Opinion Magazine
Number of visits: 9964888
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંસદો અને સબસિડીઃ પગાર, ભ્રષ્ટાચાર, નિઃશુલ્કની નિરાંતનું પેચીદું અર્થતંત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 January 2021

તમે જાણો છો કે કયા રાષ્ટ્રના સાંસદોને સૌથી વધુ પગાર મળે છે?

દિલ્હીના સંસદ ભવનની કેન્ટિનમાં સાંસદોને મળતી સબસિડી બંધ કરી દેવાઇ છે અને સાંસદોએ મોંઘી થાળી જમવાની આવશે. પહેલાં તો નજીવી કિંમતે થાળી ભરીને જમણ મળતું પણ હવે એ સબસિડી બંધ કરીને ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે આઇ.ટી.ડી.સી. દ્વારા સંસદની કેન્ટિન મેનેજ કરશે. આ સબસિડીઝ કેન્સલ થવાથી લોકસભા સચિવાલયને વર્ષે આઠ કરોડની બચત થશે. આ પહેલાં પણ સાંસદોનાં ખાણાંએ ઘણાં વિવાદો નોતર્યા છે. ટીકાકારોએ સાંસદોને મળતી સસ્તાં ભાણાંની જ્યાફત અયોગ્ય હોવાનું ઘણી વાર કહ્યું છે, અને આ લાભનો બચાવ કરનારાઓએ એવી દલીલ કરી છે કે અહીંની કેન્ટિનમાં જે ખાવાનું મળતું હોય છે, તે સંસદભવનનો બીજો સ્ટાફ અને સિક્યુરિટી કર્મચારીઓ પણ જમતા હોય છે. ૨૦૧૯માં બધા સાંસદોએ આ સબસિડી બંધ કરવાના વિચારને ટેકો આપ્યો હતો.

આ સબસિડી કેન્સલ થઇ તે પહેલાં ઉત્તર રેલવે સંસદ ભવનની કેન્ટિનનું હેન્ડલિંગ કરતી અને એક અહેવાલ અનુસાર સંસદ ભવનના કેટરિંગથી અંદાજે ૧૫થી ૧૮ કરોડની રેવન્યુ મળતી હતી, અને આ ખર્ચો નાણામંત્રાલય દ્વારા, સંસદભવન વાયા ઉપાડવામાં આવતો. સંસદની કેન્ટિન સિવાય મંત્રીઓને ઘણી સબસિડીઝ મળતી હોય છે પણ કેન્ટિનનો મુદ્દો ૨૦૧૫માં કરાયેલી એક આર.ટી.આઇ. પછી સતત ચર્ચામાં રહ્યો હતો. આ આર.ટી.આઇ.ને કારણે સંસદભવનની કેન્ટિનમાં ૨૫ રૂપિયામાં મળતી ફિશ વિથ ફ્રાઇડ ચિપ્સ, ૧૮ રૂપિયાની મટન કટલેટ્સ, ૬ રૂપિયાનો મસાલા ઢોસો, વગેરે ‘આઇટમ્સ’ના ભાવ લોકોને ખબર પડી અને પછી ભારે હોબાળો થયો. કોઇને કોઇ રીતે આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવ્યો. આ આર.ટી.આઇ.ને પગલે જાણવા મળ્યું કે ૧૧-૧૨ કરોડ જેટલા તો કેન્ટિન સાચવનારા સ્ટાફના પગારમાં જ જાય છે. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે આવન-જાવનને કારણે કેન્ટિનમાં અંદાજે બે લાખ આઠ હજાર જેટલું વેચાણ થતું અને સંસદ બંધ હોય ત્યારે પણ આ વેચાણનો આંકડો આ રકમની આસપાસ જ રહેતો. વિવાદને પગલે ૨૦૧૬માં કેન્ટિનમાં ચીજોના ભાવ બદલવામાં આવ્યા અને અઢાર રૂપિયામાં મળતી ચિકન બિરિયાની ૬૫ રૂપિયામાં મળવા માંડી, વેજ થાળી ૧૮ રૂપિયાને બદલે ૪૦ રૂપિયામાં મળવા માંડી. સબસિડી કેન્સલ થયા પછીના ભાવ હજી જાહેર નથી થયા. સંસદની કેન્ટિનમાં અત્યારે લગભગ ૪૮ જેટલી આઇટમ્સ લંચ અને સાંજના નાસ્તા માટે મળે છે. નવા બદલાવને પગલે અમુક ચીજો કેન્ટિનમાં મળતી બંધ થઇ જવાની શક્યતાઓ પણ છે. સૂત્રો અનુસાર કેન્ટિનમાં સંસદોના ખાતે ૨૪ લાખનો ખર્ચો લખાય છે પણ બાકી કમાણી મુલાકાતીઓ અને અન્ય સ્ટાફ વગેરેને કારણે થતી હોય છે.

આ તો થઇ કેન્ટિનની વાત પણ એ સિવાય સાંસદો પર થતા સરકારી ખર્ચા પર નજર કરીએ તો ૨૦૧૬ના એક રિપોર્ટ અનુસાર સાંસદોને મહિને ૧ લાખનો પગાર મેળવનારા સાંસદોને ૪૫ હજાર કન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સ તરીકે મળે છે, ૧૫ હજાર ઑફિસના ખર્ચા તરીકે અને ૩૦ હજાર સેક્રેટરિયલ આસિસ્ટન્ટનો ખર્ચો મળે છે. સંસદનું સત્ર ચાલે ત્યારે સાંસદોને ૨૦૦૦ રૂપિયા રોજના ખિસ્સા ખર્ચ તરીકે મળે અને આખા વર્ષ દરમિયાન થતી કામને લગતી મુસાફરીમાં ૩૪ ફ્લાઇટ ટ્રિપ્સ મફત મળે તથા અમર્યાદિત રેલ – રોડ ટ્રાવેલ મફત મળે. આ ઉપરાંત રહેઠાણ, પાણી, વીજળી, ટેલિફોન અને મેડિકલ ટ્રિટમેન્ટની સવલતો સાંસદોને સાવ નિઃશુલ્ક મળે છે. આ બધા ખર્ચા લોકસભાના માસિક બિલમાં દેખાડાવા સુદ્ધાં નથી. ભૂતકાળમાં વર્ષે એક કરોડનો ખર્ચ દેખાડનારા સંસદો પણ પાક્યા છે. સાંસદોની ઑફિસીઝમાં કામે રખાતા રિસર્ચ સ્ટાફનો પગાર પણ આ બધા ખર્ચાનો હિસ્સો હોય છે. અન્ય સબસિડીની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને ગેસ સબસિડી જતી કરવા અરજ કરી હતી, જેથી વંચિતોને માટે સવલતો ખડી કરી શકાય, પણ નાગરિકોએ જતું કરવું પડે તે કરતાં તો આ સાંસદોને જતું કરવા કહેવાય એ વધુ યોગ્ય છે.

આ તો ભારતની વાત થઇ પણ વિશ્વના બીજા રાષ્ટ્રોની વાત કરીએ તો ચીનના વડા પ્રધાનને એક સમયે ૬૨ ટકા પગાર વધારો મળ્યો હતો અને તે વર્ષે ૨૨ હજાર ડૉલર્સ કમાતા હતા તો હંગેરિયન રાજકારણીઓ વર્ષે ૨૮,૦૦૦ ડૉલર્સ કમાય છે જે દેશના સરેરાશ વાર્ષિક પગારથી વધારે મોટો આંકડો છે. યુનાઇટેડ કિંગ્ડમમાં સાંસદોનો મૂળ વગાર ૧,૦૨,૩૬૪ ડૉલર્સ હોય છે અને ૨૦૧૯ પછી આ આંકડામાં અંદાજે બીજા ૨,૬૦૦ ડૉલર્સ ઉમેરાયા હોવાની વાત છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૪,૦૦,૦૦૦ ડૉલર્સનો તેમનો પગાર ડોનેટ કર્યો હોવાની વાતથી બધા વાકેફ છે, જો કે ત્યાં કોંગ્રેસ મેમ્બર્સેને વર્ષે પ્રેસિડન્ટ કરતાં ઓછો પગાર મળે છે અને તે અંદાજે ૧,૭૪,૦૦૦ ડૉલર્સની વચ્ચે હોય છે. ૨૦૧૦ બાદ અમેરિકી કોંગ્રેસના સભ્યોએ પગાર વધારો નકાર્યો હતો અને ત્યારથી છેલ્લા દસ વર્ષમાં તેમના ભથ્થામાં કોઇ વધારો નથી થયો.

જાપાનમાં સાંસદો લગભગ ૨,૭૪,૦૦૦ ડૉલર્સ જેટલું કમાતા હોય છે અને તેમની દરેક હિલચાલ-ખર્ચા અને કામગીરા પર ચાંપતી નજર રખાય છે. જાપાનમાં સાંસદોને તેઓ જે નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સરેરાશ વાર્ષિક આવક કરતાં છ ગણો વધારે પગાર મળે છે. તમે માનશો વિશ્વમાં કયા દેશમાં સાંસદોને સૌથી વધુ પગાર મળે છે? આનો જવાબ છે સિંગાપોર. સિંગાપોરમાં સાંસદોને વર્ષે ૮,૮૮,૪૨૮ ડૉલર્સ મળે છે અને રાજકારણીઓને મળતો આ અધધધ પગાર હંમેશાંથી ચર્ચા, ટીકા અને વિરોધનો વિષય રહ્યો છે, છતાં પણ સિંગાપોરની સરકારે એક બાબત સ્પષ્ટ રાખી છે કે અત્યંત કાબેલ રાજકારણીઓ સરકાર ચલાવે તે જરૂરી છે અને માટે જ શ્રેષ્ઠ રાજકારણીઓને ધૂરા સંભાળવા આપવાની હોય ત્યારે પગારને મામલે તેઓ કોઇ બાંધછોડ કરવા નથી માગતા હોતા. સિંગાપોર પછી નાઇજિરિયાના રાજકારણીઓનો નંબર આવે છે કારણ કે તેઓ વર્ષે ૪,૮૦,૦૦૦ ડૉલર્સ જેટલું રળે છે અને મજાની વાત એ છે કે તેમને મહિને પગાર તો ૨,૦૦૦ ડૉલર્સનો જ મળતો હોય છે પણ સાથે ખર્ચા પેટે ૩૫,૭૦૦ ડૉલર્સ જેટલી રકમ મળતી હોય છે. નાઇજિરિયામાં આમ આદમી પ્રતિ દિન ૨ ડૉલરના ખર્ચે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. ઑસ્ટ્રેલિયાના રાજકારણીઓને પણ તગડો પગાર મળે છે અને તેઓ વર્ષે અંદાજે ૨,૦૦,૦૦૦ ડૉલર્સ  કમાય છે વળી ૨૦૧૬થી દર વર્ષે તેમને બે ટકા પગાર વધારો મળ્યો છે છતાં ય ત્યાંના રાજકારણીઓએ આ મોટી રકમને બહુ મોટી ન માનવી તેવો અનુરોધ પણ કર્યો છે. ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરીએ તો વિશ્વમાં સૌથી ઓછું ભથ્થું મેળવનારા રાજકારણીઓમાં આપણા સાંસદોની ગણતરી થાય. જો કે બીજા રાષ્ટ્રોની સરખામણીએ ભારતીય નાણાંનું મૂલ્ય ઘણું નીચે છે, પણ છતાં ય સાંસદોને મળેલો પગાર વધારો ભારતીય કોર્પોરેટ્સમાં થતા પગાર વધારા કરતાં ઘણો વધારે ગણાય એ પણ એક હકીકત છે.

બાય ધી વેઃ

આપણા સાંસદો માટે કોસ્ટ ઑફ લિવિંગ મેનેજ કરવી પણ સરળ છે કારણ કે તેમને અઢળક લાભ પણ મળતા રહે છે.  રખે માનતા કે જ દેશોમાં રાજકારણીઓને અધધધ પગાર મળે છે ત્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. ત્યાં પણ ભ્રષ્ટ રાજકારણીઓ છે કારણ કે આપણને ગમે કે ન ગમે કાગડા બધે જ કાળા રહેવાના. વળી ભ્રષ્ટાચારને નામે ભારત, આ રાજકારણીઓને તગડો પગાર આપનારા રાષ્ટ્રો કરતાં ઘણો આગળ છે એ પણ કબૂલવું રહ્યું. કેન્ટિનની સબસિડી ઉપરાંત સાંસદોની બીજી કઇ સબસિડીઝ બંધ કરવી જોઇએ? તમને શું લાગે છે? બાકી સિંગાપોરના રાજકારણીઓ જેવો પગાર જોઇતો હોય તો એક બે શહેરને નહીં આખા દેશને સિંગાપોર બનાવવાની ક્ષમતા અને ધગશ બન્ને ગુણ સાંસદોમાં હોવા જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 જાન્યુઆરી 2021 

Loading

એ સ્વરાજની કલ્પના બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજની હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 January 2021

૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.

દરેક પ્રજા પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ લખતી હોય છે અને એ રીતે આ ખાસ રીતે લખવામાં આવેલો ઇતિહાસ (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) છે. હકીકત તો એ છે કે આખી ૧૯મી સદીમાં કોઈએ ભારતની આઝાદીની માગણી કરી નહોતી. એવી આઝાદી જેવી આજે આપણે ભોગવીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કૉન્ગ્રેસે નહોતી કરી, કૉન્ગ્રેસના કોઈ નેતાએ નહોતી કરી, મુસલમાનો, શીખો કે કોઈ બીજાએ નહોતી કરી. કૉન્ગ્રેસમાંના જહાલ નેતાઓએ નહોતી કરી અને હકીકત તો એ છે કે કોઈ ક્રાંતિકારીએ પણ નહોતી કરી. લોકમાન્ય તિલકે જ્યારે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’, ત્યારે સ્વરાજનો અર્થ આપણે જે આઝાદી ભોગવીએ છીએ અને સમજીએ છીએ એવો નહોતો થતો.

૧૮૫૭ના વિદ્રોહને પરિણામે ભારત કંપની સરકારના તાબામાંથી સીધું અંગ્રેજ સરકારના તાબામાં ગયું અને એ પછી ભારતમાં જાહેરજીવનનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો, ત્યાં સુધી આપણે જે આઝાદી ભોગવીએ છીએ એવી આઝાદીની માગણી નહોતી કરવામાં આવી. જે માગણી કરવામાં આવતી હતી એ ડોમિનિય સ્ટેટસની માગણી કરવામાં આવતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ કર્યો હોવા છતાં બીજી ગોળમેજ પરિષદમાં કૉન્ગ્રેસના પ્રતિનિધિ ગાંધીજીએ આઝાદીની માગણી નહોતી કરી. હા, ગાંધીજી બ્રિટિશ સરકારને વખતોવખત યાદ અપાવતા હતા કે તેમનું લક્ષ પૂર્ણ સ્વરાજ છે. બીજી ગોળમેજ પરિષદમાં આખી ચર્ચા એ વાતની આસપાસ ચાલી હતી કે બ્રિટિશ સરકાર ભારતની પ્રજાને કેટલા અધિકારો આપવાની છે, કેટલી સત્તા આપવાની છે અને ભારતની પ્રજા આપસમાં એને કઈ રીતે એ વહેંચવાની અને ભોગવવાની છે. આખી ચર્ચા કેટલો ભાગ મળવાનો છે અને ભોગવટાની વહેંચણીની આસપાસ ચાલી હતી. ગાંધીજી સહિત કોઈ કહેતા કોઈએ તેમાં આઝાદીની માગણી નહોતી કરી.

શા માટે? તેઓ ડરતા હતા? તેઓ ઓછા દેશપ્રેમી હતા? બુદ્ધુ હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? શા માટે ભારતના લગભગ તમામ નેતાઓ ડોમિનિયન સ્ટેટસની માગણી કરતા હતા અને ચોખ્ખી આઝાદીની માગણી નહોતા કરતા?

આનું કારણ હતું ભારતની જટિલ વાસ્તવિકતા છે. આવડો મોટો દેશ અને પચરંગી પ્રજા. આટલી વિવિધતા જગતનો કયો દેશ ધરાવે છે! વિવિધ પ્રજા વચ્ચે એકતા પણ હતી અને અંતર પણ હતું. ક્વચિત દુશ્મની પણ હતી અને અશ્રદ્ધા પણ હતી. એમાં પાછી પ્રજા ગરીબ અને અશિક્ષિત. મધ્યકાલીન સામંતશાહી યુગમાંથી સીધી ગુલામ બની હતી. પશ્ચિમની આધુનિકતાની, પ્રજાની સત્તાકીય ભાગીદારીની, આધુનિક વહીવટીતંત્રની સમજ તો ભારતની પ્રજાને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક શિક્ષણ પામેલી પેઢી અસ્તિત્વમાં આવી એ પછી થઈ હતી અને એ સમજ સાર્વત્રિક થવાને હજુ વાર હતી. આ પ્રજા આજે આપણે જેવી આઝાદી ભોગવીએ છીએ એ ભોગવવાની સ્થિતિમાં નહોતી. માટે ઉત્તરોત્તર સત્તા મળતી જાય, પ્રજા સતામાં ભાગીદારી માટે સજ્જ થતી જાય, ભારતની વિવિધ પ્રજા આપસમાં ભોગવટાની સમજૂતી કરતી જાય એ ઉત્તમ માર્ગ હતો. આ સિવાય ગરીબ, શોષિત અને આપસમાં વહેંચાયેલી પ્રજા લડીને આઝાદી મેળવી શકે એમ પણ નહોતી.

૧૯૨૯નો પૂર્ણ સ્વરાજનો ઠરાવ હોવા છતાં ૧૯૩૧માં ગોળમેજ પરિષદમાં આઝાદીની જગ્યાએ ડોમિનિયન સ્ટેટસ કે એની નજીકની સત્તાની માગણી કરવામાં આવી એનું કારણ જરૂરી પ્રજાકીય તૈયારી હતું. ભારતના લોકોને આધુનિક રાજ્ય અને વહીવટીતંત્રનો અનુભવ મળવો જોઈએ. એ પછી ૧૯૩૫માં એક કાયદો બન્યો જેના દ્વારા ૧૯૩૭માં ભારતના તમામ અંગ્રેજ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ અને સરકારો રચાઈ. સરકાર રચવા સામે કૉન્ગ્રેસમાં સમાજવાદીઓનો વિરોધ હોવા છતાં ગાંધીજીએ સરકાર રચવાની દરખાસ્તનું સ્વાગત કર્યું હતું, એનું કારણ કમશઃ સત્તામાં ભાગીદારી વધારતા જઈને સજ્જ થવાનું હતું. ૧૯૩૭-૧૯૩૯ના શાસનના અનુભવે ધ્યાનમાં આવ્યું કે ભારતની પ્રજા પુખ્ત મતદાનવાળા સાર્વત્રિક લોકતંત્ર સાથે શાસન કરી શકે એમ છે. એવું શાસન જે કેન્દ્રીય પણ હોય અને સમવાય પણ હોય.

હવે કલ્પના કરો કે ૧૮૫૭નો વિદ્રોહ ખરેખર આઝાદી માટેનો હોત, આસેતુહિમાલય એવો સાર્વત્રિક હોત અને પરાજીત અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હોત તો ભારત આજ જેવો આઝાદ દેશ હોત ખરો? પહેલી વાત તો એ કે એવું બન્યું નહોતું અને બનવાનું નહોતું એનું કારણ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પના જ ત્યારે વિકસી નહોતી એટલે વિદ્રોહ નિષ્ફળ નીવડ્યો હતો. બીજી વાત એ કે એ છતાં પણ જો ભારતને ત્યારે આઝાદી મળી હોત તો એ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પનાના અભાવમાં ટકી શકી ન હોત.

ભારતના લગભગ તમામ જવાબદાર નેતાઓ ભારતની આ વાસ્તવિકતા જાણતા હતા. માટે લોકમાન્ય તિલક જેવા જહાલોમાં જહાલ નેતાએ પણ સંપૂર્ણ આઝાદીની માગણી નહોતી કરી અને તેમણે સશસ્ત્ર ક્રાંતિને પણ પ્રોત્સાહિત નહોતી કરી. તેમને બન્ને વાતની જાણ હતી કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ વ્યવહારુ નથી અને ભારતની પ્રજા હજુ સંપૂર્ણ સ્વરાજને લાયક નથી. જહાલો જહાલ હતા પણ મર્યાદિત અર્થમાં. તેઓ સત્તામાં ભાગીદારી મેળવવા માટે ઉતાવળા હતા અને અંગ્રેજોનું નાક દબાવવામાં માનતા હતા. 

પણ કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતાં જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 જાન્યુઆરી 2021

Loading

અમૅરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ જોસફ આર. બાઈડન જુનિયરની ૨૦ જાન્યુઆરીના શપથ સમારોહ પ્રસંગની ઈનોગ્યુરલ સ્પીચ

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|24 January 2021

બાઈડન યુગનો આવકાર

ચીફ જસ્ટીસ રૉબર્ટ્સ, વાઇસ પ્રૅસિડન્ટ હૅરિસ, સ્પીકર પલોઝી, લીડર સ્ક્યુમર, લીડર મૅકૉનૅલ, વાઇસ પ્રૅસિડન્ટ પૅન્સ, વિશિષ્ટ મહેમાનો તથા મારા સાથી અમૅરિકનો :

આજે અમૅરિકાનો દિવસ છે.

આજે લોકશાહીનો દિવસ છે.

ઇતિહાસ અને આશાનો દિવસ.

નવીનીકરણ અને નિશ્ચયનો દિવસ.

યુગો સુધી યાદ રહેશે એવી આકરી કસોટી દરમ્યાન અમૅરિકાની નવી કસોટી થઈ છે અને અમૅરિકાએ પડકાર ઝીલી બતાવ્યો છે.

આજે, આપણે એક ઉમેદવારનો નહીં બલકે એક માન્યતાનો, લોકશાહીની માન્યતાનો વિજય મનાવી રહ્યાં છીએ.

લોકોની મરજી સાંભળવામાં આવી છે અને લોકોની મરજીને લક્ષમાં લેવામાં આવી છે.

આપણે શીખ્યાં છીએ કે લોકશાહી મૂલ્યવાન છે.

લોકશાહી નાજુક છે.

અને આ ક્ષણે, મારા દોસ્તો, લોકશાહીનું પ્રભુત્વ જળવાયું છે.

તેથી હવે, આ પાવન સ્થળ ઉપર જ્યાં થોડાક જ દિવસો અગાઉ હિંસાએ આ કેપિટલનો પાયો હચમચાવી કાઢવા ધાર્યો હતો, આપણે ઈશ્વર હેઠળ, એક રાષ્ટ્ર તરીકે એકઠા મળ્યાં છીએ, અવિભાજ્ય, બે સદીથી વધુ કરતા આવ્યાં છીએ એમ સત્તાની શાંતિપૂર્ણ ફેરબદલી પાર પાડવા માટે.

આપણે આગળ જોઈએ છીએ, આપણા આગવા અમૅરિકી અંદાજમાં — બેચેન, સાહસિક અને આશાવાદી — અને એ રાષ્ટ્ર ભણી મીટ માંડીને જે આપણે જાણીએ છીએ કે બની શકીએ છીએ અને બનવું પડશે.

અત્રે હાજર બન્ને પક્ષોના મારા પૂર્વગામીઓનો હું આભાર માનું છું.

મારા હૃદયના ઊંડાણથી હું એમનો આભાર માનું છું.

આપણાં બંધારણની સ્થિતિસ્થાપક્તા અને આપણાં રાષ્ટ્રની શક્તિ તમે જાણો છો.

જેમ પ્રૅસિડન્ટ કાર્ટર પણ જાણે છે જેમની સાથે મેં ગઈ કાલે રાત્રે વાત કરી, પરંતુ તેઓ હાજર રહી શક્યા નથી, એમની જીવનભરની સેવા માટે આપણે એમને સલામ કરીએ છીએ.

સૌ પ્રથમ જ્યૉર્જ વૉશિંગ્ટને લીધાં પછી, આ તમામ રાષ્ટ્રભક્તોએ લીધેલાં પવિત્ર સોગંદ મેં હમણાં જ લીધા.

પરંતુ અમૅરિકાની કહાણી અમારામાંનાં કોઈ એક પર નહીં, અમારામાંનાં અમુક પર નહીં બલકે આપણા સૌ પર આધાર રાખે છે.

વધુ પરિપૂર્ણ સંમિલનની ખેવના રાખનાર “વી ધ પીપલ” ઉપર આધાર રાખે છે.

આ મહાન રાષ્ટ્ર છે અને આપણે ભલા લોકો છીએ.

સદીઓ પર્યંત તોફાન અને સંઘર્ષ, શાંતિ અને યુદ્ધ વટાવી આટલે દૂર આવ્યાં છીએ. પરંતુ હજુ આપણે વધુ દૂર જવાનું છે. 

આપણે ઝડપ અને ઉતાવળથી આગળ ધપીશું કારણ કે સંકટ અને શક્યતાના આ શિયાળામાં આપણે ઘણું કરવાનું છે.

ઘણું સમારકામ કરવાનું છે.

ઘણું પુન:સ્થાપિત કરવાનું છે.

ઘણાં ઘા ભરવાનાં છે.

ઘણું બાંધવાનું છે.

અને ઘણું મેળવવાનું છે.

હાલ આપણો જે કાળ ચાલી રહ્યો છે એનાથી વધુ પડકારરૂપ કાળ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં ઓછા આવ્યા છે.

સદીમાં એકવાર આવે એવો વાયરસ ચૂપચાપ આપણા દેશમાં શિકાર પર નીકળ્યો છે.

સમગ્ર બીજા વિશ્વ યુદ્ધમાં જેટલી જાનહાનિ નહોતી થઈ એટલી એક વર્ષમાં અમૅરિકામાં થઈ છે.

લાખો નોકરીઓ જતી રહી છે.

હજારો વેપારો બંધ થઈ ગયા છે.

૪૦૦ વર્ષથી સંભળાતો આવતો વંશીય ન્યાય માટેનો પોકાર આપણને ઝંઝોળે છે. ન્યાયનું સ્વપ્ન સાકાર કરવામાં હવે વિલંબ નહીં થાય.

આપણો ગ્રહ જ અસ્તિત્વ માટે પોકારી રહ્યો છે. એના પોકારને હવે વધુ મરણિયો કે વધુ સ્ફુટ થવા દેવામાં નહીં આવે.

ને હવે, રાજકીય ઉગ્રવાદ, શ્વેત સર્વોપરિતા, ઘરેલું આતંકવાદે માથું ઊંચક્યું છે જેને આપણે પડકારવાનાં છે અને જેને આપણે પરાજિત કરીને જંપીશું.

આ પડકારોને પહોંચી વળવા — અમૅરિકાના આત્માને પુન:સ્થાપિત કરવા અને અમૅરિકાના ભાવિને સુરક્ષિત બનાવવા — શબ્દો કરતાં વધુનો ખપ પડશે.

એના માટે લોકશાહીમાં હાથમાં આવવી સૌથી મુશ્કેલ ચીજનો ખપ પડશે :

એકતા.

એકતા.

વૉશિંગ્ટનમાં અન્ય એક જાન્યુઆરીમાં, ૧૮૬૩ના નવા વર્ષના દિવસે ઍબ્રહૅમ લિંકને ઇમૅન્સિપેશન પ્રોક્લમૅશન પર હસ્તાક્ષર કર્યા હતા.

જ્યારે એમણે કાગળ પર કલમ મૂકી, એમણે કહ્યું, “જો મારું નામ ઇતિહાસમાં યાદ રખાશે તો એ આ કાર્ય માટે હશે અને આમાં મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.”

મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.

આજે, આ જાન્યુઆરીએ, મારો સમગ્ર આત્મા આમાં પરોવાયેલો છે :

અમૅરિકાને એકઠું લાવવું.

આપણાં લોકોને એક કરવા.

આપણાં રાષ્ટ્રમાં એકતા સ્થાપવી.

આ કાર્યમાં પ્રત્યેક અમૅરિકનને મારો સાથ આપવા આહ્વાન કરું છું.

આપણી સમક્ષ ઊભા થયેલાં દુશ્મનો સામે એક થઈને લડવું.

આક્રોશ, નારાજગી, ઘૃણા.

ઉગ્રવાદ, અરાજક્તા, હિંસા.

રોગચાળો, બેરોજગારી, નિરાશા.

એકતા રાખીને આપણે મહાન કાર્યો કરી શકીશું, મહત્ત્વનાં કાર્યો કરી શકીશું.

ખોટાને ખરામાં ફેરવી શકીશું.

લોકોને સારી નોકરીઓ અપાવી શકીશું.

આપણાં સંતાનોને સુરક્ષિત શાળાઓમાં ભણાવી શકીશું.

આ ખતરનાક વાયરસને માત આપી શકીશું.

આપણે કાર્યને પુરસ્કૃત કરી શકીશું, મધ્યમ વર્ગને બેઠો કરી શકીશું અને આરોગ્ય સેવાઓ બધાંને મળે એની ખાતરી કરી શકીશું.

વંશીય ન્યાયનો અમલ કરી શકીશું.

એક વાર ફરી સારા અર્થે અમૅરિકાને આપણે વિશ્વને દોરનારું બનાવી શકીશું.

હું જાણું છું કે એકતાની વાત અમુકને મૂર્ખ તુક્કા જેવી લાગતી હશે.

હું જાણું છું કે આપણું વિભાજન કરનારા પરિબળો ઊંડા અને વાસ્તવિક છે.

પરંતુ હું એ પણ જાણું છું કે એ નવા નથી.

આપણે સર્વ સમાન બનાવાયા છીએ એ અમૅરિકન આદર્શ અને આપણને લાંબા સમયથી વિભાજિત કરનાર વંશવાદ, દેશીયતાવાદ, ભય અને રાક્ષસીકરણની વરવી અને અધમ વાસ્તવિક્તા વચ્ચેનો અવિરત સંઘર્ષ આપણાં ઇતિહાસમાં નોંધાયેલો છે.

યુદ્ધ સાર્વકાલિક છે.

વિજય ક્યારે ય નિશ્ચિત હોતો નથી.

આંતરવિગ્રહ, મહામંદી, વિશ્વ યુદ્ધ, ૯/૧૧ દરમ્યાન, સંઘર્ષ, બલિદાન અને અડચણો દરમ્યાન આપણા “સારા દૂતો” હંમેશાં પ્રવર્ત્યાં છે.

આ દરેક પળમાં આપણે પર્યાપ્ત સંખ્યામાં ભેગા મળીને આપણને આગળ લઈ જઈ શક્યાં છીએ.

અને, આપણે આજે પણ એવું કરી જ શકીશું.

ઇતિહાસ, વિશ્વાસ અને વિચારશક્તિ માર્ગ ચીંધતા હોય છે, એકતાનો માર્ગ.

આપણે એકબીજાને શત્રુ તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે જોવા જોઈએ.

આપણે એકબીજા સાથે માન સંમાનથી વર્તવું જોઈએ.

આપણે સહિયારી શક્તિથી બૂમાબૂમ બંધ કરીને આવેશને ઠંડા પાડવા જોઈએ.

એનું કારણ એ કે એકતા વિના શાંતિ ન હોઈ શકે, માત્ર કડવાશ અને આક્રોશ હોઈ શકે.

પ્રગતિ નહીં, માત્ર થકવી નાખતો આક્રોશ.

રાષ્ટ્રને સ્થાને અંધાધૂંધીનું વાતાવરણ.

કટોકટી અને પડકારની આ આપણી ઐતિહાસિક ક્ષણ છે અને આગળ વધવાનો માર્ગ કેવળ એકતા છે.

અને આ ક્ષણને આપણે યુનાઈટૅડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા તરીકે વધાવવાની છે. 

જો આપણે એમ કરીશું તો હું તમને ખાતરી આપું છું કે આપણે નિષ્ફળ નહીં જઈએ.

જ્યારે ક્યારે પણ આપણે અમૅરિકામાં સાથે મળીને કર્મ કર્યું છે, આપણે ક્યારે ય પણ નિષ્ફળ ગયાં નથી.

અને માટે આ ક્ષણે, આ સ્થળે, ચાલો નવી શરૂઆત કરીએ.

આપણે સૌ.

ચાલો એકબીજાને સાંભળીએ.

એકબીજાને કાન ધરીએ.

એકબીજાને જોઈએ.

એકબીજાને સંમાન આપીએ.

રાજકારણ પોતાના માર્ગમાં આવતી દરેક ચીજને નષ્ટ કરનારી ભભૂકતી આગ ન હોવી જોઈએ.

દરેક અસંમતિ સંપૂર્ણ યુદ્ધ માટેનું કારણ ન હોવી જોઈએ.

અને આપણે એવી સંસ્કૃતિને નકારવી પડશે જેમાં હકીકતોને જ તોડી મરોડીને અને ઊપજાવીને પણ રજૂ કરવામાં આવે છે.

મારા સાથી અમૅરિકનો, આપણે આનાથી જુદાં બનવું પડશે.

અમૅરિકાએ આના કરતાં વધુ સારું હોવું પડશે.

ને હું માનું છું કે અમૅરિકા આના કરતાં સારું છે.

તમારી આસપાસ નજર ફેરવો.

આપણે અહીં ઊભા છીએ કેપિટલ ડોમના પડછાયા તળે જેનું બાંધકામ આંતરવિગ્રહ દરમ્યાન પૂરું કરવામાં આવેલું જ્યારે સંમિલનની  શક્યતા જ ધૂંધળી હતી.

તેમ છતાં આપણે યાતનામાંથી હેમખેમ પાર ઊતર્યાં.

આપણે અહીં ઊભા છીએ સામે પથરાયેલાં ગ્રેટ મૉલ સામે જ્યાં ડૉ. કિંગે એમનાં સ્વપ્ન વિશે વાત કરેલી.

આપણે અહીં ઊભા છીએ જ્યાં ૧૦૮ વર્ષ પહેલાં હજારો વિરોધ કરનારાઓેએ બહાદુર અશ્વેત મહિલાઓને મતાધિકાર માટે કૂચ કરતાં અટકાવવાનો પ્રયાસ કરેલો.

આજની તવારીખમાં આપણે અમૅરિકન ઇતિહાસમાં રાષ્ટ્રીય પદે ચૂંટાયેલાં પ્રથમ મહિલા — વાઇસ પ્રૅસિડન્ટ કમલા હૅરિસની સોગંદ વિધિનો પ્રસંગ નોંધાશે.

ના કહેશો મને કે પરિસ્થિતિ બદલાવાની નથી.

આપણે અહીં ઊભા છીએ આર્લિંગટન નેશ્નલ સૅમૅટૅરીથી પોટોમૅક સામે જ્યાં સમર્પણના છેલ્લાં પૂરા પરિમાણ આપેલા વીરો ચીર નિદ્રામાં પોઢેલાં છે.

અને અહીં આપણે ઊભા છીએ થોડઅક જ દિવસો બાદ જ્યાં એક તોફાની ટોળાએ વિચાર્યું હતું કે લોકોની મરજીને દબાવવા, લોકશાહીનું કાર્ય અટકાવવા અને આ પવિત્ર ભૂમિ પરથી આપણને નસાડવા માટે હિંસાનો ઉપયોગ કરી શકશે.

એવું થયું નહીં.

એવું ક્યારે ય થઈ શકશે નહીં.

ના આજે.

ના કાલે.

ના ક્યારે ય.

જે તમામે અમને ટેકો આપ્યો એમણે અમારામાં મૂકેલાં વિશ્વાસથી મારું શીષ નમી જાય છે.

જે તમામે અમને ટેકો નથી આપ્યો, એમને મારે આ કહેવું છે :

આપણે આગળ વધી રહ્યાં છીએ ત્યારે મને સાંભળો. મારા અને મારા હૃદયનો તાગ મેળવો.

અને તો ય તમે અસંમત હોવ તો ભલે.

આ જ તો લોકશાહી છે. આ જ તો અમૅરિકા છે. આપણાં ગણતંત્રના દાયરામાં રહીને શાંતિપૂર્ણ અસંમતિ વ્યક્ત કરવાનો હક, એ જ તો આપણાં રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે.

તો ય મને ધ્યાન દઈ સાંભળો : અસંમતિને કારણે આપણાંમાં ફૂટ પડવી ના જોઈએ.

ને હું તમને વચન આપું છું : હું તમામ અમૅરિકનો માટે રાષ્ટ્રપતિ હોઈશ.

મને ટેકો આપનારા માટે જેટલા દિલથી લડીશ એટલો જ મને ટેકો નહીં આપનારા માટે લડીશ.

ઘણી સદીઓ પૂર્વે મારા ખ્રિસ્તી પંથના સંત ઑગસ્ટીને લખેલું કે લોકો એમને પ્રિય એવાં સર્વસામાન્ય હેતુઓથી ઓળખાતો જનસમૂહ હોય છે.

આપણને અમૅરિકનો તરીકે ઓળખાવે એવાં આપણને પ્રિય કયાં સર્વસામાન્ય હેતુઓ છે?

મને લાગે છે હું ઉત્તર જાણું છું.

તક.

સુરક્ષા.

આઝાદી.

સંમાન.

આદર.

માન.

અને, હા, સત્ય.

તાજેતરના અઠવાડિયાઓએ આપણને દુ:ખદ પાઠ ભણાવ્યો છે.

એક તરફ સત્ય હોય છે અને બીજી તરફ અસત્ય હોય છે.

સત્તા અને લાભ માટે બોલાયેલું અસત્ય.

ને નાગરિકો તરીકે, અમૅરિકનો તરીકે અને વિશેષ આગેવાનો તરીકે — બંધારણનું સંમાન કરવાના અને આપણાં રાષ્ટ્રની રક્ષા કરવાના જેમણે સોગંદ લીધા છે —સત્યની રક્ષા કરવાની અને અસત્યને પરાજીત કરવાની આપણા દરેકની ફરજ છે.

હું સમજી શકું છું કે ઘણાં અમૅરિકનો ભાવિ તરફ થોડાંક ભીતિ અને ગભરાટથી મીટ માંડી બેઠા છે.

હું સમજી શકું છું એમને એમની નોકરીની ફિકર છે, એમના પરિવારોની સંભાળની ચિંતા છે, હવે શું થશે એની ઇંતેજારી છે. 

હું બરાબર સમજુ છું.

પરંતુ એનો ઉત્તર અંતર ભણી જવાની નહીં, હુંસાતુંસીમાં પડેલાં ભાગલાંઓ તરફની ગતિ નહીં, તમારા જેવો દેખાવ નથી અથવા તમારી જેમ ભક્તિ કરતાં નથી અથવા તમે જે સ્રોતોથી સમાચારો મેળવો છો ત્યાંથી જે લોકો સમાચારો મેળવતાં નથી એમને શંકાની નજરથી જોવામાં નથી.

લાલને ભૂરાની સામે, ગ્રામીણને શહેરી સામે, ઉદારને રૂઢિચુસ્ત સામે ખડા કરી દેતા આ આંતરવિગ્રહને ખતમ કરવો જ રહ્યો.

આપણે આપણાં હૃદયને કઠોર કરવા કરતાં આપણા આત્માને ખુલ્લું કરીશું તો એ જરૂર સિદ્ધ કરી શકીશું.

જો આપણે થોડીક સહિષ્ણુતા અને નમ્રતા કેળવીશું.

એક ક્ષણ માટે જો આપણે બીજાના બૂટમાં પગ મૂકી ઊભાં રહીશું.

કારણ કે જિંદગીનું આવું છે : તમારી નિયતિ શું હશે એ કહી શકાતું નથી.

કોઈક દિવસો એવા હોય છે કે આપણને મદદની જરૂર પડે છે.

બીજી એવા દિવસો હોય છે જ્યારે મદદ આપવાનો આપણો વારો આવે છે.

આપણે એકબીજા સાથે આવાં હોવું જોઈએ.

જો આપણે આવાં બનીશું તો આપણો દેશ વધુ મજબૂત, વધુ સમૃદ્ધ, ભવિષ્યનો સામનો કરવા વધુ સજ્જ બનશે.

મારા સાથી અમૅરિકનો, આપણી સમક્ષ જે કાર્ય પડેલું છે તેનાં માટે આપણને એકબીજાની જરૂર પડશે.

આ કાળા શિયાળાને પહોંચી વળવા આપણને આપણી તમામ શક્તિઓની જરૂર પડશે.

વાયરસના સૌથી વિકટ અને જીવલેણ ગાળામાં આપણે પ્રવેશી રહ્યાં છીએ.

રાજકારણને બાજુએ મૂકી આપણે એક રાષ્ટ્ર તરીકે આ મહામારીનો સામનો કરવો રહ્યો.

હું તમને આ વચન આપું છું : જેમ બાઇબલમાં કહ્યું છે કે રાતભર રૂદન ચાલે પરંતુ સવાર આનંદ લઈને આવશે.

આપણે સાથે મળીને આમાંથી પાર નીકળીશું.

વિશ્વ આજે જોઈ રહ્યું છે.

તેથી આપણી સીમા પારના લોકોને મારો સંદેશ છે : અમૅરિકાની કસોટી કરવામાં આવી અને એમાંથી અમે વધુ મજબૂત થઈને બહાર આવ્યાં છીએ.

અમે અમારા જોડાણો સુધારીશું અને વિશ્વ સાથે ફરી એકવાર જોડાઈશું.

માત્ર ગઈકાલનાં પડકારોને પહોંચી વળવા નહીં પરંતુ આજનાં અને આવતીકાલનાં પણ.

અમે આગેવાની કરીશું, અમારી શક્તિના ઉદાહરણથી નહીં પરંતુ અમારા ઉદાહરણની શક્તિથી.

શાંતિ, પ્રગતિ અને સુરક્ષા માટે અમે મજબૂત અને વિશ્વાસુ સાથી પુરવાર થઈશું.

આ રાષ્ટ્રમાં અમે ઘણું બધું વેઠ્યું છે.

અને રાષ્ટ્રપતિ તરીકે મારા પ્રથમ કાર્યમાં ગત વર્ષ દરમ્યાન મહામારીમાં આપણે જેમને ખોયાં છે એમને યાદ કરીને શાંત પ્રાર્થનામાં એક ક્ષણ માટે મારી સાથે જોડાવવા હું તમને વિનંતી કરું છું.

એ ૪,૦૦,૦૦૦ સાથી અમૅરિકનો —માતાઓ અને પિતાઓ, પતિઓ અને પત્નીઓ, દીકરાઓ અને દીકરીઓ, મિત્રો, પાડોશીઓ અને સહકર્મચારીઓ.

લોકો તરીકે અને રાષ્ટ્ર તરીકે આપણે કરી શકીશું અને કરવું જોઈએ એવી આપણને ખાતરી છે એવાં બનીને આપણે એમનું સંમાન કરીશું.

જેમણે જીવ ગુમાવ્યાં છે એમના માટે, શોક મનાવતા એમના સ્વજનો માટે અને આપણા દેશ માટે શાંત પ્રાર્થના કરીએ.

આમેન.

આ પરીક્ષાનો સમય છે.

લોકશાહી અને સત્ય પર પ્રહારનો સમય છે.

બેકાબૂ વાયરસ.

વધતી અસમાનતા.

પ્રણાલીગત વંશવાદનો ડંખ.

હવામાન સંકટ.

વિશ્વમાં અમૅરિકાની ભૂમિકા.

આમાંનું કોઈ પણ એક આપણને અગાધ રીતે પડકારી શકે છે.

પરંતુ હકીકત એ છે કે આપણે એ તમામનો સામનો કરી રહ્યાં છીએ જેથી આ રાષ્ટ્રના માથે અતિ ગંભીર જવાબદારીઓ છે.

આપણે હવે કમર કસવી પડશે.

આપણે બધાંએ.

આ સાહસનો સમય છે કારણ કે કેટલું બધું કરવાનું છે.

અને આ નિશ્ચિત છે.

આપણા યુગનાં પ્રપાતી સંકટોનું નિરાકરણ આપણે કેવી રીતે લાવીએ છીએ એ માટે આપણને, તમને અને મને મૂલવવામાં આવશે.

શું આપણે આ ક્ષણને પહોંચી વળી શકીશું?

આ દુર્લભ અને કઠિન ઘડી પર વિજય મેળવી શકીશું?

શું આપણાં કર્તવ્યોનું પાલન કરીને આપણાં સંતાનોને નવું અને વધુ સારું વિશ્વ વારસામાં આપી શકીશું?

હું માનું છું કે આપણે એવું કરવું જ જોઈએ અને આપણે એવું જરૂર કરીશું.

અને એમ કરીશું ત્યારે અમૅરિકન કહાણીનો નવો અધ્યાય લખીશું.

મારા માટે ખૂબ અર્થ ધરાવતાં ગીત જેવી આ વાર્તા કદાચ લાગશે.

એનું શીર્ષક છે “અમૅરિકન ઍન્થમ” અને એનો એક ફકરો મારા મને ખાસ છે :

“સદીઓના કાર્ય અને પ્રાર્થનાએ
આપણને આ દિવસ સુધી પહોંચાડ્યાં છે
શું હશે આપણો વારસો?
શું કહેશે આપણાં સંતાનો?…
મારા દિવસોનો અંત આવે ત્યારે
જાણવા દેજો મને હૃદયમાં
અમૅરિકા
અમૅરિકા
મારું શ્રેષ્ઠ મેં તને આપ્યું.”

ચાલો, આપણા રાષ્ટ્રની લખાતી કહાણીમાં આપણા કાર્ય અને પ્રાર્થનાને ઉમેરીએ.

આપણા દિવસોનો અંત આવે ત્યાં સુધી જો આપણે આમ કરીશું તો આપણાં સંતાનો અને તેમનાં સંતાનો કહેશે કે આપણે આપણું શ્રેષ્ઠ આપીને ગયાં.

એમણે એમની ફરજ નિભાવી હતી.

એમણે ઘવાયેલી ભૂમિને મલમ લગાવેલો.

મારા સાથી અમૅરિકનો, મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં વિરમીશ, પવિત્ર સોગંદ સાથે.

ઈશ્વરની અને તમારા બધાંની સાક્ષીએ હું તમને વચન આપું છું.

હું હંમેશાં તમને સાથ આપીશ.

હું બંધારણની રક્ષા કરીશ.

હું આપણી લોકશાહીની રક્ષા કરીશ.

હું અમૅરિકાની રક્ષા કરીશ.

મારી ક્ષમતાની સંપૂર્ણ શક્તિ તમારી સેવામાં ખર્ચી કાઢીશ, સત્તાનો નહીં પરંતુ શક્યતાઓનો વિચાર કરીશ.

અંગત લાભનો નહીં પરંતુ જાહેર હિતનો.

એકતાનો, વિભાજનનો નહીં.

પ્રકાશનો, અંધકારનો નહીં.

શિષ્ટાચાર અને માનસંમાનની અમૅરિકન કહાણી.

પ્રેમ અને સાજાપણાંની.

મહાનતા અને સારપની.

આપણ સૌને માર્ગદર્શન આપનારી આ કહાણી બનો.

જે કહાણી આપણને પ્રેરણા આપે છે.

આવનારી પેઢીઓને કહેનારી કહાણી કે આપણે ઇતિહાસનો પોકાર ઝીલી બતાવેલો.

આપણે એ પળને પહોંચી વળેલાં.

કે આપણી નજર સામે લોકશાહી અને આશા, સત્ય અને ન્યાય મૃત્યુ ના પામ્યાં પરંતુ બહાલ થયાં કે આપણાં અમૅરિકાએ ઘરઆંગણે સ્વતંત્રતા જાળવી રાખી અને ફરી એકવાર વિશ્વ માટે દીવાદાંડી બની બતાવ્યું.

આપણા પૂર્વજોને, એકબીજાને અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણું આ ઋણ છે.

તેથી, ઉદ્દેશ્ય અને નિર્ધાર સાથે આપણાં સમયના કામો તરફ વળીએ.

વિશ્વાસના ટેકે.

પ્રતીતિથી પ્રેરિત.

ને એકબીજાને તથા આ દેશ જેને આપણે ચાહીએ છીએ એને સમર્પિત થઈને.

ઈશ્વર અમૅરિકાને આશીર્વાદિત કરો અને આપણાં સૈન્યોની રક્ષા કરો.

આભાર, અમૅરિકા.

~

સ્રોત :  https://edition.cnn.com/2021/01/20/politics/joe-biden-speech-transcript/index.html 

Loading

...102030...2,1332,1342,1352,136...2,1402,1502,160...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved