સંસદમાં સત્તાપક્ષ ને વિપક્ષે પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો
ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરના ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ૨૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ સંસદમાં દ્વિદિવસીય ચર્ચા આરંભાઈ. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભામાં નાણાં મંત્રી અરુણ જેટલીએ બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાને નામે કરેલાં ભાષણની શબ્દશઃ નોંધ વાંચતાં ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવું જ અનુભવાતું હતું. વડાપ્રધાન મોદીએ ભારતીય વિચારને કાવ્યશૈલીમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો અને રાજનાથ-જેટલીથી વિપરીત રાજકીય ટીકાટિપ્પણીને બદલે પરિપક્વ ભાષણમાં વિપક્ષને પણ સાથે લેવાની કોશિશ કરી.
બ્રિટિશ ઇન્ડિયાને ભારત અને પાકિસ્તાન બે સંઘમાં વિભાજિત કરવાની અને દેશી રજવાડાંને બેમાંથી એક સંઘની સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવાની લોર્ડ માઉન્ટબેટન યોજના ૩ જૂન ૧૯૪૭ના રોજ જાહેર થઈ. ત્યાર પછી કુલ ૩૮૯ સભ્યોની બંધારણસભા અસ્તિત્વમાં આવી, પરંતુ પાકિસ્તાનની અલગ બંધારણસભા હિંદુ દલિત નેતા જોગેન્દ્રનાથ મંડળના અધ્યક્ષપદ હેઠળમાં બનતાં ભારતીય બંધારણસભા ૨૯૯ સભ્યોની જ રહી. પ્રારંભમાં ડૉ. સચ્ચિદાનંદ સિંહાના હંગામી વડપણ હેઠળની બંધારણસભાએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષપદે ચૂંટ્યા.
૯ ડિસેમ્બર, ૧૯૪૬થી ૨૬ નવેમ્બર, ૧૯૪૯ દરમિયાન ભારતીય બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કરાયું. એટલે ૨૬ નવેમ્બરને પ્રજાસત્તાક રાષ્ટ્રના ‘બંધારણ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. એ દિવસે મંજૂર થયેલા ભારતીય બંધારણનો અમલ ૨૬ જન્યુઆરી ૧૯૫૦થી કરવાનો સંકલ્પ થયો. એટલે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ ગણવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આચાર્ય જે.બી. કૃપલાણી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમતી સરોજિની નાયડુ, હરેકૃષ્ણ મેહતાબ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી, સરતચંદ્ર બોઝ, સી. રાજગોપાલાચારી, અસફઅલી, ક.મા. મુનશી, કે.ટી. શાહ સહિતના અનેક મહાનુભાવોએ બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના એ વેળાના સામ્યવાદી નેતાઓ અને ડૉ. રામમનોહર લોહિયાના નેતૃૃત્વવાળા સમાજવાદીઓએ બંધારણસભાનો બહિષ્કાર કર્યો હતો.
બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ભણી આદરભાવ વ્યક્ત કરીને દેશની પ્રજામાં પોતાના રાજકીય પ્રભાવને વિસ્તારવાની કોશિશથી વિશેષ દ્વિદિવસીય ચર્ચાનું સ્તર ઝાઝું અભ્યાસપૂર્ણ હોય એવું લાગ્યું નહીં. બંધારણના આત્માના જતનને બદલે ‘સૅક્યુલર’ના અર્થઘટન અને સહિષ્ણુતા-અસહિષ્ણુતા પૂરતી જ ચર્ચા જાણે કે સીમિત રહી. સત્તારૂઢ મોરચા અને વિપક્ષી મોરચા તેમ જ સામ્યવાદી – માર્ક્સવાદીઓ વચ્ચે રકઝક થતી વધુ જોવા મળી. ભાજપના પ્રધાનો અને વિપક્ષ કૉંગ્રેસના આગેવાનો બાલસહજભાવથી જાણે કે ’તમે બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કાં કરો?’ કે ‘કોંગ્રેસે બાબાસાહેબની ક્ષમતા સૌ પ્રથમ પીછાણી’ કે પછી ‘તમે મોરારજીભાઈ દેસાઈનું નામ લ્યો છો, પણ પંડિત જવાહરલાલ નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા નથી’- આવી ચર્ચા સંસદનાં બંને ગૃહોની ગરિમાને કેટલી અનુરૂપ ગણાય, એનું ચિંતન પરિપક્વ થતી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિચારણીય મુદ્દો બની જાય છે.
ચર્ચા ઘણી થઈ. રાજ્યસભા અને લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર ચર્ચાની રાતે જ મૂકાતી શબ્દશઃ ડિબેટમાં ખૂટતું લાગ્યું એ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સચ્ચાઈભર્યું વિરાટ વ્યક્તિત્વ. સત્તાપક્ષ નેે વિપક્ષે પ્રજ્ઞાચક્ષુઓની દૃષ્ટિએ હાથીનું વર્ણન થાય, એમ પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. ડૉ. ભીમરાવ આંબેડકરના બહુમુખી વ્યક્તિત્વ ભણી સદ્ભાવ વ્યક્ત કરવાની સાથે બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાની ચર્ચામાં બંધારણ ઘડનારી સમિતિના બીજા સભ્યો ક.મા. મુનશી, અલાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલસ્વામી આયંગાર, મોહમ્મદ સાદુલ્લાહ અને બી.એલ. મિત્તર કે માધવરાવ કે પછી સર બેનેગલ નરસિંહ રાવ તથા ટી.ટી. કૃષ્ણામાચારી જેવા સલાહકાર કે સમિતિ સભ્યોના યોગદાનના ઉલ્લેખનો અભાવ કઠ્યો. પંડિત નેહરુ અને સરદાર પટેલના યોગદાનના વિશદ ઉલ્લેખ પણ ઝાઝા થયા નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણાવીને, નેશન ફર્સ્ટનો આલાપ રજૂ કરી બંધારણ અને એની પવિત્રતા જાળવવાની અને કોઈ ફેરફાર નહીં કરવાની ખાતરી આપી, ત્યારે હજુ થોડાંક વર્ષો પહેલાં ભાજપના વડપણવાળી અટલ બિહારી વાજપેયીની સરકારે પૂર્વ મુખ્ય ન્યાધીશ એમ. વેૅંકટચલૈયાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા પંચ નિયુક્ત કર્યું હતું એ વાતને અનુકૂળતાએ બધાએ વિસારે પાડી. ડૉ. આંબેડકરરચિત ભારતીય બંધારણને ફગાવી દેવા એ દિવસોમાં આચરવામાં આવેલી ઝુંબેશ અને કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને વિપક્ષી નેતા પદેથી દૂર કરવાના ઇરાદા ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હોદ્દે એ આવી જાય નહીં એવી ગણતરીથી બંધારણ સમીક્ષા હાથ ધરવામાં આવ્યાની હકીકતને ભૂલી શકાય નહીં. જો કે સમીક્ષા પંચે જ એ ઇરાદાઓને ફગાવી દીધા હતા, પણ સંસદની તાજી ચર્ચામાં એનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો ત્યારે સત્તામોરચા અને વિપક્ષી મોરચા વચ્ચે ફ્રેંડલી મેચ રમાતી હોય એવું વધુ લાગ્યું.
વર્ષ ૧૯૪૦માં જ ‘પાકિસ્તાન ઑર ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ લખીને અલગ પાકિસ્તાન માટેની મોહમ્મદઅલી ઝીણાની માગણીના સમર્થનમાં પ્રભાવી તર્ક રજૂ કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ અંગેના વિચારોનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો. સ્વતંત્રતા પછી પણ ૧૯૫૧-’૫૨થી લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ ડિપ્રેસ્ડ ક્લાસીસ ફેડરેશનના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાનું સમર્થન વ્યક્ત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની વાત થઇ જ નહીં. સંસદમાં આ વખતની ચર્ચા ચાલતી હતી ત્યારે જ ‘લાઇન ઑફ કંટ્રોલ’ને આંતરરાષ્ટ્રીય સરહદ જ માની લેવાના ટેકામાં રાજ્યસભાના સભ્ય અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાના કથિત કથન અંગે ભાજપી નેતાઓ ઊહાપોહ મચાવે છે. બધા પોતાની અનુકૂળતા મુજબ વાત કરવા ટેવાયેલા છે. ડૉ. ફારુકે તો વડાપ્રધાન વાજપેયીની પાકિસ્તાન મુલાકાત ટાણે ઇસ્લામાબાદને તેમણે કરેલી દરખાસ્તની વાત ટાંકી વિવાદનો નવો મધપૂડો છંછેડયો છે.
સત્તારૂઢ ભાજપ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેમ જ સંઘ પરિવારના અનેક આગેવાનો ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે ત્યારે ડૉ. આંબેડકરે નોંધેલા શબ્દોનું સંસદમાં સ્મરણ કરાવવાનું વિપક્ષના પ્રબુદ્ધ અગ્રણીઓ પણ ચુક્યા, એને ઐતિહાસિક ભૂલ ગણવી કે રાષ્ટ્રદ્રોહ? ડૉ. આંબેડકરના શબ્દો હતાઃ ‘આપણે કોઈપણ ભોગે આ દેશને હિંદુરાજ બનતાં અટકાવવાની જરૂર છે.’ સરદાર પટેલ પણ ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાના ખ્યાલનો ‘પાગલોં કા ખયાલ’ ગણાવતા હતા, એ વાતને પણ રખે આપણે વીસારે પાડીએ.
સૌજન્ય : ‘સગવડવાદ’, “દિવ્ય ભાસ્કર”, Dec 02, 2015