ગાડી ઊભી રહેતાં જ ગોરા સાર્જન્ટ અને બીજા સિપાઈઓએ તેને ઘેરી લીધી
‘ધનકોરની શોધ કરવાની જરૂર નથી. તે સલામત છે અને સુખી છે’
ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી,
વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી.
૨ મે, ૧૮૭૧
મારી વહાલી માતાજીને માલમ થાય જે મારાથી આ વિધવાપણાનું ઘાતકી દુઃખ નહિ સહન થઈ શકવાથી મેં મરી જવાનો વિચાર કીધો હતો, પણ મોત કંઈ આવ્યું નહિ. માતાજી, તું જ્યાં સુધી હયાત બેઠી છે ત્યાં સુધી મને કોઈ બી ચિંતા જેવું નથી, પણ તારા જવા પછી ભાઈ-ભોજાઈના હાથ નીચે હું એક દિવસ કાઢી શકું એમ મને લાગતું નથી, અને પાછળથી હું એકલી પડીને કોઈ આડે રસ્તે ઊતરી જાઉં તેના કરતાં આ ઉત્તમ રસ્તો લેવાનું મેં વધારે પસંદ કર્યું છે. માતાજી, હવે મારો અને તમારો કોઈ બી દિવસે મેળાપ થશે એ વાત તો બહુ મુશ્કેલ છે, માટે તમો મનમાં એમ સમજજો કે હું મરી ગઈ છું. મેં કોઈની બી શીખવણીથી આ કામ કર્યું નથી, પણ મારી પોતાની જ ખુશીથી આ કામ કર્યું છે, માટે તમે બીજા કોઈને બી દોષ દેશો નહિ. હું તમારા ઘરમાંથી કાંઈ બી તમારી જણસ માલ લઈ ગઈ નથી, માટે તમે તમારું સર્વે સંભાળી લેશો. હવે આ મારી છેલ્લી સલામ છે.
લિ. તમારી વહાલી પણ દુખીયારી દિકરી ધનકોર.
ધનકોર માધવદાસ
ચિઠ્ઠી લખીને ધનકોરે એક પેટીમાં મૂકી, અને પછી નાહી-ધોઈને તૈયાર થઈને બારી પાસે જઈ ઊભી. બીજાં બધાં બહાર ગયાં હતાં એટલે ઘરમાં તે એકલી જ હતી. થોડી વારે તેની નજર મથુરાદાસ ખેતસી પર પડી. એટલે તે તરત નીચે ઊતરી. અગાઉથી ઠરાવ્યા પ્રમાણે મથુરાદાસ સાથે તે ચાલતી લખમીદાસ ખીમજીના બંગલા સુધી પહોંચી. ત્યાં અગાઉથી ઠરાવ્યા પ્રમાણે બે ઘોડા ગાડી ઊભી હતી. તેમાંની બંધ ગાડીમાં ધનકોર, માધવદાસ અને આગલાં લગ્નથી થયેલી તેમની ત્રણ વરસની દીકરી ગોતી એ ત્રણ જણ બેઠાં. બીજી ગાડીમાં કરસનદાસ મૂળજી અને મથુરાદાસ ખેતસી બેઠા. સવારથી બંગલા બહાર ઊભા રહીને નજર રાખતા મુફતી પોલિસના માણસો એક ઘોડા ગાડી ભાડે કરી તેમાં બેઠા. આખે રસ્તે ધનકોર એક ખૂણામાં દબાઈને બેસી રહી અને એક અક્ષર પણ બોલી નહિ. થોડી વારમાં ગાડીઓ ચીંચપોકલીના બંગલે આવી પહોંચી. ગાડી ઊભી રહેતાં જ એક ગોરા સાર્જન્ટ, રાવબહાદુર દાજી ગંગાજી, અને બીજા સિપાઈઓએ ગાડીને ઘેરી લીધી અને ધનકોર, માધવદાસ, અને તેની દીકરીને સલામત રીતે ઊતાર્યાં.
નાનાભાઈ રાણીના, વાસુદેવ નવરંગે, રામકૃષ્ણ ભાંડારકર, ડો. આત્મારામ પાંડુરંગ, જહાંગીર મર્ઝબાન
પછી, જેમને જેમને આમંત્રણ આપેલું તેમને ખબર કરવા માણસોને દોડાવ્યા. ત્રણ વાગે બેન્ડ-વાજાંવાળા આવ્યા અને વાતાવરણને સંગીતથી ભરી દીધું. લગ્ન માટેની બધી સાધન-સામગરી લઈને પંડિત વિષ્ણુ પરશુરામ આવી પહોંચ્યા. સાંજના પાંચ સુધીમાં તો બંગલાની બહાર ઘોડા ગાડીની લાંબી લાઈન લાગી ગઈ હતી, અને બંગલામાં લગભગ બસો માણસ ભેગા થઈ ગયા હતા. તેમાંના કેટલાક : જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે, ડોક્ટર આત્મારામ પાંડુરંગ, સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે, જસ્ટિસ ભાઈશંકર નાનાભાઈ, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, કેખુશરો કાબરજી, જહાંગીર મર્ઝબાન, વાસુદેવ બાબાજી નવરંગે. પહેલાં તો ધનકોર અને માધવદાસ વચ્ચેના એક અંગ્રેજી કરારનો ગુજરાતી તરજુમો વાંચી સંભળાવવામાં આવ્યો જેના પર તે બન્નેએ અને બીજા ચાર સાક્ષીએ સહી કરી. હાજર રહેલા બે મેજિસ્ટ્રેટે પણ તેના પર મતું માર્યું અને તેમના કલાર્કે કોર્ટના સિક્કા માર્યા. ધનકોરના ધર્મપિતા થઈને કરસનદાસ મૂળજીએ કન્યાદાન આપ્યું. સાંજે છ વાગ્યે લગ્નવિધિ પૂરી થયા પછી પાન-ગુલાબ લઈ બધા મહેમાનો વિદાય થયા. વર-વધૂ, કરસનદાસ મૂળજી, અને બીજા થોડાક રાત બંગલામાં જ ગાળવાના હતા એટલે એક બાજુ તેમના જમવાની તૈયારી શરૂ થઈ. બીજી બાજુ લગ્નવિધિ હેમખેમ પાર પડી ગઈ હતી, એટલે પોલિસના માણસો રવાના થયા. પણ જતી વખતે ગોરો સાર્જન્ટ આખી રાત પહેરો ભરવા માટે એક સિપાઈને મૂકતો ગયો અને કહેતો ગયો કે હું નજીકમાં જ રહું છું એટલે રાત્રે એક-બે વખત આવીને તમારી ખબર કાઢી જઈશ, એટલે બેફિકર રહેજો.
૧૯મી સદીની મુંબઈ પોલિસ
તે જ દિવસે સાંજે ધનકોરના ઘરે ધમાલ મચી ગઈ હતી. સાંજે બધાં ઘરે આવ્યાં ત્યારે ધનકોર ઘરમાં નહોતી. કોઈએ કહ્યું કે તે તો બપોરથી તેની નણંદને ત્યાં ગઈ છે. ત્યાં ભાળ કઢાવી તો નણંદે કહ્યું કે ધનકોરભાભી આજે મારે ત્યાં તો આવ્યાં જ નથી. બીજાં સગાંઓને ત્યાં પૂછાવ્યું, પણ બધેથી એક જ જવાબ : ‘અમારે ત્યાં તો એ આવી જ નથી.’ તેમાં વળી કોઈએ કહ્યું કે ધનકોર ઘણી વાર મરવાની વાત કરતી, તે ક્યાંક કૂવોહવાડો ન કર્યો હોય! એટલે આસપાસનાં કૂવા, તળાવ, અને ચોપાટીનો કિનારો સુધ્ધાં શોધી વળ્યા. પણ ધનકોરનો પત્તો લાગ્યો નહિ. છેવટે ધનકોરનો ભાઈ ફરિયાદ નોંધાવવા પોલિસ સ્ટેશને જવા નીકળ્યો. વાલકેશ્વરની ચોકી આગળ તે ભાડાની ઘોડા ગાડી મળે તેની રાહ જોતો ઊભો હતો. ઠાકરસી નારાયણજીએ તેને જોયો, ઓળખ્યો. તેઓ લગ્નમાં હાજરી આપી ઘરે પાછા જઈ રહ્યા હતા. તેમણે ગાડી ઊભી રખાવી, અને પૂછ્યું : ‘મોડી રાત્રે અહીં કેમ ઊભા છો?’ ‘મારી મોટી બહેન ધનકોર ગુમ થઈ છે તે ફરિયાદ નોંધાવવા પોલિસ સ્ટેશને જાઉં છું, પણ ગાડી મળતી નથી.’ ‘તમે તમારે ઘરે જઈને નીરાંતે બેસો. ધનકોરની શોધ કરવાની જરૂર નથી. તે સલામત છે અને સુખી છે.’ ભાઈએ ઘણી આજીજી કરી એટલે ઠાકરસીએ કહ્યું : ‘ધનકોરે પોતાની મરજીથી શેઠ માધવદાસ રૂગનાથદાસ સાથે પુનર્લગ્ન કરી લીધાં છે. હું તેમની લગ્નવિધિમાં હાજરી આપીને જ ઘરે જઈ રહ્યો છું. તમે ઘરે જઈ બધાંને આ વાત જણાવો અને કહો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’ ‘પણ આ લગ્ન થયાં ક્યાં? અત્યારે મારી બહેન છે ક્યાં?’ ઠાકરસી શેઠ ઠરેલ હતા, સમજદાર હતા. તેમણે શાંતિથી પણ મક્કમતાથી કહ્યું : ‘અત્યારે હું તમને આ અંગે વધુ કશું જ કહી શકું એમ નથી. પણ કાલે સવારનું છાપું વાંચશો એટલે બધી ખબર પડશે.’
એટલે ધનકોરનો ભાઈ પાછો ઘરે ગયો. થોડે દૂરથી જ તેણે મોટેથી પોક મૂકી. એટલે ઘરમાં બધાંએ માની લીધું કે ધનકોર મરી ગઈ છે અને એટલે બધાં મોટેથી પોક મૂકી રડવા લાગ્યાં. બૈરાંઓ છાતી કૂટવા લાગ્યાં. અડોશીપડોશી પણ જાગી ગયા, અને દિલાસો દેવા આવી પહોંચ્યા. થોડી વારે કોઈએ પૂછ્યું : ‘પણ ધનકોરે આપઘાત કર્યો કઈ રીતે એ તો કહે!’ પણ ભાઈએ જે વાત કહી તે સાંભળીને તો ઘરનાં અને બહારનાં બૈરાં વધુ જોર જોરથી રડવા-કૂટવા લાગ્યાં. અરેરે, આ તો આપઘાત કરતાં ય વધુ કાળો કામો કર્યો ધનકોરે! આના કરતાં તો તે મરી ગઈ હોત તો સારું થાત! પછી કોઈએ કહ્યું કે ઘરમાં શોધો તો ખરા, તેણે જતાં પહેલાં ક્યાં ય ચિઠ્ઠી-ચપાટી મૂકી હોય તો! અને હા, ઘરમાંથી શું શું સાથે લઈ ગઈ છે તેની પણ તપાસ કરો. થોડી વારે ધનકોરે લખેલી ચિઠ્ઠી હાથ લાગી ત્યારે કોઈએ એ મોટેથી વાંચી સંભળાવી. એટલે બધાં બૈરાં પાછાં રડવા લાગ્યાં. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહિ. બીજા દિવસનાં સવારનાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, બધાં છાપાંએ ધનકોર અને માધવદાસનાં પુનર્લગ્નના ખબર પહેલે પાને ચમકાવ્યા હતા. એક છાપાએ તો પહેલે પાને સમાચારની સાથે કવિતા પણ છાપી હતી :
ધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી,
વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી.
માધવદાસે મોટું કામ હામથી કર્યું છે,
તો પણ તે તારા વડે માનીએ થયું છે.
સુધારાનાં સાથી સૌનું નાક રાખ્યું ભાઈ!
માટે દ્યોને માધવદાસને હર્ષની વધાઈ.
ધનવાન, પુત્રવાન, કીર્તિવાન થઈને,
અખંડ જોડું ઝાઝું જીવો, આ આશિશ લઈને.
પણ બે પુખ્ત ઉંમરની વ્યક્તિનાં લગ્ન મુંબઈનાં બધાં છાપાંના પહેલા પાને ચમકે, એ લગ્ન વખતે પોલિસનો બંદોબસ્ત રાખવો પડે, વસ્તીથી દૂરના બંગલામાં લગન કરવાં પડે, એ વખતે બે-બે મેજિસ્ટ્રેટને હાજર રાખવા પડે, એવું કેમ બન્યું? કારણ આ લગ્ન એ મુંબઈ શહેરમાં થયેલું પહેલવહેલું વિધવાનું પુનર્લગ્ન હતું. અલબત્ત, વિધવા-વિવાહ અંગેનો બાધ માત્ર ‘ઉજળિયાત’ કહેવાતી કોમો પૂરતો જ મર્યાદિત હતો. બીજા વર્ણોમાં તો તે એક સામાન્ય બાબત હતી. પણ ‘ઉજળિયાત’ વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલાં વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયા. આ કાયદો ઘડવામાં અને તેને પસાર કરાવવામાં જેમનો ઘણો મોટો ફાળો તે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ૬ વરસની ઉંમરની એક વિધવા બ્રાહ્મણ છોકરીનાં તે દિવસે પોતાને ખર્ચે પુનર્લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ તેમના દીકરાએ પણ એક વિધવા સાથે લગ્ન કરેલાં. બોમ્બે પ્રેસિડેન્સીમાં પહેલા વિધવા વિવાહ ૧૮૬૯માં કોંકણમાં થયા અને તળ મહારાષ્ટ્રમાં ૧૮૭૫માં. સર રામકૃષ્ણ ભાંડારકરે પોતાની વિધવા દીકરી શાંતાબાઈનાં ફરી લગ્ન કરાવ્યાં, ૧૮૯૧માં. ૧૮૯૩માં મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ પોતે એક વિધવા સાથે લગ્ન કર્યાં એટલું જ નહિ, ૧૮૯૬માં પૂના નજીક હિંગણે ખાતે વિધવાઓ માટે આશ્રમ પણ સ્થાપ્યો. આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ૧૮૭૨ના ઓગસ્ટની ૨૫મી તારીખે, અને કાઠિયાવાડમાં ૧૮૭૬ના ઓગસ્ટની ૧૯મીએ પહેલી વાર વિધવાનાં લગ્ન થયાં. પણ માધવદાસ અને ધનકોરનાં લગ્ન એ મુંબઈમાં થયેલાં પહેલાં વિધવા પુનર્લગ્ન, ગુજરાતીઓમાં થયેલાં પણ એ પ્રકારનાં પહેલાં લગ્ન. એટલે છાપાંઓમાં અને લોકોમાં ચર્ચા ચાલે, મતભેદો અને આક્ષેપબાજી જોવા મળે તે સ્વાભાવિક ગણાય. આજે હવે વિધવાનાં પુનર્લગ્ન એ વિવાદનો પ્રશ્ન રહ્યો નથી. પણ ૧૯મી સદીનાં પાછલાં પચાસ વર્ષોમાં સમાજ સુધારાની ચળવળનું તે એક મુખ્ય અંગ હતું. અને આ બાબતમાં ગુજરાત મુંબઈને અનુસર્યું હતું.
પહેલા પુનર્વિવાહની આપવીતી
એ જમાનામાં વિધવા વિવાહ એ જ એક અસાધારણ સાહસ હતું. પણ માધવદાસ અને ધનકોર પોતે એવાં લગ્ન કરીને અટક્યાં નહિ. બીજા અનેક વિધવા વિવાહને તેમણે મુંબઈમાં અને ગુજરાતમાં પ્રોત્સાહન આપ્યું. તેમનાં પોતાનાં લગ્ન પછી મુંબઈ અને ગુજરાતમાં તેમણે વિધવા વિવાહને સદ્ધર ટેકો આપ્યો. તેમનાં લગ્ન પછીનાં સોળ વરસમાં ૨૫ ગુજરાતી અને ૨૧ મરાઠી ભાષીઓનાં લગ્ન થયાં જેને તે બંનેએ ટેકો આપ્યો હતો. એ પછીનાં વીસ વરસમાં બીજાં ૪૦ લગ્ન થયાં. માધવદાસના અવસાન પછી પણ ધનકોરબાઈએ વિધવા વિવાહને સક્રીય ટેકો આપવાનું ચાલુ રાખ્યું. તે અંગે તેઓ અખબારો કે સામયિકોમાં લેખો પણ લખતાં. ૧૯૦૭માં સ્ત્રી-બોધ’ સામયિકને ૫૦ વરસ પૂરાં થયાં એ પ્રસંગે તેનો જ્યુબિલી વિશેષાંક ૧૯૦૮માં પ્રગટ થયો હતો. તે પહેલાં ધનકોરબાઈનું અવસાન થયું હતું, પણ અગાઉ તેમણે લખી આપેલો લેખ આ વિશેષાંકમાં પ્રગટ થયો હતો. એ લેખમાં તેઓ લખે છે : ‘મેં વિધવાવસ્થાનું સંકટ વેઠયું છે. મારે માથે જુલ્મી શેઠિયાઓએ જુલમનાં ઝાડ ઉગાડ્યાં છે. અને હું હિંમતથી કહું છું કે હિંદુ વિધવાઓને આવી રિબાતી હાલતમાં જીવાડવા કરતાં પોતાના પતિની પાછળ રાજીખુશીથી અથવા બળાત્કારથી પણ સતી કરવાની રજા આપવામાં આવે તો વધારે સારું, કે રીબાઈ રીબાઈને મરવા કરતાં બાપડી વિધવા બળી મરીને એકદમ છૂટકો પામે. એક પરાધીન, સંસારથી વિરક્ત થયેલી, હીણાયેલી, ગુલામડી કરતાં પણ વધારે દાસત્વપણું ભોગવતી હિંદુ વિધવાને જીવવું એ નહિ બની શકે એવું છે. જેને વીત્યું હોય તે જ આ વેદના જાણે.’
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 જાન્યુઆરી 2021