સ્ત્રીઓ માટેના અલગ, સ્વચ્છ, સલામત અને નિ:શુલ્ક પેશાબઘરો માટે ‘રાઇટ ટુ પી’ ચળવળ
ગયા એકાદ મહિનાથી અમદાવાદ જાહેર ઉત્સવોમાં મહાલી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, નાતાલ તેમ જ નવા વર્ષની ઉજવણી, ફ્લાવર શો, સંગીતના જલસા અને બીજું કેટલું ય. આ બધા અવસરે મહિલાઓની સલામતી પર ધ્યાન અપાય છે, પણ તેમની સુખાકારીની ચિંતા જવલ્લે જ જોવા મળે છે.નવરાત્રીમાં ગરબે ઘૂમતી હજ્જારો મહિલાઓ માટે ઉત્સવના સ્થળે સ્વચ્છ, સલામત અને સુયોગ્ય પેશાબઘર ભાગ્યે જ હોય છે. આ વાત દુર્ગાપૂજા કે ગણેશચતુર્થી, જાતરા-જુલુસ, માસ-કૉન્ગ્રિગ્રેશન કે કોઈ પણ કોમ કે ધર્મની કોઈ પણ પ્રકારની સામૂહિક ઉજવણીને લાગુ પડે છે. સ્ત્રીઓ પરની આ આપત્તિ બધે જ છે. મુંબઈની જિંદગી, દિલ્હીનું બજાર, ગંગાનો ઘાટ, શાળા-કૉલેજ કે હૉસ્પિટલ, રેલવે સ્ટેશન કે બસસ્ટૅન્ડ એમાં પણ એવું જ. હકીકતમાં ભારતના જાહેર જીવનના કોઈ પણ હિસ્સામાં મહિલાઓ માટેના જાહેર શૌચાલયોનો વિચાર કરવામાં આવતો નથી. કેટલાક પરિવારોમાં પણ એ હોતો નથી. એટલા માટે ‘જહાં સોચ વહાં શૌચાલય’, ‘શૌચાલય નહીં તો શાદી નહીં’ જેવી ઝુંબેશો હાથ ધરવી પડે છે. માનવ અસ્તિત્વના સ્રોત એવી નારીજાતિની આટલી પાયાની માનવીય જરૂરિયાતનો આપણા પુરુષપ્રધાન સમાજે સદીઓથી વિચાર કર્યો નથી.
નારીને પૂજવાનો આપણી સંસ્કૃિતનો દાવો કેટલો દંભભર્યો છે તેનો આનાથી સાફ પુરાવો બીજો કોઈ નથી. ઘરની બહાર કલાકો વીતાવવાં પડતાં હોય તેવી નોકરિયાત મહિલાઓ, અને ખાસ તો શ્રમજીવી બહેનોને પેશાબઘરના અભાવે ખૂબ વેઠવું પડે છે. બાંધકામ મજૂરી, પાથરણાં, લારી, ફેરી, સફાઈ જેવાં ખુલ્લામાં કરવાં પડતાં શ્રમનાં કામ સાથે સંકળાયેલી બહેનો માટે તો કોઈ આશરો જ હોતો નથી. જાહેર પેશાબઘરોને અભાવે આપણે ત્યાંની મહિલાઓને અનેક વ્યાધિઓનો ભોગ બનવું પડે છે. પુરુષો કદાચ ન જાણતા હોય, પણ ઘરની બહાર લાંબો સમય ગાળવો પડતો હોય તેવી આપણી અનેક મહિલાઓ પેશાબ કરવા જવાની જરૂરિયાત જ ન ઊભી થાય તે માટે ઓછું પાણી પીવે છે. તેને પરિણામે તેમને ડિહાઇડ્રેશન સાથે સંકળાયેલી શારિરીક તકલીફો ઉપરાંત કિડની ઈન્ફેક્શન થાય છે. વળી પાણી પીવાય અને પેશાબ કરવા ન જવાય તો મૂત્રાવરોધને કારણે બ્લૅડરને લગતાં રોગો થાય છે. ગામડાંની શાળાઓમાં સારાં ટૉઇલેટ્સને અભાવે દીકરીઓનું ભણતર, ખાસ કરીને તેઓ માસિકમાં પ્રવેશ કરે ત્યાર બાદ, ખૂબ અનિયમિત થાય છે અથવા અટકી પણ જાય છે. ઘરથી દૂર, અંધારે, અવાવરુ જગ્યાએ કુદરતી હાજતે જતી કન્યાઓ છેડતી અને બળાત્કારનો ભોગ બને છે. તેમાંથી આ પ્રકારના અત્યાચારનો ઉત્તર પ્રદેશના બદાયુંમાં 2014ના મે મહિનામાં બનેલો કિસ્સો વધુ ફેલાયો એટલું જ. નોબલ પુરસ્કાર સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને લેખો અને મુલાકાતો ઉપરાંત તેમના ‘અનસર્ટન ગ્લોરિ’ ગ્રંથમાં પણ ભારતમાં મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતાની ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.
ભારતમાં લગભગ બધે જ મહિલાઓ માટેનાં જાહેર શૌચાલયોમાં પેશાબ કરવાનાં પણ પૈસા લેવામાં આવે છે. મહિલાઓને પેશાબ કરવા દેવા માટેના એક રૂપિયાથી પાંચ રૂપિયા સુધીની રકમ મોટે ભાગે પહોંચ આપ્યા વિના લેવામાં આવે છે. આવું એટલા માટે ચાલી જાય છે કે મહિલાઓ મજબૂર હોય છે. પુરુષોના પેશાબઘરમાં આવી રીતે પૈસા લેવામાં આવે તો મોટા ભાગના પુરુષો બહાર પેશાબ કરી લે. પુરુષની બાબતમાં ખુલ્લામાં પેશાબ આપણે ત્યાં શરમની બાબત ગણાતી નથી. જ્યારે મહિલાઓ માટે ખુલ્લામાં પેશાબ કરવો એ અત્યંત શરમજનક બાબત હોય છે. આ મજબૂરીને કારણે મહિલાઓને જાહેર પેશાબઘરમાં પૈસા ચૂકવવા જ પડે છે. એમ છતાં મોટે ભાગે એ જગ્યાઓ ખૂબ ગંદી હોય છે. દિવસ આખો ઘરની બહાર મજૂરી કરીને સો-બસો રૂપિયા કમાતી ભારતની નાગરિક એવી મહિલાને કુદરતી ક્રિયા માટે દરરોજ પાંચ-દસ રૂપિયા ખર્ચવા પડે તે દેશ માટે શરમજનક બાબત છે.
જાણીતા સાહિત્યકાર હિમાંશી શેલતે ‘બારણું’ વાર્તામાં ગરીબ ઘરની કોડભરી કિશોરી સવલીને કેવી ગંદી જગ્યામાં ખૂબ સૂગ અને તકલીફ સાથે શૌચક્રિયા માટે જવું પડે છે તેનું વર્ણન કર્યું છે. એક વાર તે મેળાની ભીડમાં બહેનપણીથી છૂટી પડી જાય છે. કથાના અંતે, મળવિસર્જનના દબાણ સમયે જ તેને ચમકદમકવાળું શૌચાલય સુલભ બને છે, એમાં તે પ્રવેશે છે અને દેહવ્યવસાયની જાળમાં ફસાય છે. ભાવનગરના રંગકર્મી અધ્યાપક મહેન્દ્રસિંહ પરમારની ‘પોલિટેકનિક’ અને ‘હવે કઈ પોલિટેકનિક?’ વેધક વાર્તાઓ છે. તે એક કસબાના ડેલામાં રહેતી બહેનોએ આદરેલી શૌચાલય શોધ વિશેની છે. આ ‘બાયું’ ને ઘરની બહાર રાત્રે પણ સલામત જગ્યા મળી શકતી નથી એનું વિદારક આલેખન લેખકે કર્યું છે. ખૂબ પ્રસ્તુત વિષયની વ્યંગ અને ભાષાકીય સૂક્ષ્મતા સાથે લાજવાબ માવજત આ કથાઓને અસાધારણ બનાવે છે. આ વિષય પર ધારદાર કટાક્ષ કરતું રમતિયાળ મરાઠી નાટક ‘ઓ વુમનિયા’ 2014 માં ભજવાતું હતું. બહેનો ઓજસ, રેખા, મૈત્રા અને જહાં આરાનું ક્લાઉન પ્લે પ્રકારનું આ નાટક ઇન્ટરનેટ પર છે.
આ ચળવળ તે ‘રાઈટ ટુ પી’ – પેશાબ કરવાના અધિકાર માટેની ચળવળ. કમિટી ઑફ રિસોર્સ ઑર્ગનાઇઝેશન (કોરો) અને ‘મેન અગેઇન્સ્ટ વાયોલન્સ અૅન્ડ અબ્યૂઝ’ (માવા) સંગઠનોનાં નેજા હેઠળ ત્રીસથી વધુ જૂથો આ ચળવળ ચલાવી રહ્યાં છે. તેના પાયામાં મુમતાઝ શેખ અને સુપ્રિયા સોનાર નામની કર્મશીલો છે. આ બંનેને ‘કોરા’માં મહિલા આરોગ્ય અને સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાયાં પછી તરત જ મુંબઈમાં મહિલા શૌચલયનો પ્રશ્ન કેટલો વિકટ છે તે સમજાયું.
મુંબઈ એ નોકરી કરતી મહિલાઓની સહુથી વધુ સંખ્યા ધરાવનારું શહેર છે. તેમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૫૮ લાખથી વધુ મહિલાઓ હતી, અને જાહેર શૌચાલયોની સંખ્યા માત્ર ૩૮૧ હતી, એટલે પંદર હજાર મહિલાઓની વચ્ચે એક શૌચાલય ! સર્વેક્ષણો, સંશોધનો, રજૂઆતો, સહીઝુંબેશો, ધરણાં-દેખાવો ચાલ્યાં. આંદોલનની માગણીઓ આ મુજબ હતી : દર બે કિલોમીટરનાં અંતરે બહેનો માટે સ્વચ્છ અને સલામત પેશાબઘર; મુંબઈના ૨૦૧૪-૩૪ ના સૂચિત વિકાસ કાર્યક્રમમાં મહિલા પેશાબઘરોનો સમાવેશ, શારિરીક મુશ્કેલી ધરાવતી મહિલાઓને અનુકૂળતાવાળાં પેશાબઘર; પેશાબઘરોમાં સૅનિટરી પૅડસ અને કચરાના ડબ્બા. ચળવળને ‘પેશાબઘરની શું જરૂર છે ?’ એવા સવાલથી માંડીને મશ્કરી સુધીના પુરુષકેન્દ્રી સ્ત્રી-વિરોધી માનસનો સામનો કરવો પડ્યો.
સુપ્રિયા સોનાર નોંધે છે કે પહેલાં અઢી વર્ષ તો મુંબઈ મ્યુિનસિપલ કમિશનરે અપોઇન્ટમેન્ટ જ ન આપી. ‘અંતે મંત્રાલયની સામે પેશાબ કરવા બેસવાની ચેતવણી આપવી પડી !’ ‘રાઇટ ટુ પી’ ચળવળનું રાષ્ટ્રીય અધિવેશન ૧ સપ્ટેમ્બર ૨૦૧૬ ના દિવસે યોજાયું. મુંબઈ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન મહિલા શૌચાલય માટેની ફાળવણીમાં ૭૫ લાખ રૂપિયાથી લઈને ૫.૨૫ કરોડ રૂપિયા સુધીનો ક્રમશ: વધારો થતો રહ્યો છે અને અલબત્ત નવાં મહિલા શૌચાલયો બંધાતાં રહ્યાં છે. મુંબઈમાં 19 નવેમ્બરે વર્લ્ડ ટૉઇલેટ ડે પર ચળવળના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ માગણીઓ દોહરાવી. ચળવળ અન્યત્ર પણ વિસ્તરી રહી છે.
આપણે ઇચ્છીએ કે તેનો વિસ્તાર ગુજરાતમાં પણ થાય.
++++++
17 જાન્યુઆરી 2018
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જાન્યુઆરી 2018