Opinion Magazine
Number of visits: 9456205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેઇન ઑસ્ટિન : ‘એમા’

આરાધના ભટ્ટ|Opinion - Literature|18 June 2025

આરાધના ભટ્ટ

આજની સભામાં મને નિમંત્રિત કરી એ બદલ આભાર. વિપુલભાઈ, પંચમભાઈ અને યુનાઇટેડ કિન્ગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ કર્તાહર્તાઓ તેમ જ આવી સત્ત્વશીલ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઊલટભેર અને વર્ષોથી સહભાગી થનાર સૌ સભ્યો, તમે અભિનંદનને પાત્ર છો.

હું લખું છું ગુજરાતીમાં, મારી પ્રસારણને લગતી સકળ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગુજરાત અને ગુજરાતીઓ છે, પણ મારી યુનિવર્સિટીની પદવીઓ માટે મેં અભ્યાસ કર્યો અંગ્રેજી સાહિત્યનો અને પછી આવીને વસવાનું બન્યું ઓસ્ટ્રેલિયામાં. એટલે એ રીતે જેઇન ઑસ્ટિન સાથે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી અને ભાવક તરીકે નાતો છે એમ કહી શકું. વળી ઇંગ્લેન્ડની મારી પહેલી મુલાકાત દરમ્યાન બાથની મુલાકાત લીધી ત્યારે ત્યાંની હવામાં જાણે કે જેઇન ઑસ્ટિનની હાજરી પામી શકાતી હતી. ત્યાંના જેઇન ઑસ્ટિન સેન્ટરે મન મોહી લીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ૧૮૦૧થી ૧૮૦૬ દરમ્યાન એમણે બાથમાં વસવાટ કરેલો અને આ સુંદર સ્થળ એમને એટલું પ્રભાવક લાગેલું કે એમની બધી જ નવલકથાઓમાં એના ઉલ્લેખો છે અને બે નવલકથાઓ ‘નોર્થેન્ગર એબી’ અને ‘પર્સ્વેઝન’ની પાર્શ્વભૂ બાથ શહેર છે.

જેઇન ઑસ્ટિનની નવલકથાઓને સમજવા અને માણવા માટે પહેલાં તો એમના યુગને, ત્યારની અંગ્રેજી સમાજરચનાને અને એની ખાસિયતોને સમજવી જરૂરી છે. સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે અને સમાજને અમુક રીતે ઘડતું પણ જાય છે, એ હકીકત પણ સર્વવિદિત છે. જેઇન ઑસ્ટિન ૧૮મી સદીમાં જીવ્યાં – જેને અંગ્રેજી સાહિત્યનો જ્યોર્જિયન પિરિયડ કહેવાય છે. માત્ર ૪૧ વર્ષની વયે એમણે જીવનલીલા સંકેલી એ દરમ્યાન એમણે છ નવલકથાઓ લખી. એ જાણીતી થયેલી છ નવલકથાઓ ઉપરાંત એમના મૃત્યુ પછી કેટલીક અપ્રગટ હસ્તપ્રતો પણ મળી આવી હતી. એ સમય એવો હતો જ્યારે સાહિત્યની વર્ણ વ્યવસ્થામાં નવલકથાનો વર્ણ બહુ આદરપાત્ર નહોતો, કવિતાનો અને કવિઓનો મહિમા હતો. ઉપરાંત સ્ત્રીઓ લેખન કરે એ ઇચ્છનીય નહોતું ગણાતું, તેથી એમણે એમની નવલકથાઓ સૌ પ્રથમ anonymous – પોતાના નામ વિના પ્રગટ કરી હતી. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ એ ૧૮મી સદીની સમાપ્તિ અને ૧૯મી સદી તરફના પ્રયાણની નવલકથાઓ છે, અર્થાત એમાં વાસ્તવવાદ તરફનો ઝોક જોવા મળે છે. સામાજિક દરજ્જા માટે સ્ત્રીઓ લગ્ન સંસ્થા પર નિર્ભર હતી, લગ્ન એમના જીવનનું કેન્દ્રબિંદુ હતું અને ૧૮મી સદીમાં સમાજનો જમીનદાર ગર્ભશ્રીમંત વર્ગ કેવો હતો એનું ચિત્રણ એમની નવલકથાઓનું વિષયવસ્તુ બન્યું છે. એમાં એ સમયની સામાજિક માન્યતાઓ અને પ્રથાઓની ક્યાંક માર્મિક આલોચના પણ છે.

‘એમા’ નામની નવલકથા એમની પ્રગટ થયેલી ચોથી નવલકથા છે. એનું પ્રકાશન ડિસેમ્બર ૧૮૧૫માં થયું, જો કે પહેલી આવૃત્તિના પહેલા પાને પ્રાગટ્યનું વર્ષ ૧૮૧૬ નોંધવામાં આવ્યું છે.  આજે આપણને જાણીને આશ્ચર્ય થશે કે એની પ્રથમ આવૃત્તિમાં એની ૨,૦૦૦ પ્રત છપાઈ હતી અને એના પ્રકાશક હતા લંડનના ખ્યાત પ્રકાશક જ્હોન મરી. ‘એમા’ પુસ્તક ઘણું ચાલ્યું, એનું વેચાણ સારું થયું પણ ત્યાર પછીની ‘મેન્સફીલ્ડ પાર્ક’ નવલકથા ન ચાલી. ‘મેન્સફીલ્ડ પાર્ક’ એમના જીવનકાળમાં પ્રગટ થયેલી છેલ્લી નવલકથા છે. વોલ્ટર સ્કોટ જેવા એ સમયના મોટા ગજાના નવલકથાકારે ‘એમા’ પ્રગટ થતાંની સાથે એનો રિવ્યુ લખ્યો. વોલ્ટર સ્કોટે નવલકથાના સાહિત્યિક સ્વરૂપનો મહિમા કર્યો અને ‘એમા’ નવલકથાની પ્રશંસા કરી.

હવે કરીએ ‘એમા’ નવલકથાની વાત – એને novel of manners કહેવામાં આવી છે. તો શું છે આ novel of manners? બ્રિટાનિકા એની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – A novel of manners is a work of fiction that re-creates a social world, conveying with finely detailed observation the customs, values, and mores of a highly developed and complex society. The conventions of the society dominate the story, and characters are differentiated by the degree to which they measure up to the uniform standard, or ideal, of behaviour or fall below it. The range of a novel of manners may be limited, as in the works of Jane Austen, which deal with the domestic affairs of English country gentry families of the 19th century and ignore elemental human passions and larger social and political determinations. એને ‘કોમેડી ઓફ મેનર્સ’ પણ કહેવાઈ છે.

નવલકથાની ઘટનાઓ કાલ્પનિક હાઇબરી, હાર્ટફિલ્ડ અને આસપાસનાં કાલ્પનિક ગ્રામ્ય વિસ્તારોમાં ઘટે છે. કોઈક વિવેચકોએ એવું પણ નોંધ્યું છે કે હાઇબરી એ સ્થળ ન રહેતાં એક પાત્ર બનીને આપણી સમક્ષ આવે છે. નવલકથાનાં પાત્રો ત્યાંના થોડા શ્રીમંત અને સમાજમાં અગ્રગણ્ય પરિવારોનાં સભ્યો છે અને એ રીતે નવલકથાનો વ્યાપ થોડો સીમિત છે. એમા નામની યુવતી એનું મુખ્ય પાત્ર છે. એમા અને એની આસપાસની સ્ત્રીઓના લગ્નને લગતા પ્રશ્નોને જેઇન ઑસ્ટિન આ નવલકથામાં નિરૂપે છે. નવલકથા લખતાં પહેલાં ઑસ્ટિને કહેલું કે તેઓ એક એવા પાત્રનું સર્જન કરવા જઈ રહ્યાં છે જે એમના સિવાય અન્ય કોઈને ખાસ ગમશે નહીં. અને પછી નવલકથાના પહેલા જ વાક્યમાં એ એમાને આ રીતે પ્રસ્તુત કરે છે “Emma Woodhouse, handsome, clever, and rich, with a comfortable home and a happy disposition, seemed to unite some of the best blessings of existence; and had lived nearly twenty-one years in the world with very little to distress or vex her.” આ પહેલા વાક્યમાં મને seemed શબ્દ નોંધપાત્ર લાગે છે. જે જણાય છે અથવા જે લાગે છે એ હંમેશાં હકીકત અથવા વાસ્તવિક હોય એ જરૂરી નથી. એમા એ તત્કાલીન સમાજના એક એવા વર્ગની ૨૧ વર્ષીય નાયિકા છે જેણે ખાસ કશું વેઠવું પડ્યું નથી. આખી નવલકથાના કથાનકનો સારાંશ અહીં રજૂ નથી કરતી, કારણ કે તમારામાંના ઘણાએ એ જરૂરથી વાંચી હશે અથવા એના કથાનકથી પરિચિત હશો.

એમાની મિત્ર અને ગવર્નેસ મિસ ટેઇલર અને મિસ્ટર વેસ્ટન એકમેકના પરિચયમાં આવે છે અને લગ્ન કરે છે એનું શ્રેય એમાને જાય છે. કારણ કે એમનો મેળાપ કરાવનાર એમા છે. જેમ આપણા સમાજમાં કેટલાક પરગજુઓ હોય છે જે સતત કોઈને કોઈનું ચોકઠું ગોઠવી આપવાની ગોઠવણમાં હોય છે અને એમાં પોતાની ધન્યતા માનતા હોય છે, એવું જ કંઈક એમાનું છે. એમાને એક મોટી બહેન છે, ઈસાબેલા, જે પરીણિત છે. નવલકથાનાં પાત્રો હેરિયટ સ્મિથ, મિસ્ટર એલ્ટન, ફ્રેંક ચર્ચિલ, મિસ્ટર નાઇટલી, મિસ બેટ્સ અને મિસિસ બેટ્સ, રોબર્ટ માર્ટિન્સ પોતાનાં પ્યાદાં હોય એમ એમનાં લગ્નને અને જીવનને ગોઠવવાના પ્રયત્નો એ એમાની પૂર્ણ સમયની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓને પરિણામે એ પોતાને માટે અને અન્યોને માટે અનેક વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે. અનેક ગેરસમજો ઊભી થાય છે. કોઈનું તૂટે છે, કોઈનું સંધાય છે. અંતે ભારતીય રોમેન્ટિક ચલચિત્રોમાં બને છે એમ સૌ ખાઈ પીને રાજ કરે છે. એમા વુડહાઉસ જે નવલકથાની શરૂઆતમાં પોતાને લગ્ન સંસ્થાથી અલિપ્ત ગણાવતી હતી તે સ્વયં પ્રેમમાં છે એ વાત આખરે જાત સાથે કબૂલે છે અને લગ્ન કરી લે છે. કથાનક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એમાનું પાત્ર પણ વિકસે છે. નવલકથાની શરૂઆતની એમા અને સમાપનની એમા જુદી છે. શરૂઆતમાં ક્યાંક ઉદ્દંડ-માથાભારે લાગતી, ક્યાંક અવ્યવહારુ લાગતી એમા અંતમાં પોતાની મર્યાદાઓ સમજતી થઈ જણાય છે. થોડી વધારે વિનમ્રતા અને સ્થિરતા એના વ્યક્તિત્વમાં આવેલી જણાય છે. નવલકથાનો પટ એ એમા વુડહાઉસનો self discovery – આત્મખોજનો પટ છે. એટલે એ રીતે જોતાં એમા એ પાત્રકેન્દ્રી નવલકથા બની છે – novel of characters. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં લગ્ન અને સામાજિક દરજ્જો એ બે મુખ્ય વિષયો છે.

જેઇન ઑસ્ટિન

શેક્સપિયરની કરુણાંતિકાઓ સંદર્ભે hamartia – tragic flawનું વિભાવન સાહિત્યમાં પ્રચલિત છે, જેનાં મૂળ ગ્રિક સાહિત્યમાં છે. જે તે પાત્રની એક અથવા એકથી વધુ લાક્ષણિકતાઓ એ પાત્રની દુર્દશા કરે એને હેમર્શિયા hamartia કહે છે. એમા માટે એ શબ્દપ્રયોગ ન થઈ શકે કારણ કે એ કરુણાંતિકા નથી અને એમાની દુર્દશા નથી થતી પરંતુ એના પાત્રનું ચિત્રણ જેઇન ઑસ્ટિને આ રીતે કર્યું છે. એમા વિશે એ કહે છે કે “Emma possesses “the power of having rather too much her own way, and a disposition to think a little too well of herself.” પોતાનું ધાર્યું કરવાની ટેવ અને પોતાના વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય – એમાના એ બે પ્રશ્નો આ નવલકથામાં ઘણા સંઘર્ષો અને તકલીફોનું કારણ બને છે.

એમા વુડહાઉસનું પાત્ર રચીને જેઇન ઑસ્ટિન કદાચ એક સશક્ત નારીનું ચિત્ર રજૂ કરી રહ્યાં હતાં, એક એવી નારી જે લગ્ન ન કરવાનો ઇરાદો રાખે છે, એટલું જ નહીં એમાના પિતા હેન્રી વુડહાઉસ, એમાને લગ્ન ન કરવાની સલાહ આપે છે. અંતે જ્યારે એમા અને મિસ્ટર નાઇટલીનાં લગ્ન થાય છે, ત્યારે મિસ્ટર વુડહાઉસ દીકરી એમા વિના એકલા પોતાનું જીવન ચલાવી નહીં શકે એવું જણાતાં મિસ્ટર નાઇટલી ઉદારતા દર્શાવીને લગ્ન પછી એમના ઘેર રહેવા આવી જાય છે. આપણી ભાષામાં આપણે એમને ઘરજમાઈ કહીશું. જેઇન ઑસ્ટિન નારીવાદી હતાં કે કેમ અથવા એમની આ નવલકથા દ્વારા એ ફેમિનિસ્ટ વિચારધારા માટે પોતાનું અનુમોદન રજૂ કરવા માંગતાં હતાં કે કેમ એ પ્રશ્ન વારંવાર વિદ્વાનોમાં અને વિવેચકોમાં ચર્ચાય છે. પણ મને લાગે છે કે એનો જવાબ આપતાં પહેલાં આપણે નારીવાદની વિભાવના અને વ્યાખ્યા તરફ જવું પડે અને એને આપણી ક્ષમતા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવો પડે.

૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં સામાજિક દરજ્જો, જેમ ભારતીય સમાજમાં છે એમ, અનેક જુદાજુદા પરિબળોનાં આધારે નક્કી થતો – નામ/અટક, લિંગ – સ્ત્રી/પુરુષ, સમાજમાં પરિવારની આબરૂ, સંપત્તિ. અને વ્યક્તિનું જીવન કેવું જાય એ આ દરજ્જો નક્કી કરતો. કદાચ એવું પણ કહી શકાય કે આ નવલકથા દ્વારા જેઇન ઑસ્ટિન એ સમયની આ સમાજ વ્યવસ્થા વિશે ટિપ્પણી કરી રહ્યાં હતાં, એમાં કદાચ થોડો કટાક્ષનો ભાવ પણ ભળેલો હતો.

વિષયવસ્તુની દૃષ્ટિએ જોતાં ‘એમા’ નવલકથામાં નવીનતા ઓછી છે, અથવા નથી. નિરૂપણ શૈલીની વાત કરીએ તો એ સમયની નવલકથાઓ મુખ્યત્વે પહેલા પુરુષમાં અથવા ત્રીજા પુરુષમાં લખાતી. જ્યારે જેઇન ઑસ્ટિન એમની ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ અને પછી ‘એમા’માં વાચકને નવલકથાના મુખ્ય પાત્રની ખૂબ નજીક લઈ જાય છે. એના મનોગત સુધી પહોંચવામાં લેખિકા વાચકની મદદે આવી છે. અમુક પ્રસંગોએ તો વાચક પરીસ્થિતિ, પ્રસંગ અથવા બીજાં પાત્રોને એમાની નજરથી જોવા લાગે છે. એટલે નવલકથામાં એમા ભલે કથક નથી, છતાં વાચક એની નજરે ઘણું બધું જુવે છે. સાહિત્યિક પરિભાષામાં એને free indirect discourse કહે છે, જેમાં કથક પાત્રના મનોજગતમાં પ્રવેશે અને પ્રસંગનું આલેખના જાણે કે એ પાત્રના શબ્દોમાં કરે.

કોઈ પણ સર્જન જ્યારે આટલો લાંબો સમય – ૨૦૦ વરસથી પણ વધારે જીવિત અને જીવંત રહે અને સમયની કસોટીમાંથી ખરું ઊતરે ત્યારે એના વિશે ઘણું કહેવાઈ ગયું હોય. અનેક વિદ્વાનોએ અને વિવેચકોએ એની મૂલવાણી કરી હોય. આપણે જાણીએ છીએ કે વિવેચકો પર એવો આરોપ છે કે ક્યારેક મૂળ લેખકે ન ધાર્યું હોય એવા અર્થોનું આરોપણ વિવેચકો કૃતિ પર કરતા હોય છે. ‘એમા’ વિષે પણ આવું થયું હોય એ શક્ય છે. કોઈક વિવેચકે એમાના પાત્રમાં સજાતીયતાનાં લક્ષણો પણ જોયાં છે. મેં આ સર્જન સંબંધે જીવંત શબ્દ હમણાં જ વાપર્યો એ સકારણ છે. ‘એમા’ નવલકથા પરથી એકથી વધારે ચલચિત્રો બન્યાં છે. અને જ્યારે કોઈ પણ કૃતિ પરથી ફિલ્મ બને ત્યારે એ કૃતિમાં કેટલાક સૂક્ષ્મ તો ક્યારેક બહુ સ્થૂળ ફેરફારો થતા હોય છે. ભલે આજે એને આપણે પિરિયડ ફિલ્મના ખાનામાં મૂકીએ, નવલકથાનું ૧૮મી સદીનું નિરૂપણ ૨૧મી સદીના ફિલ્મના પ્રેક્ષકને સદે એ જોવાનું હોય છે. અને એ અર્થમાં હું એને જીવંત કહું છું.

જેઇન ઑસ્ટિનની અઢીસોમી જન્મ જયંતી આ વર્ષે ઉજવાઈ રહી છે અને એમનાં સર્જનોનું સત્ત્વ એવું છે કે એ આવતી સદીઓમાં વાંચતાં અને ચર્ચાતાં રહેશે.

મને લાગે છે કે મને ફાળવેલો સમય મેં પૂરો કર્યો છે. મારી સમજણ અને ક્ષમતા અનુસાર હું જેઇન ઑસ્ટિનને અને એમની નવલકથાઓને જે રીતે સમજી છું એ પ્રમાણે રજૂઆત કરવાનો મારો આ પ્રયત્ન છે. આશા છે કે એ યથાર્થ નીવડ્યો હશે. મને આમંત્રિત કરવા બદલ વિપુલભાઈ અને તમારી સંસ્થાના સર્વનો અને આપ સૌ શ્રોતાઓનો ફરી એક વખત આભાર, સૌને વંદન.

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન

નંદિતા મુનિ|Opinion - Literature|18 June 2025

નંદિતા મુનિ

‘ઈટ ઈઝ અ ટ્રૂથ યુનિવર્સલી ઍક્નોલેજ્ડ’, કે જેઈન ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન ધરાવે છે. આ નવલકથા લેખિકાની પણ પ્રિય કૃતિ હતી, જેને એણે લાડથી ‘માય ઑન ડાર્લિંગ ચાઈલ્ડ’ તરીકે ઉલ્લેખી છે. દુનિયાની ચાલીસથી વધુ ભાષામાં આ કૃતિના અનુવાદો થયા છે, અને મોટા ભાગે એકથી વધારે વાર. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના અનેક ‘સ્પિન-ઑફ્સ’ અને વેરિએશન્‌સ લખાયા જ કરે છે. ‘રિજન્સી રોમાન્સ’ અને ‘એનિમીઝ ટૂ લવર્સ’ જેવા નવલકથાના sub-genresને એણે જન્મ આપ્યો છે. એ જુદા જુદા સ્વરૂપે રંગમંચ પર ભજવાતી રહી છે. અનેક દેશોમાં એને સિનેમાના રૂપેરી પડદે અને ટેલિવિઝનના સ્ક્રીન પર વારંવાર ઉતારવામાં આવી છે. અત્યારે જ નેટફ્લિક્સ દ્વારા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પર આધારિત એક વધુ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે – જો કે જેઇન ઑસ્ટિનની ‘પર્સ્વેશન’ની નેટફ્લિક્સ પર જે દુર્દશા થઈ હતી એ પરથી આ સમાચાર મને ભય્જનક લાગે છે. એની વે, જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી નિમિત્તે, એની આ મને સૌથી પ્રિય નવલકથા વિશે વાત કરવાની આ તક બદલ હું આભાર વ્યક્ત કરું છું.

16 ડિસેમ્બર, 1775માં હેમ્પશાયરના એક પાદરીના કુટુંબમાં જન્મેલી જેઇન 16 વર્ષની ઉંમરથી જ ગંભીરતાથી લખવા લાગી હતી. સાવ પ્રારંભિક તબક્કામાં તો એણે પરિવારના મનોરંજન માટે લખ્યું. 1796માં, એકવીસ વર્ષની વયે એણે પોતાની પહેલી નવલકથા ‘એલેનોર એન્ડ મેરિએન’ લખી નાખી હતી, જે સુધારા-વધારા સાથે 1811માં ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ના નામે પ્રકાશિત થઈ. આ નવલકથા વખણાઈ, એનાથી પ્રોત્સાહિત થઈને જેઇને પોતાની એક અન્ય નવલકથા ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન્સ’માં પણ સુધારા-વધારા કર્યા. એ સમયની એક લોકપ્રિય નવલકથાકાર ફેની બર્નીની નવલકથા ‘સિસિલિયા’ના એક સંવાદ પરથી જેઇને આ નવલકથાને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’નું શીર્ષક આપ્યું. ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન’ને કોઈ પ્રકાશક મળ્યો નહોતો; પણ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ 1813માં લંડનના થોમસ એજર્ટને પ્રગટ કરી. પ્રગટ થયાના કેટલાક મહિનામાં તો એનું પુન:સંસ્કરણ બહાર પાડવું પડ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી એની લોકપ્રિયતાને આંચ આવી નથી.

પહેલાં તો ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના કથાનક પર બહુ ઝડપથી નજર દોડાવી લઈએ.

ઇંગ્લેન્ડના હર્ટફર્ડશાયર પરગણામાં મેરીટન ગામની પાસે ઉચ્ચ મધ્યમ વર્ગના એક જમીનદાર મિ. બેનેટની, લોંગબોર્ન નામની નાનકડી જાગીર  છે. મિ. બેનેટને પાંચ પુત્રીઓ છે; પણ પુત્ર ન હોવાથી તે સમયના સામાન્ય રિવાજ મુજબ એ જાગીર ‘એનટેઈલ’ થયેલી છે. અર્થાત્‌, મિ. બેનેટનું મૃત્યુ થાય તો બધી મિલકત એમના સૌથી નિકટના પુરુષ વારસદાર, દૂરના પિતરાઈ મિ. કોલિન્સને મળે; અને મિસિસ બેનેટ તથા એમની પુત્રીઓ બેઘર બની જાય. આ કારણસર મિસિસ બેનેટનું સૌથી અગત્યનું જીવનધ્યેય એમની પુત્રીઓ માટે સારી આર્થિક સ્થિતિવાળા પતિઓ શોધવાનું છે. એક રીતે જોતાં એમના માટે એ અસ્તિત્વનો સવાલ છે.

આવી પરિસ્થિતિમાં મેરીટન પાસેની એક એસ્ટેટ નેધરફિલ્ડ પાર્કમાં ચાર્લ્સ બિંગલી નામનો એક ધનિક યુવક રહેવા આવે છે; અને ત્યાંથી આ કથાનકની શરૂઆત થાય છે –  It is a truth universally acknowledged, that a single man in possession of a good fortune must be in want of a wife. આ વાક્યએ વિશ્વસાહિત્યના અમર પ્રારંભિક વાક્યોમાં સ્થાન મેળવ્યું છે. જેઇન ઑસ્ટિનની કટાક્ષ સાથે ગાંભીર્યના મિશ્રણવાળી જે આગવી શૈલી છે એ પણ આ પ્રથમ વાક્યથી જ દેખાવા લાગે છે.

મિસિસ બેનેટ આશા સેવે છે, અને પ્રયત્નો પણ કરે છે કે એમની સૌથી મોટી પુત્રી, જે સૌથી સ્વરૂપવાન અને ગુણવાન હોય છે (અને જેનું નામ બાય ધ વે, જેઇન ઑસ્ટિને ‘જેઇન’ જ રાખ્યું છે); એની સાથે મિ. બિંગલીનાં લગ્ન થાય. સરળ, મિલનસાર સ્વભાવનો બિંગલી અને એવા જ સ્વભાવવાળી જેઇન એકબીજાને પસંદ કરવા લાગે છે. પણ બિંગલીની બહેનોને, અને બિંગલીના એક ખાસ મિત્રને આ સંબંધ પસંદ નથી.

મિ. બેનેટની બીજા ક્રમની પુત્રી એલિઝાબેથ કે લિઝી આ નવલકથાની નાયિકા છે. બિંગલીનો અતિધનિક, ખૂબસુરત, ઊંચો, ઉચ્ચ કુળનો, અને અતડાપણાના કારણે અભિમાની દીસતો મિત્ર ફિટ્ઝવિલિયમ ડાર્સી આ નવલકથાનો નાયક છે. ડાર્સી ધીમે ધીમે સુંદર, બુદ્ધિશાળી, સ્વાભિમાની અને રમતિયાળ સ્વભાવની લિઝી પ્રત્યે આકર્ષાવા લાગે છે. પરંતુ પ્રથમ મુલાકાતમાં જ, પોતાની શ્રેષ્ઠતાથી સભાન મિ. ડાર્સીએ પૂર્વગ્રહના કારણે જાણ્યે-અજાણ્યે લિઝીના અભિમાનને ઠેસ પહોંચાડી છે. આથી લિઝીને પણ ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હોય છે. ડાર્સીને લિઝીના કુટુંબની રીતભાત પસંદ નથી. લિઝીની માતાના અસંસ્કારી વર્તનથી પણ ડાર્સી ચીડાય છે. આવાં બધાં કારણોસર ડાર્સી લિઝી પ્રત્યેનું પોતાનું આકર્ષણ ખાળવાના પ્રયત્નો કરે છે. પણ અંતે પ્રેમથી વિવશ થઈને ડાર્સી લિઝીને લગ્નની દરખાસ્ત કરે છે. લિઝી એકથી વધારે કારણોસર એ પ્રણયનિવેદનને ધુત્કારી દે છે. લિઝીના જ શબ્દોમાં, You were the last man in the world whom I could ever be prevailed on to marry! 

આ નકારના કારણો પૈકી એક કારણ એ પણ છે કે બિંગલીને જેઇનથી દૂર કરવામાં ડાર્સીની ભૂમિકા હોવાનું લિઝીએ જાણ્યું છે. બીજી તરફ, પોતાના ઉચ્ચ સામાજિક અને આર્થિક દરજ્જાના કારણે, પોતાને કોઈ ના પણ પાડી શકે એ વાત ડાર્સીની કલ્પના બહારની હોય છે.

ના પાડતી વખતે લિઝીએ ડાર્સી પર કેટલાક સાચા તો કેટલાક ગેરસમજણથી ઊભા થયેલા આક્ષેપો કર્યા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરવા માટે ડાર્સી લિઝીને એક પત્ર લખે છે. એ પત્ર વાંચીને ધીરે ધીરે મિ. ડાર્સી વિશેનો લિઝીનો અભિપ્રાય સુધરવા લાગે છે. બીજી તરફ, લિઝીએ જે આક્ષેપો કર્યા હતા એનું વ્યાજબીપણું ધ્યાનમાં રાખીને ડાર્સી પણ પોતાનું વર્તન સુધારવા લાગે છે.

ફરી એક વાર ડાર્સી અને લિઝીની મુલાકાત થાય છે; ત્યારે એ બન્ને એકબીજાને વધુ સમજી શકે છે અને નિકટ આવવા લાગે છે. પણ એ જ અરસામાં લિઝીની સૌથી નાની અને સ્વચ્છંદી બહેન લિડિયા એક દુષ્ચરિત સૈનિક જ્યોર્જ વિકમની સાથે ભાગી જાય છે. વિકમના પિતા ડાર્સીના કુટુંબના નોકર હતા તથા વિકમ અને ડાર્સી નાનપણમાં મિત્રો હતા; પણ વિકમ નબળું ચારિત્ર્ય ધરાવતો હોય છે, જ્યારે ડાર્સીના નૈતિક ધોરણો ઊંચા હોઈ એ દોસ્તી ટકી શકી નહીં. વળી વિકમે ડાર્સીની નાની બહેન, પંદર વર્ષની જ્યોર્જિઆનાને બહેકાવીને નસાડી જવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરેલો. એ કારણસર આ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ ગઈ હોય છે. લિઝીના મનમાં ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ દૃઢ કરવામાં પણ કેટલાક અંશે વિકમનો ફાળો હોય છે. વિકમ પ્રત્યે નફરત હોવા છતાં, એલિઝાબેથ પ્રત્યેના પ્રેમના કારણે ડાર્સી વિકમને શોધી, સમજાવી, આર્થિક મદદ કરીને લિડિયા અને વિકમનાં લગ્ન કરાવે છે; અને એ રીતે બેનેટ કુટુંબને ભારે સામાજિક નામોશીમાંથી બચાવી લે છે. આ વાતની બેનેટ પરિવારને ખબર હોતી નથી. પરંતુ થોડા સમય પછી લિઝીને અકસ્માતે આ વાતની ખબર પડતાં ડાર્સી વિશેનો એનો સુધરેલો અભિપ્રાય દૃઢ બને છે. લિઝી ડાર્સીને સાચી રીતે ઓળખવા લાગે છે અને પૂર્વગ્રહથી મુક્ત થઈને એના ગુણોની કદર કરતાં શીખે છે.

વિલિયમ શેક્સપિયર ‘ટ્વેલ્ફ્થ નાઈટ’માં લખે છે : Journeys end in lovers’ meeting, every wise man’s son doth know. જેઇન ઑસ્ટિનની આ નવલકથાની સફર પણ એમ જ પૂર્ણ થાય છે : જેઇન બેનેટનાં લગ્ન મિ. બિંગલી સાથે, અને એલિઝાબેથ બેનેટનાં લગ્ન મિ. ડાર્સી સાથે થાય છે. દેશી ભાષામાં કહીએ તો, ઘીના ઠામમાં ઘી પડી રહે છે!

જેઇન ઑસ્ટિન

જેઇન ઑસ્ટિનની નવલકથાઓની વાર્તા, સામાન્ય રીતે આ પ્રકારની  હોય છે : અપરિણિત યુવાનો અને યુવતીઓ સંજોગોવશાત્‌ એક સ્થળે એકઠાં થાય અને પરિચયમાં આવે. પરસ્પર આકર્ષણ જન્મે. સ્પર્ધા, ગેરસમજણો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિત્વમાં રહેલી ભિન્નતાઓ વગેરે જેવાં પરિબળો એમને દૂર રાખવામાં કારણભૂત બને. આ બધાં સંજોગોના કારણે એક બહુ મહત્ત્વનો મુદ્દાનું આલેખન શક્ય બને છે – અને એ છે પાત્રોનો આંતરિક વિકાસ. એ વિકાસ થઈ રહ્યા પછી, એ માટે નિમિત્તરૂપ બનેલા સંજોગો બદલાયા હોય કે ન બદલાયા હોય, આ બદલાયેલાં નાયક અને નાયિકા એકબીજાને સ્વીકારતા હોય છે. હું દૃઢતાપૂર્વક માનું છું કે જે વાચકો જેઇનનાં પુસ્તકોનું ઊંડાણપૂર્વકનું વાચન કરતા નથી અને એની નવલકથાઓને છેલ્લે લગ્નમાં પરિણમતી હોય એવી પ્રણયકથાઓ માત્ર માને છે; એ વાચકો પાત્રોના નિરૂપણમાં માનસશાસ્ત્રીય સત્ય આલેખવાની જેઇનની જે અદ્ભુત કુશળતા છે, એનો રસ માણવામાંથી વંચિત રહે છે. ઉપરછલ્લી રીતે સામાન્ય અને એકવિધ લાગતા આ પ્લોટને ધ્યાનથી – વિધાઊટ પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ – વાંચવામાં આવે તો જેઇન ઑસ્ટિનની પ્રતિભાનો સાચો પરિચય મળી શકે છે.

પાત્રોના આંતરિક વિકાસનું નિરૂપણ આમ જેઇનની લાક્ષણિકતા છે, અને એની બીજી કોઈ પણ નવલકથા કરતાં આ તત્ત્વ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સૌથી વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ‘એમ્મા’ને જોઈએ તો એમાં નાયિકા એમ્મા વૂડહાઉસનો આંતરિક વિકાસ થાય છે, પણ નાયક મિ. નાઈટલી પ્રથમથી જે છે તે જ રહે છે. બીજી તરફ, ‘મેન્સફિલ્ડ પાર્ક’ જોઇએ તો એની નાયિકા ફેની પ્રાઈસનો આવો વિકાસ નથી નિરૂપાયો, અને નાયક એડમન્ડ બર્ટ્રામમાં પરિવર્તન આવે છે, પણ એ પરિવર્તન આંશિક છે. જ્યારે ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં નાયક અને નાયિકા, બન્ને વિકાસ પામે છે: બન્ને પોતાના અભિમાનનો ત્યાગ પણ કરે છે, અને પૂર્વગ્રહોનો પણ.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ‘પ્રાઈડ’ને મિ. ડાર્સી સાથે જોડવામાં આવે છે અને પૂર્વગ્રહને એલિઝાબેથ સાથે. પણ હકીકતે તો આ બન્ને વસ્તુ બન્નેમાં ઓછા-વત્તા અંશે રહેલી છે. ડાર્સીને સ્વાભાવિક રીતે જ એના ધનના કારણે એની તરફ આકર્ષાતી કન્યાઓ અને એમની માતાઓ પ્રત્યે પૂર્વગ્રહ છે. બીજી તરફ. લિઝીમાં પણ અભિમાન કહો તો અભિમાન, અને આત્મગૌરવ કહો તો તે, રહેલું છે. જ્યારે લિઝીની સખી મિસ લ્યુકસ એને કહે છે કે ડાર્સીનું વ્યક્તિત્વ, આર્થિક સ્થિતિ, અને સામાજિક દરજ્જો જોતાં એનામાં અભિમાન હોય એ ક્ષમ્ય નહિ તો પણ, સ્વાભાવિક તો છે જ; ત્યારે લિઝી એ વાત સાથે સંમત થાય છે, પણ ઉમેરે છે કે : ‘I could easily forgive his pride, if he had not mortified mine.’

જેઇન ઑસ્ટિનને લિઝી બેનેટનું પાત્ર પ્રિય હતું. એક પત્રમાં એ લિઝીને ‘As delightful a creature as ever appeared in print’ તરીકે ઓળખાવે છે. એ વાત સાથે સંમત થવું જ પડે. લિઝી ચંચળ, બુદ્ધિશાળી, વિનોદી, સ્પષ્ટવક્તા, અને આત્મવિશ્વાસ ધરાવતી વીસ વર્ષની યુવતી છે. એન્ટેઇલના કારણે ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં, એ માત્ર આર્થિક અને સામાજિક સુરક્ષા ખાતર લગ્ન કરવાનું સ્વીકારતી નથી, જે હકીકત એને એ યુગના સંદર્ભે વિશિષ્ટ અને મૌલિક અભિગમવાળી બનાવે છે. પૈસા કરતાં લિઝી નૈતિકતા તેમ જ પોતાની વૈયક્તિક સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપે છે. પ્રેમ, આદર, અને સમાનતાવાળા લગ્નની ઈચ્છા રાખતી લિઝી પ્રચલિત પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓને અવગણવાનું સાહસ ધરાવે છે. વળી વિરોધ સહન કરીને પણ એ પોતાને જે સાચું લાગતું હોય એને વળગી રહે છે. આ કારણે લિઝીને  એક ‘પ્રોટો-ફેમિનિસ્ટ આઈકન’ માનવામાં આવે છે તે યોગ્ય જ છે.

એ જ રીતે, ફિટ્ઝવિલિયમ ડાર્સી એક proto-feminist romantic hero છે, અને એની અત્યાર સુધીની અદ્દભુત લોકપ્રિયતાનું એ જ રહસ્ય છે! શરૂઆતના અભિમાની અતડાપણાને ત્યજીને ડાર્સી એલિઝાબેથના અભિપ્રાયને સમજી, મહત્ત્વ આપીને પોતાનામાં આવશ્યક પરિવર્તન લાવે છે. પહેલી વાર એ લગ્નની દરખાસ્ત કરે છે ત્યારે એ એલિઝાબેથને ચાહે છે, પણ લિઝી પ્રત્યે એને આદરની ભાવના નથી હોતી. ધીમે ધીમે લિઝીની અસરથી ડાર્સીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અત્યારની માનસશાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ડાર્સી ‘ઈમોશનલ ઈન્ટેલિજન્સ’ શીખે છે. એ પોતે એલિઝાબેથને કહે છે કે મને બચપણથી નીતિમત્તાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવવામાં આવ્યું, પરંતુ અન્ય વ્યક્તિઓ પ્રત્યે તુચ્છકારને બદલે આદરથી જોવાનું તેં મને શીખવ્યું. એલિઝાબેથના સ્વતંત્ર વિચારો અને અરૂઢિગત વર્તનને પસંદ કરતો, ચીલાચાલુ લગ્નને સ્થાને પ્રેમ, સમાનતા, અને પરસ્પર આદરવાળા લગ્નને પસંદ કરતો ડાર્સી કઈ સ્ત્રીને ન ગમી જાય?

અન્ય પાત્રોની બહુ વિગતમાં જવાનો સમય આપણી પાસે નથી એટલે હું એટલા ઉલ્લેખથી સંતોષ માનું છું, કે જેઇન ઑસ્ટિન મુખ્ય પાત્રોના જે જે લક્ષણો નિરૂપે છે, એ લક્ષણો અન્યથા કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ગૌણ પાત્રો દ્વારા એણે આબાદ બતાવ્યું છે. જેમ કે, ચંચળતા અને મનસ્વિતા લિઝીમાં પણ છે અને લિડિયામાં પણ; પરંતુ લિઝીની નૈતિકતા અને બુદ્ધિના અભાવે લિડિયા વગર વિચાર્યે વિકમ સાથે ભાગી જવામાં અને લગ્ન કર્યા વગર એની સાથે રહેવા લાગવામાં ખચકાટ અનુભવતી નથી. એ જ રીતે, ડાર્સી જેવી બુદ્ધિ, ગુણો, અને ખુલ્લા મનના અભાવમાં અભિમાન કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ડાર્સીની માસી લેડી કેથરિન ડી બર્ગનું પાત્ર દર્શાવે છે. લિઝીની મિત્ર મિસ લ્યુકસ આર્થિક અને સામાજિક સલામતી મેળવવા માટે પારસ્પરિક પ્રેમ અને આદર વગરનાં લગ્ન સ્વીકારી લે છે, જે લિઝીથી વિરોધાભાસી નિર્ણય છે અને લિઝીના સાહસને ઉજાગર કરે છે. વળી લગ્ન વિષયમાં લાગણી કરતાં આર્થિક બાબતને આપવામાં આવતું મહત્ત્વ સ્ત્રીઓ પૂરતું જ મર્યાદિત નથી. સ્ત્રીઓની જેમ મજબૂર ન હોવા છતાં તત્કાલીન સમાજમાં પુરુષો પણ મોટા ભાગે પ્રેમના સ્થાને ધનને મહત્ત્વ આપતા દેખાય છે. જેમ કે ડાર્સીનો કઝિન કર્નલ ફિટ્ઝવિલિયમ ઉમરાવ કુટુંબનો છે, પણ બીજા ક્રમનો પુત્ર હોવાથી એ ધનિક સ્ત્રી પસંદ કરશે- લિઝી પ્રત્યે ખૂબ આકર્ષણ હોવા છતાં. જ્યારે નાયક અને નાયિકા બન્ને લગ્નને માત્ર સામાજિક કે આર્થિક સુરક્ષાના સ્રોત તરીકે ન જોતાં, વ્યક્તિગત ખુશી અને વિકાસનો સ્રોત પણ માને છે, જે એમને વિશિષ્ટ બનાવે છે.

તત્કાલીન આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂના સંદર્ભે લગ્ન અને પ્રેમ – આ મુખ્ય વિષય ઉપરાંત જેઇને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સામાજિક વર્ગભેદ અને પ્રતિષ્ઠા, પારિવારિક સંબંધો અને એની જે-તે પાત્રના નિર્ણયો પરની અસર, નૈતિક મૂલ્યો, જેંડર અને સમાજ, પસંદગીનો અધિકાર અને વૈયક્તિક સુખ, વ્યક્તિગત વિકાસ અને સ્વબોધનું મહત્ત્વ, એ સ્વબોધ દ્વારા વ્યક્તિત્વની વધુ પરિપૂર્ણતા તરફની ગતિ – આવા અનેક ગૌણ વિષયોને પણ વણી લીધા છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પ્રણયકથા કરતાં પણ, વધુ તો એક મોરલ કૉમેડી છે એમ કહેવું યોગ્ય છે. અને આ તમામ વિષયો, જેઇને એ સમય સુધી લખાતી રહેલી નવલકથાઓની જેમ લાંબા ઉપદેશોથી કે મેલોડ્રામાથી કે ગળે ન ઉતરે એવી ઘટનાઓથી નથી આલેખ્યા. જેઇનની પ્રતિભા છે કે આ બધા વિષયો સાવ સ્વાભાવિક રીતે, શક્ય હોઈ જ શકે એવી ઘટનાઓથી, સ્વાભાવિક સંવાદો વડે, અને ખાસ તો પાત્રોના વર્તનથી અને એ વર્તનના પરિણામોથી બતાવાયા છે.

શેક્સપિયરમાં એવી સર્ગશક્તિ હતી કે એ દરેક પાત્રને પોતાનું આગવું, પોતીકું, સંપૂર્ણ વ્યક્તિત્વ આપી શકતો – પછી એ કોઈ મુખ્ય પાત્ર હોય, કે એકાદ વાક્ય બોલીને ફરી ક્યારે ય તખ્તા પર ન ડોકાતું અતિ ગૌણ પાત્ર હોય. શેક્સપિયરની જેમ જેઇન પણ પાત્રાલેખનની આવી સિદ્ધિ ધરાવે છે. આથી જ વિવેચક હેરલ્ડ બ્લૂમે એને ‘The most Shakespearean Novelist’ તરીકે ઓળખાવી છે. જેઇન પોતે પોતાના કામને ‘A little bit of ivory, two inches long, on which I work with so fine a brush with much labour’ – એ રીતે વર્ણવે છે. જેઇનની નવલકથાઓમાં દેખીતી રીતે વિષયોના વ્યાપ કે વૈવિધ્યનો અભાવ લાગે – પરંતુ એમાં માનવનું અને એના ચિત્તવ્યાપારોનું વૈવિધ્ય અનેરું છે. ‘હાથીદાંતના બે ઈંચના ટુકડા’ પર એણે ‘સો ફાઈન અ બ્રશ’ થી ઊભી કરેલી સૃષ્ટિ વિશાળ છે, અનવદ્ય છે અને અમર છે.

આભાર.

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]

e.mail : nandita.muni@gmail.com 

Loading

ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 June 2025

આ તો ગામ પોતે જ જાણે કે શાળા! ને હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે

પ્રકાશ ન. શાહ

એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે … ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, તેવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે … માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.

માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? 1977-78માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડા પ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.

નાનભાઈ ભટ્ટ

બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઇતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા : બાકી, પ્રોફેરસ નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન્‌ નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત. અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રોફેસર સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે. વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન્‌ નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા : લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી.

કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા. એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા. દર્શક અને સાથીઓ સંગાથે 1938થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. 

એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાં ય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.

હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદ્દગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા.

સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો. 1977-78ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં – અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપને ય શીખવવાનું ન ભૂલશો. બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું. એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ.

ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદ્દતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો … ગામ પોતે જ જાણે કે શાળા!

હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 જૂન 2025

Loading

...102030...108109110111...120130140...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved