દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો કાયદાનો ડર ઊભો થયો છે.
અમલના એક દાયકાને વળોટી ચૂકેલો માહિતીના અધિકારનો કાનૂન લોકશાહીને સાર્થક કરતું કદમ કે બીજી આઝાદી તરીકે બિરદાવાઈ રહ્યો છે. ભારતના બંધારણે તો નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા, પણ વહીવટીતંત્રની લાલફીતાશાહી લોકોને સામાન્ય માહિતી પણ આપતી નહોતી. શાયદ એટલે જ ભારતમાં રાજસ્થાનથી માહિતી અધિકારનું સશક્ત આંદોલન ઉપાડનાર અરૂણા રોય 2005ના માહિતી અધિકારના કાયદાને ‘જીવવાનો અને જાણવાનો હક’ ગણાવે છે. માહિતીના અધિકારનો દેશ અને દુનિયામાં દીર્ઘ ઇતિહાસ છે. આજથી અઢીસો વરસ પૂર્વે ઈ.સ. 1766માં પ્રથમવાર સ્વીડને માહિતી અધિકારનો કાયદો ઘડ્યો હતો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા, ક્વીન્સલેન્ડ સહિતના 100 જેટલા દેશોમાં એના નાગરિકોને માહિતીનો અધિકાર મળેલો છે. ભારતનો માહિતી અધિકાર કાયદો દક્ષિણ એશિયાના દેશોમાં સહુથી બહેતર છે. ભારતમાં 1952માં પહેલી પ્રેસ પરિષદે વહીવટમાં પારદર્શિતા માટે સૂચન કર્યું હતું. 1977માં કટોકટી પછી સત્તામાં આવેલા જનતા પક્ષે માહિતી અધિકાર કાયદાનું વચન આપ્યું હતું પણ તેના અસ્થિર અને ટૂંકા સત્તાકાળમાં કાયદો બનાવી શકાયો નહીં. ભારતમાં માહિતી અધિકાર માટેના સહુથી નિષ્ઠાવાન પ્રયત્નો 1989માં વી.પી. સિંઘે એમના પ્રધાનમંત્રીત્વકાળમાં કર્યા હતા. 2005ના કેન્દ્રીય માહિતી અધિકાર કાયદા પૂર્વે દેશમાં તમિલનાડુ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, અસમ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કશ્મીર એ રાજ્યોમાં માહિતી અધિકારના કાયદા કે નિયમો અમલમાં હતા.
અંગ્રેજોના જમાનાનો 1923નો ઓફિશ્યલ સિક્રેટ એક્ટ આઝાદ ભારતમાં પણ અમલમાં હતો અને તે માહિતીના અધિકાર માટે સહુથી મોટો અવરોધ હતો. આ ગોપનીયતા કાનૂન મારફતે સરકારો માહિતી છૂપાવતી રહેતી હોય છે અને લોકોને ગુમરાહ કરે છે. વહીવટની પારદર્શિતા અને ખૂલ્લાપણાનો લોકોને અહેસાસ થાય તે માટે લાંબા સંઘર્ષો બાદ 12મી ઓક્ટોબર 2005થી અમલી બનેલા રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ઉદ્દેશ, ‘સરકારી તંત્રની કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાનો’ ગણાવાયો છે. આ કાયદા થકી ‘ભ્રષ્ટ્રાચારને નિયંત્રણમાં રાખવાનો, સરકારોનું કાર્યક્ષમ સંચાલન થાય છે કે નહીં તે જોવાનો અને સરકાર તથા પ્રજા વચ્ચે માહિતીની આપલે કરી સંવાદિતા સાધવાનો’ પણ હેતુ છે. આર.ટી.આઈનો કાયદો 12મી ઓકટોબર 2005ના રોજ સંસદે પસાર કર્યો હતો. અધિનિયમની કલમ-4(1) મુજબ 120 દિવસમાં તમામ સરકારી તંત્રોએ વગર માગ્યે પોતાના વિભાગની મહત્ત્વની માહિતીઓ જાહેર કરવાની જોગવાઈ હોવાથી, તેનો વાસ્તવિક અમલ ત્રણ મહિના પછી થયો હતો અને વહીવટી તંત્રોએ આ કામગીરી કરવાની હતી. આજે દસ વરસો પછી માહિતી અધિકાર આંદોલન સાથે સંકળાયેલા કર્મશીલો અને સંસ્થાઓને એ વાતે ફરિયાદ છે કે કાયદાની જોગવાઈ મુજબ સરકારે જાહેર કરવાની માહિતીનો અમલ થયો હોત, તો સરકારની જવાબદેહી અને પારદર્શિતા સાબિત થઈ હોત અને લોકોની એ માહિતી માંગતી અરજીઓ ઘટી શકી હોત.
નાગરિકો દ્વારા આ કાયદા થકી જે માહિતી માંગવામાં આવે છે તેમાં સરકારી તંત્રની ઠાગાઠૈયાની નીતિ સ્પષ્ટપણે જોવા મળે છે. માહિતી ન આપવાની તથા અધૂરી, અસ્પષ્ટ, અને ભળતીસળતી માહિતીઓ આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે. વળી જે જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી માંગવામાં આવે છે તે આ માહિતી તેમની પાસેથી મળી શકે તેમ હોવા છતાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને મૂળ અરજીઓ અન્ય કચેરીઓને તબદિલ કરે છે. તેને કારણે બિનજરૂરી વિલંબ થાય છે અને વહીવટી પ્રક્રિયા બેવડાય છે. તેને લીધે વધુમાં વધુ 30 દિવસની નિશ્ચિત મુદતમાં માહિતી આપવાની કાયદાકીય જોગવાઈઓનો અમલ થતો નથી. જો માહિતી ન મળે કે તેનાથી અરજદારને સંતોષ ના થાય તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં અપીલ કરવાની જોગવાઈ છે. સરકારી ખાતાં કાયદાનો યોગ્ય અમલ ન કરતાં હોવાથી પડતર અપીલો વધતી રહે છે. માહિતી કમિશનરોની ઓછી સંખ્યા અને અપૂરતી સગવડોને લીધે પણ અપીલોનો સમયસર નિકાલ થતો નથી. એક વરસથી કેન્દ્રીય માહિતી કમિશનરની જગ્યા ખાલી છે, અનેક રાજ્યોમાં પૂરતાં માહિતી કમિશનરો નથી. તેને કારણે કેન્દ્રીય માહિતી આયોગમાં પડતર અરજીઓના નિકાલમાં 5 વરસ, મધ્યપ્રદેશમાં 60 વરસ અને બંગાળમાં 18 વરસ થાય તેમ છે. 30 દિવસમાં માહિતી ન આપનારને રોજના રૂ.250 અને વધુમાં વધુ રૂ.25000 દંડની જોગવાઈ છતાં ન તો દંડિત અધિકારીઓની સંખ્યા વધી છે કે ન તો તેનો ડર ઊભો થયો છે.
છેલ્લા 10 વરસોમાં દેશમાં આર.ટી.આઈ. આંદોલન મજબૂત બની રહ્યું છે અને તેને કેટલાક સક્ષમ નેતાઓ અને કાર્યકરો મળ્યા છે. આ કાયદાને કારણે જ દેશવ્યાપી કોલસા, મધ્યપ્રદેશનું વ્યાપમ , મહારાષ્ટ્રનું આદર્શ કોભાંડ અને રોબર્ટ વાડરાના જમીન સોદાઓની ગરબડો પ્રકાશમાં આવી છે. આ કાયદાને લીધે ભ્રષ્ટ તંત્રમાં એક ફડક જરૂર ઊભી થઈ છે, તો બીજી તરફ તેને લીધે જ આર.ટી.આઈ. કાર્યકરોની હત્યાઓ અને જીવલેણ હુમલાના બનાવો બન્યા છે. દેશમાં આર.ટી.આઈ. અરજીઓના નિકાલના વિલંબમાં ઉત્તરપ્રદેશ મોખરે છે, પણ કાર્યકરોની સહુથી વધુ હત્યાઓ મહારાષ્ટ્રમાં થઈ છે. જ્યાં માહિતી અધિકાર અંગે વ્યાપક જાગૃતિ છે તે ગુજરાત હત્યાઓમાં બીજા ક્રમે છે. દર વરસે આ કાયદા હેઠળ 8 લાખ અરજીઓ થાય છે. આ કાયદાની અસરકારકતાથી રાજકીય પક્ષો ભયભીત બન્યા છે. કેન્દ્રીય માહિતી પંચે 2013માં તમામ રાજકીય પક્ષોને માહિતી અધિકારનો કાયદો લાગુ પડે છે તેવો ચુકાદો આપ્યા છતાં તેનો અમલ એકેય પક્ષ કરતો નથી. આ કાયદો ઘડવાનો યશ લેનાર યુ.પી.એ. સરકારે પણ કાયદામાં સુધારા અને સમીક્ષાના પ્રયત્નો કર્યા હતા. 2006માં ફાઈલ નોટિંગને કાયદાના દાયરામાંથી બહાર કાઢવા, 2009માં માહિતી અધિકાર અરજીની ગંભીરતા નક્કી કરવા અને તે પછી આ કાયદાની સમીક્ષા કરવાના પ્રયાસો થયા છે.
આ કાયદો માત્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરવા કે રાજકારણીઓ-અફસરો વિશેની સનસનાટી ભરેલી માહિતી પ્રગટ કરવા પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. આ માહિતી દ્વારા કેટલા નીતિવિષયક બદલાવ લાવી શકાય તે દિશામાં વિચારવું પડશે. વળી આજે જે કેટલીક વિગતો બિનાઅધિકૃત રીતે ચર્ચાય છે તેને કાયદા દ્વારા સમર્થન મળે તો પણ ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવા માટેનું સંગઠન અને આંદોલન લોકો પાસે છે ખરું? જે પ્રકારની સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા દેશમાં ઊભી થઈ છે તેમાં ભૂમિમાફિયા, બિલ્ડરો, નોકરશાહો અને રાજકારણીઓના ભ્રષ્ટાચારની માહિતી મળ્યા પછી તેને અંતિમ અંજામ સુધી લઈ જવાય એવા સંગઠનો આપણી પાસે છે ખરાં? માત્ર માહિતી મળવાથી નહીં તેના સમુચિત ઉપયોગથી, સમાજ-શાસનમાં નીતિ બદલાય તે માટેના પ્રયત્નોથી જ આ અધિકાર વધુ સાર્થક થશે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય :’દાંત-નહોર વગરનોઅમલ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-right-to-information-the-law-is-not-enough-5197048-NOR.html