Opinion Magazine
Number of visits: 9963662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વાત છે ૧૯૪૨ના કૉન્ગ્રેસ રેડિયોની અને તેની પાછળ રહેલી બાવીસ વરસની છોકરીની દેશદાઝની

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2021

૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.

આ પ્રકરણની પ્રમાણભૂત, દસ્તાવેજી વિગતો, ફોટા, માહિતી વગેરેને પહેલી વાર રજૂ કરતું અંગ્રેજી પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. Congress Radio : Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું આ પુસ્તક લખ્યું છે વિદૂષી ઉષાબહેન ઠક્કરે. એમની એક ઓળખાણ ડો. ઉષા મહેતાનાં વિદ્યાર્થી તરીકેની. બીજી ઓળખાણ મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં માનદ્દ નિયામક તરીકેની. અગાઉ મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં. ગાંધીજીના રંગે પૂરાં રંગાયેલાં, પણ ચોખલિયા ગાંધીવાદી નહિ. મન અને વિચારો બંધિયાર નહિ, મુક્ત. પણ મક્કમ.

ડો. ઉષાબહેન ઠક્કર                                                 ડો. ઉષાબહેન મહેતા

આ વિષય પર પુસ્તક લખવાનું કેમ સૂઝ્યું એવા સવાલના જવાબમાં ઉષાબહેન ઠક્કર કહે છે કે આપણી આઝાદી માટેની લડતનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે, પણ તેને અંગે લખાયું છે બહુ ઓછું. એનું એક કારણ એ કે આ પ્રકરણનાં નાયિકા ડો. ઉષાબહેન મહેતા સ્વભાવે જાતને ભૂંસી નાખનારાં. બીજું કોઈ વાત કાઢે તો પણ હસીને કહે કે ‘એમાં કોઈ મોટું કામ મેં ક્યાં કરેલું? મને આવડ્યું એ રીતે મેં તો મારી ફરજ બજાવેલી.’ એટલે આ રેડિયો સ્ટેશન વિષે પુસ્તક લખવા માટે અનેક જગ્યાએ ખાંખાખોળાં કરવાં પડે. લેખિકાએ એ કર્યાં. જે માહિતી મળી એને એકઠી કરી, ચકાસી. મળ્યા તેટલા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા. જે કથા ઉઘડતી ગઈ તેમાં સાહસ હતું, ભેદભરમ હતો, પોલીસ સાથેની સંતાકૂકડી હતી. દેશદાઝ હતી, સર ફરોસી કી તમન્ના હતી. અને આ પુસ્તકનાં લેખિકાએ એ વાતને રજૂ પણ એવી જ રીતે કરી છે. સાચને આંચ ન આવે એ રીતે વાતને રોચક બનાવીને રજૂ કરી છે.

આ રેડિયો પ્રસારણ ક્યાંથી થાય છે એ જાણવા બ્રિટિશ સરકારે ઘણા ધમપછાડા મારેલા. પણ થોડે થોડે દિવસે ઉષાબહેન મહેતા અને સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં. એટલે સરકારને માહિતી મળે અને પોલીસ ત્યાં જાય ત્યાં સુધીમાં તો ટ્રાન્સમિટર બીજે ખસેડાઈ ગયું હોય! પણ છેવટે કૉન્ગ્રેસ રેડિયો માટે કામ કરતો એક ટેકનીશિયન જ ફૂટી ગયો. તે જાતે પોલીસને રેડિયો સ્ટેશન પર લઈ આવ્યો. સાંજનો કાર્યક્રમ શરૂ થવામાં હતો અને ઉષાબહેન મહેતા અને કેટલાંક સાથીઓ પકડાઈ ગયાં.

અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.

ઉષાબહેન ઠક્કરે અગાઉ Gandhi in Bombay : Towards Swaraj નામના પુસ્તકમાં ગાંધીજી અને મુંબઈ શહેર વચ્ચેના સંબંધને પણ ઝીણવટપૂર્વક તપાસીને એ વિષયનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ગાંધી અને મુંબઈ : સ્વરાજ્યના પંથે’ નામથી પ્રગટ થયો છે. આ ઉપરાંત તેમનાં બીજાં સાતેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે, જેમાંનાં કેટલાંક તેમણે અન્યોની સાથે મળીને લખ્યાં છે.

આજે જ્યારે આપણો દેશ આઝાદીના ૭૫મા વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ પુસ્તક એક અનોખા સ્વાતંત્ર્ય સેનાનીની સાચી ઓળખ કરાવીને તેમના કાર્યનો સાંગોપાંગ પરિચય કરાવે છે. પેન્ગ્વિન જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાએ આ પુસ્તક પ્રગટ કર્યું છે.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

ટોસ્ટ બળેલો છે

રમેશ કોઠારી|Opinion - Opinion|14 August 2021

ઓશોએ એક મઝાનું દષ્ટાંત આપ્યું છે. પોતાનો પુત્ર, મોટો થયા બાદ પણ વાચાહીન રહેવાને કારણે તે માતા અત્યંત ચિંતિત હતી. એક દિવસ તે બોલી ઊઠયો, ‘મમ્મી, ટોસ્ટ બળેલો છે.’ સ્વાભાવિક રીતે જ માતાના હરખ અને વિસ્મયનો પાર ન રહ્યો. તેણે પૂછયું, ‘આટલું બોલવામાં તે આટલી વાર કેમ લગાડી ?’  પુત્રે જવાબ આપ્યો, ‘મમ્મી’, અત્યાર સુધી બધું બરાબર હતું તો હું નાહક શા માટે બોલું ? આજે ટોસ્ટ દાઝી ગયો હતો માટે મારે મૌનભંગ કરવો પડ્યો.’

તો મિત્રો, વાત આટલી જ છે. બધું સમુસૂતરું ચાલતું હોય, જીવનના કોઈ ક્ષેત્રમાં કશું કહેવાપણું ન હોય, વર્તમાનપત્રોમાં લાખોકરોડોનાં કૌભાંડોનાં કૌભાંડો વિશે વાંચવા ન મળતું હોય, પ્રજાને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવી ન હોય, કરોડોમાં આળોટતા આપણા સેવકો પાસે આટલી સંપત્તિ  કોઇ દેખીતા કામધંધા વિના કેવી રીતે આવી તેની જાણ ન થાય, ત્યારે લાંબા સમયથી મૂક પેલા બાળકની જેમ નાગરિકોએ પણ મક્કમપણે બોલવું રહ્યું. ચૂપ રહી પાપના ભાગીદાર બનાય નહીં.

વચ્ચે સચ્ચિદાનંદન સંપાદિત ‘Words Matter’ પુસ્તક વાંચવામાં આવ્યું. જેમાં આપણા અત્યંત સંવેદનશીલ બુદ્ધિજીવીઓ – માર્કંડેય કાત્જુ, એમ.એમ. કલબુર્ગી, પંકજ મિશ્રા, નયનતારા સેહગલ વ.એ કશી દિલચોરી કર્યા વિના શાસકોના કાન આમળ્યા છે, તેમને તેમનો ધર્મ સમજાવ્યો છે. આ પુસ્તકમાં શરૂઆતમાં જ Czeslaw Miloszની પંકિતઓ ટાંકી છે :

You who have wronged the simple man
Bursting into laughter at his suffering.
Do not feel safe. The poet remembers.

કવિઓ- સર્જકો માટે તો શબ્દો એ જ તેમનાં શસ્ત્રો. સલિલ ત્રિપાઠી સહિષ્ણુતાનો મહિમા સમજાવે છે. પણ એમ.એમ. બશીર જેવા અભ્યાસી વાલ્મીકિ રામાયણ વિશે લખે તે સાંખી શકતાં નથી.આપણે ત્યાં તો લોકોની લાગણી ઝટ દુભાઈ જાય છે અમુક તત્ત્વો અને એમને મનાવ્યે જ છૂટકો. કલાની જેને કોઈ ગતાગમ નથી તે કૉન્સ્ટેબલ, પ્રદર્શિત કૃતિને દૂર કરવાનું જણાવે, કારણ ? ગાયને અધચ્ચે લટકતી બતાવવામાં આવી હતી. બિચારો કલાકાર તો ગાયની દયનીય હાલત તરફ ધ્યાન દોરવા માંગતો હતો. આપણે ગાયને એંઠવાડ ખવડાવીએ, એના પેટમાં કેટલું પ્લાસ્ટિક જાય છે એની ચિંતા ન કરીએ; પણ કોઈ એના વિશે ચિત્ર દોરે તો વિરોધ કરવામાં પાછા ન પડીએ.

ગમે તે પક્ષની સરકાર હોય – સર્જકો હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા છે. કૉઁગ્રેસ શાસનવેળા કટોકટીનો જોરશોરથી વિરોધ થયો જ હતો. ઘણાંએ પોતાને પોંખવામાં આવ્યાં હતાં તે  સન્માન ખુમારીપૂર્વક પરત કર્યાં હતાં. આજે તો કોઈ સૂઝ વિનાના રાજકારણીઓ બેફાન નિવેદનબાજી કરી રહ્યા છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, એમને શબ્દોનું પાવિત્ર્ય અને માહાત્મય કોણ સમજાવે?

અશોક યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દા પર આસીન પ્રતાપ ભાનુ મહેતા જેવા વીરલા કોઈ ન મળે જેમને શાસકોની ખફગી વહોરવી પડે તે પહેલાં, અંતરાત્માના અવાજને અનુસરવાનું પસંદ કર્યું.

અત્યારે  nameless fearનું વાતાવરણ જોવા મળે છે. ટોસ્ટ સંપૂર્ણપણે બળેલો છે  એમ કહીએ તો પણ ચાલે. ત્યારે વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરવા સંવેદનશીલ નાગરિકો, સર્જકોએ બોલવું રહ્યું. અસહિષ્ણુતા, કોમવાદ, શોષણ જેવાં અનિષ્ટોએ ભરડો લીધો છે, એક મહાન ‘ઍબ્સર્ડ’ નાટક ભજવાઈ રહ્યું છે, ખુશામતખોરો કોઈ જાતની લાયકાત વિના ઉચ્ચ હોદાઓ પર ગોઠવાઈ ગયા છે, તો કોઈ તો કહો, આ ‘ટોસ્ટ હવે ખાવા જેવો રહ્યો નથી’. શાસકોને રામ કે કૃષ્ણ સાથે સરખાવવામાં આવે ત્યારે કરોડોની જનસંખ્યા ધરાવતા દેશોમાં કોઇના પેટનું પાણી પણ કેમ નથી હાલતું?!

બિચારા સામાન્ય નાગરિકોને તો ચૂંટણી વેળા જ યાદ કરવામાં આવે છે. પણ કોઇ દુષ્યંતકુમાર, કોઇ ધૂમિલ બધું જુએ છે, બધુ યાદ રાખે છે – તે મોટું આશ્વાસન છે. આપણે ત્યાં કયારેક સરદાર પટેલ જેવા ગૃહમંત્રી હતા  જેમણે હોદ્દાનો કોઇ ગેરલાભ લીધો ન હતો, કોઇને લેવા દીધો નહતો. જયપ્રકાશ નારાયણ હતા જેમને રાષ્ટ્રપતિપદ કે  વડાપ્રધાન પદ આકર્ષી શકયા નહોતા, ઇંદિરા ગાંધીએ જેલમાં ધકેલ્યા છતાં એમને મન તો પુત્રીવત્‌ રહ્યા હતાં. ‘હિસાબ પતાવવાના દિવસો’ દૂર હતા.

અંગત રીતે, મારા જેવા ઘણાને જે.પી.ની ગેરહાજરી સાલવાની, જેમનામાં ‘ટોસ્ટ બળી ગયો છે’ કહેવાની નૈતિક હિંમત હતી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 02

Loading

વિસરાયેલી વિમુક્તિ

ગણેશ દેવી|Opinion - Opinion|14 August 2021

ઇતિહાસની તમામ મહત્ત્વપૂર્ણ ક્ષણો મૌનમાં આરંભાય છે અને અંતે મૌનમાં સમાઈ જાય છે. ઑગસ્ટ ૨૦૨૧નો મહિનો એવી ઘણી ચુપકીદીઓ વિશે – અને એક સદી પહેલાંની, ૧૯૨૦-૨૧ની એવી અનેક મહત્ત્વપૂર્ણ ક્ષણો જેણે આજનું ભારત ઘડ્યું તેના વિશે – વિચાર કરવાની ફરજ પાડે છે. ભારતના ઇતિહાસના એ સમયગાળામાં અનેક ઘટનાઓએ આકાર લીધો – એવી ઘટનાઓ જેણે ઈતિહાસમાં અમીટ છાપ છોડી અને એવી ઘટનાઓ પણ જેનું આજે ભારે મહત્ત્વ છે. ઑગસ્ટ ૧૯૨૦નો મોપલા બળવો આજે પણ ભૂલી ના શકાય. રાષ્ટ્ર હજુ પણ વૈવિધ્યપૂર્ણ સમાજના વિચારને પૂરેપૂરો અપનાવી શક્યો નથી. તે જ વરસે જમશેદપુરમાં તાતા સ્ટીલ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે ભારતમાં ઔદ્યોગિકી શહેરીકરણની શરૂઆત થઈ. પોલાદ તો આધુનિકતાની સંસ્કૃતિની કરોડરજ્જુ છે. ૧૯૨૧માં કોહિનૂર ફિલ્મ્સ કંપનીના નિર્માણ હેઠળની કાનજીભાઈ રાઠોડની ફિલ્મ ‘ભક્ત વિદુર’ પર પ્રતિબંધ મુકાયો તે પણ નોંધપાત્ર યાદગીરી છે, અને વ્હી. શાંતારામે બાબુરાવ પેન્ટરની ફિલ્મ ‘સુરેખા હરણ’માં અગ્ર અભિનેતા તરીકે કારકિર્દી આરંભી તે પણ. ભારત નામની એક સામૂહિકતાની રાષ્ટ્ર નામની એક અભિલાષાનો ઇતિહાસ આલેખવામાં આ કચકડાનાં સપનાંની કોઈ જોડ નથી. આ બે મૂક ચલચિત્રોએ – શબ્દશઃ ચુપકીદી સાથે – એ અભિલાષાની ખેંચતાણ માંડી, જે દેશને એક જ સમયે પાછળ મિથકોના યુગમાં અને આગળ આધુનિકતાના યુગમાં લઈ ગઈ.

પરંતુ, ૧૯૨૦-૨૧ની એ દુનિયા ભારત બહાર જોઈએ તો ૧૯૧૪-૧૯૧૮ના વિશ્વયુદ્ધ પછી ભયાવહ રીતે બદલાઈ ચૂકી હતી અને ભારતની અંદર જોઈએ તો અશાંતિ વધી રહી હતી, તે અરસામાં ઘણી વધારે નોંધપાત્ર ઘટના હતી ડો. ભીમરાવ આમ્બેડકરના સાપ્તાહિક ‘મૂકનાયક’નું આગમન. અગ્રણી દૈનિકો દલિતોનાં લખાણ પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતાં, એટલે કોલ્હાપુરના પ્રગતિવાદી રાજકુમાર શાહુની આર્થિક સહાયથી ‘વૈકલ્પિક મીડિયા’ તરીકે મૂકનાયક શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો એ પ્રકાશન લાંબો સમય ના ચાલી શક્યું, પણ હાંશિયે મુકાયેલાઓની અધિકાર માટેની લડતની શરૂઆતનું તે ચિહ્ન બન્યું.

બીજી પણ ત્રણ નિઃશબ્દ શરૂઆતો થઈ જેની સંયુક્ત અસર જોતાં તેનો ઉલ્લેખ કરવો ઘટે. ‘આશ્રમ’ એટલે પરિવર્તન માટેનું સ્થાન એવો પ્રાચીન વિચાર એ ત્રણેયે અપનાવ્યો. આ ત્રણ પ્રારંભોના કર્તા વેદકાળના ઋષિમુનિઓની યાદ અપાવે તેવા હતા, અને સૌ તેમને ગુરુદેવ, મહાત્મા અને મહર્ષિ તરીકે ઓળખતા થયા. ૧૯૨૦-૨૧નો ગાળો એ ત્રણેય વ્યક્તિઓ માટે આમૂલ પરિવર્તનનો સમય હતો. રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧-૧૯૪૧), મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અને અરવિંદ ઘોષ (૧૮૭૨-૧૯૫૦) – એ ત્રણેમાં અરવિંદ ઉંમરમાં સૌથી નાના હતા. આઝાદીથી બરાબર ૭૫ વરસ પહેલાં ૧૫મી ઑગસ્ટે તેમનો જન્મ થયો હતો, અને બંગભંગ પછીનાં વરસોમાં અંગ્રેજ શાસનનો વિરોધ કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશદ્રોહના ગુના હેઠળ તેમને એક વરસની કારાવાસની સજા થઈ હતી, પછી તેમણે તેમની શક્તિઓ ‘ઈશ્વર’ વિશેના રૂઢિવાદી વિચારને પડકારવાના હેતુ સાથે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના પુનરાધ્યયન કરવા તરફ વાળી. પુડુચેરી સ્થાયી થઈને તેમણે પરંપરાનાં નવાં અર્થઘટનો સર્જ્‌યાં, આ વિષય પરની દરેક નિષ્ણાત-સત્તાને પડકારી, અને અનન્ય ઊર્જા સાથે શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્યનું સર્જન કર્યું. તેમના નિબંધો પહેલાં તેમના સામયિક ‘આર્ય’માં પ્રસિદ્ધ થયા અને પછી પુસ્તકાકારે એકઠા થયા – ધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેઝ ઓન ગીતા, ધ સિક્રેટ્‌સ ઓફ વેદ, હાઈમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ રનેસોંસ ઓફ ઈન્ડિયા, ધ હ્યુમન સાયકલ અને ફ્યુટર પોએટ્રી. દાર્શનિક અધ્યયન તરીકે આ લખાણો અનુપમ રહેશે. ૧૯૨૦માં શ્રી અરવિંદે આર્યનું પ્રકાશન બંધ કરવાનો ર્નિણય કર્યો અને તમામ પ્રકારનું લખાણકાર્ય લગભગ અટકાવી દીધું, કારણ કે તેઓ તેમની બધી શક્તિઓ તેમના ગહન આધ્યાત્મિક મહાકાવ્ય, સાવિત્રી, માટે આપવાના હતા. તે પછીના ત્રણ દાયકા તેમણે પોતાની યૌગિક શક્તિઓ દ્વારા વિશ્વમાં ચેતનાનું સ્તર ઊંચું લઈ જઈને માનવજાતમાં પરિવર્તન આણવા માટે આપી દીધા. એ સ્વપ્ન સાકાર કરવા માટે આવશ્યક હતી સામૂહિક સાધના, જે માટે પુડુચેરીમાં તેમણે આશ્રમ સ્થાપ્યો.

ત્રણમાંથી સૌથી પહેલાં જન્મેલા, અને ૧૯૨૧માં તો નોબેલ પારિતોષિક સાથે વિશ્વભરમાં ખ્યાતિ પણ પ્રાપ્ત કરી ચૂકેલા રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૨૧માં વિશ્વભારતીનું ઉદ્‌ઘાટન કર્યું. શિક્ષણ અને સર્જનાત્મકતા માટેની આ તદ્દન નવા જ પ્રકારની સંસ્થામાં તેઓ વિશ્વમાનવનું સર્જન કરવા માગતા હતા, એવા માનવ જે સંપૂર્ણ માનવજાતનું જતન કરે. મહર્ષિ અરવિંદની જેમ ગુરુદેવ ટાગોરે પણ જે યજ્ઞ આરંભેલો તે એક જૂથ-સમુદાય કે એક રાષ્ટ્ર માટે નહિ પણ સમગ્ર વિશ્વના હિત માટે હતો. પુડુચેરી અને શાંતિનિકેતનના આશ્રમ નવા વિશ્વ માટેના નવા વિચાર ઘડવાની પ્રયોગશાળા જેવા હતા.

ગાંધીને જે આત્મ-પરિવર્તનની એષણા હતી તે આ બંને પ્રયોગો કરતાં પણ વધુ મૂળગામી હતી. ગાંધીની જૂન ૧૯૨૧ની તસવીરો અને સપ્ટેમ્બર ૧૯૨૧ની તસવીરો સરખાવીએ તો મોટો તફાવત જોવા મળે છે. જૂનમાં તેમણે કાઠિયાવાડી પોષાક પહેર્યો છે, પણ સપ્ટેમ્બરમાં તેમણે લંગોટી પહેરી છે, માથું મુંડાવેલું છે અને ટોપી પહેરી નથી. આ પહેલાં ઑગસ્ટ ૧૯૨૦માં ટિળકના અવસાન સાથે લાલ-બાલ-પાલનો એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક અને બિપિન ચન્દ્ર પાલનો યુગ આથમી ગયો હતો. એ શૂન્યાવકાશમાં ગાંધી જાણે કે ઝંઝાવાતની જેમ આવ્યા, ભારતના ખૂણેખૂણાના પ્રવાસ કર્યા, કૉન્ગ્રેસનાં વિવિધ જૂથોને એકઠા કર્યા, યુવાનોને સેવાદળ સ્થાપવાની પ્રેરણા આપી અને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં જોતર્યા. ઑક્ટોબર ૧૯૨૦માં તેમણે ર્નિભયી સમાજસેવીઓ તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ડિસેમ્બર ૧૯૨૧માં કલકત્તા અધિવેશનમાં તેમણે કૉન્ગ્રેસનું સુકાન સંભાળ્યું.

એ પછી જે બન્યું તેમાં તો ઇતિહાસ રચાયો. ભારતમાં ગાંધીના આશ્રમજીવનનાં આ શરૂઆતનાં વરસો હતાં. પહેલાં તેમણે કોચરબમાં આશ્રમ સ્થાપેલો, પછીથી સાબરમતીના તીરે, શહેરથી થોડે બહાર નવો આશ્રમ સ્થાપ્યો. મૂળ નામકરણ થયેલું સત્યાગ્રહ આશ્રમ, પણ નદીના નામે તે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો થયો. એક દાયકા પછી દાંડીકૂચ વખતે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખવાની જે શક્તિ ગાંધીમાં હતી તે આ આશ્રમના વાતાવરણમાં, તેના સિદ્ધાન્તોમાં અને તેની સાદગીમાં ઘડાયેલી.

આ ત્રણ આશ્રમોએ આપણો ઇતિહાસ સર્જ્‌યો છે, ચાહે આપણે એ યાદ રાખીએ કે પછી ભૂલવાનું પસંદ કરીએ.

૨૦૨૧માં સાબરમતી આશ્રમ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેને વિશ્વ કક્ષાનું પ્રવાસી ધામ બનાવવાનું આયોજન થયું છે. તે હેતુસર સરકારે રૂ. ૧,૨૦૦ કરોડ ફાળવ્યા છે. જે સ્થપતિને દિલ્હીની ચર્ચાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સોંપવામાં આવી છે, તેમને જ આશ્રમ પરિસરને આધુનિક બનાવવાની જવાબદારી સોંપાઈ છે. ગાંધી માટે સાદગીના સદ્‌ગુણનું મહત્ત્વ જરા ય ઓછું અંકાય એવું નહોતું. તેમણે એ જ સાદગીથી આ આશ્રમ ઊભો કર્યો. એ સાદગીના આધારે જ આ જગ્યા વિશ્વ કક્ષાની હતી અને આજે પણ છે. ત્યાં વી.આઈ.પી. ગેસ્ટહાઉસ અને સભાગૃહ ઊભાં કરાતાં ગાંધી ભુલાઈ જશે.

બધી રીતે જોતાં એમ લાગે છે કે સાબરમતી આશ્રમને નવો ઓપ આપવાનો હેતુ વિસ્મૃતિ પેદા કરવાનો છે, નહિ કે ગાંધીના વિચાર અને હિંમતને યાદ રાખવાનો. જે શાસન તેમના દુષ્પ્રચારનાં કારખાનાં મારફતે સતત આપણને આપણી આઝાદીની ચળવળ ભુલવાડવા મથે છે, ટાગોરે જેની વાત કરી તે મનની મુક્તિ અને શ્રી અરવિંદને જેનું દર્શન હતું તે આત્માની મુક્તિ ભુલાવવા મથે છે, તે શાસન પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી પણ ન શકાય.                                     

અનુવાદ : આશિષ મહેતા

ગણેશ દેવી સાહિત્ય વિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે. (સૌજન્યઃ ‘ધ ટેલિગ્રાફ’)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

...102030...1,9031,9041,9051,906...1,9101,9201,930...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved