એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય
આપણી ડિક્શનરીમાં છેલ્લા બે વર્ષમાં જાતભાતના શબ્દો ઉમેરાયા છે. આપણે આલ્ફા અને બિટા વેરિયન્ટથી માંડીને રેમડેસેવીર જેવા શબ્દો ગૂગલ કરીને ઘણું બધું જરૂરી બિન જરૂરી જાણ્યા કરીએ છીએ. એમાં હવે છેલ્લા એક અઠવાડિયાથી આપણે સાંભળીએ છીએ પેગાસસ અને સ્નૂપિંગ વિશે. આપણું શબ્દભંડોળ વધુ સમૃદ્ધ કરનારા પેગાસસને રોગચાળા સાથે કોઇ સબંધ નથી, પણ રાજકારણીઓની જાસૂસી કોઇ નવી વાત નથી. પેગાસસનું વાવાઝોડું એકદમ નવું નક્કોર છે અને આ પહેલાં ભારતીય રાજકારણમાં સ્નૂપિંગ એટલે કે જાસૂસીનાં કાંડ થયાં જ છે પણ પેગાસસ સ્પાયવેરથી થયેલું સ્નૂપિંગ સૌથી સોફેસ્ટિકેટેડ કહી શકાય, જેમાં ટેક્નોલૉજીનો એટલી સટિકતાથી ઉપયોગ થયો છે કે એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય.
પેગાસસની પધરામણી નિમિત્તે જો આપણે આ પહેલાં થયેલા જાસૂસી કાંડ યાદ કરીએ તો તેમાં સરકારો પડી ભાંગી છે, મુખ્ય મંત્રીઓએ રાજીનામાં ધરી દેવા પડ્યા છે, સી.બી.આઇ.ની તપાસ બેસાડાઇ છે અને સુપ્રિમ કોર્ટને ય હચમચાવી દેવાયો છે. જાસૂસ અને જાસૂસીની આપસાપસ એક ભેદ ભરમનું જાળું હંમેશાંથી રહ્યું છે. કાળી હેટ અને લાંબા ઓવરઓલ્સ, કાળાં ચશ્માંથી માંડીને ટેલિફોનના થાંભલે ચઢીને વાયરો આઘાપાછા કરીને લોકોની વાત સાંભળનારા જાસૂસો આપણે ફિલ્મો અને ટેલિવિઝનમાં જોયા છે. ફોન ટેપિંગ જે જાસૂસીનું સૌથી જૂનું શસ્ત્ર છે તેમાં સમયાંતરે આપણે સ્માર્ટ સોફ્ટવેર્સના ઉપોયગ તરફ વળ્યા છીએ. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ હવે સ્માર્ટ ફોનને ક્રેક કરવા માટેનો સર્વોત્તમ વિકલ્પ સાબિત થઇ ચુક્યું છે, ત્યારે આપણે ટેલિકોમના ઇતિહાસ જેટલા જ જૂના ગણાતા ફોન ટેપિંગ દ્વારા થયેલી જાસૂસીના સૌથી જાણીતા કિસ્સાઓ અને અન્ય પ્રકારની જાસૂસીની જાહેર થઇ ગયેલી વાતો પર નજર કરીએ.
એંશીના દાયકામાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને ડર હતો કે રાષ્ટ્રપતિ ભવનના કેટલા ઓરડાઓમાં બગિંગ થયેલું છે, એટલે કે ત્યાં એવું ઉપકરણ છે જેનાથી ત્યાં થતી વાતચીત અને ફોન કૉલ્સ ટૅપ થઇ શકે. તેમને ડર હતો કે તત્કાલિક વડા પ્રધાન રાજીવ ગાંધીના કહ્યે આ ફોન ટૅપિંગ કરાવાતું હતું. ૧૯૮૮માં કર્ણાટકમાં ફોન ટૅપિંગના આરોપ ગંભીર વળાંકે જઇને ખડો રહ્યો. તત્કાલિક મુખ્ય મંત્રી રામકૃષ્ણે હેગડેએ આ વિવાદને પગલે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. વી.પી. સિંઘના જન મોરચા સાથે રામ કૃષ્ણે હેગડેની જનતા પાર્ટીનો એક હિસ્સો ભળી ગયો હતો અને દેવે ગૌડા અજીત સિંહ સાથે બાકીના જનતા પક્ષ સાથે જ રહ્યા હતા. દેવે ગૌડા અને અજીત સિંઘ વચ્ચેની વાતચીત ટૅપ કરવામાં આવી હતી. ૧૯૯૧માં હરિયાણાના બે ઇન્ટેલિજન્સ પુરુષો રાજીવ ગાંધીના રહેવાસની બહાર દેખાયા હતા, અને તેમણે બાદમાં કબૂલ્યું હતું કે રાજ્ય સ્તરના કયા રાજકારણીઓ રાજીવ ગાંધીને મળવા આવે છે, તે ચકાસવા તેઓ અહીં જાસૂસી કરી રહ્યા હતા. આ કારણે ચંદ્ર શેખરે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. સમાજવાદી પક્ષના અમર સિંઘે ૨૦૦૬માં દાવો કર્યો હતો કે તેમના ફોન દિલ્હી પોલીસ દ્વારા ટૅપ કરાય છે તો ૨૦૦૯માં મમતા બેનર્જીના લેન્ડ લાઇન ફોન અને મોબાઇલ ફોન પર થતી વાતચીત પર ચાંપતી નજર રખાઇ રહી છે. ૨૦૦૭માં દિગ્વિજય સિંહની વાતચીત ટૅપ કરાઇ હતી જેમાં તે ૨૦૦૭ની સી.ડબલ્યુ.સી.ની ચૂંટણી માટે પંજાબના ઉમેદવારો અંગે એક કૉન્ગ્રેસના નેતા સાથે વાત કરી રહ્યા હતા. ૨૦૧૦માં તાતા અને નીરા રાડિયા ટેપ્સ સ્કેન્ડલની ચર્ચાથી પણ આપણે વાકેફ છીએ. જાસૂસીના કૌભાંડોમાં મોટે ભાગે વિરોધી પક્ષની વાતો ખુલ્લી પાડવાનો હેતુ રહેતો. ૨૦૧૧માં તત્કાલિન નાણાં મંત્રી પ્રણબ મુખર્જીએ મનમોહન સિંઘને પત્ર લખ્યો હતો કે તેમની ઑફિસ બગ્ડ છે તેવી પોતાને શંકા છે. આ પત્ર ખાનગી હતો પણ છતાં ય તે જાહેર થઇ ગયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૨માં એક ઇન્ટેલિજન્સ ઑફિસરની તપાસમાં બહાર આવ્યું કે ડિફેન્સ મિનીસ્ટર એક એન્ટોનીની ઑફિસમાં કોઇ મોનિટરી ડિવાઇસ ફિટ કરાયેલું છે. આ સમયે યુ.એસ.એ.ના મીડિયા રિપોર્ટ્સમાં આવ્યું હતું વૉશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસ યુ.એસ. એજન્સી દ્વારા નજર રખાતી હોય તેવા મિશન્સની યાદીમાં હતો. આ વર્ષે આંધ્રના રાજકારણીઓએ હેકર્સના ડરથી સ્માર્ટ ફોન્સ પર ઇ.મેઇલ ચેક કરવાનું બંધ કરી દીધું હતું.
વળી સ્નૂપિંગને મામલે સાહેબને આડકતરો અનુભવ પણ છે કારણ કે ગુજરાતમાં ૨૦૧૩માં થયેલા સ્નૂપગેટ કાંડમાં અમિત શાહે એક યુવા આર્કિટેક્ટ મહિલાના ફોન પર સર્વેલન્સ કર્યો હોવાના સમાચાર ન્યૂઝ વેબસાઇટે બ્રેક કર્યા હતા. આ ઉપરાંત શરદ પવાર અને આઇ.પી.એલ. ચીફ લલિત મોદી વચ્ચેની વાતચીત ૨૦૧૦માં ટૅપ થઇ હતી તો સી.પી.એમ.ના પ્રકાશ કરાતનું ફોન ટૅપિંગ ઇન્ડો યુ.એસ. ન્યુક્લિયર ડીલની વ્યૂહરચના સમજવા માટે કરાયું હતું. વરિષ્ઠ કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનાં રહેઠાણને બગ કરાયું હતું અને આ માટે બહુ જ ઉચ્ચ કક્ષાનું લિસનિંગ ડિવાઇસ ત્યાં ગોઠવવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી હતી. જો કે રાજકારણીઓના આ સ્નૂપિંગમાં સાસુ વહુનો ખટરાગ પણ એક વાર ચર્ચાએ ચઢ્યો તેમાં ય સાસુ જ્યારે ઇંદિરા ગાંધી હોય અને પુત્રવધૂ મેનકા ગાંધી હોય ત્યારે વહુનો આક્ષેપ આવે તો વિચાર તો કરવો પડે.
ભારતના સ્નૂપગેટ સામે અમેરિકાના વૉટરગેટ કૌભાંડનો ઉલ્લેખ પણ કરવો રહ્યો, જ્યારે સિત્તેરના દાયકામાં પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સને વિરોધ પક્ષના ફોન કૉલ્સ ટૅપ કરાવ્યા હતા અને અમુક દસ્તાવેજોની ચોરી પણ કરાવી હતી. જો કે આમાં પોલીસે આ ચોર જાસૂસોને રંગે હાથ પકડી પાડ્યા હતા, છતાં ય નિક્સન ફરી ચૂંટાયા હતા અને તેમણે પ્રેસિડન્ટ બન્યા પછી આ આખી વાત દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બે પત્રકારોને કારણે આખી વાત બહાર આવી અને જેમણે સ્વતંત્ર યુ.એસ.એ.ના ઇતિહાસમાં રાજીનામું આપ્યું હોય તેવા તે એક માત્ર પ્રમુખ છે.
ભારતમાં દસ કેન્દ્રીય એજન્સીઝ છે જેમને ફોન ટૅપિંગ કે કોઇ પણ પ્રકારના સ્નૂપિંગની છૂટ મળેલી છે, એ સિવાય થતી જાસૂસી ગેરકાયદે ગણાય. તેઓ આતંકવાદથી માંડીને રાજકારણીઓના બેકગ્રાઉન્ડ ચેક્સ પણ કરતા હોય છે. જે રીતે પેગાસસ જેવા સ્પાયવેરથી સટિકતાથી જાસૂસી થઇ રહી છે, જેમાં પત્રકારો અને માનવતા અધિકાર માટે લડનારાઓ પણ બાકાત નથી તે દર્શાવે છે કે ભારતમાં સર્વેલિયન્સની પદ્ધતિઓ તથા મર્યાદાઓ પર આકરા પગલાં લેવાવા જરૂરી છે.
બાય ધી વેઃ
જાસૂસી કરાઇ હોવાનો આ પહેલો બનાવ નથી, પણ સરમુખત્યાર નેતાઓ જે પહેલેથી જ પોતાના વિરોધીઓ પર યેનકેન પ્રકારેણ નજર રાખતા આવ્યા છે તેમાં ક્યાંક રિસોર્સિઝનો દુરુપયોગ પણ દેખાઇ આવે છે. લોકશાહી દેશમાં પત્રકારો અન માનવાધિકાર માટે લડત ચલાવનારાઓની જાસૂસી કરાવવી કેટલી યોગ્ય ગણાય? ફોન ટૅપિંગ અને ફોનની તમામ વિગતોનું હાઇજેકિંગ બે જુદી બાબતો છે, અને આપણને ખબર છે કે બીજી બાબત જોખમી છે. સ્પાયવેરથી ગુનાખોરી અને ષડયંત્રનું કોકડું વધુ ગુંચવાય અને કોઇને ખોટી રીતે સાણસામાં લેવા હોય તે પણ આનાથી કરવું સહેલું થઇ પડે છે. વળી ભૂતકાળમાં લોકોએ જાસૂસી કરાવનારા નેતાઓને વખોડ્યા છે, તેમને રાજીનામા ધરી દેવા પડ્યા છે પણ પેગાસસને મામલે આમ જનતાનો પ્રતિભાવ પહેલાં કરતાં મોળો રહ્યો છે. સરમુખત્યાર ઇંદિરા ગાંધી જેમ ‘વિદેશી હાથ’ પર દોષ ઢોળતાં તેમ અત્યારે સરકાર દેશનાં નહીં પણ પોતાના વિરોધીઓને ટાર્ગેટ કરી રાષ્ટ્રવાદનું કાર્ડ દેખાડી દેશે. પોપ્યુલિસ્ટ માનસિકતા, સરમુખત્યાર શાહી, દેશપ્રેમ નહીં પણ વાદને મળતું જોર, સરકારની ટીકા નહીં સાંખી લેવાની માનસિકતાની વચ્ચે પેગાસસનો ઉપયોગ જેમની જાસૂસી કરવામાં થયો છે તે લોકશાહીને માથે તોળાતા ગિલોટીનનું દ્રશ્ય સ્પષ્ટ કરે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021