત વિચારવું અને કોઈ પણ જાતના છોછ વગર લખવું એમને સહજ છે. કદાચ બંધિયાર મગજને વાંચતી વખતે હેં! પણ થઈ જાય છતાં માનવમનની ગડીઓ ઉકેલવામાં જેમને રસ હોય તેમનું બંધિયારપણું હવડ મગજનાં બારણાં ખોલી મુક્તિનો અહેસાસ કરાવી શકે.

આ વાર્તાઓ વાંચતાં વિચારું કે આ વિષય પર તો વાર્તા આવી જ નહીં અને ખૂલ જા સીમ સીમ જેવી વાર્તા પ્રગટે. વર્ષો સુધી અમેરિકા રહ્યા પછી ઘરઝુરાપાથી લઈ બે પેઢીનું અંતર અને સમન્વય, નિજી દ્રષ્ટિએ ત્યાં ઉછરતી બીજી-ત્રીજી અને હવે તો ચોથી પેઢી વિશે પણ પન્નાબહેનનાં વાર્તા, લેખો, કાવ્યો પ્રકાશ પાડે છે. બ્યાસી-ત્યાસી વર્ષે સોળ વરસની કાચી કુંવારી મુગ્ધ કન્યાની શારીરિક અને માનસિક અવસ્થાને તેઓ ઉજાગર કરતાં પોતાની વાત કહી શકે છે. પોતાનાં માતાપિતા, સંયુક્ત કુટુંબ, અમેરિકાની સ્વ-તંત્રતા, સ્વ-છંદ સાથે સમાંતર ચાલતી જવાબદારીભરી જિંદગીની એકલતા અને એકલવાયાપણાં વચ્ચે જડી જતી મનમોહક મૈત્રી અને સહવાસસભર આનંદમય ક્ષણોને ઝડપી લઈ માણતાં એમને આવડ્યું છે. બંધિયાર સમાજ વચ્ચે મુક્તિ શોધતાં એમને આવડ્યું છે કારણ કે એ પોતે મનથી જ મુક્ત છે. તેઓ જિંદગીનાં અંતિમ પડાવે નટવર ગાંધી સાથેના સહવાસને માણે છે, પ્રમાણે છે, પોતાની મનમરજી અકબંધ રાખીને જીવે છે અને લખે છે કે એમને નટવર ગાંધીમાં ‘ઈચ્છાવર’ જડ્યો છે. પોતાનાં ગુલાબ પ્રત્યેના પ્રેમને માટે તેમણે કરેલા શબ્દપ્રયોગ છે, ‘ગુલાબગાંડી’. આ ગુલાબગાંડી અને આકંઠ કાવ્યને જ્યારે સવારે ‘ઈચ્છાવર’ સોનેટ અર્પણ કરે, ત્યારે સુખની વ્યાખ્યા કરવાનું કામ જ શું છે! અહીં તો મોસમ છલકે અને સુખ પણ છલકે. પન્નાબહેન, આ તો મીઠી ઈર્ષ્યા થાય તેવું છે! 

એમની એક કવિતા જોઈએ. 

દિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી.
મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને,
સ્વજનોને, પરમ મિત્રોને—સૌને મળી. અરે,
મારા બાળપણના ઘરને અને હજી ય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.
અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.
થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું.
કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!
મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી,
સૌની જેમ મને ય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.
અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.
એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની
‘duty’નો અર્થ સમજાવે છે.
મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,
ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ—સૌ સૌના ડેસ્ક
પર છે.
મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી,
અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર … ના, ના,
એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું.
ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્રો, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર—
સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છે :
“Oh, we missed you very much.”

પન્નાબહેન ફક્ત ઘર, સ્વજનો, દેશ-વિદેશ વિશે જ પિષ્ટપેષણ કરે રાખે છે એવું લાગે પણ એમ નથી.એમનું ચિંતન સ્વથી સમષ્ટિ અને જગતના વિવિધ પ્રવાહો વિશે પણ વિસ્તર્યું છે. ખાસ કરીને સાહિત્ય સર્જન અને સંબંધિત પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પુસ્તકાલય સંલગ્ન અભિક્રમ સાથે વાસ્તવિકતાનું ચિત્રણ એમણે સુપેરે કર્યું છે. નટવર ગાંધી સાથે દેશપરદેશ પ્રવાસનો આનંદ માણ્યો તો તેની વાત પણ કરી છે. તો સમાંતર હાંસિયામાં સીમિત મુસ્લિમ સાહિત્ય કે એકતા વિષયક વર્ણનમાં મંજુબહેન ઝવેરી, શરીફા, સરૂપબહેન, સૌમ્ય જેવાં સર્જક-વિવેચકો એમને યાદ આવે છે. મનસુખભાઈ ઝવેરી, સુરેશ દલાલ, રવિશંકરજી કે ઝકિર હુસેનને પણ તેઓ અવારનવાર યાદ કરી લે છે. ઉમાશંકર જોષી, સાંઈ મકરંદ કે નારાયણકાકા જેવા અનેક દિગ્ગજોના યજમાન રહી ચૂકેલાં પન્નાબહેનને પોતાનું ફિલાડેલ્ફિયાનું ઘર એટલું હ્યદયસ્થ છે કે તેઓ એ ઘર છોડીને કાયમ માટે વોશિંગ્ટન રહેવાનું વિચારી શકતાં નથી કારણ કે એમને માટે એ માલમિલકત નથી પણ ઘર છે.

પુસ્તકમાં ગાંધીજીનો ઉલ્લેખ ધ્યાનાકર્ષક છે અને એ વિશે ખાસ્સી ચર્ચાને અવકાશ છે પરંતુ હવે હું વિચારપૂર્વક ગાંધી આચાર-વિચાર પર ચર્ચા કરતી નથી, એટલે ફક્ત નોંધ લઈ મારા લેખનું સમાપન કરીશ. પુસ્તકનું નામ ઋણાનુબંધ છે. સુરેશ દલાલને અર્પણ થયું છે. પન્નાબહેન માને છે કે એમની સર્જનપ્રક્રિયામાં સુરેશભાઈનું પ્રોત્સાહન પ્રાણવાન રહ્યું છે. ‘એકત્ર ફાઉન્ડેશન’ના અતુલ રાવલ, અપૂર્વ આશર અને હિતેન આનંદપરા, કમલ થોભાણીને એમણે ખાસ યાદ કર્યા છે. સુરેશભાઈને યાદ કરે તો આપોઆપ ‘ઈમેજ’ અને  ઉત્પલ ભાયાણી યાદ આવે જ.

આ ડિજિટલ પુસ્તક પન્ના નાયકની વિશિષ્ટ કૃતિઓનું સંકલન છે જેને ‘પન્ના વિશેષ’ કે ‘સમગ્રતામાં પન્ના સર્જન’ પણ કહી શકાય. હજી એક વાત લખવાનો લોભ રોકી શકતી નથી. પન્નાબહેનના દાદાએ ‘ઈરાવતી’ પુસ્તક લખેલું અને મારાં માનું નામ ઈરાવતી છે જેને અમે ઈરા કહીને સંબોધીએ. ઈરા અને પન્નાબહેનની ઉંમર સરખી. એટલે જ મેં પન્નાબહેનના મધરાતના પ્રશ્ન પરથી એક અનુકૃતિનું સર્જન કર્યું છે. પન્નાબહેનને નવાઈ લાગશે પરંતુ નાયક અટકનાં કારણે અનાવિલો એમને પોતાનાં જ માને છે તે એટલી હદે કે અનાવિલ સાહિત્યકારો નામનાં ગ્રંથમાં પન્ના નાયકનો સમાવેશ છે .મેં સંપાદકનું ધ્યાન દોરેલું તો પણ એમને વિશ્વાસ બેઠો નહીં પછી મને થયું કે મારું અને પન્નાબહેનનું કુળ તો એક છે તો પછી તેઓ પણ અનાવિલ કારણ કે અનાવિલનો એક અર્થ દોષ રહિત કે નિર્દોષ થાય છે. Love you. 

તો લ્યો, આ પન્નાબહેનનું પ્રથમ કાવ્ય; 

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?

પન્નાબહેન, ટાંગી જ શકાય ………

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001, Gujarat, India.

Loading

ટ્રમ્પિઝમ : અમેરિકન લોકતંત્ર સામેનો ખતરો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 November 2020

સિત્તેરીના દાયકામાં અમે રાજ્યશાસ્ત્ર ભણતા, ત્યારે તુલનાત્મક રાજકારણ – કમ્પેરેટિવ પોલિટિક્સની બોલબાલા હતી. તુલનાત્મક રાજકારણમાં રાજકીય સંસ્કૃતિ ભણાવાતી. અમે અહોભાવથી લ્યૂસિયન પાઈએ અમેરિકી રાજકીય સંસ્કૃતિ લખેલું લખાણ ભણતા ને ભણાવતા. એક પીઢ લોકતંત્રની રાજકીય સંસ્કૃતિ કેવી હોય તેનો તે નમૂનો – મૉડેલ ગણાવાતું. બસો ચુંમાળીસ વર્ષ જૂની અમેરિકન લોકશાહીની રાજકીય સંસ્કૃતિનું જે ચિત્ર અમારા મનમાં હતું તે અને આજની અમેરિકી લોકશાહીમાં ખાસ્સું અંતર છે.

છેલ્લાં ચાર વર્ષમાં, વિશેષ તો છેલ્લાં ચાર અઠવાડિયાંમાં અમેરિકા ને વિશ્વે ટ્રમ્પના, રિપબ્લિકન પક્ષના ને તેના લાખો સમર્થકોના જે આચાર જોયા, તેણે અમેરિકામાં લોકતંત્રના ભાવિ વિશે ચિંતા ફેલાવી છે. આ લખાણ લખતાં પહેલાં હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંના ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ને ‘એટલાન્ટિક’ સામયિક ઉથલાવી ગયો. મોટા ભાગનાં લખાણો આ ચિંતાના છે. બરાક ઓબામાએ પણ છેલ્લાં અઠવાડિયાંઓમાં જે ટી.વી. કે અખબારની મુલાકાતો આપી છે, તેમાં અમેરિકાના લોકતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

થૅંક્સગિવિંગની પૂર્વસંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે બે મિનિટના અંતરે બે મુખ્ય સમાચારો ટી.વી. પર આવ્યા. એક સમાચાર અમેરિકી લોકતંત્રમાં શ્રદ્ધા જન્માવનારા છે, ને બીજા લોકતંત્રની અસરકારકતા પર આશંકા પેદા કરનારા. પ્રથમ સમાચાર છે નવા ચૂંટાયેલ પ્રમુખ જૉસેફ બાઇડનનો દેશજોગ સંદેશ. એમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદારોએ મતદાન કરીને આપણી લોકશાહી જીવતી, ધબકતી છે, તે બતાવી આપ્યું છે, ને બીજા વાક્યમાં ઉમેર્યું કે હવે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. જીત્યા પછી એમણે અનેક વાર રિપબ્લિકન મતદારો સાથે સહકારની વાત કરી છે. આજે ફરી આ વાત દોહરાવી ને પેન્ડેમિકને હટાવવા સાથે કામ કરવા હાકલ કરી. બે મિનિટ પછી ટ્રમ્પનો પેન્સિલવેનિયાના સાંસદોજોગ સંદેશ આવ્યો કે તેમના રાજ્યમાં ચૂંટણીમાં બહુ ગેરરીતિઓ આચરાઈ છે. કોઈ પણ આધાર વિના તેમણે ફરી કહ્યું કે કાનૂની રીતે પડેલા મતોને આધારે તેઓ પેન્સિલવેનિયા જ નહિ, પરંતુ બધાં જ સ્વિંગ સ્ટેટ્‌સમાં જીત્યા છે. પછી વ્હાઇટહાઉસમાં આગળની રણનીતિ ઘડવા આવવા સૂચવ્યું. આ બે વિરોધાભાસી સમાચારો આજના અમેરિકાની રાજકીય સ્થિતિ બતાવે છે. બાઇડન સારી પેઠે જાણે છે કે અમેરિકાની લોકશાહી એક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સામે છેડે, ટ્રમ્પ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના લોકતંત્રને દાવ પર મૂકી રહ્યા છે.

ખરું કે અમેરિકાની આજની કરુણ રાજકીય સ્થિતિ માટે એકલા ટ્રમ્પ જવાબદાર નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકી રાજકારણમાં આત્યંતિક ધ્રુવીકરણની પ્રક્રિયા ચાલતી’તી. ટ્રમ્પ આ ધ્રુવીકરણનું વરવું પરિણામ છે. સિનિયર બુશને હરાવીને ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારથી, ને વિશેષ તો ૧૯૯૪માં રિપબ્લિકન પાર્ટીના ન્યૂટ ગિંગરીચ નીચલા ગૃહના અધ્યક્ષ બન્યા ને ક્લિન્ટન પર મહાભિયોગ ચાલ્યો ત્યાર પછી ધ્રુવીકરણ વધ્યું. ટી.વી.માં કન્ઝર્વેટિવ રિપબ્લિકન ચૅનલો ને લિબરલ મેઇન સ્ટ્રીમ ચૅનલોએ ધ્રુવીકરણને ધાર આપી. બુશ પછી અશ્વેત ઓબામાનું આઠ વર્ષનું શાસન ને ત્યાર પછીનો શ્વેતઘાત ટ્રમ્પને સત્તા પર લઈ આવ્યા.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ને જે રીતે રશિયાએ તેમને ચૂંટાવામાં મદદ કરી ત્યારથી જ અમેરિકી લોકતંત્ર વિશે ચિંતા શરૂ થયેલી. ટ્રમ્પની ચાર વર્ષની શાસન કરવાની પદ્ધતિ, પોતાની જ સરકારના ન્યાયતંત્ર ને ગુપ્તચરતંત્રને ઉતારી પાડવું કે કાવતરાબાજ કહેવું. કેબિનેટના સભ્યોને નોકરીમાંથી કાઢી મુકાતા હોય તે રીતે છૂટા કરવા. તેમને જાહેરમાં અપમાનિત કરવા, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની જાહેર ધમકીઓ આપવી, બંધારણે નથી આપી તેવી સત્તા પોતા પાસે છે તેવી ઘોષણા કરવી, આ બધું આપખુદશાહી ભરેલું વર્તન હતું ને હજુ છે.

ટ્રમ્પની નીતિઓ, વિચારો ને આચારને રાજ્યશાસ્ત્રીઓ હવે ટ્રમ્પિઝમ તરીકે ઓળખે છે. આમ તો જમણેરી લોકરંજકવાદ આપણા માટે નવો નથી. તેના પર અંધરાષ્ટ્રવાદ, જાતિવાદ, ઇમિગ્રેશનનો કટ્ટર વિરોધ, લઘુમતીઓને કચડવાનો મસાલો ભભરાવો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિલેટરાલિઝમ ઉમેરો. વૈશ્વિકીરણનો વિરોધ કરવો. આપખુદશાહી ને જાતિવાદી શાસકો પ્રત્યે મમત્વ બતાવો. ટ્રમ્પિઝમની મુખ્ય ખાસિયત છે દરેક વિરોધી વ્યક્તિ કે વિચાર કે ઘટનામાં કાવતરાં જોવાં ને અન્યને તેમાં મનાવવું. ટ્રમ્પના વિચારો ને વાતોનું આકર્ષણ આવા જ લોકોને છે. જેમને બૌદ્ધિક રીતે વિચારવા કરતાં બધે કાવતરાં દેખાય છે. ટ્રમ્પના રાજકીય ઉભારનો મુખ્ય મુદ્દો ઓબામાના જન્મસ્થળના કાવતરાનો જ હતો. ઓબામા પ્રમુખ રહ્યા ત્યાં સુધી તેમણે તે અમેરિકામાં નથી જન્મ્યા તે મુદ્દો ચલાવે રાખ્યો. ૨૦૧૬ની ચૂંટણી સમયે ટ્રમ્પના ૬૦ ટકાથી વધુ સમર્થકો માનતા હતા કે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.

કોઈ પણ પ્રકારના આધાર વગર અસત્ય ફેલાવવાની કળામાં ટ્રમ્પ માહેર છે. સત્ય ને તથ્ય સાથે તેમને વેર છે. અસત્ય બોલવામાં ને આચરવામાં તેમને કોઇ છોછ નથી. ચૂંટણીમાં બાઇડન કરતાં ૬૦ લાખ મતે પાછળ હોવા છતાં ને ઇલેક્ટોરલ કૉલેજમાં પણ પાછળ હોવા છતાં તે પોતાની હાર કબૂલવા તૈયાર નથી. અલગ-અલગ રાજ્યની કોર્ટમાં ત્રીસ કેસમાં તે હારી ગયા હોવા છતાં પોતે કાનૂની મતોથી જીત્યા છે, તે ગાણું એમણે ચાલુ રાખ્યું છે. આમ કરવાથી તેમને બે ફાયદા છે, એક તો તેમના સમર્થકોમાં આ માન્યતા ચાલુ રહે કે ખરેખર તેમને કોઈ કાવતરાંને કારણે હરાવાયા છે. એક મોજણી પ્રમાણે ૭૦ ટકા ટ્રમ્પસમર્થકો માને છે કે બાઇડન કાવતરું કરીને જીત્યા છે. બીજું જે અમેરિકી લોકતંત્ર માટે વધુ જોખમકારક છે તે એ કે ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દેવો.

નોંધવું જોઈએ કે ટ્રમ્પને ૭૪૦ લાખ મત મળ્યા છે, જે આ પૂર્વે બાઇડન સિવાય કોઈને નથી મળ્યા. ૨૦૨૪ની ચૂંટણીમાં ફરીથી ઊભા રહેવા માટે આ સમર્થન જરૂરી છે. બીજું કે આટલા સમર્થન સાથે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પરની પોતાની પકડ ચાલુ રાખી શકે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના રિપબ્લિકન નેતાઓ બાઇડનના વિજયને અંગત રીતે સ્વીકારતા હોવા છતાં મીંઢું મૌન રાખીને બેઠા છે. ઘણાને ટ્રમ્પ સાથે વેર રાખવું પોસાય તેમ નથી. બીજી બાજુ એવા પણ રિપબ્લિકન નેતાઓ છે, જેમણે ચૂંટણીપૂર્વે જ બાઇડનનું સમર્થન કરેલું ને બીજા એવા પણ છે, જેમણે ચૂંટણી પછી બાઇડનનું સમર્થન કર્યું છે. રિપબ્લિકન પાર્ટીમાં આ લોકોનું શું સ્થાન હશે તે આગામી થોડા સમયમાં નક્કી થશે. જોવાનું એ રહ્યું કે રિપબ્લિકન પાર્ટી એક રહે છે કે તેમાં ભંગાણ પડે છે.

એ નક્કી છે કે ટ્રમ્પ ના હોય તો પણ ટ્રમ્પિઝમ હમણાં તો અમેરિકી રાજકારણનો ભાગ છે. અમેરિકી લોકતંત્ર પર જમ ઘર ભાળી ગયાનો હાઉ રહેવાનો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 03

Loading

...102030...2,1412,1422,1432,144...2,1502,1602,170...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved