Opinion Magazine
Number of visits: 9964771
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —79

દીપક મહેતા|Opinion - Opinion|16 January 2021

ગાડી ઊભી રહેતાં જ ગોરા સાર્જન્ટ અને બીજા સિપાઈઓએ તેને ઘેરી લીધી

‘ધનકોરની શોધ કરવાની જરૂર નથી. તે સલામત છે અને સુખી છે’

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી,
વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી.

૨ મે, ૧૮૭૧

મારી વહાલી માતાજીને માલમ થાય જે મારાથી આ વિધવાપણાનું ઘાતકી દુઃખ નહિ સહન થઈ શકવાથી મેં મરી જવાનો વિચાર કીધો હતો, પણ મોત કંઈ આવ્યું નહિ. માતાજી, તું જ્યાં સુધી હયાત બેઠી છે ત્યાં સુધી મને કોઈ બી ચિંતા જેવું નથી, પણ તારા જવા પછી ભાઈ-ભોજાઈના હાથ નીચે હું એક દિવસ કાઢી શકું એમ મને લાગતું નથી, અને પાછળથી હું એકલી પડીને કોઈ આડે રસ્તે ઊતરી જાઉં તેના કરતાં આ ઉત્તમ રસ્તો લેવાનું મેં વધારે પસંદ કર્યું છે. માતાજી, હવે મારો અને તમારો કોઈ બી દિવસે મેળાપ થશે એ વાત તો બહુ મુશ્કેલ છે, માટે તમો મનમાં એમ સમજજો કે હું મરી ગઈ છું. મેં કોઈની બી શીખવણીથી આ કામ કર્યું નથી, પણ મારી પોતાની જ ખુશીથી આ કામ કર્યું છે, માટે તમે બીજા કોઈને બી દોષ દેશો નહિ. હું તમારા ઘરમાંથી કાંઈ બી તમારી જણસ માલ લઈ ગઈ નથી, માટે તમે તમારું સર્વે સંભાળી લેશો. હવે આ મારી છેલ્લી સલામ છે.

લિ. તમારી વહાલી પણ દુખીયારી દિકરી ધનકોર.

ધનકોર માધવદાસ

ચિઠ્ઠી લખીને ધનકોરે એક પેટીમાં મૂકી, અને પછી નાહી-ધોઈને તૈયાર થઈને બારી પાસે જઈ ઊભી. બીજાં બધાં બહાર ગયાં હતાં એટલે ઘરમાં તે એકલી જ હતી. થોડી વારે તેની નજર મથુરાદાસ ખેતસી પર પડી. એટલે તે તરત નીચે ઊતરી. અગાઉથી ઠરાવ્યા પ્રમાણે મથુરાદાસ સાથે તે ચાલતી લખમીદાસ ખીમજીના બંગલા સુધી પહોંચી. ત્યાં અગાઉથી ઠરાવ્યા પ્રમાણે બે ઘોડા ગાડી ઊભી હતી. તેમાંની બંધ ગાડીમાં ધનકોર, માધવદાસ અને આગલાં લગ્નથી થયેલી તેમની ત્રણ વરસની દીકરી ગોતી એ ત્રણ જણ બેઠાં. બીજી ગાડીમાં કરસનદાસ મૂળજી અને મથુરાદાસ ખેતસી બેઠા. સવારથી બંગલા બહાર ઊભા રહીને નજર રાખતા મુફતી પોલિસના માણસો એક ઘોડા ગાડી ભાડે કરી તેમાં બેઠા. આખે રસ્તે ધનકોર એક ખૂણામાં દબાઈને બેસી રહી અને એક અક્ષર પણ બોલી નહિ. થોડી વારમાં ગાડીઓ ચીંચપોકલીના બંગલે આવી પહોંચી. ગાડી ઊભી રહેતાં જ એક ગોરા સાર્જન્ટ, રાવબહાદુર દાજી ગંગાજી, અને બીજા સિપાઈઓએ ગાડીને ઘેરી લીધી અને ધનકોર, માધવદાસ, અને તેની દીકરીને સલામત રીતે ઊતાર્યાં.

નાનાભાઈ રાણીના, વાસુદેવ નવરંગે, રામકૃષ્ણ ભાંડારકર, ડો. આત્મારામ પાંડુરંગ, જહાંગીર મર્ઝબાન

પછી, જેમને જેમને આમંત્રણ આપેલું તેમને ખબર કરવા માણસોને દોડાવ્યા. ત્રણ વાગે બેન્ડ-વાજાંવાળા આવ્યા અને વાતાવરણને સંગીતથી ભરી દીધું. લગ્ન માટેની બધી સાધન-સામગરી લઈને પંડિત વિષ્ણુ પરશુરામ આવી પહોંચ્યા. સાંજના પાંચ સુધીમાં તો બંગલાની બહાર ઘોડા ગાડીની લાંબી લાઈન લાગી ગઈ હતી, અને બંગલામાં લગભગ બસો માણસ ભેગા થઈ ગયા હતા. તેમાંના કેટલાક : જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે, ડોક્ટર આત્મારામ પાંડુરંગ, સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, જસ્ટિસ ભાઈશંકર નાનાભાઈ, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, કેખુશરો કાબરજી, જહાંગીર મર્ઝબાન, વાસુદેવ બાબાજી નવરંગે. પહેલાં તો ધનકોર અને માધવદાસ વચ્ચેના એક અંગ્રેજી કરારનો ગુજરાતી તરજુમો વાંચી સંભળાવવામાં આવ્યો જેના પર તે બન્નેએ અને બીજા ચાર સાક્ષીએ સહી કરી. હાજર રહેલા બે મેજિસ્ટ્રેટે પણ તેના પર મતું માર્યું અને તેમના કલાર્કે કોર્ટના સિક્કા માર્યા. ધનકોરના ધર્મપિતા થઈને કરસનદાસ મૂળજીએ કન્યાદાન આપ્યું. સાંજે છ વાગ્યે લગ્નવિધિ પૂરી થયા પછી પાન-ગુલાબ લઈ બધા મહેમાનો વિદાય થયા. વર-વધૂ, કરસનદાસ મૂળજી, અને બીજા થોડાક રાત બંગલામાં જ ગાળવાના હતા એટલે એક બાજુ તેમના જમવાની તૈયારી શરૂ થઈ. બીજી બાજુ લગ્નવિધિ હેમખેમ પાર પડી ગઈ હતી, એટલે પોલિસના માણસો રવાના થયા. પણ જતી વખતે ગોરો સાર્જન્ટ આખી રાત પહેરો ભરવા માટે એક સિપાઈને મૂકતો ગયો અને કહેતો ગયો કે હું નજીકમાં જ રહું છું એટલે રાત્રે એક-બે વખત આવીને તમારી ખબર કાઢી જઈશ, એટલે બેફિકર રહેજો.

૧૯મી સદીની મુંબઈ પોલિસ

તે જ દિવસે સાંજે ધનકોરના ઘરે ધમાલ મચી ગઈ હતી. સાંજે બધાં ઘરે આવ્યાં ત્યારે ધનકોર ઘરમાં નહોતી. કોઈએ કહ્યું કે તે તો બપોરથી તેની નણંદને ત્યાં ગઈ છે. ત્યાં ભાળ કઢાવી તો નણંદે કહ્યું કે ધનકોરભાભી આજે મારે ત્યાં તો આવ્યાં જ નથી. બીજાં સગાંઓને ત્યાં પૂછાવ્યું, પણ બધેથી એક જ જવાબ : ‘અમારે ત્યાં તો એ આવી જ નથી.’ તેમાં વળી કોઈએ કહ્યું કે ધનકોર ઘણી વાર મરવાની વાત કરતી, તે ક્યાંક કૂવોહવાડો ન કર્યો હોય! એટલે આસપાસનાં કૂવા, તળાવ, અને ચોપાટીનો કિનારો સુધ્ધાં શોધી વળ્યા. પણ ધનકોરનો પત્તો લાગ્યો નહિ. છેવટે ધનકોરનો ભાઈ ફરિયાદ નોંધાવવા પોલિસ સ્ટેશને જવા નીકળ્યો. વાલકેશ્વરની ચોકી આગળ તે ભાડાની ઘોડા ગાડી મળે તેની રાહ જોતો ઊભો હતો. ઠાકરસી નારાયણજીએ તેને જોયો, ઓળખ્યો. તેઓ લગ્નમાં હાજરી આપી ઘરે પાછા જઈ રહ્યા હતા. તેમણે ગાડી ઊભી રખાવી, અને પૂછ્યું : ‘મોડી રાત્રે અહીં કેમ ઊભા છો?’ ‘મારી મોટી બહેન ધનકોર ગુમ થઈ છે તે ફરિયાદ નોંધાવવા પોલિસ સ્ટેશને જાઉં છું, પણ ગાડી મળતી નથી.’ ‘તમે તમારે ઘરે જઈને નીરાંતે બેસો. ધનકોરની શોધ કરવાની જરૂર નથી. તે સલામત છે અને સુખી છે.’ ભાઈએ ઘણી આજીજી કરી એટલે ઠાકરસીએ કહ્યું : ‘ધનકોરે પોતાની મરજીથી શેઠ માધવદાસ રૂગનાથદાસ સાથે પુનર્લગ્ન કરી લીધાં છે. હું તેમની લગ્નવિધિમાં હાજરી આપીને જ ઘરે જઈ રહ્યો છું. તમે ઘરે જઈ બધાંને આ વાત જણાવો અને કહો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’ ‘પણ આ લગ્ન થયાં ક્યાં? અત્યારે મારી બહેન છે ક્યાં?’ ઠાકરસી શેઠ ઠરેલ હતા, સમજદાર હતા. તેમણે શાંતિથી પણ મક્કમતાથી કહ્યું : ‘અત્યારે હું તમને આ અંગે વધુ કશું જ કહી શકું એમ નથી. પણ કાલે સવારનું છાપું વાંચશો એટલે બધી ખબર પડશે.’

એટલે ધનકોરનો ભાઈ પાછો ઘરે ગયો. થોડે દૂરથી જ તેણે મોટેથી પોક મૂકી. એટલે ઘરમાં બધાંએ માની લીધું કે ધનકોર મરી ગઈ છે અને એટલે બધાં મોટેથી પોક મૂકી રડવા લાગ્યાં. બૈરાંઓ છાતી કૂટવા લાગ્યાં. અડોશીપડોશી પણ જાગી ગયા, અને દિલાસો દેવા આવી પહોંચ્યા. થોડી વારે કોઈએ પૂછ્યું : ‘પણ ધનકોરે આપઘાત કર્યો કઈ રીતે એ તો કહે!’ પણ ભાઈએ જે વાત કહી તે સાંભળીને તો ઘરનાં અને બહારનાં બૈરાં વધુ જોર જોરથી રડવા-કૂટવા લાગ્યાં. અરેરે, આ તો આપઘાત કરતાં ય વધુ કાળો કામો કર્યો ધનકોરે! આના કરતાં તો તે મરી ગઈ હોત તો સારું થાત! પછી કોઈએ કહ્યું કે ઘરમાં શોધો તો ખરા, તેણે જતાં પહેલાં ક્યાં ય ચિઠ્ઠી-ચપાટી મૂકી હોય તો! અને હા, ઘરમાંથી શું શું સાથે લઈ ગઈ છે તેની પણ તપાસ કરો. થોડી વારે ધનકોરે લખેલી ચિઠ્ઠી હાથ લાગી ત્યારે કોઈએ એ મોટેથી વાંચી સંભળાવી. એટલે બધાં બૈરાં પાછાં રડવા લાગ્યાં. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહિ. બીજા દિવસનાં સવારનાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, બધાં છાપાંએ ધનકોર અને માધવદાસનાં પુનર્લગ્નના ખબર પહેલે પાને ચમકાવ્યા હતા. એક છાપાએ તો પહેલે પાને સમાચારની સાથે કવિતા પણ છાપી હતી :

ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી,
વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી.
માધવદાસે મોટું કામ હામથી કર્યું છે,
તો પણ તે તારા વડે માનીએ થયું છે.
સુધારાનાં સાથી સૌનું નાક રાખ્યું ભાઈ!
માટે દ્યોને માધવદાસને હર્ષની વધાઈ.
ધનવાન, પુત્રવાન, કીર્તિવાન થઈને,
અખંડ જોડું ઝાઝું જીવો, આ આશિશ લઈને.

પણ બે પુખ્ત ઉંમરની વ્યક્તિનાં લગ્ન મુંબઈનાં બધાં છાપાંના પહેલા પાને ચમકે, એ લગ્ન વખતે પોલિસનો બંદોબસ્ત રાખવો પડે, વસ્તીથી દૂરના બંગલામાં લગન કરવાં પડે, એ વખતે બે-બે મેજિસ્ટ્રેટને હાજર રાખવા પડે, એવું કેમ બન્યું? કારણ આ લગ્ન એ મુંબઈ શહેરમાં થયેલું પહેલવહેલું વિધવાનું પુનર્લગ્ન હતું. અલબત્ત, વિધવા-વિવાહ અંગેનો બાધ માત્ર ‘ઉજળિયાત’ કહેવાતી કોમો પૂરતો જ મર્યાદિત હતો. બીજા વર્ણોમાં તો તે એક સામાન્ય બાબત હતી. પણ ‘ઉજળિયાત’ વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલાં વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયા. આ કાયદો ઘડવામાં અને તેને પસાર કરાવવામાં જેમનો ઘણો મોટો ફાળો તે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ૬ વરસની ઉંમરની એક વિધવા બ્રાહ્મણ છોકરીનાં તે દિવસે પોતાને ખર્ચે પુનર્લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ તેમના દીકરાએ પણ એક વિધવા સાથે લગ્ન કરેલાં. બોમ્બે પ્રેસિડેન્સીમાં પહેલા વિધવા વિવાહ ૧૮૬૯માં કોંકણમાં થયા અને તળ મહારાષ્ટ્રમાં ૧૮૭૫માં. સર રામકૃષ્ણ ભાંડારકરે પોતાની વિધવા દીકરી શાંતાબાઈનાં ફરી લગ્ન કરાવ્યાં, ૧૮૯૧માં. ૧૮૯૩માં મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ પોતે એક વિધવા સાથે લગ્ન કર્યાં એટલું જ નહિ, ૧૮૯૬માં પૂના નજીક હિંગણે ખાતે વિધવાઓ માટે આશ્રમ પણ સ્થાપ્યો. આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ૧૮૭૨ના ઓગસ્ટની ૨૫મી તારીખે, અને કાઠિયાવાડમાં ૧૮૭૬ના ઓગસ્ટની ૧૯મીએ પહેલી વાર વિધવાનાં લગ્ન થયાં. પણ માધવદાસ અને ધનકોરનાં લગ્ન એ મુંબઈમાં થયેલાં પહેલાં વિધવા પુનર્લગ્ન, ગુજરાતીઓમાં થયેલાં પણ એ પ્રકારનાં પહેલાં લગ્ન. એટલે છાપાંઓમાં અને લોકોમાં ચર્ચા ચાલે, મતભેદો અને આક્ષેપબાજી જોવા મળે તે સ્વાભાવિક ગણાય. આજે હવે વિધવાનાં પુનર્લગ્ન એ વિવાદનો પ્રશ્ન રહ્યો નથી. પણ ૧૯મી સદીનાં પાછલાં પચાસ વર્ષોમાં સમાજ સુધારાની ચળવળનું તે એક મુખ્ય અંગ હતું. અને આ બાબતમાં ગુજરાત મુંબઈને અનુસર્યું હતું.

પહેલા પુનર્વિવાહની આપવીતી

એ જમાનામાં વિધવા વિવાહ એ જ એક અસાધારણ સાહસ હતું. પણ માધવદાસ અને ધનકોર પોતે એવાં લગ્ન કરીને અટક્યાં નહિ. બીજા અનેક વિધવા વિવાહને તેમણે મુંબઈમાં અને ગુજરાતમાં પ્રોત્સાહન આપ્યું. તેમનાં પોતાનાં લગ્ન પછી મુંબઈ અને ગુજરાતમાં તેમણે વિધવા વિવાહને સદ્ધર ટેકો આપ્યો. તેમનાં લગ્ન પછીનાં સોળ વરસમાં ૨૫ ગુજરાતી અને ૨૧ મરાઠી ભાષીઓનાં લગ્ન થયાં જેને તે બંનેએ ટેકો આપ્યો હતો. એ પછીનાં વીસ વરસમાં બીજાં ૪૦ લગ્ન થયાં. માધવદાસના અવસાન પછી પણ ધનકોરબાઈએ વિધવા વિવાહને સક્રીય ટેકો આપવાનું ચાલુ રાખ્યું. તે અંગે તેઓ અખબારો કે સામયિકોમાં લેખો પણ લખતાં. ૧૯૦૭માં સ્ત્રી-બોધ’ સામયિકને ૫૦ વરસ પૂરાં થયાં એ પ્રસંગે તેનો જ્યુબિલી વિશેષાંક ૧૯૦૮માં પ્રગટ થયો હતો. તે પહેલાં ધનકોરબાઈનું અવસાન થયું હતું, પણ અગાઉ તેમણે લખી આપેલો લેખ આ વિશેષાંકમાં પ્રગટ થયો હતો. એ લેખમાં તેઓ લખે છે : ‘મેં વિધવાવસ્થાનું સંકટ વેઠયું છે. મારે માથે જુલ્મી શેઠિયાઓએ જુલમનાં ઝાડ ઉગાડ્યાં છે. અને હું હિંમતથી કહું છું કે હિંદુ વિધવાઓને આવી રિબાતી હાલતમાં જીવાડવા કરતાં પોતાના પતિની પાછળ રાજીખુશીથી અથવા બળાત્કારથી પણ સતી કરવાની રજા આપવામાં આવે તો વધારે સારું, કે રીબાઈ રીબાઈને મરવા કરતાં બાપડી વિધવા બળી મરીને એકદમ છૂટકો પામે. એક પરાધીન, સંસારથી વિરક્ત થયેલી, હીણાયેલી, ગુલામડી કરતાં પણ વધારે દાસત્વપણું ભોગવતી હિંદુ વિધવાને જીવવું એ નહિ બની શકે એવું છે. જેને વીત્યું હોય તે જ આ વેદના જાણે.’  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 જાન્યુઆરી 2021

Loading

– રહી જાય છે

રવીન્દ્ર પારેખ|Poetry|15 January 2021

આમ તો કાગળ 
કોઈકે કમાન કરી 
તો ઊડવાનું મન થયું
પણ
એકલો કાગળ તો ઊડે નહીં 
કે ન તો એકલી દોરી ચગે
કાગળને કમાન હોય
ને એને દોરી બંધાય તો કદાચ …
શું છે કે કેટલાય કાગળને 
કમાન મળે 
તો દોરી નથી મળતી
દોરી મળે તો બંધાતી નથી
બંધાય તો કોઈ
ઉઠાવતું નથી
ઉઠાવે તો હવા નથી હોતી
હોય તો એટલી
કે ફસ્કાવાનું જ થાય
ને એ બધું હોય 
ને આકાશ જ ન હોય તો …?
કેટલાય કાગળો એટલે 
ફડફડીને ઘરમાં જ –

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

સમકાલીન શા માટે ? એક મેગ્ના કાર્ટા

હસમુખ ગાંધી, હસમુખ ગાંધી|Opinion - Opinion|15 January 2021

પત્રકાર મહર્ષિ હસમુખ ગાંધીના માનસસંતાન અને ઇતિહાસસર્જક આધુનિક ગુજરાતી અખબાર 'સમકાલીન'ની આજે [14 જાન્યુઆરી 2021] 38મી વર્ષગાંઠ. એ નિમિત્તે 'સમકાલીન'નો પ્રથમ તંત્રીલેખ સાદર:

•

ભણકારા વાગતા હતા. હવે પડો વજડાવીએ છીએ. સાદ સાંભળજો. નરીમાન પૉઇન્ટ પર ઍક્સપ્રેસ ટાવર્સમાંથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથનું ગુજરાતી દૈનિક આજથી, 14મી જાન્યૂઆરી, 1984થી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દૈનિકનું નામ છે ‘સમકાલીન’.

એક વધુ ગુજરાતી અખબારની, ‘સમકાલીન’ની, શી જરૂર? ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તેમ જ પરદેશોમાં (જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત) ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ માટે ગુજરાતી દૈનિકોની માત્ર દસ લાખ નકલ છપાય છે. અંગ્રેજી દૈનિકના પૂરક (કૉમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી) દૈનિક તરીકે નહીં પણ વિકલ્પ તરીકે અથવા સમાંતર દૈનિક તરીકે ઊભા રહેવાના ‘સમકાલીન’ને કોડ છે.

છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય તેવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દો : આ બધાંને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે. કોઈ એક જિલ્લાનું મુખપત્ર બની રહેવાને બદલે બૃહદ્દ ગુજરાતને ‘સમકાલીન’ ધ્યાનમાં રાખશે. ઉમાશંકરની ‘ગુજરાત મોરી મોરી’ને, નર્મદની ‘ગરવી ગુજરાત ’ને અને ગુજરાતનો નાથ આલેખનાર કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતની અસ્મિતા’ને ‘સમકાલીન’ સલામ કરે છે. દોહ્યલી ગુજરાતવાળા મહાત્મા ગાંધી, લોખંડી વલ્લભભાઈ પટેલ અને શહીદ બળવંતરાય મહેતાએ ગુજરાતને બક્ષેલા ગૌરવનું ‘સમકાલીન’, પક્ષાપક્ષીથી દૂર રહીને, જતન કરશે.

ગુજરાતીઓએ દેશભરમાં અને જગતભરમાં દરેક ક્ષેત્રમાં નામના કાઢી છે. વિજ્ઞાનથી માંડીને હોટેલ-મોટેલ સુધીનાં તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જેવાં નામો ભારતીય વિજ્ઞાનની પ્રગતિનાં સીમાચિહ્નો છે. ગુજરાતની સહકારી મંડળીઓ અને પંચાયત દેશમાં નમૂનેદાર ગણાય છે. ગોપાલક કૃષ્ણની વિહારભૂમિ ગુજરાતે સમગ્ર ભારતને ડેરીઉદ્યોગની તાલીમ આપી છે. દેશનાં ઉદ્યોગપ્રધાન રાજ્યોની હરોળમાં પહેલે નંબરે બેસવા માટે ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.

‘સમકાલીન’ ગુજરાતી વાચકોની આકાંક્ષાઓ અને તેમનાં જીવનમૂલ્યોનું દર્પણ બની રહેશે. વાચકોની શ્રદ્ધેયતા અને વિશ્વસનીયતા ટકાવી રાખવા ‘સમકાલીન’ આકાશપાતાળ એક કરશે.

‘સમકાલીન’ આ દેશના સૌથી મોટા અખબારી પરિવારનું સભ્ય છે. 50 વર્ષ પહેલાં ગાંધીજીની પ્રેરણાથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’નું મદ્રાસ ખાતેથી પ્રકાશન શરૂ થયું હતું. એ વખતે બધાં અંગ્રેજી અખબારો અંગ્રેજી સલ્તનતની આરતી ઉતારતાં હતાં. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસે’ હમેશાં સ્વતંત્રતાનો ઝંડો ઉપાડ્યો છે અને દુ:શાસન સામે બગાવત કરી છે. અબ્દુલ રહેમાન અંતુલેના પ્રતિષ્ઠાન અને સિમેન્ટની તેમણે કરેલી લહાણી વચ્ચેની કડી (નેક્સસ) ઍક્સપ્રેસે પ્રસ્થાપિત કરી હતી. જૂન, 1975થી માર્ચ, 1977 સુધી નાગરિકો અને અખબારો પર વીંઝાયેલા કટોકટીના કોરડા સામે 'ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અડીખમ ઊભું હતું. ‘સમકાલીન’ આ ટિમ્બરનું બનેલું છે. ભાંગી જશે પણ વળશે કે ઝૂકશે નહીં, ચંડીગઢથી મદુરાઈ સુધી વિસ્તરેલા ઍક્સપ્રેસ વારસા બદલ ‘સમકાલીન’ મગરૂર છે. તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં ઍક્સપ્રેસનાં આઠ દૈનિક નીકળે છે. ઍક્સપ્રેસના ભાષાકીય દરબારમાં ‘સમકાલીન’ નવમું રત્ન છે.

વાચકો કે પાઠકો જ અખબારના અડીખમ રખેવાળો છે. અખબાર આડુંતેડું, વાંકુંચૂંકું ચાલવા લાગે ત્યારે ગાડીતની જેમ એને પરોણી મારવી એ જાગરૂક વાચકોનો ધર્મ છે. પ્રિય વાચક, સુજ્ઞ પાઠક, ‘સમકાલીન’ને સીધે રસ્તે ચલાવવાની ફરજ આપની છે. પ્રિય ‘સમકાલીન’ને જરૂર પડ્યે ટપારવું, એને ઝોંકો વાગે તો તે ઉતારવો, એને નજર લાગે તો મરચાંનો વઘાર કરવો એ જવાબદારી, પ્રિય વાચક, આપની છે. આ વર્જિન પત્ર આપની અનામત છે.

‘સમકાલીન’ નવા જમાનાનું મૉડ દૈનિક છે. ‘સમકાલીન’ સમય સાથે કદમ મિલાવશે. સમકાલીનનો અર્થ થાય છે કૉન્ટેમ્પરરી. ‘સમકાલીન ખરેખર કૉન્ટેમ્પરરી હશે.

ગુજરાતી અખબારોમાં ‘સમકાલીન’ અનોખી ભાત પાડશે. ‘સમકાલીન’ ગુજરાતીઓનું, ગુજરાતીઓ માટેનું અખબાર છે. મુંબઈ એનું વડું મથક છે, એટલે મુંબઈગરાની સમસ્યાઓને એ પડઘાવશે.

‘સમકાલીન’ વેપારી વર્ગને ખાસ લક્ષમાં રાખશે. શૅરબજાર, કૉમોડિટીઝ, સોનું-ચાંદી, કસ્ટમ્સ, આયાત-નિકાસ, યુનિટ ટ્રસ્ટ, કાપડથી માંડીને લોખંડબજાર, દૂધથી શરૂ કરીને ઘાસના અને પસ્તીના તેમ જ સિંગતેલથી માંડીને ખાંડ સુધીની પ્રત્યેક જણસના ભાવ, ભાવની ચઢઊતર, બજારોના પ્રવાહોનું બારીકીભર્યું અવલોકન અને કૉમર્સ બિઝનેસ ફાઇનાન્સ કે ઇન્ડસ્ટ્રીઝનાં તમામ ક્ષેત્રોને ‘સમકાલીન’ વામનનાં ત્રણ વિરાટ પગલાંની જેમ આવરી લેશે. અર્થકારણના નિષ્ણાતો ‘સમકાલીન’માં વેપાર, મૂડીરોકાણ, કરવેરા અને બજારોનાં વહેણ વિશે નુક્તેચીની કરશે. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથના માતબર આર્થિક દૈનિક ફાઇનાન્શિયલ ઍક્સપ્રેસનું ‘સમકાલીન’ને મોટું પીઠબળ રહેશે.

ગુજરાતભરનાં કેન્દ્રોમાંથી ‘સમકાલીન’ ગુજરાતના સમાચાર મેળવશે. ઍક્સપ્રેસ જૂથનાં જનસત્તા (અમદાવાદ, રાજકોટ) અને લોકસત્તા (વડોદરા) દૈનિકોનાં તમામ સાજ-અસબાબ ‘સમકાલીન’ને સમૃદ્ધ બનાવશે. ઍક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિની પણ તેના તમામ સંવાદદાતાઓ સાથે ‘સમકાલીન’ને મોટી ઓથ રહેશે.

દેશભરમાં અને વિદેશોમાં ફેલાયેલા ઍક્સપ્રેસ ન્યૂઝ એજન્સીના વિશાળ નેટવર્કનો ‘સમકાલીન’ને લાભ મળશે.

‘સમકાલીન’નું કમ્પોઝિંગ આધુનિક ફોટોકમ્પોઝિંગ (કમ્પ્યૂટરો) દ્વારા થશે અને તેનું મુદ્રણ છેક અત્યાધુનિક ઑફ-સેટ પદ્ધતિથી થશે. તસવીરો (કેટલીક તો અનેકરંગી) અને કળાત્મક લે-આઉટ ‘સમકાલીન’ને સમયની સાથે રાખશે.

ગુજરાતના ચુનંદા લેખકો, પત્રકારો અને કટારલેખકોની ફોજ ‘સમકાલીન’ના વાચકોને બની રહેલી ઘટનાઓની પાર્શ્વભૂમિકા તથા સમીક્ષા પૂરી પાડશે. ઊંડાણ અને પૅલેટેબિલિટી (ભાવે તેવું, શીરાની જેમ ઝટ ગળે ઊતરી જાય તેવું) એ ‘સમકાલીન’ કૉમેન્ટનો મુદ્રાલેખ છે. ‘સમકાલીન’ ન્યૂઝ અને વ્યૂઝના સમતોલ, સોનેરી-રૂપેરી તાણાવાણાથી, કાર્ટૂન અને કૉમિક્સથી વાચકોને મંત્રમુગ્ધ કરશે. પ્રથમ નજરે પ્રેમ કરવા માટે ‘સમકાલીન’ ગુજરાતી વાચકો ભણી હાથ લંબાવે છે.

(પ્રકાશન તારીખ : 14-1-1984)

Loading

...102030...2,1402,1412,1422,143...2,1502,1602,170...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved