અરૂઢનો આરાધક : ભૂપેન ખખ્ખર’, લેખક : મિતેષ પરમાર, પ્રકાશક : આદર્શ, 95125 09090 પાનાં : 144, રૂ. 2002/-
વિખ્યાત ચિત્રકાર-સાહિત્યકાર ભૂપેન ખખ્ખર(1934-200)ની અરૂઢતાની શોધનો લેખકે નોંધપાત્ર સંશોધનનિષ્ઠાથી પ્રયાસ કર્યો છે. તેનાં મૂળ તેમના એમ.ફીલ.ના શોધનિંબધમાં જેમાં તેમણે સર્જકની વાર્તાઓ અને તેના ચિત્રો વચ્ચેના સંબંધને સમજવાની મથામણ કરી છે.
તે અભ્યાસનો નિર્દેશ પાંચમા પ્રકરણ ‘ચીલો ચાતરતો ચિત્રકાર’માં મળે છે. ભૂપેને ‘મગનભાઈનો ગુંદર અને બીજી વાર્તાઓ’ સંગ્રહમાં મુખપૃષ્ઠ અને કૃતિઓની વચ્ચે ત્રીસ ચિત્રો મૂક્યાં છે. તેમાંથી કેટલાંક ચિત્રોનાં વર્ણન, અને અર્થઘટન મિતેષ પરમારે આપ્યાં છે.
ગદ્યની ચિત્રાત્મકતાના દાખલા પણ તેમણે આપ્યા છે. પ્રારંભિક કોલાજ વર્કની સામગ્રીના વાર્તાઓ સાથેના સાયુજ્યની પણ મહેશ નોંધ લે છે.
નાટક, વાર્તા, નિબંધ અને કાવ્ય એ દરેક સ્વરૂપમાં ભૂપેને કરેલા સર્જનનું સર્વેક્ષણ-વિશ્લેષણ કરતું એક-એક સંતોષકારક પ્રકરણ અહીં છે. પહેલું પ્રકરણ ‘ભૂપેન ખખ્ખર એટલે હિમશીલા’માં કલાકારના સમગ્ર જીવન-સર્જનનો સર્વગ્રાહી આલેખ છે.
નવી પેઢીના અભ્યાસી લેખક મિતેષની એ સફળતા છે કે તેમણે એક સંકુલ સર્જકને શક્ય એટલી સરળ રીતે વાચકો સમક્ષ મૂક્યા છે. દસ ચિત્રોના ધોરણસરના પુન:મુદ્રણ સાથેનું પુસ્તકનું એકંદર સુઘડ નિર્માણ પણ નોંધપાત્ર છે.
* * * * *
‘અન્વેષણ‘, લેખક : સંધ્યા ભટ્ટ, પ્રકાશક : શબ્દલોક, અમદાવાદ, પાનાં :162, રૂ. 200/-
અત્યારના સમયના વીસ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોના, રસપ્રદ રીતે લખાયેલા અભ્યાસપૂર્ણ આસ્વાદલેખો આ સંચયની વિશેષતા છે.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના લેખોનો સંગ્રહ ‘કોરોના : બિંબ પ્રતિબિંબ’ અને મહામારી વિશેની મોહન પરમારની નવલકથા ‘કાલપાશ’, પારુલ ખખ્ખરની કવિતાઓના બે સંચય, લાલજી કાનપરિયાનું ‘સૉનેટશતક’ અને સતીશ વ્યાસનું નાટક ‘એક હતો રાજા’ જેવાં પુસ્તકોનાં અવલોકનો સંચયને સમસામયિકતા આપે છે.
એવું જ પુસ્તકમાં સમાવવામાં આવેલા સાત અભ્યાસ લેખોમાંના ‘કોરોના સમયનું સાહિત્ય’ અને ‘પન્ના ત્રિવેદીની વાર્તાઓ’અંગે કહી શકાય.
સંપાદિત અનુવાદ સંચય ‘સાહિત્યત્વ’, આર.કે. નારાયણની ‘ગાઈડ’ નવલકથાનું હરેશ ધોળકિયા દ્વારા ગુજરાતી અવતરણ, અને સ્વાતિ મહેતાએ મરાઠીમાંથી ગુજરાતીમાં ઊતારેલી વાર્તાઓના બે સંચયોનો પણ સંધ્યાબહેને પરિચય આપ્યો છે.
રમેશ માછીએ લખેલી, નાવિક જીવનને કેન્દ્રિત નવલકથા ‘નૈયા તુ મોરી મૈયા’, લતા હિરાણીની લઘુનવલ ‘હું ને કથા’ તેમ જ લેખક-ચિત્રકાર રજની વ્યાસની સ્મરણકથા ‘બારીમાંથી આકાશ’ જેવાં વિશિષ્ટ પુસ્તકો સંધ્યાબહેને અહીં પરિચય કરાવ્યો છે.
* * * * *
મહુડે ઝરતી રાત’, લેખક : વસંત જોષી, પ્રકાશક : બીજલ પ્રકાશન, વડોદરા, 7043383004, પાનાં :140, રૂ. 200 /-
કવિ નોંધે છે કે આ સંગ્રહની કવિતા આકાશવાણીના આહવા કેન્દ્રના નિયામક તરીકેના તેમના ‘ડાંગ નિવાસ દરમિયાન’ લખાઈ છે.
કાર્યક્ષેત્રના હંમેશના સંઘર્ષમાં અરણ્યવાસના એકાંતના ઉમેરણ સાથેના આ કાળને કવિ ‘એક રીતે exile’ એટલે કે દેશવટો ગણાવે છે.
રચનાઓ ટૂંકી પંક્તિઓવાળી, અછાંદસ અને કલ્પનોથી ભરપૂર છે. કુલ ચોવીસમાંથી આખરી આઠ રચનાઓ આહવા નિવાસ પછીની છે. તેમાં કવિના ‘કાવ્યગુરુ’ સિતાંશુ યશશ્ચન્દ્ર વિશેની કવિતા ત્રણ પાનાંની છે.
પરિશિષ્ટ તરીકે વસંતભાઈની રચનાઓના અન્ય કવિઓએ કરેલાં અંગ્રેજી તેમ જ હિન્દી અનુવાદ, તેમની કવિતાઓ પરના આસ્વાદ અને તેમના કાવ્યસંગ્રહોની સમીક્ષાના લેખો વાંચવા મળે છે.
જંગલના, પૂરા પાનામાં આછા કરેલા ફોટોગ્રાફ સાથે પુસ્તકનું નિર્માણ સમુચિત સ્પેસિંગ અને કલાદૃષ્ટિથી થયું છે.
* * * * *
‘સમયનો દીવો‘ લેખક : ઉર્વીશ વસાવડા, પ્રકાશક : મીડિયા પબ્લિકેશન્સ, જૂનાગઢ 9898512121 પાનાં 105, રૂ. 150/-
એકસો એક ગઝલોના સંચયમાં લય, ગતિ અને મુદ્રણની રીતે સહુથી આકર્ષક રચના ‘હા કે ના’ છે. ઓછા શબ્દો અને નાની પંક્તિઓવાળી રચનાઓ અનેક મળે છે, જેમાં ‘લખતાં લખતાં લહિયો થાય’ વિશેષ ચોટદાર છે.
ચાર પંક્તિઓની પાંચ કડીવાળી રચના ‘વૃક્ષ કાપ્યાનું પાતક કર્યું’ તેનાં ફળ શબ્દોમાં મૂકે છે. સંત કવયિત્રી પાનબાઈને કેન્દ્રમાં રાખીને રચેલી સરસ ગઝલો મનોજ ખંડેરિયાની ઉર્વીશે કરેલી ઈચ્છાપૂર્તિ છે.
પ્રાસંગિક રચનાઓમાં એક કોરોના વિશે અને બે માતૃશ્રીના સ્મરણરૂપે છે. વિશ્વરંગભૂમિ દિવસ નિમિત્તે લખાયેલી બેમાંથી એક ગઝલની પહેલી પંક્તિ છે : ‘ક્ષણ છે નાટક પૂરું થવાની, લે પોપટિયા પડદો પાડ’.
———————————
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 9898762283
07 એપ્રિલ 2024
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ઍપ્રિલ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર