Opinion Magazine
Number of visits: 9962846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (23)

સુમન શાહ|Opinion - Opinion|29 January 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -4 : આન્તરક્રિયાઓ :

સાર્ત્રના દર્શનમાં, ‘હું’ અને ‘વસ્તુ’ પછીનું બીજું મહત્ત્વનું કેન્દ્ર છે : તે એ કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓને, લૅણાદેણીને કે આદાનપ્રદાનને ધારણ કરે છે.

એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય.

સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણા શરીરના બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ.

સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત …

Pic courtesy : WectorStock

સાર્ત્રની આ વાતને એક કાલ્પનિક પણ સંભાવ્ય દૃષ્ટાન્તથી સમજીએ. દૃષ્ટાન્ત એમની વાતને તન્તોતન્ત નથી અનુસરતું એની મને ફૉમ છે :

સાર્ત્ર કહે છે કે —

૧:

આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ.

દાખલા તરીકે, રમા એક બીજી રમા સાથે સૅક્સ્યુઅલ કનેક્શન અનુભવે ને જોડાય તો એમની વચ્ચે સંભવ છે કે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. પહેલી રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજી રમાને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રમા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હીટરોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું રામને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રામ એક બીજા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રામને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજા રામને પણ થાય.

૨:

જ્યાંલગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાં લગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઈએ, ત્યાં લગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી.

(હું માત્ર હીટરોસૅક્સ્યુઅલ રીલેશનની જ ચર્ચા કરું.) : હવે રમા સામે જ રમા હાજર થઈ ગઈ છે કેમ કે રામની એના પર નજર મંડાઈ છે. એ ક્ષણથી રમા પોતાની જાતને જોતી-તપાસતી થઈ ગઈ છે. રમાને થયું છે કે હવે તો રામ એનો ચૉકી-પ્હેરો પણ કરે છે – પ્રેમનો માર્યો કે શંકાનો માર્યો.

૩:

અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે.

હવે રમા પોતાથી અલગ એવી રમાને જોવા લાગી છે, પોતાથી જુદી; જાણે પોતે કશી વસ્તુ છે – પ્રેમમૂર્તિ. એને થયું કે – રામ જો પોતાને સાહી લેશે, આલિંગશે, ચૂમશે, તો પોતે જાતને ધરી રહેશે ને એમ થવા દેશે.  

૪:

પરન્તુ, પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

રમા અને રામ બન્નને કોઈ સમયે તો એવું લાગે જ છે કે પોતે પોતાને ઓળખી શક્યાં નથી, પોતે છે પણ નથી, પ્રેમ-ફ્રેમ બધું મિથ્યા છે

૫:

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે ને શૂન્યતા અનુભવે છે.

જેમ કે, આ દાખલામાં, રામને રમા સાથે જોડાયા પહેલાંનો રામ યાદ નથી આવતો બલકે તે પછીના પ્રેમી રામને પોતે સતત અનુભવે છે, પણ ડરે છે. કેમ કે, શું થશે-ની શૂન્યતા એને ઘેરી વળે છે. એને થાય છે, પોતે જો રમાને પોતાનામાં ભેળવી દે તો બધું બરાબર થાય. એવું એ ત્યારે જ કરી શકે જ્યારે એ રમાને ભલે સ્ત્રીસ્વરૂપા પણ એક વસ્તુ સમજે અને એમ ગણીને એને વાપરવા માંડે.

એવો જ ડર, એવી જ શૂન્યતા રમાને પણ થાય. રમા પણ રામને પુરુષસ્વરૂપ વસ્તુ ગણીને વાપરવા માંડે.

૬:

સાર્ત્ર કહે છે કે તેમ છતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

કેમ કે રમા કે રામ વળી પાછાં પોતાનાં સ્વાતન્ત્ર્યને પાછાં મેળવે છે, જે એમણે એકબીજાં માટે જતાં કરેલાં. વસ્તુત્વમાંથી એ બન્ને પોતાનાં વ્યક્તિત્વમાં આવી જાય છે. આપણી આસપાસમાં આપણે કેટલીયે ઘટનાઓ જોઈએ છીએ જેમાં પ્રેમસમ્બન્ધે જોડાયેલાં કે અરે લગ્નાયેલાં પણ સમ્બન્ધને ફગાવી દે છે ને પોતામાં પાછાં ચાલી જાય છે. સ્વાતન્ત્ર્યની પુન:પ્રાપ્તિ, એક પાયાનું મનુષ્યલક્ષણ છે.

* *

સતને સાર્ત્ર અસ્તિત્વની સમ્પૂર્ણતા ગણે છે. તેથી ચેતના એમને જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. એમનું દૃઢ મન્તવ્ય છે કે વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે ! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે – સતનું ન હોવું. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે.

એમનું કહેવાનું એમ થાય છે કે ‘હું’ એક શૂન્યતા છે, અભાવ છે. એ ‘હું’ અન્યો વડે નિર્માનવીકરણ પામેલું છે, ને વળી, એના પોતાથી પણ છેતરાયેલું છે. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે ‘હું’ મુક્ત છે, પારદર્શક છે, ચેતના છે; એટલે સુધી કહે છે કે વિશ્વને ‘હું’ ઘડે છે !

આમ, સાર્ત્રનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્યજીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ :

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે.

હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

(હવે પછી, the Other વિશે)

= = =

(January 29, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

12-12-1911ના દિવસે થયું હતું દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન

સોનલ પરીખ|Opinion - Opinion|28 January 2022

દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.

દિલ્હી એક અજબ શહેર છે. આ શહેર જેમની નસોમાં ધબકતું અને વહેતું રહ્યું એ પ્રસિદ્ધ લેખક-પત્રકાર, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની નવલકથા અને શીખ ધર્મ પર સંશોધનાત્મક પુસ્તક લખનાર ખુશવંતસિંહ દિલ્હીને ઓવરસાઈઝ્ડ વિલેજ તરીકે ઓળખાવતા. એમણે ‘દિલ્હી’ નામની નવલકથા પણ લખી છે. એમાં તેઓ લખે છે, ‘આ દિલ્હી છે. જિંદગીએ બહુ તકલીફ આપી છે, ઘણુંબધું છીનવી લીધું છે એવું લાગે ત્યારે નિગમઘાટ જઈ સળગતા મૃતદેહોનું દૃશ્ય જોવું, સ્વજનોનો વિલાપ સાંભળવો અને પછી ઘેર આવી થોડા પેગ વ્હિસ્કી પીવી. ઈન દિલ્હી, ડેથ એન્ડ ડ્રીન્ક મેક લાઈફ વર્થ લિવિંગ …’  

ભારતની ઉત્તરપશ્ચિમે યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. સલ્તનતના ઉદય પછી દિલ્હી રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મોગલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી દિલ્હી મોગલ સલ્તનતની રાજધાની રહ્યું.

18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું.

પૃથ્વીરાજ ચૌહાણ પછી સલ્તનત યુગ અને મુઘલ યુગ બંનેના શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે માન્યતા આપી, પરંતુ મોગલ યુગના અંત પછી ભારતનું ત્યારનું વિશાળ બંગાળ જે તેના ફળદ્રુપ પ્રદેશ જાહોજલાલી માટે જાણીતું હતું અને કાચા માલ માટે અંગ્રેજો માટે ખૂબ જ ઉપયોગી હતું તેથી અંગ્રેજોએ કોલકત્તાને દેશની રજધાની બનાવી પોતાની કચેરીઓ અને કોઠીઓ સ્થાપી અને અત્યારના બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પ્રદેશમાં ભરપૂર શોષણ કર્યું.

દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિમ્બર 1911ના રોજ થઈ હતી. આજે તો દિલ્હી સ્વતંત્ર ભારતની રાજધાની તરીકે વિકસ્યું છે. અહીંના અનેક સ્મારકો જોવા માટે અનેક વિદેશી મહેમાન આવે છે. લાલ કિલ્લાથી લઈને સંસદભવન સુધીના દિલ્હીની દરેક સ્થળ સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે.

દિલ્હીનો શિલાન્યાસ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ કર્યો હતો. રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હી પંજાબ પ્રાંતનો એક તાલુકો હતું. ત્યાર બાદ જમીન-સંપાદનનો આદેશ થયો. કેટલા ય ગામની જમીન લેવામાં આવી અને રાજધાની બનાવવા માટે પંજાબના ઉપરાજ્યપાલે દિલ્હી અને વલ્લભગઢના જિલ્લાઓના 128 ગામની જમીન મેળવી. મેરઠ જિલ્લામાં 65 ગામને પણ દિલ્હીમાં ભેળવી દેવામાં આવ્યા. આ તમામ ગામ યમુના નદીની પેલે પાર હતા. ત્યાર બાદ શાહદરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો.

બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસ અને હર્બટ બેકરે દિલ્હીનું મોટા ભાગનું બાંધકામ કર્યું છે. પ્લાન પણ આ બંને અંગ્રેજોએ બનાવ્યો હતો. આ બન્નેએ એ પણ સલાહ આપી કે રાજધાનીમાં કોઈ પણ ઈમારત 45 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. ચારેય તરફ વૃક્ષો હોવાં જોઈએ જેથી ઉપરથી દિલ્હી હરિયાળું શહેર લાગે. પણ આજે સ્થિતિ વિપરીત છે.

દિલ્હી નગર યોજના નામની એક સમિતિ બનાવવામાં આવી હતી. જે દિલ્હીને વિકસાવવાનું કામ કરતી. જેમા લુટિયંસ પણ હતા. તેણે ઉત્તર વિસ્તારને સાંકડો, ગીચ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહીને આ જગ્યા નકારી દીધો. પછી દક્ષિણ વિસ્તારમાં યમુના નદીના કિનારે નવી જગ્યાની સલાહ આપવામાં આવી. વાઈસરોયને એ પણ પંસદ ન પડી. અંતે માચલા ગામ પાસેની જ્યાં રાયસન નામની ટેકરી હતી ત્યાં બાંધકામ શરૂ કરાયું. આજે રાયસન હિલને દિલ્હી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે

દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન ભલે 1911માં થયું હતું પણ તેનું ઉદ્દઘાટન પ્રથમ વિશ્વયુદ્ધ પછી 13 ફેબ્રુઆરી 1931ના રોજ કરવામાં આવ્યું હતું. લૉર્ડ ઈરવીનના શાસનમાં દિલ્હીનો એક રાજધાની તરીકે વિકાસ થયો. હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દુઆથી આબાદ થયેલી આ ધરતીને તેમના શિષ્ય અમિર ખુસરોએ કવ્વાલી, સૂફી સંગીત, શાસ્ત્રીય સંગીતની ભેટ આપી. વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતના પાટનગર સાથે ફકત ઇતિહાસ નહીં, પુરાણ પણ જોડાયેલું છે. મહાભારતના સમયથી દિલ્હીનો દબદબો હતો. ઇ.સ. પૂર્વે ૩,૫૦૦માં રાજા દહિલુએ સ્થાપેલું દિલ્હી મહાભારતકાળમાં હસ્તિનાપુર તરીકે ઓળખાતું.

સરદાર ખુશવંત સિંહે ‘દિલ્હી’ નવલકથાની શરૂઆતમાં જ લખ્યું છે, ‘વિદેશી વેશ્યાઓ સાથે સમય વેડફીને હું ફરી આવી ગયો છું દિલ્હી, મારી પ્રિયતમા ભાગમતી પાસે.’ આ ભાગમતી, ખરેખર તો એક હિજડો છે પણ તેનામાં કોઈપણ પુરુષને રીઝવવાની ભારોભાર કાબેલિયત અને ઊર્જા છે. લેખક આગળ કહે છે, ‘દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.’ કેટલું સચોટ વર્ણન! આ નવલકથા લખતાં ખુશવંત સિંહને 25 વર્ષ લાગ્યાં હતાં.

એમાં દિલ્હીનો ઇતિહાસ છે, પણ એ ઐતિહાસિક નવલકથા નથી, તેમ એમાં ઇતિહાસની શુષ્ક વિગતપ્રચુરતા પણ નથી. એ તો છે નવલકથા. ખુશવંતસિંહની આગવી, કલપનાશક્તિ અને કટાક્ષ-રમૂજભરેલી શૈલીમાં લખાયેલી નવલકથા. નાયક પત્રકાર છે અને ઇંગ્લૅન્ડથી આવ્યો છે. દિલ્હીની સડકો પર ફરતાં, ક્યારેક કોઈ વિદેશી મહિલાના ગાઈડ બનતાં એ સમયયાત્રીની જેમ ઘટનાઓ અને પાત્રોને મુખોમુખ થાય છે. પાત્રો પોતાની કહાણી કહેતાં આવે છે અને વાચક સામે ઇતિહાસનાં પૃષ્ઠો ખૂલતાં જાય છે. અમીર ખુસરો, નાદિરશાહ અને તૈમુર લંગ, ઔરંગઝેબ, મીર તકી મીર અને બહાદુરશાહ ઝફર. મોગલ વંશનો ઉદય અને અસ્ત, અંગ્રેજો, વિભાજન અને સ્વતંત્રતા.

ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોને જીવતા બાળી મૂકવાનાં દૃશ્યો સાથે નવલકથાનો અંત આવે છે. આખી નવલકથામાં લેખકનો દિલ્હી માટેનો અસીમ પ્રેમ અને એવી જ ઘેરી હતાશા બન્ને સતત દેખાય છે. તેઓ દિલ્હીને ‘સત્તાલોલુપોના હાથે બરબાદ થતા રહેલા શહેર’ તરીકે ઓળખાવે છે. નવલકથાના કેન્દ્રમાં ખરેખર તો દિલ્હી જ છે, જેની સાથે નાયકની લવ-હેટ રિલેશનશીપ છે. ભાગમતીમાં દિલ્હીની ભૂખ, પાગલપણું અને અનેક વિરોધાભાસ છે. ભાગમતી પુરુષ પણ છે અને સ્ત્રી પણ, અને બેમાંથી એકે નથી. એ હિંદુ પણ છે અને મુસ્લિમ પણ, અને નાયક સાથેના સંબંધ પછી થોડી શીખ પણ. એને કોઈ અપનાવતું નથી પણ એનો લાભ બધા જ લે છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું, વિશ્વના સૌથી વધારે ક્રાઈમ-રેટ ધરાવતા શહેરોમાંનું એક દિલ્હી 2028માં વસતીની દૃષ્ટિએ દુનિયાનું પહેલા નંબરનું શહેર બની જશે. અત્યારે દિલ્હીની વસતી લગભગ ત્રણ કરોડ છે અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ટોકિયો છે અને ત્રીજા નંબરે શાંઘાઈ.

અંતમાં યાદ કરીએ ખુશવંતસિંહના ‘દિલ્હી’ નવલકથાના શબ્દો. એમણે કહ્યું છે, ‘આપણે રહસ્યમય પૌર્વાત્યો છીએ. પુરાવા કે તર્ક સાથે આપણને ઓછી લેવાદેવા છે. આપણે એક શ્રદ્ધા ઊભી કરીને તેના પર જીવી જઈએ છીએ.’ આ વિધાનનો અર્થ અને ચોટ લાગે છે તે કરતા વધારે ઊંડાં છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ડિસેમ્બર 2021

Loading

મારી સાહિત્ય સફરની એક ઝાંખી

જનકભાઈ બી. શાહ|Opinion - Opinion|28 January 2022

મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્રદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે  અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હૃદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં 'બુદ્ધિપ્રકાશ', 'વિશ્વમાનવ', 'સમર્પણ', 'નવનીત સમર્પણ', 'નવચેતન', 'કોડિયું', 'સ્ત્રીજીવન', 'ગુજરાત સમાચાર', 'ગુજરાત મિત્ર', 'જનક્લ્યાણ', અને 'ધર્મસંદેશ' જેવાં સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો.

આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઇ ગયું. તેના પરિપાક સ્વરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી 'ડોકિયું' વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરુજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રેજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતું અને સમગ્ર ગુજરાત જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવૃત્તિઓથી વાકેફ છે, તેવાં આદરણીય સાહિત્યવિદ્ સ્વ. ડો. ઇલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, 'ડોકિયું' માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારા અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા 'અખેપાતર' માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે, તેવાં આદરણીય સાહિત્યકાર ડો. બિન્દુબહેન ભટ્ટ દ્વારા મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'નું વિમોચન થયું હતું. ત્યાર પછી નવસર્જન દ્વારા તેની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઇ હતી.

મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહીંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. ૧૯૭૯માં Reader's Digestમાં પ્રકાશિત થયેલ આ આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઉત્કૃષ્ટ પ્રયાસો જોઇને મારી વિકલાંગતાની લધુતાગ્રંથિ કયાં ય ઓગળી ગઇ હતી અને આજે હું જે કાંઇ બની શક્યો છું, તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’ના અનુવાદનને આભારી છે. આ મૂળ પુસ્તકની ખૂબ તપાસ કરી પણ હજી સુધી મળ્યું નથી. આ પુસ્તકનો અનુવાદ કરવાની તીવ્ર ઝંખના છે.

મુ. ઇલાબહેનના શબ્દોમાં 'ડોકિયું' વિષે જણાવું તો "માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજૂ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી બનતી કે સુચવાતી જીવનમૂલ્યોની રજૂઆતના વમળોમાં વાચક પોતાનાં મનોગતોને અને વિચારણાઓને સુસ્પષ્ટ રીતે સમજતો અને માણતો થાય તેવી રસલહાણ અહીં પ્રસ્તુત થઈ છે. આ કલાકૃતિઓમાં રજૂ થયેલી, કલ્પનાના રંગે રંગાયેલી માનવીય પરિસ્થિતિની વાસ્તવિકતા વાચકને વિશ્વના કલાકારોએ પ્રમાણેલાં મૂલ્યોનો ખ્યાલ આપીને પોતાની દુનિયાને નવાં કુતૂહલભર્યા ચિત્તથી જોતો કરી મૂકશે."

સ્વ. ઇલાબહેનના શબ્દોમાં દોસ્તોએવસ્કીની 'ભૂરી' વાર્તાની ભૂરીની વાત કહું તો – તેના પાત્રોના મનોવ્યાપારમાં જ અનુવાદકને રસ હોય તેની પ્રતીતિ કરાવે તેવી વાર્તાઓમાં દોસ્તોયેવસ્કીની 'ભૂરી' ધ્યાન ખેંચે છે. અનૌરસ બાળક તરીકે અન્યની અવહેલના પામતો ઉછરેલો અલિયો પાલક માતાપિતાની પુત્રી અનીશાને પોતાનું સર્વસ્વ સમજે છે. કમનસીબે અલિયાને શીતળા નીકળે છે, તે એક આંખ ગુમાવે છે અને ચાઠાંથી તેનો ચહેરો વરવો બને છે. પોતાનું વરવાપણું તો તે સ્વીકારી શકે છે પણ અનીશાને ખુશ કરવાના પ્રયત્નો છોડી શકતો નથી. અનીશાને ગમી ગયેલી બકરી, ભૂરી, તેને ભેટ આપવા તે લઈ આવે છે. અલિયો પોતાના પ્રેમને જાહેર નથી કરતો કેમ કે તેણે પોતાના વરવાપણાને લીધે લાધેલું એકાકીપણું સ્વીકારી લીધું છે. અનીશાને ભૂરીની પરવા નથી, અલિયાને છે. અનીશા લગ્ન કરીને જાય છે ત્યારે ભૂરીને તેની પાસે છોડતી જાય છે. ભૂરીના પ્રેમમાં અલિયો ખુશ છે પણ તે ખુશી પર અનીશા આઘાત કરે છે. તે ભૂરીને માગવા આવે છે. અલિયા માટે ભૂરી અનીશાની સ્મૃતિરૂપે હતી, તે જાય તો તેનું સર્વસ્વ ઝૂંટવાઈ જાય તેવી તેની લાગણી છે. તે અનીશાને ભૂરી શા માટે લઈ જવી છે તેમ પૂછે છે ત્યારે અનીશાનો ખંધાઈભર્યો પ્રત્યુત્તર કે તેના પતિ માટે માગી છે તે અલિયાને ઊંડો આઘાત પહોંચાડે છે. પોતાના હાથમાં હતી તે કુહાડી અલિયો અનીશાના માથા પર ઝીંકી દે છે. ડૂસકાં ભરતાં આ વાત કહેતાં અલિયો ભૂરીનું શું થયું હશે તે વિશે ચિંતા વ્યક્ત કરતો રહે છે. દેખાવે કુરૂપ થયેલા અલિયાનું પ્રેમભર્યું હૃદય અનેક અવહેલનાઓ સહી ચૂક્યું હતું. છેલ્લો આઘાત તેનાથી સહન ન થયો અને તે પ્રત્યાઘાત કરી બેઠો તેવી તેની મનોવેદના સુસ્પષ્ટ રીતે ભાવકના ચિત્ત પર અંકિત થાય છે. 'ભૂરી'નું મુખ્ય પાત્ર પોતે જ પોતાની વીતક કથા કહે છે. 'ભૂરી'માં લેખકે જેલના અન્ય સાથીને એક સાંભળનાર તરીકે કલ્પ્યો છે.

દોસ્તોએવસ્કીની વાત કરું તો ……

સ્નાતક અને અનુસ્નાત કક્ષાએ મારે વિશ્વના અનેક સાહિત્યકારોની કૃતિઓનો અભ્યાસ કરવાનું આવ્યું, ત્યારે દોસ્તોવ્સ્કીની નવલકથા Crime and Punishmentનો અભ્યાસ કરવાનું બન્યું હતું, તેથી તેના પ્રત્યે વધારે લગાવ હતો. અનુકૂળ સમયે તેનો અનુવાદ કરતો રહ્યો પણ મોટા ભાગની કથા અનુવાદિત કરી પછી ખબર પડી  કે કોઇએ તેનો અનુવાદ કરેલો છે, અને તે કામ અધુરું રહ્યું. છેવટે ભવિષ્યમાં  Crime and Punishment ઉપર પીએચ.ડી. કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી. ગાઇડે ફક્ત એક જ નવલકથાને બદલે તેના સમગ્ર સાહિત્યને પસંદ કરવાની સલાહ આપતા છેવટે નિવૃત્તિના ચારેક વર્ષ પહેલાં તે કાર્ય આરંભ્યું અને હું ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી લઇ શક્યો. મારી થિસીસનો વિષય હતો. An Analytical Study of the Concept of 'Sin 'and 'Crime' in Dostoyevsky's Major Works. આમ દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરી એપ્રિલ-ર૦૦૪માં થિસીસ સબમીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવવા હું સદ્દભાગી બન્યો. આ અનુસંધાને દોસ્તોએવ્સ્કીની કથાને ન્યાય આપવા જ્યારે તક મળી ત્યારે તે લીધી. 'ભૂરી'નું રૂપાંતરિત અવતરણ તે સમયના અનુસંધાને છે.

દોસ્તોએવ્સ્કીની ૧૩ વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી હતી. ૧૮ વર્ષની ઉંમરે પિતા ચાલ્યા ગયા હતા. બચપણમાં પોતે એક આંખ પણ ગુમાવી હતી. પરિવાર ન હોવાથી તેમના માટે કોઇ પ્રેરણાસ્રોત ન હતું. જિંદગી આખી દુ:ખમાં જ વિતાવી હતી.

દોસ્તોવ્સ્કીની ૧૮૪૯માં ભૂગર્ભ સલૂનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો સહિત તે ફ્રેન્ચ યુટોપિયન સમાજવાદની ચર્ચા કરતા હતા અને પ્રતિબંધિત કૃતિઓ વાંચતા હતા. આ ગુના બદલ મિત્રો સાથે ક્રાંતિકારી તરીકે ઓળખાતા, તેમને પ્રથમ મોતની સજા કરવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ તેની મોતની સજા માફ કરી ચાર વર્ષની સાઇબિરયાની સખત કેદની સજા કરવામાં આવી હતી. આ કારણે ત્યાં તેનામાં માનવ વર્તન માટેની વૈજ્ઞાનિક સમજણનો આંધળો વિશ્વાસ પાંગર્યો હતો. તે માનતા હતા કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે. તે માનતા હતા કે ગરીબી નાબૂદ થાય તો ગુનાઓનું અસ્તિત્વ અટકી જાય.

દોસ્તોવ્સ્કીએ ખૂનીઓની સાથે ચાર વર્ષ વિતાવ્યા હતા. તેમની સાથે ટેબલ અને શૌચાલયો શેર કર્યા હતા. તેમની સાથે ઇંટો ખેંચી હતી. એક જ વાસણમાંથી પાણી પીધું હતું પણ માનવ સ્વભાવમાં થતા ફેરફારોને તેણે નજરે નિહાળ્યા હતા, ભલે તે ગુનાના સરળ દૃષ્ટિકોણ પ્રત્યે વફાદાર રહી શક્યા ન હતા. આ સમય દરમ્યાન તેમને ખ્યાલ આવ્યો હતો કે માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. તેઓની વિચારસરણી બિન તાર્કીક હોવાના લીધી ઘણીવાર પોતાનું અહિત થાય તેવાં કાર્ય કરે છે. આ બરાબર નથી પણ સ્વતંત્ર  મનનું તે એક લક્ષણ પણ છે.

દોસ્તોએવ્સ્કી પાપી પણ છે અને સંત પણ છે. તે એક એવો રાજકીય ગુનેગાર હતો જેને હંમેશાં પોતાના કાર્ય માટે પસ્તાવો થતો. આ વાત તેણે તેને પાત્રો દ્વારા પ્રતિબિંબિત કરી છે. તે તેના પાત્રો દ્વારા બતાવવા ઇચ્છતો કે આપણી સૌથી ખરાબ વૃત્તિ જે ડર છે તેના તરફ ઉત્સાહથી નહીં પણ ડરથી માનવી પ્રેરિત થાય. દોસ્તોએવ્સ્કીએ પોતાના સાહિત્યમાં હંમેશાં Dark aspects of Human Natureને ઉજાગર કર્યા છે.

ગાંડપણ, ખૂન અને આત્મહત્યા અને અપમાન, આત્મવિનાશ, જુલમી વર્ચસ્વ અને ખૂની ક્રોધાવેશની લાગણીઓના અન્વેષણમાં મનની પેથોલોજીકલ સ્થિતિઓના વિશ્લેષણમાં દોસ્તોએવ્સ્કીએ મહાન મનોવિજ્ઞાની તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યિક આધુનિકતાવાદ, અને મનોવિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સાહિત્યિક વિવેચનની વિવિધ શાખાઓ તેમના વિચારોથી મોટા ભાગે પ્રભાવિત છે.

હું માનું છું કે Literature is the reflection of life. આ પરિપ્રેક્ષ્યમાં દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યને તેમ જ 'ડોકિયુ'માં સમાવેલી તેમની 'ભૂરી'ની કથાને જોવી જોઇએ. કથાનું મુખ્ય પાત્ર અલિયો છે. તે જ્યાં તેની કથા કહે છે તે વાતાવરણ જેલનું છે. આ પ્રકારનું વર્ણન વાંચતા એમ લાગે જ કે લખનારને જેલનો અનુભવ હોવો જોઇએ અથવા તો તેવા વાતાવરણને તેણે નજીકથી અનુભવ્યું હોવું જોઇએ. કથાના વિષયવસ્તુમાં જે રીતે અલિયાના મનને પ્રતિબિંબિત કર્યું છે તે માનવમનની વિવિધ લાગણીઓ અને તેની સામેના થતા પ્રત્યાઘાતને જાણે કે વાસ્તવિક ઓપ આપ્યો હોય, તેવું નથી લાગતું ? અલિયો ખૂબ જ લાગણીશીલ માનવી છે. પ્રેમ તેની હાડોહાડમાં વ્યાપેલો છે. પણ તેને પ્રેમની સામે હંમેશાં અવહેલના મળે છે, તે અમુક હદ સુધી સહન કરી લે છે પણ તે અવહેલના પરાકષ્ટાએ પહોંચે છે અને તેના ભૂરી પ્રત્યેના અસીમ પ્રેમ સામે કુઠરાઘાત થાય છે ત્યારે તેની હિંસક વૃત્તિ કાબૂમાં નથી રહેતી અને તે અનિશાનું ખૂન કરે છે. માનવીના જીવનમાં આવી ઘટના બને છે ત્યારે આપણે માનવીને હિંસક વૃત્તિનો હોવાનો મૂલવીએ છીએ. હિંસા માટેના હદ વટાવેલા કારણને બાદ કરીએ તો આપણે અલિયાના ખૂન કરવા માટેની ઘટના ઘટી તે પહેલાનાં જીવનમાં તેની અવહેલના તેણે ખમી ખાધી છે. ક્યારે ય તે હિંસક નથી બન્યો. માનવીના વર્તનને મનોવૈજ્ઞાનિક રીતે અલિયાના પાત્રનું અને કથાનું સર્જન કરી સાબિત કર્યું છે કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે.

આ કથાનો અનુવાદ ૪૨ વર્ષ પહેલાં કરેલો હોવાથી મૂળ વાર્તા મળતી નથી. વાર્તા ગુજરાતીમાં રૂપાંતરિત કરી હોવાથી તે વાર્તા ક્યાંથી મેં લીધી હશે તે પણ યાદ નથી. પાત્રોના નામ ગુજરાતી કર્યા કારણ કે રશિયન નામો વાંચીને કથાનું હાર્દ મેળવવા કરતાં ગુજરાતી નામો ભૂરી, અલિયો, અનિશા રાખ્યા હશે. પ્રયત્ન કરું છું મૂળ કથા મેળવવાનો. આપ વાચકોને એક વિનંતી છે કે કોઇને અંગ્રેજીમાં આ વાર્તા અને તેનું ટાઇટલ મળે તો મેળવી મને મોકલી આપશો, તો હું આપનો ઋણી રહીશ. આપ મારા બ્લોગની મુલાકાત લેશો તો મારી સમગ્ર સાહિત્ય કૃતિઓનો આસ્વાદ માણી  શકશો.

બ્લોગ છે : https://www.parodh.com –

©©©©©©©©©©©©©©

e.mail : janakbhai_1949@yahoo.com

Loading

...102030...1,7351,7361,7371,738...1,7501,7601,770...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved