Opinion Magazine
Number of visits: 9663883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણમાં ઘણી ચીજો વિવેક પર છોડવામાં આવી છે જેનો અવિવેકીઓ લાભ લે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2025

રમેશ ઓઝા

“દેશનાં બંધારણે જેમને બંધારણીય જવાબદારી સોંપી છે એ માણસ જો કેટલીક જવાબદારીનું વહન ન કરે અને નહીં કરવા પાછળનું કોઈ કાઈ કારણ પણ ન આપે તો શું સર્વોચ્ચ અદાલતે કશું નહીં કરવાનું? શું તેના હાથ બંધાયેલા છે?” 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ આર.એસ. ગવઈએ આ સોંસરો સવાલ ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યો હતો અને હંમેશ મુજબ સોલિસિટર જનરલે કોઈ સીધો જવાબ નહોતો આપ્યો. 

સર્વોચ્ચ અદાલતમાં પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ સમક્ષ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માગેલા માર્ગદર્શન વિષે સુનાવણી ચાલી રહી છે જેને અંગ્રેજીમાં પ્રેસિડેન્ટશિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. ગયા એપ્રિલ મહિનામાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યોના ગવર્નર અનુક્રમે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખરડાને જો મંજૂરીની મહોર પણ ન મારે અને કારણ આપીને પાછો પણ ન કરે તો એવા સંજોગોમાં ત્રણ મહિના પછી એ ખરડાને કે પ્રસ્તાવને મંજૂર થયેલો ગણવો. સર્વોચ્ચ અદાલતે આવો ચુકાદો એટલા માટે આપ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કેટલાક રાજ્યપાલો વરસો સુધી ખરડાઓને નથી મંજૂરી આપતા કે નથી કારણ બતાવીને પાછો કરતા. બસ નિર્ણય લીધા વિના બેસી રહે છે. જેમ કે તામિલનાડુના રાજ્યપાલ પાંચ વરસથી રાજ્ય વિધાનસભાએ મંજૂર કરેલા ખરડાને નહોતા મંજૂરી આપતા કે નહોતા કારણ આપીને પાછો કરતા. બીજાં વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પણ રાજ્યપાલો આવું જ કરે છે જેની અવધિ બેથી ત્રણ વરસની છે. આની સામે ત્રણ રાજ્યોની સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી અને અપીલના પ્રતિસાદમાં સર્વોચ્ચ અદાલતે ઉક્ત ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પછી રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાસેથી માર્ગદર્શન માગ્યું હતું. સર્વોચ્ચ અદાલતમાં એ બાબતે સુનાવણી ચાલી રહી છે. 

બંધારણીય જોગવાઈ એવી છે કે સંસદ કે રાજ્યોની વિધાનસભા ખરડો પસાર કરે એ પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે તેને મંજૂરી આપવાની હોય છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ખરડો નામંજૂર કરવાનો અધિકાર છે, પણ એને માટે કારણ આપવું જરૂરી છે. બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ખરડો પાછો કરે અને સંસદ અથવા વિધાનસભા એ ખરડાને ફરી વાર પસાર કરે તો એ સંજોગોમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેને મંજૂરી આપવા બંધાયેલા છે. બીજી વાર તેને નામંજૂર રાખવાનો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને અધિકાર નથી. બંધારણમાં એક ત્રુટિ પણ છે. રાષ્ટ્રપતિએ કે રાજ્યપાલે કેટલા વખતમાં ખરડો પાછો કરવો એ વિષે કોઈ સમયાવધિ બતાવવામાં આવી નથી. 

રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર કામકાજ ન કરી શકે એવા હલકા ઉદ્દેશથી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલો ખરડાઓને મંજૂરી આપતા નથી, મંજૂરી નહીં આપવા માટેનાં કારણ આપીને તેને પાછો પણ કરતા નથી અને સમયાવધિની અસ્પષ્ટતાનો લાભ લઈને તેના પર બેસી રહે છે. આમ કરીને વર્તમાન શાસકો જે તે રાજ્યોની પ્રજાને મેસેજ આપે છે કે શાસન તો માત્ર અમે જ કરીશું અને જો બીજા પક્ષોને શાસન કરવા ચૂંટી કાઢશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. જો પોતાનું અને રાજ્યનું ભલું ઈચ્છતા હો તો અમને ચૂંટો. તેઓ નાગરિકોને વિકલ્પહિન કરવા માગે છે. એકપક્ષીય શાસન ઈચ્છે છે. વડા પ્રધાન કહે છે એમ “મધર ઓફ ડેમોક્રસી”ની આ સ્થિતિ છે. 

ભારત સમવાય સંઘ છે જેનું સતાવાર નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ એ સતાવારપણે સંઘ સરકાર છે અર્થાત્ યુનિયન ગવર્ન્મેન્ટ. એમાં રાજ્યો ઘટક છે અને તેનાં સ્પષ્ટ અધિકારો છે. ભારતના નાગરિકોને પોતાની પસંદગીના પક્ષને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે ભારતનો નાગરિક લોકસભાની ચૂંટણીમાં એક પક્ષને મત આપે અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બીજા પક્ષને મત આપે. દિલ્હીમાં આવું વ્યાપકપણે જોવા મળ્યું હતું. લોકશાહીની આ જ તો ખૂબી છે. પણ વર્તમાન શાસકો લોકશાહીને ખતમ કરવા માગે છે. ડબલ એન્જીન સરકારનો મતલબ જ આ થાય છે. ઉજવળ ભવિષ્ય જોઈતું હોય તો અમને મત આપીને ચૂંટો અને જો બીજાને તક આપશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. અમારા ખાંધિય દરેક રાજ્યમાં બેઠા છે. 

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અત્યારે માણસાઈ, સભ્યતા, ગરિમા જેવા ગુણોની ખૂબ યાદ આવતી હશે. પણ આ એ જ માણસ છે જે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારનો ખાંધિયો હતો. તેઓ પશ્ચિમ બંગાળની સરકરને કામ જ કરવા નહોતા દેતા. ખરડા મંજૂર નહોતા કરતા અને નહોતા મંજૂર નહીં કરવા પાછળનું કારણ આપતા. મર્યાદાની બહાર જઇને રાજ્ય સરકારની ટીકા કરતા હતા. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની અધ્યક્ષતા કરે છે અને તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષોને બોલવા નહોતા દેતા અને અપમાન કરતા હતા. તેમનું વર્તન એક ઉદ્દંડ ખાંધિયાનું હતું. એટલે જ્યારે તેમને અપમાનપૂર્વક રાજીનામું આપવું પડ્યું ત્યારે કોઈએ ખેદ પણ વ્યક્ત નહોતો કર્યો. એ ખાંધિયા ધનખડે ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી થોડો સમય ઉપાડો લીધો હતો એ કદાચ યાદ હશે. તેઓ કહેતા હતા કે ન્યાયતંત્ર કરતાં લોકપ્રતિનિધિ ગૃહ સર્વોપરી છે, કારણ કે તે નાગરિકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. ઈરાદો સ્વતંત્ર ન્યાયતંત્રને ખતમ કરવાનો હતો અને તેઓ આ બકવાસ તેમના આક્કાઓના કહેવાથી કરતા હતા. અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે જો લોકપ્રતિનિધિગૃહ સર્વોપરી છે તો રાજ્યોની વિધાનસભા શું છે? શું એ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી? જવાબ બહુ સ્પષ્ટ છે, બી.જી.પી.ના લોકપ્રતિનિધિ સર્વોપરી છે બીજા નહીં. 

આખો સંઘપરિવાર લઘુતાગ્રંથિથી પીડાતો મનોરૂગ્ણ છે. ભયભીત છે. તાનાશાહોના આ જ સ્વભાવલક્ષણો હોય છે. તેઓ ડરેલા હોય છે. 

અહી ૧૯૮૦ના દાયકાના ભારતીય જનતા પક્ષની યાદ આવે છે જ્યારે તે લોકશાહીનો પૂજારી હતો. કેન્દ્ર સરકારે રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેના સંબંધો વિષે અભ્યાસ કરવા, રાજ્યપાલોની ભૂમિકા સ્પષ્ટ કરવા અને સમવાય ભારતનો ઢાંચો મજબૂત બને એ માટે જરૂરી ભલામણો કરવા ન્યાયમૂર્તિ આર.એસ. સરકારિયાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોના એક પંચની રચના કરી હતી. ૧૯૮૮માં જ્યારે સરકારિયા પંચનો સંપૂર્ણ અહેવાલ આવ્યો ત્યારે લોકસભામાં ભારતીય જનતા પક્ષ માત્ર બે બેઠકો ધરાવતો હતો. દેખીતી રીતે ત્યારે ભા.જ.પ.ને લોકતંત્રની ખૂબ જરૂર હતી. વાજપેયી-અડવાણી ત્યારે સરકારિયા પંચનો અહેવાલ માથે લઈને નાચતા હતા. આખો સંઘપરિવાર સરકારિયા પંચનો પૂજારી હતો. ખાતરી કરવી હોય તો સંઘ પરિવારના મુખપત્રો, ભા.જ.પ.ના ઠરાવો, સંસદમાંની ચર્ચાઓ અને જાહેર વક્તવ્યો તપાસી જાઓ. ત્યારે સીડી ચડવી હતી એટેલ લોકશાહીનો ખપ હતો. અત્યારે સીડી ચડી ગયા પછી ઉતરવું નથી એટલે લોકશાહી, ફેડરલ ઇન્ડિયા અને સ્વતંત્ર ન્યાયતંત્ર કઠે છે. 

અને હા, આ લેખના પ્રારંભમાં મુખ્ય ન્યાયમૂર્તિનો જે સવાલ ટાંક્યો છે એનો જવાબ સોલિસિટર જનરલે શું આપ્યો? બૌદ્ધિક દરિદ્રતા અને બૌદ્ધિક અપ્રમાણિકતાનું એમાં દૃષ્ટાંત જોવા મળશે. બંધારણમાં ક્યાં સમયમર્યાદા બતાવી છે? બંધારણમાં ઘણી ચીજો વિવેક પર છોડવામાં આવી છે જેનો અવિવેકીઓ લાભ લે છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—303

દીપક મહેતા|Opinion - Opinion|24 August 2025

પ્રેમ આહુજાના પ્રેમમાં પડ્યા પછી તું મને ‘વફાદાર’ રહી છે?

ના, હું તમને ‘વફાદાર’ રહી શકી નથી 

આજ સવારથી જેમ જેમ બાતમી ફેલાતી ગઈ તેમ તેમ જજ મહેતાની કોર્ટની બહાર લોકોની ભીડ વધતી ગઈ. જેમ જેમ લોકોની ભીડ વધતી ગઈ તેમ તેમ પોલીસની હાજરી પણ વધતી ગઈ. આજે અહીં નહોતા આવવાના લશ્કરની કોઈ પાંખના વડા. નહોતા આવવાના કોઈ વિશ્વવિખ્યાત ડોક્ટર કે વકીલ. કોઈ નેતા કે અભિનેતા આવે એવો તો સંભવ જ નહોતો. સવારના અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે અદાલતના કમ્પાઉન્ડની બહાર એક મોટર આવીને ઊભી રહી. જાતે બારણું ખોલીને એક વિદેશી સ્ત્રી બહાર આવી. ઉંમર માત્ર ૨૮ વરસ. સફેદ સાડી. એક ગોરી ચામડીને બાદ કરતાં કોઈ ‘દેશી’ સ્ત્રી જેવી જ લાગે. મોઢા પર કોઈ ભાવ નહિ, નિર્લેપ. પણ આંખોમાં થોડી ઉદાસી. સાથે હતાં આધેડ વયનાં બે પારસીઓ. ૧૯૫૯ના એપ્રિલની ૨૭મી તારીખની સાંજથી એ બંને આ ગોરી સ્ત્રીની સાથે ને સાથે જ હતાં. એ બે પારસીઓ તે કમાન્ડર કાવસ નાણાવટીનાં બાવાજી અને માયજી. અને પેલી ૨૮ વરસની શ્વેતવસ્ત્રાવૃતા સ્ત્રી તે સિલ્વિયા નાણાવટી. ફરિયાદ પક્ષના વકીલે અદાલતને પહેલેથી કહી દીધું હતું કે આ સ્ત્રીની સાહેદીમાં અમને વિશ્વાસ નથી. એટલે અમે તેની ઊલટતપાસ કરવા માગતા નથી. પણ બચાવ પક્ષ માટે તો તે એક બહુ મહત્ત્વની સાક્ષી હતી. બરાબર અગિયાર વાગે જજ મહેતા દાખલ થયા અને જુબાની શરૂ થઈ.

સિલ્વિયા નાણાવટી યુવાન વયે

બચાવ પક્ષના વકીલ : તમારું નામ?

મિસિસ સિલ્વિયા કાવસ નાણાવટી.

ઉંમર? 

૨૮ વરસ.

લગ્ન?

૧૯૪૯ના જુલાઈમાં, કમાન્ડર કાવસ નાણાવટી સાથે. 

બાળકો? 

ત્રણ.

બાળકોની ઉંમર?

સાડા નવ, સાડા પાંચ, અને ત્રણ વરસ.

મરનાર પ્રેમ આહુજાને ક્યારથી ઓળખો?

ત્રણ વરસથી.

તમારું લગ્નજીવન?

પ્રેમ આહુજાને મળી તે પહેલાં એકદમ સુખી. 

પછી?

આહુજા સાથેની ઓળખાણ પહેલાં દોસ્તીમાં અને પછી … પછી મોહમાં સરી પડી. મારે કબૂલ કરવું જોઈએ કે હું તેની પાછળ પાગલ જેવી થઈ ગઈ હતી. 

આમ ક્યારે બન્યું?

આશરે ૧૯૫૮ની શરૂઆતમાં. 

આ વાતની ખબર તમારા પતિ કમાન્ડર નાણાવટીને ક્યારે પડી?

૧૯૫૯ના ઓગસ્ટની ૨૭મીએ સવારે.

તે દિવસે શું બન્યું તેની માંડીને વાત કરો.

તે દિવસે સવારે પહેલાં તો મારા પતિ અને હું પરેલમાં આવેલી પ્રાણીઓ માટેની હોસ્પિટલમાં અમારી કૂતરીની દવા લેવા ગયાં. પાછા ફરતાં મેટ્રો સિનેમા જઈને બપોરના શોની ટિકિટ ખરીદી.

કેટલી? 

મારી, અમારાં ત્રણ બાળકોની, અને પાડોશના એક બાળકની. કુલ પાંચ.

પછી?

ત્યાંથી અમે ક્રાફર્ડ માર્કેટ ગયાં અને ઘર માટે કેટલીક ખરીદી કરી. બપોરે સાડા બારે ઘરે આવ્યાં. 

પછી શું થયું?

મારા પતિ અને હું ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠાં હતાં. મારા પતિ નજીક સરક્યા અને મને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. મેં તેમને એમ કરતાં વાર્યા. અને કહ્યું કે Please don’t touch me.

But why?

I don’t like your touch.

કેમ? તમને તમારા પતિ ગમતા નહોતા? 

કારણ તે વખતે હું પ્રેમ આહુજાના પ્રેમમાં પડી હતી. 

એ વખતે આ વાત તમે તમારા પતિને કહી હતી?

ના, જી. તેમણે મને પૂછેલું ખરું, કે મારો સ્પર્શ પણ ન ગમવાનું કારણ? ત્યારે મેં કહ્યું કે અત્યારે આપણે આ વિષે વધુ વાત ન કરીએ તો સારું. થોડી વાર પછી અમે લંચ માટે બેઠાં. એ વખતે અમે બંને તદ્દન મૂંગાં રહ્યાં. જમીને મારા વર બેડ રૂમમાં સૂવા ગયા. હું સોફા પર બેસી રહી. 

પછી?

થોડી વાર પછી મારા પતિ ડ્રોઈંગ રૂમમાં આવ્યા, સામેના સોફા પર મારાથી અલગ બેઠા. પછી કહે કે મારે અત્યારે જ આ વાત વિશેની બધી ચોખવટ કરવી છે. છેલ્લા કેટલાક મહિનાથી મને લાગ્યા કર્યું છે કે તું મારાથી દૂર જતી જાય છે. મારા તરફનું તારું વર્તન ટાઢુંબોળ થતું જાય છે. તું મારાથી બને તેટલી દૂર રહે છે. હું તને સીધું જ પૂછું છું: હવે તું મને પ્રેમ કરતી નથી?

હું મૂંગી રહી.

હવે તું બીજા કોઈને પ્રેમ કરે છે?

હવે મારાથી ખોટું બોલાય તેમ નહોતું. એટલે મેં કહ્યું : ‘હા’.

એ કોણ છે?

પણ મેં જવાબ ન આપ્યો. 

સહેજ વાર રહીને તેમણે પૂછ્યું : શું તું પ્રેમ આહુજાના પ્રેમમાં પડી છે?

મેં ડોકું ધૂણાવી હા પાડી. 

એ પછી તું મને ‘વફાદાર રહી છે?

ના. હું તમને વફાદાર રહી શકી નથી. 

વકીલ : પછી?

આ સાંભળીને પહેલાં તો તેઓ પથ્થરના પૂતળા જેવા જડ થઈ ગયા. પછી આંખોના ખૂણા લાલ થઈ ગયા. પછી ધીમે ધીમે મોઢા પર ક્રૂરતાભરી ખુમારી આવતી ગઈ. એક ઝાટકે ઊભા થઈ ગયા. કહે : અબ્બી હાલ હું એ આહુજા પાસે જઈને આખી વાતનો નિવેડો લાવું છું.

આ સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં કહ્યું : પ્લીઝ, તમે તેને ત્યાં ન જશો. એ તમને ગોળીથી વિંધી નાખશે. 

હવે તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. એ મને મારી નાખે તે પહેલાં તો હું જ મારી રિવોલ્વરથી આપઘાત કરીશ.

આ સાંભળીને મેં કમાન્ડરને બાવડેથી પકડ્યા અને કહ્યું : આમાં તમારે આપઘાત કરવાની વાત ક્યાં આવી? આ આખા મામલામાં તમે તો તદ્દન નિર્દોષ છો. 

આ સાંભળીને તેમને જરાક કળ વળી હોય એમ લાગ્યું. સોફા પર બેઠા. કહે : શું એ આહુજા તને પરણવા તૈયાર છે? શું એ આપણાં ત્રણે બાળકોને પણ અપનાવવા તૈયાર છે?

હું મૂંગી રહી. કારણ સાચી વાત તેમને કહેતાં મારી જીભ ઊપડતી નહોતી. લગ્ન કરવા વિષે અને બાળકોને અપનાવવા વિષે મેં અગાઉ પ્રેમ આહુજાને પૂછ્યું હતું. અને ત્યારે તેણે ચોખ્ખી ‘ના’ પાડી હતી. 

મારા પતિ પણ થોડી વાર મૂંગા રહ્યા. તેમના મનમાં ઘમસાણ ચાલતું હતું એ હું સમજી શકતી  હતી. પછી હળવે પણ મક્કમ અવાજે એક એક બોલ છુટ્ટો પાડીને તેઓ બોલ્યા : તું જો મને વચન આપે કે આજ પછી તું ક્યારે ય એ માણસનું મોઢું પણ નહિ જુએ, તો હું બધું ભૂલી જઈને તને માફ કરવા તૈયાર છું.

પણ હું ‘હા’માં કે ‘ના’માં જવાબ ન આપી શકી. મૂંગી રહી. 

આવી કટોકટીની પળે પણ તમે મૂંગાં કેમ રહ્યાં?

કારણ એ ઘડી સુધી હું પ્રેમના પ્રેમમાં પાગલ હતી. એક બાજુ પતિ. બીજી બાજુ પ્રેમી. બેમાંથી એકની પસંદગી કરવાનું મને ત્યારે શક્ય જ નહોતું લાગ્યું. 

કમાન્ડર નાણાવટીના હસ્તાક્ષર

આટલું બોલીને સિલ્વિયાએ પીવાનું પાણી માગ્યું. પીધા પછી પણ તરત વધુ બોલી ન શકી. હોઠની સાથે તેની આંખો પણ થોડી ભીની થઈ હતી.

પણ વખત અને વકીલ, કોઈ માટે રોકાતા નથી. 

પછી શું થયું?

અમે વાત કરતાં હતાં ત્યાં જ ડોર બેલ વાગી. પાડોશીનું જે બાળક અમારી સાથે પિક્ચર જોવા આવવાનું હતું તે બારણામાં ઊભું હતું. તેને મળવા અમારાં બાળકો પણ ડ્રોઈંગ રૂમમાં દોડી આવ્યાં. મેં અમારાં બાળકોને બહાર જવા તૈયાર કર્યાં. મારા પતિએ હળવેકથી કહ્યું કે બાળકોની હાજરીમાં હવે કશી વાત નહિ. વધુ વાત કાલે સવારે કરશું. પછી તેમણે મને કહ્યું : બાળકોને અને તને હું મોટરમાં મેટ્રો સિનેમા ઉતારી દઈશ.

તો તો તમે પણ પિક્ચર જોવા સાથે આવો ને!

ના. મારે બીજું કામ છે. 

મોટર ચલાવતી વખતે તેઓ તદ્દન મૂંગા રહ્યા. હું બાળકો સાથે આડીઅવળી વાતો કર્યા કરતી હતી. પછી તેમણે અમને મેટ્રો સિનેમા ઉતારી દીધા.

પંચનામા વખતે કમાન્ડર નાણાવટીના ઘરમાંથી મેટ્રો સિનેમાની ટિકિટના જે અડધિયાં મળી આવ્યાં હતાં તે આ તબક્કે અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં અને સાક્ષી સિલ્વિયા નાણાવટીએ એ ઓળખી બતાવ્યાં. 

ટોમ થંબ ફિલ્મનું એક દૃશ્ય

પછી સિલ્વિયાએ કહ્યું : મેં તેમને પૂછ્યું કે હવે તમે ક્યાં જાવ છો? 

જવાબ : INS Mysore. સાડા પાંચે તમને ઘરે લઈ જવા પાછો અહીં આવીશ.

આ તબક્કે મિસિસ નાણાવટી સામે સફેદ રંગનું એક રેશમી શર્ટ અને એક આછું ભૂરું પેન્ટ રજૂ કરવામાં આવ્યાં. 

આ કપડાં તમે ઓળખી શકો છો?

હા. અમને મેટ્રો સિનેમા ઉતારવા આવ્યા ત્યારે મારા પતિએ આ કપડાં પહેર્યાં હતાં.

જરા ધ્યાનથી જોઇને કહો : શું આ સફેદ શર્ટ જ તેમણે પહેર્યું હતું કે બીજું કોઈ?

ના, જી. આ સફેદ શર્ટ જ પહેર્યું હતું.

વકીલ : માય લોર્ડ. Point to be noted. આરોપીની પત્ની કહે છે કે ઘરેથી નીકળતી વખતે આરોપીએ આ સફેદ શર્ટ અને આછા રંગનું પેન્ટ પહેર્યું હતું. અને ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ પણ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેમની પાસે સરન્ડર કરવા આવ્યો ત્યારે તેણે સફેદ શર્ટ અને આછા ભૂરા રંગનું પેન્ટ પહેર્યાં હતાં. એટલે કે બનાવ બન્યો તે પહેલાં, તે વખતે, અને તે પછી, આરોપીએ આ જ કપડાં પહેર્યાં હતાં. બદલ્યાં નહોતાં. જો કપડાં પર લોહીના ડાઘ પડ્યા હોય તો તે કપડાં બદલ્યા વગર ન રહે. 

પિક્ચર પૂરું થયા પછી તમારા પતિ તમને અને બાળકોને લેવા આવેલા?

ના, જી. પણ મારાં સાસુ-સસરા આવેલાં, તેમની મોટરમાં. પછી અમે બધાં મારાં સાસુ-સસરાને ઘરે ગયાં. 

કારણ?

પહેલું કારણ એ કે અમે છૂટાં પડ્યાં ત્યારે અમારા ફ્લેટની ચાવી મારા પતિ પાસે હતી. 

છૂટાં પડતી વખતે તમે ચાવી માગી ન લીધી?

ના.

કેમ?

તેમણે કહેલું કે પિક્ચર પૂરું થાય પછી હું તમને બધાંને લેવા આવીશ. એટલે મને એવી જરૂર ન લાગી. 

અને બીજું કારણ?

બીજું કારણ એ કે મારાં સાસુસસરાનો આગ્રહ હતો કે અમારે બધાંએ તેમને ઘેર જવું. અને બાળકો પણ તેમ કરવા આતુર હતાં. 

કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચે જે કાંઈ બન્યું તેની ખબર તમને ક્યારે પડી?

ઘરે પહોંચ્યા પછી મારાં સાસુ-સસરાએ એ અંગે મને વાત કરી ત્યારે. 

બચાવ પક્ષના વકીલ બીજો સવાલ પૂછવા જતા હતા ત્યાં જ અદાલતનો સમય પૂરો થયો એટલે સિલ્વિયા કાવસ નાણાવટીની જુબાની બીજા દિવસ પર મુલતવી રહી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 ઓગસ્ટ 2025 

Loading

વાજપેયીનું અટલ સ્વદેશી! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|23 August 2025

હેમન્તકુમાર શાહ

લોકસભાની ચૂંટણી પછી ૧૯૯૬માં વાજપેયીના નેતૃત્વ હેઠળ, ભા.જ.પ.ની નેતાગીરી હેઠળની ગઠબંધન સરકાર પ્રથમ વાર બની હતી. તે સમયે રાષ્ટ્રપતિ હતા શંકર દયાલ શર્મા. તેમણે વાજપેયીને સરકાર રચવા એટલે નિમંત્રણ આપેલું કે ભા.જ.પ. સૌથી મોટો પક્ષ બનેલો લોકસભાની ચૂંટણીમાં. શર્માએ લોકસભામાં બહુમતી પુરવાર કરવા વાજપેયીને જણાવ્યું હતું. 

પરંતુ વાજપેયી લોકસભામાં પોતાની બહુમતી પુરવાર કરી શક્યા નહોતા. એટલે માત્ર ૧૩ દિવસ વડા પ્રધાનપદે રહીને વાજપેયીને રાજીનામું આપવું પડ્યું હતું. 

ફક્ત ૧૩ દિવસ ચાલેલી સરકારે તેની પહેલી જૂનની પહેલી અને છેલ્લી કેબિનેટ બેઠકમાં બે જ કામ કરેલાં: 

(૧) સરકારના રાજીનામા અંગેનો ઠરાવ કરવો. 

(૨) અમેરિકાની એનરોન કંપનીને મહારાષ્ટ્રમાં દાભોલ ખાતે પાવર પ્લાન્ટ માટે મંજૂરી આપવી.

વાજપેયીને ત્યારની એક માત્ર કેબિનેટ બેઠકમાં એનરોન કંપનીને પાવર પ્લાન્ટ નાખવાની મંજૂરી આપવા સિવાય બીજું કોઈ કામ દેશ માટે મહત્ત્વનું લાગ્યું જ નહોતું! આ હતી વાજપેયીની સ્વદેશી માટેની અટલ ભક્તિ. 

તે સમયે RSSના સ્વદેશી જાગરણ મંચની સ્થાપના થઈ ગયેલી અને નરસિંહરાવની સરકાર સામે મંચે સ્વદેશી આંદોલનનું બ્યૂગલ ફૂંકેલું હતું. તેમ છતાં વાજપેયીના આ નિર્ણય સામે RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કોઈ જાહેર નિવેદન અપાયું હોવાનું જાણમાં નથી. વાજપેયી RSSના પ્રચારક હતા. તેઓ ૧૯૯૮માં ફરી વડા પ્રધાન થયેલા અને ૨૦૦૪ સુધી વડા પ્રધાનપદે રહેલા. આવા વિદેશી કંપનીના ભક્ત વાજપેયીને RSSનું સંપૂર્ણ સમર્થન હતું જ છ વર્ષ. 

જો મનમોહનસિંહે વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવેલી એમ કહીએ તો એમ પણ કહેવાય કે વાજપેયી તો એ લાલ જાજમ પર વિદેશી કંપનીઓને આવકારવા દોડેલા! આ ઇતિહાસ છે અને આંકડાઓ સાથે પુરવાર થઈ શકે તેમ છે.

એક બીજો પ્રસંગ. વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના માટે ૧૯૯૪ની ૧૪-૧૫ એપ્રિલ દરમ્યાન મોરક્કોના શહેર મારાકેશમાં મીટિંગ મળેલી. નરસિંહરાવના વાણિજ્ય પ્રધાન તરીકે પ્રણવ મુખર્જી ત્યાં સહી કરવા ગયેલા.

તેના બરાબર એક સપ્તાહ પહેલાં એટલે કે ૮ એપ્રિલ, ૧૯૯૪ના રોજ દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં વાજપેયીએ એમ કહેલું કે, “જો ભા.જ.પ. સત્તા પર આવશે તો ભારત WTOમાંથી બહાર નીકળી જશે.”

પછી વાજપેયી ૧૯૯૮-૨૦૦૪ છ વર્ષ વડા પ્રધાન રહ્યા, પણ તેઓ આ બોલેલું ભૂલી ગયેલા. તેઓ તો ભૂલી જાય કારણ કે કવિ હતા! RSS કે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કવિ વડા પ્રધાનને તેમનું વચન યાદ અપાવવામાં આવ્યું હોય એવું પણ મને યાદ નથી. હું કવિ નથી એટલે મને વાજપેયીનું કથન હજુ યાદ છે.

આ બંને પ્રસંગો એમ બતાવે છે કે ભા.જ.પ.ને વિદેશી કંપનીઓ કેટલી વહાલી છે. સ્વદેશી જાગરણ મંચ હજુ છે જ, અને નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનું ગાયન ગાવાનું અને વિદેશી કંપનીઓને બોલાવવાનું એમ બે કામો સાથે કરે છે! 

જેમનામાં બુદ્ધિ હોય એમણે આ બે હકીકતો સ્વીકારવી. અંધ ભક્તોને કોઈ હકીકતો ન દેખાય એ સ્વાભાવિક છે. 

તા.૨૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...166167168169...180190200...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved