Opinion Magazine
Number of visits: 9747918
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્તમાન ઇતિહાસમાં સત્યાગ્રહનું એક પવિત્ર અને જ્વલંત ઉદાહરણ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2020

ચંપારણમાં જેને ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડતું હતું અને જે ગાંધીજીને આગ્રહ કરીને ચંપારણ તેડી લાવવા પ્રયત્ન કરતા હતા એ રાજકુમાર શુક્લ નામના ખેડૂત ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૭ના દિવસે ચંપારણ આવવા વિનંતી કરતા પત્રમાં લખે છે:

‘માન્યવર મહાત્મા,

કિસ્સા સુનતે હો રોજ ઔરોં કે,

આજ મેરી ભી દાસ્તાન સુનો.

આપને ઉસ અનહોની કો પ્રત્યક્ષ કર કાર્યરૂપ મેં પરિણત કર દિખલાયા, જિસે ટલ્સટૉય જૈસે મહાત્મા કેવળ વિચાર કરતે થે. ઇસી આશા ઔર વિશ્વાસ કે વશીભૂત હોકર હમ આપ કે નિકટ અપની રામકહાની સુનાને કે લીએ તૈયાર હૈ.’

રામકહાનીના અંતે લખે છે : ‘ચંપારણ કી ૧૯ લાખ દુઃખી પ્રજા શ્રીમાન કે ચરણ-કમલ કે દર્શન કે લિયે ટકટકી લગાયે બૈઠી હૈ; ઔર ઉન્હેં આશા હી નહીં, બલ્કી પૂર્ણ વિશ્વાસ હૈ કિ જિસ પ્રકાર ભગવાન શ્રી રામચન્દ્ર જી કે ચરણસ્પર્શ સે અહિલ્યા તર ગયી, ઉસી પ્રકાર શ્રીમાન કે ચંપારણ મેં પૈર રખતે હી હમ ૧૯ લાખ પ્રજા કા ઉદ્ધાર હો જાયેગા.’

શ્રીમાન કા દર્શનાભિલાષી

રાજકુમાર શુક્લ’ 

દેશમાં એકથી એક દિગ્ગજ નેતાઓ હતા તો આ માણસ ગાંધીજીની પાછળ શા માટે પડ્યો હતો? ગાંધીજીએ હજુ સુધી તો ભારતમાં કોઈ કામ આરંભ્યું પણ નહોતું, ત્યાં લડત તો બહુ દૂરની વાત છે. વળી પાછા ખાતરીથી કહે છે કે ચંપારણમાં પગ મુકતાની સાથે જ ચંપારણની ૧૯ લાખ પ્રજાનો ઉદ્ધાર થઈ જશે.

આ પ્રશ્નનો ઉત્તર ચંપારણ આપે છે. ગાંધીજી ૧૦મી અપ્રિલે પટના પહોંચે છે. ત્યાંથી ૧૧મી તારીખે મુઝફ્ફરપુર જાય છે. બિહારના કેટલાક નેતાઓ તેમને મળવા જાય છે અને વિસ્મય સાથે ગાંધીજીની કાર્યશૈલી નિહાળે છે. સૌ પહેલા ગળીનું વાવેતર કરનારા ગોરા કોઠીવાળાઓની સંસ્થા બિહાર પ્લાન્ટર્સ એસોસિયેશનનના મંત્રીને મળીને તેમને જણાવે છે કે તેઓ અહીં શા માટે આવ્યા છે અને તેમાં તેમની મદદ માગે છે. પ્લાન્ટર્સ એસોસિયેશનનો મંત્રી કહે છે કે ચંપારણમાં બધાં રૂડાં વાનાં છે, ખેડૂતો રાજી છે અને કોઈ પ્રકારનું શોષણ કરવામાં આવતું નથી. એવી જો કોઈ એકલદોકલ ઘટના બને છે તો તેની સરકાર તપાસ કરે છે માટે તમારે ચંપારણ જવાની જરૂર નથી. ગાંધીજી આમ છતાં ચંપારણ જવાનો અને સગી આંખે સત્ય જાણવાનો પોતાનો ઈરાદો જણાવી દે છે. એ પછી ગાંધીજી વહીવટી રીતે જેમાં ચંપારણ આવતું હતું તે તિરહુત ડિવિઝનના કમિશનરને મળવા જાય છે અને તેમને પણ આવવાનું કારણ અને હવે પછી શું કરવાના છે એનું કારણ જણાવી દે છે. કમિશ્નરનું વલણ જોતાં ગાંધીજીને સમજાઈ ગયું હતું કે તેઓ કદાચ ચંપારણમાં પ્રવેશ પ્રતિબંધ લાદશે. ગાંધીજી ઉતારે આવીને જેલમાં લઈ જવા માટેનો સામાન અલગ પોટલીમાં બાંધે છે.

આ નવું. જેની સાથે લડવાનું છે એને જ મળીને અને આંખમાં આંખ પરોવીને કહી આવવાનું કે હું જરૂર પડ્યે તમારી સામે લડવાનો છું. પાછી એ જ ક્ષણે જેલ જવાની પણ તૈયારી. બિહારના નેતાઓ માટે આ નવો અનુભવ હતો. કમિશનરે કોણે તમને ચંપારણ આવવાં બોલાવ્યા છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ગાંધીજીએ બિહારના ચાર મોટા નેતાઓએ ગાંધીજીને લખેલો પત્ર રજૂ કર્યો હતો જેમાં સંબોધન હતું, પ્રિય મિ. ગાંધી’. રાજકુમાર શુક્લના સંબોધનમાં અને નેતાઓના સંબોધનમાં જે ફરક છે એ ધ્યાનમાં આવ્યો હશે.

ગાંધીજી ૧૫મી તારીખે બપોરની ટ્રેનમાં ચંપારણના વડા મથક મોતીહારી જવા નીકળે છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમના ‘ચંપારણ મેં મહાત્મા ગાંધી’ નામના પુસ્તકમાં લખે છે મુઝફ્ફરપુરથી લઈને મોતીહારી સુધી દરેક સ્ટેશને દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળતી હતી. ખબર નહીં કઈ રીતે લોકોને તેમની ભૂમિમાં કોઈ અનોખો માનવી આવ્યો હોવાની જાણ થઈ હતી! મોતીહારી પહોંચીને આખી રાત જાગીને ગાંધીજીએ લડતની તૈયારી કરી હતી. તેમને સમજાઈ ગયું હતું કે બિહારના નેતાઓ લોકો વચ્ચે ભળી શકે એમ નથી. તેમણે પત્રો લખીને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કેટલાક સાથીઓને બોલાવ્યા હતા. તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝને કલકતાથી બોલાવ્યા હતા.

તેમણે બીજા દિવસે બિહારના નેતાઓને કહ્યું હતું કે તેમણે કારકુનનું કામ કરવાનું છે. લોકોની દાસ્તાન સાંભળીને તેમનાં નિવેદનો નોંધવાનાં. એ સમયનાં ધુરંધર નેતાઓ અને એ પછીના યુગમાં ધુરંધર નેતા તરીકે આગળ આવનારા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ સહિત પચાસેક જણ સ્ટૂલ પર બેસીને કારકુનનું કામ કરતા હતા. બે દિવસમાં હજારો નિવેદનો નોંધાઈ ગયાં. વીસ વીસ કિલોમીટર દૂર આંતરિયાળ ગામોમાંથી લોકો પગે ચાલીને આવતા હતા. ખબર નહીં કોણે તેમના સુધી વાત પહોંચાડી અને કોણે તેમને મોતીહારી મોકલ્યા હતા. બે દિવસમાં ગાંધીજી પાસે એટલી નક્કર માહિતી હતી જેટલી સરકાર પાસે પણ નહોતી. હા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદના કહેવા મુજબ સરકારી કર્મચારીઓ દૂર ઊભા રહીને ગાંધીજીને પ્રણામ કરતા જોવા મળતા હતા.

ગાંધીજીને ચંપારણ છોડી જવાની નોટિસ મળી. ગાંધીજીએ આદેશનો અસ્વીકાર કર્યો. હવે મુકદમો ચલાવવો પડે એમ હતો. ૧૮મી એપ્રિલે ગાંધીજીને મોતીહારીની અદાલતમાં હાજર રહેવાનું હતું. `ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે: ’૧૮ એપ્રિલનો દિવસ માત્ર ચંપારણના ઇતિહાસમાં નહીં, વર્તમાન ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વનો દિવસ છે, જેમાં જગવિખ્યાત તપસ્વી ન્યાયકર્તા અને પ્રતાપી રાજર્ષિ જનકના દેશમાં આવીને ગરીબ, દુઃખી અને જીવનરહિત પ્રજાના હિતમાં મહાત્મા ગાંધી જેલ જવાની તૈયારી કરતા હતા. એ દિવસે ભારતના વર્તમાન ઇતિહાસમાં સત્યાગ્રહનું એક પવિત્ર અને જ્વલંત ઉદાહરણ દ્વારા સમસ્ત ભારત વર્ષની આંખ ખુલવાની છે. ‘સાંચ કો આંચ નહીં’ એવી આપણે ત્યાં કહેવત છે તો ખરી પણ તેને ચરિતાર્થ કરીને સંસારમાં એની સત્યતા એ દિવસે સિદ્ધ કરવાના હતા. દુઃખ દેનારાઓને દુઃખી કર્યા વિના ચંપારણની દુ:ખી પ્રજાનું દુઃખ દૂર કરવા માટે જાણે કે મહાત્મા ગાંધીના પવિત્ર આત્માએ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. આવા મહાપુરુષ સામે કોઈ બાધાઓ ટકી શકે?’ 

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચંપારણમાં ગાંધીજીની સાથે હતા. ઘટી રહેલી ઘટનાઓના અને ઘટનાઓ દ્વારા પેદા થઈ રહેલા વિસ્મયના સાક્ષી હતા. તેમણે તેમનું પુસ્તક ચંપારણના સત્યાગ્રહ પછી તરત લખ્યું હતું અને ૧૯૨૨માં પ્રકાશિત થયું હતું. દેશમાં નેતૃત્વની જે નવી પેઢી પેદા થઈ એમાં એક રાજેન્દ્રબાબુ પણ હતા. તેમણે ઉપર લખ્યું છે કે ૧૮મી એપ્રિલે ભારતના વર્તમાન ઇતિહાસમાં સત્યાગ્રહના એક પવિત્ર અને જ્વલંત ઉદાહરણ દ્વારા સમસ્ત ભારત વર્ષની આંખ ખુલવાની છે.

તેમણે આમ કેમ લખ્યું? અને એ પણ ૧૯૧૮-૧૯ની સાલમાં લખ્યું. તો શું ત્યાં સુધી ભારત વર્ષની આંખો બંધ હતી? તેમણે શબ્દ બહુ સૂચક વાપર્યો છે. ‘ભારત વર્ષની’. એ દ્વારા તેઓ શું કહેવા માગે છે?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 નવેમ્બર 2020

Loading

ટ્રમ્પિઝમ : અમેરિકન લોકતંત્ર સામેનો ખતરો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 November 2020

સિત્તેરીના દાયકામાં અમે રાજ્યશાસ્ત્ર ભણતા, ત્યારે તુલનાત્મક રાજકારણ – કમ્પેરેટિવ પોલિટિક્સની બોલબાલા હતી. તુલનાત્મક રાજકારણમાં રાજકીય સંસ્કૃતિ ભણાવાતી. અમે અહોભાવથી લ્યૂસિયન પાઈએ અમેરિકી રાજકીય સંસ્કૃતિ લખેલું લખાણ ભણતા ને ભણાવતા. એક પીઢ લોકતંત્રની રાજકીય સંસ્કૃતિ કેવી હોય તેનો તે નમૂનો – મૉડેલ ગણાવાતું. બસો ચુંમાળીસ વર્ષ જૂની અમેરિકન લોકશાહીની રાજકીય સંસ્કૃતિનું જે ચિત્ર અમારા મનમાં હતું તે અને આજની અમેરિકી લોકશાહીમાં ખાસ્સું અંતર છે.

છેલ્લાં ચાર વર્ષમાં, વિશેષ તો છેલ્લાં ચાર અઠવાડિયાંમાં અમેરિકા ને વિશ્વે ટ્રમ્પના, રિપબ્લિકન પક્ષના ને તેના લાખો સમર્થકોના જે આચાર જોયા, તેણે અમેરિકામાં લોકતંત્રના ભાવિ વિશે ચિંતા ફેલાવી છે. આ લખાણ લખતાં પહેલાં હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંના ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ને ‘એટલાન્ટિક’ સામયિક ઉથલાવી ગયો. મોટા ભાગનાં લખાણો આ ચિંતાના છે. બરાક ઓબામાએ પણ છેલ્લાં અઠવાડિયાંઓમાં જે ટી.વી. કે અખબારની મુલાકાતો આપી છે, તેમાં અમેરિકાના લોકતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

થૅંક્સગિવિંગની પૂર્વસંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે બે મિનિટના અંતરે બે મુખ્ય સમાચારો ટી.વી. પર આવ્યા. એક સમાચાર અમેરિકી લોકતંત્રમાં શ્રદ્ધા જન્માવનારા છે, ને બીજા લોકતંત્રની અસરકારકતા પર આશંકા પેદા કરનારા. પ્રથમ સમાચાર છે નવા ચૂંટાયેલ પ્રમુખ જૉસેફ બાઇડનનો દેશજોગ સંદેશ. એમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદારોએ મતદાન કરીને આપણી લોકશાહી જીવતી, ધબકતી છે, તે બતાવી આપ્યું છે, ને બીજા વાક્યમાં ઉમેર્યું કે હવે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. જીત્યા પછી એમણે અનેક વાર રિપબ્લિકન મતદારો સાથે સહકારની વાત કરી છે. આજે ફરી આ વાત દોહરાવી ને પેન્ડેમિકને હટાવવા સાથે કામ કરવા હાકલ કરી. બે મિનિટ પછી ટ્રમ્પનો પેન્સિલવેનિયાના સાંસદોજોગ સંદેશ આવ્યો કે તેમના રાજ્યમાં ચૂંટણીમાં બહુ ગેરરીતિઓ આચરાઈ છે. કોઈ પણ આધાર વિના તેમણે ફરી કહ્યું કે કાનૂની રીતે પડેલા મતોને આધારે તેઓ પેન્સિલવેનિયા જ નહિ, પરંતુ બધાં જ સ્વિંગ સ્ટેટ્‌સમાં જીત્યા છે. પછી વ્હાઇટહાઉસમાં આગળની રણનીતિ ઘડવા આવવા સૂચવ્યું. આ બે વિરોધાભાસી સમાચારો આજના અમેરિકાની રાજકીય સ્થિતિ બતાવે છે. બાઇડન સારી પેઠે જાણે છે કે અમેરિકાની લોકશાહી એક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સામે છેડે, ટ્રમ્પ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના લોકતંત્રને દાવ પર મૂકી રહ્યા છે.

ખરું કે અમેરિકાની આજની કરુણ રાજકીય સ્થિતિ માટે એકલા ટ્રમ્પ જવાબદાર નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકી રાજકારણમાં આત્યંતિક ધ્રુવીકરણની પ્રક્રિયા ચાલતી’તી. ટ્રમ્પ આ ધ્રુવીકરણનું વરવું પરિણામ છે. સિનિયર બુશને હરાવીને ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારથી, ને વિશેષ તો ૧૯૯૪માં રિપબ્લિકન પાર્ટીના ન્યૂટ ગિંગરીચ નીચલા ગૃહના અધ્યક્ષ બન્યા ને ક્લિન્ટન પર મહાભિયોગ ચાલ્યો ત્યાર પછી ધ્રુવીકરણ વધ્યું. ટી.વી.માં કન્ઝર્વેટિવ રિપબ્લિકન ચૅનલો ને લિબરલ મેઇન સ્ટ્રીમ ચૅનલોએ ધ્રુવીકરણને ધાર આપી. બુશ પછી અશ્વેત ઓબામાનું આઠ વર્ષનું શાસન ને ત્યાર પછીનો શ્વેતઘાત ટ્રમ્પને સત્તા પર લઈ આવ્યા.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ને જે રીતે રશિયાએ તેમને ચૂંટાવામાં મદદ કરી ત્યારથી જ અમેરિકી લોકતંત્ર વિશે ચિંતા શરૂ થયેલી. ટ્રમ્પની ચાર વર્ષની શાસન કરવાની પદ્ધતિ, પોતાની જ સરકારના ન્યાયતંત્ર ને ગુપ્તચરતંત્રને ઉતારી પાડવું કે કાવતરાબાજ કહેવું. કેબિનેટના સભ્યોને નોકરીમાંથી કાઢી મુકાતા હોય તે રીતે છૂટા કરવા. તેમને જાહેરમાં અપમાનિત કરવા, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની જાહેર ધમકીઓ આપવી, બંધારણે નથી આપી તેવી સત્તા પોતા પાસે છે તેવી ઘોષણા કરવી, આ બધું આપખુદશાહી ભરેલું વર્તન હતું ને હજુ છે.

ટ્રમ્પની નીતિઓ, વિચારો ને આચારને રાજ્યશાસ્ત્રીઓ હવે ટ્રમ્પિઝમ તરીકે ઓળખે છે. આમ તો જમણેરી લોકરંજકવાદ આપણા માટે નવો નથી. તેના પર અંધરાષ્ટ્રવાદ, જાતિવાદ, ઇમિગ્રેશનનો કટ્ટર વિરોધ, લઘુમતીઓને કચડવાનો મસાલો ભભરાવો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિલેટરાલિઝમ ઉમેરો. વૈશ્વિકીરણનો વિરોધ કરવો. આપખુદશાહી ને જાતિવાદી શાસકો પ્રત્યે મમત્વ બતાવો. ટ્રમ્પિઝમની મુખ્ય ખાસિયત છે દરેક વિરોધી વ્યક્તિ કે વિચાર કે ઘટનામાં કાવતરાં જોવાં ને અન્યને તેમાં મનાવવું. ટ્રમ્પના વિચારો ને વાતોનું આકર્ષણ આવા જ લોકોને છે. જેમને બૌદ્ધિક રીતે વિચારવા કરતાં બધે કાવતરાં દેખાય છે. ટ્રમ્પના રાજકીય ઉભારનો મુખ્ય મુદ્દો ઓબામાના જન્મસ્થળના કાવતરાનો જ હતો. ઓબામા પ્રમુખ રહ્યા ત્યાં સુધી તેમણે તે અમેરિકામાં નથી જન્મ્યા તે મુદ્દો ચલાવે રાખ્યો. ૨૦૧૬ની ચૂંટણી સમયે ટ્રમ્પના ૬૦ ટકાથી વધુ સમર્થકો માનતા હતા કે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.

કોઈ પણ પ્રકારના આધાર વગર અસત્ય ફેલાવવાની કળામાં ટ્રમ્પ માહેર છે. સત્ય ને તથ્ય સાથે તેમને વેર છે. અસત્ય બોલવામાં ને આચરવામાં તેમને કોઇ છોછ નથી. ચૂંટણીમાં બાઇડન કરતાં ૬૦ લાખ મતે પાછળ હોવા છતાં ને ઇલેક્ટોરલ કૉલેજમાં પણ પાછળ હોવા છતાં તે પોતાની હાર કબૂલવા તૈયાર નથી. અલગ-અલગ રાજ્યની કોર્ટમાં ત્રીસ કેસમાં તે હારી ગયા હોવા છતાં પોતે કાનૂની મતોથી જીત્યા છે, તે ગાણું એમણે ચાલુ રાખ્યું છે. આમ કરવાથી તેમને બે ફાયદા છે, એક તો તેમના સમર્થકોમાં આ માન્યતા ચાલુ રહે કે ખરેખર તેમને કોઈ કાવતરાંને કારણે હરાવાયા છે. એક મોજણી પ્રમાણે ૭૦ ટકા ટ્રમ્પસમર્થકો માને છે કે બાઇડન કાવતરું કરીને જીત્યા છે. બીજું જે અમેરિકી લોકતંત્ર માટે વધુ જોખમકારક છે તે એ કે ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દેવો.

નોંધવું જોઈએ કે ટ્રમ્પને ૭૪૦ લાખ મત મળ્યા છે, જે આ પૂર્વે બાઇડન સિવાય કોઈને નથી મળ્યા. ૨૦૨૪ની ચૂંટણીમાં ફરીથી ઊભા રહેવા માટે આ સમર્થન જરૂરી છે. બીજું કે આટલા સમર્થન સાથે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પરની પોતાની પકડ ચાલુ રાખી શકે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના રિપબ્લિકન નેતાઓ બાઇડનના વિજયને અંગત રીતે સ્વીકારતા હોવા છતાં મીંઢું મૌન રાખીને બેઠા છે. ઘણાને ટ્રમ્પ સાથે વેર રાખવું પોસાય તેમ નથી. બીજી બાજુ એવા પણ રિપબ્લિકન નેતાઓ છે, જેમણે ચૂંટણીપૂર્વે જ બાઇડનનું સમર્થન કરેલું ને બીજા એવા પણ છે, જેમણે ચૂંટણી પછી બાઇડનનું સમર્થન કર્યું છે. રિપબ્લિકન પાર્ટીમાં આ લોકોનું શું સ્થાન હશે તે આગામી થોડા સમયમાં નક્કી થશે. જોવાનું એ રહ્યું કે રિપબ્લિકન પાર્ટી એક રહે છે કે તેમાં ભંગાણ પડે છે.

એ નક્કી છે કે ટ્રમ્પ ના હોય તો પણ ટ્રમ્પિઝમ હમણાં તો અમેરિકી રાજકારણનો ભાગ છે. અમેરિકી લોકતંત્ર પર જમ ઘર ભાળી ગયાનો હાઉ રહેવાનો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 03

Loading

તંત્રોની અને પ્રજાની બેદરકારી કોરોના કરતાં પણ વધારે ભયંકર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 November 2020

આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ – માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.

સરકાર આમ તો જાગતી જ હતી, તેમાં ફરી જાગી ને રઘવાઈ થઈને નિર્ણયો લેવા લાગી. 23મીથી સ્કૂલ-કોલેજો ખૂલી જશે એવું ડંકેકી ચોટ પર 5 વાગે કહ્યું ને સાત વાગે કહ્યું કે નહીં ખૂલે. આવું શેખચલ્લી જેવુ તો થતું જ રહે છે. એકદમ શુક્રવાર, 20મી નવેમ્બરથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગશે તેવું કહ્યું ને તે ઠીક ન લાગ્યું તો શુક્રવાર રાતથી જ સોમવાર સવાર સુધીનો કરફ્યુ ઠોકી દીધો. એની સાથે જ સુરત, વડોદરા, રાજકોટની મહાનગરપાલિકાઓએ પણ ઘેટાંની ચાલે શુક્રવારથી રાત્રિ કરફ્યુનો ખેલ પાડી દીધો. આમાં શું છે કે લાંબું વિચારવાનું હોય તો પણ, તેવી શક્તિ ન હોવાથી ઉપરથી હુકમો છૂટે તેમ તેમ કારીગરો કામે લાગતાં હોય છે. બાકી આ અક્કલ તહેવારોમાં ચાલી હોત તો પ્રજાની મુશ્કેલીઓ વધી ન હોત. લોકો પર કાબૂ પહેલાં મેળવવાનો હતો તેને બદલે ઘોડા ભગાડીને તબેલાને તાળાં મારવા જેવું તંત્રોએ કર્યું.

રસીનું પણ રેઢિયાળ રીતે જ બધું ચાલી રહ્યું છે. કોઈ ચોક્કસ ને અસરકારક રસી હાથ લાગી નથી તે પહેલાં મહિનાઓથી તેના દાખલા ગણાયા કરે છે ને લોકો વારંવાર છેતરાયાની લાગણી અનુભવે છે તે ઠીક નથી. આગોતરી વ્યવસ્થા થાય તેનો વાંધો નથી, પણ આ આખા વેપલામાં કામ ઓછું ને દેખાડો વધારે છે. લગ્ન વખતે વાડી, કપડાં, કંકોતરી ને કન્યાની વ્યવસ્થા વિચારાય તે સમજી શકાય, પણ બાળક જનમ્યું જ ન હોય ને કોઈ વરઘોડો કાઢે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આ તો મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખ્યાં કરતાં હોય એવું વધારે છે.

થોડા મહિનાઓ પહેલાં સુરતના એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગેલી અને થોડાં બાળકો તેમાં ભડથું થઈ ગયેલાં તે યાદ છે? એ પછી તંત્રોમાં જે જીવ આવેલો તે પણ ખબર હશે જ. બધા ક્લાસો પર તવાઈ આવેલી ને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાની ઝુંબેશ ચાલેલી તે પણ બધાં જાણે છે. એની વિગતો હજી થોડે થોડે દિવસે છાપાંઓમાં આવતી રહે છે. હજી આવશે ને પછી બધું પેલાં મરેલાં બાળકોની રાખમાં ઢબૂરાઈ જશે. એમાં જેનું બાળક ગયું તે સિવાય ક્યાં ય કોઈ કાંગરો ખર્યો નથી. ધારો કે ફરી આગ લાગે છે તો બાળકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હવે થઈ છે? ના. વ્યવસ્થાનું નાટક એ જ એક મોટી વ્યવસ્થા છે ને બીજો બનાવ બને તો વળી નવી તપાસનું નાટક ચાલશે ને એમ ચાલ્યા કરશે.

આવું ખાતરીથી કહેવાનું એટલે બને છે કે આગની સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતનાં શહેરોમાં બનતી આવી છે અને આપણાં નઘરોળ ને નિર્લજ્જ તંત્રો ગેંડાને શરમાવે એવી જાડી ચામડીથી નફ્ફટની જેમ કામ કરી રહ્યાં છે અથવા તો કામનો દેખાવ કરી રહ્યાં છે. તંત્રોને કોઈ ફરક પડતો નથી. ગયા ઓગસ્ટમાં અમદાવાદની કોવિદ હોસ્પિટલમાં આગ લાગેલી અને કોરોનાના આઠેક દરદીઓ એમાં મૃત્યુ પામેલા. તંત્રો જરાતરા સળવળ્યાં ને વળી ઢબૂરાઈ ગયાં. એ પછી ગઈ 28 નવેમ્બરે છાપાંઓમાં રાજકોટની એક કોવિદ હોસ્પિટલમાં આગ લાગી ને વેન્ટિલેટર પર મૂકાયેલાં પાંચ કોરોના દરદીઓ બેડ પર જ ભડથું થઈ ગયા. આ થયું એટલે તંત્રો વળી રાબેતા મુજબ જીવતાં થયાં. તપાસનું નાટક ચાલ્યું ને વળી ચાલશે. એ સાથે જ બીજા શહેરોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસનું ચક્કર પણ ચાલું થયું છે. ક્યાંક મોક ડ્રીલ પણ શરૂ થઈ છે. એમાં સમિતિની રચનાઓનું નાટક પણ ખરું. થોડાં દિવસ વળી તપાસ-તપાસની ચલકચલાણી રમાશે ને બીજી દુર્ઘટના બને ત્યાં સુધી ફરી પૂર્ણવિરામ મૂકાઈ જશે. આ બધું પાછું મરેલાંની છાતી પર ચાલે છે તે સૌથી વધુ કઠે એવું છે.

કોરોના હોય તેવા દરદીઓ હોસ્પિટલે જવા બહુ તૈયાર થતા નથી, કારણ મરી જવાનો એમને ભય લાગે છે. એમને કહી શકાય કે ચિંતા ના કરો. હોસ્પિટલે ગયા પછી કોરોનાથી જ મરાય એવું નથી, કોરોનાથી તો કદાચને બચી પણ જવાય, પણ આગમાં બળી મરાય એવી જોગવાઈ હોસ્પિટલોએ કરી છે. એટલે હોસ્પિટલો હવે રોગથી જ મારે એવું નથી, તે અકસ્માતે પણ ભોગ લે એ શક્ય છે. આ અકસ્માત ટાળી શકાયો હોત, પણ ટાળવાની દાનત જ ન હતી. અમદાવાદનો, ઓગસ્ટનો હોસ્પિટલમાં આગ લાગવાનો દાખલો સામે હતો જ, પણ તેમાંથી કૈં જ શીખવાનું ન થયું, જો બોધપાઠ લેવાયો હોત તો રાજકોટની ઘટના ટળી હોત. પણ એ ઘટના બને એટલે પણ શીખવાનું ન બને એમ બને ને ! ને આ કૈં એક બે ઘટનાઓ પૂરતું જ સીમિત છે એવું ક્યાં છે? છેલ્લા ત્રણ મહિનામાં માત્ર હોસ્પિટલમાં જ આગ લાગવાની સાત ઘટનાઓ રાજ્યમાં બની છે એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ લેવાયો હોત તો બાકીની ઘટનાઓ નિવારી શકાઈ હોત, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રો જીવ વગર જ કામ કરે છે. એનામાં યંત્રો જેટલી સક્રિયતા પણ ઘણીવાર હોતી નથી. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાનું કહ્યું છે તો તે વસાવી દેવાશે, પછી એનું મેઇન્ટેનન્સ એ જાણે એની જવાબદારી જ ન હોય એવી રેઢિયાળ રીતે કામ ચાલતું રહે છે. જવાબદારી કોઈ લેતું નથી, પણ જવાબદારીની ઢોળાઢોળ બધાંને જ આવડે છે. સમિતિઓની રચના થતી રહે છે ને કાળજી એટલી રખાય છે કે રિપોર્ટ બને એટલો મોડો આવે ને તથ્યોને વફાદાર ન હોય. બધી બાજુએથી ભીનું સંકેલાય એ માટેના પ્રયત્નો થતા રહે છે.

આગ લાગવાનુ કારણ નથી જડતું ત્યારે શોર્ટ સર્કિટ એ હાથવગું બહાનું છે. સતત બેદરકારી રાખવી, આર્થિક લાભ સિવાય બધું જ ગૌણ ગણવું ને સજીવ વ્યક્તિનું કોઈ જ મૂલ્ય ન આંકવું એ તંત્રોની અને પ્રજાની નિકૃષ્ટ કોટિની માનસિકતા રહી છે ને એમાં નિર્દોષ માણસોનો ભોગ લેવાતો રહે છે. માણસ સજીવ છે, પણ તે મૃતક્નો આંકડો હોય એ રીતે જ ઘણાં તેની સાથે વર્તતાં હોય છે. જેની પાસે સત્તા અને સંપત્તિ છે તે કોઈ પણ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથે છે ને જેની પાસે ઓછું છે તે વેઠવામાં જ જન્મારો પૂરો કરે એવી વ્યવસ્થા છે. મૃત્યુ પણ હવે માણસોને ડરાવતું નથી ને કોઈ જીવે કે મરે એની ચિંતા હવે તંત્રો કે લોકો ખાસ કરતા નથી. આ સંવેદનહીનતા એ આ સદીનો કોરોના કરતાં પણ ભયંકર રોગ છે ને તે વધારે ઘાતક છે. માણસ એટલે ત્રણચાર લાખ રૂપિયા આટલી જ વ્યાખ્યા માણસની બચી છે. એટલે જ તો સરકાર ગાય-કૂતરાને નાખતી હોય તેમ બે પાંચ લાખ મૃતકને આપીને છૂટી જતી હોય છે, કેમ જાણે મરનાર વ્યક્તિ એ બે પાંચ લાખ લેવા જ મરી હોય ! એટલે જ એક મરનારની બહેને કહેવું પડ્યું કે ચાર લાખ તો શું, ચાર કરોડ અપાય તો પણ મારો ભાઈ પાછો આવવાનો નથી. લાગે છે કે બધાં સરકારી મદદ મળે એટલાં પૂરતાં જ આતુર હોય છે?

એ ખરું કે સરકારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ તે જે રીતે અપાય છે એમાં મરનારનું માન જળવાતું નથી. આ બધું યાંત્રિક રીતે, વેઠ ઉતારવા થતું રહે છે તે બરાબર નથી.

એ અત્યંત દુખદ છે કે મનુષ્યની સજીવ તરીકેની કિંમત તેનાં મૃત્યુ પછી અપમાનજનક રીતે લગાવાતી હોય છે. વધારે શું કહેવું? સબ કો સન્મતિ દે ભગવાન …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 30 નવેમ્બર 2020  

Loading

...102030...2,1412,1422,1432,144...2,1502,1602,170...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved