દીકરી દિનાએ પસંદ કરેલો યુવાન મુસ્લિમ ન હતો એ જાણી ઝીણા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દિનાએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને 17 વર્ષની દિના નેવિલ વાડિયાને પરણી ગઈ …
‘ખુદા કે લિયે’ નામની પાકિસ્તાની ફિલ્મમાં, બ્રિટનમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રીની વાત છે. વિધુર થયા પછી એક અંગ્રેજ સ્ત્રીને પરણેલો પિતા, છૂટાછેડા પછી બધી રીતે પાયમાલ થઈ એક અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન વગર રહે છે. પણ દીકરી એક અંગ્રેજ યુવકના પ્રેમમાં છે એ જાણી એ ખળભળી ઊઠે છે અને દીકરીને પાકિસ્તાન લઈ આવી, છેતરીને એક મુસ્લિમ યુવાન સાથે પરણાવી દે છે. વાર્તા તો હજી લાંબી છે અને રસપૂર્ણ પણ, પણ અહીં મારે ધ્યાન એ તરફ દોરવું છે કે માણસ કેવાં બેવડાં ધોરણો સાથે જીવે છે – પોતા માટે એક નિયમ, અન્ય માટે બીજા નિયમ – એ ‘અન્ય’ પોતાનાં સંતાન હોય તો પણ ! આ ફિલ્મ હતી, પણ આવું વાસ્તવમાં પણ બને. આ પાકિસ્તાનની વાત હતી, પણ આવું ભારતમાં પણ બને – ગમે ત્યાં બને, કારણ કે બેવડાં ધોરણ કોઈ એક જગ્યાએ હોતા નથી. વેબડાં ધોરણ એ તો આખી દુનિયાના લોકોમાં ફેલાયેલી માનસિકતા છે.
1938ની સાલમાં, બીજા વિશ્વયુદ્ધના આગલા વર્ષે આપણા દેશમાં એક મોટા મુસ્લિમ નેતાની દીકરી, પિતા પાસે પોતાના મિત્રને પરણવાની પરવાનગી લેવા આવી. પિતા વિધુર હતા. એમની સદ્દગત પત્ની પારસી હતી. એટલે દીકરી જન્મથી અડધી પારસી હતી અને નાનાનાની પાસે ઊછરતી એટલે સંસ્કારે પણ પારસી ખરી. એણે પસંદ કરેલો યુવાન ભણેલો અને સફળ બિઝનેસમેન હતો, પણ એ પારસી હતો એ જાણી પિતા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દીકરીએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને સત્તર વર્ષની એ છોકરી તેના પારસી પ્રેમી નેવિલ વાડિયા સાથે પરણી ગઈ. પિતાએ એનો બહિષ્કાર કર્યો.
આ પિતા-પુત્રી એટલે મહમ્મદ અલી ઝીણા અને એની દીકરી દિના. ઝીણાના રાજકીય જીવન વિશે આપણે બધા જાણીએ જ છીએ, આજે એમના પારિવારિક જીવન વિશે થોડી વાત કરીશું, કારણ કે 25 ડિસેમ્બરે ઝીણાનો જન્મદિન હતો, કારણ કે ઝીણા, એમની પારસી પત્ની રતનબાઈ ઉર્ફ રુટી અને એમની પુત્રી દિના આ ત્રણે પાત્રો ભારતીય ઇતિહાસનાં પણ છે.
કાઠિયાવાડના મોટી પાનેલી ગામના ખોજા દંપતી ઝીણા પૂંજા અને મીઠીબાઈને ત્યાં 1876માં જન્મેલા મહમ્મદ અલી સાત બાળકોમાં સૌથી મોટા હતા. મુંબઈ અને લંડનમાં ભણ્યા અને 19મા વર્ષે બેરિસ્ટર થયા. ભારત પાછા આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા પણ ગાંધીજી સાથે મતભેદ થતાં કૉંગ્રેસ છોડી અને 1913થી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળ્યું. 1920થી તેમની કટ્ટરતા વધતી ગઈ, 1937 પછી એમણે ભારતથી અલગ સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી કરવા માંડી. 1947માં વિભાજન થયું. ઝીણા સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને વડા બન્યા. 1948 સપ્ટેમ્બરમાં એમનું મૃત્યુ થયું.
ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ તેમનો પરિચય મુંબઈમાં પહેલી ટેક્સટાઈલ મિલ શરૂ કરનાર દિનશા પેટિટ સાથે થયો. દિનશા પેટિટ તેમના ક્લાયન્ટ અને મિત્ર બન્ને હતા. રતનબાઈ ઉર્ફ રુટી આ દિનશા પેટિટની દીકરી. ઝીણા લંડનમાં ભણ્યા હતા, દેખાવડા હતા અને મુંબઈમાં વકીલાત કરતા હતા. મુગ્ધ રુટિ એમના તરફ આકર્ષાતી ગઈ. રુટિ ખૂબ દેખાવડી અને પશ્ચિમી ઢબે ટ્રેઈન્ડ આયાઓ પાસે ઉછરેલી આધુનિક કન્યા હતી. ઝીણા પણ આકર્ષાયા. ત્યારે ઝીણા ૪૦ વર્ષના હતા અને રુટિ 16 વર્ષની.
બે વર્ષ પ્રણય પાંગરતો રહ્યો. દિનશા પેટિટે પુત્રીના 18મા જન્મદિનની પાર્ટી તાજ હૉટેલમાં રાખી. મહેમાનો સમક્ષ રુટિએ નાટ્યાત્મક ઢબે જાહેર કર્યું કે તે ઝીણા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. દિનશા સ્તબ્ધ થઈ ગયા. મહેમાનો પણ આઘાત પામ્યા. સમગ્ર પારસી સમાજ ચોંકી ગયો. 1918માં બન્નેએ લગ્ન કરી લીધા. રુટિએ મુસ્લિમ ધર્મ અપનાવી મરિયમ નામ ધારણ કર્યું. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતાં.
લગ્નના એક વર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૧૯ને દિવસે દિનાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ઝીણા અને રુટિ એકબીજાથી ત્રાસી ગયા હતા. રુટિ મિત્રો અને મજલિસોમાં વ્યસ્ત રહેતી અને ઝીણા વકીલાત અને રાજકીય કારકિર્દીમાં. દીકરી માટે ટ્રેઈન્ડ મોંઘી આયાઓ રોકી પતિપત્ની પોતપોતાની જિંદગી જીવવા લાગ્યાં. ઝઘડા થઈ જતા તો રુટિ તાજમાં રહેવા ચાલી જતી. તાજના એના સ્યુટનું બિલ ઝીણા ભરી દેતા.
દીકરી પ્રત્યે માબાપની ઉપેક્ષા એટલી બધી હતી કે વર્ષો સુધી એનું નામ પણ પડ્યું નહોતું. થોડા વખત પછી રુટિ બીમાર રહેવા લાગી. ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસે માંદગી દરમિયાન અને છેક સુધી રુટિની સંભાળ રાખી હતી. કાનજી દ્વારકાદાસ 1914થી હોમરૂલ લીગમાં સક્રિય હતા. કાનજી દ્વારકાદાસ ગાંધીજીને 1917માં મળ્યા હતા અને ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા, પણ ક્યારે ય ગાંધીજીની જાદુઈ અસરમાં ન આવ્યા અને કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. તેઓ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા.
માત્ર 29 વર્ષની વયે રુટિનું મૃત્યુ થયું. દીકરી એના નાની દિનબાઈ પાસે ઉછરવા લાગી અને ‘દિના’ કહેવાઈ. દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા. એમની વચ્ચેના સંબંધો તંગ જ રહ્યા. ઝીણાના સ્વભાવમાં હઠ અને અહંકારનો અતિરેક હતો તેનું કારણ ભગ્ન લગ્ન અને એકલવાયાપણું હોઈ શકે. અલગ પાકિસ્તાનની ધૂન સવાર થયા પછી ઝીણા મુસ્લિમ રિવાજોમાં માનવા લાગ્યા જો કે ઘણાખરા ચુસ્ત મુસ્લિમો એમને મુસલમાન માનતા નહીં.
1938માં દિનાનાં લગ્ન થયાં. પાકિસ્તાન બન્યું ત્યારે દિનાએ પિતા સાથે પાકિસ્તાન જવાની ના પાડી ભારતમાં જ રહેવું પસંદ કર્યું હતું. પણ તેણે પિતાને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. ઝીણાએ તેનો જવાબ આપ્યો નહીં. 1948માં ઝીણાની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે તેણે દિનાએ પાકિસ્તાન જવાની તૈયારી કરી. ઝીણાએ મરણપથારીએથી પણ દિનાના વિઝા રીજેક્ટ કરવાની સૂચના આપી દીધી. તેમની દફનવિધિમાં દિના પાકિસ્તાન ગયાં હતાં. તે પછી છેક ૨૦૦૪માં દિના સપરિવાર પાકિસ્તાન ગયા હતાં અને ઝીણાની કબર પર ફૂલો મૂકી પ્રાર્થના કરી હતી. દિનાના પુત્રો નેસ અને જહાંગીર વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમેન અને બહુમતિ માલિકો છે. મુંબઈમાં એમની મોટી મિલકતો છે. વાડિયા ગ્રુપ તીખી કૉર્પોરેટ લડાઈઓ માટે જાણીતું છે. દિના 2017માં 98 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં મૃત્યુ પામ્યાં.
ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઈમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ એમનો બંગલો પોતાની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યાં હતાં. આ બંગલો 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે. આ બંગલો ૧૯૩૬માં બ્રિટનના જાણીતા સ્થપતિ ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર તે જમાનામાં બે લાખ(આજના લગભગ બસો કરોડ)ના ખર્ચે બન્યો હતો. ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટના લાકડાનો ઉપયોગ થયો હતો. આ જ બંગલામાં ગાંધીજી, નહેરુ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થઈ હતી. ભારત છોડતી વખતે ઝીણાએ કહ્યું હતું, ‘આ બંગલો યુરોપીય દૂતાવાસને સોંપી દેજો, ભારતીયો એને લાયક નથી.’
ઝીણા જાહેરમાં બે વખત રડ્યા છે. પહેલી વાર રુટિનું મૃત્યુ થયું ત્યારે અને બીજી વખત પાકિસ્તાન જતા અગાઉ છેલ્લી વખત રુટિની કબર પર ગયા ત્યારે. શીલા રેડ્ડીએ ‘મિ. એન્ડ મિસિસ ઝીણા’માં ઝીણા અને રુટિના દાંપત્યને ‘રોમાન્સની નાની પણ પ્રબળ કહાણી’ તરીકે વર્ણવ્યું છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ડિસેમ્બર 2021