પ્લેગ, બળિયા, ઓરી, શીતળા, કાળી ખાંસી, ટી.બી., રક્તપિત્ત, મેલેરિયા, ટાઇફોઈડ, યલો ફીવર, ઇંગ્લિશ સ્વેટ, સાર્સ, સ્પેનિશ ફ્લૂ, ઈન્ફલૂએન્ઝા, એચ.આઈ.વી. એઈડસ અને કોવિડ-૧૯ : ઈ.સ. પૂર્વે ૪૩૦થી લગભગ દર સદીએ જોવા મળતી, અને માનવ જાતનો મોટા પાયે ભોગ લેતી, આ કેટલીક મહામારીનાં નામ છે. આ પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોનાં મોત થયાં હતાં. માનવીના અસ્તિત્વ માટે ખતરો બની રહેનારી આ મહામારી માનવીમાં વધુ સમજણ અને માનવતા જગાડે તે અપેક્ષિત હોય છે. જો કે મહામારીમાં પણ માણસ સુધરતો નથી અને તેના પૂર્વગ્રહો, ભેદભાવ તથા અસમાનતા અકબંધ રહે છે.
‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવાયેલી ચૌદમી સદીની બ્યૂબોનિક પ્લેગની મહામારીમાં સાડા સાતથી વીસ કરોડ લોકોનાં મોત થયાંનો અંદાજ છે. આ મહામારીમાં પણ માનવીના પૂર્વગ્રહો અછતા રહી શક્યા નહોતા. યુરોપમાં બ્યૂબોનિક પ્લેગના ફેલાવા માટે ખ્રિસ્તીઓએ યહૂદીઓને જવાબદાર માન્યા હતા. ખ્રિસ્તીઓએ ખૂબ મોટા પાયે યહૂદીઓને નિશાન બનાવી તેમના પર બર્બર હિંસા આચરી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકાના પૂર્વ તટમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ઇંગ્લિશ મૂળના પ્રોટેસ્ટન્ટોએ તેનો દોષ આઈરિશ મૂળના કેથલિક્સ પર ઢોળ્યો હતો. તેવું તે સમયના દસ્તાવેજોના આધારે સાબિત થયું છે.
ભારતમાં ઓગણીસમી સદીના આખરી દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આશરે બે દાયકા સુધી તેની અસર રહી હતી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં જ એક કરોડ લોકોનાં પ્લેગને કારણે મોત થયાં હતાં. ૧૮૯૬માં ચીનમાંથી પ્લેગ ભારતમાં ફેલાયો હતો. મુંબઈ ઈલાકામાં પ્લેગ નિવારણમાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યાની ફરિયાદો એ સમયના બ્રિટિશ શાસકો પર ઊઠી હતી. બીજી તરફ શહેરી ગરીબ ઝૂંપડાવાળાઓના લીધે પ્લેગ ફેલાયો હોવાનું માનતા સુખી સંપન્ન લોકોએ ગરીબોની વસ્તીઓ સળગાવી તેમના પર હિંસક હુમલા કર્યા હતા.
જ્યારે સવાસો વરસ પૂર્વે મહારાષ્ટ્રના પૂણેમાં પ્લેગે કાળો કેર વર્તાવ્યો, ત્યારે વોલ્ટર ચાર્લ્સ રૈંડ નામક અંગ્રેજ અધિકારી પૂણેના પ્લેગ નિયંત્રણ અધિકારી હતા. કશા ભેદભાવ વિના તેમણે બે જ મહિનામાં પૂણેમાં પ્લેગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે તેની કિંમત તેમણે પોતાનો જીવ ગુમાવીને ચુકવી હતી. પ્રો. પરિમલ વી. રાવના દલિત દ્રષ્ટિકોણથી કરાયેલા પૂણેના પ્લેગના અભ્યાસમાં જણાવાયા મુજબ પૂણેના આસિસ્ટન્ટ કલેકટર રૈંડે અસ્પૃશ્યો સહિતના તમામ ધર્મના લોકો માટે પ્લેગ હોસ્પિટલ સ્થાપી હતી. પરંતુ લોકમાન્ય ટિળકને તે મંજૂર નહોતું. ટિળકના એક જીવનીકારે નોંધ્યું છે તેમ તેમણે હિંદુ નેતાઓ સાથે મળીને પોતાના ખર્ચે હોસ્પિટલ ઊભી કરી હતી પણ તેમાં અસ્પૃશ્ય હિંદુઓને દાખલ કરતા નહોતા. ટિળકના ‘મરાઠા’ અને ગોપાલકૃષ્ણ ગોખલેના ‘સ્વરાજ’માં અંગ્રેજો પ્લેગની સારવારમાં ભારતીયોની ધાર્મિક ભાવનાનું અપમાન કરી રહ્યાના અહેવાલો પ્રગટ થતા હતા. તેના કારણે જ સાંપ્રદાયિક માહોલ ઊભો થયો હતો અને ચાફેકર બંધુઓએ અંગ્રેજ અધિકારી રૈડ સહિત બે અંગ્રેજોની હત્યા કરી હતી. આ રાષ્ટ્રવાદી કૃત્યનાં મૂળમાં અંગ્રેજોની અસ્પૃશ્યો પ્રત્યેની સમાનતાની અને કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓની ભેદભાવની નીતિ જવાબદાર હતી.
હાલની કોરોના મહામારીમાં આખી દુનિયાની આરોગ્ય સંભાળમાં મહિલાકર્મીઓનો હિસ્સો સિત્તેર ટકા જેટલો છે, પરંતુ મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહો અને ભેદભાવોને કારણે કોરોના સંબંધી નિર્ણય પ્રક્રિયામાંથી તેમને બાકાત રાખવાનું વલણ વિશ્વની પિતૃસત્તાનું જોવા મળે છે. દુનિયાના ૧૩૭ દેશોના કોરોના અંગેના જે ૨૨૫ ટાસ્ક ફોર્સ કાર્યરત છે, તેમાં માત્ર ૨૪ ટકા જ મહિલાઓ છે. ૨૬ ટાસ્ક ફોર્સમાં તો એક પણ મહિલા નથી. માત્ર આઠ દેશોના ટાસ્ક ફોર્સમાં મહિલાઓની સમાન ભાગીદારી છે. કોરોના મહામારીના જે ઉકેલો વિચારાયા છે, તેમાં ૩૨ દેશોએ મહિલાઓને ધ્યાનમાં રાખીને કશું જ વિચાર્યું નથી. કોરોનાના ઉકેલના ૨,૨૮૦ સૂચનોમાં ૧૩ ટકા જ મહિલા સંબંધિત છે. કોરોના મહામારી દરમિયાન લૈંગિક સમાનતામાં મહિલાઓ પાછળ ધકેલાઈ ગઈ છે અને ઘરેલુ હિંસા વધી છે.
કોરોના દરમિયાન મૃત્યુ પામનારા દક્ષિણ એશિયાઈ આરોગ્યકર્મીઓની સંખ્યા ગોરાઓ કરતાં બે ગણી છે. ભારતમાં સુરક્ષાનાં અલ્પ સાધનો સાથે સફાઈ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી જોખમી કામોમાં સફાઈ કામદારોને જોતરવામાં આવે છે. કોરોના કામગીરી દરમિયાન રાજધાની દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાના કુલ ૯૪ કર્મચારીઓનાં મોત થયાં છે તેમાં અડધોઅડધ એટલે કે ૪૯ સફાઈ કામદારો છે. ભારતના કેટલાંક શહેરોમાં રસીકરણનો આરંભ સફાઈ કામદારોથી થયો હતો. તે સમયે સફાઈ કામદારોની ફરિયાદ હતી કે રસીકરણમાં તેમને પ્રાથમિકતા આપવાનું કારણ સમાજ અને સરકારનો તેમના પ્રત્યેનો પ્રેમ કે લાગણી નથી, પણ રસીની આડઅસરો ચકાસવા માટે તેમને આગળ ધરી દેવામાં આવ્યા છે.
વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન છે. પરંતુ રસીકરણમાં પણ ભારોભાર ભેદભાવ પ્રવર્તે છે. દુનિયાની કુલ રસીનો એક તૃતીયાંશ ભાગ અમેરિકાએ લઈ લીધો છે. અમેરિકામાં પણ ગોરાઓના મુકાબલે કાળાઓનું રસીકરણ ઓછું છે. અમેરિકા, ચીન, બ્રિટન, ઈઝરાયલ અને ભારત એ પાંચ દેશો રસીકરણમાં મોખરે છે. તો દુનિયાના ૨૯ ગરીબ દેશોના એકે ય નાગરિક સુધી હજુ કોરોનાની રસી પહોંચી નથી. ભારતમાં જ્યાં બદતર આરોગ્ય સગવડો છે તે ગ્રામીણ ભારત અને અંતરિયાળ વિસ્તારો સુધી પણ રસી પહોંચી નથી. એપ્રિલ ૨૦૨૦માં ભારતમાં કોરોના સંક્રમણનો દર શહેરોમાં ૭૦ ટકા અને ગામડાંમાં ૩૦ ટકા હતો. એક વરસ પછી એપ્રિલ ૨૦૨૧માં શહેરોમાં ૬૦ અને ગામડાંઓમાં ૪૦ ટકા છે. પરંતુ ગામડાં પ્રત્યેના ભેદભાવોને લીધે હજુ તેમને રસીકરણમાં કે આરોગ્ય સુવિધાઓમાં પ્રાથમિકતા મળતી નથી.
કોરોનાકાળમાં આર્થિક અસમાનતા અકલ્પનીય હદે વધી છે. ‘ધ ઈનઈક્વાલિટી વાઈરસ’ નામક ‘ઓકસફામ’નો અહેવાલ, ભારતમાં અબજોપતિઓની સંપતિમાં આ ગાળામાં ૩૫ ટકાનો વધારો થયાનું નોંધે છે. ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર એ હદે વધતું જાય છે કે અબજોપતિઓની માત્ર વધેલી સંપત્તિ દેશના ૧૩.૮ કરોડ ગરીબોને વહેંચવામાં આવે તો દરેકના ભાગે રૂ.૯૪,૦૪૫ આવે તેમ છે! વિશ્વ અસમાનતા ડેટાબેઝ જણાવે છે કે મધ્યમવર્ગના ૪૦ ટકા લોકોની કુલ આવકમાં હિસ્સેદારી ૪૪ ટકાથી ઘટીને ૩૦ ટકા થઈ છે. તળિયાના ૫૦ ટકાની હિસ્સેદારી ૨૦ ટકાથી ઘટીને ૧૩ ટકા થઈ છે. પણ ટોચના ૧૦ ટકા ધનવાનોની હિસ્સેદારી ૫૨ ટકાથી વધીને ૬૩ ટકા અને તેના ય ટોચના ૧ ટકાની ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થઈ છે. એકલા મૂકેશ અંબાણીની વધેલી સંપત્તિ ભારત સરકારના દસ વરસના મનરેગા કે આરોગ્યના બજેટ જેટલી છે.
ભારતમાં કોરોનાના આરંભે જ દિલ્હીના મરકઝ કે તબલિગી જમાતને દોષિત ઠેરવી દેવાનું સરકારી વલણ હતું. કોરોના દરદીઓના સત્તાવાર આંકડાઓ ખુદ સરકારો ધાર્મિક આધારે તબલિગીઓને જુદા તારવીને આપતી હતી. ગરીબ રાજ્યોના સ્થળાંતરિત કામદારોના પરસેવાથી દેશના જે રાજ્યોનો વિકાસ થયો છે, તેમણે તાળાબંધીમાં તેમને તરછોડી દીધા હતા. તેમના વતન રાજ્યોમાં પણ તેમને કોરોના ફેલાવનારા ગણાવી હડધૂત કરાયા હતા. માનવીમાં રહેલા ભેદભાવ, પૂર્વગ્રહો અને અસમાનતાનું વિકરાળ રૂપ દર્શાવતી કોરોના કંઈ પહેલી મહામારી નથી. સરકારો અને સમાજનું વલણ અને વર્તન શાયદ તેને છેલ્લી પણ નહીં બનવા દે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે થોડાક વરિષ્ઠ ગુજરાતી પત્રકારો વિશે લખાય તો સારું, એવો વિચાર આવતાં છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત વરિષ્ઠ પત્રકાર, લેખક ને કર્મશીલ પ્રકાશ ન. શાહ વિશે વ્યક્તિગત સંસ્મરણાત્મક થોડું લખ્યું છે. તેમણે તેમના આઠ દાયકા કરતાં વધુ સમયના આયખામાં સાડા પાંચ દાયકા જેટલો સમય અધ્યાપન, લેખન, પત્રકારત્વ, જાહેરજીવન અને વિવિધ આંદોલનોમાં વિતાવ્યો છે.
તેમણે કહ્યું કે, તમે મજૂર મહાજનમાં ઈલાબહેન ભટ્ટને મળો. ત્યાં ‘મજૂર સંદેશ’ અર્ધ સાપ્તાહિક તેમનું મુખપત્ર છે. તેના સંપાદક દાંડીયાત્રી ભાનુભાઈ દવે હવે નિવૃત્ત થઈ રહ્યા છે. હું ઈલાબહેનને મળ્યો તો તેમને મને અરવિંદ બૂચ પાસે મોકલ્યો. આમ વિધિવત્ પહેલી નોકરીનું શ્રેય પ્રકાશભાઈને આપું તો તેમાં જરાયે ખોટું નથી.
બોલવાનો આરંભ તેમણે ૧૯૬૦માં જયંતી દલાલને પૂર્વ શિક્ષણ મંત્રી સી.એન. વિદ્યાલયનાં ઈન્દુમતીબહેન શેઠના નિર્ણાયકપદે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધક વક્તા તરીકે કર્યો હતો. ને ૧૯૬૨માં ગૂજરાત યુનિવર્સિટીની બધી કૉલેજોની મહાદેવ દેસાઈ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે સુવર્ણચંદ્રક મેળવ્યો તે ચીન યુદ્ધ સમયે સંરક્ષણ ફંડમાં આપી દીધો હતો.


સહજ રીતે નહીં, પણ આવી એક સમજ ધારણ કરીને, પણ આવા એક સંકલ્પથી કવિતા લખવાનું બંધ કરું છું તે લગભગ પાંચેક વર્ષ સુધી. અને પછી ૧૯૮૪માં અચાનક કૈંક થાય છે, એક પ્રકારનો વિસ્ફોટ થતો હોય એવી રીતે હું લખવાનું શરૂ કરું છું. તો એ વખતે આ ‘ધ્રિબાંગસુંદર’ લખાયું. હવે ત્યાં સુધીમાં મારી પાસે સત્સંગની એક સ્પષ્ટ સમજ તો પુષ્ટ થઈ જ ગઈ છે, મનથી કેળવેલો, સંકલ્પથી ઊભો કરેલો એક પ્રકારનો વિતરાગ મારા ચિત્તમાં હશે. અને ‘ધ્રિબાંગસુંદર’માં જે પદાવલી છે એ અત્યંત શૃંગાર પ્રધાન છે. કંઈક અંશે એમાં સંભોગ શૃંગારનાં ચિત્રો પણ છે. મારે માટે એ ‘ટગ ઓફ વોર’ હતી. મારી અંદર મારી આ જે સ્પ્લીટ પર્સનાલિટી હતી, જે અડધી ધ્રિબાંગ છે અને અડધી સુંદર છે, ધ્રિબાંગ – એ અભિવ્યક્તિ, જે પોલું છે તે બોલે છે. તો કવિતામાં આ જે બોલવાની પ્રક્રિયા છે એ છે ધ્રિબાંગ અને અંદરનું બીજું જે સુંદર અંગ છે, એ બંને અંગ વચ્ચેનો આ એક સંઘર્ષ છે, – એ બધું આ કવિતામાં પ્રગટ થાય છે. એટલે હું મારું વિડંબન કરું છું, મારી મશ્કરી કરવાની કોશિશ કરું છું, અને સાથે સાથે ચારે બાજુ જે પરિવેશ છે સાહિત્યનો, એની પણ હું વાત કરું છું અને એનું પણ વિડંબન કરવાની હું કોશિશ કરું છું. તે વખતે આપણી આટલી સુંદર લાલિત્યપૂર્ણ ભાષા વિષે પણ મારા ચિત્તમાં એક કવિ લેખે અને એક પરમાર્થી તરીકે હતું કે મારી કવિતામાં ભાષાનું આ લાલિત્ય પણ પ્રગટ કરું. એટલે મેં એક-બે પ્રકરણ ગઝલનાં લખ્યાં છે, પછી મધ્યકાલીન કુંડળિયાનો પ્રકાર છે એનું પણ એકાદ પ્રકરણ છે. પછી ગીતો છે, પણ એને મેં ગીતો નથી કહ્યાં પણ ‘તિર્યગ્ ગીતિ’ એવું કહ્યું છે, અછાંદસ પણ છે, ગદ્યકાવ્ય પણ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મારે મારી ભાષાનું ઐશ્વર્ય પણ એ કાવ્યોમાં પ્રગટ કરવું હતું એટલે મેં આ પ્રકારનું પ્રકરણોનું આયોજન કર્યું. એ કેટલું સફળ-નિષ્ફળ ગયું એ જુદી વાત છે. પણ એક કવિ તરીકેની મારી અભિલાષા અને એક પરમાર્થી તરીકે એ ઘટનાને સ્વીકારવાનો ભાવ એ બે વચ્ચેનો સંઘર્ષ અહીં પ્રગટ થાય છે.