Opinion Magazine
Number of visits: 9842846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 November 2025

“આપણી સ્ત્રીઓમાં એવી અનેક ચીજો છે કે જે મને દુઃખી કરે છે. જોને, આ પુરુષો આપણને નકામી સમજે છે.” – અંબા 

“હા, આપણે ખરેખર છીએ.” – અંબાની એક સાથી મહિલા.

આવા એક સંવાદથી શરૂ થતું નાટક ‘અંબા’ ગઈ કાલે સાંજે મેં મુંબઈમાં જુહુ ખાતે આવેલા વિખ્યાત પૃથ્વી થિયેટરમાં જોયું.

યુદ્ધગ્રસ્ત બે રાજ્યો વચ્ચે યુદ્ધ રોકવા માટે આ નાટકમાં કામવાસનાનો ઉપયોગ સ્ત્રીઓએ કર્યો છે. શાંતિ અને સૌહાર્દ ઝંખતી અંબા નામની એક સ્ત્રી બંને રાજ્યોની સ્ત્રીઓને એકત્ર કરે છે અને તેમને યુદ્ધખોર પુરુષો સામે બંડ પોકારવાનું કહે છે. તેમનું સાધન છે સેક્સ, જાતીય ઇચ્છા. અને એની હડતાળ!

સ્ત્રીઓ નક્કી કરે છે કે તેઓ પોતાની કામેચ્છાને વશમાં રાખવાનો પ્રયાસ કરશે અને પુરુષોને તેમની કામેચ્છાના સંતોષથી વંચિત રાખશે. એમ કરીને તેઓ યુદ્ધને રોકશે. અંતે તેમાં તેઓ સફળ થાય છે.

અંબા બધી સ્ત્રીઓની નેતા તરીકે કહે છે કે જો બે રાજ્યોના પુરુષો શાંતિ માટે કરાર કરવા સંમત થાય તો જ કામેચ્છાનો સંતોષ, નહીં તો નહીં. અને છેવટે પુરુષો એ વાત સ્વીકારે છે. 

આ નાટકમાં સ્ત્રીઓ કંઈક આવા શબ્દોમાં ઘણુંબધું બોલે છે : 

“તમે તો યુદ્ધમાં મરી જાવ છો, પછી અમારી શી હાલત થાય છે તેની તમને ખબર છે?”

“આ યુદ્ધ તો રાજાઓ માટે થાય છે, તમે તો હથિયાર છો એમનું.”

“અમે યુદ્ધનો વિરોધ કરીએ તો રાજા કહેશે કે તમે દેશદ્રોહી છો. ભલે કહે. એ તો એમ જ કહે ને. એને બીજું આવડે શું?”

મૂળ નાટક તો ઇ.સ. પૂર્વે ૪૦૦ના સમયમાં થઈ ગયેલા એરિસ્ટોફેન્સ નામના એક ગ્રીક નાટકકાર દ્વારા લખાયું છે કે જે પ્રહસન નાટકોના પિતા તરીકે પાશ્ચાત્ય જગતમાં જાણીતા છે. એ નાટકનું નામ છે: લીસિસ્ટ્રેતા. તે જમાનાના એથેન્સના ભદ્રલોકને એ નાટક પસંદ પડ્યું નહોતું અને તે ભજવવા પર પણ રાજાએ પ્રતિબંધ મૂક્યો હતો. 

આ નાટકને હિંદી-બુંદેલી મિશ્ર ભાષામાં લઈ આવનાર છે અતુલ કુમાર અને કુમુદ મિશ્રા.

અદ્ભુત સંવાદો સાથે ભારતની આજની સ્થિતિને ‘અંબા’ નાટકમાં આબેહૂબ વણી લેવાઈ છે. માલેતુજાર લોકોનાં દેવાં માફ કરવાની અને શોષણની વ્યવસ્થાનો ભોગ બનતા સામાન્ય લોકોની વાત એમાં શબ્દો ચોર્યા વિના કહેવાઈ છે, મૂળ નાટકને સહેજ પણ હાનિ ન પહોંચે તે રીતે. કારણ કે અદ્ભુત હાસ્ય અને કટાક્ષો સાથે મૂળ લેખક પણ એ જ વિભાવના રજૂ કરે છે.

આમ તો ભારતમાં એક હિંદુ દેવી તરીકે અંબા કે દુર્ગા એટલે અનેક હાથોમાં શસ્ત્રોવાળી દેવી કે જેનું સર્જન ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કરેલું. પણ અહીં અંબાને મારામારી, યુદ્ધ કે હિંસા ખપતાં નથી, શાંતિ જોઈએ છે! નાટકનું નામ યોગ્ય જ છે. અંબા દેવીને અહિંસક બનાવી દીધી નાટકકારે; કે જેમ મહાત્મા ગાંધીએ સત્ય=અહિંસા=ઈશ્વર=રામ કહીને ધનુષધારી ભગવાન રામને અહિંસક બનાવી દીધા હતા તેમ! અદ્ભુત!

હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોને માત્ર પુખ્ત વયના દર્શકો માટેનું આ દોઢ કલાકનું હાસ્ય અને વ્યંગથી ભરપૂર નાટક તેના કેટલાંક સંવાદો અને દૃશ્યોને કારણે અભદ્ર ચોક્કસ લાગે, પણ એમને સમાજમાં ચાલુ અને નરી આંખે દેખાતી પિતૃસત્તાક અભદ્રતા દેખાતી નથી એ આ નાટક છતું કરે છે.

તા.૧૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાધાનોમાં સુખનું સરનામું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 November 2025

અંધારામાં પ્રકાશ …

રાજ ગોસ્વામી

19મી સદીના અમેરિકામાં ઓહાયો રાજ્યમાં મિલાન ગામમાં જન્મેલા એક બાળકને અંધકારથી ખૂબ જ ડરતો લાગતો હતો અને રાત્રે તે પોતાના ઘરમાંથી બહાર નીકળવાની હિંમત પણ નહોતો કરતો. 

તે નાનો હતો ત્યારે તેના ગામ પાસેથી એક નવી રેલવે લાઈન નંખાઈ હતી. તે અત્યંત જીજ્ઞાસાથી ટ્રેનના એન્જીનને જોઈ રહેતો. રાત્રે અંધારામાં તેને ટ્રેન પસાર થતી હોવાનો અવાજ સંભળાતો. તે દિવસે અખબાર વેચતો હતો અને સમય મળે લાઈબ્રેરીમાં જઇને પુસ્તકો વાંચતો હતો.

અંધારાના ડરના કારણે તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી વખત તેના કામમાં નિષ્ફળ થવું પડ્યું હતું. 

એવી રીતે તે મોટો થયો હતો. તેનું દિમાગ એક સંશોધકનું હતું અને તેણે જાતભાતની ચીજો બનાવી હતી. તેમાંની એક હતી ટંગસ્ટન ફિલામેન્ટના ઉપયોગથી સળગતો લાઈટ બલ્બ. 

જી, હા. ફિલામેન્ટની શોધ કરનારા આ બાળકનું નામ હતું થોમસ અલ્વા એડિસન. તેણે લગભગ 1,000 નિષ્ફળ પ્રયાસો પછી બલ્બની શોધ કરી હતી. તેના સમયમાં, ગેસ અને કેરોસીનથી ચાલતા બલ્બો ઉપલબ્ધ હતા, પરંતુ માથા પર લટકતો હોય અને ઓછા કરંટથી ચાલતો હોય તેવો બલ્બ બનાવાનું શ્રેય તેને જાય છે.

1931માં, ન્યુજર્સીમાં તેનું અવસાન થયું, ત્યારે તેના એ વિશાળ ઘરમાં દરેક રૂમ લાઈટ બલ્બથી ઝળહળી રહ્યા હતા. એડિસનનો જન્મ અંધકારમાં થયો હતો અને મૃત્યુ પ્રકાશમાં થયું હતું.

***

અંગ્રેજીમાં એક જૂની અને જાણીતી કહેવત છે; આવશ્યકતા એ આવિષ્કારની જનની છે. માણસો જ્યારે જંગલમાં રહેતા હતા અને તેમને બચાવ કરવાની કે શિકાર કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ, ત્યારે તેમણે તીર-કામઠાં, ભાલા કે તલવારની શોધ કરી હતી.

માણસોને જ્યારે પકાવેલું ખાવાની જરૂરિયાત ઊભી થઇ, ત્યારે તેમણે અગ્નિની શોધ કરી. તેમને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જવાની જરૂર લાગી, ત્યારે તેમણે પૈંડાની રચના કરી. તેમને રાતનું અંધારું દૂર કરવાનું ઉપયોગી લાગ્યું, ત્યારે તેમણે દીવા, ફાનસ અને બલ્બનું નિર્માણ કર્યું.

આપણા રોજિંદા જીવનનાં જેટલાં પણ આવશ્યક કાર્યો છે, તેની શોધ ત્યારે થઈ જ્યારે આપણને તેની જરૂરિયાતનો અનુભવ થયો હતો. 

થોડા વખત પહેલાં, એક અંગ્રેજી સમાચારપત્રમાં, ફેવિકોલ બનાવતી કંપનીના ગુજરાતી માલિક બળવંત રાય પારેખનો પરિચય આવ્યો હતો. તેમાં એક સરસ વાત લખી હતી કે સામાન્ય રીતે અધેસિવ અને સીલન્ટ જેવાં કન્સ્ટ્રકશન તેમ જ ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ બનાવતી કંપનીનો ઉલ્લેખ બહુ બહુ તો કોમર્સિયલ હેન્ડબુક્સમાં હોય અથવા સુથારીઓ કે મિસ્ત્રીઓને તેની ખબર હોય, પરંતુ બલવંત રાયની પિડિલાઈટ એક માત્ર એવી કંપની છે, જે તેની ફેવિકોલ અને એમસીલ જેવી બ્રાન્ડ્સ મારફતે માર્કેટમાં આગેવાન બની ગઈ એટલું જ નહીં, તેનું નામ ભારતમાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું.

આજે કોઈને ખ્યાલ પણ ના આવે કે ઘેર-ઘેર છોકરાઓના સ્ટડી ટેબલોના ખાનામાં અચૂક જોવા મળતી ફેવિકોલની ટ્યુબ, એક સમયે મુંબઈના સુથારીઓને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી હતી. ફેવિકોલને આટલું માન-પાન આપવાની આ સિદ્ધિ બલવંત રાયે તેમની આગવી માર્કેટિંગ શૈલીથી હાંસલ કરી હતી. 

75 વર્ષ થઇ ગયાં એ વાતને. 1959માં તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તે 7,000 કરોડની બની ગઈ છે. તેમનું ફેવિકોલ રોજના 29 કરોડનું વેચાણ કરે છે. ફેવિકોલની આ મજબૂતી પાછળ એક ગુજરાતી સાહસિકનું ભેજું છે. કોણ છે આ બળવંતરાય પારેખ?

ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુઆ શહેરમાં 1925માં જન્મેલા બલવંત રાય કલ્યાણજી પારેખનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ વકીલ બને. તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યા હતા. અહીં તેઓ મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા હતા. કાયદાનું તો ભણ્યા, પણ વકીલ ના બન્યા. તેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. 

આ દરમિયાન, તેઓ લાકડાના વેપારીની કચેરીમાં પ્યૂન બન્યા, જ્યાં તેઓ તેમની પત્ની સાથે વેરહાઉસમાં રહેતા હતા. પરંતુ બળવંત રાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા, તેથી તેમણે મોહન નામના રોકાણકારની મદદથી પશ્ચિમી દેશોમાંથી ભારતમાં સાયકલ, સોપારી અને કાગળના રંગોની આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો.

આ કામની વચ્ચે એક જર્મન કંપની હોચેષ્ટ તેમના સંપર્કમાં આવી. એમાં બલવંતભાઈને જર્મની જવાની તક મળી. ત્યાં તેઓ ઘણું શીખ્યા. જર્મનીથી પરત ફરીને તેમના ભાઈ સાથે ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની શરૂ કરી. તેમની કંપની મુંબઈમાં જેકબ સર્કલ ખાતે રંગો, ઔદ્યોગિક રસાયણો, રંગદ્રવ્ય મિશ્રણ એકમના ઉત્પાદન અને વેપારમાં સંકળાયેલી હતી. 

તેમણે લાકડાં વચ્ચે ઘણો સમય પસાર કર્યો હતો. તેમણે જોયું હતું કે લાકડાંને ચોંટી રહેવામાં બહુ સમય લાગે છે. તે જોતા હતા કે ફર્નિચર બનાવતા સુથારીઓને એમાં બહુ અગવડ પડતી હતી અને તે જે ફર્નિચરો તૈયાર કરતા હતા તેનાં લાકડાં જલદી ઉખડી પણ જતાં હતાં. 

એટલે તેમણે એક એવો ગુંદર બનાવવાનું શરૂ કર્યું જે અંતે ફેવિકોલ નામથી પ્રખ્યાત થયો. ફેવિકોલ આવી તે પહેલાં, ફર્નિચર ચોંટાડવા માટે પ્રાણીઓની ચરબીમાંથી ગુંદર બનાવામાં આવતો હતો. એમાં સુથારનો આખો દિવસ જતો હતો. તે પછી પણ તે ટકાઉ નહોતો અને તેમાંથી દુર્ગંધ આવતી હતી. બળવંત રાયે આ સમસ્યાના ઉકેલ વિશે વિચાર્યું હતું.

ફેવિકોલે લાકડાંનું કામ કરતા કારીગરોના કામને સરળ બનાવી દીધું. બળવંત રાયે સૌથી પહેલાં ફેવિકોલને સીધું સુથારને વેચવાનું શરૂ કર્યું હતું. આની પાછળનો તેમનો તર્ક એવો હતો કે ગ્રાહકો જ્યારે સોફા, ટેબલ અથવા દરવાજો ખરીદે અથવા બનાવડાવે, ત્યારે તેમને એ ચિંતા નથી હોતી કે તેમાં કયો ગુંદર વાપર્યો છે. તેઓ તો સુથાર કહે તે સામાન લાવી આપતા હતા અથવા સુથાર જે સૂચવે તે ચલાવી લેતા હતા.

બળવંત રાયને ખ્યાલ આવ્યો કે આ ધંધામાં સૌથી મહત્ત્વની કડી સુથાર છે. સુથારને જો સાધી લઈએ તો ફેવિકોલનું બજાર ઊભું થાય. એટલે તેમણે સુથારીઓને નિશાન બનાવ્યા અને એક-એક સુથારીઓ સુધી ફેવિકોલ પહોંચાડ્યું. ધીમે ધીમે, તેમની આ રીત સફળ થઈ અને ફેવિકોલ માટે એક મોટું બજાર બની ગયું.

બલવંત રાય સુથારીઓને ખુશ રાખતા હતા. તેમની સાથે બેઠકો કરતા, તેમને ચા-નાસ્તો કરાવતા, તેમને યાત્રાસ્થળોએ મોકલતા, તેમના માટે પતંગ સ્પર્ધા યોજતા. તેમણે એ રીતે સુથારીઓને નવા પ્રકારના ગુંદરનો ઉપયોગ કરવાનું શીખવાડ્યું હતું. 

તે તેમની પાસેથી ફીડબેક પણ મેળવતા હતા. એકવાર એક સુથારીએ તેમને કહ્યું કે ફર્નિચર પર પાણી લાગે તો સમસ્યા થાય છે, ત્યારે તેમણે ફેવિકોલ મરીન બનાવ્યું. સુથાર સાથે મળીને તેમણે નવું ઉત્પાદન શરૂ કર્યું અને તેના દ્વારા તેનું માર્કેટિંગ કર્યું.

પાછળથી કંપનીનું નામ બદલીને પિડિલાઇટ કરવામાં આવ્યું હતું. કંપનીએ તે પછી ક્યારે ય પાછળ વળીને જોયું નહીં. બદલાતી દુનિયા સાથે, ફેવિકોલથી લઈને ફેવિકવિક સુધીની ચીજો બનાવવાની શરૂઆત થઈ. આ ઉપરાંત કંપની એમસીલ જેવી ઘણી પ્રોડક્ટ્સ બજારમાં લાવી હતી.

પિડિલાઈટ કંપનીની વેબસાઈટ પર, બલવંતરાયના પરિચયમાં લખવામાં આવ્યું છે કે તેમને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું એક વિધાન ગમતું હતું; હું દિવસમાં અનેક વખત મને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન બીજા જીવિત કે મૃત લોકોના પરિશ્રમ પર નિર્ભીત છે, અને મારે એટલા જ પ્રમાણમાં પાછું આપવા માટે પ્રયાસ કરવો જોઈએ જેટલા પ્રમાણમાં મને પ્રાપ્ત થયું છે અને હજુ થઇ રહ્યું છે.

1934માં જર્મનમાં અને 1954માં અંગ્રેજીમાં પ્રકાશિત, આઇન્સ્ટાઇનના પુસ્તક ‘ધ વર્લ્ડ એઝ આઈ સી ઈટ’માં આ વિધાન છે. આઇન્સ્ટાઇન તેમાં એમ કહેવા માંગતા હતા કે માનવ જીવનની બુનિયાદ પારસ્પરિક સંબંધ અને નિર્ભરતા છે. 

કેવું કહેવાય છે કે બળવંતરાય માનતા હતા કે અંગત જીવન હોય કે વ્યવસાયિક, તે એક બીજાના સહકાર અને આદાનપ્રદાન પર જ પ્રગતિ કરે છે, અને તેમની ફેવિકોલ બ્રાન્ડ પણ ચીજવસ્તુઓને જોડવાનો દાવો કરે છે. વ્યક્તિનું હોય કે વસ્તુનું, જીવન અંતે તો આવી જુગલબંધીઓનું જ પરિણામ છે. તેમને સુથારીઓની સમસ્યામાં અવસર દેખાયો હતો.

બળવંત રાય પારેખની આ કહાનીમાંથી એક મહત્ત્વનો બોધપાઠ એ છે કે જીવનમાં અવસરો અને સફળતા સમસ્યાઓને ઓળખવામાં અને તેનાં ક્રિએટિવ સમાધાનો શોધવામાંથી આવે છે. બળવંત રાય પહેલા માણસ હતા જેમણે સુથારીઓને નડતી ગુંદરની સમસ્યા જોઈ હતી. કોઇપણ બિઝનેસ અંતત: તો લોકોની સમસ્યા ઉકેલવામાંથી, તેમની જરૂરિયાત પૂરી કરવામાંથી આવે છે.

આ વાત જીવનને પણ લાગુ પડે છે. સુખ એટલે સમસ્યાઓની ગેરહાજરી નહીં, પણ સમસ્યાઓનું સમાધાન છે. કોઇને આર્થિક સમસ્યા છે, કોઇને સ્વાસ્થ્યની સમસ્યા છે, કોઇને સંબંધની સમસ્યા છે અથવા કોઇને કામકાજની સમસ્યા છે. સમસ્યા વિહીન જીવન નથી હોતું. જે સૌથી સુખી છે તેને પણ કોઇને કોઇ સમસ્યા હોય છે. આપણે છેલ્લા શ્વાસ સુધી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરતા રહીએ છીએ.

અંતત: આપણું સુખ કે દુઃખ એ વાત પર નિર્ભર કરે છે કે સમસ્યાઓ હલ થાય છે કે એકત્ર થાય છે. જીવન પઝલ જેવું હોય છે. એ રોજ નવી ચેલેન્જ આપતું રહે છે અને આપણે તેનો ઉચિત ઉપાય શોધતા રહેવાનું હોય છે. એટલા માટે, હું જેટલી વધુ સમસ્યાઓનાં સમાધાન કરું, મારા સુખનો અહેસાસ એટલો વધે છે.

(પ્રગટ : “ચિત્રલેખા”, ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ; 24 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે

સોનલ પરીખ|Opinion - Opinion|15 November 2025

તુમ જો હુએ મેરે હમસફર રસ્તે બદલ ગયે

લાખોં દિયે મેરે પ્યાર કી રાહોં મેં જલ ગયે …

આયા મઝા, લાયા નશા, તેરે લબોં કી બહારોં કા રંગ

મૌસમ જવાં, સાથી હસીં, ઉસ પર નઝર કે ઈશારોં કા રંગ

જિતને ભી રંગ થે સબ તેરી આંખોં મેં ઢલ ગયે … 

ક્યા મંઝિલેં, ક્યા કારવાં બાહોં મેં તેરી હૈ સારા જહાં

આ જાને જાં ચલ દેં વહાં મિલતે જહાં હૈ જમીં આસમાં

મંઝિલ સે ભી કહીં દૂર હમ આજ નિકલ ગયે …

આ પહેલાના લેખમાં ‘તૂ મેરે સામને હૈ’ ગીતની વાત હતી. તેમાં ‘અજીબ દાસ્તાન હૈ યે’ ગીતનો ઉલ્લેખ હતો. આ ગીત હસરત જયપુરીનું નહીં, શૈલેન્દ્રનું છે એની નોંધ લઈને આજનો લેખ શરૂ કરીએ. 

ઉમાશંકર જોશી લખે છે, ‘ગર્ભમાંના બાળકનું અસ્તિત્વ માના ચહેરા પર ચમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ આ વાત પ્રેમ માટે પણ એટલી જ સાચી છે. પ્રેમમાં હોય તે ગમે તેટલું છુપાવે, પણ એની આંખોમાં, એના ચહેરા પર, એના આખા અસ્તિત્વમાં પ્રેમ ચમક ચમક થતો હોય. એકબીજાની હાજરીમાં એમના બોડી લેંગ્વેજ, સ્ફૂર્તિ અને કમ્ફર્ટ લેવલ જોનારને આખી સ્થિતિનો અંદાજ આપી જ દે છે. 

પ્રેમ તો હિન્દી ફિલ્મોનો પ્રિય વિષય. પ્રેમને લડાવતાં ગીતોની કમી હિન્દી સિનેમાના ઇતિહાસમાં ક્યારે ય નથી રહી. પણ જ્યારે નાયક-નાયિકા ખરેખર પ્રેમમાં હોય અને પડદા પર રોમેન્ટિક ગીત ગાતાં હોય ત્યારે એમનું રહસ્ય કોઈ રીતે છૂપું રહી શકતું નથી અને ખૂલી ખૂલી જાય છે ત્યારે દર્શકોને મઝા પડી જાય છે. આવાં કેટલાક ગીતોની વાત કરીએ તો ‘દમ ભર તો ઉધર મુંહ ફેરે’ રાજ કપૂર-નરગિસનું, ‘સીને મેં સુલગતે હૈં અરમાન’ દિલિપકુમાર-મધુબાલાનું, ‘આપકી આંખો મેં કુછ મહકે હુએ સે રાઝ હૈ’ વિનોદ મહેરા-રેખાનું, ‘આ જા તેરી યાદ આઈ’ ધર્મેન્દ્ર-હેમા માલિનીનું, ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ અમિતાભ બચ્ચન-રેખાનું ને ‘નગાડા સંગ ઢોલ બાજે’ દીપિકા પદુકોણ-રણવીર સિંઘનું રહસ્ય છતું કરે છે. આજે જે ગીતની વાત કરવી છે એ ‘તુમ જો હુએ મેરે હમસફર’ આ જ રીતે ગુરુ દત્ત-વહીદા રહેમાનનું પ્રણય-રહસ્ય ખોલે છે. ગુરુ દત્તની આવી રહેલી પુણ્યતિથિ નિમિત્તે આ જ ગીતને અને એક અધૂરી પ્રેમકહાણીને યાદ કરીએ. 

આ ગીત 1958ની ફિલ્મ, ‘ટ્વેલ્વ ઓ ક્લોક’નું હતું. ગુરુ દત્તે અભિનય કર્યો હોય પણ દિગ્દર્શન કર્યું ન હોય તેવી જૂજ ફિલ્મોમાંની એક ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ હતી. ફિલ્મ સસ્પેન્સ-થ્રીલર હતી. શરૂઆત નારાજ થઈ પિતરાઈ બહેન અને બનેવી(સબિતા ચૅટર્જી-રહેમાન)નું ઘર છોડતી બાની(વહીદા રહેમાન)ના દૃશ્યથી થાય છે. એ માત્ર ઘર છોડતી નથી, ચેતવણી આપતી જાય છે કે ‘મને વારસામાં મળેલી મિલકત તમે હડપી ન જાઓ તે હું જોઈશ.’ 

બાની દિલ્હી આવે છે, મામાને ત્યાં રહે છે અને એડવોકેટ અજય(ગુરુ દત્ત)ની સેક્રેટરી તરીકે કામ શરૂ કરે છે. ઝડપથી બન્ને પ્રેમમાં પડે છે. આ બાજુ બાનીના બનેવીના કાવતરાથી રેલવે સ્ટેશન પર રાત્રે બાર વાગ્યે બાનીની પિતરાઈ બહેનનું ખૂન થાય છે. ખરો ખૂની અકસ્માતમાં માર્યો જાય છે ને ખૂનનો આરોપ બાની પર આવે છે. અજય, મિત્ર અને આસિસ્ટન્ટ મોતી(જોની વૉકર)ની મદદથી પ્રિયતમાને નિર્દોષ સાબિત કરવા મેદાને પડે છે. 

ઓપી-મજરુહનાં ગીતો, રોમાન્સ, ખૂન, કોમેડી, ક્લબ સોંગ, કૉર્ટ સીન્સ અને કલાકારોની સુંદર ટીમ આ બધું છતાં ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ બહુ ધ્યાન ખેંચી શકી નહોતી. જ્યારે દર્શકોને ખૂન કરનાર, કરાવનાર અને કારણ બધાની ખબર હોય ત્યારે સસ્પેન્સ-થ્રીલર ફિલ્મની અડધી મઝા મરી જાય. પછી તો રસ તો જ જળવાઈ રહે જો દિગ્દર્શક બહુ જ કાબેલ હોય. ‘ટ્વેલ્વ ઓક્લોક’ના દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી કાબેલ નહોતા એમ નહીં, પણ બહુ જ કાબેલ સાબિત થઈ શક્યા નહીં. ગુરુ દત્ત-વહીદા રહેમાન તાજગીભર્યાં અને સરસ લાગતાં હતાં પણ અભિનયની બાબતે સોફેસ્ટીકેટેડ વિલન તરીકે રહેમાને મેદાન માર્યું હતું. 

અને ગીત – ગીતમાં શબ્દો અને સંગીતની મઝા તો છે જ, પણ દર્શકોને ખરી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની કેમિસ્ટ્રી જોવામાં આવે છે. એ માત્ર પડદા પરની કેમિસ્ટ્રી નથી એ સમજાતાં જરા પણ વાર લાગે તેમ નથી. યુટ્યૂબ પર ફિલ્મ અને ગીત બંને ઉપલબ્ધ છે. ફિલ્મમાં પણ ગુરુ દત્ત અને વહીદા રહેમાન પ્રેમ વ્યકત કરવાની એક તક પણ ચૂકી શકતાં નથી. અહીં તો રોમેન્ટિક ગીતનું શૂટિંગ છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાને હોંશથી તક ઝડપી લીધી છે. એકબીજાની સાથે હોવાનો આનંદ અને સાથે હોવા છતાં ખતમ ન થતો તલસાટ બન્ને મુક્તપણે અને સહજપણે વ્યક્ત થઈ ગયાં છે. ઓ.પી. નય્યરનું સંગીત અને મજરૂહ સુલ્તાનપુરીના શબ્દો સંગીત અને શબ્દો પણ મજાનાં છે પણ ગીતની સાચી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની અભિવ્યક્તિમાં છે. 

આ ફિલ્મ બની ત્યારે ગીતા દત્ત-ગુરુ દત્તનાં લગ્નને ચાર વર્ષ થયાં હતાં. ગુરુ દત્તની લાઈફસ્ટાઈલને લીધે સંબંધો વણસવા લાગ્યા હતા. ગુરુ દત્ત અને ગીતા દત્તની કહાણી કોઈ ફિલ્મની વાર્તાથી કમ નહોતી. પ્રતિભા, ગ્લેમર, સર્જનાત્મકતા, સફળતા, પ્રતિષ્ઠા, પ્રેમ, લગ્ન, પીડા અને અત્યંત સંવેદનશીલતા – આટલું ઓછું હોય એમ ગુરુ દત્તની મેલેન્કૉલિક માનસિકતા. મીનાકુમારીમાં પણ આ માનસિકતા હતી. આવા લોકોને દુ:ખી રહેવાનું ગમે છે. તેઓ દુ:ખને પકડે છે અને એટલે પછી દુ:ખ તેમને પકડે છે. 

ગીતા દત્ત સાથેના સંબંધો વણસ્યા એટલે ગુરુ દત્ત અને વહીદા રહેમાન નજીક આવ્યાં કે એ બંને નજીક આવ્યા એટલે ગુરુ દત્ત અને ગીતા દત્તના સંબંધો વણસ્યા? આનો જવાબ કોણ આપી શકે? ગુરુ દત્ત અને ગીતા દત્તને તો અકાળ મૃત્યુએ ખામોશ કર્યા છે અને હવે જૈફ ઉંમરે પહોંચેલી વહીદા રહેમાન, આ પ્રશ્ન પુછાય તો કહી દે છે, ‘માય પર્સનલ લાઈફ ઈઝ નોટ એનીબડી’ઝ બિઝનેસ.’ 

ખેર, દુનિયાદારીની જાળજંજાળ વચ્ચે પ્રેમનું આયુષ્ય ગમે તેટલું ઓછું હોય, આ પ્રતીતિ તો એ આપે જ છે કે કોઈ એક મળી જાય છે અને રસ્તા ફરી જાય છે. માર્ગ પછી લાખો દીવાથી ઝળહળી ઊઠે અને મુસાફરી, મંઝિલને પણ વટાવી દૂર નીકળી જાય છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાનના સંબંધનો ભૂતકાળ કે ભવિષ્યકાળ જે હોય તે, વર્તમાન ક્ષણ એમની છે. પ્રેમનાં ગીતની છે. પ્રેમીઓનો મિજાજ તો મજરૂહ સાહબની આ પંક્તિ જેવો જ હોય છે, ‘રોક સકતા હમેં ઝિંદાન-એ-બલા ક્યા મજરૂહ, હમ તો આવાઝ હૈ, દીવારોં સે છન જાતે હૈ’ પછી ગાવું પડે તો એવું પણ ગાઈ લે છે, ‘સુલગતે સીને સે ધુઆં સા ઊઠતા હૈ, લો અબ ચલે આઓ કિ દમ ઘુટતા હૈ, જલા ગયે તન કો બહારોં કે સાયે, મૈં ક્યા કરું કરું હાયે, કિ તુમ યાદ આયે…’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 03 ઑક્ટોબર   2025

Loading

...102030...126127128129...140150160...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved