Opinion Magazine
Number of visits: 9663713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ 

સોનલ પરીખ|Opinion - Opinion|10 August 2025

અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે …

અમૃતા શેર-ગિલ

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. 2021માં સેફ્રોનેટ ઑક્શન હાઉસે એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. 2023માં આ જ હાઉસે એનું બીજું પેઈન્ટિંગ ‘ધ સ્ટોરી ટેલર’ 61.8 કરોડમાં વેચ્યું અને તે વિશ્વભરના સૌથી ‘એક્સ્પેન્સીવ’ કલાકારોમાં ગણાઈ. તેની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે. 

મહારાજા રણજિતસિંહની પૌત્રી એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન યહૂદી ઓપેરા સિંગર મેરી ઍન્તૉનિયેતને મળી અને પોતાની સાથે ભારત લાવી. સિમલામાં પંજાબી રાજકુળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને ઍન્તૉનિયેત પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 1913માં ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં અમૃતાનો જન્મ થયો.

આઠેક વર્ષ પછી શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી – એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી. 

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટસ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહનરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી. 

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. મારું મન પોતાને શું જોઈએ છે તે જાણે છે અને બહારની અસરને સ્વીકારવાનો વિરોધ કરે છે.’ તેનાં પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો થોડો પ્રભાવ ખરો, પણ તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’ 

1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મુગેરિન મળ્યો. તેણે બનાવેલું માલ્કમનું પેઈન્ટિંગ દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે. 

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં.  

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી, પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે – ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા મારે ચિત્રિત કરવી છે.’ 

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. 1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. પતિપત્ની ભારત આવ્યાં અને પિતાની જાગીર સરાયામાં જઈને રહ્યાં. ‘બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’ 

‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ ચિત્રો તેણે અહીં કર્યાં. તે ખૂબ કામ કરતી. કહેતી, ‘સમય નથી.’ એક જાતનો અજંપો તેને ઘેરતો. 

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને બે દિવસમાં મૃત્યુ પામી. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે. 

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18.69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું. 

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું. 

કલા-વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુ લખે છે, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં જે કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 જુલાઈ  2025

Loading

અત્યારની ઊઘાડી દાદાગીરી અને ભૂતકાળના ઢોંગ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2025

રમેશ ઓઝા

લંડનથી પ્રકાશિત થતા ‘ગાર્ડિયન’ નામના અખબારમાં એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત થયો છે. ચોંકાવનારો એટલા માટે કે એ જગતના અત્યંત સભ્ય દેશોમાં ગણના ધરાવતા બ્રિટન અંગેનો છે અને વિષય ન્યાય આધારિત સભ્ય સમાજની રચના છે. પ્રારંભમાં જ જણાવી દઉ કે સભ્ય દેશ એ કહેવાય જ્યાં લોકતંત્ર હોય, કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય, દરેક પ્રકારના નાગરિક અધિકારો સુરક્ષિત હોય, પ્રજા વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવામાં ન આવતા હોય, શાસકો પ્રજાને જવાબદાર હોય, માણસાઈની કેટલીક મર્યાદા જળવાતી હોય, માણસાઈના કેટલાક માપદંડો અફર હોય અને માનવીય ગરિમા રાષ્ટ્રજીવનના કેન્દ્રમાં હોય. સભ્ય સમાજના આ કેટલાક માપદંડો છેલ્લી એક-બે સદીમાં વિકસ્યા છે અને જે દેશ જેટલા પ્રમાણમાં તેને અપનાવે એ પ્રમાણે તેને સભ્યતાના ગજથી માપવામાં આવે છે. બ્રિટન આ બાબતે ઉચ્ચાંક ધરાવતા દેશોમાંનો એક છે. 

હવે ‘ગાર્ડિયન’નો અહેવાલ શું કહે છે એ જોઈએ. ‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ એક અભ્યાસ હાથ ધર્યો કે સભ્ય સમાજની દિશામાં લઈ જતી બ્રિટનની યાત્રા કઈ રીતની છે. સંપૂર્ણ આદર્શ સમાજ (જેને આપણે રામરાજ્ય કહીએ છીએ) તો હોતો નથી અને હોવાનો નથી, પણ એ દિશામાં ઉત્તરોત્તર આગળ વધી શકાય છે અને એ રીતે માણસાઈને સમૃદ્ધ કરી શકાય છે. અનુભવે જે જે ક્ષતિઓ નજરે પડે એ દૂર કરતા જવું જોઈએ. સમયે સમયે સુધારા થતા રહેવા જોઈએ. પણ એ સુધારા શેને આધારે થાય? જવાબ દેખીતો છે; જે તે બાબતે કરવામાં આવતા અભ્યાસો, અહેવાલો, ભલામણો વગેરેના આધારે. એ ભલામણો ક્યારેક નાગરિક સમાજ કરતો હોય છે, ક્યારેક જે તે વિષયના નિષ્ણાતો કરતા હોય છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતી હોય છે, સરકારી સંસ્થાઓ કરતી હોય છે, સરકાર દ્વારા નિયુક્ત અભ્યાસ કે તપાસપંચો કરતા હોય છે અને પ્રસંગ આવ્યે અદાલત કરતી હોય છે. આપણે ત્યાં પણ આ બધું થાય છે જેની સુજ્ઞ વાચકને જાણ હશે. આ રીતે ક્રમશઃ માનવીય સમાજ આકાર પામતો હોય છે.   

‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ ૧૯૮૧થી અત્યાર સુધી આ દિશામાં કરવામાં આવેલા અભ્યાસો અને ભલામણોની એક યાદી બનાવીને તપાસ કરી કે આના અમલની સ્થિતિ શી છે? યાદ રહે આમાં માત્ર એ જ અહેવાલો અને ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો સરકારે સ્વીકાર કર્યો હતો અને અમલ કરવાનું વચન આપ્યું હતું. એમાં એવા અહેવાલો / ભલામણોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે જે સરકારે પોતે પંચ રચીને મંગાવ્યા હતા. ‘ગાર્ડિયન’નો અહેવાલ કહે છે કે સરકાર દ્વારા સ્વીકારેલી ભલામણોમાંથી માત્ર ત્રીજા ભાગની ભલામણોનો સંપૂર્ણ અમલ થયો છે અને બીજી ત્રીજા ભાગની ભલામણોનો બિલકુલ અમલ કરવામાં નથી આવ્યો. બાકી રહેલી ત્રીજા ભાગની ભલામણોનો અડધોપડધો અમલ કરવામાં આવ્યો છે. રંગભેદ દૂર કરવા અંગેના એક અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોમાંથી માત્ર પાંચ ટકા  ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ઉદાસીનતા રંગભેદની બાબતે જોવા મળે છે. અને આ બ્રિટનની વાત છે જે સભ્ય દેશોમાં અગ્રેસર છે. 

આ એ સમયની વાત છે જ્યારે જગતમાં જમણેરી જુવાળ હજુ શરૂ નહોતો થયો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં આપણે સર્વશ્રેષ્ઠવાળી સર્વોપરિતાનું ગાંડપણ નહોતું શરૂ થયું. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ઓળખ આધારિત ઝનૂની બહુમતી રાષ્ટ્રવાદનો યુગ નહોતો બેઠો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ટ્રમ્પકુળના શાસકો બહુ ઓછા હતા. પણ તો પછી બ્રિટનમાં આવું કેમ? અને જો બ્રિટનમાં સ્થિતિ આવી હોય તો ભારત જવા દેશોનું તો પૂછવું જ શું! ભારતમાં તો બે-ચાર અપવાદોને છોડીને મીડિયા પણ ‘ગાર્ડિયન’ની કક્ષાનું પત્રકારત્વ કરતા નથી. 

દેખીતું કારણ છે ઢોંગ. અત્યારની ઊઘાડી નાગાઈ અને ભૂતકાળના ઢોંગ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અત્યારે નાગા થઈને કોઈકની પાસેથી કશુંક છીનવી લેવામાં આવે છે અથવા વંચિત રાખવામાં આવે છે તો ત્યારે વાયદા કરવામાં આવતા હતા, આશ્વાસન આપવામાં આવતાં હતાં, સામેવાળાની વાત એ કહે એના કરતાં પણ અસરકારક રીતે કહેવામાં આવતી હતી અને એવો દેખાવ કરવામાં આવતો હતો કે જો આને અપનાવવામાં ન આવે તો આપણે સભ્ય કહેવડાવવાને લાયક નથી. પણ અમલ કરવામાં નહોતો આવતો અને જો અમલ કરવામાં આવતો હતો તો અરધોપરધો કરવામાં આવતો હતો. 

પણ શા માટે? પહેલું કારણ છે લોકશાહી. લોકશાહી વ્યવસ્થાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રજાના સાથની જરૂર પડે છે. પ્રજા મત આપે ત્યારે સત્તા મળે છે અને એટલે પ્રજાને રાજી રાખવી પડે છે. પ્રજાના મત મેળવવા માટે વચનો આપવામાં આવે છે અને આપેલાં વચન પ્રત્યે ગંભીર હોવાનો દેખાવ કરવામાં આવે છે. 

બીજું કારણ છે માનવ સ્વભાવ. જે ઉપર છે તેને નીચે ઉતરવું નથી, હાથમાં છે એ છોડવું નથી, બીજાને પોતાની પંક્તિમાં બેસવા દેવો નથી, ફાયદો કરાવી આપનારી પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલવા દેવી નથી, વગેરે. એ તો દેખીતી વાત છે કે સહિતો રહિતો કરતાં વધારે તાકાતવાન હોવાના. તેઓ પરિવર્તનને રોકીને જૈસે થે સ્થિતિ જાળવી રાખવા માટે લોબિંગ કરશે. રાજકીય પક્ષોને અને તેના નેતાઓને ચૂંટણી લડવા પૈસા આપશે, ન્યાયતંત્રને પ્રભાવિત કરવા જજોને, મીડિયાને પ્રભાવિત કરવા પત્રકારોને, વહીવટીતંત્રને પ્રભાવિત કરવા અમલદારોને એક કે બીજી રીતે ફાયદો કરાવી આપશે કે જેથી તેઓ પરિવર્તનને અવરોધે. સામ્યવાદના પતન પછી શરૂ થયેલા મૂડીવાદના વર્તમાન યુગમાં સ્થાપિત હિતોનો પ્રભાવ વધ્યો છે. વધ્યો નહીં, અનેક ગણો વધ્યો છે. 

ત્રીજું કારણ એ છે કે શાસકો, અમલદારો, જજો કે પત્રકારો દરેક અંતે તો જે તે સમાજના સભ્ય છે. તેઓ તેમને ગળથૂથીમાં મળેલા સંસ્કારો છોડી શકતા નથી. ગળથૂથીમાં મળેલાં સંસ્કારોથી ઉપર ઊઠીને માનવીય સંસ્કાર અપનાવવા એ અઘરું છે. અનેક લોકો એમ કહે છે કે ગાંધીજી પણ આ કરી શક્યા નહોતા. ચોથું કારણ છે હમ ભી ડીચ વાળો સિનારિયો. ઔદીચ બ્રાહ્મણોની નાતના જમણવારમાં દરેક જણ વાડીના દરવાજે પોતાની ઔદીચ ઓળખ આપીને અંદર જમવા જતો હતો. એક માણસ દૂરથી આ જોતો હતો અને તેને કાને ડીચ ડીચ અવાજ આવતો હતો, થોડી વાર પછી તેણે પણ સાહસ કરીને હમ ભી ડીચ કહીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિ વિશ્વસમાજની પણ છે. સભ્યતામાં અમે કોઇથી પાછળ નથીએ બતાવવા સારુ હમ ભી ડીચની માફક સભ્યતાના માપદંડો અપનાવવા માંડ્યા, પણ કહેવા પૂરતા. પ્રજાને માનસિક રીતે તૈયાર કર્યા વિના, નાગરિકને નાગરિકતાનો ધર્મ સમજાવ્યા વિના, જરૂરી વ્યવસ્થાકીય સુધારાઓ કર્યા વિના સભ્યતાનો દેખાડો શરૂ થયો. અને પછી તો હિંમત વધતી ગઈ. કરો દાવા અને કરો દેખાડા. 

પાંચમું કારણ છે દરેક પ્રજાસમૂહના પંચકતારિયા. આ પણ માનવીય સ્વભાવ છે. હાંસિયામાં રહેલા સમાજમાંથી જો કોઈ માણસ આગળ આવે તો પહેલું કામ એ માણસ પોતાના સમાજથી દૂર જવાનું કરશે. એને પોતાના જ સમાજના લોકોથી અને જીવનશૈલીથી શરમ આવશે. તે એ લોકો જેવો થવાનો પ્રયાસ કરશે અને એ લોકો સાથે ભળવાનો પ્રયાસ કરશે જેણે તેને સદીઓથી દૂર રાખ્યો હતો. ટૂંકમાં સભ્ય વ્યવસ્થાના લાભાર્થીઓ પોતાના સમાજના લોકોને લાભ પહોંચાડવાની જગ્યાએ એની સાથે ભળી જશે જે વ્યવસ્થા બદલવા માગતા નથી. ૧૯મી સદીમાં  અંગ્રેજી શિક્ષણનો લાભ લીધેલા અનેક ભણેલાગણેલા અને સુધરેલા સવર્ણો અંગ્રેજોને વફાદાર હતા. 

છઠું કારણ છે પરિવર્તનની માગણી કરનારાઓની ભાષા અને વ્યવહારમાં અતિરેક. જેમ કે દલિત નેતાઓની ભાષા અને વર્તણૂક. તેઓ પોતાના સમાજના હિતોને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. જે લોકો વ્યવસ્થાપરિવર્તનને અવરોધવા માગે છે તેઓ આવા લોકોનો લાભ લે છે. 

આ અને આવાં હજુ બીજાં કેટલાંક કારણોને લઈને સાચુકલા પરિવર્તનો થઈ શક્યાં નહીં, માનવીય ગરિમાયુક્ત સભ્ય સમાજની રચનાની દિશામાં આગળ વધી શકાયું નહીં અને તેની જગ્યા દેખાવ અને ઢોંગે લેવા માંડી. આજે જે સ્વાર્થ, નીચતા, દાદાગીરી જોવા મળી રહ્યાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે એ આ દેખાવ અને ઢોંગનું પરિણામ છે.

જો બ્રિટનની આવી સ્થિતિ હોય તો ભારતનું તો પૂછવું જ શું!  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—301

દીપક મહેતા|Opinion - Opinion|9 August 2025

કમાન્ડર નાણાવટી : તો મેં મારી રિવોલ્વર વડે આપઘાત કર્યો હોત

ફરી અદાલતમાં અને અદાલત બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અદાલતનું કામકાજ શરૂ થતાં કમાન્ડર નાણાવટી ફેર-જુબાની માટે હાજર. 

બાળક સાથે નાણાવટી દંપતી સુખી દિવસોમાં

૨૭ એપ્રિલ ૧૯૫૯ના દિવસે તમે પ્રેમ આહુજાને ઘરે શા માટે ગયા હતા?

હું કાંઈ એને મળવા કે ગપ્પા મારવા નહોતો ગયો.

તો શા માટે ગયા હતા? 

મારે જાણવું હતું કે શું આહુજા સિલ્વિયા સાથે લગ્ન કરવા અને અમારાં બાળકોને અપનાવવા  તૈયાર છે?

જો તેણે ‘હા’ પાડી હોત તો?

તો તેમની વચ્ચેથી હું ખસી ગયો હોત.

અને જો એ ‘ના’ પાડે તો?

તો મેં વિચારેલું કે હું એને સારો એવો મેથીપાક ખવડાવીશ.

બીજું કાંઈ વિચારેલું? આહુજાનું ખૂન કરવાનું?

ના. મેં એવું વિચારેલું નહિ, અને મેં પ્રેમ આહુજાનું ખૂન કર્યું પણ નથી જ.

જો આહુજાએ સિલ્વિયા સાથે લગ્ન કરવાની ના પાડી હોત તો? 

તો હું સિલ્વિયા સાથે ખભેખભા મિલાવીને ઊભો રહ્યો હોત. કારણ મને ખાતરી છે કે આ બાબતમાં તે સાવ નિર્દોષ છે. પ્રેમ આહુજાએ તેને પ્રેમની જાળમાં ફસાવી અને તે બિચારી ભોળી તેમાં ફસાઈ ગઈ. મને તો ત્યાં સુધીની ખાતરી છે કે એ માણસે મારી પત્ની ઉપર જાદુટોણાનો ઉપયોગ કર્યો હતો.

જો આહુજાએ સિલ્વિયા સાથે લગ્ન કરવાની ‘હા’ પાડી હોત તો તમે તેને છૂટાછેડા આપ્યા હોત?

ના, જી. મેં મારી રિવોલ્વર વડે આપઘાત કર્યો હોત. 

આ તબક્કે અદાલતના એક ભાગમાંથી બૂમાબૂમ થવા લાગી.

જજ મહેતા : આ કેસ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય તેવા તમામ લોકોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવે એવો હું આદેશ આપું છું. કોર્ટના માર્શલ દાખલ થયા અને અદાલતના સિપાઈઓ દ્વારા કોર્ટ રૂમ ખાલી કરાવ્યો.

કોર્ટ રૂમ ખાલી થયા પછી.

તો પછી તમે પ્રેમ આહુજાને ઘરે ગયા ત્યારે સાથે પિસ્તોલ શા માટે લઈ ગયા હતા?

સેલ્ફ ડિફેન્સ માટે. સવારે વાતચીત દરમ્યાન સિલ્વિયાએ મને કહેલું કે તું આહુજા સાથે ઝગડો કરીશ તો બનવા જોગ છે કે એ તને મારી નાખે. મેં નેવલ ઓફિસમાં જઈને સર્વિસ રિવોલ્વરની માગણી કરી ત્યાં સુધી આહુજાને મારી નાખવાનો તો મને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. મેં તો ફક્ત સેલ્ફ ડિફેન્સ માટે રિવોલ્વર લીધી હતી. 

કમાન્ડર નાણાવટી, તમે અગાઉ કહ્યું છે કે તમે પ્રેમ આહુજાને ઘરે ગયા ત્યારે તેનો જીવ લેવાનો તમારો મુદ્દલ ઈરાદો નહોતો. તો પછી તમારા બંને વચ્ચે એવું શું બન્યું કે તમે તેના પર હુમલો કર્યો.

મેં આહુજા પર હુમલો કર્યો જ નહોતો. હા, તે જે બોલ્યો તે સાંભળીને મને અનહદ ગુસ્સો આવ્યો હતો.

આહુજા એવું શું બોલ્યા હતા?

મને એ અહીં બોલતાં પણ શરમ આવે છે.

ખંડાલાવાલા : જુઓ કમાન્ડર નાણાવટી. હોનરેબલ જજસાહેબ ગુજરાતી છે, તમે અને હું બી ગુજરાતી બોલીએ સમજીએ છીએ. એટલે ગુજરાતીની એક પ્રોવર્બ યાદ કરાવું? ‘વૈદ, વેશ્યા, અને વકીલ પાસે જઈએ તે વારે કંઈ બી છૂપાવાય નઈ.

OK. એ બોલ્યો કે તું સું એમ કહેવા માગે છે કે જેટલાં બી બૈરાં સાથે હું સૂઊં, તેટલાં સાથે મારે લગન કરવાં જોઈએ? 

પછી?

પછી હું એને મારવા દોડ્યો. તેણે મારા હાથમાંની રિવોલ્વર ખેંચવાની કોશિશ કીધી. તેમાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ ઝપાઝપીમાં રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ.

ફરિયાદ પક્ષના વકીલ : એ વખતે તમારા હાથમાં જે રિવોલ્વર હતી તે ઓટોમેટિક હતી?

ના, જી. 

તો પછી એ ફૂટી કઈ રીતે? 

એ મારા હાથમાં હતી. અને મેં મારી એક આંગળી તેના ટ્રિગર પર રાખી હતી. જ્યારે સેલ્ફ ડિફેન્સ માટે રિવોલ્વર વાપરવાની હોય ત્યારે આમ કરવાનું અમને શીખવવામાં આવે છે. ઝપાઝપીને કારણે મારી આંગળી ટ્રિગર પર દબાઈ હશે અને મારી રિવોલ્વરમાંથી ગોળીઓ અકસ્માત છૂટી હશે. જ્યારે આહુજા ફર્શ પર ઢળી પડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે કશુંક ન બનવાનું બની ગયું છે. ત્યારે મને પહેલો વિચાર આવ્યો તે પોલિસ પાસે જઈને સરન્ડર કરવાનો. એ વખતે હું એટલો તો બેબાકળો હતો કે મિસ આહુજા સાથે, કે એ ઘરના નોકર સાથે કે સોસાયટીના વોચમેન સાથે મારે કંઈ વાતચીત થઈ હોય તો તે મને યાદ નથી.

તમે પ્રેમ આહુજાના બેડ રૂમ કે બાથ રૂમમાં કેટલા વખત માટે હતા?

ચોક્કસ કહેવું તો મુશ્કેલ છે, પણ વધુમાં વધુ એક મિનિટ માટે. મને જોતાં વેત મરનારે મારું કાંડું પકડી લીધું હતું જે છોડાવવા માટે હું સતત કોશિશ કરી રહ્યો હતો. એ ખેંચતાણમાં રિવોલ્વરનો ટ્રિગર દબાઈ ગયો હશે. 

નાની જગ્યામાં તમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ. ખેંચતાણને કારણે અકસ્માત રિવોલ્વરનો ટ્રિગર દબાઈ ગયો, એમ તમે કહો છો. છતાં તમારાં કપડાં પર લોહીનો એક પણ ડાઘ ન હોય એવું કઈ રીતે બને?

એવું ન જ બની શકે એવું તો નથી ને? અને લાગતાવળગતા પોલીસની જુબાનીમાં પણ કહેવાયું છે કે મેં જ્યારે ડેપ્યુટી કમિશનર લોબો પાસે જઈને સરન્ડર કર્યું ત્યારે કોઈએ બી મારાં કપડાં પર લોહીનો એક બી ડાઘ જોયો નહોતો. 

જેઠમલાની : અત્યારે તમે ઇન્ડિયન નેવીની નોકરીમાં છો?

નાણાવટી : નોકરીમાં છું, પણ આ બનાવ બન્યા પછી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

છતાં તમે અદાલતમાં આવો છો ત્યારે નેવીનો યુનિફોર્મ કેમ પહેરો છો?

કારણ પ્રોવોસ્ટ માર્શલ તરફથી મને એવો આદેશ આપવામાં આવ્યો છે. 

વારુ. પણ તમે જે વિગતો જણાવી તે ઉપરથી તો એવું જણાય છે કે પ્રેમ આહુજાને મારી નાખવાના ઈરાદા સાથે જ તમે તેને ત્યાં ગયા હતા. અને ધારેલું કામ પાર પડ્યું એટલે તરત ત્યાંથી નીકળી ગયા હતા. 

આ તદ્દન ગેરવ્યાજબી અને વાહિયાત એલગેશન છે. તદ્દન ખોટી વાત છે. હકીકતમાં હું ડેપ્યુટી કમિશનર લોબો પાસે સરન્ડર કરવા ગયો ત્યાં સુધી મને ખબર નહોતી કે આહુજા મરાયો છે. ગામદેવી પોલિસ સ્ટેશને ડેપ્યુટી પોલિસ કમિશનર લોબોને ફોનથી ખબર આપેલા. અને જ્યારે લોબોએ મને કહ્યું ત્યારે જ મને ખબર પડી કે આહુજાનું મોત નિપજ્યું છે. મને ખબર હતી કે મારી રિવોલ્વરમાંથી અકસ્માત ગોળીઓ છૂટી હતી અને તેનાથી પ્રેમ આહુજા ઘવાયો હતો. અને એ માટે સરન્ડર કરવા જ હું ડેપ્યુટી પોલિસ કમિશનર પાસે ગયો હતો. 

જજ મહેતા : મરનાર આહુજાએ તમારા પર કોઈ જાતનો હુમલો કર્યો હતો?

મને ખાતરીપૂર્વક યાદ નથી, પણ તેણે મારા હાથમાંથી રિવોલ્વર પડાવી લેવાની કોશિશ તો જરૂર કરી હતી. 

જજ મહેતા : હવે બીજું કોઈ કમાન્ડર નાણાવટીને કશું પૂછવા માંગે છે? જવાબ ‘ના’માં મળતાં કમાન્ડર નાણાવટીની જુબાની પૂરી થઈ હોવાનું જજસાહેબે જાહેર કર્યું. અદાલતનું કામકાજ પૂરું થયા પછી કોર્ટના રજિસ્ટ્રારે આ કેસ સાથે સંકળાયેલા બધા વકીલોને પોતાની ઓફિસમાં બોલાવીને તેમની સાથે કેટલીક ચર્ચા કરી.

*

ટાઈગર ગેટ, બેલાર્ડ પીઅર

બીજે દિવસે સવારથી માત્ર કોર્ટના મકાનમાં જ નહિ, તેની આસપાસના વિસ્તારમાં, રસ્તાઓ પર સરકારી વાહનોની આવ-જા ઘણી વધી ગઈ હતી. રસ્તા પર થોડે થોડે અંતરે

માનક ચિહ્ન

મુંબઈ પોલિસ ઉપરાંત નેવલ પોલિસના જવાનો ઊભા હતા. કોર્ટના મકાનની બહાર તો ઇન્ડિયન નેવીના હથિયારબંધ રક્ષકો ઊભા હતા. બેલાર્ડ પિયરના ટાઈગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઓફિસ પણ સવારથી ધમધમી રહી હતી. મકાનની બહાર અને રસ્તા પર નેવલ પોલિસના સશસ્ત્ર જવાનો ખડે પગે ઊભા હતા. છાપાંના ખબરપત્રીઓ અને ફોટોગ્રાફરો આજે કોર્ટના મકાન ઉપરાંત ટાઈગર ગેટ પાસે પણ સવારથી એકઠા થયા હતા. આ બધું જોઇને લોકોમાં જાતજાતની વાતો વહેતી થઈ હતી, જેમાંની એક્કે સાચી નહોતી. કોઈ કહેતું હતું કે આજે નાણાવટી ખૂન કેસનો ચુકાદો આવવાનો છે એટલે આ બંદોબસ્ત કર્યો છે. કોઈ કહે કે નાણાવટી અને આહુજાને ટેકો આપવા તેમની બે કોમ તરફથી આજે સરઘસો નીકળવાનાં છે એનું આ પરિણામ છે. કોઈએ તો ત્યાં સુધી કલ્પનાના ઘોડા દોડાવ્યા કે આજે ઇન્ડિયન નેવીના જવાનો કોર્ટમાંથી ઉઠાવી જઈને નાણાવટીને છોડાવવાના છે. પણ ખરું કારણ તો બહુ ઓછા જાણતા હતા. અને જે જાણતા હતા એ આ અંગે કશું બોલતા નહોતા. 

એ કારણ શું હતું એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 ઓગસ્ટ 2025

Loading

...102030...180181182183...190200210...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved