રાજસ્થાનનો રાજસમંદ જિલ્લો હમણાં-હમણાં ઉદેપુરથી અલગ કરેલો જિલ્લો છે. ઉદેપુરની જેમ જ તે પણ તળાવોનું સુંદર નગર છે. તા. ૭-૧ર-ર૦૧૭ના રોજ સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ચાલ્યો. ગમે તેવા કઠણ દિલના લોકો પણ જોઈને હેબતાઈ જાય તેવો વીડિયો છે. તા. ૬-૧ર-ર૦૧૭ના દિવસે રાજસમંદના શંભુ દયાળ રૈગરે, પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી મોહમ્મદ અફરાઝુલ નામના વ્યક્તિની ધોળેદહાડે કલેક્ટર કચેરીથી લગભગ ૬૦૦ મીટરના અંતરે હત્યા કરી. વાડ બનાવવી છે, તેમ કહીને પ્લૉટ પાડેલા છે, તે જગ્યાએ મોહમ્મદને લઈ જઈને પહેલાં નિર્મમ હત્યા કરી, લાશ સળગાવી દીધી. પોતે આટલું ખરાબ કૃત્ય કર્યું, તે પછી પોતાના ૧૪ વર્ષની ઉંમરના ભાણેજને લઈ જઈને આ હત્યાનું આખું શુટિંગ તેની પાસે કરાવ્યું. વીડિયોમાં વચ્ચે- વચ્ચે પોતે આ લવ જેહાદને લીધે કરે છે, તેમ કહે છે અને હવેથી આવું ચાલવા નહીં દઈએ તેમ બોલતો જાય છે. મંદિરમાં પૂજા કરીને, માથે ગુલાલ લગાડીને આવંુ કરે છે. મરનાર મોહમ્મદ, પ૧ વર્ષના તેમના ભાઈ અને તેમના બે જમાઈ સાથે અહીં રહેતા હતા.
આ આખો વિસ્તાર આરસની ખાણોનો વિસ્તાર છે. તેને માટે બિહાર અને બંગાળથી મજૂરો કામ કરવા આવે છે. રાજસમંદમાં લગભગ ર૦૦૦ મજૂરો બહારના છે. અસંગઠિત ક્ષેત્રના મજૂરોને કોઈ જાતના લાભ મળતા નથી. વીમો, માંદગી, અકસ્માત આ બધા તો પ્રશ્નો હોય જ છે.
શંભુદયાળે જે કૃત્ય કર્યું તેનો વીડિયો પોતે જ ફેલાવ્યો. આ બધું તેણે કેમ કર્યું, કોના ઇશારે કર્યું, તે નીકળશે. હમણાં તે અને તેનો ભાણો જેલમાં છે.
ગુજરાત લોકસમિતિ તરફથી હું રાજસમંદ ગઈ. ત્યાં રાજસ્થાનના પી.યુ.સી.એલ.નાં શ્રી કવિતા શ્રીવાસ્તવ અને હર્ષમંદર હતાં જ. તેઓ એક દિવસ વહેલાં ગયાં હતાં, એટલે થોડું કામ તેમણે કરી લીધું હતું, તેનો રિપોર્ટ પ્રગટ કરશે.
આવો કોઈ પ્રસંગ બને તો ભોગવનાર વ્યક્તિને ત્યાં જઈને સાંત્વના આપવાની હોય છે. અહીં એવું ના થઈ શક્યું. કેમ કે, મોહમ્મદના બે જમાઈઓ, જે સાથે રહેતા હતા તે અને બીજા ઘણા બધા મજૂરો રાજસમંદ છોડીને પોતપોતાને ત્યાં જતા રહ્યા છે.
અમે રાજસમંદમાં મહિલામંચનાં એક બહેન સાથે બધે ગયાં. જ્યાં આ કૃત્ય થયું તે જગ્યાએ પણ ગયાં. આજુબાજુ સારાં, મોટાં મકાનો બનેલાં છે, બાકીની જગ્યાએ પ્લૉટ પાડેલા છે. લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ વાત કરવા તૈયાર નહોતું. એક-બે બહેનોએ ચોક્કસ વાત કરી, તેઓએ પણ આ કૃત્યને વખોડી કાઢ્યું હતું.
અમે શંભુ દયાળના ઘરે ગયાં. ત્યાં તેની બહેન, બનેવી, નાનો ભાઈ અને શંભુની પત્ની હતાં. તે કોઈ સંગઠન સાથે સંકળાયેલો છે કે નહીં તે પૂછ્યું. જો કે, ક્યાં તો તેમને કહેવું નહીં હોય અથવા ખબર નહીં હોય, એટલે તેઓ ના જ પાડતાં હતાં. વકીલ કરવાના પૈસા નથી વગેરે વાતો કરી, પણ આ ઘૃણાસ્પદ કાર્ય કર્યું તેને માટે કોઈ ગ્લાનિ હોય તેવું લાગ્યું નહીં. કોઈક હિંદુસંગઠન તરફથી તેની પત્નીને ત્રણ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે, એવું પણ જાણવા મળ્યું.
ભોગ બનનાર વ્યક્તિ પાસે હંમેશાં જતાં હોઈએ છીએ, તેથી તેઓને આશ્વાસન આપવું, કોઈ જાતની મદદ થાય, તો કરવી તેવો ભાવ હોય છે, અહીં એવું નહોતું.
શંભુનો વીડિયો છે, તેમાં એક છોકરીને પોતાના ખોળામાં માથું રાખીને બેસાડી છે, તેવું દેખાય છે. તેના ઘરે ગયાં તો તે છોકરી, જે તેની દીકરી છે અને માનસિક રીતે અસ્થિર છે, તે જોયું. તે મારી પાસે આવી. ૯-૧૦ વર્ષની આ બાળકીને અડવાનું પણ ના ગમ્યંુ. તે પાસે આવી એટલે જરા પંપાળી, પણ ખૂબ ખરાબ લાગ્યું. ખૂની બાપ જેને અડ્યો હોય તેને હું શું કામ અડું એવું મને થયું. આપણાં માટે આ સારી વાત ના હોઈ શકે, પણ મને એવું થયું.
રાજસમંદ મારા માટે બહુ બિહામણું રહ્યું. શહેરમાં આવતાં-જતાં કેવું શહેર છે તે પણ જોયું નથી. ક્યારે અહીંથી જતા રહીએ એવા ભાવ સાથે નીકળી ગયાં. સાંજની ચા પીવા પણ રોકાયાં નહીં. બીકમાં બે-ત્રણ દિવસના ઉજાગરાના અંતે તાવ આવી ગયો.
સોશિયલ મીડિયામાં કેટલાંક હિન્દુ સંગઠનોના લોકોનાં ખૂબ ઉશ્કેરણીજનક ભાષણ કરતા વીડિયો આવે છે, જે સમાજને ક્યાં લઈ જશે! શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય સંગઠનમંત્રી લખનસિંહ પવારે તો તા. રપ-૧ર-ર૦૧૭ના રોજ ઉદેપુરમાં બધાં સંગઠનોને ભેગાં થવા કહ્યું છે. લખનસિંહે બાબરી પછી હવે અજમેરની દરગાહને પણ તોડવાની વાત કરી છે.
તાજેતરમાં ઉદેપુરમાં પણ હાઈકોર્ટની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને હાઈકોર્ટના મકાન ઉપરનો રાષ્ટ્રધ્વજ ઉતારીને કેસરી ઝંડો ફરકાવ્યો. આ બધી ઘટનાઓથી ખૂબ વિચલિત થઈ જવાય છે. આ બધું ક્યાં અટકશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 24