Opinion Magazine
Number of visits: 9963498
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અશિષ્ટ સંદેશ

મીરાં ચઢા બોરવાણકર|Opinion - Opinion|16 August 2021

હું રાકેશ અસ્થાનાને ઓળખું છું. ગુજરાત કૅડરના કાબેલ પોલીસ અફસર છે. અને હું તેમના જેવા AGMUT (Arunachal, Goa, Mizoram and Union Territory) કૅડરના ઘણા અફસરોને પણ ઓળખું છું. અસ્થાનાની દિલ્હીના પોલીસ-કમિશનર તરીકેની નિમણૂકની મને તેમ જ ઘણાને નવાઈ લાગી છે, ખાસ તો ત્યારે, જ્યારે કે તેની નિવૃત્તિને માત્ર એક સપ્તાહ જ બાકી હતું.

ઘણાં રાષ્ટ્ર અને રાજ્યસ્તરની પરિષદોમાં અમે પોલીસ-અફસરોએ સુપ્રીમ કોર્ટના ૨૦૦૬ના પોલીસ-સુધારણા વિષયક અધિકૃત આદેશની ચર્ચા કરી છે. પોલીસ સહિતની જાહેરસેવાઓને રાજકારણીઓએ પોતાના પરિચિતોને ગોઠવી દેવાની વેતરણમાં જે નુકસાન પહોંચાડ્યું છે, તેના વિષે અમે વાતો કરી છે. ‘ઍસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ’ રચીને રાજ્યના પોલીસ વડા પસંદ કરતી વખતે તેમાં UPSCને સામેલ કરવાની કોર્ટની માર્ગદર્શિકાને અમે આવકારી છે. તેમની નિયુક્તિની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવાની વાતને પણ અમે આવકારી છે, જેથી સ્થાનિક રાજકારણીઓની મરજી અનુસાર તેમની નિયુક્તિ ચાલુ રહે કે બદલી થઈ જાય તેવું ન થાય, અને આમ છતાં, આજે નિવૃત્ત અને ફરજ પરના પોલીસ-અધિકારીઓ એકદમ ચૂપ છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કે પોલીસને એક સ્વતંત્ર સંસ્થા તરીકે ભાગ્યે જ આદર આપ્યો છે. તેણે એક ઝાટકે, દિલ્હી પોલીસના વડા તરીકેની નિયુક્તિ આપીને બતાવી આપ્યું છે કે તે કેટલી નિષ્ઠુરપણે જાહેરસેવાને નિયંત્રિત કરે છે. તેમનો એ સંદેશ એકદમ સાફ છે કે તે ‘માલિક’ છે.

કોઈ પણ શહેર/રાજ્યનો પોલીસ-કમિશનર તે પોલીસ-ફૉર્સનો વડો છે. અને તે તેના અફસરોથી સારી રીતે પરિચિત હોય છે. એક અફસર, જેણે કોઈ એક કૅડરમાં ૩૫ વર્ષ કામ કર્યું છે, તે કેવી રીતે તેના નિવૃત્તિના છેલ્લા વર્ષમાં અન્ય રાજ્યના પોલીસફૉર્સની પ્રકૃતિ અને સભ્યતાને સમજી શકે? જે અફસરોને અને કૉન્સ્ટેબલોને એ બિલકુલ ઓળખતો નથી, તેની સાથે કામ કેવી રીતે પાર પાડે કે તેમનું શ્રેષ્ઠ બહાર લાવવા પ્રોત્સાહિત કરી શકે? શું એવું નહીં બને કે ઘણા અફસરો તેને ‘બહારનો’ ગણશે? અને એવા ઘણા હશે, જેમણે, જે કમિશનર થવાને યોગ્ય હતા, તેમની સાથે કામ કર્યું હોય, તે આ ‘ઉપરથી ઠોકી બેસાડેલા’ને સહકાર નહીં આપે? રાજકારણીઓને દિલ્હીમાં એવી તો કોઈ આકસ્મિક કટોકટી દેખાઈ નથી, જેને કારણે કોઈ વિશેષ આવડતવાળો નવો કમિશનર લાવવો પડે અને તે કારણે તેને રાતોરાત નિયુક્ત કરી દીધો. અને જો એવું હોય, તો દિલ્હીના અત્યારના અફસરોમાં આવડતની કોઈ કમી તો દેખાતી નથી.

આપણે બધા જાણીએ છીએ કે કોઈ સંસ્થાને ઊભી કરતાં વર્ષો જાય છે, પણ તેને તોડી પાડવા કેટલાક દિવસો પૂરતા છે. રાજકારણીઓની સત્તાની ભૂખે જાહેર સેવાઓને બરબાદ કરી દીધી છે. જ્યારે મેં દિલ્હીના ભૂતપૂર્વ કમિશનર સાથે વાત કરી, તેણે ભારે રોષ સાથે જવાબ આપ્યો કે અગાઉ પાંચ વખત દિલ્હી પોલીસ પર બહારનો અફસર થોપી દેવામાં આવ્યો છે. આ માત્ર હાલની સરકારનું કામ નથી, કૉંગ્રેસની સરકારે પણ એમ જ કર્યું છે, જે આજે તેનો વિરોધ કરી રહી છે, તે પણ એટલી જ જવાબદાર છે.

નોકરીમાં ચાલુ હોઈએ ત્યારે અમારી વરદી અમને સરકાર વિરુદ્ધ બોલવાની છૂટ નથી આપતી. તેવું જ વરદી વગરની જાહેર સેવાઓ માટે પણ છે. બધા આ રીતે નોકરીના નિયમોથી બંધાયેલા છે. આ જવાબદારી કાં તો સામાજિક કર્મશીલોની છે અથવા નિવૃત્ત અધિકારીઓની છે, જે સત્તાના આ બેહૂદા શોષણ સામે અવાજ ઉઠાવે. નિવૃત્તોને હમણાં ધમકી મળી છે, કે તેમનું પેન્શન અટકાવી દેવામાં આવશે અને કર્મશીલોને વિવિધ નિયંત્રણ-એજન્સીઓ દ્વારા દબાવવામાં આવે છે. આજે જે ભારતીય પોલીસ સેવાનું થઈ રહ્યું છે તે કાલે અન્ય સેવાઓનું પણ થવાનું છે. તે ન્યાયતંત્ર અને સશસ્ત્રદળોની વિવિધ પાંખોને પણ થઈ શકે તેમ છે. સત્તા ભૂખ્યા રાજકારણીઓનું વિવિધ જાહેર સેવાઓ પર આ પદ્ધતિસરનું આક્રમણ છે.

તમે માર્ટિન નિમોલરના શબ્દોને ઇતિહાસમાંથી ભૂંસી શકવાના નથીઃ “તેઓ જ્યારે મારી પાસે આવ્યા, તે વખતે મને બચાવવા કોઈ બચ્યું ન હતું, મારી તરફે બોલે એવું કોઈ રહ્યું નહોતું.”

દિલ્હી પોલીસની સંસ્થાને તોડી નાખવા આ ખુલ્લો અને ર્નિલજ્જ પ્રયાસ છે. લોકશાહીમાં દરેક સંસ્થાએ પોતાનો વિશિષ્ટ પાઠ ભજવવાનો હોય છે અને તેનું સંતુલન જાળવવાનું હોય છે. આ બાબતમાં રાજકારણીઓ પોતાની હદ પાર કરી ગયા છે. તેમણે પોલીસના સ્વાતંત્ર્યમાં અને ન્યાયતંત્રની સમજદારીમાં બિનઅધિકૃત પ્રવેશ કર્યો છે. તેમણે હાઈકોર્ટના સ્પષ્ટ દિશાસૂચનનું ઉલ્લંઘન કર્યું છે અને તે નાગરિકોના કલ્યાણ માટે નહીં પણ પોતાની નિષ્ઠુર તાકાતનો પરિચય કરાવવા કર્યું છે. તે માટે મારા મિત્રો, મૌન એ વિકલ્પ નથી.

[અનુવાદ : મુનિ દવે, ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ૩૧ જુલાઈ, ૨૦૨૧]

(લેખક પુણેના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર છે, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ડીજી રહ્યાં છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 13

Loading

પંદરમી ઑગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2021

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની ૭૪મી વર્ષગાંઠ છે અને દેશ આઝાદીની સુવર્ણજયંતી વર્ષમાં પ્રવેશ્યો છે. આવતા વરસે આપણે આઝાદીનાં ૭૫ વરસ પૂરાં કરીશું. આઝાદી સાથે ભારતનું વિભાજન પણ ન ભૂલાય એવી ઘટના છે. એ એક ઘાવ છે જે સતત દુઝતો રહે છે અને તેનો રાજકીય ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે આઝાદીનો ઉત્સવ મનાવતી વખતે આત્મનિરીક્ષણ પણ કરવું જોઈએ કે કેમ આપણે સાથે રહી ન શક્યા? દોષારોપણ બાજુએ રાખીને આત્મપરીક્ષણ કરવું જોઈએ.

આ લેખનો પ્રારંભ જ શંકા સાથે મેં સવાલ સાથે કર્યો છે કે ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ? અંગ્રેજીમાં એને ટ્રાન્સફર ઓફ પાવર કહેવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટે ટ્રાન્સફર ઓફ પાવર થયો હતો કે ફ્રીડમ મળ્યું હતું?

આઝાદી એક પ્રક્રિયા છે અને સત્તાંતરણ એક ઘટના છે. ૧૫મી ઓગસ્ટે આપણને જે આઝાદી મળી એ સત્તાંતરણના સ્વરૂપની એક ઘટના હતી, કહો કે એક પડાવ હતો, પણ આઝાદીની પ્રક્રિયા તો એ પહેલાં પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલવાની. માટે ગાંધીજી કાયમ આઝાદી માટે સ્વરાજ શબ્દ વાપરતા હતા. સ્વ-રાજ. આપણા ઉપર આપણું રાજ. આપણા ઉપર આપણાઓનું રાજ નહીં, આપણા ઉપર આપણું રાજ. આ બે ચીજમાં જમીન આસમાનનો ફરક છે. ઘણાં લોકો એમ માને છે અને જે તે ધારાના રાજકારણીઓ એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આપણા ઉપર આપણાઓનું રાજ હોય એ જ પૂરતું છે અને તેને જ આઝાદી કે સ્વરાજ કહેવાય.

આખી ૨૦મી સદીનાં જગતના રાજકારણ ઉપર નજર કરશો તો જોવા મળશે કે જગત આખામાં આપણા ઉપર આપણાઓનાં રાજના નામે આંદોલનો ચાલ્યાં છે અને આજે પણ એ જ જોવા મળી રહ્યું છે. મૂળમાં એ સત્તાનું રાજકારણ છે. આનો અર્થ એ થયો કે આપણે સત્તાકેન્દ્રી છીએ, સ્વરાજકેન્દ્રી નથી. ભારતને આઝાદી મળી ત્યારે દલિત નેતાઓ દલિતોને સમજાવતા હતા કે આ તો રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો આવવાની બાકી છે. જે આઝાદ થયા છે એ સવર્ણ હિંદુઓ થયા છે, દલિતોએ આઝાદ થવાનું બાકી છે. દલિતોએ બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદથી આઝાદ થવાનું છે અને એ ત્યારે થશે જ્યારે સવર્ણોના હાથમાંથી છીનવી લેવામાં આવશે. દલિત રાજકારણીઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી દલિતોનું રાજ નહીં આવે ત્યાં સુધી સાચી આઝાદી મળવાની નથી. આજે પણ દલિતો આશા રાખીને બેઠા છે કે આપણા ઉપર આપણાઓનું રાજ આવશે ત્યારે આપણને સાચી આઝાદી મળવાની છે.

ભારતને આઝાદી મળી ત્યારે સામ્યવાદીઓ પણ કહેતા હતા કે આ કોઈ સાચી આઝાદી નથી. જે આઝાદી મળી છે એ સહિતોને આઝાદી મળી છે, રહિતોએ અર્થાત્ ભારતનાં કરોડો શોષિતોએ હજુ આઝાદ થવાનું બાકી છે. તેમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ ઉપર સામ્યવાદીઓ રાજ કરશે. સર્વહારાઓએ સમજવું જોઈએ કે તેમના ઉપર તેમનાઓનું રાજ જરૂરી છે. આ જ વાત હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે દેશને જે આઝાદી મળી છે એ સાચી આઝાદી નથી. હિંદુઓએ તો હજુ આઝાદ થવાનું બાકી છે. હિંદુઓને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ પર માત્ર અને માત્ર સાચા હિંદુઓ રાજ કરશે. સાચા હિંદુઓ એટલે હિન્દુત્વવાદીઓ. ટૂંકમાં તેમણે પણ હિંદુઓને કહ્યું હતું કે તમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે તમારા ઉપર તમારાઓ રાજ કરશે. આજે કેટલાક હિંદુઓની છાતી ગજગજ ફૂલે છે કે આપણા ઉપર અને દેશ ઉપર આપણાઓનું રાજ છે.

આખી વીસમી સદીમાં લગભગ સર્વત્ર આજ ચાલ્યું છે અને અત્યારે તો સ્થિતિ સુધરવાની જગ્યાએ વકરી છે. અમેરિકામાં અમેરિકન શ્વેત ખ્રિસ્તીઓને પણ તેમના ઉપર શ્વેત ખ્રિસ્તીઓનું રાજ જોઈએ. આવું જ બીજા દેશોમાં બની રહ્યું છે. સ્વતંત્રતાની સમજ વ્યાપક બનવાની જગ્યાએ કુંઠિત બની રહી છે. સ્વ-રાજની ચેતના વધુ સમૃદ્ધ અને સુક્ષ્મ બનવાની જગ્યાએ છીછરી બની રહી છે.

આવું કેમ બન્યું? બીજા દેશોની વાત જવા દઈએ પણ આપણા બંધારણમાં શક્ય એટલી જોગવાઈ કરવામાં આવી છે કે આપણા ઉપર આપણું રાજ હોય. પ્રત્યેક ભારતીયને સ્વતંત્ર નાગરિક તરીકેની ઓળખ આપી છે, તેના અધિકારો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તેને મૂળભૂત(ફન્ડામેન્ટલ)ની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે, તેના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે, તેને મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના દ્વારા તે કોઈને સત્તા ઉપર બેસાડી શકે છે અને ઊતારી શકે છે અને છતાં તે પોતાના ઉપર પોતાનું રાજ વિકસિત કરવાની જગ્યાએ પોતાના ઉપર પોતાનાઓનું રાજ શોધી રહ્યો છે.

આનું કારણ છે, ભય. સ્વતંત્રતા અને ભય સાથે ન રહી શકે. જ્યાં ભય હોય ત્યાં સ્વતંત્રતા ન હોઈ શકે. ભયભીત માણસ સ્વતંત્ર ન હોઈ શકે. ઉપર કહ્યા એ બધા પ્રકારના રાજકારણીઓ નાગરિકને ડરાવીને તેને જે તે ઓળખ આધારિત સમૂહનો હિસ્સો બનાવે છે અને તેમને કહે છે કે જ્યાં સુધી તમારા ઉપર તમારાઓ રાજ નહીં કરે ત્યાં સુધી તમને સાચી આઝાદી મળવાની નથી. પહેલાં ડરાવીને અને એ પછી ડરમુક્ત કરવાનો વાયદો કરીને રાજકારણીઓ જે તે પ્રજાને નાગરિકમાંથી ઘેટાં બનાવીને વાડામાં પૂરી રહ્યા છે અને ઉપરથી કહે છે કે આ બધું તેઓ સાચી આઝાદી અપાવવા માટે કરી રહ્યા છે.

સાચી આઝાદી. વાડામાં પૂરી રાખવા અને ઉપરથી ડરાવવા એ બધું સાચી આઝાદી માટે! આ બધું વિચિત્ર નથી લાગતું? આજના પવિત્ર દિવસે થોડું ચિંતન કરવું જોઈએ. આપણે કઈ દિશમાં જઈ રહ્યા છીએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2021

Loading

સ્વતંત્રતા અને લોકશાહીઃ તંત્રમાં તણાવ, લોકશાહીમાં બદલાવ અને ‘સ્વ’ સરકારના હાથમાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 August 2021

અંગ્રેજીમાં એક શબ્દ છે જિંગોઇઝમ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં જેટલો ફેર છે એટલો જ ફેર દેશપ્રેમ અને આંધળી દેશભક્તિ વચ્ચે છે

સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેનો ઇતિહાસ, મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે, વળી વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં પણ સ્વતંત્રતાની વ્યાખ્યા બદલાતી રહી છે. પ્રાચીન રોમની વાત કરીએ તો ત્યારે તો લોકશાહી અને સ્વતંત્રતા એટલે કે સામાન્ય નાગરિકનું રાજકીય પ્રક્રિયામાં આગળ પડતું યોગદાન. કોઇ પણ નાગરિક યુદ્ધ અને શાંતિ અંગે પોતાના વિચાર વ્યક્ત કરી શકતો, મહત્ત્વના મુદ્દાઓ પર પોતાનો મત આપી શકતો અને તેને જરૂર લાગે તો જાહેર પ્રવચન પણ આપી શકતો. પરંતુ એક રીતે સ્વતંત્રતા મતાધિકાર સુધી સીમિત હતી કારણ કે અભિવ્યક્તિમાં કશું પણ કઠે તો તેની સામે પગલાં લેવાતા. દાર્શનિક સોક્રેટિસને અદાલતમાં ખડો કરાયો હતો કારણ કે તે એથેન્સની સંસ્કૃતિ તથા શાસકો જે દેવોમાં વિશ્વાસ કરતા તેમની પર સોક્રેટિસને વિશ્વાસ નહોતો. સમયાંતરે અંગત સ્વતંત્રતા અને નાગરિકોએ પસંદ કરેલા લોકો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે તેવી લોકશાહીએ આકાર લીધો. આપણા, એટલે કે નાગરિકોના એવા અધિકારો આવ્યા જેનો ભંગ સરકાર ન કરી શકે – બિનસાંપ્રદાયિકતા તેનું જ એક ઉદાહરણ છે. પરંતુ પછી નાગરિકો ચાહે ત્યારે સંસદ બોલાવી દે એવા પ્રાચીન ખયાલો દૂર થયા.

પ્રાચીન એથેન્સમાં જે રીતે કામ થતું તે આધુનિક સમયમાં શક્ય નથી. વસ્તી વધી છે, ગુલામી નાબૂદ થઇ ગઇ છે, પહેલાંની માફક લોકો પાસે ફાજલ સમય નથી, લોકો અંગત અધિકારો પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકશાહીના અને સ્વતંત્રતાના પ્રાચીન અને આધુનિક સ્વરૂપના ફેરફારને ટૂંકમાં સમજવાનો આપણે પ્રયાસ કર્યો. પરંતુ અંગત સ્વતંત્રતા, રાષ્ટ્રપ્રેમ, લોકશાહી આ બધું જ વિશ્વમાં રાજકીય સત્તાઓના પરિવર્તન સાથે પણ બદલાતું રહ્યું છે. એમાં ય જીવલેણ રોગચાળો, આર્થિક અને શારીરિક અસલામતી અને હિંસક સંઘર્ષોને પગલે લોકશાહીનો બચાવ કરનારાઓને તેમની સરમુખત્યાર શત્રુઓ સામેની લડતમાં ફટકા વેઠવા પડ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોહુકમી બળૂકી બની છે અને સ્વતંત્રતાનું સંતુલન ખોરવાયું છે. ખોટા માર્ગદર્શનને પગલે પેદા થયેલી દેશભક્તિ અને આતંકવાદ વચ્ચેની ભેદરેખા જાણે પાતળી થઇ ગઇ છે.

તમને ગયા વર્ષે અમેરિકન સંસદ પર થયેલો હુમલો યાદ જ હશે! ત્યાં અમેરિકન ધ્વજ લઇને ઊભેલાં ટોળાં હતાં તો ટ્રમ્પના ધ્વજ પણ ત્યાં દેખાઇ રહ્યા હતા. જે રીતે અમેરિકન જમણેરીઓએ ત્યાં પોતાની દેશભક્તિ દર્શાવી હતી તે યોગ્ય છે ખરી? તેઓ જે ખ્રિસ્તી ધર્મ અને સંસ્કૃતિ વગેરેને આગળ ધરતા હોય છે તેના માનને હાનિ ન પહોંચે તે માટે તેમણે શું કર્યું? કાયદો અને વ્યવસ્થા તો એ લોકો જ જાળવી શકે છે એમ કહેનારા આ રાષ્ટ્ર’વાદી’ઓએ માત્ર નુકસાન કર્યું, રમખાણો કર્યાં, અરાજકતા ફેલાવી, હિંસા આચરી. આ કેવી દેશભક્તિ? પાછા ટ્રમ્પે તેમના વખાણ પણ કરેલા. આવું જ કંઇક જો ‘બ્લેક લાઇવઝ મેટર’નો મુદ્દો ઉઠાડનારાએ કર્યું હોત, જે તેમના પોતાના અધિકારો માટે હોત તો તેમને જૂદા જ પ્રકારનો ધિક્કાર મળ્યો હોત.  જો કે જે ટોળાએ દેકારો મચાવ્યો અને નુકસાન કર્યું તે ૮૦-૧૦૦ જણા સિવાયના લોકો પણ હતા જે ટ્રમ્પના ટેકેદાર હોવા છતાં પણ શાંતિથી પોતાના વિચારો વ્યક્ત કરવા ધારતા હતા, તેમને કેપિટલ હિલમાં ઘુસી જઇને તોડફોડ કરવામાં રસ નહોતો. જેમણે તોડફોડ કરી તેઓ પોતાની જાતને દેશભક્ત અને દેશપ્રેમી ગણાવતા હતા પણ શું તેમણે જે કર્યું તેમાં એવું કશું ય દેખાયું? યુ.એસ.એ.માં પણ રેફ્યુજીઝના પ્રશ્નો છે. ભારતની જેમ યુ.એસ.એ. પણ ઉદારવાદી લોકશાહીના મૂળભૂત વિચારોથી બીજા રસ્તે ભટકેલું રાષ્ટ્ર છે.

યુકેમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ ઉપરાંત આયરલેન્ડના કેટલાક હિસ્સાઓનો સમાવેશ થાય છે. અહીં લોકશાહીમાં સ્થિરતા છે. સરકારે રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર ભાર મૂક્યો છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારે નાગરિકો પર વધુ નજર રાખવાનું શરૂ કર્યુ છે, અહીં ઇસ્લામોફોબિયા અને એન્ટિ-ઇમિગ્રન્ટ સેન્ટિમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. ત્યાં અમૂક હિસ્સોમાં એબોર્શન અને સજાતીય લગ્નો પર પર્તિબંધ રહ્યો છે જે પણ થોડા સમય પહેલા દૂર કરાયો છે.

ચીનના સામ્યવાદમાં સરમુખત્યારશાહીનો જ ચહેરો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સત્તાધીશોનાં દબાણ, મર્યાદાઓ, નિયમો વધતા રહ્યા છે. રાષ્ટ્રની બ્યુરોક્રસી ફરતે સત્તાધીશોનો ગાળિયો વધુ સખત કરાઇ રહ્યો છે. ચાઇનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને મીડિયા, ધાર્મિક જૂથ, યુનિવર્સિટીઝ, વ્યવસાયો, સિવીલ સોસાયટી સાથે જોડાયેલા લોકો તમામ પર નિયંત્રણ કરવું છે અને તેઓ તેમ જ કરી રહ્યા છે. ચીનમાં વસનારાઓ માટે સ્વતંત્રતાનો આઇડિયા શું હોઇ શકે? તેમને આ બધાં બંધનોની સામે વિકસિત દેશ હોવાની હોંશ મનમાં રાખી માળખાકીય સવલતોની વાહવાહીમાં જીવવાનું માફક આવતું હશે? ત્યાં રાજકીય સ્પર્ધાની પરવાનગી નથી, કોઇ બીજો પક્ષ મોટો થવા જ નથી દેવાતો. ચીનના રાજકીય તંત્રમાં આઠ નાની બિનસામ્યવાદી પાર્ટીઓને થોડોઘણો ભાગ ભજવવાનો મોકો મળે છે. લોકશાહીની તરફેણ કરનારા નાગરિકોને આકરી સજા ફટકારાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને ચીનમાં કોઇ સ્થાન નથી કારણ કે ત્યાં મીડિયા પર અઢળક મર્યાદાઓ લાદી દેવાયેલી છે. મીડિયા સેન્સરશીપરને પગલે ઘણાં અગ્રણી ન્યૂઝ પોર્ટલ્સ ત્યાં વર્ષોથી બ્લોક છે. આ ચીનની ઝલક છે તો બીજી તરફ રશિયામાં વ્લાદિમીર પુતિનની સરમુખત્યાશાહી ચાલે છે. મોસ્કોના ક્રેમલિનમાંથી ચૂંટણીના પરિણામો મેનેજ થઇ જાય છે. મીડિયા પર નિયંત્રણ છે, સૈન્ય અમુક જ તરફનો ઝૂકાવ ધરાવતું છે, ન્યાયતંત્ર પણ સરકારના તાબામાં જ છે, ત્યાં એલ.જી.બી.ટી.ક્યૂ. કોમ્યુનિટીને ટાર્ગેટ કરાય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારોને ધમકીઓ મળ્યા કરે છે અને ભ્રષ્ટાચારનો કોઇ પાર નથી.

સ્વતંત્રતા અને લોકશાહીને મામલે આપણે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રાષ્ટ્ર તરીકે ક્યાં ખડા છીએ તેનો વિચાર કરવો જરૂરી છે. હિંદુ રાષ્ટ્રવાદને પોષતી સરકારને કારણે વૈશ્વિક સ્તરે સ્વતંત્રતાને મામલે ભારતનું સ્થાન નીચું આવ્યું છે. પત્રકારો પર થતા હુમલા, ધ્રુવીકરણ, ભેદભાવ ભરી નીતિઓ આપણા વર્તમાનની વાસ્તવિકતાઓ છે. આપણે બીજા દેશોની વિગતવાર વાત કરી કારણ કે આપણે વિચારતા થઇએ કે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ. લોકશાહી હોવા છતાં ય એક જ જણના મન પ્રમાણે દેશ ચાલેની સ્થિતિ આપણે જોઇ રહ્યા છીએ. લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે, જેને સમજાય છે તે વેઠે છે, વિચારે છે. જેને નથી કળાતું તેઓ વાહવાહીમાં વ્યસ્ત છે. બીજા રાષ્ટ્રો કરતાં આપણે ત્યાં સંજોગો વિકટ બની શકે છે કારણ કે આપણે વિવિધતામાં એકતા વાળો દેશ છીએ પણ એકતા ઓછી થઇ રહી છે અને નાના મુદ્દે અરાજકતા ફેલાઇ જાય છે. ‘વાદ’ એ પ્રેમથી અલગ લાગણી છે તે આપણે સમજવું રહ્યું. વિશ્વમાં કોઇ પણ રાષ્ટ્રમાં પૉપ્યુલિસ્ટ લીડરશીપથી નાગરિકોને ફાયદો નથી થયો.

બાય ધી વેઃ.

ફ્રિડમ હાઉસ ઓ.આર.જી.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક સ્વતંત્રતાનો પારો નીચે આવ્યો છે. એક સમયે ભારતને મજબૂત લોકશાહી દેશ તરીકે જોતાં યુ.એસ. અને તેના એલાઇઝની દ્રષ્ટિ બદલાઇ છે. નાગરિકોના રજિસ્ટરમાં ન નોંધાયેલા લોકો, કાશ્મીર મુદ્દો,  સિટીઝન શીપ એમેન્ડમેન્ટ લૉ જેવા પ્રશ્નોએ આઝાદ ભારતની આઝાદી પર સવાલ ખડા કર્યા છે અને બિનસાંપ્રદાયિક ઓળખને ઝાંખી કરી છે. અંગ્રેજીમાં એક શબ્દ છે જિંગોઇઝમ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં જેટલો ફેર છે એટલો જ ફેર દેશપ્રેમ અને આંધળી દેશભક્તિ વચ્ચે છે.  વળી આ આંધળી ભક્તિના પરચા લોકશાહી રાષ્ટ્રોમાં જ જોવા મળે છે. વિશ્વની કોઇ પણ લોકશાહી સત્તામાં નૈતિક સડો પેસી જશે તો બધું અંદરથી ખોખલું થઇ જશે.

બીજું બાય ધી વે, સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  15 ઑગસ્ટ 2021

Loading

...102030...1,9011,9021,9031,904...1,9101,9201,930...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved