Opinion Magazine
Number of visits: 10080929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|10 December 2025

હિતેશ રાઠોડ

લોકશાહી શાસનમાં લોક કલ્યાણની મૂળ વિભાવનાને સાવ વિસરી જઈ સરકારો હવે સતત ઇલેક્શન મોડમાં કામ કરે છે. સરકાર રચાય એને માંડ બે-અઢી વર્ષ પૂરાં થાય ત્યાં તો આવનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેમના માટે અને જેમના મતથી સરકાર ચૂંટાય છે એ  “આમજનતા” જ સરકારની પ્રાથમિકતામાંથી બાદ થઈ જાય છે. શરૂઆતનાં બે-અઢી વર્ષ સરકાર મસમોટા આયોજનો અને જાહેરાતો કરવામાં પસાર કરે પણ કામગીરી બાબતે તદ્દન નિષ્ક્રિય. બે-અઢી વર્ષ પૂરાં થાય એટલામાં આવનાર ચૂંટણીની ચિંતાઓ સરકારને સતાવવા લાગે. લોકોના કામ કરવામાં સરકાર જેટલું ધ્યાન આપતી નથી એનાથી વધુ ધ્યાન એ આગામી ચૂંટણીની તૈયારી કરવામાં આપે છે. લોકોની સમસ્યાઓ અને ચિંતાઓનું જે થવું એ થાય, ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાશ રહી ન જાય એ માટે સરકાર બરાબર તકેદારી રાખે છે. પાંચ વર્ષની મુદ્દતમાં છેલ્લાં દોઢ-બે વર્ષ જ સરકાર થોડાં કામો કરે છે જેમાં લોકોનું હિત ઓછું એમનું અંગત હિત વધુ હોય છે.

જોતજોતામાં સરકારની પંચવર્ષીય મુદ્દત પૂરી થાય, ચૂંટણી જાહેર થાય, ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થાય, ચૂંટણી આવે, ચૂંટણી પ્રક્રિયા આરંભાય, ચૂંટણી યોજાય, ગણતરીના અપવાદોને બાદ કરતાં મોટા ભાગે ફરીથી એના એ જ પક્ષની ‘નવી સરકાર’ રચાય અને ફરીથી બધું રાબેતા મુજબ ચાલવા માંડે. એમ લાગે કે ચૂંટણીનાં પરિણામોમાં કે નવી બનતી સરકારોમાં એમના કામોમાં લોકોને હવે કોઈ રસ રહ્યો નથી. સરકારી કાર્યોમાં સરકારી ખર્ચે ભીડ ભેગી કરવામાં આવે છે, લાભાર્થીને પાંચ હજારનો ચેક આપવા બીજા પચાસ હજારનો ખર્ચ કરવામાં આવે છે. લોકોને પણ આ બધું જાણે કે કોઠે પડી ગયું છે. લોકશાહીનું જે થવું હોય એ થાય સૌ પોતપોતાનામાં મસ્ત છે! 

સરકાર ભલે નવી બનતી રહે પણ સરકારમાં બેઠેલાઓના વિચારો, માનસિકતા, શાસનશૈલિ અને કાર્ય પદ્ધતિ એની એ જ જૂની ઘરેડની. દૂરંદેશીતાનો અભાવ, સંકુચિત માનસિકતા, જૂના વિચારો, ખોટી ભ્રમણાંઓ, કોરા-ફોગટ વચનો, એની એ જ જૂની-પુરાણી વિકાસની ઠાલી વાતો, લોભામણા નામવાળી યોજનાઓની મોટીમોટી જાહેરાતો (નામ બડે ઔર દર્શન છોટે), અબજો-કરોડોનો ખર્ચ, અમલવારીમાં ઠાગાઠૈયા, લોકલાભ નહિવત, વાતો શિષ્ટાચારની પણ પ્રોત્સાહન ભ્રષ્ટાચારને, પ્રજાએ નાનાં-નાનાં કામો માટે પણ ધરમના ધક્કા ખાવા પડે, નીચેથી ઉપર સુધી કામનો તુમાર જ તુમાર, હાડમારીઓની વધતી જનફરિયાદો પણ નિરાકરણ નામે શૂન્ય, જનપ્રતિનિધિઓનો પ્રજા સાથેનો નાતો કેવળ મત મેળવવા પૂરતો, મત લઈ લીધા પછી તું કોણ અને હું કોણ, એક વાર મત આપીને પ્રજાએ કાયમ માટે શાસન સોંપી દીધું હોય એવો રૂઆબ ……, ગમે તેટલી વાર નવી સરકાર આવે આ બધાનો જાણે કોઈ અંત જ દેખાતો નથી! દૂર ક્ષિતિજમાં પણ આશાનું કોઈ કિરણ ચમકતું દેખાતું નથી. વળી, સમાજના સજ્જનો, બુદ્ધિજીવીઓ અને કર્મઠોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા પણ આ સ્થિતિને વધુ ઘેરી બનાવે છે.

લોકો પર શાસન કરતા કહેવાતા જનપ્રતિનિધિઓનાં માનસ પર હુકમશૈલી રાજ કરે છે. તેઓ માને છે કે હુકમો આપવા સિવાય એમણે કંઈ નક્કર કાર્ય કરવાનું નથી, અને હુકમો આપવામાં ય વળી આગળ-પાછળનો કે પરિણામોનો જરા ય વિચાર નહિ કરવાનો! શાસનમાં શીર્ષસ્થ સ્થાને બિરાજતી વ્યક્તિમાં નવા વૈચારિક આયામો, પ્રગતિશીલ વિચારો, લોકહિતને કેન્દ્રમાં રાખતા નિર્ણયો, સમસ્યા નિવારણ અભિગમ, લોકો માટે સાનુકૂળ વહીવટ, ઉપરી સત્તાધિશોને સાચી વાત કહેવાની કે તેમની સમક્ષ જમીની હકીકત રજૂ કરવાની હિંમત આ બધાને જાણે કોઈ અવકાશ જ નથી રહ્યો. શાસકો અને અમલદારો લોકો માટે નહિ પણ તેમના ઉપરી નેતાઓ અને તેમના પક્ષ માટે જ કામ કરતા હોય એ રીતે વર્તે છે. એમના માટે લોકહિત ગૌણ અને પક્ષહિત મુખ્ય હોય એવું એમની કામગીરી પરથી લાગે છે. અને આ બધામાં સૌથી ગંભીર વાત એ છે કે શાસકો અને અમલદારો એક વાતે નિશ્ચિંત થઈ ગયા છે કે હવે તેમને કોઈ પ્રશ્ન કરી શકશે નહીં અને આ નિશ્ચિંતતા તેમની વહીવટી વર્તનને વધુ બેજવાબદાર બનાવે છે. સરકારી શિથિલતા કે ગાફેલિયતને કારણે પ્રજાએ પીડાવું પડ્યું હોય અથવા લોકોએ જીવ ગુમાવવા પડ્યા હોય એના અનેક દાખલા મોજૂદ છે, છતાં આજ દિન સુધીમાં કોઈ શાસક કે અમલદારને દૃષ્ટાંતરૂપ સજા થઈ હોવાના એકલદોકલ કિસ્સા પણ ધ્યાનમાં આવતા નથી. અંધેરી નગરી અને ગંડુ રાજાની જેમ બધું ચાલે છે અને સુજ્ઞ નાગરિકો મૂક દર્શક બની આ બધો તમાશો નિહાળી રહ્યા છે!

નવી બનતી સરકારના વચનો, વાતો કે કામોમાં સામાન્ય લોકો માટેની ચિંતા, ફિકર, કાળજી, પરવા કે નિસબત ક્યાં ય દેખાતા નથી. સરકાર ગમે તેની આવે લોકો માટે નવી દિશા, નવી આશા કે નવા વિચારો દૂર ક્ષિતિજ સુધી ક્યાં ય ડોકાતા નથી. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાની ઘેલછામાં લોકોના ભલા માટે, તેમની હાડમારીઓ ઓછી કરી તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે શું કરી શકાય એ દિશામાં નવા વિચારોનો જાણે કે શૂન્યાવકાશ સર્જાયો છે. હાથે હાથે ગુલાલ નાખી રૂપાળા દેખાવાની શેખચલ્લી મનોવૃત્તિ, વ્યક્તિ-પૂજા અને વ્યક્તિ-પ્રશંસાની આંધળી પ્રથાએ લોકહિત, લોકકલ્યાણ અને લોકવિકાસની પરગજુ રાજનીતિનો સત્યાનાશ વાળી દીધો છે. 

વિકાસની દિશામાં આગેકૂચ કરતા ભારત જેવા દેશ માટે આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. કોઈપણ પક્ષની સરકાર બને, જૂના-નવા મંત્રીઓ સાથે નવું પ્રધાનમંડળ બને, નવી નીતિઓ બને, નવા કાયદા ઘડાય, નવી યોજનાઓ બને પણ લોકોની પરેશાનીઓ, વ્યથાઓ, મુશ્કેલીઓ, હાડમારીઓ કે સમસ્યાઓ ઠેરની ઠેર છે, એમાં તસુભાર જેટલો પણ ઘટાડો થયો નથી. પરિવર્તનના જે દૃષ્ટાંત પ્રયાસપૂર્વક લોકોને દેખાડવામાં આવે છે એ હકીકતમાં સુગર કોટેડ દૃષ્ટાંત હોય છે, વાસ્તવિક સ્થિતિ એનાથી તદ્દન વિરુદ્ધની હોય છે. સરકારના સુશાસન, વિકાસ પ્રક્રિયા કે વિકાસના ફળ ચાખવામાં આમજનતા ક્યાં છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. સરકારના આંકડા સમર્થિત દાવા પ્રમાણે જો દેશમાં વિકાસ થઈ રહ્યો હોય, રોજગારી વધી રહી હોય, મોંઘવારી ઘટી હોય તો આમજનતાની રોજિંદી પરેશાનીઓ, મુશ્કેલીઓ, આર્થિક અને બીજી સમસ્યાઓ અને હાડમારીઓ કેમ ઓછી થવાનું નામ લેતી નથી! 

પ્રજા જ્યાં સુધી દીર્ઘ તંદ્રામાંથી જાગશે નહિ અને આ દિશામાં કંઈક નક્કર પ્રયાસો કરવા સક્રિય નહિ થાય ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ ફેર નહિ પડે. લોકોએ હવે નક્કી કરવું પડશે કે ક્યાં સુધી તેઓ આ બધું સહન કર્યા કરશે અને આ સ્થિતિ બદલવા તેઓ શું કરી શકે એમ છે. અન્યથા આ સ્થિતિનો કદાપિ અંત આવશે પણ નહીં, એટલું જ નહિ આગળ જતા આ સ્થિતિ આનાથી પણ વધુ વિકટ બની શકે છે. પ્રગતિશીલ વિચારધારાને વરેલી લોકશાહી શાસનપ્રણાલિ માટે આ સ્થિતિ લોકો માટે કપરી અને સત્તા માટે પ્રાણઘાતક બની શકે છે. લોકશાહી શાસનમાં લોકોની જવાબદારી માત્ર મત આપવા સુધી સીમિત નથી, પરંતું વખત આવ્યે એ મતની તાકાતનો પરચો પણ તેમણે બતાવવો પડશે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 December 2025

શું મેકોલેને માત્ર અંગ્રેજીશાહીનો પ્રણેતા માનવો કે પછી તે એવી વ્યક્તિ હતો જેણે વર્ણભેદી વ્યવસ્થાનાં બારણાં ખોલીને ભારતમાં સર્વજન માટે શિક્ષણનો નવો માર્ગ રચ્યો?

પ્રકાશ ન. શાહ

રામનાથ ગોયન્કા વ્યાખ્યાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેકોલ વિવાદ છેડ્યો એથી એક રીતે રાહત થઈ કે એમના રડાર પર બચાડા જવાહર જ છે એવું છેક નથી! અલબત્ત, એકંદર રાષ્ટ્રીય ચળવળમાં અંગ્રેજી કેળવણી સામે અને એના નોંધપાત્ર પ્રણેતા મેકોલે સામે ફરિયાદ જરૂર રહી છે, પણ અંગ્રેજ સરકારના ચાર્ટરની મર્યાદામાં ઉછરેલી બનારસ યુનિવર્સિટી પેઠે ગાંધીએ વિદ્યાપીઠ બાબતે પારકી સરકારની તમા ન કરી એની પૂંઠે હતું એવું સ્વસ્થ, સ્પષ્ટ દર્શન હાલના સત્તાકીય રાજકીય પ્રતિષ્ઠાન પાસે છે કે કેમ તે તપાસની બાબત છે.

એક વાત સાચી કે સાંસ્થાનિક માનસિકતામાંથી ઊંચે ઊઠ્યા વગર આપણો જયવારો તો શું કશો આરોઓવારો પણ નથી. કિશોરાવસ્થામાં સરસંઘચાલક ગોળવલકરને એકાધિક વાર સાંભળવાનું બન્યું ત્યારે એમને પ્રિય જણાતું એક શબ્દ ઝૂમખું સંઘબાહ્ય વ્યાપક અનુલક્ષીને ‘ઇંગ્લિશમેન ઈન બ્રાઉન સ્કિન’ એ હતું. જરી કમરપટા તળેની ભાષાની રીતે પ્રસંગોપાત ‘મેકોલે કી ઓલાદ’ જેવા પ્રયોગો સાંભળવા મળે છે, તે પણ એ જ ધાટીમાં છે.

એવું તો શું કર્યું’તું મેકોલએ, ભાઈ? 1835ની એની મિનિટ્સ સાથે દેશમાં અંગ્રેજ ઢબછબના સંસ્થાવિધાન સાથે, માધ્યમિક સ્તરેથી અંગ્રેજીમાં જ શિક્ષણનો પાયો નંખાયો. 1857માં જે યુનિવર્સિટીઓ આવી એને સારુયે રોડ મેળ તે રોલ મોડેલ એ ધાટીએ પાકાં હતાં. અરબી કે સંસ્કૃત, કશાની પ્રત્યક્ષ જાણકારી વિના મેકોલેએ કહેલું કે અંગ્રેજીમાં સુલભ ઉત્તમ સાહિત્યના ભંડાર સામે અરબી-સંસ્કૃતનાં ચુનંદા પુસ્તકો માંડ એક છાજલીના ઘરાક હોય તો હોય. આ વિધાન અલબત્ત મેકોલેની પ્રતિભા જોતાં છેક જ છીછરું છે. ઘણી વાર મેકોલેની ટીકામાં તે બ્રહ્માસ્ત્રની જેમ વપરાતું પણ હોય છે.

થોમસ બૅબિગ્ટન મેકોલે

પણ મેકોલેની સુખ્યાત અગર વિપરીત અર્થમાં વિખ્યાત મિનિટ્સને એના સમગ્ર સંદર્ભમાં જોવાનો વ્યાયામ, ચોક્કસ મતભેદ છતાં, આગ્રહપૂર્વક કરવા જેવો છે. અંગ્રેજ કાળે પહોંચતા લગીમાં જ એક દુર્દૈવ વાસ્તવ આપણા હાડમાં ઝમેલું બલકે જળોની જેમ પેંધેલું હતું તે ધ્યાનમાં લઈએ તો મારો આગ્રહ સમજાશે.

બે જ વાનાં લઉં, નમૂના દાખલ : એક તો મેકોલેએ ભલે અંગ્રેજી માધ્યમના રસ્તે પણ શિક્ષણનાં દ્વાર વર્ણભેદ વગર સૌને માટે ખોલ્યાં. ધરમપાલે ‘બ્યુટીફૂલ ટ્રી’માં વર્ણવેલ ભવ્યોદાત્ત પરંપરા વિશે ક્યારેક અલગથી ચર્ચા કરવી રહે છે. પણ સંસ્કૃત અગર અરબી ધારાનું શિક્ષણ જેમને માટે ખુલ્લું હશે તે સમાજનો કેટલો હિસ્સો હશે? બીજું, દેશભાષાઓમાં (ત્યારે ‘વર્નાક્યુલર’ એ સંજ્ઞા વપરાતી, એમાં) કેટલું શક્ય હશે એ પ્રશ્ન હતો. આપણે જેને કારકૂની કેળવણી એવું નામ સાભિપ્રાય આપ્યું, એ મૂળમાં તો મેકોલેએ કલ્પેલી એક એવી વ્યવસ્થા હતી કે ભલે નાનો પણ વર્ણભેદ વગરનો એક વર્ગ અંગ્રેજી શિક્ષણ પામી સરકાર અને લોક વચ્ચે પરસ્પર સમજની રીતે ‘ઘટન’નું કામ કરશે. આ પ્રક્રિયા શરૂ થાય તે પછી આગળ ચાલતાં, બધા વિષયો દેશભાષાઓમાં ઊતરવા લાગશે અને ભણાવાશે.

વડા પ્રધાનનું ભાષણ હવામાં હશે એવામાં જ ઇતિહાસમાં રમેલાં રુચિકા શર્માની ટિપ્પણીમાં સવિતાબાઈ ફુલે(1831-1897)ની એક અતિસૂચક રચના ઊતરી આવી હતી – ‘ઇંગ્રજ માઉલી આલી.’ ઇંગ્લિશ માડી આવી … અને શું હતી એની પૂર્વ પંક્તિ? ‘પેશવાઈ ગેલી.’ જે વ્યવસ્થામાં સમાજના મોટા વર્ગને (શુદ્ર આદિને) અવકાશ નહોતો તે અંગ્રેજી રાજ ને શિક્ષણ સાથે ઊભો થયો. જ્યોતીબા ફુલે એક બાજુ જો ‘અમારા શુદ્રોના રાજા’ તરીકે શિવાજીનો મહિમા કરતા હતા તો નવી કેળવણી થકી લાધેલ પરિચયવશ ટોમ પેઈનના વિચારોને ધોરણે ન્યાય ને સમતાની નવી ભૂમિકાએ પણ વાત કરતા હતા. આ જે નવી વાત બની રહી હતી એનો પૂર્વ સંકેત બંગાળ છેડેથી રામ મોહન રાય (1772-1833) તરફથીયે મળ્યો હતો : સંસ્કૃત પાઠશાળા અને નવી કોલેજ વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવ્યો ત્યારે એમની હિમાયત કોલેજ માટે હતી.

ગમે તેમ પણ, પોલિસી રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા ડી. શ્યામ બાબુએ ભલે અંગ્રેજીમાં પણ સૌને માટે, રિપીટ, સૌને માટે શિક્ષણ ખુલ્લું થયું એ માટેની પહેલ બદલ મેકોલેને મહાત્મા મેકોલે તરીકે ઓળખાવ્યા છે. મહાત્મા ફુલે અને મહાત્મા ગાંધી ઉપરાંતના આ ત્રીજા મહાત્માની પ્રતિષ્ઠા કરવાનુંયે લોજિક નથી એમ કહી શકાશે, વારુ?

છેલ્લાં વર્ષોમાં દલિત બૌદ્ધિક ચંદ્રભાણ પ્રસાદે હર પચીસમી ઓક્ટોબરે મેકોલે જયંતી મનાવવાનો ચાલ શરૂ કીધો છે તે આ સંદર્ભમાં તરત યાદ આવે છે. બલકે, સ્મરણીય તો એમનો બાંકા ખાતેનો એ પ્રકલ્પ પણ છે જેને અન્વયે ઇંગ્લિશ નામે દલિત દેવીની પ્રતિમા ખડી કરાઈ છે. સ્વાભાવિક જ નાનાં કદ-કાઠીની પણ આ પ્રતિમા સામેનો નમૂનો ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ છે. (દસ-પંદર વરસ પર ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’નું મોડેલ તો ક્યાંથી હોય? માથે મસમોટી હેટ – કથિત નીચલી વરણ માટેના ડ્રેસકોડની એસીતેસી – જમણા હાથમાં પેન (અક્ષરજ્ઞાનની તાકાત) અને ડાબા હાથમાં? અલબત્ત, બંધારણ સ્તો, જેણે વરણ માત્રને સમાન હક્ક બક્ષ્યા. આંબેડકરે ક્યારેક કહેલું ને કે અંગ્રેજી તો સિંહણનું દૂધ છે!

એવું તો નથી ને કે મેકોલેના અભિગમથી નાતજાતગત ઊંચનીચને વટવાની જે શક્યતા ઊભી થઈ તે સત્તા-પ્રતિષ્ઠાન માત્રને લાગુ પડતા ઉજળિયાતને સોરવાતી નથી? અલબત્ત, ગાંધી જેવો ખરી દૂંટીનો અવાજ મેકોલે-માહોલ સામે ઊઠે છે એ કાળજે ધરવા જોગ છે, એની વાત યથાવકાશ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર  2025

Loading

ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

સોનલ પરીખ|Opinion - Opinion|9 December 2025

વાત કરીએ એવી કેટલીક ફિલ્મોની જેમાં ધર્મેન્દ્ર હીરો કે એક્શન હીરો–હી મેન નથી અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો છે. શોખીનોને યાદ હશે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.  

સુપર-કેરેક્ટર્સમાંનું એક લોકપ્રિય પાટે છે હી મેન. ૧૯૮૧માં એનિમેશન ટી.વી. સિરીઝ આવી, ‘હી મેન એન્ડ ધ માસ્ટર્સ ઑફ યુનિવર્સ’. એક જ વર્ષમાં હી મેન વિશ્વના ૩૭ દેશોના નેવું લાખ લોકો સુધી પહોંચી ગયો હતો. હી-મેનનો અર્થ થાય છે એક એવો માણસ જે અત્યંત શક્તિશાળી, પરાક્રમી, પ્રામાણિક અને બહાદુર હોય – ટૂંકમાં સુપરહીરો. ‘માસ્ટર્સ ઑફ યુનિવર્સ’માં હી મેનને અલૌકિક શક્તિ ધરાવતો અને તેના ગ્રહને દુષ્ટોથી બચાવતો દેખાડાયો છે. 

હી મેન શબ્દ સાથે આપણને તો ધર્મેન્દ્ર યાદ આવે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હી મેન તરીકે ઓળખતો એ એકમાત્ર અભિનેતા છે. ૮૯ની ઉંમર અને ટૂંક ગાળા માટે હોસ્પિટલાઇઝેશન-વેન્ટિલેટર અને રિકવરી વગેરેને લીધે આજકાલ તે ચર્ચામાં છે. સ્રોતો મુજબ ‘ફૂલ ઔર પથ્થર’ પછી તે હી મેન તરીકે ઓળખવા લાગ્યો. એ ઇમેજને અનુરૂપ અનેક સંવાદો, અનેક પાત્રો, અનેક ફિલ્મો તેના નામે બોલે છે. આજે એવી કેટલીક ફિલ્મોની વાત કરવી છે જેમાં તે નાયક ન હતો, હી મેન પણ ન હતો અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો હતો. આ ફિલ્મો છે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.

બંદિની : ૧૯૬૩ની આ ફિલ્મના દિગ્દર્શક હતા બિમલ રૉય. એમના શિષ્ય ઋષિકેશ મુખર્જી અને ધર્મેન્દ્ર વચ્ચે આ ફિલ્મ દરમ્યાન થયેલી દોસ્તીનું પરિણામ ‘અનુપમા’, ‘મઝલી દીદી’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’ અને ‘ચુપકે ચુપકે’ જેવી અનેક સુંદર ફિલ્મો રૂપે આવ્યું હતું. ‘બંદિની’માં ગુલઝાર બિમલ રોયના સહાયક હતા. ગુલઝાર સાથેની ધર્મેન્દ્રની મૈત્રીની શરૂઆત પણ આ જ ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મ માટે ગુલઝારે પોતાની કારકિર્દીનું પહેલું ગીત ‘મોરા ગોરા રંગ લઈ લે’ લખ્યું હતું જે નૂતન પર ફિલ્માવાયું હતું. બે વર્ષ પછી આવેલી ફિલ્મ ‘પૂર્ણિમા’માં ગુલઝારે લખેલાં બંને ગીત ‘હમસફર મેરે હમસફર’ અને ‘તુમ્હેં ઝિંદગી કે ઉજાલે મુબારક’ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયાં હતાં. ૬૯ની ફિલ્મ ‘ખામોશી’માં પણ ધર્મેન્દ્રનો નાનો રોલ હતો અને એના પર ફિલ્માવેલું ‘તુમ  પુકાર લો’ ગુલઝારે લખ્યું હતું. 

આપણે ‘બંદિની’ની વાત કરતા હતા. એક જેલમાં એક મહિલા કેદીને જેલની હોસ્પિટલમાં દાખલ કરવાની છે. ડૉ. દેવેન (ધર્મેન્દ્ર) કહે છે, ‘આની સંભાળ રાખવા કોઈએ રહેવું જોઈશે.’ એક કેદી કલ્યાણી (નૂતન) કહે છે, ‘હું રહીશ.’ ડૉ. દેવેન જેલરને કહે છે, ‘આને રાખવી યોગ્ય નથી. ઉંમર નાની છે ને બીમારી ચેપી છે.’ કલ્યાણી કહે છે, ‘બીજાને જેલ બહાર કુટુંબ છે, સગાંવહાલાં છે. મારું કોઈ નથી. હું રહું એ જ યોગ્ય છે.’ અને એ ટિકિટ લાવી હુકમ લખાવી જાય છે. જેલર ડૉક્ટરને કહે છે, ‘મનુષ્યસ્વભાવ કેવો વિચિત્ર છે – સેવા કરવા તૈયાર થયેલી આ છોકરી ખૂની છે.’ ડૉક્ટર ચોંકી જાય છે, પણ તરત સ્વસ્થ થઈને કહે છે, ‘કોઈ એકવાર અપરાધ કરી બેસે એનાથી આખી જિંદગી ગુનેગાર ન બની જાય.’ ક્લ્યાણીના વધારે પરિચય પછી ડૉક્ટર તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પડદા પર એની હાજરી ઓછી છે, ફિલ્મનો નાયક તો અશોક કુમાર છે. પણ નવોસવો હોવા છતાં અને નાનો રોલ હોવા છતાં ધર્મેન્દ્ર બંને દિગ્ગજ કલાકારો સામે બહુ શાંતિથી ટક્કર લઇ શક્યો છે. 

મેરા નામ જોકર : રાજ કપૂરનું આ એપિક મૂવી ૧૯૭૦માં બન્યું. જોકરના દીકરા રાજુ(રાજ કપૂર)નું નસીબ તેને જે સરકસનો જોકર બનાવે છે તેના માલિક મહેન્દ્રકુમારની ભૂમિકા ધર્મેન્દ્રએ કરી હતી. મહેન્દ્રને પોતાના સર્કસના રશિયન અને ભારતીય કલાકારોનું સરસ સંયોજન કરતો, સ્ટાફને સન્માનપૂર્વક રાખતો, યોગ્ય નિર્ણયો લેતો અને શોમાં પણ કામ કરતો બતાવાયો છે. એ રાજુને ‘સિંગિંગ જોકર’ તરીકે નોકરી આપે છે, એની મા મૃત્યુ પામે છે ત્યારે ‘શો મસ્ટ ગો ઓન’ આટલું જ કહીને તેને સરકસ અને જિંદગીનું વાસ્તવ સમજાવે છે અને છેલ્લે એ વાસ્તવને પચાવી ગયેલા રાજુની ઝિંદાદિલીને એક પણ શબ્દ બોલ્યા વિના વધાવે છે. બંનેની સાથે આ એકમાત્ર ફિલ્મ હતી, પણ બંને વચ્ચે પરસ્પર સ્નેહ અને આદરભરી દીર્ઘ મૈત્રી હતી. અનેક સમારંભોની તસવીરોમાં ‘શો મેન’ અને ‘હી મેન’ સાથે દેખાયા છે.

ગુડ્ડી : તાજેતરમાં જયા બચ્ચને કહ્યું કે પોતે બાળપણમાં ધર્મેન્દ્રનો ફોટો પોતાની પાસે રાખતી, એને ‘ગ્રીક ગૉડ’ જેવો સમજતી અને ચાહતી. ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’ ત્યારની જયા ભાદુરીની પહેલી ફિલ્મ હતી. એમાં એનું પાત્ર એવી કિશોરીનું હતું જે સિનેમા અને ફિલ્મસ્ટારના ગ્લેમરથી, ખાસ કરીને ધર્મેન્દ્રથી અંજાયેલી છે. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ધર્મેન્દ્ર તરીકે જ આવે છે અને ગુડ્ડીને પોતાના સંમોહનમાંથી છોડાવી વાસ્તવિક દુનિયાનો પરિચય કરાવવામાં એના પરિવારનો સાથ આપે છે. ગંભીર વાતને હળવી અને સુસંસ્કૃત શૈલીમાં દર્શાવતી આ ફિલ્મ આજે પણ જોવી ગમે. જયા ધર્મેન્દ્રને ‘એમેઝિંગ કો-સ્ટાર અને એમેઝિંગ હ્યુમન બીઈંગ’ કહે છે. આ બંનેએ  થોડી ફિલ્મો સાથે કરી છે, પણ નાયક-નાયિકા તરીકે ભાગ્યે જ દેખાયાં છે.

કિનારા : ૧૯૭૭ની આ ફિલ્મમાં મિત્ર ગુલઝારના પ્રસ્તાવને વાર્તા પણ સાંભળ્યા વિના ‘તમે મને વેસ્ટ નહીં કરો એવો મને વિશ્વાસ છે’ એવું કહી ધર્મેન્દ્રએ સ્વીકારી લીધો હતો. ફિલ્મનો નાયક જિતેન્દ્ર હતો અને ધર્મેન્દ્ર નાયિકા હેમા માલિનીનો પ્રેમી હતો, જે જિતેન્દ્રની કારથી અકસ્માતે માર્યો ગયો છે. વાર્તા તૂટી ચૂકેલી અને અંધ બનેલી હેમા માલિની અને એની જિંદગીને પાટે ચડાવતા જિતેન્દ્રની છે. ધર્મેન્દ્રનો રોલ ખૂબ નાનો હતો અને જાણવા મળે છે કે એને એ માટે થોડું ખરાબ લાગ્યું હતું, પણ ગુલઝારના લખેલા ‘એક હી ખ્વાબ’ ગીતને એણે યાદગાર જ નહીં, એવું પ્રાણવાન પણ બનાવ્યું હતું કે એ ગીતમાં એના સિવાય બીજા કોઈને કલ્પવાનું પણ આપણને ગમે નહીં. ગુલઝારે ત્યાર પછી ધર્મેન્દ્રને લઇ એક શાનદાર ફિલ્મ બનાવવાનું નક્કી કરેલું અને ધર્મેન્દ્ર, હેમા માલિની અને શર્મિલા ટાગોરને લઈ ‘દેવદાસ’ શરૂ કરી હતી, કમનસીબે એ ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ. 

લાઈફ ઇન અ મેટ્રો : અનુરાગ બસુની આ ફિલ્મ ૨૦૦૭માં આવી. એમાં મુંબઈમાં રહેતાં આઠ-નવ પાત્રોની જિંદગી અને એમનાં સંબંધોની વાર્તા હતી. ધર્મેન્દ્રએ એમાં અમોલનું પાત્ર કર્યું હતું. યુવાનીમાં અમેરિકા જવાન મોહમાં શિવાની(નફીસ અલી)ને છોડીને ચાલ્યો ગયેલો અમોલ ચાલીસ વર્ષે પાછો આવે છે, પોતાના છેલ્લા દિવસો શિવાની સાથે વીતાવવા. શિવાનીનાં સંતાનો વિદેશમાં છે અને તે એક ઓલ્ડ એજ હોમમાં રહે છે. બંને પોતાને મળેલો થોડો સમય બહુ પ્રેમ અને આનંદથી ગાળે છે. ફિલ્મના અંતે કોઈ મળે છે, કોઈ એકલું રહી જાય છે, કોઈ સમાધાન કરી લે છે. શિવાનીનું મૃત્યુ થતાં અમોલની સ્થિતિ બધું પામીને બધું ગુમાવી બેઠેલા જેવી છે. એ રેલવે પ્લેટફોર્મના બાંકડે એકલો ઉદાસ બેઠો છે. એક યુવાન યુગલને જોઈ તેના મોં પર ઘણું બધું કહી જતું સ્મિત આવે છે. પશ્ચાદભૂમિમાં ગીત શરૂ થાય છે, ‘ક્યોં ઝિંદગી સે હો શિકવા ગિલા … જો ભી વો દેતી હૈ વહ હૈ તેરા, કર સલામ’  

એક ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રને પૂછવામાં આવ્યું, ‘લોકો તમને કેવી રીતે યાદ રાખે તે ગમે?’ તરત તેણે કહ્યું, ‘હું મારા દેશને અને દેશવાસીઓને ખૂબ ચાહું છું. બસ આ રીતે યાદ રાખે એમ ઇચ્છું છું.’ આ વાત પર તો હી મેનને યાદ કરવો પડે. લોંગ લિવ, હી મેન…!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 નવેમ્બર  2025

Loading

...102030...157158159160...170180190...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved