Opinion Magazine
Number of visits: 9962793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝીણા, રતનબાઈ અને દિના : આ પાત્રો ભારતના ઇતિહાસનાં પણ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|30 January 2022

દીકરી દિનાએ પસંદ કરેલો યુવાન મુસ્લિમ ન હતો એ જાણી ઝીણા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દિનાએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને 17 વર્ષની દિના નેવિલ વાડિયાને પરણી ગઈ …

‘ખુદા કે લિયે’ નામની પાકિસ્તાની ફિલ્મમાં, બ્રિટનમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રીની વાત છે. વિધુર થયા પછી એક અંગ્રેજ સ્ત્રીને પરણેલો પિતા, છૂટાછેડા પછી બધી રીતે પાયમાલ થઈ એક અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન વગર રહે છે. પણ દીકરી એક અંગ્રેજ યુવકના પ્રેમમાં છે એ જાણી એ ખળભળી ઊઠે છે અને દીકરીને પાકિસ્તાન લઈ આવી, છેતરીને એક મુસ્લિમ યુવાન સાથે પરણાવી દે છે. વાર્તા તો હજી લાંબી છે અને રસપૂર્ણ પણ, પણ અહીં મારે ધ્યાન એ તરફ દોરવું છે કે માણસ કેવાં બેવડાં ધોરણો સાથે જીવે છે – પોતા માટે એક નિયમ, અન્ય માટે બીજા નિયમ – એ ‘અન્ય’ પોતાનાં સંતાન હોય તો પણ ! આ ફિલ્મ હતી, પણ આવું વાસ્તવમાં પણ બને. આ પાકિસ્તાનની વાત હતી, પણ આવું ભારતમાં પણ બને – ગમે ત્યાં બને, કારણ કે બેવડાં ધોરણ કોઈ એક જગ્યાએ હોતા નથી. વેબડાં ધોરણ એ તો આખી દુનિયાના લોકોમાં ફેલાયેલી માનસિકતા છે.

1938ની સાલમાં, બીજા વિશ્વયુદ્ધના આગલા વર્ષે આપણા દેશમાં એક મોટા મુસ્લિમ નેતાની દીકરી, પિતા પાસે પોતાના મિત્રને પરણવાની પરવાનગી લેવા આવી. પિતા વિધુર હતા. એમની સદ્દગત પત્ની પારસી હતી. એટલે દીકરી જન્મથી અડધી પારસી હતી અને નાનાનાની પાસે ઊછરતી એટલે સંસ્કારે પણ પારસી ખરી. એણે પસંદ કરેલો યુવાન ભણેલો અને સફળ બિઝનેસમેન હતો, પણ એ પારસી હતો એ જાણી પિતા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દીકરીએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને સત્તર વર્ષની એ છોકરી તેના પારસી પ્રેમી નેવિલ વાડિયા સાથે પરણી ગઈ. પિતાએ એનો બહિષ્કાર કર્યો.

આ પિતા-પુત્રી એટલે મહમ્મદ અલી ઝીણા અને એની દીકરી દિના. ઝીણાના રાજકીય જીવન વિશે આપણે બધા જાણીએ જ છીએ, આજે એમના પારિવારિક જીવન વિશે થોડી વાત કરીશું, કારણ કે 25 ડિસેમ્બરે ઝીણાનો જન્મદિન હતો, કારણ કે ઝીણા, એમની પારસી પત્ની રતનબાઈ ઉર્ફ રુટી અને એમની પુત્રી દિના આ ત્રણે પાત્રો ભારતીય ઇતિહાસનાં પણ છે.

કાઠિયાવાડના મોટી પાનેલી ગામના ખોજા દંપતી ઝીણા પૂંજા અને મીઠીબાઈને ત્યાં 1876માં જન્મેલા મહમ્મદ અલી સાત બાળકોમાં સૌથી મોટા હતા. મુંબઈ અને લંડનમાં ભણ્યા અને 19મા વર્ષે બેરિસ્ટર થયા. ભારત પાછા આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા પણ ગાંધીજી સાથે મતભેદ થતાં કૉંગ્રેસ છોડી અને 1913થી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળ્યું. 1920થી તેમની કટ્ટરતા વધતી ગઈ, 1937 પછી એમણે ભારતથી અલગ સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી કરવા માંડી. 1947માં વિભાજન થયું. ઝીણા સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને વડા બન્યા. 1948 સપ્ટેમ્બરમાં એમનું મૃત્યુ થયું.

ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ તેમનો પરિચય મુંબઈમાં પહેલી ટેક્સટાઈલ મિલ શરૂ કરનાર દિનશા પેટિટ સાથે થયો. દિનશા પેટિટ તેમના ક્લાયન્ટ અને મિત્ર બન્ને હતા. રતનબાઈ ઉર્ફ રુટી આ દિનશા પેટિટની દીકરી. ઝીણા લંડનમાં ભણ્યા હતા, દેખાવડા હતા અને મુંબઈમાં વકીલાત કરતા હતા. મુગ્ધ રુટિ એમના તરફ આકર્ષાતી ગઈ. રુટિ ખૂબ દેખાવડી અને પશ્ચિમી ઢબે ટ્રેઈન્ડ આયાઓ પાસે ઉછરેલી આધુનિક કન્યા હતી. ઝીણા પણ આકર્ષાયા. ત્યારે ઝીણા ૪૦ વર્ષના હતા અને રુટિ 16 વર્ષની.

બે વર્ષ પ્રણય પાંગરતો રહ્યો. દિનશા પેટિટે પુત્રીના 18મા જન્મદિનની પાર્ટી તાજ હૉટેલમાં રાખી. મહેમાનો સમક્ષ રુટિએ નાટ્યાત્મક ઢબે જાહેર કર્યું કે તે ઝીણા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. દિનશા સ્તબ્ધ થઈ ગયા. મહેમાનો પણ આઘાત પામ્યા. સમગ્ર પારસી સમાજ ચોંકી ગયો. 1918માં બન્નેએ લગ્ન કરી લીધા. રુટિએ મુસ્લિમ ધર્મ અપનાવી મરિયમ નામ ધારણ કર્યું. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતાં.

લગ્નના એક વર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૧૯ને દિવસે દિનાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ઝીણા અને રુટિ એકબીજાથી ત્રાસી ગયા હતા. રુટિ મિત્રો અને મજલિસોમાં વ્યસ્ત રહેતી અને ઝીણા વકીલાત અને રાજકીય કારકિર્દીમાં. દીકરી માટે ટ્રેઈન્ડ મોંઘી આયાઓ રોકી પતિપત્ની પોતપોતાની જિંદગી જીવવા લાગ્યાં. ઝઘડા થઈ જતા તો રુટિ તાજમાં રહેવા ચાલી જતી. તાજના એના સ્યુટનું બિલ ઝીણા ભરી દેતા.

દીકરી પ્રત્યે માબાપની ઉપેક્ષા એટલી બધી હતી કે વર્ષો સુધી એનું નામ પણ પડ્યું નહોતું. થોડા વખત પછી રુટિ બીમાર રહેવા લાગી. ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસે માંદગી દરમિયાન અને છેક સુધી રુટિની સંભાળ રાખી હતી. કાનજી દ્વારકાદાસ 1914થી હોમરૂલ લીગમાં સક્રિય હતા. કાનજી દ્વારકાદાસ ગાંધીજીને 1917માં મળ્યા હતા અને ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા, પણ ક્યારે ય ગાંધીજીની જાદુઈ અસરમાં ન આવ્યા અને કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. તેઓ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા.

માત્ર 29 વર્ષની વયે રુટિનું મૃત્યુ થયું. દીકરી એના નાની દિનબાઈ પાસે ઉછરવા લાગી અને ‘દિના’ કહેવાઈ. દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા. એમની વચ્ચેના સંબંધો તંગ જ રહ્યા. ઝીણાના સ્વભાવમાં હઠ અને અહંકારનો અતિરેક હતો તેનું કારણ ભગ્ન લગ્ન અને એકલવાયાપણું હોઈ શકે. અલગ પાકિસ્તાનની ધૂન સવાર થયા પછી ઝીણા મુસ્લિમ રિવાજોમાં માનવા લાગ્યા જો કે ઘણાખરા ચુસ્ત મુસ્લિમો એમને મુસલમાન માનતા નહીં. 

1938માં દિનાનાં લગ્ન થયાં. પાકિસ્તાન બન્યું ત્યારે દિનાએ પિતા સાથે પાકિસ્તાન જવાની ના પાડી ભારતમાં જ રહેવું પસંદ કર્યું હતું. પણ તેણે પિતાને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. ઝીણાએ તેનો જવાબ આપ્યો નહીં. 1948માં ઝીણાની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે તેણે દિનાએ પાકિસ્તાન જવાની તૈયારી કરી. ઝીણાએ મરણપથારીએથી પણ દિનાના વિઝા રીજેક્ટ કરવાની સૂચના આપી દીધી. તેમની દફનવિધિમાં દિના પાકિસ્તાન ગયાં હતાં. તે પછી છેક ૨૦૦૪માં દિના સપરિવાર પાકિસ્તાન ગયા હતાં અને ઝીણાની કબર પર ફૂલો મૂકી પ્રાર્થના કરી હતી. દિનાના પુત્રો નેસ અને જહાંગીર વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમેન અને બહુમતિ માલિકો છે. મુંબઈમાં એમની મોટી મિલકતો છે. વાડિયા ગ્રુપ તીખી કૉર્પોરેટ લડાઈઓ માટે જાણીતું છે. દિના 2017માં 98 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં મૃત્યુ પામ્યાં.

ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઈમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ એમનો બંગલો પોતાની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યાં હતાં. આ બંગલો 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે. આ બંગલો ૧૯૩૬માં બ્રિટનના જાણીતા સ્થપતિ ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર તે જમાનામાં બે લાખ(આજના લગભગ બસો કરોડ)ના ખર્ચે બન્યો હતો.  ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટના લાકડાનો ઉપયોગ થયો હતો. આ જ બંગલામાં ગાંધીજી, નહેરુ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થઈ હતી. ભારત છોડતી વખતે ઝીણાએ કહ્યું હતું, ‘આ બંગલો યુરોપીય દૂતાવાસને સોંપી દેજો, ભારતીયો એને લાયક નથી.’

ઝીણા જાહેરમાં બે વખત રડ્યા છે. પહેલી વાર રુટિનું મૃત્યુ થયું ત્યારે અને બીજી વખત પાકિસ્તાન જતા અગાઉ છેલ્લી વખત રુટિની કબર પર ગયા ત્યારે. શીલા રેડ્ડીએ ‘મિ. એન્ડ મિસિસ ઝીણા’માં ઝીણા અને રુટિના દાંપત્યને ‘રોમાન્સની નાની પણ પ્રબળ કહાણી’ તરીકે વર્ણવ્યું છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ડિસેમ્બર 2021

Loading

શૂન્ય અને અનંતને ગણિતનાં સૂત્રોથી જોડનાર શ્રીનિવાસ રામાનુજન્‌

સોનલ પરીખ|Opinion - Opinion|29 January 2022

એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ

દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે

— શ્રીનિવાસ રામાનુજન્‌

આજના યુગને ટેકનોલૉજીના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને આજની ટેકનોલૉજીનું સૌથી મહત્ત્વનું અંગ ગણાય છે કૉમ્પ્યુટર ! કૉમ્પ્યુટરનો મૂળભૂત પાયો કોઇ યંત્રવિજ્ઞાન ઉપર નહિ – માત્ર ગણિત ઉપર જ રચાયેલો છે. એટલે જ કૉમ્પ્યુટરને ‘સંગણક’ કહેવામાં આવે છે. એની મેમરી, ઈનપુટ-આઉટપુટ, અલ્ગૉરિધમ, કંટ્રોલ યુનિટ, મલ્ટિટાસ્કિંગ અને મલ્ટિપ્રોસેસિંગ કૅપેસિટી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ – આ બધાની પાછળ ગણિત જ તો છે. ભારતના અદ્દભુત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન્‌ તો ત્યાં સુધી કહેતા કે ‘દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે.’ આ શ્રીનિવાસ રામાનુજન્‌નાં જીવન અને કાર્યવિશે જાણવું એ એક રોમાંચક અનુભવ છે. 22 ડિસેમ્બરે એમનો જન્મદિન છે એ નિમિત્તે આજે આ અનુભવમાંથી પસાર થઈએ.

ગણિત એટલે શૂન્યથી નવ સુધીના અંક અને આ આંકડાઓના પરસ્પર સંબંધની અનંત ક્ષમતા. સાવ સરળ અને સામાન્ય લાગતું આંકડાઓનું આ તર્કશાસ્ત્ર ઊંડો વિચાર કરતાં એટલું જ આશ્ચર્યજનક અને રહસ્યભરપૂર પણ બની રહે છે. એટલી જ હેરતજનક છે આપણા મગજની ગણિતક્ષમતા. કોઈને ગણિત ન જ ફાવે અને કોઈને ગણિત સિવાયનું કશું જ ન ફાવે. આપણે બધા આ બે અંતિમોની વચ્ચે ક્યાંક આવીએ, પણ શ્રીનિવાસ રામાનુજન્‌ બાળપણથી જ બીજા પ્રકારમાં આવતા હતા.

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન્‌નો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં અત્યારના તમિલનાડુ અને ત્યારના મદ્રાસના ઈરોડ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો. તેઓ ૨૦મી સદીના ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ ગણાય છે. રામાનુજન્‌ની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩,૯૦૦ જેટલાં નવાં સૂત્રો શોધનાર રામાનુજન્‌ ધાર્મિક પણ હતા. કહેતા, ‘એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ.’

બાળપણથી રામાનુજન્‌ ગંભીર હતા. પાંચ વર્ષની ઉંમરે નિશાળે મૂકવામાં આવ્યા ત્યારે શિક્ષકના અચંબાનો પાર ન રહ્યો – રામાનુજન્‌ને એકથી સો સુધીના આંક વગર શીખવ્યે જ લખતાં આવડી ગયા હતા. જો કે તેને બારાખડી લખતાં આવડતી ન હતી. ગણિત સિવાય અન્ય કોઇ વિષયમાં તેને કદી રસ ન પડ્યો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે જુદા જુદા વિષયોની ચોપડીઓ લઇને ભણતા હોય ત્યારે રામાનુજન્‌ પાટી-પેન લઇને કેવળ આંકડાઓ જ માંડ્યા કરતા. આ ટેવ પછી પણ કાયમ રહી. મોડી રાત સુધી રામાનુજન્‌ પાટી-પેન લઈ લખ-ભૂંસ કર્યા જ કરતા. એના ટક-ટક અવાજથી સૌ પરેશાન થતા.

આખરે તેઓ હાઈસ્કૂલમાં પહોંચ્યા. માતાપિતા ઈચ્છતા કે દીકરો ભણીગણીને સારા પગારની નોકરી મેળવે. એમના ગાણિતિક કૌશલ્યને તેઓ એક પ્રકારની ઘેલછા માનવા લાગ્યા હતા. શિક્ષકો પણ કહેતા કે આ છોકરાને આંકડાઓનાં ચીતરામણ સિવાય બીજું કશું આવડતું નથી. પણ હાઈ સ્કૂલમાં જવાથી રામાનુજન્‌ને એક ફાયદો થયો. તામિલ અને અંગ્રેજી – બેઉ ભાષાઓ પર તેની માસ્ટરી આવી ગઇ. ગણિતને લગતાં જે અઘરાં પુસ્તકો અંગ્રેજીમાં હતાં તે બધાં વાંચી નાખવાની તેને તક મળી, પણ અન્ય વિષયોમાં ‘ઢ’ હોવાથી મહામુસીબતે ૧૯૦૩માં તેઓ મૅટ્રિક પાસ થયા.

1908માં જાનકી સાથે લગ્ન થયાં. રામાનુજન્‌ નોકરીની શોધમાં મદ્રાસ આવ્યા. ત્યાંના ડૅપ્યુટી કલેક્ટર રામાસ્વામી અય્યર ગણિતના વિદ્વાન હતા. રામાનુજની નૉટબુક જોઈ તેઓ તેમની પ્રતિભા જાણી ગયા. તેમણે જિલ્લાધિકારીને કહીને રામાનુજને સ્કૉલરશીપ અપાવી અને રામાનુજને પોતાનો પહેલો શોધપત્ર પ્રગટ કર્યો. આ પત્ર ‘જર્નલ ઑફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટી’માં પ્રગટ થયો.

પછીના વર્ષે તેમણે મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટમાં ક્લાર્કની નોકરી લીધી. આ નોકરીમાં એમને ગણિત પર ધ્યાન આપવાનો વખત પણ મળતો પણ હવે એમને કોઈ અંગ્રેજ ગણિત-વિશેષજ્ઞની મદદની જરૂર હતી. શુભચિંતક મિત્રોએ રામાનુજન્‌ના કામને લંડનના ગણિતજ્ઞો સુધી પહોંચાડ્યું. તેનાથી રામાનુજન્‌ને ખાસ મદદ મળી નહીં, પણ તેઓ થોડા જાણીતા થયા. પ્રો. શેષુ અય્યરે એમનાં સૂત્રો જોઈ લંડનના પ્રો. હાર્ડીનાં સંશોધનો વાંચવા આપ્યાં. પ્રો. હાર્ડી વિશ્વના ત્યારના મહાન ગણિતજ્ઞોમાંના એક હતા. એ વાંચીને રામાનુજને કહ્યું કે પ્રો. હાર્ડીના અનુત્તરિત પ્રશ્નોના જવાબ પોતાની પાસે છે.

આ પછી રામાનુજન્‌ અને પ્રો. હાર્ડી વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. રામાનુજન્‌ના જીવનનો જાણે એક નવો યુગ શરૂ થયો. ઝવેરી રત્નને પારખી લે તેમ પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઓળખી લીધા. તેઓ આજીવન રામાનુજન્‌ના વ્યક્તિત્વ અને પ્રતિભાના પ્રશંસક બની રહ્યા. બન્ને એકબીજાના પૂરક બની રહ્યા.

પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઈંગ્લૅન્ડ આવી વધુ સંશોધન કરવાની પ્રેરણા આપી. અંગત કારણોસર રામાનુજન્‌ એમનો પ્રસ્તાવ સ્વીકારી ન શક્યા. ડૉ. હાર્ડીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડા સમય પછી રામાનુજન્‌ સહમત થયા. પ્રો. હાર્ડીએ એમને કૅમ્બ્રિજ આવવાના ખર્ચની સગવડ પણ કરી આપી અને 3,000થી વધારે સૂત્રો લખેલી નોટબુક સાથે રામાનુજને ઈંગ્લૅન્ડની ધરતી પર પગ મૂક્યો. તેઓ શાંત અને સંકોચશીલ હતા. એમની રહેણીકરણી સાદી અને સાત્ત્વિક પ્રકારની હતી. ઈંગ્લૅન્ડવાસ દરમ્યાન હંમેશાં પોતાનું ભોજન જાતે રાંધતા. પ્રો. હાર્ડી સાથે મળીને તેમણે અનેક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા.

પણ તેઓ શ્વેત ન હતા, એમની અસાધારણ પ્રતિભા કેટલાક ગોરા વિદ્વાનોને નડતી. વળી જે ઝડપથી તેમનું મગજ કામ કરતું એ ઝડપથી તેઓ પોતાને મળેલા ગાણિતિક સત્યો વિશે લખી ન શકતા. એમનું રહેઠાણ સારા વિસ્તારમાં ન હતું. લંડનની આબોહવા માફક ન આવતી. પ્રો. હાર્ડીએ એમની કૉમ્યુનિકેશન સ્કીલ અસરકારક બનાવવામાં મદદ કરી. એવામાં રામાનુજન્‌ બીમાર પડ્યા. નિદાન થયું, ટી.બી. – ભારતની પહેલી ડૉક્ટર આનંદી જોશીને પણ લગભગ આ અરસામાં વિદેશની ધરતી પર ટી.બી. થયો હતો. એ માત્ર 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.

એ સમયે ક્ષય રોગની દવા નહોતી. રામાનુજન્‌ સેનેટોરિયમમાં જઈને રહ્યા. ત્યાં પણ ગણિતનાં સૂત્રો બનાવ્યા કરતા. દરમિયાન તેમને રૉયલ સોસાયટીની ફેલોશીપ મળી. પહેલા વિશ્વયુદ્ધનાં એ વર્ષોમાં, અડધી દુનિયા પર અંગ્રેજોનું શાસન હતું અને રંગભેદનું પ્રભુત્વ હતું એવે વખતે એક ભારતીયને આ ફેલોશીપ મળવી એ બહુ મોટી ઘટના હતી. રૉયલ સોસાયટીના ઇતિહાસમાં રામાનુજન્‌ જેટલી નાની ઉંમરના કોઈ ફેલો ન હતા.

પણ બીમારીને લીધે એમને ભારત પાછા ફરવું પડ્યું. મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની નોકરી લઈ તેઓ ફરી સંશોધનોમાં ડૂબી ગયા. ગંભીર સ્થિતિમાં પણ એમણે મૉક થીટા ફંકશન પર ઉચ્ચ સ્તરનું રિસર્ચ-પેપર લખ્યું. આ પેપરનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં કેન્સરને સમજવામાં પણ થાય છે. 1920ની 26મી એપ્રિલે માત્ર 33 વર્ષના અને ગણિતશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂકેલા રામાનુજને અંતિમ શ્વાસ લીધા. દેશવિદેશના ગણિતજ્ઞો એમના મૃત્યુની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા.

રામાનુજન્‌નું સંશોધન આજે પણ એક આશ્ચર્ય બની રહ્યું છે. 1976માં ટ્રિનિટી પુસ્તકાલયમાં એમની એક નોટબુક મળી આવી જેમાં 100 જેટલાં પાનાં ભરીને સૂત્રો લખેલાં હતાં જેને ઉકેલતાં ગણિતજ્ઞો હાંફી ગયા. મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂશન ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચએ એનું પ્રકાશન પણ કર્યું છે. રામાનુજને શૂન્ય અને અનંત વચ્ચેના આંતરસંબંધોને સમજાવવા માટે ગણિતનાં સૂત્રોનો આધાર લીધો હતો.

એમના જીવન પરથી તમિલ અને અંગ્રેજીમાં ‘રામાનુજન્‌’ ફિલ્મ બની અને 2014માં વિશ્વભરમાં રિલિઝ થઈ. બ્રિટિશ ફિલ્મ ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ 2015માં બની છે. તેમણે હાઇલી કોમ્પોઝિટ નંબર્સ પર શોધ નિબંધ લખ્યો હતો. તેમની ૧૨૫મી જન્મતિથિ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા રામાનુજન્‌ના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

આપણાં યુવાન માતાપિતાઓ બાળકોને આવી પ્રતિભાઓની વાર્તા કહી ઉછેરે તો કેવું સારું થાય !

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ડિસેમ્બર 2021 

Loading

ચલ મન મુંબઈ નગરી—130

દીપક મહેતા|Opinion - Opinion|29 January 2022

અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ

રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા

જ્યારે ગોવિંદજીના પાત્રને મારી નાખ્યા પછી સજીવન કરવું પડ્યું

‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ.

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન

દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વી.ટી. નજીક એક્સેલસિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે તેમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સી.સી. સ્ટાફ મિટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે. બીજે દિવસે સવારે સી.સી. રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી,’ બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઓલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય!

‘લાઈવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું તેમાંનું ઘણું ખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એન.સી.પી.એ.ને સોંપાયો જ્યાં આજે પણ તે સુરક્ષિત છે.

જૂનું એક્સલસિયર થિયેટર

અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું.

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતા પૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું.

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.

અદી અને સિલ્લા મર્ઝબાન

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.

*

બે વર્ષા: નીચેવાળી અને ઉપરવાળી

ઓલ ઇન્ડિયા રેડિયો અંગેના લેખો માટે જે પ્રતિભાવો મળ્યા તેમાંથી બે : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં તેમાં એક નહિ, બે વર્ષા રહે. અડોશીપડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બંને કોલેજ-કાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બંને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે 'લોહીની સગાઈ' નાટકમાં  ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું એમની મૂંગી દીકરી . મારે તો મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકોર્ડિંગ પૂરું કરીને પછી ડ્યૂટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી રાજી. ઓલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા!  એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને  યાદ તાજી થઈ! 

તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં, અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ  ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝીક.

હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ … ક્યાં? ધીરી બાપુડિયાં. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7341,7351,7361,737...1,7401,7501,760...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved