Opinion Magazine
Number of visits: 9962887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી

બારીન મહેતા|Poetry|31 December 2021

એ દૂર-દૂર જતી રહી છે,
હા, એનાં પગલાં અહીં છોડતી ગઈ છે :
એની છાપ ઉકેલવા
હવે સહુ મથી રહ્યા છે,
પણ કશું ઉકેલાતું નથી.
એ જોવાની મજા
સાવ અલગ હોવા સાથે પીડાદાયક પણ છે.

અધધ, આટલા બધા માણસો,
મથ્યા કરતા સતત
એનાં પગલાં ઉકેલવા
છતાં કશું ઉકેલી ના શકે,
એટલે જતા રહે અલગ થઈ
વેગળા.
બસ, એમ જ
રચે પછી એનાં તાત્ત્વિક સમાધાનો
પછી ઉકેલો
ને
જે
દૂર-દૂર જતી રહી છે
તે
નાખી-નાખી કેટલા નિસાસા નાખે!!

જુઓ તો
હકીકતમાં કેટલા ય વળગી રહ્યા છે
પડેલાં એ પગલાંને
મથી રહ્યાં છે
પોતાની હૈયા ઉકલતથી
તેઓ વેગળા થવાનું નામ નથી લેતાં.
ના ઉકેલાય તો કંઈ નહીં,
પગલાં તો હાથવગાં છે ને,
એ જ ક્યારેક દાખવશે
કોઈ દિશા, મારગ કે ઉકેલ :
આ એક આગવી રીત છે,
જે દૂર દૂર જતી રહી છે
એની સાથે પોતાને જોડી રાખવાની.

આવી સ્થિતિ વચ્ચે
આ દૃશ્ય
ધૂંધળું લાગે,
ધુમ્મસમય દેખાય.
એટલે ઘણા ફેલાવો કરી રહ્યા છે,
કોઈના દોરવ્યા
ધૂંધળાશ
અને ધુમ્મસ ફેલાવવાનો.
એ પણ
જે જતી રહી છે,
એના નામનો હવાલો આપીને.
તો પણ
માણસો, માણસો જ હોવાથી
એટલું સમજી શક્યા છે
એ દૂર-દૂર જતી રહી છે
એનાં પગલાંની છાપ છોડતી ગઈ છે
એમાં જરૂર કોઈ સંકેત છે :
આ સંકેત મળવામાંથી
સાંપડવાનાં છે
એના ફળવાનાં પગલાં …..

e.mail : barinmehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 02

Loading

અલવિદા, ડેસમંડ ટુટુ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|31 December 2021

થોડાં વરસ પર વિપુલ કલ્યાણી અને હું દક્ષિણ આફ્રિકાનાં ગાંધીતીર્થની યાત્રાએ ગયા ત્યારે ઈલા ગાંધી સ્વયંસેવી ઊલટથી અમને સેલ્ફડ્રાઈવ કરી ફાતિમા મીરને મળવા લઈ ગયાં હતાં. એ જ સવારે અમે ગાંધીજી વિશે ઘસાતું (દક્ષિણ આફ્રિકી મૂળ પ્રજા સંદર્ભે) સાંભળ્યું હતું અને કંઈક ક્ષુબ્ધ પણ હતા. વાત ચાલી, ત્યારે ફાતિમા મીરે તળ ગુજરાતી પારસી લહેકામાં ને વળી હલકથી કહ્યું, ‘મધુરાધિપતેર અખિલં મધુરમ’ની તરજ પર, કે એવણનું બધ્ધું મીઠ્ઠું અને પછી ઉમેર્યું, હમણાં જ ડેસમંડ ટેટુએ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં – અમારું હૃદય ફાડીને જુઓ. એમાં ગાંધી દેખાશે.

— પ્ર.ન.શા.

“નિરીક્ષક” તંત્રી

°°°

ભારતનો અને દક્ષિણ આફ્રિકાનો સંબંધ જૂનો અને જાણીતો છે. મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાં વસતા ભારતીયો અને ગિરમીટિયાઓ માટે, તેમના અધિકારો માટે લડ્યા અને તે સમયે ‘ગાંધીભાઈ’ તરીકે જાણીતા થયા અને ત્યાં શરૂઆતના બે આશ્રમો સ્થાપ્યા, એ સઘળી વિગતો પાછળથી ગાંધીજીએ લખેલા પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’માં સંગ્રહેલી છે. ઘણાને યાદ હશે કે આ પુસ્તક ગાંધીજીએ જેલમાં રહ્યા-રહ્યા લખ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી લખાવે તેમ લખતા હતા.

આ બધું આજે યાદ કરવાને કારણ છે રંગભેદ વિરોધી નેતા ડેસમંડ ટુટુ નેવું વર્ષની વયે ૨૬મી ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અવસાન પામ્યા છે. કાળા-ગોરાની લડાઈ દાયકાઓ સુધી ચાલી છે. ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં તે ઘણી ઉગ્ર બની હતી. ઘણું લોહી વહ્યું હતું, ત્યારે અશ્વેત લોકોના નેતા તરીકે ડેસમંડ ટુટુ ઊભર્યા હતા.

ગાંધીજી રંગભેદનો ભોગ બન્યા હતા અને વાજબી ટિકિટ હોવા છતાં રેલવેના પહેલા વર્ગના ડબ્બામાંથી પ્લૅટફૉર્મ પર ધકેલી દેવાયા હતા ! જે ઘટના થકી જ તેમનો ઉદય મહાત્મા સુધી થયો હતો. આ એક ઘટનાની આપણને ખબર છે, પરંતુ આનાથી વધુ અપમાનજનક અને આઘાતજનક હિંસાત્મક ઘટનાઓ તે સમયના શ્વેત-શાસન તરફથી અશ્વેત પ્રજા પર આચરવામાં આવતી હતી, જે જાણીએ અને વાંચીએ તો માનવજાત પ્રત્યે નફરત જ નફરત પેદા થાય! ભલું થજો નેલસન મંડેલાનું જે પોતે રંગભેદનીતિ સામે લડતાં-લડતાં દાયકાઓ સુધી જેલમાં રહીને, બહાર નીકળ્યા પછી ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે વખતે મંડેલાએ ડેસમંડ ટુટુને અગાઉની સરકારોએ આચરેલા અત્યાચારો અંગેના તપાસપંચના અધ્યક્ષ નીમ્યા હતા.

મંડેલા અને ટુટુ બન્ને ત્યાંના સ્થાનિક નેતાઓ હતા. રંગભેદ વિરોધી ચળવળના લડવૈયાઓ હતા. ટુટુ તો ખ્રિસ્તી-ધર્મના પુરોહિતવર્ગમાંથી લડવા માટે આગળ આવ્યા હતા. ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.

ડેસમંડ ટુટુનો જન્મ ૭-૧૦-૧૯૩૧ના રોજ પશ્ચિમ જોહાનિસબર્ગના એક પરગણામાં થયો હતો. ૧૯૬૧માં તેઓને ચર્ચના પુરોહિતવર્ગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની આજે ૬૬ વર્ષનાં છે અને તેમને ચાર બાળકો છે. એક સમયે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે તે ગમે, ત્યારે એમણે જવાબ વાળેલો કે : “આ એવો માણસ હતો જેણે લોકોને ચાહ્યા, લોકો સાથે હસ્યાં અને રડ્યાં, તેને ક્ષમા મળી અને તેણે ક્ષમા આપી. આવા વિશેષાધિકારો તેને જીવનભર પ્રાપ્ત થતા રહ્યા.”

અનેક લોકોએ પોતાને લગતા અન્યાયો સામે સતત લડતો આપી છે. એમ પણ કહેવાયું છે કે અન્યાય સહન કરનાર અન્યાય આચરનાર જેટલો જ મોટો ગુનેગાર છે. માણસજાતે ખોટા અન્યાયો લાંબો સમય સુધી સહન કરતા રહેવાની કોઈ જરૂર નથી એ ગાંધી, મંડેલા, ટુટુ જેવા અનેક નેતાઓ આપણને શીખવી ગયા છે. શાસક કે શોષણખોર ગમે તેટલો જલ્લાદ કેમ ન હોય – પ્રજાએ અને પ્રજાકીય નેતાઓએ પોતાના નૈતિક બળથી લાંબી લડતો આદરીને, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા, અવશ્ય મેળવી છે. પરંતુ આખરે વિજય તો સત્યનો જ થયો છે. આવી ઇતિહાસસિદ્ધ હકીકતો આપણને પ્રેરણા પૂરી પાડે છે.

ડેસમંડ ટુટુ સદાય કહેતા કે હું ચૂપ નહિ રહી શકું. તેઓ એમ પણ કહેતા કે ઘાંટા પાડીને બોલવાને બદલે તમારી દલીલ એવી મજબૂત કરો જેનો પ્રતિકાર ન થઈ શકે! લડતમાં લડવાનું પણ છે અને જતું પણ કરવાનું છે. ક્યારે માફ કરી દેવું અને ક્યારે અડગ રહેવું એ બરાબર સમજવાનું છે. સદાય એવી આશા રાખવાની છે કે ગાઢ અંધકારને અંતે તેજકિરણ મળવાનું જ છે. તમે જ્યાં પણ હોવ, ત્યાં રહીને અન્યાય વિરુદ્ધ પોતાનાથી થાય તેટલું અવશ્ય કરતા રહો અને બાકીનું ઈશ્વરના ભરોસે છોડી દો. ઈશ્વરી સત્તા એ ન્યાયી છે અને હરહંમેશ એ તમારી પડખે છે એવો અહેસાસ અનુભવો. હું શાંત રહી શકું એવું જરૂર ઇચ્છું છું, પણ અન્યાય સામે જોઈને તેમ ન કરી શકું અને નહિ કરું.

કોઈકે ઠીક કહ્યું છે કે સદીઓના ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એવું જાણવા મળે છે કે માણસજાત ઇતિહાસમાંથી કશું શીખી નથી. એનો અર્થ એ થયો કે આપણે એકની એક ભૂલો ફરી કરીએ છીએ. લોકોએ અન્યાય સામે લડીને જીત મેળવી છે એ વાત અંકે કરીને સક્રિય બનવાને બદલે નિરાશ થઈએ છીએ. ભૂતકાળ આપણને ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરનારો હોવો જોઈએ, નિરાશ કરનારો નહિ.

રિવાજ તો મૃતાત્માઓેને અંજલિ આપવાનો રહ્યો છે. આમ જોઈએ એ એક પ્રકારનો, કર્મકાંડ થઈ ગયો છે. આપણે શ્રાદ્ધપક્ષમાં દૂધપાક ખાઈને અટકી જઈએ છીએ. પૂર્વજોએ શ્રદ્ધા પૂરી પાડનાર જે તત્ત્વો આચરી બતાવેલાં તેને અનુસરવાનું ભાગ્યે જ કરીએ છીએ. ઇતિહાસનાં પાત્રો પણ આપણા પૂર્વજો જ છે. તેમનાં કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા કદી પણ હતાશા કે નિરાશાની ન હોઈ શકે, પરંતુ પ્રોત્સાહન અને વિજયની જ હોઈ શકે.

ચાલો, આજે પણ આપણે ગાઢ અંધકારથી ડર્યા વિના તેજકિરણની આશાએ આપણને લાગતા-અનુભવાતા વ્યક્તિગત, સામાજિક અને જાહેર અન્યાયો સામે આપણી શક્તિ મુજબની નાની કે મોટી લડત લડવાનું કે તેમાં જોડાવાનું કે લડતા હોય તેમને ટેકો આપવાનું નક્કી કરીએ. આવું કરી શકીએ, તો તે કર્મકાંડથી આગળની વાત હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

વસતિ સમસ્યાનો અંત

રમેશ બી. શાહ|Opinion - Opinion|31 December 2021

એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસતિ સમસ્યા ઉકલવા પર છે. જેને અંગ્રેજીમાં ‘ટોટલ ફર્ટિલીટી રેટ’ કહેવામાં આવે છે તે ઘટીને ર.૦ જેટલો થયો છે. આ આંકડા પાંચમા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી સાંપડ્યાં છે. ગુજરાતીમાં આપણે આ દરને કુલ પ્રજનન દર કહીશું. આ દર સ્ત્રીઓ દીઠ સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓ દેશમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે દર્શાવે છે. આ દર દેશમાં ર.૧ થાય ત્યારે દેશની વસતિ સમય જતાં સ્થિર થાય છે. તેથી અંગ્રેજીમાં એને ‘રીપ્લેસમેન્ટ લેવલ’ કહે છે. ભારતમાં ર૦૧પ-૧૬માં આ પ્રજનન દર ર.ર હતો, જે ઘટીને ર.૦ થયો છે. શહેરી વિસ્તારોમાં એ દર ૧.૬ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ ર.૧ છે. એનો અર્થ એ છે કે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વસતિવધારાના પ્રશ્નથી મુક્ત થયા છે.

દેશનાં બધાં રાજ્યોમાં આ પ્રજનન દર એક સરખો નથી. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં તે ૧.૬ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રમાં તે દર ૧.૭ છે. બીજી બાજુ બિહારમાં ૩.૦ અને ઉત્તર પ્રદેશમાં ર.૪ છે. ઝારખંડમાં તે ર.૩ છે. આના પરિણામે જે એક ધારણા હતી કે ર૦ર૪થી ર૦ર૮ના ગાળામાં ભારત સૌથી વધુ વસતિવાળો દેશ થશે, તેમાં હવે વિલંબ થશે. એકંદરે દક્ષિણનાં રાજ્યોમાં આ દિશામાં વધારે પ્રગતિ થઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને નાગાલૅન્ડમાં પ્રજનનદર ૧.૭ છે. આઠ રાજ્યોમાં તે ૧.૮ છે. એમાં કેરલ, તામિલનાડુ, તેલંગાણા અને ઓડિશાનો સમાવેશ થાય છે. પાંચ રાજ્યોમાં દર ૧.૯ છે. એમાં હરિયાણા, આસામ, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે.

ભારતે ૧૯પરથી કુટુંબનિયોજનની નીતિ અપનાવી હતી, જ્યાં સરકારી રાહે વસતિનીતિ અપનાવવામાં આવી હતી. આ વસતિનીતિ ૭૦ વર્ષે ફળદાયી નીવડી છે. જો કે, જે પ્રજનન દરમાં જે ઘટાડો થયો છે, તેનો સઘળો યશ સરકારની કુટુંબનિયોજનની યોજનાને આપી શકાશે નહીં. દેશમાં શિક્ષણનો પ્રસાર થયો છે, વસતિનું શહેરીકરણ થયું છે અને લોકોની આવકમાં વધારો થયો છે, તે પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે. દુનિયાના આજના વિકસિત દેશોમાં આર્થિક વિકાસની સાથે વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો, એની સાથે એ દેશોમાં શિક્ષણનો પ્રસાર થયો હતો. તેથી કુટુંબનિયોજનની નીતિ વગર પણ વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો એટલે કે લોકોએ આપમેળે કુટુંબનિયોજન કર્યું હતું.

વિવિધ રાજ્યોમાં પ્રજનનદરમાં જે તફાવત છે, તેનો સૂચિતાર્થ સમજવા જેવો છે. જે રાજ્યોમાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો છે, ત્યાં સમય જતાં વસતિ ઘટશે અને યુવાન વસતિનું પ્રમાણ ઘટશે. બીજી બાજુ, વૃદ્ધોનું પ્રમાણ વધશે તેથી એ રાજ્યોમાં કામદારોની અછત સર્જાશે. જો કે, આ લાંબા ગાળાની વાત છે. જે પાંચ રાજ્યોમાં પ્રજનનદર ર.૧ કરતાં વધારે છે, ત્યાં વસતિવધારો લાંબો સમય ચાલુ રહેશે. ત્યાં પણ છેવટે પ્રજનનદર ઘટીને ર.૧ કે તેથી ઓછો થશે જ.

આ પરિણામ પ્રત્યેક દેશમાં આવ્યું છે. જ્યાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો થયો છે. એ દેશોમાં યુવાનોનું પ્રમાણ ઘટ્યું છે અને વૃદ્ધોનું પ્રમાણ વધ્યું છે. વૃદ્ધો ઉત્પાદક ન હોવાથી તેમને નિભાવવા યુવાન કામદારોની જરૂર પડે છે. જો કે, ટેકનોલોજીની પ્રગતિને લીધે કામદાર દીઠ ઉત્પાદકતા વધી હોવાથી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ટકાવી શકાય છે અને વૃદ્ધોને નિભાવવાનું સરળ પડે છે. પણ શરત એ છે કે કામદારોની ઉત્પાદકતા વધવી જોઈએ.

ઉપર આપણે એમ લખ્યું છે કે પ્રજનનદર ઘટવાનો યશ કેવળ કુટુંબનિયોજનની નીતિને આપી શકાય નહીં. પણ એક વાતની નોંધ લેવી જોઈએ. સંતતિનિયમનનાં સાધનોમાં ઘણો વધારો થયો છે. એટલે કે એનો ઉપયોગ કરનારાંની સંખ્યા વધી છે. ર૦૧પ-૧૬માં કુટુંબનિયોજનનાં સાધનોનો ઉપયોગ કરનારાં ૪૯.૮ ટકા હતાં. એ પ્રમાણ વધીને ર૦૧૯-ર૧માં પ૬.પ ટકા થયું છે. સ્ત્રીઓનું વંધ્યત્વીકરણ ર૦૧પ-૧૬માં ૩૬ ટકા હતું, જે વધીને ર૦૧૯-ર૧માં ૩૮ ટકા થયું છે. આમ, કુટુંબનિયોજનનો બોજો મુખ્યત્વે સ્ત્રીઓ ઉપર છે. કુટુંબનિયોજનની ગુણવત્તામાં પણ વધારો થયો છે, જે લોકોએ કુટુંબનિયોજનની માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવી હતી, તેનું પ્રમાણ ૪૬ ટકાથી વધીને ૬ર ટકા થયું છે. આમ, કુટુંબનિયોજન એ આપણી જીવનશૈલીનો એક ભાગ બન્યું છે. આ એક મોટું સામાજિક પરિવર્તન છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 04

Loading

...102030...1,7671,7681,7691,770...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved