Opinion Magazine
Number of visits: 9573170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહેબની વિદાય

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|11 December 2020

કાલે રાતે બે વાગ્યાની આસપાસ રંજનાએ યુવાનો સંદેશ જોઈ કહ્યું;

‘હસુભાઈ નહીં રહે.’

અઠવાડિયા પહેલાં સમાચાર હતા કે એમને ફેફસાંમાં તકલીફ છે અને ઝાયડસમાં દાખલ કર્યા છે. સમાચાર આપતા યુવાએ આખું પણ ખરું કે વાતચીત કરે છે, નયનને કહેતા હતા કે બહુ ચિંતા ન કરીશ. અનાયાસે થોડા દિવસ પહેલાં જ મધ્યકાલીન સાહિત્ય અને લોક પરંપરાનાં કોઈક સંદર્ભ બાબતે એમને ફોન કરેલો, આ વિષયમાં તેઓ જીવંત એન્સાયક્લોપીડિયા હતા. ત્યારે મેં કહેલું; ‘આ વખતે અમદાવાદ આવીશ એટલે આપણે મળીશું, ઘણી વાતો કરવાની છે.’

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

વાતો ખૂટે નહીં એવાં માણસ હસુભાઈ. હતા એમ લખતા જીવ નથી ચાલતો. અમારાં મૂળિયાં એક ભૂમિનાં. ધ્રાંગધ્રા ગામ. એમનું ઘર દેપાળાના ચોરા પાસે ,અમારું કાનનાં મંદિર પાસે. વચ્ચે એક ઢાળ. મેં એમને ત્યાં નથી જોયા. પણ મારા બાપુજી અને ગામનાં લોકો આ યાજ્ઞિક ભાઈઓની વાત બહુ ગૌરવથી કરે. એ વખતે ભણતરનો આજના જેટલો મહિમા નહીં. બામણનો દીકરો હોય તો જજમાનવૃત્તિમાં ગોઠવાઈ જાય, એટલે ભયો ભયો. પણ આ યાજ્ઞિક કુટુંબ જ્ઞાન-માર્ગી. બધાં ભણવામાં આગળ પડતાં. પછી સરકારી નોકરીમાં જોડાયા. તેઓ ૧૯૬૨માં સ્નાતક, ૧૯૬૨ એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. થયા. સંગીત વિશારદ પણ ખરા. એમનો જન્મ ભણતર બધું રાજકોટમાં, પણ મૂળે એ અમારાં ધ્રાંગધ્રાના. એમનાં બહેન અમારાં ઘર પાસે, હવેલી શેરીમાં ઉત્તમરામ શુક્લ વેરે વરાવેલાં. એટલે હસુભાઈ મને કાયમ મારા ગામના માણસ તરીકે જ જુએ, ઓળખે અને ઓળખાવે. પોતાની મૂળ ઓળખ સાથે લઈ ચાલતા માણસ ….

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

હસુભાઈ આરંભે વિજ્ઞાનના વિદ્યાર્થી, પણ પછી સાહિત્યમાં આવ્યા અને એટલે સાહિત્યમાં પણ એમનો અભિગમ હંમેશાં વૈજ્ઞાનિક રહ્યો. ૧૯૭૭ની આસપાસ આ મારા ગામના માણસ સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોલેજમાં ગુજરાતીના અમારા અધ્યાપક તરીકે જામનગરથી બદલી થઇ આવ્યા. આવ્યા કે તરત અમારી વિદ્યાર્થીની વચ્ચે ચીર-પરિચિતની જેમ ગોઠવાઈ ગયા. આ એ સમય હતો જ્યારે ગુજરાતી નવલકથા જગતમાં થ્રીલર રાયટરનું અવતરણ નહોતું થયું. અંગ્રેજીના જેમ્સ હેડલી ચેઇઝ, એલિસ્ટર મેકલીન, ઇર્વિંગ વોલેસ, (અમે ફાધર વાલેસને પણ વાંચતા. અને અંગ્રેજી નામને કારણે એવી વાતો પણ કરતા કે આ ઇર્વિંગ વોલેસના મોટાભાઈ છે.) હસુભાઈની થ્રીલર નવલકથાઓ એ વખતે ‘સંદેશ’ દ્વારા લોકપ્રિય. અમને છપાયા પહેલાં પ્રકરણ સાંભળવા મળે એનો અમને હરખ. મજાની વાત એ કે સાહેબને આ લોકપ્રિયતાનું બહુ ‘માતમ’ નહીં. રાત અધૂરી, વાત માધુરી, દગ્ધા, હાઇવે પર એક રાત, મુટુ હટારી આ બધી એમની પ્રસિદ્ધ નવલકથાઓ.

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભેદભાવ ન કરે. સામાન્યપણે અધ્યાપકો નૈતિકતા અને વિચારધારા મૂલ્ય આદિના કડુકઢિયાતું જેવાં બોધપાઠ બહુ આપે પણ આ સાહેબ તો અમારી ભેગા પાનવાળાની દુકાને ય આવે ને ૧૨૦-૩૦૦વાળું પણ ખાય. અને ત્યાં ઊભા ઊભા મધ્યકાલીન સાહિત્ય પણ સમજાવે. સાયકલ પર પાછળની સીટ પર બેસી બજારમાં પણ આવે. મેં આણંદની કોલેજમાં એમના વિશે વાત કરતા કહેલું કે;

‘એમણે સાહિત્યમાં પણ સામાન્ય મનુષ્યનાં જીવતા જીવનનો મહિમા કર્યો છે, એના સંઘર્ષને મુક્યો છે, સામાન્ય માણસની જેમ વિદ્યાર્થીઓ સાથે મિત્રવત્‌ રહ્યા છે. અમદાવાદ અમે આવ્યાં ત્યારે અહીં અમારાં સમકાલીનોમાંથી કોઈ કોઈ કહેતા; અમે ઉમાશંકરના વિદ્યાર્થી, અમે ભગત સાહેબના વિદ્યાર્થી, અમે યશવંત શુક્લના ….. મારા જેવા પછાત જિલ્લામાંથી આવતા કહી શકતા કે અમે હસુભાઈના વિદ્યાર્થી.’

અમદાવાદ અને અમારાં શિક્ષણ વચ્ચે બહુ ફેર. અને આ ફેર અમને અમદાવાદ આવ્યાં પછી વધુ સમજાયો. એક દિવસ જગદીશ વ્યાસે યુનિવર્સિટી બસ સ્ટોપ પર નિરંજન ભગતને ઊભેલા જોયા અને સાયકલ ઊભી રાખી, એને તો સુરેન્દ્રનગરમાં સાયકલની પાછલી સીટે બેસતા સાહેબનો અનુભવ. ભગત સાહેબને કહ્યું;

‘બેસી જાવ, સાહેબ, અમે તમારાં ઘર બાજુ જ જઈ રહ્યાં છીએ.’

પછી શું થયું એની તમે કલ્પના કરો.

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

૧૯૮૨થી તેઓ હાલ જે અકાદમીની સ્વાયત્તતા માટે આપણે લડી રહ્યાં છીએ, તેના પહેલા મહામાત્ર બન્યા. ત્યારે અકાદમી સરકારી હતી, પણ હસુભાઈ હોવાને કારણે સરકાર દેખાતી ન્હોતી. અમે ગાંધીનગર મિત્રોને મળવા જઇએ, એટલે ગજવામાં ૧૨૦-૩૦૦વાળું પણ લઈને જઈએ. અકાદમીએ એમની સામે બેસી ચા પીએ … ને સાહેબ, સમવયસ્ક મિત્ર જેવા કુતૂહલ ભાવથી પૂછે;

‘પણ લાઈવો છું ને?’

આ સાદગી, નિરભિમાન ક્યા જોવા મળે? આજે તો સાથે હરતો ફરતો મિત્ર પણ જો આપણાથી એક પાયરી ઊંચે જાય તો ય …… મહામાત્ર તરીકે માન્ય ભાષામાં ભાષણ આપે, પણ બાકીનો સંવાદ ઝાલાવાડીમાં ચાલે. એમની સુરેન્દ્રનગરના અધ્યાપકથી મહામાત્ર અને નિવૃત્ત થયા પછીથી સતત આણંદ કોલેજમાં લોક સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતા હસુદાદા તરીકેની સાદી સરળ પણ શાનદાર જીવન યાત્રા મેં જોઈ છે. જેમ અમે હસુભાઈ પાસે હસતા રમતા ભણ્યા એમ આણંદનાં વિદ્યાર્થીઓ પણ ભણ્યાં. વિદ્યાર્થીઓની ઘણી પેઢી તૈયાર કરનાર આ સાહેબે અંતે ટૂંકી માંદગી પછી તારીખ ૧૦-૧૨-૨૦૨૦ની સવારે વિદાય લીધી.

વંદન સાહેબ, આવતે ભવે મળીશું.

૧૦-૧૨-૨૦૨૦

Loading

મોદીને ‘ઇવેન્ટ રાજનીતિ’ કેન્દ્રમાં નહીં ફાવી

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2020

૨૧મી સદીના પહેલા દાયકાનું ગુજરાત મોડેલ ઇવેન્ટોનું મોડેલ હતું. લોકો ફાટી આંખે જોતા રહે એવી ભવ્ય ઇવેન્ટો યોજવાની. ગુજરાતના લોકોને એમ લાગવું જોઈએ કે જીવતા તો આપણને એકલાને જ આવડે છે, અને બીજા દેશવાસીઓ તો ‘બિચારા’ છે. બિચારા એટલા માટે છે કે તેઓ મહાપ્રતાપી નેતૃત્વથી વંચિત છે. દેશમાં બીજાં રાજ્યોના લોકોને એમ લાગવું જોઈએ કે દેશમાં એક માત્ર ગુજરાત છે જ્યાં ક્રાંતિ થઈ રહી છે. એક ઇવેન્ટનો હરખનો ઓડકાર હજુ તો શમે નહીં ત્યાં બીજી ઇવેન્ટની તૈયારી શરૂ કરી દેવાની. ઇવેન્ટ આફ્ટર ઇવેન્ટ.

આનાથી ઊલટું ભારતનું મોડેલ ક્રાઈસીસનું મોડેલ છે. એમ પણ કહી શકાય કે ભારતનું મોડેલ ક્રાઈસીસ મેનેજમેન્ટનું પણ મોડેલ છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે આખી દુનિયાને એમ લાગતું હતું કે આ સંકટગ્રસ્ત દેશ લાંબો સમય ટકી નહીં શકે. ભારત અરાજકતાની ગર્તામાં ધકેલાઈ જશે અને અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ જશે. જગતના અનેક ડાહ્યા લોકોએ સલાહ આપી હતી કે સંપૂર્ણ લોકતંત્રનું જોખમ નહીં ઉઠાવો, શરૂઆતનાં વર્ષોમાં મર્યાદિત લોકતંત્ર સાથે સબૂરીથી કામ લો. ભારતના એ સમયના નેતાઓને આત્મવિશ્વાસ હતો.

તેમણે દેશના વહીવટીતંત્રનો એવો ઢાંચો વિકસાવ્યો જેમાં સંકટ કેન્દ્ર સરકારે પોતાની પાસે રાખ્યાં અને મોકળાશ રાજ્યોને આપી. ભારતના સમવાય ઢાંચાની (ફેડરલ ઇન્ડિયાની) આ ખૂબી છે. આખી દુનિયા ફાટી આંખે જોતી રહે એવી એ શું કહેશું, ‘ઇવેન્ટ’ હતી! ગરીબી દૂર કરવાની, આર્થિક વિકાસ, અન્ન સ્વાવલંબન, વસ્ત્ર સ્વાવલંબન, રોજગારી પૂરી પાડવાની, માળખાકીય વિકાસ, દેશની અખંડતા, દેશનું સંરક્ષણ, વિદેશ વહેવાર, રાજ્યો વચ્ચેનાં સંઘર્ષરહિત સંબંધો ભારતની પ્રતિષ્ઠા વગેરે દરેક પ્રકારની ઉપાધિઓ કે પળોજણ કેન્દ્રએ પોતાની પાસે રાખી હતી. આવી વ્યવસ્થા કરવા પાછળનાં બે કારણ હતાં. એક તો એ કે પોતપોતાનાં રાજ્યનો વિકાસ કરવા માટે રાજ્યોના શાસકોને ઉપાધિઓથી મુક્તિ અને મોકળાશ મળે અને બીજું એ કે જો રાજ્યોને પડકારોનો સામનો કરવાનું કહેવામાં આવે તો સ્વાભાવિકપણે તેને સત્તા આપવી પડે અને જો સત્તા આપવામાં આવે તો રાજ્યો દેશની એકતા અને અખંડતા સામે જોખમ પેદા કરે. મહત્ત્વનો મુદ્દો એ છે કે જો રાજ્યોના શાસકો પોતાનાં રાજ્યનો વિકાસ કરવા ઇચ્છતા હોય તો મોકળાશ ઘણી હતી.

અહીં જવાહરલાલ નેહરુએ રાજ્યોના મુખ્ય પ્રધાનોને જે પત્રો લખ્યા હતા, એનું મનન કરવું જોઈએ. દૃષ્ટિ અને નિસ્બત શું કહેવાય એનાં ઉદાહરણરૂપ એ પત્રો છે. સતત ૧૭ વરસ સુધી પ્રતિ માહ ટાઈપ્ડ દસ-બાર પાનાંનાં પત્રો વાંચશો તો ખ્યાલ આવશે કે નેહરુની રાજ્યોના શાસકો પાસેથી કેવી અપેક્ષા હતી. ઉપાધિમુક્ત મોકળાશનો લાભ લઈને રાજ્યનો વિકાસ કરો અને કેન્દ્ર સરકારને ભાગે આવેલી ઉપાધિઓ સામે લડવામાં કેન્દ્રને મદદ કરો. એ કઈ રીતે થઈ શકે તેના ઉપાયો પણ બતાવ્યા છે. જાગતિક રાજકીય પરિસ્થિતિમાં થઈ રહેલાં પરિવર્તનોની બાબતે અવગત કરીને તેનો કઈ રીતે લાભ લઈ શકાય અને કઈ રીતે બચી શકાય તેની પણ સલાહ તેમણે એ પત્રોમાં આપી છે. જો કોઈ વાચકને ઉત્કંઠા હોય તો નેહરુએ લખેલા સેંકડો પત્રોમાંથી પસંદ કરેલા પત્રો હવે પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ છે. વડો પ્રધાન કેવો હોય એનું મૂર્તિમંત ઉદાહરણ નેહરુ હતા.

ભારતનું બંધારણ ઘડનારાઓએ વિકટ ઉપાધિઓ કેન્દ્રને આપી અને રાજ્યોના શાસકોને ઉપાધિમુક્ત રાખીને રાજ્યનો ઝડપી વિકાસ કરવાની મોકળાશ આપી પણ વાસ્તવમાં તેનું પરિણામ શું આવ્યું? પ્રારંભમાં ભાષાઓની અસ્મિતાને નામે ભાષાવાર પ્રાંતરચના કરવામાં આવી. એ તો જાણે સમજાય એવી વાત હતી કે પોતાની ભાષામાં રાજ્યમાં શાસન ચાલે તો મોકળાશ ધરાવનારા શાસકો ભાષાકીય મોકળાશ ઉમેરાતા હજુ વધારે મોકળાશપૂર્વક શાસન કરી શકે. પણ જવાહરલાલ નેહરુના અવસાન પછી એવું બન્યું નહીં. કોઈ રાજ્યમાં દ્રવિડ રાજ્ય સ્થાપવા માટે, બીજા રાજ્યમાં મરાઠા રાજ્ય સ્થાપવા માટે, કેટલાક રાજ્યમાં યાદવ રાજ્ય સ્થાપવા માટે, પંજાબમાં શીખ સૂબાનું રાજ્ય સ્થાપવા માટે એમ દરેક રાજ્યમાં પ્રજાકીય ઉદ્ધારની જગ્યાએ બહુમતી અસ્મિતાઓનાં રાજ્યો સ્થાપવાની હોડ શરૂ થઈ. બોજામુક્ત મોકળાશનો ઉપયોગ બહુ ઓછા શાસકોએ કર્યો હતો. ગુજરાત આમાં પ્રમાણમાં નસીબદાર હતું. ગુજરાત ઓછું અસ્મિતાગ્રસ્ત હતું એટલે મુંબઈ રાજ્યના વિભાજન વખતે મુંબઈ શહેર ગુમાવવા છતાં ગુજરાતે બે દાયકામાં દેશના પ્રગતિશીલ રાજ્યનો દરજ્જો મેળવી લીધો.

ભારતનાં લગભગ દરેક રાજ્યમાં શાસકો અસ્મિતાઓનો જયજયકાર કરતા હતા અને બંધારણપ્રદ મોકળાશનો ઉપયોગ કરવાની તક ગુમાવતા હતા એમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી જુદો રાહ અપનાવ્યો. એ રાહ હતો ઇવેન્ટનો. એવી એવી ભવ્ય ઇવેન્ટો કરવી કે લોકો જોતા રહે અને લોકોને એમ લાગે કે સ્વર્ગ તો માત્ર ગુજરાતમાં જ છે. લોકોને એમ લાગવું જોઈએ કે આખો દેશ પાછળ રહી ગયો છે અને ગુજરાત ક્યાં ય આગળ નીકળી ગયું છે. લોકોને એમ લાગવું જોઈએ કે ગુજરાતના નાથને જો દેશનું નેતૃત્વ સોંપવામાં આવે તો ગુજરાતની રાહે દેશનો વિકાસ થઈ શકે છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદી દિલ્હી તો પહોંચી ગયા, પરંતુ તેમની હથરોટી ઇવેન્ટની હતી. એમને પોતાને પણ એમ લાગતું હતું કે ગુજરાતની માફક જગત અંજાઈ જાય એવી ઇવેન્ટ કરતા રહીશું અને ગાડું ગબડતું રહેશે. તેમને એ વાતની જાણ નહોતી કે સમવાય ભારતમાં સત્તા અને જવાબદારીઓની જે વહેંચણી કરવામાં આવી છે એમાં સમસ્યાઓનો ટોપલો કેન્દ્રના શિરે છે. ગુજરાતમાં ઇવેન્ટો કરવાની જે મોકળાશ હતી એ તો રાજ્યોને મળેલી મોકળાશ હતી જેનો ઇવેન્ટો યોજવા માટે લાભ લેવામાં આવ્યો હતો, બીજી બાજુ કેન્દ્ર પાસે તો એટલી બધી સમસ્યાઓ છે કે શ્વાસ લેવાની પણ મોકળાશ નથી. નરેન્દ્ર મોદીએ અને બી.જે.પી.ના અત્યારના નેતાઓએ જો અરુણ શૌરી જેવા વિચક્ષણ લોકોને પૂછ્યું હોત તો તેમણે ભારતમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શાસનના સ્વરૂપ અને જવાબદારી વચ્ચે રહેલા ફરકની જાણ કરી હોત. ભારતમાં કેન્દ્ર સરકાર એટલે સતત સમસ્યાઓની સામે ઝૂઝતી સંસ્થા. મોકળાશ નામની નહીં.

કેન્દ્ર અને રાજ્યમાં ફરક એટલો છે કે દિલ્હીમાં ઇવેન્ટ કરવા જાઓ તો પણ સમસ્યામાં ફેરવાઈ જાય છે. નોટબંધી ઇવેન્ટ હતી જે સમસ્યામાં ફેરવાઈ ગઈ. જી.એસ.ટી. એક ઇવેન્ટ તરીકે લાગુ કરાવમાં આવ્યો જેણે સમસ્યા પેદા કરી. વિદેશનીતિમાં નમસ્તે ટ્રમ્પની ઇવેન્ટ યોજી અને હવે ટ્રમ્પ હારી ગયા પછી અમેરિકાના સંબંધોમાં સમસ્યા થશે. લોકડાઉનને ઇવેન્ટ તરીકે લાગુ કર્યો અને સમસ્યા પેદા કરી. વીસ લાખ કરોડ રૂપિયાનું પેકેજ ઇવેન્ટના સ્વરૂપમાં જાહેર કર્યું અને જી.ડી.પી.નો દર બંગલાદેશ કરતાં પણ પાછળ ધકેલાઈ ગયો. આવા તો હજુ બીજા અનેક દાખલા તમે આપી શકો એમ છો.

ભારત એક જટિલ સમાજવ્યવસ્થા ધરાવતો દેશ છે. એમાં સરળીકરણ ન ચાલે. બંધારણ ઘડનારાઓએ બધી જ સમસ્યા અને ઉપાધિઓ કેન્દ્રના માથે નાખી છે, કે જેથી કોઈ તેને હળવાશથી ન લે. વર્તમાન શાસકોએ જો આ સમજવાની કોશિશ કરી હોત અને ઇવેન્ટનો મોહ ન રાખ્યો હોત તો વર્તમાન સરકારની આજે જે હાલત થઈ છે તે ન થઈ હોત. બહુમતી હોવા છતાં સરકાર વમળમાં ફસાયેલી છે. કાશ્મીર, ચીન, ખાડે ગયેલું અર્થતંત્ર, બેરોજગાર યુવાનોની નારાજગી અને હવે ખેડૂતોની નારાજગી. ઉતાવળ, આત્મવિશ્વાસ, સરળીકરણ અને દરેક નિર્ણયને ઇવેન્ટમાં ફેરવવાના મોહનું આ પરિણામ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ડિસેમ્બર 2020

Loading

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 December 2020

હૈયાને દરબાર

તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે!

વાતે વાતે ફૂલડાં ઝરતાં, હર પગલે ફાલે વેલી,
સ્મિત આ તારું ઋતુ પલટતાં ઉરમાં ઊમટે હેલી,

જોઈ લઉં બસ એક વખત ને તીવ્ર પ્રતીક્ષા શમે
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે …

દીકરી તું તો વહાલનો દરિયો, છોળ ઊડે વહાલપની,
હું તારામાં તું મારામાં, દુનિયા શી આ ખપની!

ચાંદ સિતારા તારી સાથે સંતાકૂકડી રમે …
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે …

•   કવયિત્રી: યામિની વ્યાસ    •   સ્વર-સ્વરાંકન: શૌનક પંડ્યા

https://www.youtube.com/watch?v=TlpPrz8p9lE

https://www.youtube.com/watch?v=AibZLPxavZw

પારિવારિક સંબંધો વ્યક્ત કરતાં ગીતો દરેક ભાષામાં રજૂ થયાં છે અને લોકપ્રિય થયાં છે. એ ગીતો માતૃવંદના સ્વરૂપે હોઈ શકે, દીકરી-દીકરાની લાગણી વિશેનાં હોય, ભાઈ-બહેન, સાસુ-વહુ તથા નણંદ-ભોજાઈનાં પણ હોઈ શકે. ‘મેઘબિંદુ' જેવા કવિ પુત્રવધૂ વિશે ગીત લઈ આવે છે. લોકગીતોમાં તો આ પ્રકારનાં ગીતો પ્રચલિત છે, પરંતુ હવે આધુનિક ગીતો પણ આ પ્રકારનાં ઘણાં રચાય છે. આજે દીકરી માટેના ગીતની વાત કરવી છે.

દીકરીઓ વિશેના સદીઓ જૂના વિચારોમાં હવે પરિવર્તન આવી ગયું છે. વર્તમાન સમયની દીકરી લાચાર, અસહાય કે અબળા નથી. ૨૧મી સદીની દીકરીઓએ નારીજીવનને ગરિમા આપી છે, ગૌરવ બક્ષ્યું છે. દીકરી આજે વરદાન છે. સુખનો સૂરજ ત્યારે ઊગે છે, જ્યારે દીકરી ઘરમાં જન્મે છે. એની નરમ મુલાયમ આંગળીઓ આપણા ગાલ પર ફરતી હોય તો ધરતીનું કોઈક રહસ્ય સમજાવતી હોય એમ લાગે. એટલે જ તો દીકરી વહાલનો દરિયો કહેવાય છે! માતા-પિતા જ સંતાનોને જન્મ નથી આપતાં, સંતાનો ય મા-બાપને જન્મ આપે છે. દીકરી દુનિયાભરની વાતો કરે, અપાર લાગણી દર્શાવે, મિત્ર બની જાય, મોટી થાય ત્યારે મા-બાપને હકથી ધમકાવે અને પ્રસંગોપાત્ત વ્યવહારદક્ષતા પણ દાખવે. આ જ દીકરી પરણીને વિદાય લે ત્યારે ઘરની દીવાલો ય જાણે મૂક થઈ જાય!

મારી પોતાની જ વાત કરું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈએ જ એવું નક્કી કરેલું. પરોઢિયે બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં રૂપાની અનેક ઘંટડીઓ એકસાથે બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રીજન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા.

આવી લાડકી દીકરી વિશેનાં જાણીતાં ગીતોમાં, દીકરી મારી લાડકવાયી, મારી લાડકી રે, દાદા હો દીકરી, માધવ રામાનુજ લિખિત દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન, અનિલ જોશીનું હૃદયસ્પર્શી કન્યાવિદાયનું ગીત, કવિ ‘મેઘબિંદુ’નું દીકરી ગીત; મીઠડી મારી લાડલી મારી, દીકરી ફૂલ સુવાસ તથા એમણે જ લખેલું પુત્રવધૂ સ્વાગત ગીત; લાડકવાયી લાડી, તું રૂમઝૂમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ, ઘરમંદિરને સ્નેહ સુગંધે અભરસભર મહેકાવ … પણ સુંદર છે. જયન્ત પાઠકનું દીકરી વિદાય કાવ્ય, અશોક ચાવડાનું કાવ્ય, સ્વર્ગની એકેક દેવીની ઝલક છે દીકરી ઈત્યાદિ સુંદર દીકરી ગીતો છે.

પરંતુ તાજેતરમાં સુરતનાં કવયિત્રી યામિની વ્યાસનું દીકરી ગીત સાંભળીને મજા આવી. દીકરી જેવું જ ચંચળ-ચપળ ગીત સ્વરબદ્ધ કર્યું છે સુરતના જાણીતા કમ્પોઝર શૌનક પંડ્યાએ. વહાલ શબ્દ પ્રત્યે યામિનીબહેનને વિશેષ વહાલ છે એટલે એમનાં ગીત-કાવ્યો અને નાટકમાં વહાલ અવારનવાર ડોકાયા કરે છે. લોકડાઉન દરમ્યાન ખરેખર સર્જનાત્મક કાર્યો કેટલાક સર્જકોએ કર્યાં છે એમાંનાં એક યામિની વ્યાસ છે. એમની ફેસબુક વોલ પર વારંવાર એમનાં ગીતો, કાવ્યો રજૂ થતાં રહ્યાં છે. એમણે રક્ષાબંધન પર ભાઈ-બહેનનું સરસ ગીત મૂક્યું હતું તો નવરાત્રિના નવ દિવસ સ્વરચિત સ્તુતિ-ગરબા પ્રસ્તુત કર્યાં હતાં. આ દીકરી ગીત તો બે વાર લખાયું. મૂળ ગીત તેમની પોતાની દીકરી વિશે જ છે પણ બીજા ગીતનું મુખડું એ જ પણ અંતરા બદલાયા છે. બીજા ગીતનો અંતરા આવો છે;

વ્હાલનો દરિયો ઊછળે એવો જોજન જોજનપૂર
હોય પાસ તું બ્રહ્મબ્રહ્માંડો લાગતાં મને દૂર
સાવ રે ખાલી મન, તારાથી ઊભરે છે ભરપૂર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે
તું મને એટલી ગમે …!

આ દીકરી ગીત વિશે યામિની વ્યાસ કહે છે કે, ‘મારી દીકરી માટે જ આ ગીત મેં લખ્યું હતું, પરંતુ હવે એ અનેક દીકરીઓનું બની ગયું છે. ઘણાએ જુદી જુદી રીતે ગાયું છે, પરંતુ સુરતના સંગીતકાર શૌનક પંડ્યાએ એને થોડું જુદી રીતે પ્રસ્તુત કર્યું. એ ઘણું લોકપ્રિય થયું. મારાં ગીત-ગઝલનું એક આલબમ પણ શૌનક પંડ્યાએ સરસ કર્યું છે. સ્કૂલ-કોલેજમાં અમે અર્વાચીન ગરબા કરતાં. ગરબા અમારે જ ગાઈને કરવાના એટલે આવર્તનો ગાવાની પણ ટેવ હતી. તેથી આ ગીતમાં એ અનાયાસે આવી ગયું કે તું મને એટલી ગમે, એટલી ગમે. કંકોત્રીઓમાં આ ગીત છપાય છે. નાટકમાં લેવાયું છે અને એના પર નૃત્ય પણ થયાં છે. ગઝલો લખવી મને ગમે છે. ‘તમારી એ આંખોની હરકત નથીને’ સંગીત આલબમમાં મારી આઠ રચના શૌનકભાઈએ સ્વરબદ્ધ કરી છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના હેલ્થ કમિશનર ડો. અમરજિત સિંહની ખુરશી પાછળ મારી ગઝલ મૂકેલી હતી પણ નામ નહોતું. કોઈક કારણસર મારા ભાઈ એમને મળવા ગયા ત્યારે એમણે એમને કહ્યું કે આ તો મારી બહેનની ગઝલ છે. એમણે એ જ વખતે મને ફોન કરીને કન્ફર્મ કર્યું અને પછી મારા નામ સાથે મૂકી. ગ્રામ્ય વાતાવરણમાં હું ઊછરી છું, ઘંટી પર અનાજ દળ્યું છે, કૂવે પાણી ભર્યાં છે એટલે મારાં કેટલાંક ગીત લોકગીતો જેવાં બન્યાં છે.’

અલબત્ત, યામિની વ્યાસની ગઝલોમાં ઊંડાણ જોવા મળે છે.

પળેપળનો બદલાવ જોયા કરું છું,
ધરા શું? ગગન શું? સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં,
ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

તેમ જ,

તમારી એ આંખોની હરકત નથીને?
ફરી આ નવી કોઈ આફત નથીને?

જેવી ગઝલો શૌનકભાઈએ ગઝલના મૂડને અનુરૂપ સુંદર સ્વરબદ્ધ કરી છે.

શૌનક પંડ્યા દીકરી ગીત વિશે કહે છે કે, ‘ગીતનું મુખડું સરસ હતું એટલે મને કમ્પોઝ કરવાની ઈચ્છા થઈ. પહેલી નજરે તો મને રોમેન્ટિક ગીત લાગ્યું હતું. પછી આગળ વાંચતાં ખબર પડી કે આમાં તો મા-દીકરીની વાત છે. મારા મનમાં જુદી ધૂન રમતી હતી એટલે એ પ્રમાણે યામિનીબહેને અંતરાના શબ્દો બદલ્યા. ફાસ્ટ રિધમનું ગીત બન્યું હોવાથી શાળા-કોલેજ, જાહેર મેળાવડા એમ બધે ગવાય છે. યામિનીબહેનનાં ગીત-ગઝલો કમ્પોઝ કરવામાં સરળ હોય છે તેમ જ મીટર પણ બરાબર હોય છે.

બાકી, અત્યારે રમેશ પારેખ કે મનોજ ખંડેરિયા ક્યાં શોધવા? સારાં ગીતો-કાવ્યો મળવાં મુશ્કેલ છે. સંગીત ક્ષેત્રે મેં ગાયું, સ્વરાંકન કર્યાં અને બીજું ઘણું કામ કર્યું. હવે ફરીથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું. આમ છતાં, ઉત્તમ ગીતો મળે તો સ્વરબદ્ધ કરવાં ગમે જ.’

યામિની વ્યાસની ગીતનુમા ગઝલ ભરત પટેલના સ્વરાંકન અને ગાર્ગી વોરાના કંઠમાં સરસ નીખરી ઊઠી છે. ગાર્ગી વોરાએ એ આકાશવાણી રાજકોટ પર રજૂ કરી હતી. ગઝલના શબ્દો છે;

આંગળી પકડીને તારી ચાલવા દે
મા! મને તું આ જગતમાં આવવા દે.
વંશનું તુજ બીજ તો ફણગાવવા દે.
ગોરમાની છાલ લીલી વાવવા દે
તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.

યામિનીબહેન લેખન, કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકીવાર્તા, નવલિકા, લઘુનવલ, સ્ક્રિપ્ટ લેખન ક્ષેત્રે કાર્યરત છે. નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ. નાનીમા ગરબા સરસ ગાય એટલે લય પહેલેથી ઘૂંટાતો ગયો હતો. ૨૦૦૨થી તેઓ કવિતા-ગઝલ લખે છે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યા આધારિત એમના નાટક ‘જરા થોભો’એ ૩૫૦થી ય વધુ પ્રયોગ કરી જાગૃતિ ફેલાવી છે. રાજ્ય તેમ જ મુંબઈની ભવન્સમાં વ્યક્તિગત રીતે અભિનયનાં અનેક પારિતોષિકો મેળવી તેઓ ગૌરવાન્વિત થયાં છે.

અભિનય અને પ્રસ્તુતિ સાથે પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચન સભાનતા દાખવે છે. વિશ્વની તમામ નારીને ‘નમન’ માટેના વિશેષ વીડિયોમાં યામિનીબહેનનું ગીત લેવાયું છે. આમ, સર્જનનાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ચૂકેલાં યામિની વ્યાસનાં ગીતો તક મળે તો જરૂર સાંભળજો.   

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660931 

Loading

...102030...2,0602,0612,0622,063...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved