ઇમિગ્રેશનથી માંડીને કસ્ટમ અને ઇન્કમટેક્સ સુધી સરકારી કચેરીઓમાં દુર્વ્યવહાર ક્યારે બંધ થશે?
શું તમને ખબર છે કે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ખાતેના ભાષણમાં વડાપ્રધાનને સૌથી વધુ તાળીઓ કઈ વાતે મળી? જ્યારે તેમણે બિનનિવાસી ભારતીયોને જણાવ્યું કે, તેઓ જાણે છે કે ભારતવંશી લોકો જ્યારે સ્વદેશ આવે છે ત્યારે એરપોર્ટ પર તેમને કઈ ઇમિગ્રેશન અને કસ્ટમની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ઇમિગ્રેશન અધિકારી ઉપરથી નીચે સુધી શંકાની નજરે જૂએ છે અને તમને એવું લાગે છે કે તમારું અહીં સ્વાગત કરવામાં આવતું નથી. લાંબી મુસાફરી અને લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ તમને ક્યારે ય એવું નહીં ગમે કે કોઈ કપાળે કરચલીઓ ચડાવી તમારી સાથે વર્તણુક કરે. ખાસ કરીને તમારા પોતાના વતનમાં, જેનું કામ પાસપોર્ટ પર સિક્કો મારીને તમને જવા દેવાનું છે.
બીજી તરફ કસ્ટમ અધિકારીઓ એવા અનુમાન સાથે શરૂઆત કરી છે કે તમે દાણચોરી કરીને કોહિનૂર લઈને આવી રહ્યા છો. એ સાચું છે કે આવા લોકો પણ હોય છે, ગેરકાયદે રીતે કોણ જાણે કેવી-કેવી વસ્તુઓ લઈને આવતા હોય છે, પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો આ બધું જ એકદમ કાયદેસર ધોરણે કરતા હોય છે. સામાન્ય રીતે તંત્રની સાંઠગાઠથી. સ્વદેશ આવી રહેલા ભારતીયો કે પીઠ પર બેગ લટકાવીને આવતા વિદેશીઓ માલવહન કરતા ખચ્ચર નથી કે તેમની વારંવાર તપાસ કરવામાં આવે. તેમાં સામાન્ય અપવાદ હોય છે, પરંતુ તેમની સાથે પણ પ્રેમથી વર્તી શકાય છે. આવી બાબતો માટે કલાકો સુધી એરપોર્ટ પર હેરાન કરવાની જરૂર હોતી નથી, પરંતુ દંડ ફટકારવો કે ચેતવણી આપવી જ પૂરતું છે. જેક ડેનિયલની વધારાની બોટલ કે કોઈ નવા આઈપેડને જાણીજોઈને કરવામાં આવેલી ગતિવિધિ માનવાની જરૂર નથી. કે પછી મધ્યપૂર્વમાં કામ કરતો કોઈ કામદાર બિચારો ઘર માટે ટીવી સેટ લાવ્યો છે.
આવો, આવા જ કેટલાક ઉદાહરણ જોઈએ. શું તમને ટેક્સની નોટિસ મળી છે? શું વેટના લોકો તમારી પાસે કોઈ લેણ-દેણની માહિતી માગી છે, જેની સાથે તમારો કોઈ સંબંધ નથી? તમે તો માત્ર કોઈ ક્લાર્કની ભૂલને કારણે ફસાયા છો, શું તમે આવા પત્રો વાંચ્યા છે? હવે કલ્પના કરો કે જો તમારા 90 વર્ષના પિતાને આવી નોટિસ મળે છે? શું તમને લાગે છે કે તેઓ આવું સહન કરી શકશે? પલાનીઅપ્પન ચીદમ્બરમના સમયમાં તમે એ સરકારી જાહેરાત વાંચી હશે જેમાં ટેક્સ અધિકારી તમને સલાહ આપે છે કે, ‘ખબરદાર! તમારી દરેક ગતિવિધિ, દરેક લેણ-દેણ જ નહીં પરંતુ દરેક શ્વાસ પર સરકારની નજર છે અને જો તમે બધા જ ટેક્સ સમયસર નહીં ચૂક્વયા તો તમને ભગવાન જ બચાવે!’. મેં ક્યારે ય કોઈ સરકારને પોતાનાં જ નાગરિકોને આ પ્રકારની ધમકી આપતાં જોઈ નથી. જો આ જાહેરાત પાસેથી કોઈ વિદેશી પસાર થતો હોય તો તેને એમ જ લાગે કે આ કરચોરોનો દેશ છે.
ઈમાનદાર કરદાતા માટે તો સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આપણને પોતાનો ટેક્સ ભરવામાં જ કેટલી મુશ્કેલી પડે છે એ તો તમે જાણતા જ હશો, પરંતુ હવે તો આપણે સરકાર તરફથી અન્ય લોકોનો પણ ટેક્સ વસુલવો પડે છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહો છો કે તમારાથી મોડું થઈ જાય છે તો સજા એટલી આકરી છે, જેટલી પોતાનો ટેક્સ ન ચુકવવાની છે. હા, હું એ નક્કામી બાબતની વાત કરી રહ્યો છું, જેનું નામ ટી.ડી.એસ. છે. હું જ્યારે કરદાતા બન્યો ત્યારે મને આવો કોઈ સંકેત અપાયો ન હતો કે હું ટેક્સ કલેક્ટર પણ બની ગયો છું. ખાસ વાત એ છે કે આવી બધી અપમાનજનક બાબતો મારા-તમારા પર જ ઠોકી બેસાડવામાં આવે છે. પૈસાદાર લોકો તો હત્યા કરીને પણ બચી જાય છે. તેમને કોઈ હાથ લગાડી શકતું નથી.
તેમને રહેવા માટે પણ આકર્ષક લુટિયન્સ બંગલા મળે છે અને તેઓ તેમાં વર્ષો સુધી તંબુ તાણીને પડ્યા રહે છે. ભાડું એટલું કે જેટલું તમે અને હું વન બીએચકે માટે ચૂકવીએ છીએ. તેમની જિંદગીમાં દરેક બાબત પર સબસિડી છે. સંસદમાં તેમનાં ભોજનથી માંડીને હવાઈ મુસાફરી, ફોન બિલ, વીજળી, પાણી, તેમના અને તેમના પરિવારના સબ્યો માટે તબીબી ઇલાજ, પેટ્રોલ બિલ અને કોણ જાણે કેટ-કેટલું. અને સમાજ સેવા કે ખેડૂત હોવાનો દાવો કરીને તેઓ એ તમામ ટેક્સથી બચી જાય છે, જે હું અને તમે ચૂકવીએ છીએ.
જો કે, વાત માત્ર ટેક્સની નથી. વાત એ વ્યવહારની છે, જે આપણી સાથે કરવામાં આવે છે. જો તમારે કોઈ ગંભીર સમસ્યા હોય અને તમે કોઈ સરકારી અધિકારીને પત્ર લખ્યો છે તો શું તમને ક્યારે ય તેનો જવાબ મળ્યો છે? ના. ક્યાં તો તેના માટે શક્ય હશે તો સમસ્યાને વધુ જટિલ બનાવી દેશે કે પછી તમે નસીબદાર હશો તો તમારો પત્ર કચરાપેટીમાં નાખી દેશે. આ જ કારણ છે કે મોદી જ્યારે આટલું બોલીને થોડા અટક્યા કે દેશે તાળીઓ વગાડી હતી. તેઓ જાણતા હતા કે તેમણે લોકોનાં મનની વાતને પકડી લીધી છે. બ્રિટિશ સામ્રાજ્ય તો ક્યારયનું ય જતું રહ્યું છે, પરંતુ આજે પણ એ વ્યવસ્થાના ગુલામ બનેલા છીએ. હવે, જ્યારે તમારી સરકાર જ તમારું અપમાન કરીને ખુશ થતી હોય તો આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે દુનિયા આપણું સન્માન કરશે?
પ્રીતીશ નંદી લેખક ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ પત્રકાર છે.
સૌજન્ય : 'આર-પાર', “દિવ્ય ભાસ્કર”, Oct 22, 2014