Opinion Magazine
Number of visits: 9803721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લવારા, લવારા અને લવારાઓ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2026

રવીન્દ્ર પારેખ

ભારતીય રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ કે વિપક્ષો સામસામે શિંગડાં ભરાવતાં જ રહે છે. શાસક પક્ષને પોતાનામાં કંઇ ફેરવિચાર કરવા જેવું લાગતું નથી ને વિપક્ષોને એમાં કશું જ સારું દેખાતું નથી ને સત્ય એ બે છેડાની વચમાં ક્યાંક હોય તો હોય. સામસામે આરોપો મૂકવાનું જ ચાલે છે ને એમાં બોલવાનું ભાન નથી રહેતું ને સામસામી ટીકાઓથી જ પેટ ભરાતું રહે છે. ભલભલા રાજકારણીઓ સામા પક્ષની ટીકાઓ કરીને નિર્વાહ કરતા હોય છે. જરા વિચારો કે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ન હોત, તો આજના વડા પ્રધાન પાસે કહેવાનું જ શું બચ્યું હોત ! કેટલા બધાનો વ્યવહાર આવાં તર્પણ ઉપર જ ચાલતો હોય છે. અહીં નહેરુ માટે બહુ વહી જાય છે, એવું નથી, પણ આમ મૃતકને જીવતો રાખવાથી હાંસલ શું થાય છે તે વિચારવા જેવું છે. હાલના વડા પ્રધાન નહેરુની ખોદણી કરે તો પોતાના પક્ષમાં માન પ્રતિષ્ઠા વધે છે, પણ કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મોદીની ટીકા કરે તો તેને ચૂંટણીપંચ સો કોઝ નોટિસ આપે છે ને એક જ દિવસમાં જવાબ માંગે છે. આમ કરવાથી ખડગેનો બચાવ કરવાનો ઈરાદો નથી, પણ એકને ગોળ ને એકને ખોળ – એ નીતિ પુનર્વિચાર માંગે છે.

એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કદાચ સૌથી સિનિયર નેતા છે. તેમની પાસેથી ઠરેલપણાંની સહજ અપેક્ષા રહે. ચેન્નાઈની એક સભામાં AIADMK અને ભા.જ.પ.ના ગઠબંધનની ટીકા કરતાં ખડગેએ એવા મતલબનું કહ્યું કે વડા પ્રધાન મોદી આતંકવાદી છે. અન્નાદુરાઈનો ફોટો લગાવનાર AIADMK મોદીને ટેકો આપી જ કઈ રીતે શકે? એ તો આતંકવાદી છે. તેમની પાર્ટી ન્યાયમાં ને સમાનતામાં માનતી નથી. દેખીતું છે કે આ ટિપ્પણીથી ભા.જ.પ. છાવણીમાં ખળભળાટ મચી જાય. આ મામલે ભા.જ.પે. ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથથી લઈને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રવક્તાઓ સુધીના નેતાઓએ આને 1.4 અબજ લોકોનું અપમાન ગણાવ્યું છે. આ પહેલાં પણ ખડગેએ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. કાઁગ્રેસે આની જાહેરમાં માફી માંગવી જોઈએ. ખડગેએ ખાતર પર લીંપણ તો ઘણું કર્યું, પણ એમણે સ્વીકારવું જોઈએ કે મોદીને અજાણતાં કે જાણીને આતંકવાદી કહ્યા છે તે હકીકત છે અને એની જાહેરમાં માફી માંગવી જ જોઈએ.

આ અગાઉ થોડા દિવસ પર કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6.4 કરોડ ગુજરાતીઓને અભણ કહીને અપમાનિત કર્યા હતા. કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વયોવૃદ્ધ નેતા વાણી વિવેક ન દાખવે તે ઠીક નથી. તેઓ જ જો સંયમ ન રાખે તો તેમના પછીના અન્ય પક્ષોના નેતાઓ ઉદ્ધતાઈથી વર્તે તો તેને કેમ કરીને રોકીશું? આમ પણ નેતાઓની જીભને હાડકું હોતું નથી ને ખડગે પહેલાં કે પછી પણ અવિવેક. નેતાઓની લાક્ષણિકતા રહી છે. એ સ્થિતિમાં રાજકારણીઓની ઓળખ કઈ રીતે ટપોરીઓથી અલગ હશે તે વિચારવાનું રહે. અહીં કોઈ પક્ષની ટીકા થાય તેની તો ના જ નથી, પણ ખડગે કે કેજરીવાલ કે મમતા બેનર્જી કે ભા.જ.પ.ના કે અન્ય પક્ષના નેતાઓ અંગત આક્ષેપોમાં સરી પડે કે અણછાજતી ટીકા કરે, તો એવી કાદવ ઉછાળ પ્રવૃત્તિઓથી સૌએ દૂર રહેવું જોઈએ. જો કે, તેવું બહુ જોવા મળતું નથી. લવારા કરવાનું જ રાજકારણીઓને સહજ લાગે છે. તેમને બિનસંસદીય શબ્દો વિષે ખાસ ખબર નથી, અથવા તો જાણીને બોલે છે ને પછી માફી માંગી લે કે પ્રકરણ પૂરું થઇ જાય છે. ચૂંટણી વખતે આવા લવારાઓ સહજ થઇ પડે છે. મલ્લિકાર્જુન ખડગેએ ખુલાસો કર્યો કે ચૂંટણીપંચે નોટિસ ફટકારી એટલાથી વાત પૂરી થઈ જાય છે. મોટે ભાગે આ દુષિતો નિર્દોષની જેમ વળી ક્યાંક લવારા કરી લે તો પણ બહુ વાંધો આવતો નથી.

નજીકના જ ભૂતકાળમાં કેટલાક નેતાઓએ કેવા કેવા લવારાઓ કર્યા છે તે જોઈશું તો તેઓ કોઈ પણ હદે જઈ શકે છે એનો ખ્યાલ આવશે. મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીઆ એક પ્રચાર સભામાં માઈક પર જ ગાળ બોલી ગયા ને એના વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલીઆ ગાળ બોલતા જણાય છે ને તે અંગે તેમને કોઈ સંકોચ પણ નથી. આમાં માફી માંગવાનો વિવેક તો નથી જ જળવાતો, બલકે, એવો બેશરમ બચાવ પણ ગોપાલ ઈટાલીઆ કરે છે કે ભાવનગરમાં આવું બોલાવું બહુ સામાન્ય છે. ત્યાં ભાઈઓ-બહેનોમાં આમ બોલાવું સહજ છે. બચાવમાં ઈટાલીઆએ ભાવનગરમાં ભાઈઓ આવું બોલે છે એટલું જ નહીં, બહેનો પણ બોલે છે એવું પણ થયેલાં વિધાનને લઈને મહિલા આયોગે ઉમેર્યું. ભાવનગરમાં એવું કઈ બહેનો બોલે છે તે તપાસનો વિષય છે. બાકી, હતું તે સુરતમાં પણ આવું બોલાય છે, એમ કહીને બધાના જેવું જ પોતે બોલ્યા છે એમ ઠસાવવાનો પ્રયત્ન પણ કર્યો. ઈટાલીઆ આપના ધારાસભ્ય છે. વિધાનસભામાં કેવી સંસદીય ભાષા બોલવી તેનો તેમને ખ્યાલ છે, છતાં માઈક પરથી ગાળ બોલ્યા, એટલું જ નહીં, આવું બધું તો ચાલે એ ટાઈપનો બચાવ પણ કર્યો જે ઘૃણાસ્પદ છે.

બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણી કરતાં એવો લવારો કર્યો કે આજના સમયમાં મોટા ભાગની મહિલાઓ કોઈ પુરુષ રાજનેતાના બેડમાં સમય વિતાવ્યા વિના રાજકારણમાં પ્રવેશી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે 90 ટકા મહિલાઓ આવું જ કરે છે. આવાં ગંદા નિવેદન પછી, બિહારના મહિલા આયોગે પપ્પુ યાદવને નોટિસ ફટકારી છે. મહિલા બિલ લોકસભામાં પસાર ન થયું તે મુદ્દે વાત કરતાં યાદવે ઉમેર્યું કે મોટેભાગના પુરુષ નેતાઓ ગીધ જેવા હોય છે. મહિલાઓ અંગેની બીભત્સ ટીકાથી ભારે હોબાળો મચ્યો છે. વધારામાં ઘરેલું હિંસા કોણ કરે છે? મહિલાઓ પર નજર કોણ બગાડે છે? અમેરિકાથી લઈને ભારત સુધીનાં રાજનેતાઓ આવા જ છે, મહિલાઓનું શોષણ હવે સંસ્કૃતિ છે જેવી યાદવની ટીકાથી મહિલા આયોગે આ મામલે થયેલાં વિધાનને ધ્યાને લઈને નોટિસ ફટકારી છે અને ૩ દિવસમાં જવાબ માંગ્યો છે.

આવો જ એક કિસ્સો મોરબી ભા.જ.પ.ના પૂર્વ નેતા અવાડીઆનો અમૃતિયા અંગેનો છે. અવાડીઆને એવું છે કે તેમની ટિકિટ અમૃતિયાને લીધે કપાઈ છે. દેવા અવાડીઆએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેણે મારી ટિકિટ કાપી તેના આત્માને ત્રણ મહિના અને 21 દિવસમાં ભગવાન શાંતિ આપે. મેં આ માટે ઘરે અખંડ દીવો રાખ્યો છે. હું તેના ફોટાને 111 દિવસે પગે લાગવા જઈશ. રાજ્ય સરકારના મંત્રી અને મોરબી ધારાસભ્યે પણ વળતો જવાબ આપતા કહ્યું કે તાકાત હોય તો સામી છાતીએ લડો. જે દીવો સળગાવ્યો છે, તેનું ઘી હરામના પૈસામાંથી આવ્યું છે. એવું કહેવાય છે કે અમૃતિયાએ ટિકિટ કપાઈ તે મામલે માફી પણ માંગી હતી. આ પછી પણ અવાડીઆ અમૃતિયાને મૃત્યુ મળે એટલે અખંડ દીવો રાખે ને ત્રણ મહિનામાં અમૃતિયાનું મોત થાય એવી બધા રાખે એ અસહ્ય છે. ચૂંટણીમા ટિકિટ મળે તે માટે ને ન મળે તે માટે પણ જે હવાતિયાં મરાય છે તેણે ખેલદિલી જેવા શબ્દનો છેદ ઉરાડી દીધો છે. એ પણ વિચારવાનું રહે કે જીતવાથી કેટલું કંઇ મળતું હશે કે ટિકિટ ન મળવાથી હતાશ ઉમેદવાર કોઈના મોત માટે પ્રાર્થના કરવા લાચાર થાય. એ પણ છે કે લવારા કરવામાંથી કોઈ ગાંજ્યો જાય એમ નથી. લવારા પણ કેવા-કોઈનું મોત ઇચ્છે એવા. આ લવારો એટલો ખતરનાક છે કે મળેલી ટિકિટ પણ છીનવી લેવાય તો કશું ખોટું નથી. લવારાની આ અવધિ છે.

એ અત્યંત દુ:ખદ છે કે આવા લવારિયા ફાલતું નેતાઓ જીતે છે ને નવા લવારા કરવા વિધાનસભા કે સંસદમાં દાખલ પડી જાય છે. આમ થવાનું કારણ તંત્રોની ઢીલાશ જ છે. કોઈ પણ કાયદો આવા લવારિયાઓનું કંઇ બગાડી શકતો નથી, એટલે તેમની હિંમત વધે છે. આવા નેતાઓને ઉઘાડા પણ પાડી શકાતાં નથી, કારણ એ બધાં ઉઘાડાં જ છે. ખુરશી એટલી મહત્ત્વની થઇ ગઈ છે કે તેને માટે નેતાઓ કોઈ પણ પાપ કરવા તૈયાર થઈ જાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઍપ્રિલ 2026

Loading

24 April 2026 Vipool Kalyani
← સંબંધો
અનોખી જોડી →

Search by

Opinion

  • અનોખી જોડી
  • સંબંધો
  • સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો
  • રિએક્શન
  • વિનોબાજી અને વિજ્ઞાન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved