Opinion Magazine
Number of visits: 9559671
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—298

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2025

યોર ઓનર! આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે

બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વરસે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વરસે તો મેટ્રિક થઈ ગયો! અને સત્તરમે વરસે મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે મેળવી. પણ પછી? વકીલાત કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૧ વરસની હોવી જોઈએ એવો તે વખતે કોર્ટમાં નિયમ. બીજો કોઈ છોકરો હોત તો ચાર-પાંચ વરસ બીજી કોઈ નાની-મોટી નોકરી કરીને મન મનાવ્યું હોત અને ગુજરાન ચલાવ્યું હોત. પણ આ છોકરો તો હતો માથા ફરેલો. એટલે અદાલતમાં અરજી કરી, કે આ નિયમ અયોગ્ય અને ભેદભાવભર્યો છે. કોર્ટે વાત સ્વીકારી, અને ૧૭ વરસના એ છોકરાને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાની અપવાદરૂપે મંજૂરી આપી. એટલે ૧૮ વરસની ઉંમરે બન્યો વકીલ. ૧૯૪૮માં માદરે વતન સિંધ છોડી નિરાશ્રિત તરીકે મુંબઈમાં આવીને વસ્યો. 

રામ જેઠમલાણી – પાકટ વયે

ફરી એકડે એકથી વકીલાત શરૂ કરી. ૨૦૧૭ના સપ્ટેમ્બરની નવમી તારીખે તેણે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું. તે પહેલાં કઈ કેટલાયે ચકચારભર્યા કેસ લડ્યો, મોટા ભાગના જીત્યો. હર્ષદ મહેતા, કેતન પારેખ, લાલ કૃષ્ણ અડવાણી, જેસિકા લાલ, લલિત મોદી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓ, હાજી મસ્તાન, આસારામ બાપુ, જયલલિતા, અરવિંદ કેજરીવાલ, જેવી કેટલીયે વ્યક્તિઓના આખા દેશમાં ગાજેલા કેસ લડ્યો. કેસ લડવા માટે આખા દેશમાં સૌથી વધુ ફી લેવા માટે નામચીન બન્યો. આ અંગે ટીકા થતી ત્યારે એ બેધડક કહેતો : ‘હું ક્યા બળજબરીથી પૈસા પડાવું છું? અસીલ રાજીખુશીથી આપે છે, અને હું લઉં છું.’ પછી રાજકારણમાં પડ્યો. દિલ્હીમાં મિનિસ્ટર બન્યો. માથાભારે વિચારો અને વર્તનને કારણે થોડો વખત કેનેડા જઈને રહેવું પડ્યું. એક રાજકીય પક્ષમાંથી બરતરફ થયો, છ વરસ માટે. જિંદગીનું ૯૬મું વરસ પૂરું થવાને માત્ર છ દિવસની વાર હતી ત્યારે, ૨૦૧૯ના સપ્ટેમ્બરની આઠમી તારીખે સવારે પોણા આઠ વાગ્યે દિલ્હીમાં તેનું અવસાન થયું. આ વિલક્ષણ અને વિચક્ષણ વકીલ તે રામ જેઠમલાણી. મામી આહુજાના મિત્ર હતા એટલે તેમણે રામ જેઠમલાણીને આ કેસ માટે રોકેલા. નાણાવટી ખૂન કેસ તેમનો પહેલો હાઈ-પ્રોફાઈલ કેસ.

યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ અને ધનંજય યશવંત ચંદ્રચૂડ, પિતા–પુત્ર બંને બન્યા હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા

જેઠમલાણીના બીજા સાથીદાર વકીલ કોણ હતા? યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ. ૧૯૨૦ના જુલાઈની ૧૨મી તારીખે પુણેમાં જન્મ. ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં ભણતર. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૯૪૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. પૂણેની લો કોલેજમાં ભણીને ૧૯૪૨માં એલ.એલબી. થયા, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ. યુનિવર્સિટી ઓફ બોમ્બેની ત્રણ ત્રણ સ્કોલરશીપ મેળવી. ૧૯૪૩માં બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૬૧માં એ જ કોર્ટના જજ બન્યા. ૧૯૭૨માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ, અને ૧૯૭૮ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિમાયા. ૧૯૮૫ના જુલાઈની ૧૧મી તારીખે નિવૃત્ત. સાત વરસ અને ચાર મહિના સુધી ચીફ જસ્ટિસના હોદ્દા પર રહીને તેઓ સૌથી વધુ લાંબી મુદ્દત માટે એ પદ પર રહેનારા બન્યા. ૨૦૦૮ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. વખત જતાં તેમના દીકરા ધનંજય ચંદ્રચૂડ પણ ૨૦૨૨માં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બન્યા. નાણાવટી ખૂન કેસના બે મહત્ત્વના વકીલોના  પરિચય પછી પાછા ફરીએ મિસિસ યાજ્ઞિકની જુબાનીના દિવસે. 

૧૯૫૦ની આસપાસનો બોમ્બે હાઈ કોર્ટનો એક કોર્ટ રૂમ

ખંડાલાવાલા : મિસિસ યાજ્ઞિક, તમે આરોપી કમાન્ડર નાણાવટી અને તેમનાં પત્નીને કેટલા વખતથી ઓળખો છો? 

મિસિસ યાજ્ઞિક : હું તેમને પહેલી વાર મળી કોચિનમાં, વરસ હતું ૧૯૫૪. એ વખતે મારા પતિનું પોસ્ટિંગ કોચિનમાં હતું. કમાન્ડર નાણાવટીને પણ કોચિનમાં પોસ્ટિંગ મળ્યું. પણ તેમને ઘર ફાળવવામાં આવ્યું નહોતું. એટલે કેટલોક વખત તેઓ અને મિસિસ નાણાવટી અમારે ઘરે રહ્યાં હતાં. 

ખંડાલાવાલા : અને મરનાર પ્રેમ આહુજા અને તેમની બહેન મામી આહુજાને તમે ક્યારથી ઓળખો છો?

મિસિસ યાજ્ઞિક : ૧૯૪૭થી. હું અને મારા પતિ લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક મુંબઈ આવ્યાં. કારણ મારા પતિની બદલી મુંબઈ થઈ હતી. પછી ઓગસ્ટ ૧૯૫૫માં તેમની બદલી વિઝાગ (હાલનું નામ વિશાખાપટ્ટનમ્) થઈ. પણ હું ત્રણ મહિના પછી ત્યાં ગઈ. ઓગસ્ટની ૨૦મીથી ઓક્ટોબરની ૩૦મી સુધી હું મિસિસ નાણાવટી સાથે રહી. એ વખતે મામી આહુજા ઘણી વાર મને મળવા આવતાં અને હું અને સિલ્વિયા પણ તેમને ઘરે મળવા જતાં. ઘણી વાર સિલ્વિયાનાં બાળકો પણ સાથે આવતાં. આ રીતે હું તેમને ત્યાં છ-સાત વખત ગઈ હોઈશ. વિઝાગ ગયા પછી હું મુંબઈ આવી નથી. આજે આ જુબાની આપવા માટે જ આવી છું.

ખંડાલાવાલા : નાણાવટી કુટુંબ અને આહુજા કુટુંબનો પરિચય તમે કરાવી આપ્યો હતો?

મિસિસ યાજ્ઞિક : હા, જી. ૧૯૫૬માં મેં આ બંને કુટુંબોનો પરિચય એક-બીજા સાથે કરાવ્યો હતો. તે પહેલાંથી તેઓ એકબીજાને ઓળખતાં હતાં કે નહિ, એની મને ખબર નથી. સિલ્વિયા અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમ-સંબંધ વિષે હું કશું જ જાણતી નથી. 

ખંડાલાવાલા : મારે આ સાક્ષીને વધુ કશું પૂછવાનું નથી. મારા મિત્ર વકીલ ઊલટ તપાસ કરી શકે છે.

રામ જેઠમલાણી : મારે આ સાક્ષીને કશું પૂછવાની જરૂર જણાતી નથી. 

એટલે અદાલતે લેફ્ટનન્ટ કમાન્ડર પ્રવીણ સી. યાજ્ઞિકને જુબાને માટે બોલાવ્યા.  

ખંડાલાવાલા : લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક, આહુજા કુટુંબને કેટલાં વરસથી ઓળખો છો?

યાજ્ઞિક : પચીસ વરસથી. 

ખંડાલાવાલા : અને આરોપીને?

યાજ્ઞિક : ૧૯૪૧થી. ૧૯૫૪માં તે અને તેમનાં પત્ની કોચિનમાં અમારી સાથે રહ્યાં હતાં. પણ હું ક્યારે ય તેમને ઘરે રહ્યો નથી. પણ ૧૯૫૮માં મારી બદલી વિઝાગ થઈ ત્યારે મારાં પત્નીએ પોતાને માટે રહેવાની વ્યવસ્થા નાણાવટી કુટુંબ સાથે કરી હતી. 

ખંડાલાવાલા : મિસિસ નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમસંબંધ અંગે તમે શું જાણતા હતા?

યાજ્ઞિક : કશું જ નહિ. મારી નોકરીના ભાગ તરીકે મારે ઘણી વાર થોડા થોડા દિવસ માટે મુંબઈ આવવાનું થતું. ત્યારે હું પ્રેમ આહુજાને ઘરે ઉતરતો. 

ખંડાલાવાલા : આ રીતે તમે છેલ્લે તેમને ત્યાં ક્યારે રહ્યા હતા? 

યાજ્ઞિક : છેલ્લે મેં પ્રેમ આહુજાને કાગળ લખ્યો હતો કે મારી ફરજના ભાગ રૂપે સત્તાવાર કામ માટે એપ્રિલની ૨૭મી તારીખે હું મુંબઈ આવવાનો છું. કામ પૂરું થાય એટલે દસ દિવસની રજા લઈને હું મારા બાપુજીને મળવા સૌરાષ્ટ્ર જવા ધારું છું. મેં લખ્યા પ્રમાણે એપ્રિલની ૨૭મી તારીખે સાંજના સાત વાગ્યાના સુમારે હું પ્રેમ આહુજાને ઘરે પહોંચ્યો હતો. હું તેમના ફ્લેટમાં ગયો ત્યારે ત્યાં ઘણા બધા પોલિસ ઓફિસર હાજર હતા. તેમણે મને કહ્યું કે પ્રેમ આહુજાનું મોત નિપજ્યું છે. 

ખંડાલાવાલા : નામદાર, આ સાક્ષીને મારે વધુ કાંઈ પૂછવાનું નથી. મારા મિત્ર તેમની ઊલટતપાસ કરી શકે છે.

રામ જેઠમલાનણી : મારે કશું પૂછવાની જરૂર જણાતી નથી. 

એટલે મરનાર પ્રેમ આહુજાના નોકર રાપાની જુબાની શરૂ કરવામાં આવી. તેણે અદાલતને જણાવ્યું કે બનાવના દિવસે સવારે સાડા નવ વાગ્યે મારા શેઠ – પ્રેમ આહુજા – ઓફિસ જવા નીકળ્યા હતા. બપોરે પોણા બે વાગે તેઓ લંચ માટે ઘરે આવ્યા હતા. શેઠનાં બહેન, મામી મેડમ પણ સવારથી બહાર ગયાં હતાં. શેઠ આવ્યા પછી પાંચેક મિનિટે મેડમ પણ બહારથી આવ્યાં. બંને સાથે જમવા બેઠાં. જમી લીધા પછી બંને પોતપોતાના બેડરૂમમાં આરામ કરવા ગયાં. બેડરૂમમાં જતાં પહેલાં શેઠે મને કહેલું કે સવા ચાર વાગ્યે મને જગાડજે અને હું ઊઠું ત્યારે ચા તૈયાર રાખજે. મેં એ પ્રમાણે તેમને જગાડીને ચા આપી. પછી હું રસોડામાં ગયો. થોડી વાર પછી ખાલી કપ લેવા તેમના બેડરૂમમાં ગયો. તે વખતે મેં ટેલિફોન બેડરૂમમાંથી કાઢીને ડ્રોઈંગ રૂમમાં લગાડ્યો. એ વખતે શેઠ બાથરૂમમાં નહાઈ રહ્યા હતા. પછી હું મેડમ મામી માટે ચા બનાવવા લાગ્યો. એવામાં ડોર બેલ વાગી, એટલે હું બારણું ખોલવા ગયો. એ વખતે લગભગ ૪:૨૦ થઈ હશે. મેં બારણું ખોલ્યું ત્યારે બહાર આરોપી ઊભો હતો. તે અગાઉ પણ અમારે ઘરે આવતો હતો. તેના હાથમાં પીળા રંગનું એક મોટું કવર હતું. 

રામ જેઠમલાણી : એ કવરમાં શું હતું?

નોકર : કાળા રંગની રિવોલ્વર.

ખંડાલાવાલા : કવરમાં શું હતું તેની તમને કઈ રીતે ખબર પડી? કમાન્ડર નાણાવટીએ કવરમાંથી કાઢીને તમને બતાવેલી, કે તમે પોતે કાઢીને જોયેલી? (કોર્ટમાં હસાહસ)

જજ મહેતા : ઓર્ડર, ઓર્ડર!

નોકર : ના, જી. મેં જોઈ નહોતી કે ન તો તેમણે મને બતાવી હતી. પણ પછી જે કાંઈ બન્યું તેને આધારે મેં આવું અનુમાન કર્યું હતું.

ખંડાલાવાલા : યોર ઓનર! ભલે આ સાક્ષી કહે કે તેણે આવું અનુમાન કર્યું હતું. પણ હકીકત એ છે કે શું બોલવું અને શું નહિ, એ તેને બચાવપક્ષના વકીલ દ્વારા શીખવવામાં આવ્યું છે. અને પોપટની જેમ આ માણસ એ પ્રમાણે બોલે છે. 

જજ મહેતા : અદાલત તમારી રજૂઆતની નોંધ રેકર્ડ પર લે છે.

ખંડાલાવાલા : થેંક યુ માય લોર્ડ!

નોકર : પછી આરોપીએ મને પૂછ્યું કે તારા શેઠ ઘરમાં છે? મેં ‘હા’ પાડી એટલે તે શેઠના બેડરૂમમાં ગયો અને પાછળ બારણું બંધ કર્યું. એ વખતે મેડમ આહુજા તેમના બેડરૂમમાં હતાં. હું ડાઈનિંગ ટેબલ પાસે ઊભો હતો. એ વખતે મેં ત્રણ મોટા અવાજ સાંભળ્યા. એ અવાજ શેઠના બેડરૂમમાંથી આવ્યા હતા. તેમાંના પહેલા બે અવાજ ‘ટેપ’ ‘ટેપ’ જેવા હતા. ત્રીજો અવાજ કાચ તૂટવાનો હતો. આરોપી શેઠના બેડરૂમમાં ગયો તે પછી લગભગ તરત જ આ અવાજો આવ્યા હતા. અવાજો સાંભળીને મેડમ આહુજા તેમના બેડરૂમમાંથી આવ્યાં અને મને પૂછ્યું : ‘શું થયું? આ અવાજ શેના?’ અને અમે બંને તરત શેઠના બેડરૂમમાં ગયાં. 

ત્યારે તમે શું જોયું?

મારા શેઠ લોહીલુહાણ હાલતમાં બાથરૂમની ફર્શ પર પડ્યા હતા. આરોપી થોડે દૂર ઊભો હતો અને તેના હાથમાં રિવોલ્વર હતી. તેણે મને કહ્યું : ખબરદાર છે, એક ડગલું પણ આગળ વધ્યો તો તારો જાન જશે. છતાં હું બારણું રોકીને ઊભો રહ્યો. પણ આરોપીએ મને જોરથી ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. મેડમ આહુજાએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ તેમને ય ધક્કો મારીને આરોપી ઘરની બહાર નીકળી ગયો. હું તેની પાછળ પાછળ દોડ્યો. મેં બૂમ પાડીને વોચમેનને કહ્યું કે આ માણસને રોક. તેણે મારા શેઠનું ખૂન કર્યું છે. પણ ત્યાં સુધીમાં આરોપી તેની મોટરમાં બેસી ગયો હતો. છતાં વોચમેને અને મેં તેની મોટર રોકી. વોચમેને કહ્યું કે હું તને ભાગવા નહિ દઉં. હમણાં પોલીસને બોલાવું છું. ત્યારે આરોપી બોલ્યો કે હું જ પોલિસ સ્ટેશને જઈને સરન્ડર કરું છું. 

બરાબર એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. 

નોકરની જુબાની અંગેની વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 જુલાઈ 2025

Loading

રાધિકા યાદવની હત્યા : ઓનર કિલિંગનો જ એક પ્રકાર

નેહા શાહ|Opinion - Opinion|19 July 2025

નેહા શાહ

“ક્યાં સુધી પુરુષોના નાજુક અહંકારને કારણે છોકરીઓની હત્યા થતી રહેશે?” આ સવાલ રાધિકા યાદવની મિત્ર અને ટેનિસ ખેલાડી હિમનશીખા સિંહ રાજપૂત પૂછે છે. માત્ર હિમનશીખા જ નહીં, દેશની દરેક દીકરી આ પ્રશ્ન પૂછે છે. આ એ જ રાધિકા યાદવની વાત છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ટેનિસમાં ભારતનું પ્રતિનિધત્વ કરી ચૂકી હતી, જેની ૧૦મી જુલાઈની સવારે ગુડગાંવ ખાતેના એના ઘરમાં તેના પિતાએ જ ગોળી મારી હત્યા કરી. ખભાની એક ઈજા પછી તે સ્પર્ધામાં ભાગ લઇ શક્તિ ન હતી તો એણે ટેનિસ એકેડમી શરૂ કરી. એકેડમીમાંથી આવતા પૈસા અને ખ્યાતિના એની આજુબાજુના સમાજને પસંદ ન આવી, ન એના પિતાને ! પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે તો સમાજના લોકો એને ટોણાં મારતાં હતા કે એ દીકરીની કમાણી પર જીવી રહ્યો છે, જેની એને ખૂબ શરમ આવતી હતી. એમણે રાધિકાને ટેનિસ એકેડમી છોડી દેવા દબાણ કર્યું, પણ રાધિકા માની નહિ, જે દીપક કુમારના અહમને માફક ન આવ્યું, એ ભલેને જન્મદાતા જ કેમ ન હોય! 

કહે છે કે રાધિકાના પિતા દીપક કુમાર પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા, તેમ છતાં એની પર ગોળી ચલાવવાની હરકત કરી બેઠા ! જેનો એમના ચહેરા પર કોઈ રંજ દેખાતો ન હતો ! એક પિતા દીકરીને પ્રેમ કરતા જ હોય, પણ એ બિનશરતી હોય એ જરૂરી નથી. સામાજિક ધારા-ધોરણોનાં દબાણની પરવશતા આવતી જ હોય છે. લોકો શું કહેશે એ ડરનો ભાર એટલો મોટો હોય છે કે માણસ લોક અભિપ્રાયને જ યોગ્ય માની પોતાની રીતે સાચું ખોટું નક્કી કરતો જ નથી. પિતૃસત્તાક મૂલ્યો સ્ત્રી અને પુરુષ બંનેની ભૂમિકા નક્કી કરે છે. આ કિસ્સામાં રાધિકા અને દીપક કુમાર બંને એનો ભોગ બન્યાં. દીપક કુમાર પિતા તરીકે દીકરીની જિંદગી પર નિયંત્રણ રાખવાનું યોગ્ય સમજતા હોઈ, સમાજનાં ટોણાં પચાવી શક્યા નહિ. સમાજના નિયમોમાં બંધાઈને ચાલવાનું દબાણ એમણે માથે રાખ્યું. દીકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા સુધી પહોંચી છતાં એની વ્યક્તિગત સ્વતંત્રતા તેઓ સ્વીકારી શક્યા નહીં. જોવાનું એ છે કે સમાજમાં એવા પણ લોકો છે કે હોનહાર દીકરીની સફળતાને બિરદાવવાને બદલે એના પર નિયંત્રણ નહિ રાખી શકવા બદલ તેના પિતાને મહેણાં-ટોણાં મારે!

કોઈ પણ સ્ત્રી પોતાની પસંદગી પ્રમાણે જીવન વિતાવવાનું નક્કી કરે અને એ માટે સમાજ સામે ખુમારીથી ઊભી રહે તો પિતૃસત્તાક મૂલ્યોને પરવડતું નથી. છોકરીઓને સમાન શિક્ષણ આપો અને સમાન તક આપો – જેમ કે રાધિકાને ટેનિસ રમવાની તક મળી – એનાથી માનસિકતા બદલાતી નથી. પિતૃસત્તાક મૂલ્યો સતત નક્કી કરતા રહે છે કે છોકરી કોને મળી શકે, કોની સાથે વાત કરી શકે, કોને પ્રેમ કરી શકે, કામ કરી શકે કે નહિ, કપડાં કેવાં પહેરી શકે, સોશ્યલ મીડિયા વાપરી શકે કે નહિ … વગેરે … વગેરે …. આ નિયમોથી હટીને રહેનાર સામે આંગળી ચિંધાતી રહે, ધાક-ધમકી મળતાં રહે, ઘરેલું મારપીટ પણ થતી રહે. આ બધા પિતૃસત્તાક હિંસાના પ્રકાર છે. એ સંદર્ભે રાધિકાની હત્યા ‘ઓનર કિલિંગ’નો જ એક પ્રકાર છે. જો ઓનર કિલિંગની બહોળી વ્યાખ્યા કરવી હોય, તો સ્ત્રીની સ્વાયત્તતા સામે પિતૃસત્તાક વ્યવસ્થા પ્રેરિત થતી હત્યા એમ કહી શકાય. કુટુંબની આબરુને સ્ત્રીની પવિત્રતા સાથે સાંકળતી સંસ્કૃતિમાં ‘ઓનર કિલિંગ’ તરીકે થતી હત્યા જોવા મળતી હોય છે જેનો ભોગ સ્ત્રીઓ અને એમના જોડીદાર પુરુષ બંને બનતાં હોય છે. સામાન્ય રીતે એની પાછળનું મુખ્ય કારણ સામાજિક ધોરણોથી વિરુદ્ધ જઈને થતાં પ્રેમ અને લગ્ન સંબંધ હોય છે કારણ કે, સ્ત્રીની જાતીયતા અને જાતીય પસંદગી પર હંમેશાંથી સામાજિક નિયંત્રણ રહ્યા છે. પણ, ભણાવી ગણાવીને પગ પર ઊભા રહેવા તૈયાર થયેલી દીકરીના કામ કરવા અંગે વાંધો પડ્યો હોય એવો કદાચ આ પહેલો કિસ્સો હશે. સ્વતંત્ર રીતે જીવતી દીકરીને લડી ધમકાવી કાબૂમાં રાખવી કે પછી જબરદસ્તી પરણાવી દેવાના અનેક પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ. પણ મામલો હત્યા સુધી પહોંચે એ ચોંકાવનારી બાબત છે. એવું તો ક્યાંક નથીને કે સંસ્કૃતિ બચાવવાના પ્રયત્નોના આ પ્રવાહમાં દીકરીઓની જિંદગીને વધુ નિયંત્રિત કરવી વાજબી લાગવા લાગ્યું છે? આમે ય આબરૂ, સંસ્કૃતિ, પરંપરાને સાચવવાનો ભાર સ્ત્રીઓના ખભે વધારે હોય છે! 

જો કે, સોશ્યલ મીડિયા પર લવ જિહાદના નામે એક ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં આ હત્યાને યોગ્ય ઠેરવવાના પ્રયત્ન શરૂ થઇ રહ્યા છે. નથી દીપક કુમારે પોતાના બયાનમાં એવું કશું કહ્યું કે નથી પોલીસ ફરિયાદમાં એવી કોઈ વાત આવી. પણ પિતા દ્વારા દીકરીની થયેલી હત્યાને બીજી કઈ રીતે વાજબી ઠેરવાય? આજના સમયમાં લવ જિહાદના નામે સહાનુભૂતિની દિશા ફંટાઈ શકે છે અને સ્ત્રીઓની સ્વાયત્તતાની વાત વિસારે પાડી શકાય છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

રમેશ સવાણી|Diaspora - Features|19 July 2025

સાઉથ ડાકોટાના ‘રેપિડ સિટી’માં રેન્ટલ હાઉસમાં ત્રણ રાત્રિ મુકામ કર્યો. રેન્ટલ હાઉસમાં રોકાવાનો ફાયદો એ છે કે ઘર જેવું વાતાવરણ મળે, હોટલથી સાવ અલગ. રેન્ટલ હાઉસમાં કીચનનો ફાયદો રહે છે. મનગમતી રસોઈ બનાવી શકાય છે. રેન્ટલ હાઉસનું પ્રિબૂકિંગ ઓનલાઈન થઈ શકે છે. Airbnb-Airbed and Breakfast / Vrbo-Vacation Rentals by Owner / B&B-bed and breakfast જેવી કંપનીઓ પ્રવાસ માટે હાઉસ, રેન્ટ પર મેળવી આપે છે.

16 જુલાઈ 2025ના રોજ, સવારે 6 વાગ્યે ‘રેપિડ સiટી’થી આગળનો પ્રવાસ શરૂ કર્યો. હવે પછી અમારો મુકામ Yellowstone નેશનલ પાર્ક છે. રેપિડ સિટીથી Yellowstoneનું અંતર 430 માઈલનું છે. વચ્ચે નેશનલ હાઈવેના બદલે સ્ટેટ હાઈવે પર મુસાફરી કરી. નાનાં ગામડાંઓ જોવા મળ્યા. રોડની બાજુએ વિશાળ પડતર જમીનો જોવા મળી. 

બપોરના 3.30 વાગ્યે, Yellowstone – યલોસ્ટોન પાસેના અમારા ઉતારે – રેન્ટ હાઉસ પહોંચ્યા. દૂરથી ઝૂંપડા જેવું લાગે પણ અંદર જઈને જોયું તો બધું વ્યવસ્થિત હતું. સાંજે દાળ, ભાત, શાક, રોટલીનું ભોજન કર્યું. આરામ કર્યો. હાઉસ બહાર ફર્યા અને થોડા ફોટાઓ પાડ્યા. અહીં હાઉસમાં એરકંડિશ્નર નથી કેમ કે ઉનાળામાં પણ અહીં ઠંડું વાતાવરણ હોય છે.

યલોસ્ટોન નેશનલ પાર્ક વિશે માહિતી એકત્ર કરી. આ પાર્ક વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક છે. જે 1 માર્ચ 1872ના રોજ બન્યો હતો. યલોસ્ટોન નેશનલ પાર્ક એ વ્યોમિંગ, ઇડાહો અને મોન્ટાનામાં 2.2 મિલિયન એકરમાં, એટલે કે 3,468 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં તળાવો, ખીણો, નદીઓ, પર્વતમાળાઓ, ધોધ, વન્યજીવન અને ઘણું બધું જોઈ શકાય છે. ‘ઓલ્ડ ફેથફુલ’ અને ‘ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’ સહિત વિશ્વના સૌથી વધુ ગીઝર-ગરમ પાણીનાં ઝરણાં માટે આ પાર્ક પ્રખ્યાત છે. સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓનું ઘર છે. વિશાળ જંગલો અને ઘાસનાં મેદાનોમાં છોડની અનોખી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ ઉદ્યાનમાં ગ્રીઝલી રીંછ, કુગર, વરુ અને બાઇસન અને એલ્કના મુક્ત-રેન્જિંગ ટોળાંઓ વસે છે. 

યલોસ્ટોન નેશનલ પાર્ક વ્યોમિંગના ઉત્તરપશ્ચિમ ખૂણામાં આવેલો છે. યલોસ્ટોન નેશનલ પાર્કનો 96% ભાગ વ્યોમિંગમાં છે, જ્યારે બાકીના ભાગો મોન્ટાના અને ઇડાહો વચ્ચે વહેંચાયેલા છે. જ્વાળામુખી ફાટવાથી થતા લાવાના પ્રવાહો અને ખડકો યલોસ્ટોનના મોટાભાગના ભૂમિ વિસ્તારને આવરી લે છે. 

આ પાર્કનાં મોટાભાગના લોકપ્રિય સ્થળો જોવા માટે 2થી 3 દિવસનું આયોજન કરવું પડે. ઊંડાણપૂર્વક મુલાકાત લેવી હોય તો એક અઠવાડિયાનું આયોજન કરવું પડે. અમે 5 દિવસ અહીં ફરવાના છીએ.

દર વર્ષે ઉદ્યાનના જંગલમાં આગ લાગે છે; 1988ની મોટી આગમાં, ગ્રેટર યલોસ્ટોન ઇકોસિસ્ટમમાં 1.4 મિલિયન એકર જમીન બળી ગઈ હતી, જેમાં પાર્કનો 7,97,880 એકર વિસ્તાર પણ સામેલ હતો. આ આગ પર્યાવરણીય અને માનવીય પરિબળોના મિશ્રણને કારણે લાગી હતી, જેમાં ઐતિહાસિક રીતે શુષ્ક ઉનાળો, ભારે પવન, વીજળીના કડાકા અને માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જૂનથી પાનખર બરફ અને વરસાદથી આગ ઓલવાઈ ગઈ ત્યાં સુધી આગ સળગતી રહી હતી. સરેરાશ વર્ષમાં, યલોસ્ટોનમાં આશરે 24 આગ લાગે છે, જેમાંથી 80% કુદરતી-વીજળીને કારણે થાય છે. યલોસ્ટોનમાં હાઇકિંગ, કેમ્પિંગ, બોટિંગ, માછીમારી અને જોવાલાયક સ્થળો સહિત અનેક મનોરંજનની તકો મળે છે. 

આ ઉદ્યાનનો માનવ ઇતિહાસ ઓછામાં ઓછા 11,000 વર્ષ પહેલાં શરૂ થયો હતો જ્યારે મૂળ અમેરિકનોએ આ પ્રદેશમાં શિકાર અને માછીમારી કરવાનું શરૂ કર્યું હતું. 1807-1808ની આસપાસ John Colter – જોન કોલ્ટર યલોસ્ટોન વિસ્તારમાં પ્રવેશનાર પ્રથમ યુરોપિયન હતો. તે વેપારની તકો શોધવા આવેલ. કોલ્ટર યલોસ્ટોન આવ્યો તેની પાછળ જિજ્ઞાસા અને સાહસની ભાવના પણ હતી. જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

18 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...166167168169...180190200...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved