નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતની મરાઠી માધ્યમની દ્વિતીય સત્રાંત પરીક્ષા-2023-2024નાં ધોરણ ત્રણ, ચાર અને પાંચનાં બેત્રણ વિષયોનાં પ્રશ્નપત્રો જોવાનું બન્યું. જોઈને સંતાપ થયો. સંતાપ એ વાતે કે પ્રાથમિક કક્ષાના પ્રશ્નપત્રોમાં ભાષાની અસંખ્ય ભૂલો હોય, તો બાળકો નાનેથી જ ખોટું શીખશે એ ભાન પેપર સેટર્સને કેમ નથી તે પ્રશ્ન છે. વહેમ તો એવો છે કે ગુજરાતી કે હિંદીમાંથી પ્રશ્નપત્રો મરાઠીમાં અનુવાદ થાય છે. જો આમ હોય તો એ બરાબર નથી. મરાઠી માધ્યમનું પેપર મૂળભૂત રીતે મરાઠીમાંથી જ સેટ થવું જોઈએ. આ શંકા કરવાનું કારણ એ છે કે ગુજરાતીમાંથી મરાઠીમાં શબ્દો, મરાઠી કર્યા વગર સીધા જ મૂકી દેવાયા છે. મરાઠીમાં બહુવચનમાં ‘મેણબત્ત્યા’ લખાય ને ગુજરાતીમાં મીણબત્તી લખાય, તે સીધું જ મરાઠીમાં ઠઠાડી દેવાયું છે. ગુજરાતીમાં ‘ફુગ્ગા’ લખાય તે મરાઠીમાં ‘ફુગ્ગે’ થયું છે, જે ‘ફુગે’ હોવું જોઈએ. 5,000 ગ્રામ ‘મ્હણજે’ (એટલે) કિતી (કેટલા) કિગ્રા ને બદલે ‘મ્હણણે’ છપાયું છે, જેનાથી અર્થ જ બદલાઈ જાય છે. ગ્રામને બદલે ગ્રેમ ને તે પણ માત્રાને બદલે અર્ધચંદ્રાકાર છપાયો છે. ‘દૂધ’નું ‘દુધ’, ‘ચૂક’નું ‘ચુક’, ‘નિઘૂન’નું ‘નિદ્યૂન’, ‘પસાર’નું ‘પ્રસાર’, ‘અપૂર્ણાંક’નું ‘અપુર્ણાંક’, ’હોસ્પિટલ’નું ‘હોસ્પીટલ’, ‘દૂષિત’નું ‘દુષિત’, ‘સ્વયંપાક’નું ’સ્વંયપાક’, ‘યેઉ’નું ‘ઘેઉ’ જેવું ઘણું ખોટું છપાયું છે.
ધોરણ પાંચનાં ગણિતનાં પેપરમાં પહેલા જ સવાલમાં ભારતનો નકશો છપાયો છે ને તેમાં જુદાં જુદાં રાજ્યો દર્શાવીને પાંચ પ્રશ્નો પૂછ્યા છે, જેમાંનો એક પ્રશ્ન છે – ગુજરાતચ્યા પશ્ચિમેલા રાજ્ય આલેલે આહે? હો કી નાહી તે લિહા. (ગુજરાતની પશ્ચિમે રાજ્ય આવેલું છે? હા કે ના તે લખો.) ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૂગોળ પણ સમાવિષ્ટ હોય તો ખબર નહીં, પણ ગણિતમાં રાજ્યો ને દિશાને લગતા પ્રશ્નો ગળે ઉતરતા નથી. ત્રણથી પાંચ ધોરણનાં પ્રશ્નપત્રોમાં સાધારણ મરાઠી ભાષા વાપરતા પણ પેપર સેટરને આવડી નથી. અહીં એવી દલીલ થઈ શકે કે એ ક્યાં મરાઠી ભાષાનું પેપર છે કે ભાષાશુદ્ધિ અનિવાર્ય ગણાય? જો પ્રશ્નપત્ર મરાઠીમાં છપાયું હોય ને ત્યાં મરાઠી વગર ચાલ્યું ન હોય ને એ પેપર મરાઠીના જાણકારે કાઢ્યું હોય તો ભાષાશુદ્ધિ અપેક્ષિત જ હોય તે કહેવાની જરૂર નથી.
તપાસ કરતાં એવી ખબર પડી કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પહેલી સત્રાંત પરીક્ષાનો કોર્સ સમાવિષ્ટ નથી. જો કે, આ વાર્ષિક પરીક્ષા છે. અન્ય વર્ગોમાં પણ એવું જ હશે. આવું એટલે કરવામાં આવે છે કે ‘ભાર વગરનાં ભણતર’માં બાળકો પર આગલાં સત્રનો બોજ ન પડે. એનો મતલબ એવો ખરો કે આગલાં સત્રનાં પ્રકરણો પુસ્તકમાંથી ને મગજમાંથી ખંખેરી નાખવાનો વાંધો નહીં. આ સાચું હોય તો કોઈ જાતનો ભાર જ ન રહે એ માટે પ્રકરણ દીઠ જ પરીક્ષાઓ લેવાય તો ચાલેને ! તે પતે કે પ્રકરણ પુસ્તકમાંથી ને ભેજામાંથી કાઢતાં જવું કે વાર્ષિક પરીક્ષા વખતે કોઈ ભાર જ ન રહે. ખરેખર તો ભાર બોર્ડની પરીક્ષાઓમાં હોય છે, એમાં પ્રકરણ દીઠ પરીક્ષાઓ લેવાતી થાય ને પરીક્ષા પતે કે તે છેકતાં જવાય તો બોર્ડની પરીક્ષાઓનું ટેન્શન જ ન રહે. ભાર તો એમાં છે. ત્યાં આખી ટેક્સ્ટ છે, ત્યાં ‘ભાર વગરનું ભણતર’ નથી ને પ્રાથમિકમાં છે, તો પ્રશ્ન થાય કે એ ભાર વગરનું ભણતર છે કે ભાન વગરનું? ખરેખર તો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાર્ષિક પરીક્ષામાં પ્રાથમિકથી જ માનસિક રીતે બાળકોને એવી રીતે તૈયાર કરવા જોઈએ કે બોર્ડની પરીક્ષાનો હાઉ ન રહે. અન્ય ધોરણોમાં વાર્ષિકમાં સત્રાંતની રીતે તૈયારીઓ થાય ને બોર્ડમાં પૂરો અભ્યાસક્રમ પરીક્ષામાં હોય તો વિદ્યાર્થીની મૂંઝવણ સામટી વધે તેમાં નવાઈ નથી.
એક તરફ વિદ્યાર્થીઓની મૂંઝવણ ન વધે એટલે હેલ્પલાઈન નમ્બર્સ ને અન્ય ઘણા ઉપાયો થાય છે ને બીજી તરફ પરીક્ષામાં તે વધે એની મહેનત પણ થાય છે. બોર્ડની જ ધોરણ દસની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનાં પ્રશ્નપત્રમાં 26 ભૂલો છપાઈ, એ ભૂલો બોર્ડનાં ધ્યાન પર લાવવામાં આવી તો બોર્ડે એવો બચાવ કર્યો કે એ કૈં ભાષાનું પ્રશ્નપત્ર ન હતું એટલે ચાલે. એ ભાષાનું પ્રશ્નપત્ર ન હતું, એ સાચું, પણ ‘દ્રુતગતિ’ ને બદલે ‘દૂતગતિ’ છપાય તો અર્થ બદલાય ને તે ગૂંચ ઊભી કરે એવું ખરું કે કેમ? એ મુદ્દો પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ઊભી કરે તે સ્થિતિની કલ્પના પેપરસેટરને ન હોય એ કેવું? એ ખરું કે પ્રશ્નપત્ર ભાષાનું ન હતું, તો એ ભાષામાં છાપવાની જરૂર કેમ પડી? ખરેખર તો બોર્ડના સાહેબે બચાવ કરવાને બદલે ભૂલ સ્વીકારવાની હતી, તેને બદલે શરમ છોડીને બચાવ કરવા નીકળ્યા તે વધારે શરમજનક હતું. કોણ જાણે કેમ પણ પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા થયા છે અને પરીક્ષા લેનારાઓ તેને હળવાશથી લેતા થયા છે, એટલે ભૂલો હવે વિદ્યાર્થીઓ કરતાં બોર્ડ વધુ કરે છે.
વાત બોર્ડ પૂરતી સીમિત નથી. યુનિવર્સિટીઓ પણ આ મામલે અનેક છબરડાઓ વાળે છે. આઠેક દિવસ પર જ ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં 5 એપ્રિલનું પેપર 4 એપ્રિલે આપી દેવાયું. એકને બદલે બીજું પેપર અપાઈ જાય કે વિષય જ બદલાઈ જાય કે પેપર ઓછાં નીકળે કે કોર્સની બહારના પ્રશ્નો પુછાઈ જાય જેવી ઘટનાઓ તો સામાન્ય થઈ પડી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ બી.એસસી.ની સેમેસ્ટર-2ની પરીક્ષામાં 13ને બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. (13 માર્કનું પ્રશ્નપત્ર?) આ મામલે કુલપતિને રજૂઆત થતાં પેપર સેટર સામે ફેક્ટ કમિટી તપાસ કરશે અને વિદ્યાર્થીઓને પ્રોરેટા બેઝ પર માર્કસ અપાશે એવું આશ્વાસન અપાયું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં તો પ્રશ્નપત્રોમાં એવી ગરબડો થઈ કે પુણેની વિશાઈન કંપનીને બ્લેક લિસ્ટ કરવી પડે એવી સ્થિતિ આવી. પ્રશ્નપત્રોના છાપકામ બાબતે આ કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધીમાં છાપવાનાં પેપરો 27 ફેબ્રુઆરી સુધી આવ્યાં ન હતાં, પરિણામે, છેલ્લી ઘડીએ પ્રશ્નપત્રોની વહેંચણીમાં મુશ્કેલીઓ ઊભી થઈ ને કેટલીક કોલેજોમાં તો સિક્યુરિટી વગર બાઇક પર પેપરો પહોંચાડવા પડ્યાં. હાલ ચાલી રહેલી પરીક્ષાનાં ઘણાં પ્રશ્નપત્રોમાં ઘણી ભૂલો રહી જવા પામી છે. બી.એસસી.નાં એક પ્રશ્નપત્રમાં આગળનું પાનું જ છપાયું ન હતું. તો એક પરીક્ષાનાં પેપરમાં પાછળનો ભાગ જ છપાયો ન હતો. ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર છની એકાઉન્ટની પરીક્ષામાં આંકડાઓ છાપવામાં ભૂલ થઈ હતી. આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીમાં સવાલો પણ જુદા જુદા હતા. વિશાઈન કંપની સામે પાંચ સભ્યોની કમિટીએ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે ને પ્રિન્ટિંગનું કામ આ કંપનીને ન સોંપવાની ભલામણ કરવામાં આવી છે. સાચી વાત તો એ છે કે આઇ.બી.એ. કંપનીને પ્રશ્નપત્રો, સ્ટેમ્પ પેપર જેવી મહત્ત્વની કામગીરી સોંપવાને બદલે વિશાઈન કંપનીને, સિક્યુરિટી પ્રેસનું પ્રમાણપત્ર ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ને બે લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એ દુ:ખદ છે કે જેને પૈસે આખું શિક્ષણ તંત્ર પેટ પાળતું હોય છે એ વિદ્યાર્થીઓનાં હિતનો વિચાર પહેલાં તો ઠીક, છેલ્લે પણ થતો નથી.
અહીં પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી પરીક્ષાને નામે કેવી તો ઘોર બેદરકારી તમામ સ્તરે ચાલે છે તે જોઈ શકાશે. આવું ન થવું જોઈએ, પણ થાય છે ને મોટે પાયે થાય છે. માનવીય ભૂલો થાય એ સમજી શકાય એમ છે, પણ કેટલીક ભૂલો સત્તાને કારણે, તુમાખીને કારણે, ફાંકામાં, કોઈ કૈં બગાડી લેવાનું નથી એવા વહેમમાં, વધુ કમાઈ લેવાના લોભમાં થાય છે. એ ઉપરાંત પણ કારણો હશે, પણ એમાં જેમનો વાંક નથી એવા વિદ્યાર્થીઓ ભોગ બને છે ને એ બરાબર નથી. આવું એટલે થાય છે કે ઉપરથી નીચે લગી ઓછી આવડતવાળા ને વધુ વગવાળા લોકો શિક્ષણમાં પણ દાખલ પડી ગયા છે. ઘણા તો એવા છે જેમને શિક્ષણ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ નથી, પણ રાજકીય વગને કારણે, બીજાનો હક ડુબાડીને માત્ર વધુને વધુ કમાવા જે તે હોદ્દે ગોઠવાઈ ગયા છે. એમનો હેતુ સત્તાના ભોગવટાનો અને ભ્રષ્ટતા આચરીને જે મળે તે ગજવે ઘાલવાનો જ છે. એક પંખો કે લાઇટ રીપેર કરવાનું બિલ દસ નવાં પંખા કે લાઇટ ખરીદી શકાય એટલું હોય તો, કોનું કોનું પેટ ભરાતું હશે તે સમજી શકાય એમ છે. કમનસીબી એ છે કે બધા જ ભૂખ્યા છે ને એ ભૂખ પેટ ભરવાની હોય તો સમજાય, પણ આ તો તિજોરીઓ ભરવાની છે, એટલે એનો છેડો ક્યાંથી દેખાય? આ એવો યજ્ઞ છે જેમાં સચ્ચાઈ, અચ્છાઈ અને સારાઈ હોમાઈ રહી છે. આ સ્થિતિ હશે, ત્યાં સુધી ચાલશે તો બધું, એડમિશન અપાશે, વર્ગો લેવાશે, પરીક્ષાઓ લેવાશે, પરિણામો ય આવશે, પણ તેમાં જીવ નહીં હોય. એ કમનસીબી છે કે આપણે મશીનને માણસ કરવાની અને માણસને મશીન કરવાની સ્પર્ધામાં ઊતર્યાં છીએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 એપ્રિલ 2024