Opinion Magazine
Number of visits: 9843025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતા પૂતળીબાઈની સાક્ષીએ —

કેતન રૂપેરા|Gandhiana|20 October 2025

સંપાદકીય

કેતન રુપેરા

પ્રયોગવીર ગાંધીજીના સત્યના પ્રયોગો જેવા ને જેટલા ચર્ચાયા-પોંખાયા, એવું એમના આહારના પ્રયોગો વિશે બન્યું નથી. પહેલું તો જાણે કે એમની આત્મકથાનું નામ સ્વયમેવ; એટલે એનું અગ્રગામી અને પ્રભાવી હોવું-રહેવું સ્વાભાવિક છે. વળી, “પરમેશ્વર ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે”[i] તેમ કહેનાર, જગતના પ્રથમ જણને લલાટે ચળકે તો સત્યનું તેજ જ ને …

… પણ તેથી કંઈ ગાંધીજી, વધુ મૂળમાં જતાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને તેની ગતિવિધિઓને ફંફોસવામાં રસ દાખવતા અભ્યાસી માટે, એમના આહારના પ્રયોગો કે પ્રાણપોષક આહાર માટેની એમની ખોજથી અંતર જાળવવાનું સંભવી શકે ખરાં?!

વિશેષ કરીને ત્યારે, જ્યારે એમ પકડાય કે સગીર વયે એક પ્રકારનો આહાર, વધુ ચોક્કસપણે કહીએ તો ‘માંસાહાર’, જે ચોકક્સ સમયમર્યાદા સુધી ત્યાજ્ય ગણ્યો એના મૂળમાં જ સત્યનું પાલન ક્યાં ન હતું! મોહનદાસને મનોમન થયેલા આ સંકલ્પની પિંડબંધાઈ ઘટનામાં એકના છેડે બીજો એક; એવો તર્કપૂર્ણ પ્રલંબ વહેતો મૂકતાં, ‘જો’ અને ‘તો’ની સહાયથી કોઈક છેડે પહોંચવા વિચારી શકાય? આરંભીએ …

જો માતા પૂતળીબાઈએ મોહનદાસને વિલાયત જતાં પૂર્વે, સરવાળે ત્રણમાંની એક એવી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા ન લેવડાવી હોત, તો તેના પાલન સારુ ભૂખ્યા-અધભૂખ્યા રહીને પણ તેઓ શાકાહારની શોધમાં લંડનની ગલીઓમાં ભ્રમણ કરતા રહ્યા હોત?

શાકાહારની શોધમાં ભ્રમણ કરતાં કરતાં લંડનની સેન્ટ્રલ રેસ્ટોરાંએ ન જઈ ચઢ્યા હોત, તો પ્રથમ કેવળ સત્યને જાળવવાને ખાતર અને પછી માતાની પ્રતિજ્ઞા જાળવવાને ખાતર માંસત્યાગ કર્યો હતો, તેમાં ઉમેરણ થઈને પોતે વિચારથી પણ અન્નાહારમાં માનતા થયા એવું પુસ્તક[ii] હાથ લાગ્યું હોત?

માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા પણ હવે તો વિશેષ આનંદદાયી થઈ પડી એવી એ રેસ્ટોરાં અને પુસ્તક હાથે ન લાગ્યાં હોત, તો તે વાટે અન્નાહારમાં માનનાર કેટલાક અગ્રણીઓના પરિચય-સંપર્કમાં આવવાનું ને એની અસર રૂપે આહારના અખતરા કરવાનું થયું હોત?

જો આરંભે આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ થયેલા આ અખતરા કે પ્રયોગો થયા જ ન હોત, તો શું આગળ જતાં તેમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિ પણ ભળી હોત?

ધાર્મિક દૃષ્ટિએ અસ્વાદ અને ફળાહાર તથા દૂધનો ત્યાગ અને ઉપવાસ જેવા પ્રયોગો આધ્યાત્મિક દૃષ્ટિએ ન થયા હોત, તો આ સઘળા પ્રયોગોની પ્રક્રિયા અને પરિણામલક્ષી અસર રૂપે—અવિરત આત્મશુદ્ધિના માર્ગે જવા પ્રયત્નશીલ એવા—જે ગાંધીજી આ દેશ-દુનિયાને મળ્યા તે શું એ જ સ્વરૂપે મળ્યા હોત?

મોહનમાંથી ‘મહાત્મા’, મોનિયામાંથી ‘બાપુ’, મિ. ગાંધીમાંથી ‘ગાંધીજી’ અને પૂતળીબાઈના પુત્રમાંથી ‘રાષ્ટ્રપિતા’ જેવાં ગતિક્રમ સહજ ને અત્યંત આદરસૂચક માન-સન્માન પળભર બાજુ પર રાખીએ તો ય, આત્મશુદ્ધિના પ્રયત્નના કારણે આત્મદર્શન માટેની એમની ઝંખના અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની યત્ના ન રહી હોત, તો જે આભા ને જે પ્રભાવપૂર્ણતા સાથે જગત આખામાં તેઓ ઊભરી આવ્યા, એમ શું થયું હોત?

… અને આ સઘળું ન બન્યું હોત, તો કોઈ કલ્પી શકે ભલા કે શાકાહારની શોધમાં ભ્રમણ કરતો 19 વર્ષીય યુવાન, પછી એ માર્ગે વધુ આગળ વધતાં, એક પછી એક પગથિયાં ચઢતાં-પડતાં, ભૂલો કરતાં-સ્વીકારતાં-સુધારતાં જતાં સૌની નજીક રહેતાં છતાં પણ એટલો દૂ…ર નીકળી ગયો કે તે એના આધ્યાત્મિક પ્રયોગો—”જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્ય પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્-ભવી છે”[iii]—બની રહ્યા અને તેના પાયામાં આહારના પ્રયોગો હતા, પ્રાણપોષક આહારની એમની ખોજ રહેલી હતી; અને એના ય પાયામાં હતી માતાની પાસે કરેલી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા!

1933માં અલગ મતદાર મંડળની આબોહવામાં ઉપવાસ અને આત્મશુદ્ધિ અંગેની ચર્ચા કરતાં મોહનદાસ—ગાંધીજી પોતાની માતાને સંભારે છે ને કહે છે, “નૈતિક સુધારો તપશ્વર્યા અને આત્મશુદ્ધિ જેવાં નૈતિક સાધનોથી જ થઈ શકે… હું તથા મારી મા જે કુટુંબમાં આવા વ્રત રોજની વસ્તુ હતી તેમાં જન્મેલા છીએ.”[iv]

… તો આ મોહનદાસની દૃષ્ટિ છે. એમના ઉપવાસ અને એની પ્રક્રિયા એમને બે સામસામા છેડાના કહેવાતાં ક્ષેત્રો—રાજકીય અને આધ્યાત્મિક—માંય માર્ગદર્શન રૂપ બની આવે છે. અસ્પૃશ્યતા નિવારણ સંબંધે એક તબક્કે સનાતનીઓને ઉદ્દેશીને આપેલા નિવેદનમાં આ વાત વધુ વ્યાપક સ્વરૂપે ઊભરી આવે છે. “મને ઓળખનારાઓએ સમજવું જોઈએ કે, હું રાજકીય, સામાજિક, ધાર્મિક અને બીજા સવાલો વચ્ચે ન ભૂંસાય એવો ભેદ માનતો નથી. મેં હંમેશાં માન્યું છે કે એ સવાલો એકબીજા પર આધાર રાખનારા છે, અને એકના ઉકેલથી બીજાનો ઉકેલ નજકી આપે છે.”[v] 

ગાંધીજીનું આરોગ્યની ચાવી તે આવી જ સર્વાંગી દૃષ્ટિ ધરાવતું ને પોતાના રોજેરોજ વધતા જતાં આહાર, ઉપચાર અને આરોગ્યના અનુભવનાં નિચોડ રૂપ પુસ્તક છે…, તો પ્રસ્તુત પુસ્તક ત્યાં સુધી પહોંચવામાં તેઓ કેવી કેવી કસોટીઓ ને પ્રક્રિયા-પ્રયોગોમાંથી પસાર થયા તેનો સંક્ષેપ આલેખ આપવાનો પ્રયાસ—આ સંપાદનમાં ક્યાંક ભૂલ પણ રહી ગઈ હોય એવા સ્વીકાર સાથે,

… અને વિશ્વ-ગુજરાતી વિપુલ કલ્યાણી તરફથી સતત મૂકાતા વિશ્વાસ ને સાતત્યપૂર્ણ ધીરજને સલામ સાથે,

Email: KetanRupera@gmail.com

[i] ગાંધીજી, મંગળપ્રભાત, નવજીવન (2002), પૃ. 1

[ii] A Plea For Vegetarianism And Other Essays by H. S. Salt

[iii] મો. ક. ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, નવજીવન (1998), પૃ. ६

[iv] મહાદેવભાઈની ડાયરી, ભાગ 3 (1949), પૃ. 285

[v] મહાદેવભાઈની ડાયરી, ભાગ 2 (1949), પૃ. 459

Loading

દીપોત્સવ તારા અજવાળે જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 October 2025

રવીન્દ્ર પારેખ

આજે દિવાળી ! આ દીપોત્સવી પર્વનાં અને આવી રહેલાં વિક્રમ સંવત 2082નાં સૌને હૃદયપૂર્વકનાં અભિનંદનો. નવું વર્ષ સૌને અનેક રીતે સ્વસ્થ અને સફળ નીવડે તેવી શુભેચ્છાઓ. આજે કોઈ રાજકીય કે શૈક્ષણિક વાત નથી કરવી. આજે મારી વાત કરવી છે. મારી પણ નહીં, મારી કવિતાની વાત કરવી છે. કવિતા પણ દીવાની, તેનાં અજવાળાંની ને તેને લગતી લાગણીઓની …

આમ તો અમાસ અંધારી હોય છે, પણ આસોની અમાસ દીવાઓથી ઝળહળે છે. કોઈ અમાસ દિવાળી જેટલી ઊજળી નથી. એ રાત્રે એટલા દીવા ઝગમગે છે કે આકાશના તારાઓ પણ તેના ઉજાસમાં શરમાઈને મોં છુપાવી લે છે. આજે ઝાકઝમાળની દુનિયામાં એક સ્વિચ દબાવો ને બધું પળવારમાં ઝળઝળ થઈ ઊઠે છે ! આંખો આંજી નાખતાં બેશુમાર અજવાળાં વચ્ચે આપણે દીવો કરીએ છીએ, એટલું ઓછું હોય તેમ ઇલેક્ટ્રિક દીવાઓ પણ કરીએ છીએ. સ્વિચ ઓન કરો કે ઝીણાં બલ્બની જ્યોત દીવાની જેમ જ હાલવા લાગે છે. આ બધું છતાં દિવાળીએ માટીનાં કોડિયાં પ્રગટાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. તેનું નાજુક કારણ એ છે કે કોડિયાં વેચનારનો ધંધો આપણી ખરીદી પર નિર્ભર છે. આપણે ત્યાં કોડિયાં સળગે છે, તો, એને ત્યાં ચૂલો સળગે છે.

દિવાળીએ બીજાં અનેક ઇલેક્ટ્રિક તોરણોથી આપણું આંગણું ઝગમગે છે, તો ય ગોખમાં કે ઉંબરા પર કે તુલસી ક્યારે દીવો કરીએ છીએ. એ દીવાનું તેજ પેલી ઝાકઝમાળ સુધી બહુ પહોંચતું પણ નથી, તો ય દીવો કરીએ છીએ. કેમ? એવું જ આરતીનું છે. ભરચક અજવાળું હોય તો પણ, મંદિરોમાં આરતી થાય છે, જે વધારે ચાલતી પણ નથી, તો ય કરીએ છીએ. ઘણાં તો સૂર્યપૂજા વખતે પણ સૂરજની સામે દીવો કરે છે. આમ તો સૂરજની સામે દીવાનું તેજ કોઈ વિસાતમાં નથી, તો ય સૂર્યની આરતી ભાવથી ઉતારીએ છીએ. તે એટલે કે ગમે તેવો તેજસ્વી જ કેમ ન હોય, સૂર્ય રાત્રે કામ આવતો નથી. રાતનો અંધકાર તો નાનકડો દીવો જ દૂર કરે છે. પેલાં ઇલેક્ટ્રિક દીવા ચલાવવા હોય તો ચોવીસે કલાક ચલાવી શકાય, પણ ચોક્કસ કારણોસર બલ્બ નથી સળગાવતા. તેને બદલે અખંડ દીવો કરીએ છીએ. અખંડ દીવો માત્ર દીવો જ નથી, સંકલ્પ પણ છે. આમ દીવો ના કરીએ, તો ચાલે, પણ તેનું સ્નિગ્ધ તેજ અનેક ભડકાઉ અજવાળાં વચ્ચે ધ્યાન ખેંચે છે. દીવાનું તેજ શાતા આપનારું છે. તેનું અજવાળું આંજી નાખતુ નથી. તેની ધીમી સોનેરી જ્યોત આંખોને અજવાળે છે.

એક કાળે પ્રિયની રાહ જોતી પ્રેમિકા સામે ફિલ્મોમાં સતત સળગતો દીવો બતાવાતો. એ રીતે દીવો પ્રતીક્ષાનો સૂચક હતો. એ જ રીતે કોઈની નિષ્ફળતા કે કોઈનું મૃત્યુ દર્શાવવા પવનથી હોલાતો દીવો પણ બતાવાતો. આમ પણ દીવાની આવરદા ઓછી જ હોય છે. નથી તેની બનાવટ કાયમી કે નથી તેનું અજવાળું કાયમી. તેનું તેલ પૂરું થાય ત્યાં સુધી જ તે પ્રકાશે છે. મનુષ્યનું પણ એવું જ છે ને ! શ્વાસ હોય ત્યાં સુધી પ્રકાશે છે ને પછી હોલવાઈ જાય છે. કાયમી તો અંધકાર જ છે, પણ તેને દૂર કરવાનું કામ દીવો કરે છે. દીવો જ એ સંકેત આપે છે કે પ્રચંડ કે દીર્ઘકાલીન જ કેમ ન હોય, એક નાનકડી જ્યોત અંધકારને તો દૂર રાખી જ શકે છે. આપણને ખબર છે કે આગળ જતાં દીવો હોલવાવાનો જ છે, તો ય તેને નદીનાં જળ પર તરતો મૂકીએ છીએ. કોઈ પ્રેમીની સ્થિતિ હાલકડોલક હોય, તો પ્રેમિકા જળ પરનાં દીવા જેમ ભીતર કંપતી અનુભવાય છે :

જાણે જળ પર દીવો હો,
એમ તું ભીતર હાલે છે.

પ્રેમ સનાતન અને સૂનો છે. ઘર સૂનું હોય ત્યાં આવી સ્થિતિ પણ હોય છે :

સૂના ઘરમાં દીવા કરી રાત ગાળી,
ભલા એથી જુદી તો શું હો દિવાળી?

જગત તો ઉત્સવનું અજવાળું કરે, પણ જેનાં મનમાં ઉદાસી છે, નિરાશા છે, અંધકાર છે, તેને શો ફેર પડશે?

તું દીવો કર, પણ ન અજવાળું થશે,
મનનું અંધારું વધુ કાળું થશે.

દિવાળી આમ તો રામ અને લક્ષ્મી સાથે સંકળાઈ છે. રામ વનવાસ પછી અયોધ્યા પધાર્યા ને પ્રજાએ તેનો ઉત્સવ ઉજવ્યો, ત્યારથી દિવાળીની શરૂઆત થઈ એમ મનાય છે, તો લક્ષ્મી પણ સમુદ્ર મંથનની પ્રાપ્તિ છે. એ રીતે દીપોત્સવ ઐશ્વર્ય સાથે સંકળાયો છે. આવાં ઐશ્વર્ય વચ્ચે નાનકડા દીવાને સાથે એટલે રાખ્યો છે, કારણ અજવાળાં વગર ઐશ્વર્ય દર્શન શક્ય જ નથી. દીવો પણ પ્રગટે તો જ પરખાય, તે વગર તો ખૂણામાં તેનું મૂલ્ય જ નથી. મનુષ્યનું પણ એવું જ છે ને !

હું દીવો થઈને ય પરખાયો ન હોત,
જો મને થોડો ય સળગાવ્યો ન હોત !

ઘણી વાર તો દીવો આવો પણ હોય છે –

જળની વચ્ચે જેમ મરજીવો હશે,
એમ કો’ અંધારમાં દીવો હશે.

આવા જ પ્રાસ લઈને એક ગીત પણ લખ્યું :

હું છું દીવો
૦
હું છું દીવો –
લો, મારો આધાર લઈને તમે ય થોડું જીવો…

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બ્હાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો…
હું છું દીવો –

હું જાણે એક નૌકા છું ને મારી બ્હાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઈ મરજીવો …
હું છું દીવો
૦

દીવો કહે છે કે અંધારામાં અટવાવા કરતાં મારો ટેકો લઈને તમે ય થોડું જીવો. દીવો પોતાની અંદર જ નથી રહેતો. તે તો બહાર પણ પ્રકાશ આપે છે. જે ફેલાય તે પોતાની અંદર રહે જ કેવી રીતે? એનું તો  ફેલાવામાં સાર્થક્ય છે. ગીતમાં દીવો પોતાને કેવો લાગે છે? કહે છે – હું જાણે એક નૌકા છું. એવી નૌકા જેની બહાર જળને બદલે અજવાળું છે. એ અજવાળામાં કોઈ મરજીવો પડે તો બને કે મોતી જેવું ભવિષ્ય હાથ લાગે. દીવો કાયમી નથી. સહેજ પવન વધે કે તેની જ્યોત થરથરવા લાગે છે. આમે ય હોલવાવાની નજીક હોય ને પવન ધસે છે –

જ્યોત આ બૂઝતા દીવાની છે,
ને ઉપરથી હવા તૂફાની છે.

પરિણામ શું હોય તે કહેવાની જરૂર છે?

જ્યોત સહેજ હાલે છે ને ભીંત પર પડતો પડછાયો પણ હાલી ઊઠે છે –

જ્યોતનું થરકી જવું ને ભીંત પર-
સ્હેજ મારું હાલવું, તમને ખબર?

પ્રેમી પણ રાહ જોવામાં રોજ લોહી ફૂંકે છે, જેમ દીવો તેલ બાળે છે – રાતને અજવાળવા.

રોજ લોહી અગર નહીં બાળું,
તો તને કેમ થાય અજવાળું?

દીવા પર ગીત લખ્યું છે, એમ જ ગઝલ પણ લખી છે. તેના થોડા શેર જોઈએ :

દીવો
૦
એક દીવો હાથમાં લઈ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લાવ તું.
હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.
એટલાથી જાત કૈં પરખાય ના,
સેંકડો દીવા ભલે પ્રગટાવ તું.
એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.
૦

દીવાને ગર્વનો અધિકાર નથી. તે એવા ભ્રમમાં રાચી ન શકે કે તે આભ અજવાળે છે. આભ અજવાળવાનું કામ તેનું નથી. તેનું કામ ઘર અજવાળવાનું છે. એવું જ મનુષ્યનું પણ છે. તે ઘર અજવાળવા સૂર્યની આશ કરે તો નિરાશ થાય, ઘરમાં તો દીવો જ કામ આવે. છેલ્લા શેરમાં મૃત્યુનો સંદર્ભ છે. મૃત્યુ કોઈને જોઈ તપાસીને લઈ જતું નથી. કદાચ તેને પૂરું દેખાતું ય નહીં હોય ! એટલે કહ્યું છે કે એ ભલે મૃત્યુ હોય તો પણ, તેને દીવો બતાવો, જેથી તેણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે.
દીવો રદીફ રાખીને પણ ગઝલ લખી છે. તેના થોડા શેર જોઈએ :

ગઝલ
૦
સૂર્યની છોડી આશ, કર દીવો,
ઘરમાં તો કામ આવે, ઘર દીવો.
દ્વાર ખૂલતાં પ્રકાશ ફેલાતો,
એમ લાગે કરે સફર દીવો.
રોશની થાય દૂર જળ પર તો,
તારી આપે મને ખબર દીવો.
તું ભલે માળિયે ચડાવી દે,
ત્યાં ય દેખાડશે અસર દીવો.
કોઈ જોનાર હો ન એને તો,
હોય કાયમ લઘરવઘર દીવો.
યાદ જો ઘાસ જેવી સૂકી હો,
તો નથી રાખતો કસર દીવો.
દુખ થતે ના, પવનમાં હોલાતે,
પણ બુઝાયો હવા વગર દીવો.
૦

વધારે પવનમાં દીવો હોલાય તે તો સમજાય, પણ કેટલાક દીવા હવા વગર સળગતા જ નથી, જેમ કેટલાક જીવોને જન્મ વગર જ મરવાનું થાય છે, એ વાત છેલ્લા શેરમાં કહી છે. બધા શેરો સરળ છે, એટલે એ અંગે વધુ કહેવાની જરૂર નથી. છેલ્લે, ફરી એક વાર સૌને દીપોત્સવ અને નૂતન વર્ષ અનેક રીતે ફળદાયી નીવડે એવી અનંત શુભકામનાઓ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑક્ટોબર 2025

Loading

મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ

પન્ના પાઠક|Gandhiana|19 October 2025

મનુબહેન ગાંધી અને ગાંધીજી

ભાવનગર પાસે મહુવા (સૌરાષ્ટ્રનું કાશ્મીર) મારું પિયર. હું જ્યારે આઠ-દસ વર્ષની હતી તયારની વાત છે. અમારા ઘર પાસે મારાં ફૈબાનું ઘર (ખારનો ઝાંપો). મારાં ફૈબાની દીકરી લત્તા અને હું , બન્ને ત્યાં દોડતા દોડતા જઇએ. તેના ઘરની સામે મોટો વિશાળ ડેલો. તેમા ઘુસીએ એટલે મોટું કમ્પાઉન્ડ અને અનેક ઓરડાઓ ઘરાવતું મહેલ જેવો આશ્રમ. થોડા આગળ જઇએ ત્યાં રૂમની પરસાળમાં નાની ખાટલી પર જયસુખદાદા સૂતા હોય. આબેહૂબ ‘ગાંધીબાપુ’ જ લાગે. બોખા મોંઢાના હાસ્યથી અને મીઠા અવાજથી આવકાર આપે.

આશ્રમમાં જઇએ એટલે જો મનુબહેન મહુવામાં હોય, તો અદબ વાળીને ઊભાં હોય અને અમારી રાહ જ જોતાં હોય, તેમ આગળના કાર્યક્રમની રૂપરેખા આપી દે. સફેદ બગલાના પાંખ જેવી સાડી. સાડીની કિનારી પર લીલી, કથ્થાઇ કે ભૂરી નાની કિનારીવાળી બોર્ડર. આંખ પર ચશ્માં. ભારે અને બુલંદ અવાજ. મક્કમ ચાલ. પાતળો લાંબો દેહ. આ મનુબહેનની ઓળખાણ.

કોઈ  વખત રાજ્યપાલ  શ્રીમન્ન નારાયણ આવવાના હોય કે મુખ્ય પ્રધાન બળવંતભાઇ મહેતા આવવાના હોય, તેમને માટે સ્વાગત ગીત ગાવાનું હોય, તેમને હારતોરા પહેરાવવાના હોય, તેમની જીપમાં ગામડે-ગામડે તરેડ, ભાદ્રોડ, ખુંટવડા, કોળિયાક, તરેડી, વડલી વગેરે ગામડે જવાનું હોય. અમને તો મજા પડી જતી.

મનુબહેન ગાંધી ગામડાંના લોકોની મુશ્કેલીઓ આ બધા મહાનુભાવો પાસે રજૂ કરતાં.  તેમની મુશ્કેલીઓ દૂર કરવા અથાગ પ્રયત્ન કરતાં.

 મનુબહેન એ ગાંધીબાપુના ભત્રીજાની દીકરી થાય. મનુબહેનનો જન્મ કરાંચીમાં થયો હતો. તે ૧૨ વર્ષના હતાં,ત્યારે તેમની માતાનું અવસાન થયું. 

કસ્તૂરબાને એક વિશ્વાસુ મદદગારની જરૂર હતી. પૂનાના આગાખાન મહેલમાં અંતિમ ૧૩ મહિના બાની સાથે રહ્યા.

બાપુએ મનુબહેનને કહેલું, “આખા જગતનો હું બાપુ છું પણ તારી હું ‘મા’ છું. મનુબહેન પણ કહેતાં કે મારે ત્રણ મા છે. એક જનેતા, બીજા કસ્તૂરબા અને ત્રીજા બાપુ.

બાના અવસાન પછી બાપુ જ્યારે નોઆખલીના શ્રીરામપૂર હતા, ત્યા મનુબહેન દોડીને પહોંચી ગયાં અને પગે લાગ્યાં ત્યારે પીઠ પર ધબ્બો માર્યો, કાન ખેંચ્યો અને ગાલ પર ટપલી મારી. અને બોલ્યા, “કેમ આવી પહોંચી ને?” બાપુની બધી જ જવાબદારી મનુબહેને ઉપાડી લીધી. બાપુ તેને ‘મનુડી’ કહેતા.

ત્યારથી મનુબહેન સતત તેમની સાથે રહ્યાં. દરરોજ ડાયરી લખતાં. રોજ રાતે ડાયરીમાં છેલ્લે  બાપુની સહી કરાવતાં. બાપુને તેના મૃત્યુનો અણસાર આવી ગયો હતો, એટલે તેને કહ્યું પણ હતું કે ‘તું મારા મૃત્યુની સાક્ષી બનજે’.

પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે બાપુનો જમણો હાથ મનુબહેનના ખભા પર અને ડાબો હાથ આભાબહેનના ખભા પર હતો. મનુબહેને નથુરામને નજીક આવતા જોયા એટલે અટકાવવાની કોશીશ કરી, એટલે નથુરામે એટલા જોરથી મનુબહેનને ધક્કો માર્યો કે મનુબહેનના હાથમાંથી ચશ્માં, થૂકદાની તો પડી ગયાં પણ એ પણ ગડથોલિયું ખાઇને પડી ગયાં.

બાપુની અંતિનવિધિમાં તે અગ્રેસર રહ્યાં. કાંઘ પણ તેમણે જ આપેલી. અસ્થિવિસર્જનમાં નહેરુજીએ તેમને દરેક જગાએ સાથે રાખેલાં.

બાપુની દરેક વસ્તુ તેમણે દેવદાસ કાકાને આપી દીધી.

તેમની ઉપર સતત ધમકીભર્યા કાગળ આવતા રહ્યા : ‘જુબાની આપી છે તો ખેર નથી.’ 

  તેમની ટ્રેનમાં ‘ગાંધી કેમ્પ’ ડબ્બા પર લખેલુ હતું, તેથી લોકો સતત મળવા આવતાં હતા.

દિલ્હીથી ટ્રેનમાં મુંબઈ  આવ્યાં, ત્યાર બાદ મુંબઇના શાંતીકુમારે વીમાન મારફતે  ભાવનગર જવાની વ્યવસ્થા કરી આપી.

મનુબહેને બ્રહ્મચર્ય  વ્રત લીધેલું. એ બાપુની અસર હેઠળ જ હતું. આઝાદી પછી રાજકારણમાં શાહી ઠાઠમાઠ વધ્યા એ બાબતથી બહુ વ્યથિત હતાં. એ તેમણે તેની ડાયરીમાં ઉમેર્યું છે.

તેમણે મહુવામાં ‘ભગિની સમાજ’ ‘બાલવાડી’ શરૂ કરેલી. તેમા શીવણક્લાસ, મહેંદી, વગેરે ચાલુ કરી મહિલાઓને પગભર કરેલી. ગરીબ કન્યાઓના વિવાહ પણ કરાવેલાં. એક અંધ સંગીત શિક્ષક કનુભાઇને આશ્રમમાં નાની બાળાઓને સંગીત શીખવાડવા માટે રાખેલા.

બાપુના ૧૦૦માં જન્મદિવસ પર મહુવામાં ‘સફાઇ અભિયાન’કરેલું. જે આપણા વડા પ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી હતી, એ મનુબહેને વરસો પહેલાં શરૂઆત કરેલી. અમે સવારના પાંચ વાગે ઊઠીને મહુવાની દરેક શેરીને સાફ કરેલી. જે મને હજુ યાદ છે. માત્ર તેના ફોટા પ્રાપ્ત નથી. આ પ્રવૃત્તિ દરેક ન્યૂઝ પેપરમાં પણ છપાયેલ.

તેમની સેવાભાવી પ્રવૃત્તિથી ઘણા આગેવાન લોકોને ડર રહેતો કે મનુબહેન ચૂંટણીમાં ઊભાં રહેશે તો! એટલે તેમની દરેક પ્રવૃત્તિમાં અડચણ નાખ્યા કરતા. મનુબહેનની પ્રવૃત્તિથી અંજાઇને તેમની પીઠ પાછળ હસી મજાક થતી અથવા તેમનાં કાર્યમાં વિઘ્ન ઊભું કરતા. તે ઘણીવખત મારા પપ્પાને કહેતા, “ડોકટર સાહેબ, તમારે ઘણી દીકરીઓ છે.એ ક મને આપી દો. મારાં કાર્યોને આગળ વધારે.” એ ઘણાં વ્યથિત થઈ ને કહેતાં પણ ખરા કે હું બાપુનાં કામને આગળ વધારવા માંગુ છું. મને સત્તાનો કોઈ લોભ નથી. મારે રાજકારણમાં આવવું જ નથી. બસ, લોકો મને શાંતિથી કામ કરવા દે.

  ૧૯૬૯માં તેમને દિલ્હી રેડિયો કાર્યક્રમ આપવા માટે બોલાવવામાં આવેલા. ત્યા અચાનક તેમની તબિયત બગડી ગઈ. તેમને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં. મારાં મોટાબહેન દિલ્હીમાં લેડી હાર્ડીંગ કોલેજમાં મેડિકલમાં અભ્યાસ  કરતાં હતાં. તે તેમની ખબર પૂછવા ગયેલાં ત્યારે મનુબહેન કંઇક અસ્પષ્ટ બોલતાં હતાં. તેમને કંઇ સાનભાન નહોતું. કોઇ ડોકટર તેમને શું થયુ છે એ જાણી ન શક્યાં. તે મૃત્યુ પામ્યા, ત્યારે કઇ હાલતમાં એમનું અવસાન થયું, તેનો કોઈ  સત્તાવાર રેકોર્ડ નથી. બાપુના અંતિમ દિવસોમાં તેમને મળવા આવનારા મહાનુભાવો મનુબહેનની નજર તળેથી પસાર થતા હતા, પણ તેમના મૃત્યુ પળે કોઈની નજર ન પડી.

મનુબહેનને સતત સાથ આપનારાંમાં ભાનુબહેન લહેરી એક હતાં. તેમના સહકારથી તે ઘણાં કામો કરી શક્યાં. ઘણી મહિલાઓનાં લગ્ન ન થતાં હોય તો બન્ને યોગ્ય ઘર શોધી લગ્ન કરાવી આપતાં. ઘણી બહેનોને પગભર કરવામાં ભાનુબહેનનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

અત્યારે જે ઘરમાં મનુબહેન રહેતાં હતાં, એ ‘ભગિની આશ્રમ’ બિસ્માર હાલતમાં છે. તેમાં તેના સંકળાયેલ દસ્તાવેજો, ફોટાઓ છે પણ કદર કરનાર કોઈ નથી. તેના કમ્પાઉન્ડ પર ગેરકાયદેસર  બાંધકામ થઈ  ચુક્યું છે. મનુબહેનનો આત્મા બંઘ મકાનમાં ભટકતો હશે. મહુવાની દીકરી તરીકે મને પણ ઘણો અફસોસ થાય છે કે મહુવાની કોઈક આગેવાન વ્યક્તિ કેમ રસ લઈ ને તે મકાનની સાફસૂફી કરાવી, ને ફરીથી ધમધમતી કરતી નથી! તેમની પુણ્યતિથિ પર કોઈ  અંજલિ આપવાનુ સૌજન્ય પણ દાખવતા નથી.

મનુબહેન માટે ઘણું લખી શકાય તેમ છે, પરંતુ નાનપણની સ્મૃતિમાં જે સંગ્રહાયેલું રહ્યું છે તેટલું જ લખ્યું છે.

સૌજન્ય : ફેઇસબૂકની દીવાલે પન્નાબહેન પાઠકનો આ લેખ ફરતો રહ્યો તે અહીં સાદર ઉદ્ધૃત 

Loading

...102030...157158159160...170180190...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved