Opinion Magazine
Number of visits: 9842716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાઝા માટે ‘શાંતિ’ની દરખાસ્ત ખરેખર શાંતિ લાવી શકશે? 

નેહા શાહ|Opinion - Opinion|10 October 2025

નેહા શાહ

બે વર્ષથી ગાઝા પટ્ટીમાં દ્દુનિયા મોત અને તબાહીનો તમાશો જોઈ રહી છે. હમાસે ઈઝરાઈલ પર આક્રમણ કરી આશરે ૧,૨૦૦ લોકોની હત્યા કરી એ ઘટનાને ૭મી ઓક્ટોબરે બે વર્ષ થયાં, અને ઈઝરાયેલને જાણે ‘લાઈસન્સ ટુ કીલ’ મળી ગયું. ગાઝામાં લગભગ ૬૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝા અત્યારે લગભગ સંપૂર્ણ પણે તારાજ છે. આ વિસ્તારમાં જે થઇ રહ્યું છે એ હવે યુદ્ધની વ્યાખ્યામાં બેસતું નથી, એને માનવ સંહાર જ કહી શકાય. શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બોમ્બથી મરનારના આંકડાની સાથે ભૂખમરાનો આંકડો પણ વધતો જાય છે. અનાજ, પાણી, કે દવા જેવી કોઈ માનવીય મદદ પણ ગાઝા સુધી પહોંચે નહિ એની તકેદારી ઇઝરાયેલી સેના લઇ રહી છે. ૪૪ દેશોમાંથી ૫૦૦ નાગરિકોનો ‘સુમુદ ફ્લોટીલા’ નામે કાફલો ૪૦ વહાણ લઇ દરિયાઈ માર્ગે ગાઝા પહોંચવા નીકળ્યો, જેને આંતરવામાં આવ્યો, તેના સભ્યોની ધરપકડ થઇ અને તેમની સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, જાણે તેઓ આતંકવાદી હોય. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ હવે એમને છોડી પણ દેવાયા. 

આ બધાની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરી, વીસ મુદ્દાની શાંતિની દરખાસ્ત રજૂ કરી છે જેમાં ગાઝાના પુન:ર્નિર્માણ અને આર્થિક પરિવર્તન માટેની દરખાસ્ત છે. યુરોપના દેશો અને આરબ દેશો તરફથી એને વ્યાપક આવકાર મળ્યો છે. વડા પ્રધાન મોદીએ પણ પ્લાનને આવકારતા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કર્યાં છે. હમાસે બધા બંધકોને મુક્ત કરવાનું તો સ્વીકાર્યું છે, પણ પ્લાનની બધી શરતો સ્વીકારી નથી. માત્ર હમાસ જ નહિ, પણ પેલ્સ્તીનના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરનારા પત્રકારો, એક્ટિવીસ્ટો, અને સંશોધકોએ પણ આ પ્લાન સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પ્લાન પ્રમાણે શાસનની પ્રક્રિયામાં જેમની જમીન પર સંહાર થઇ રહ્યો છે, જેમના કલ્યાણ માટે શાંતિની જરૂર છે એવા પેલેસ્તાઈનના લોકોનું કોઈ પ્રતિનિધત્વ જ નથી ! હમાસના ગુનાઓને ઝાંખા પાડે એટલા અનેક અત્યાચાર કરી ગુનાઓની બધી સીમા વટાવી ચુકેલા ઇઝરાયેલ માટે ઠપકાના બે શબ્દો પણ નથી ! વક્રોક્તિ તો ત્યાં છે જ્યારે ટ્રમ્પની યોજના પ્રમાણે પેલેસ્ટાઈનવાસીઓને દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવશે નહીં ! અરે ભાઈ, આ એમનો દેશ છે. એ લોકો તો અહીં જ રહેવાના છે. દેખીતી રીતે દ્વિ-રાષ્ટ્રીય દરખાસ્તને સદંતર અવગણવામાં આવી છે !

પ્લાનનો પહેલો મુદ્દો ગાઝાને કટ્ટરપન્થીઓથી મુક્ત કરવાનો છે. આ પ્રદેશની અશાંતિ માટે ઈઝરાઈલ પણ તો જવાબદાર છે જે અંગે પ્લાનમાં કોઈ ઉલ્લેખ નથી. યદ્ધ વિરામના પ્રયત્નો ઈઝરાઈલી હુમલાઓને કારણે પડી ભાંગ્યા છે એ હકીકત કેમ ભૂલાય? ઈઝરાઈલી સૈન્ય ગાઝામાંથી પાછા વળવા અંગે ત્રણ તબ્ક્ક્કા નક્કી કરવામાં આવ્યા છે. પણ તેની શરતો પણ ધૂંધળી છે તેમ જ કોઈ ચોક્કસ સમય રેખા પણ નથી. આ ઉપરાંત, યુદ્ધ ગાઝામાં ચાલે છે એ બહાને છેલ્લાં બે વર્ષમાં વેસ્ટબેંક વિસ્તારના હજારથી પણ વધુ નાગરિકોને ઈઝરાઈલી દળોએ મારી નાખ્યા છે. જમીન કબજે કરવાના  મિશનની ઝડપ વધી ગઈ છે. પેલેસ્તીનની જમીન પચાવી ત્યાં રહેવા ઈઝરાયેલીઓને સબસીડી આપવાની નીતિ અશાંતિના બીજ રોપતી આવી છે એ અંગે ટ્રમ્પની શાંતિ દરખાસ્તને કશું કહેવાનું નથી. 

પ્લાનમાં થયેલી દરખાસ્ત મુજબ પેલેસ્ટિનિયન સત્તા હાથમાં લે ત્યાં સુધી “બોર્ડ ઓફ પીસ” નામની વચગાળાની સંસ્થાની દેખરેખ હેઠળ શાસન ચાલશે. આ બોર્ડનું સંચાલન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે. ટોચની સમિતિમાં કોઈ પેલેસ્તીની નાગરિકનો ઉલ્લેખ નથી. એમના ભાગે માત્ર પ્લાનનું પાલન કરવવાનું છે. ટોચની સમિતિમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરનું નામ પણ છે, જેમની સામે મધ્ય-એશિયામાં થયેલા યુદ્ધના ગુનાઓમાં સામેલ હોવાનો આક્ષેપ હતા. સલાહકાર બોર્ડમાં એમની હાજરી પર આ વિસ્તારના નેતાઓને સ્વાભાવિક રીતે વિશ્વાસ પડે એમ નથી. વળી, “બોર્ડ ઓફ પીસ”ના હાથમાં ક્યાં સુધી સંચાલન રહેશે અને ક્યારે પેલેસ્ટિનિયન લોકોને સત્તા સોંપવામાં આવશે એની કોઈ ચોક્કસ સમયરેખા નથી. 

સંસ્થાનવાદી વૃત્તિ જગતમાંથી ગઈ નથી. દુનિયાના શક્તિશાળી દેશોને હજુ પણ લાગે છે કે તેઓ બધી રીતે ચડિયાતા છે અને દુનિયાના અન્ય ખૂણાની સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક બાબતોમાં તેમની દખલથી સૌનું ભલું થશે. વર્તમાન ખૂન-ખરાબાના મૂળમાં પણ સંસ્થાનવાદી ઇતિહાસ જ છે. જ્યારે શક્તિશાળી દેશોએ ભેગા થઇને નક્કી કરી લીધું કે યહૂદીઓ માટે અલગ દેશ હશે અને સ્થાનિક લોકોને પૂછ્યા વગર દુનિયાભરમાંથી યહૂદીઓને લાવી ઈઝરાઈલમાં વસાવ્યા. 

આજની તારીખમાં પેલેસ્તીની લોકો માટે કોઈ પણ પ્રકારે શાંતિ સ્થપાય એ જરૂરી છે, મોતનો આ ખેલ તાત્કાલિક અટકાવવો જરૂરી છે. પણ, આવા કોઈ પ્લાનથી શાંતિ આવશે એવી ભ્રામક આશા સેવવામાંથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે સમુદાય માટે તેમની ગરિમા જળવાય એ ખૂબ જરૂરી છે. જગત જમાદારો જો સત્તાનો કબજો પોતાના હાથમાંથી છોડશે નહિ તો ફરીથી લોકોનો વિદ્રોહ એક યા બીજા પ્રકારે ઊભો થઇ શકે છે. હમાસ માત્ર થોડા કટ્ટરપંથી લોકોનો સમૂહ નથી, એ એક વિચાર છે જે બીજા સ્વરૂપે ફરી ઊગી શકે છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેટલા બેંક પેન્શનર્સ ગુજરી ગયા પછી પેન્શન અપડેટ થશે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 October 2025

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભારત સ્વતંત્ર થયાને 75થી વધુ વર્ષ થવા છતાં દેશમાં આભડછેટ, અસ્પૃશ્યતા, ભેદભાવનો છેડો નથી આવતો. આ અસ્પૃશ્યતા હવે જાતિ-જ્ઞાતિ પૂરતી સીમિત નથી, તેનું નોખું-અનોખું સ્વરૂપ સામે આવ્યું છે અને તે છે શિક્ષિત આભડછેટ કે શિક્ષિત અસ્પૃશ્યતા કે શિક્ષિત ભેદભાવ ! આ વરદાન શિક્ષિતોએ આપેલું છે. સાચું તો એ છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે, એટલું નુકસાન અભણોએ નથી કર્યું. આ ચલણ ને વલણ સરકારથી માંડીને સરકારી કે અર્ધ સરકારી કે સરકારી ગ્રામીણ સંસ્થાઓ સુધી વિસ્તરેલું ને વકરેલું છે, તેમાં ય નિવૃત્ત કર્મચારીઓ માટે તો વધુ ભેદભાવ જોવા મળે છે. આમ નિવૃત્તોને માન-સન્માન આપવાની ઉપલક વાતો તો ઘણી થાય છે, પણ મોટે ભાગના નિવૃત્તો તરફ ઘરમાં કે બહાર અમુક પ્રકારની સૂગ ફેલાયેલી જોવા મળે છે. આ સૂગ સરકારથી માંડીને જાહેર સંસ્થાઓ સુધી વ્યાપેલી છે.

આમ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પર જી.એસ.ટી. પહેલેથી જ ખોટો હતો, પણ સરકારે વર્ષો સુધી જી.એસ.ટી. લૂંટ્યા પછી તાજેતરમાં તે નાબૂદ કર્યો. આ ઉપકાર પછી પણ પેન્શનર્સને જી.એસ.ટી.માંથી મુક્તિ નથી મળી. સાધારણ રીતે તો પેન્શનર્સનો વીમો ઉતારવા કોઈ તૈયાર થતું નથી, એટલે તેણે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જવું પડે એ લાચારી છે. એની ખૂબી એ છે કે આ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ દર વર્ષે વધતું જ આવે છે ને લગભગ દોઢ કે બે મહિનાનું પેન્શન, પેન્શનરે એમાં હોમી દેવાનું થાય છે. નામ પૂરતું તો પેન્શન બાર મહિનાનું જમા થાય છે, પણ દોઢથી બે મહિનાનું પેન્શન પ્રીમિયમમાં નીકળી જાય છે ને બાકીનું પેન્શન જ ભાગે આવે છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ તહેવારોના ખર્ચાળ મહિનાઓ છે ને ઉપરથી દોઢ-બે મહિનાનું પેન્શન હેલ્થ ઇન્સ્યોરન્સમાં જી.એસ.ટી. સાથે નીકળી જતાં હાલત એવી થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે. ઘણાં તે લે છે. આ સ્થિતિ પડતાં પર પાટું પડવા જેવી જ છે.

વારુ, જે કલેઈમ કરે છે, તેને તો પ્રીમિયમ ભરવાનો કૈંકે લાભ થતો હશે, પણ જે કલેઈમ નથી કરતા તેમને તો વર્ષોવર્ષ દોઢ બે મહિનાનું પેન્શન એમ જ જા ખાતે આપવાનું થાય છે. એવા ઘણાં હશે, જેમણે વર્ષો સુધી રૂપિયો ય કલેઈમ કર્યા વિના લાખો રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીને ખટાવ્યા હશે. કંપનીએ એવા વીમેદારને કન્સેશન આપવું જોઈએ કે તેણે ઈમાનદારીથી કલેઈમ નથી કર્યો, પણ બધા જ નફો રળતા હોય તો વીમા કંપની પણ એટલી રાહત આપવા શું કામ તૈયાર થશે, એ પ્રશ્ન જ છે.

એમાં વળી હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જી.એસ.ટી. નીકળી જતાં એમ લાગ્યું કે થોડી રાહત થશે, પણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમના આંકડા આવ્યા તો એમાં આઘાતજનક રીતે 18 ટકા જી.એસ.ટી. લાગેલો જ હતો. આવું કેમ, તેનો જવાબ એવો આવ્યો કે જી.એસ.ટી. વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જ ગયો છે, ગ્રૂપ ઇન્સ્યોરન્સ પર તે લાગુ જ છે. પેન્શનર્સને આ ભારોભાર અન્યાય છે ! એક જ હેલ્થ ઇન્સ્યોરન્સ વ્યક્તિગત ધોરણે લેવાય તો જી.એસ.ટી. માફ ને એ જ હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રૂપમાં લેવાય તો 18 ટકા જી.એસ.ટી. લાગે. આનો સખત વિરોધ થવો જ જોઈએ. ગમ્મત તો એ છે કે ગ્રૂપમાં લેવાતા ઇન્સ્યોરન્સમાં પણ પ્રીમિયમ તો વ્યક્તિગત રીતે જ જે તે ખાતામાંથી કપાય છે, છતાં 18 ટકા જી.એસ.ટી. બીજા કોઈને નહીં, પણ વૃદ્ધોને લાગે છે, એ શરમજનક છે.

ઓલ ઇન્ડિયા બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરિઝ કોન્ફેડરેશન (AIBPARC) તરફથી 8 ઓક્ટોબર, 2025ને રોજ 93-25 નંબરનો સર્ક્યુલર આવ્યો છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી જી.એસ.ટી. બાદ કરવાનો ઇસ્યુ કેરાલા હાઈકોર્ટની જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં પહોંચ્યાની વાત છે. તે યુનિટ પૂરતો સ્ટે આવ્યો પણ છે, તો તમામ યુનિટોને અસર કરે તે રીતના પ્રયત્નો તમામ યુનિયનોએ કરવા જોઈએ. જો કે, ઓલ ઇન્ડિયા બેંક રિટાયરિઝ ફેડરેશન (AIBRF) પણ બધી બેંકો વતી પિટિશન ફાઈલ કરશે એમ લાગે છે. સૌથી દુખદ વાત તો એ છે કે દેખીતા અન્યાય બાબતે પણ કોર્ટ સુધી જવું પડે ને સ્ટે મેળવવો પડે છે. પેન્શનર્સને બને ત્યાં સુધી સરકાર લેખામાં જ લેતી નથી. એવું ન હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી નાબૂદ થયેલો જી.એસ.ટી. વૃદ્ધોને જ કરમે શું કામ ચોંટે?

વર્ષે લગભગ દશેક મહિના જેટલું જ પેન્શન મળતું હોય એવા પેન્શનર્સનું પેન્શન પણ ત્રીસેક વર્ષથી, એટલે કે શરૂઆતથી જ અપડેટ નથી થયું. પેન્શનર્સનું જે બેઝિક પેન્શન ત્રીસેક વર્ષ પર નક્કી થયેલું, તેના પર જ મોંઘવારી ભથ્થું (ડી.એ.) વધઘટ સાથે લાગુ કરીને દર મહિને પેન્શન જમા થતું રહે છે. અન્ય સ્ટાફના પગાર, એલાઉન્સિસમાં અમુક વર્ષે નવું પગાર ધોરણ લાગુ થાય છે, પણ પેન્શનર્સનું પેન્શન વર્ષોથી અપડેટ થતું નથી, થયું નથી, તે એટલે કે પેન્શનર્સ બીજી કોઈ રીતે ઉપયોગી નથી, તેમની પાસેથી કંઇ લેવાનું નથી, એટલે સરકાર તેમની ચિંતા શું કામ કરે? એ કમનસીબી છે કે દેશના લાખો બેંક પેન્શનર્સનું પેન્શન અપડેટ નથી થયું. નથી જ થયું –

આમાં પણ બેંકો-બેંકો વચ્ચે ભેદભાવ છે. સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ પેન્શનર્સનું પેન્શન આપોઅપ અપડેટ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનર્સને એકથી વધુ વખત પેન્શન અપડેશનનો લાભ મળી ચૂક્યો છે, પણ બીજી બેન્કોને રિવિઝનનો લાભ, કારણ ગમે તે હોય, પણ વર્ષોથી અપાયો નથી. રિઝર્વ બેંકની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી બેંકો રિઝર્વ બેંક સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલી છે, પણ પગાર અને પેન્શનને મામલે રિઝર્વ બેંક અને અન્ય રાષ્ટ્રીય બેંકો વચ્ચે એકસૂત્રતા નથી. આવો ભેદભાવ રાખીને સરકાર લાખો પેન્શનર્સને અન્યાય કરે છે. આ બધા ભણેલા-ગણેલા છે, પણ એકને ગોળ ને એકને ખોળ-ની નીતિ અહીં પૂરી બેશરમીથી ચાલે છે. બેન્કોની નીતિઓમાં ભેદભાવ રાજરોગની હદે સક્રિય છે.

એવું નથી કે ફંડ નથી. બેંક કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ જમા થતું હતું ને એના પર જે વ્યાજ મળ્યું, એને લીધે લગભગ સાડાચાર લાખ કરોડ જેટલું ફંડ ઓલરેડી જમા છે. એમાંથી સરળતાથી પેન્શન અપડેશન શક્ય છે, પણ 1994-‘95થી પેન્શન રેગ્યુલેશન લાગુ થયું, ત્યારથી એક પણ વખત પેન્શન રિવિઝનનો લાભ રિટાયરિઝને મળ્યો નથી તે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે રિટાયરમેન્ટની તારીખના આધાર પર પેન્શનરો વચ્ચે ભેદભાવ ઠીક નથી. એ તો ઠીક, મોંઘવારી રાહત (DR) આપવામાં પણ એકરૂપતા નથી. યુનિયનોએ કેટલીક માંગ પણ ઘણાં વખતથી મૂકી છે. જેમ કે, રિઝર્વ બેંકના સ્તર પર બીજી બેન્કોનાં પેન્શનર્સનું પેન્શન અપડેટ થાય. બીજું, યુનિફોર્મ ડીઅરનેસ એલાઉન્સ (DA) લાગુ કરવામાં આવે. ત્રીજી માંગ છે એક કોમ્પ્રિહેન્સિવ ગુડ હેલ્થ પોલિસીની. કેટલાંક મોટાં સંગઠનોએ વિરોધની જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે, કારણ પ્રખર વિરોધ વગર તો સરકાર વાજબી માંગ પણ સ્વીકારતી નથી. તો, સરકારને સોંસરું પૂછવાનું થાય કે કેટલા પેન્શનર્સ ગુજરી જશે, પછી સરકાર પેન્શન અપડેશન તરફ જશે?

પેન્શન અપડેશન એ ભીખ નથી કે નથી કોઈ દાન ! એ દરેક પેન્શનરનો કાનૂની અધિકાર છે. બેન્કોમાં પેન્શનરોએ પોતાની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો બેન્કની સેવામાં અર્પિત કર્યાં છે. બેંકો પોતે અનેક ક્ષેત્રોમાં વિકસી છે. મોંઘવારી ત્રીસ વર્ષ પહેલાંની નથી, તો પેન્શનરનું પેન્શન 30 વર્ષ જૂનું કઈ રીતે હોય? બધું જ અપડેટ થાય છે, સિવાય બેંક પેન્શનરોનું પેન્શન ! એમાં પણ રિઝર્વ બેંક બે વખત પેન્શન અપડેટ કરી ચૂકી છે, તો એ જ રીતે અન્ય બેંક પેન્શનર્સનું પેન્શન માનવતાને ધોરણે અપડેટ કેમ ન થાય? બધી જ બેન્કોના કર્મચારીઓએ બેન્કોના વિકાસમાં સરખી રીતે યોગદાન આપ્યું હોય ને એ આધારે બેન્કોએ પ્રગતિ કરી હોય તો રિઝર્વ બેંક અને અન્ય બેંકો વચ્ચે પગાર અને પેન્શન વચ્ચે અસમાન ધારાધોરણો લાગુ કરવા પાછળ કયો તર્ક કામ કરે છે તેનો ખુલાસો થવો જોઈએ. કંઇ નહીં તો બેંક પેન્શનર્સ નિવૃત્તિ કાળમાં સ્વમાન અને સન્માનપૂર્વક જીવી શકે ને એને માટે કાયદેસર મળવા પાત્ર લાભોથી વંચિત ન રહે એટલું તો થવું જ જોઈએ. એને માટે તેમણે જતી ઉંમરે સંઘર્ષ કરવો પડે તે ઠીક નથી. આશા રાખીએ કે સરકાર ઘટતું કરે અને ઝડપથી કરે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑક્ટોબર 2025

Loading

ધ લંચ બોક્સ: કભી કભી ગલત ટિફિન ભી સહી જગહ પહોંચ જાતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2025

રાજ ગોસ્વામી

“કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ.” નવાસવા ફિલ્મ નિર્દેશક બનેલા રિતેશ બત્રાની 2013માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નો સાર આ એક ડાયલોગમાં આવી જાય છે. ફિલ્મમાં, એકાઉન્ટન્ટની નોકરીમાંથી નિવૃત્ત થવાની અણી પર સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)ને, તેનો ટ્રેઈની અને મુંબઈની ટ્રેનમાં હમસફર અસલમ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે આ વાક્ય કહે છે છે ત્યારે, સાજન માર્મિક રીતે તેની સામે જુવે છે. તેને લાગતું હોય છે કે આ વાત કેટલી સૂચક છે! તેના જીવનમાં ટ્રેનની નહીં, લંચ બોક્સની અદલાબદલી થઇ ગયેલી છે.

સાજનની ઓફિસમાં તેના ટેબલ પર રોજ એક ‘ગલત’ ટિફિન આવે છે. ઇલા (નિમ્રત કૌર) નામની એક ગૃહિણીએ તેના પતિ માટે ટિફિન બનાવ્યું હોય છે, પણ ડબ્બાવાળાની ભૂલના કારણે તે સાજન પાસે પહોંચી જાય છે. બંનેને ‘ગલતી’નો અહેસાસ છે, છતાં તેમને એમાં મજા આવવા લાગે છે, અને ટિફિનની દોસ્તીને આગળ ધપાવે છે. સતત કામમાં વ્યસ્ત મુંબઈ શહેરમાં બે એકલવાયા જીવ ‘ગલત’ ટિફિનના કારણે એકબીજાના ‘લોંગ ડિસ્ટન્સ’ દોસ્ત બને છે.

‘ધ લંચ બોક્સ’ પ્રેમ અને સંબંધો દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની વાર્તા છે. તે સાજન અને ઇલાને બે એવા લોકો તરીકે રજૂ કરે છે, જેમને માનવીય હૂંફની જરૂર હોય છે, અને જેની તેમના જીવનમાં અનુપસ્થિતિ છે. બંને અકસ્માતે એકબીજાના પરિચયમાં આવે છે અને સન્મુખ મળ્યા વગર ચિઠ્ઠીઓ મારફતે એકબીજાના જીવનને ઊંડાણપૂર્વક સ્પર્શે છે અને પ્રભાવિત કરે છે. તેઓ બંને એકબીજાને જીવનમાં ફેરફાર કરવા માટે પણ પ્રેરિત કરે છે- સાજન તેની નોકરી છોડી દે છે અને ઇલા તેના પતિને.

આ ફિલ્મ એ વાતને સમજાવે છે કે પ્રેમ એકબીજાને મળીએ તો જ થાય તે જરૂરી નથી. કદાચ આ પહેલી હિન્દી ફિલ્મ છે જેમાં ‘પ્રેમી-પ્રેમિકા’ને એકબીજાનું મોઢું પણ ખબર નથી અને ફિલ્મના અંતે પણ ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ના બદલે, ‘ફરી ક્યારેક મળીશું’ના આશાવાદ સાથે બંને પોતપોતાના અલગ રસ્તા પર વળી જાય છે.

સાજન અને ઇલા વચ્ચે જે સંપર્ક થયો હતો તે મળ્યા વગર અને કોઈ ફોન કોલ વગર હતો. સાજનની પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તેની રોજિંદી દિનચર્યામાં લોકલ ટ્રેન અને બસમાં ઓફિસ જવાનું, કંટાળાજનક કામ કરવાનું અને ઘરે પરત ફર્યા બાદ પત્નીને યાદ કરવાનું છે. તેનું જીવન એક સીધી લીટીમાં ચાલતું રહે છે. 

ઇલાનું જીવન પણ રૂટિંન છે. ઘરકામથી દિવસ શરૂ થાય છે અને ઘરકામમાં પૂરો થાય છે. પતિને તેનામાં રસ નથી. ઇલા પતિમાં રસ પેદા કરવા ટિફિનમાં રસ નાખે છે. ઇલા મધ્યમ વર્ગીય પરિવારની સ્ત્રી છે એટલે ખાસ બોલતી નથી અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે ભોજનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ગુસ્સામાં હોય તો મરચું વધારે નાખી દેતી, તનાવમાં હોય તો મીઠું. બદનસીબે કે સદનસીબે, તેનું ટિફિન પતિના બદલે સાજનના ટેબલ પર પહોંચી જાય છે. સાજન ભોજન મારફતે તેની લાગણીઓને પારખે છે.

ટિફિનની અદલાબદલીથી પરેશાન ઇલાને તેના ઘરમાં ઉપલા માળે રહેતી આંટી (ભારતી આચરેકર) એક આઈડિયા આપે છે; ખાવાની સાથે એક ચિઠ્ઠી મૂક કે ભૂલ થઇ ગઈ છે! સાજન ટિફિન ખાય છે’ વળતો જવાબ લખે છે. બીજા દિવસે આ ક્રિયા દોહરાવામાં આવે છે. અને એ રીતે તેમની વચ્ચે ‘લંચ બોક્સ’ પ્રેમાલાપ ચાલુ થાય છે.

ઇલા તેના શુષ્ક જીવનની વાતો કહેતી એક ચિઠ્ઠીને ટિફિનમાં મુકતી હતી અને સાજન તેના જવાબમાં તેના એકલવાયા ક્લાર્કગીરીવાળા જીવનની. બંને લંચ બોક્સ દ્વારા તેમની ખુશી અને દુઃખ વ્યક્ત કરે છે. એ રીતે બંને એકબીજાની લાગણીઓને સમજવા લાગે છે. તેમની વચ્ચેનું આ વિશેષ બંધન માત્ર એક લંચ બોક્સ અને તેની અંદરની ચિઠ્ઠીઓથી બનેલું છે. કદાચ તેમના માટે તે પ્રેમ કરતાં પણ અધિક હતું.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મના કોઈ પણ પાત્રો ફોન પર વાત કરતાં જોવા નથી મળતાં. નિર્દેશક રિતેશ બત્રાએ જાણીજોઇને મોબાઈલ ફોનને દૂર રાખ્યો હતો. તે તેમના કિરદારોને સ્વાદિષ્ટ ટિફિન સાથે જોડવા માંગતા હતા. ટિફિન ભૂખનું, સ્વાદનું પ્રતિક છે. બંનેના જીવનમાં તેનો અભાવ છે. ટિફિન મુંબઈની વિશેષતા છે. તે કામ કરતા પતિની વ્યસ્તતા અને મજબૂરીનું પ્રતિક છે. ઇલાના પતિ ઇલામાં ઓછો અને કામમાં વધુ રસ છે. 

મુંબઈ શહેર અનેક યુગલો સાથે આવી ક્રુરતા આચરતું હોય છે. આ ફિલ્મમાં મુંબઈ પણ એક કિરદારના રૂપમાં છે. અટવાયેલો ટ્રાફિક, લોકલ ટ્રેનો અને બસોમાં હકડેઠઠ ભીડ, લાંબી રાહ જોતા લોકો એક પ્રકારનો તનાવ અને થાક પેદા કરે છે. ફિલ્મમાં પાત્રોની સાથે દર્શક તરીકે આપણે પણ મુંબઈની આ ક્રુરતાને અનુભવીએ છીએ.

એ જ ટિફિન ઇલા અને સાજનના સંબંધને મીઠો પણ બનાવે છે. ફોન વગર પણ તેમનો લગાવ ઘનિષ્ઠ બને છે. સાજન અને ઇલાને એકબીજા સાથે વાત કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા ફોન કોલ્સની જરૂર નહોતી, તેમનો સંબંધ કંઈક અલગ અને સુંદર હતો, જે પરંપરાગત પત્ર લેખન મારફતે નીખર્યો હતો.

જો કે ઇલા આખરે માણસ છે. જેમ જેમ તેમનો સંબંધ ગાઢ થતો જાય છે, ઇલામાં એ ઇચ્છા બળવત્તર બનતી જાય છે કે તે એકવાર તેના અજાણ્યા હમસફરને મળે. સાજનની મુશ્કેલી અલગ જ છે. તે નિવૃત્ત થઇ રહ્યો છે, તેની ઉંમર થઇ ગઈ રહી છે, વાળોમાં સફેદી આવી રહી છે, ચહેરા પર કરચલીઓ વળી રહી છે. ઇલા તેને જોઇને ડરી જશે અથવા નિરાશા થઇ જશે તો? 

પત્રો દ્વારા, સાજન ઇલાને જણાવે પણ છે કે તે તેના કરતાં ઘણો મોટો છે, પરંતુ ઇલાને તેનાથી કોઈ ફરક પડતો નથી. હકીકતમાં, તેમનો સુંદર સંબંધ શરીર અને વયની સીમાઓથી આગળ છે. નિર્દેશક રિતેશ બત્રા આ સંબંધને ખૂબ જ સુંદર રીતે પડદા પર લાવ્યા છે. સાજનને ઇલાની જવાનીનો ડર લાગે છે. સાજન કાયમ અદૃશ્ય રહ્યો છે, અને હવે ઇલાને સામે આવીને ખુદને ‘જોવા’થી ડરે છે. 

બંને એક રેસ્ટોરન્ટમાં મળવાનું ગોઠવે પણ છે, પરંતુ સાજન ઇલાની સન્મુખ નથી થતો. પાછળથી ઇલાને અસલમ શેખ પાસેથી ખબર પડે છે કે તેનો ‘ભોજનકર્તા’ નિવૃત્ત થઈને નાસિક જવા નીકળી ગયો છે. ઇલા તેને નામે વિદાઈ સંદેશો લખે છે કે તેણે તેના પતિ રાજીવને છોડી દઈને તેની દીકરી યશ્વી સાથે ભૂતાન જતા રહેવાનું નક્કી કર્યું છે.

ટ્રેનમાં નાસિક જઈ રહેલો સાજન અચાનક મન બદલી નાખે છે અન પાછો મુંબઈ તરફ વળે છે. ફિલ્મમાં અંતે, ઇલા તેની દીકરી સ્કૂલેથી પાછી આવે તેની રાહ જોતી હોય છે, અને સાજન ટિફિનની અદલાબદલી કરનારા ડબ્બાવાળા સાથે ઇલાના ઘર તરફ ચાલતો જાય છે. બંનેને ભેગા થતા નથી બતાવાયા, પણ વાર્તાનો અંત સૂચવે છે કે બંનેના રસ્તા પાછા ભેગા થઇ રહ્યા છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...168169170171...180190200...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved