ગુજરાત પોલીસ અને સત્તા પાર્ટી કેવળ બચાવની ભૂમિકાએ ન રહેતાં ગૌરવમંડિત ગર્જનતર્જનમાં રાચે છે
હરિનામની હેડકીની ધર્મભૂમિ ભારતવર્ષને નવાઈ નથી. માત્ર, આ દિવસોમાં આપણા રાજકારણમાં ઉપડેલી હેડકી હેડલી નામની છે. આ હેડલી પણ કમાલની જણસ છે. વિભક્ત, વિભન્ન વ્યક્તિત્વો અને વિક્ષિપ્ત માનસનો એ મનોવૈજ્ઞાનિક તપાસનો કેસ છે. 26/11(મુંબઈ)ની વીડિયો જુબાનીમાં કસાબ અને બિરિયાનીએ ખ્યાત ઉજ્જવલ નિકમની ઉલટ તપાસમાં એણે ‘મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન’ની (આપણી ન્યાય પ્રણાલિમાં અમાન્ય) પદ્ધતિએ ઈશરત જહાંનો ઉલ્લેખ લશ્કર-ઇ-તોઇબા સાથે સંકળાયેલ આત્મઘાતી તરીકે કર્યો ન કર્યો ત્યાં તો હાલના સત્તાપક્ષના સૌ કૉંન્ગ્રેસ, સામ્યવાદીઓ અને બીજાઓ પર સહસા તૂટી પડ્યા: સોનિયા ગાંધી, માફી માગો! આમ કહેનારા કને હવાલાનો હવાલો હાલ તો એક ને એક, એટલે કે હેડલી અને હેડલી જ છે.
જરી સબૂરીથી વિચારીએ તો પહેલું તો એ સમજાય છે કે 26/11ના સંદર્ભમાં, અમદાવાદમાં થયેલી ઈશરત ઘટનાને ‘મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન’ની રીતે ખેંચી લાવવાનું ખાસું દૂરાકૃષ્ટ જેવું છે, અને હેડલીએ ઈશરતનું નામ પાછું કોઈ પ્રત્યક્ષ સાક્ષીની રીતે નહીં પણ વાયા વાયા લીધું છે. એટલે ધારાશાસ્ત્રી (અને પાછા પદ્મશ્રી) નિકમે જાણતે અજાણતે સત્તાપક્ષને કશીક સોઈ કરી આપવાનું બન્યું છે. જો કે, સત્તાપક્ષને મળી રહેલી આ શોર સવલત છતાં, એક વિગત ખસૂસ નોંધવી જોઈએ કે અગાઉ પણ હેડલીએ ઈશરત જહાંનું નામ લીધું હતું અને તે વખતની યુપીએ સરકારે એ બાબતમાં વિશેષ તપાસ કરવાપણું જોયું નહોતું – અને એ રીતે આજના દિવસોમાં એને અંગે ‘ઈરાદા’નો મુદ્દો જરૂર ઊભો થાય છે. ઈરાદાના મુદ્દાને અલબત્ત ઊભો જ રાખીએ, અને એક પાયાનું વલણ દોહરાવીએ તેમ જ ઘૂંટીએ કે યુપીએ હો અગર એનડીએ, શુચિર્દક્ષ સરકાર માત્ર આવા હર સગડનો તાગ મેળવે તે અપેક્ષિત છે. સવાલ સરકારના સરકારપણાનો છે. આ એ જ સવાલ છે જે 2002ના સંદર્ભમાં આપણે સૌ ગુજરાત સરકાર વિશે ઉઠાવતા રહ્યા છીએ.
હેડલી નામની હેડકી સબબ આટલાં પ્રાસ્તાવિક વચનો અને આરંભિક ઉદ્રેક આછર્યાં પછી ઊભો થતો બીજો સવાલ કદાચ વધુ પાયાનો છે. અને તે એ કે ઈશરત જહાંના ‘ફેક એન્કાઉન્ટર’નું શું કરીશું. હેડલી કહે છે તેમ એને આત્મઘાતી આતંકવાદી તરીકે સ્વીકાર્યા પછી પણ આ પ્રશ્ન ઉત્તર અને આનુષંગિક તપાસ માગી લે છે તે માગી જ લે છે. ઈશરત કથિત નિર્દોષતાના મુદ્દાને બાજુએ રાખીએ તો પણ ગુજરાત હાઇકોર્ટે નીમેલ સ્પેિશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સિટ)નું એ તારણ તો અકાટ્યપણે ઊભું અને ઊભું જ છે કે ગુજરાત પોલીસે એને ગેરકાનૂની કસ્ટડીમાં લઈ પ્રાયોજિત ઍન્કાઉન્ટરનો બેત પાર પાડ્યો હતો. એટલું જ નહીં પણ જે ગોળી વહેવાર અને હથિયારવિનિયોગ થયાનો પોલીસદાવો હતો એ બંને વચ્ચે કોઈ જ મેળ પડતો નહોતો એવું પણ અવલોકન સદરહું સિટનું હતું.
મુદ્દે, ગોધરા-અનુગોધરા દિવસોના હિંસ્રકાંડને અંગે ગુજરાતમાં ચાલેલ નકો નકો તપાસને સર્વોચ્ચ અદાલત થકી કંઈક બ્રેક વાગી હોય અને ગુજરાત બહાર કેસો ચલાવાયા તેમ જ નવેસર ઉઘાડ્યા પછી ગુજરાત સિવાયનાં રાજ્યોને મુકાબલે કશીક નોંધપાત્ર કાનૂની કારવાઈ શક્ય બની હોય તો પણ મનોજ મિટ્ટા જેને ‘ફિક્શન ઑફ ફૅક્ટ-ફાઇન્ડિંગ’ કહે છે એનું પ્રમાણ ખાસું બધું છે. વસ્તુત: ‘રુલ ઑફ લૉ’ અગર તો કાયદાના શાસનની કસોટીએ યુપીએ એનડીએ સઘળી સરકારોનો ટ્રૅકરેકોર્ડ કાબિલે તપાસ રહ્યો છે. આ લખું છું ત્યારે 2013નો એક અભ્યાસ સાંભરે છે કે એના આગલાં ચાર વરસના ગાળામાં દેશમાં 555 જેટલાં નકલી ઍન્કાઉન્ટરો નોંધાયા હતાં, જેમાં ગુજરાતનો ક્રમ તો છે ક પાછળ આવતો હતો.
નક્સલ પ્રભાવિત લેખાંતા રાજ્યો અને ઈશાન ભારતનાં રાજ્યો એમાં મોખરે હતાં. ઘણુંખરું સ્વૈચ્છિક નાગરિક ઝુંબેશ અને માનવ અધિકાર પંચના પ્રવેશ પછી આની વિગતો પણ બહાર આવતી રહી છે. ઊહાપોહ થતો રહે છે, અને પોતાનું ચાલે ત્યાં સુધી હર પક્ષની સરકાર તે ખાસ ગણકારતી નથી. બધે જ ઍન્કાઉન્ટરો થાય છે, થયાં કરે છે તો માત્ર અમારી પાછળ જ કેમ પડી ગયા છો, એ ગુજરાત સરકારનો ‘બચાવ’ કહો તો ‘બચાવ’ અને ‘વળત ઘા’ કહો તો, ‘વળતો ઘા’ રહ્યો છે. માત્ર, બીજાઓ ચોરીછિનાળાં કરે છે એ આપણાં ચોરીછિનાળાંનો પ્રામાણિક બચાવ નથી એટલી સાદી સુધબુધ છેલ્લાં વરસોમાં ગુજરાતની ભાજપ સરકારને તેમ રાજ્યના રાજકીય અગ્રવર્ગના ખાસા હિસ્સાને રહી નથી એ હકીકત છે.
વાત માત્ર આટલી જ નથી. નકલી ઍન્કાઉન્ટરોમાં ઠીક ઠીક પાછળ અને કેસતપાસ ઉર્ફે કલ્પનાવિલાસમાં ઠીક ઠીક આગળ એવી ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને ગુજરાતની સત્તા પાર્ટી કેવળ બચાવની ભૂમિકાએ ન રહેતાં ગૌરવમંડિત ગર્જનતર્જનમાં રાચે છે. જેમનાં ઍન્કાઉન્ટર કરાયાં તે બધા આતંકવાદીઓ હતા અને રાજ્યના સત્તાપક્ષના મુખ્ય માણસો (જેમ કે નરેન્દ્ર મોદી/અમિત શાહ: એમના નિશાન પર હતા, એવું હંમેશાં કહેવામાં આવ્યું છે. સોરાબુદ્દીન વગેરે ક્લાસિક દાખલા આ સંદર્ભમાં સામે આવે છે. રાજ્ય સરકારે સોરાબુદ્દીન માર્યા ગયા અંગે વિધાનગૃહમાં માહિતી આપતી વખતે એ આતંકવાદી હોવાનો દાવો કર્યો નહોતો. સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદપૂર્વક એમ પણ કહ્યુંકબૂલ્યું હતું કે સોરાબુદ્દીન મોત નકલી ઍન્કાઉન્ટરમાં નિપજાવાયું છે. પણ ગૃહની બહાર ગાઈવગાડીને એને આતંકવાદી જાહેર કરાયો અને આવાં અનેક ઍન્કાઉન્ટરો બદલ વણજારા સહિતની ગુજરાત પોલીસનું ગૌરવમંડન કરવામાં આવ્યું. જામીનધન્ય પોલીસ અધિકારી અને જામીનધન્ય પક્ષનેતા ગુજરાત મોડેલની વિશેષતારૂપે ઉભર્યાં. આને શું કહીશું, સિવાય કે રાષ્ટ્રભક્તિની રોકડી!
નેહરુપટેલના વખતમાંયે નકલી ઍન્કાઉન્ટરો નહીં થયાં હોય એમ નથી. પણ મુખ્યમંત્રીઓ જોગ વડાપ્રધાનના નિયમિત પત્રોમાં તમે એ અંગે નેહરુની નારાજગી અને મંથનના સંકેતો ભલે કોકરવરણા તો કોકરવરણા પણ જોઈ તો શકો છો. અરે, ગૌરવયાત્રા રૂપે મહિમામંડન તો 1984ના શીખ સંહાર પછી પણ જોવા મળ્યું નથી. બને કે આ ચર્ચા કોઈને ‘ગડે મુર્દે’ જેવી લાગે. બને કે આ ચર્ચા કોઈને એના એ ચર્વિતચર્વણ જેવી લાગે. પણ લોકશાહી રાહે સ્વરાજનિર્માણનો રાજપથ અને જનપથ આ સિવાયના હોઈ શકતા નથી. છેલ્લાં પંદર વરસમાં ગુજરાતની પ્રજાસૂય વિશેષતા રાજ્ય સરકારને ચોક્કસ વિપથગમનથી એળે નહીં તો બેળે રોકવાની કોશિશની રહી છે. અહીં પીઢ બનેલું નેતૃત્વ હવે કથિત ગુજરાત મોડેલની હવા બનાવી દિલ્હી પહોંચ્યું છે ત્યારે ઉમેદ રહે છે કે અહીં ‘એળે નહીં તો બેળે’ની જે તાલીમ એને મળી એનો એ રાષ્ટ્રીય સ્તરે વિનિયોગ કરી જાણશે.
હેડલીની સગડ જરૂર દબાવો – માત્ર, ઘરઆંગણે તપાસનાં ધોરણોને જરી જાતતપાસનો લાભ આપો તો બસ.
સૌજન્ય : ‘કલ્પનાવિલાસ’, “દિવ્ય ભાસ્કર”, 13 ફેબ્રુઆરી 2016