વિદ્યાર્થીનો કોશગત અર્થ ભણનાર, અભ્યાસી છે. આજના વિદ્યાર્થીને જોઈએ તો તે ભણવા સિવાયની જ પ્રવૃત્તિઓ વધારે કરતો દેખાય છે. સ્કૂલનો વિદ્યાર્થી કદાચ ભણવા પર વધુ ધ્યાન આપતો હોય એમ બને. એટલે જ 99 કે 98 ટકા માર્ક્સ એ લાવે છે ને વધુ હોશિયાર હોય તો 100માંથી 200 ટકા પણ લાવી શકે, પણ 100થી વધુ ટકા આપવાનું ચલણ નથી એટલે 100 ટકાએ જ સંતોષ માનવાનો રહે. કોરોનાને કારણે વગર પરીક્ષાએ કે આગલી પરીક્ષાને આધારે વિદ્યાર્થીઓએ ઘણા ટકા બનાવ્યા છે, છતાં આ વખતનાં પરિણામોથી કોઈને સંતોષ નથી, કારણ, સૌ જાણે છે કે આ પરિણામો કેવી રીતે આવ્યાં છે ! આ ટકાવારી કોલેજોમાં કદાચ બહુ મહત્ત્વની નથી, ત્યાં ક્લાસનું મહત્ત્વ છે. કોઈ સ્કૉલર હોય તો તેને યુનિવર્સિટી ચંદ્રકથી સંતોષ થાય છે. છેલ્લાં વર્ષનાં યુનિવર્સિટી રિઝલ્ટ્સ, પછી તો નોકરીનું કારણ બને છે ને વિદ્યાર્થી, વિદ્યાર્થી ન રહેતા ધંધાર્થી કે નોકરિયાતની ભૂમિકામાં આવે છે.
આજે કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની ભૂમિકાઓ અંગે થોડી વાતો અગાઉના વિદ્યાર્થીઓના સંદર્ભમાં કરવી છે. એમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાતનો ઇરાદો નથી, કેવળ સંવેદનાઓ, ભાવનાઓ વહેંચવી અને સમજવી છે. એમાં હું ક્યાંક ખોટો હોઈ શકું છું ને મારી કોઈ ગેરસમજ હોય તો તે સુધારવાનો પણ વાંધો નથી. એટલું છે કે જે સમજ કેળવાઈ છે તે ચકાસવાનો હેતુ છે.
હું પી.ટી. સાયન્સ કોલેજનો વિદ્યાર્થી. 1967માં એસ.વાય.માં હતો ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી પ્રવૃત્તિમાં જોડાયેલો. 1965થી હું લેખક તરીકે છપાતો થઈ ગયેલો. લખવાને કારણે થોડો જાણીતો થયેલો ને થોડુંઘણું બોલતો પણ ખરો એટલે 1969માં સુરત શાખાનો મંત્રી પણ થયેલો. કોઈ મિત્રના કહેવાથી જનસંઘનો ખજાનચી પણ થયેલો અને વિઠ્ઠલવાડીમાં કોઈ સભામાં લાલકૃષ્ણ અડવાણી આવેલા ત્યારે કૈં બોલેલો પણ ખરો. નાનપરામાં એકાદવાર અધ્યાપક ચંપકલાલ સુખડિયા અમને થોડા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં એક વાર લઈ ગયેલા. હું કુતૂહલવશ, કશી સભાનતા કે અપેક્ષા વગર જતો. પછી બી.એસસી. થયો કે વિદ્યાર્થી પરિષદ ને સંઘ ને જનસંઘ બધું ભુલાઈ ગયું. ત્યારે કૈં ઘટી ગયું કે કૈં ખૂટે છે એવી લાગણી પણ ન થઈ. એ પછી વિજ્ઞાન શિક્ષકની અને બેન્કની નોકરીમાં લાગ્યો.
અહીં આત્મકથા લખવા બેઠો નથી, પણ વિદ્યાર્થી કાળમાં વિદ્યાલક્ષી પ્રવૃત્તિઓમાં રસ પડેલો અને વિદ્યાર્થી પરિષદની પ્રવૃત્તિને મેં વિદ્યાની પ્રવૃત્તિ તરીકે જ લીધેલી. મને લખવા, વાંચવાનું ગમતું એ નિમિત્તે વિદ્યાર્થી પરિષદના એકાદ અંકનું સંપાદન કરેલું ને એમાં વાર્તા, કવિતા જેવું લખેલું પણ ખરું. ત્યારે તો એવું સ્વપ્નું ય નહીં કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ રાજકારણને ક્યાંક અડે છે. કહેવાતું એવું જ કે વિદ્યાર્થી પરિષદ રાજકીય સંસ્થા નથી. વિદ્યાર્થીઓએ રાજકારણમાં જોડાવું જોઈએ એવું ભાન પણ ત્યારે નહીં. વિદ્યાર્થીએ તો ભણવાનું, એણે બીજી માથાકૂટમાં નહીં પડવાનું, એવું ત્યારે મનાતું અને કહેવાતું.
એ કાળે જે નિર્દોષતા ને બાઘાઈ કોલેજના વિદ્યાર્થીઓમાં હતી એવી જ મારામાં પણ હતી, ગતાગમ ઓછી જ ! સ્વમાન ગમતું ને તે જાળવતો. મારી ત્યારે કશી રાજકીય સમજ નહીં. કોઈની મને રાજકારણમાં ખેંચવાની વૃત્તિ હોય તો તે પારખવાની અક્કલ પણ નહીં. ભણવાનું પૂરું થયું કે એ પ્રવૃત્તિ મારા કશા પ્રયત્ન વિના આપોઆપ જ પૂરી થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યારે વિદ્યાર્થીઓ રાજકારણથી મોટે ભાગે દૂર રહેતા. જો કે એવા વિદ્યાર્થીઓ પણ હતા જ જે રાજકારણમાં રસ લેતા ને આગળ જતા એમણે રાજકીય કારકિર્દી પણ બનાવી. એવા બહુ ઓછા હતા, પણ હતા. એવું જ અધ્યાપકોનું પણ હતું. એમનો પણ રાજકારણમાં ખાસ રસ નહીં. ત્યારે તો આજની વીર નર્મદ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી. એના અને અન્ય યુનિવર્સિટીના કુલપતિ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવને લીધે આવે છે એવી ત્યારે સમજ. કોઈ કદાચ રાજકારણી હોવાને લીધે કુલપતિ થતા તો પણ તેમની શૈક્ષણિક પાત્રતા એ પદને શોભાવવા જેટલી તો છે જ એવી ખાતરી રહેતી.
મુદ્દો એ છે કે ત્યારે રાજકારણ અને શિક્ષણ અલગ હતાં. શિક્ષણમાં કમાણી ઓછી હતી એમ જ રાજકારણમાં પણ ત્યારે ખાસ મળતર ન હતું. વડા પ્રધાન હોય ને અચાનક ગુજરી જાય તો માથે દેવું બોલતું હોય એવા સમયનો હું વિદ્યાર્થી. એ પરથી ખ્યાલ આવશે કે મળતર કેટલું હશે. શિક્ષણમાં જેમ યોગ્ય માણસો ઉચ્ચ હોદ્દા પર આવતા એમ જ રાજકારણમાં પણ ઉચ્ચ હોદ્દે યોગ્ય વ્યક્તિ મુકાય એની કાળજી લેવાતી. થોડું ઘણું ત્યારે પણ ગરબડિયું હશે જ, પણ આજે થોડું ઘણું જ નથી એનો અફસોસ છે.
પહેલાં નિર્દોષતા કે બાઘાઈ જે પ્રમાણમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી, એ આજે ઓછી જ બચી છે. વિદ્યાર્થીને પ્રવૃત્તિના વિસ્તારની સગવડો ને તકો પણ આજે વધારે મળી છે. એમાંની એક રાજકારણ છે. જો કે, આજે વિદ્યાર્થી પરિષદ કે અન્ય કેટલીક સંસ્થાઓ રાજકારણનો ભાગ છે એવું હવે સ્પષ્ટ થઈ ગયું છે. એમાં ઘણાનો હેતુ આગળ જતાં રાજકારણમાં સક્રિય થવાનો હોય ને એટલે એમાં જોડાયા હોય એમ બને. બધાંનો જ હેતુ એવો હોય એમ કહેવાનું નથી, પણ એવો હેતુ નથી જ, એવું પણ નથી. રાજકારણમાં આગળ ન વધે તો પણ કેટલીક રમત તો વિદ્યાર્થીઓ હવે શીખી જ લે છે. એને એટલું તો સમજાય છે કે સાચું હોય કે ખોટું, રાજકીય વગ અને પૈસા વગર કામ ભાગ્યે જ થાય છે. કૈં પણ ખોટું કરવા માટે અને અસત્યની સ્થાપના માટે એ અનિવાર્ય છે. કૈં પણ હક વગરનું જોઈએ છે તો રાજકીય વગ કે પૈસા હોય તો એ સહેલું થઈ જાય છે. વિદ્યાર્થીના પ્રવેશની વાત હોય કે કોઈ અધ્યાપકની નિમણૂકની વાત હોય કે ઈવન કોઈ કુલપતિ કે કમિશનરની જ પસંદગી કેમ ન કરવાની હોય, રાજકીય વગ કે પૈસા ન હોય તો ઘણાં કામ અટકી પડે છે.
આજે તો એવી સ્થિતિ છે કે સત્ય અને રાજકારણ એક બીજાના પર્યાય નથી. હું માનું છું કે જગતમાં બધું જ ખરાબ નથી. રાજકારણમાં પણ બધું ખરાબ નથી, ઓછી તો ઓછી, હજી ગરીબોને મદદ થાય છે, યોજનાઓ ચાલે છે, વિકાસ થાય છે. સત્ય ક્યાંક પ્રકાશે છે. લાયક અને હોશિયાર વિદ્યાર્થીઓ છે જ ને હજી યોગ્ય ઉમેદવાર પસંદ થાય છે, પણ એનું પ્રમાણ નહિવત છે. આજના વિદ્યાર્થીએ જાણી લીધું છે કે તેના પિતાએ કોઈ હોદ્દે રહીને કે કોઈ ધંધામાં કરીને કેવી રીતે કરોડોની સંપત્તિ ભેગી કરી છે ! તે એ પણ જાણી ગયો છે કે ટકવું હોય તો ભ્રષ્ટ થવા સિવાય ચાલે એમ નથી. વિદ્યાર્થી આનાથી દૂર રહે એવી અનુકૂળતા જ નથી. એમ કરવું પડે એ આજની માંગ છે. એનો એટલો વાંધો નથી, જેટલો એમાં સંડોવાવું પડે એવી નિવાર્યતા ઊભી કરનારનો છે. આ ભ્રષ્ટતા શીખવા વિદ્યાર્થી કોઈ રાજકીય સંસ્થા કે રાજકારણ પ્રેરી સંસ્થામાં પ્રવેશે છે. તેણે હકનું નથી તે જ મેળવવું છે ને રાજનીતિના પાઠ કોલેજ કાળથી જ શીખવા છે. કમાલ એ છે કે અનીતિને આપણે રાજનીતિનું નામ આપ્યું છે. વિદ્યાર્થી એ (અ)નીતિ શીખે છે. એ જ એનો આદર્શ છે. કોઈ રાજકીય ગુરુ શોધીને એ એમાં ઊંડો ઊતરે છે ને જેની મદદથી લાભ મેળવી શકાય એમ છે એ બધી દિશાએ તે નજર દોડાવે છે. એ જુએ છે તેની કોલેજમાં ને યુનિવર્સિટીમાં ચાલતી રાજરમતો. કોને ફોડી, તોડી, જોડીને લક્ષ્ય સાધી શકાય એમ છે તે એ જુએ છે ને થાય એટલું ખોટું કરીને બધું અંકે કરતો જાય છે. એને માટે કોઈ પણ વ્યક્તિ એ આગળ વધવાનું પગથિયું માત્ર છે. એવાં પગથિયાં વટાવતાં જઈને એ કોઈ પાર્ટીનો નેતા કે મંત્રી બને છે. કામ દ્વારા નામ અને દામ મેળવે છે ને એ ખસે તો પછી એનાં સંતાનો આગળ આવે છે. આમ તો આ વારસાગત નથી, પણ વારસાઈ હોય એમ વહીવટ ચાલે છે. રાજાનો દીકરો રાજા જ બને એમ મંત્રીનો દીકરો મંત્રી જ બને, એવું નથી જ થતું એવું ક્યાં છે?
વાત એટલી જ નથી. વિદ્યાર્થી પાસેથી કેવળ શિક્ષણ અંગેની જે વફાદારી રહેતી હતી, એ હવે નથી. જે ક્ષેત્ર રાજકારણથી દૂર રહેવું જોઈતું હતું એનાથી જ શિક્ષણ શરૂ થાય છે. રાજકારણ એટલે ભ્રષ્ટતા, રાજકારણ એટલે અનીતિ, રાજકારણ એટલે અસત્ય – એવી જે વ્યાખ્યાઓ અત્યારે ચરમસીમાએ છે એમાંથી શિક્ષણ બાકાત નથી એનું દુ:ખ છે. આવું રાજકારણ ઇચ્છવા જેવું છે? એ ઇચ્છવા જેવું છે કે વિદ્યાર્થી અનીતિ, અન્યાય અને અસત્યનો પાયો શિક્ષણ દ્વારા મજબૂત કરે? આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગવાળી વ્યક્તિ કુલપતિ થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ યોગ્ય ઉમેદવારનો હક મારીને રાજકીય વગવાળી વ્યક્તિ અધ્યાપક કે શિક્ષક થાય છે. આ બધું મજબૂત થાય છે કારણ રાજકીય વગનો લાભ લઈને કોઈ વિદ્યાર્થી પાસ થાય છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાન્ત કે કોઈ નિષ્ઠા જ જ્યાં ખપના ન રહ્યાં હોય ત્યાં વિદ્યાર્થી ભણનાર ન રહેતા, વિદ્યાની અરથી ઊંચકનાર જ થાય એમાં નવાઈ નથી. શિક્ષણનો આખા દેશે મળીને સર્વનાશ કર્યો છે ને એની અસરો પેઢીઓ સુધી પહોંચે તો આઘાત ન લાગવો જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2021