Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—97

દીપક મહેતા|Opinion - Opinion|29 May 2021

કંપની સરકારના વહીવટ અને ન્યાયતંત્રનું એક કાળું પ્રકરણ

રામા કામઠને છળકપટથી ઠરાવ્યા ‘દેશદ્રોહી’ અને કરી જનમટીપની સજા

૧૭૧૮, ડિસેમ્બર પચ્ચીસને રવિવાર. મુંબઈના કોટ વિસ્તારમાં આજે અનેરા આનંદનો અવસર હતો. ક્રિસમસના તહેવારનો દિવસ હતો એ તો ખરું જ. પણ આ દિવસ અનેરો હતો. વહેલી સવારે રસ્તાઓ ધોવાઈને સાફ થઈ ગયા હતા. રહેવાસીઓએ, દુકાનદારોએ, અને સરકારે પણ રસ્તા શણગાર્યા હતા. કારણ? કારણ આજે બોમ્બે ગ્રીન્સ પર સેન્ટ થોમસ કેથીડ્રલનું ઉદ્ઘાટન થવાનું હતું. મુંબઈનું આ પહેલવહેલું એન્ગ્લિકન ચર્ચ. ઉદ્ઘાટનનો સમય નજીક આવતો ગયો તેમ મહેમાનો આવવા લાગ્યા. કોઈ ઘોડા ગાડીમાં, તો કોઈ પાલખીમાં. ઉદ્ઘાટનનો સમય થવા આવ્યો ત્યાં જ ગવર્નર ચાર્લ્સ બૂનની ચાર ઘોડા જોડેલી ગાડી આવતી દેખાઈ. મહેમાનોએ ઊભા થઈને ગવર્નરને માન આપ્યું. એ બધા જ મહેમાનો અંગ્રેજો હતા, માત્ર એક સિવાય. એ અપવાદરૂપ ‘દેશી’ મહેમાન તે રામા કામઠ.

સેન્ટ થોમસ કેથીડ્રલ

અ રામા કામઠ હતા કોણ? ૧૬૫૦થી ૧૭૨૮ સુધી મુંબઈમાં રહેલા એક અગ્રણી વેપારી, દાનવીર, કંપની સરકારના મજબૂત ટેકેદાર. કેટલાંક અંગ્રેજી પુસ્તકો તેમનું નામ રામા કામાઠી આપે છે અને તેઓ હલકી ગણાતી જાતિના હતા તેમ કહે છે. પણ હકીકતમાં તેઓ ગૌડ સારસ્વત બ્રાહ્મણ હતા. અંગ્રેજોના લશ્કરની દેશી સૈનિકોની ટુકડીના વડા હતા. તો સાથોસાથ મરાઠા રાજવીઓ સાથે પણ ઊઠબેસ ખરી. વિક્ટોરિયા ટર્મિનસથી માંડ બે-ત્રણ મિનિટ દૂર, બઝારગેટ સ્ટ્રીટને નાકે તેમણે બંધાવેલું શ્રી વેંકટરમણ અને શ્રી કૃષ્ણ શામળિયા લાલજીનું મંદિર આજે પણ ઊભું છે. શ્રી લક્ષ્મણ પ્રભુએ ૧૧૨૭માં વાલકેશ્વરનું મંદિર બંધાવેલું, પણ પછી વિધર્મીઓએ તેનો નાશ કરેલો. રામા કામઠે પોતાના ખર્ચે ૧૭૧૫માં આ મંદિર ફરીથી બંધાવેલું. ૧૬૯૦માં સુરતના વડા મથકે મુંબઈ સરકારને લખેલા એક પત્રમાં રામા કામઠને કુશળ વેપારી, અને રાજ્યના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે ઓળખાવ્યા હતા. તેઓ ખૂબ જ પ્રામાણિક છે, કંપની સરકારને વફાદાર છે, અને મરાઠાઓ સાથેની બધી લડાઈઓમાં કંપની સરકારને પક્ષે રહ્યા છે એમ પણ જણાવેલું. 

બઝારગેટ સ્ટ્રીટ પર રામા કામઠે બંધાવેલું મંદિર

પણ કહેવત છે ને કે ‘રાજા, વાજા, ને વાંદરા’. ત્રણેનો ભરોસો કરાય નહિ. રાજાનો માનીતો રાતોરાત અણમાનીતો થઈ જાય અને અણમાનીતો ચપટી વગાડતામાં માનીતો થઈ જાય. ત્રીસ વરસ પછી, ખાસ્સી મોટી ઉંમરે પહોંચેલા રામા કામઠ કંપની સરકારના અણમાનીતા થઈ ગયા. અને અળખામણા હોય તેને હેરાનપરેશાન કરવામાં સત્તાધીશો કસર રાખે નહિ. કોઈ માણસને હેરાનપરેશાન કરવો હોય તો સહેલો રસ્તો છે તેને માથે ‘રાજદ્રોહ’નો આરોપ ઠોકી દેવો. કંપની સરકારે પણ એ જ કર્યું. કામઠ ખતરનાક કાવતરાખોર છે, કંપનીના રાજ માટે જોખમકારક છે, એવું જાહેર કરી દીધું અને તેમના પર ‘દેશદ્રોહ’નો ખટલો માંડી દીધો.

કાન્હોજી આંગ્રે

એ વખતે મરાઠા નૌકા સૈન્યના વડા કાન્હોજી આંગ્રે અને કંપની સરકાર વચ્ચે બારમો ચંદ્રમા હતો. નાની મોટી દરેક દરિયાઈ લડાઈમાં આંગ્રે સરકારને હરાવતા હતા. આજે પણ જેમ યુદ્ધની સાથોસાથ દુશ્મન સાથે પાછલે બારણે વાટાઘાટ ચાલુ રહેતી હોય છે તેમ એ વખતે પણ થતું. અને આવી વાટાઘાટ કરવાનું કામ કરતા હતા રામા કામઠ. મુંબઈ સરકાર આંગ્રે સામે ફાવતી નહોતી એટલે કંપનીની લંડન ઓફિસમાં તેની આબરૂ ઓછી થતી જતી હતી. એટલે મુંબઈના ગવર્નર ચાર્લ્સ બૂન અને તેમના સાથીઓએ રામા કામઠને બલિનો બકરો બનાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે રામા ફૂટી ગયેલો છે એટલે આંગ્રે આપણને હરાવી શકે છે. એટલું જ નહિ, કામઠે આંગ્રેને એક લાંબો પત્ર લખીને કંપની સરકારને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડ્યું છે. પોતે મુંબઈના ગવર્નરને પકડીને આંગ્રેને હવાલે કરશે અને મુંબઈની સત્તા આંગ્રેને સોંપશે એવું જણાવતો કામઠે લખેલો એક પત્ર સરકારના હાથમાં આવ્યો છે એમ જાહેર કર્યું. ઘણા વખતથી કામઠ અને સરકાર વચ્ચે કોઈને કોઈ બાબત અંગે પત્રવ્યવહાર તો ચાલતો રહ્યો હતો એટલે તેને આધારે તેના જેવા જ અક્ષરોમાં સરકારે એક બનાવટી કાગળ ઊભો કરી દીધો જેમાં કાવતરાની ચર્ચા હતી. કામઠ પોતાના દરેક પત્ર નીચે સહી તો કરતા, પણ પોતાની મહોર (સીલ) પણ લગાવતા. એટલે એક સોની પાસે કામઠનું બનાવટી સીલ તૈયાર કરાવીને તેનો ઉપયોગ બનાવટી પત્ર પર કર્યો. આ બધી તૈયારી થઇ ગઈ એટલે રાજદ્રોહના બિનજામીનપાત્ર આરોપસર કામઠને કર્યા જેલ ભેગા. કામઠનો એક ખાસ વિશ્વાસુ સાથી હતો ગોવિંદજી. તેને પણ જેલમાં પૂર્યો.

કાન્હોજી આંગ્રેની સરદારી નીચેનાં મરાઠા લડાયક વહાણ

કામઠને સરકારે બધી બાજુથી ઘેરી લીધા હતા. પણ હજી એક વસ્તુ ખૂટતી હતી. બનાવટી કાગળ, બનાવટી સીલ, એ બધું તો ખરું, પણ કેસ ચાલે ત્યારે કામઠની વિરુદ્ધ જુબાની આપનાર તો કોઈક જોઈએ ને! એટલે સરકારે ગોવિંદજીને ખોટી જુબાની આપવા તૈયાર કરવાનું વિચાર્યું. પહેલાં લાલચ, પછી ધાકધમકી. પણ ગોવિંદજી એકનો બે ન થયો. ગવર્નરે પોતે ઊલટતપાસ કરી, પણ ગોવિંદજી મક્કમ. ૧૬૪૦ પહેલાં ગ્રેટ બ્રિટનમાં ગુનેગારો પર શારીરિક અને માનસિક ઘાતકી અત્યાચાર (ટોર્ચર) કરવામાં આવતા. પણ ૧૬૪૦માં આખા બ્રિટિશ સામ્રાજ્યમાં આવી ઘાતકી રીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હિન્દુસ્તાનમાં સરકાર ભલે કંપનીની હતી, પણ છેવટે રાજ તો તાજનું હતું. એટલે ૧૬૪૦નો આ પ્રતિબંધ મુંબઈને પણ લાગુ પડે જ. પણ બીજી બાજુ ગોવિંદજી એકનો બે થતો નહોતો, અને કામઠ વિરુદ્ધની જુબાની વગર તો કેસ નબળો પડી જાય. એટલે ગવર્નર ચાર્લ્સ બૂને ‘અપવાદરૂપ સંજોગોમાં’ જુબાની કઢાવવા માટે ગોવિંદજીના હાથનાં આંગળા અને અંગૂઠામાં ખીલા ઠોકવાની પરવાનગી આપી. આવી અસહ્ય યાતનાથી ગોવિંદજી ભાંગી પડ્યો અને કબૂલ કર્યું કે કામઠે પત્ર લખીને તે આંગ્રેને પહોંચાડવાનું કામ મને સોંપ્યું હતું. બસ, રામા કામઠ દેશદ્રોહી છે ઇતિ સિદ્ધમ્‌.   

અલબત્ત, કામઠ પર કેસ ચલાવવાનું નાટક સરકારે પૂરેપૂરું ભજવ્યું. પુરાવા રજૂ થયા, જુબાનીઓ લેવાઈ, પણ બધું એકપક્ષી. છેવટે ૧૭૨૦ના એપ્રિલની ૧૧મી તારીખે ગવર્નર અને તેમની કાઉન્સિલે ચુકાદો આપ્યો : રામા કામઠે દુશ્મનને મદદ કરીને, પત્રો લખીને, ખાનગી માહિતી પહોંચાડીને રાજદ્રોહનો ગૂનો કર્યો હોવાનું શંકા વગર સાબિત થયું છે. આથી આ કાઉન્સિલ તેને આજીવન કેદની સજા ફરમાવે છે. આ ઉપરાંત તેની સઘળી સ્થાવર-જંગમ મિલકત જપ્ત કરવામાં આવે છે. ચુકાદો આવ્યા પછી સરકારે જાહેરનામું બહાર પાડ્યું કે જે કોઈની રામા કામઠ પાસેથી લેણી રકમ નીકળતી હોય તેણે દસ દિવસમાં અદાલત સામે એ અંગે રજૂઆત કરવી. અને સૌથી પહેલો દાવો કોણે રજૂ કર્યો હશે? ખુદ ગવર્નર ચાર્લ્સ બૂને! ૧૨,૭૯૧ રૂપિયા અને ત્રણ આનાની પોતાની રકમ લેણી નીકળે છે એવી રજૂઆત તેમણે કરી. કોટ વિસ્તારમાં આવેલું કામઠનું ભવ્ય મકાન વીસ હજાર રૂપિયામાં વેચાયું. મુંબઈમાં અને તેની આસપાસ નાળિયેરીની જે વાડીઓ અને બીજી ખેતરાઉ જમીન હતી તેની કીમત ૩૭,૯૮૯ રૂપિયા ઠરાવીને કંપની સરકારે પોતે ખરીદી લીધી! બજાર વિસ્તારમાં રામાશેઠનું ૮૬ ફૂટ લાંબુ એક માળવાળું મકાન હતું જે ગોદામ તરીકે વપરાતું. મકાનની કિમત ૬ હજાર રૂપિયા ઠરાવીને સરકારે જ ખરીદી લીધું. અને તેના ઉપલા માળે અદાલત શરૂ કરી! ભોંયતળિયાનો ભાગ ગોદામ તરીકે વાપરવાનું નક્કી કર્યું. આઠ વર્ષ જેલમાં ગાળ્યા પછી કામઠનું અવસાન થયું.

ગોવિંદજી સામેની ઘાતકી કાર્યવાહીનો કાઉન્સિલના માત્ર એક જ સભ્યે વિરોધ કરેલો. અને તે હતા ચીફ જસ્ટીસ લોરેન્સ પાર્કર! તેમણે કહ્યું કે ગોવિંદજીના હાથનાં આંગળામાં ખીલા ખોડવાનો ગવર્નરે આપેલો હુકમ ગેરકાયદે અને અમાનુષી હતો. આ રીતે જે કબૂલાત ગોવિંદજી પાસેથી કઢાવવામાં આવી તેને કાઉન્સિલે ધ્યાનમાં લેવી જોઈએ નહિ. એટલું જ નહિ, તે પછી આ ખટલા માટેની એક પણ બેઠકમાં પાર્કર હાજર રહ્યા નહિ. ખુદ પાર્કર પર કેસ માંડીને તેમને બરતરફ કરવામાં આવેલા તેની વાત આપણે ગયે અઠવાડિયે કરી હતી. આ કામઠના ખટલામાં તેમણે ગવર્નરનો વિરોધ કર્યો એ પણ એક કારણ હતું, ગવર્નર અને પાર્કર વચ્ચેના અણબનાવનું. અને હા, પોતાની ગેરકાયદે વર્તણૂક માટે ગવર્નર ચાર્લ્સ બૂનને કશું જ સહન કરવું પડ્યું નહોતું. ૧૭૨૨માં મુદ્દત પૂરી થતાં તેઓ સ્વદેશ પાછા ગયા. ૧૭૨૭માં પાર્લમેન્ટમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ૧૭૨૯માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર બન્યા. ૧૭૩૪ની ચૂંટણીમાં તેઓ પોતાના મોટા દીકરાની તરફેણમાં ખસી ગયા. ૧૭૩૫ના ઓક્ટોબરની આઠમીએ તેમનું મૃત્યુ થયું.

રામા કામઠના અવસાન પછી, ચાર્લ્સ બૂન સ્વદેશ પાછા ગયા પછી, કેટલેક વરસે મુંબઈ સરકારની આંખ ઊઘડી. આ કેસમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને, ઘાતકી રીતે જુબાની મેળવીને, ન્યાયનાં ધોરણોને નેવે મૂકીને, એક નિર્દોષ માણસને આજીવન કેદની સજા થઈ હતી અને વિના વાંકે તે જેલના સળિયા પાછળ મોતને ભેટ્યો હતો એ હકીકત સરકારને સમજાઈ. એટલે નવેસરથી કેસ ઉઘાડીને રામા કામઠને નિર્દોષ જાહેર કર્યા. તેમની મિલકત લિલામ કરવામાં આવી ત્યારે તેની કિંમત જાણીજોઈને ઓછી આંકવામાં આવેલી એ સ્વીકારીને કામઠના દીકરાને વળતર તરીકે ૪૦૦ રૂપિયાની ‘માતબર’ રકમ આપી અને વરસે ત્રીસ રૂપિયાનું પેન્શન બાંધી આપ્યું! પોતે કરેલા હડહડતા અન્યાય માટે ભલે ઘણું ઓછું, પણ પ્રાયશ્ચિત કર્યું. કોઈ સરકાર પ્રાયશ્ચિત કરે એ વાત નાનીસૂની ન ગણાય – ત્યારે પણ અને આજે પણ! ૧૭૨૬માં આ એડમિરાલ્ટી કોર્ટની પ્રથાનો જ અંત આવ્યો. તે પછી શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 મે 2021

Loading

સંવાદ

કવયિત્રી : તસલીમા નસરીન • લિપ્યંતર/ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|29 May 2021

“જા, છોકરી,”
એ બોલ્યા, “મન પર ના લઈશ”,
કહે, “નીચે ઊતર”,
કહે, “બોલવાનું બંધ કર”,
એ બોલ્યા, “મોં બંધ રાખ”,
કહે, “માથું નમાવ”,
કહે, “રડ્યા કર,
આંસુ વહેવા દે”,
કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?
તારે ખડા થવું જોઈએ
બિલકુલ ટટ્ટાર
પીઠ સીધી રાખી
માથું ઊંચું રાખી
તારે બોલવું જોઈએ
તારી મરજી વ્યક્ત કરવી જોઈએ
મોટા અવાજે
બૂમ પાડીને
એટલી જોરથી બૂમ પાડીને
કે એ લોકો આડ શોધે
એ લોકો કહેશે, “તું બેશરમ છે”,
એ શબ્દોને હસી કાઢજે
તો કહેશે, “તું ચરિત્રહીન છે”,
એ સાંભળીને ઓર જોરથી હસજે
તારું હાસ્ય સાંભળી એ ઘાંટો પાડશે,
“તું વેશ્યા છે”.
એ સાંભળી તારે કેડે હાથ દઈ
મક્કમ ઊભા રહી કહેજે,
“હા, હું વેશ્યા છું”.
એ લોકો સ્તબ્ધ થઈ જશે,
તાકી રહેશે અવિશ્વાસમાં
તારા મોઢે વધુ, ઘણું બધું
સાંભળવાની તાકમાં.
એમનામાંના પુરુષો લાલ થઈ પરસેવે રેબઝેબ થશે,
એમનામાંની સ્ત્રીઓ તારા જેવી વેશ્યા બનવા ઝંખશે.

~

“You go, girl”,
They said, “Take it easy”,
Said “Come down”,
Said, “Stop talking”,
Said, “Shut up”,
They said, “Sit down”,
Said, “Bow your head”,
Said, “Keep on crying,
Let the tears roll”,
What should you do in response?
You should stand up now
Stand right up
Hold your back straight
Hold your head high
You should speak
Speak your mind
Speak it loudly
Scream
You must scream so loud
That they must run for cover.
They will say, “You are shameless”,
When you hear that just laugh.
They will say, “You have a loose character”,
When you hear that,
Just laugh louder.
They will say, “You are rotten”,
So just laugh, laugh louder.
Hearing you laugh they will shout
“You are a whore”,
When they say that,
Just put your hands on your hips
Stand firm and say, “Yes,
Yes, I am a whore”.
They will be shocked,
They will stare in disbelief,
They will wait for you to say more, much more.
The men amongst them will turn red and sweat,
The women amongst them will dream to be a whore like you.

સ્રોત: KLF International Poetry Festival 2021 (https://www.youtube.com/user/DCBooksonline)

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૦૭ની રાષ્ટ્રીય કૃષિનીતિ ભલે ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત્‌ સ્ત્રી-પુરુષ સૌને ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલ્લિંગ શબ્દ ખેડૂતનો અર્થ, ‘ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી’ જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને ‘જે ખેતરનો માલિક કે પ્રબંધક છે’ તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે, તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય કૃષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ કૃષિકાયદા વિરુદ્ધના વર્તમાન કિસાન-આંદોલનમાં મહિલા-કિસાનો બરાબરની ભાગીદાર છે, પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ઇતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા, ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠાં કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમબળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતનાં ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીનાં કામો કરે છે. યુવાન જ નહીં, તમામ ઉમરની મહિલાઓ ખેતીનાં કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વૃદ્ધાઓ ખેતીનું કામ કરે છે. 

દેશમાં ખેડથી ખળા અને બીથી બજાર સુધીનાં ૭૫થી ૮૦ ટકા ખેતીનાં કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં. ખેતીકામની સહાયક કે કામદાર ગણાય છે. એટલું જ નહીં, આપણાં ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે એવાં નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાનાં કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે, પણ મહિલાઓનાં નીંદામણ-ગોડામણનાં કૃષિકામોમાં કોઈ યંત્રો શોધાયાં નથી એટલે તેની શારીરિક મહેનત યથાવત્‌ રહી છે.

વધુ શારીરિક શ્રમનાં ખેતીકામો પણ મહિલાઓને જ કરવાં પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરનાં ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગૃહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતાં કુટુંબોનું નેતૃત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નૅશનલ સેમ્પલ ઑર્ગેનાઇઝેશન’નો સર્વે જણાવે છે, તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઑક્સફામ ઇન્ડિયા’ના ‘સન ઓફ ધ સૉઇલ’ સર્વેનું છે. ટૂંકમાં, ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી, આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે.

નૅશનલ પૉલિસી ફોર ફાર્મર્સ – ૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઇન્કાર કરે છે. ધર્મ, જાતિ, પરંપરા, સંસ્કૃતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવાં કારણો મહિલાઓને જમીન-માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેક્ટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેક્ટર જમીન જ છે. ૩૦.૯૯ લાખ મહિલાઓ ૨ હેક્ટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેક્ટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા-કિસાનો સરેરાશ ૦.૬૮ હેક્ટર અને આદિવાસી મહિલા-કિસાનો સરેરાશ ૧.૨૩ હેક્ટર જમીનની માલિકી ધરાવે છે.  

ભારતમાં કૃષિસંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીનમાલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી કૃષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં ૧૧ ટકા (૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા (૧.૭૬ કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા (૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે. મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતીયોગ્ય નથી. જેમ કે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી ૧૦.૩૯ ટકા જ ખેતી યોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે, ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે. ૨૦૨૦નો સર્વે દેશનાં અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીનમાલિકી ઘટ્યાનું જણાવે છે.

મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે, તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઊભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા કૃષિજમીનનો વારસો પુરુષોને મળ્યો છે. જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે. તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી, તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે, તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.

જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન-શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા કૃષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતનાં કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણા ભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષરરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થઇ. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ-નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩,૪૬૭ દહાડિયા મહિલા-મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.

ખેડૂતોના સવાલોની ચર્ચામાં સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ કૃષિવૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથને રાજ્ય સભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઇવેટ મેમ્બરબિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઇટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ – પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઊભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાંની ખેતીની જવાબદારી મહિલાઓના શિરે આવી છે, તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીનમાલિકીનો વાજબી હક આપવો ઘટે.

હાલના ખેડૂત-આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ. ’રાષ્ટ્રીય મહિલા કિસાનદિન’ની ઉજવણી કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાન-આંદોલનનો નારો મહિલા-આંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન-આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 04-05

Loading

...102030...1,8731,8741,8751,876...1,8801,8901,900...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved