ધોરાજીમાં બે વર્ષ
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થવાને બસ બે જ વરસ બાકી હતાં ને પ્રમોશન મળ્યું. તે ય ગાંધીનગરથી છેક સાડા ત્રણસો કિલોમીટર દૂર. રાજકોટ જિલ્લાના તાલુકામથક ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલમાં. એક તરફ આટલે દૂર ન જવાય એવો મોટા ભાગના લોકોનો અભિપ્રાય હતો. તો બીજી તરફ એક નવો અનુભવ થશે, એમ માનીને પડકાર લેખે ૧૫મી જૂન, ૨૦૧૫ની રાતે ધોરાજીની વાટ પકડી.
ચુનીલાલ મડિયા જેને ટીંબામાંથી ટાઉનશીપ બનેલું ગણે છે તે આજના ધોરાજીની જગ્યાએ ત્રણસો વરસ પહેલાં જંગલ હોવાનું કહેવાય છે. આજે ત્રણ દરવાજાથી દરબાર ગઢ જતાં પરખાય છે તેમ, ધોરાજીનું ભૃપૃષ્ઠ. ઊંટની પીઠ જેવું છે. આ ટીંબો ધીમે ધીમે માનવવસ્તીથી ઊભરાવા લાગ્યો. ટીંબા ઉપર સૌથી પહેલો ચારણોનો નેસ બનેલો. કાચાં ઝૂંપડાં બાંધી માલ ઢોર સાથે ચારણો વસવા લાગ્યા. ખેતી અને દૂધ-ઘીની કમાણીએ એમને ત્યાં સ્થાયી કર્યા ને આમ આ નેસે ગામડાનું રૂપ ધર્યું. ચારણના નેસમાં એક ચારણ સ્ત્રી નામે ધોરીઆઈ તેમનાં આગેવાન. ધોરીઆઈ જેટલાં હિંમતવાન એટલાં જ નેતૃત્વકુશળ. એમના નામ પરથી જ નેસમાંથી ગામ બનેલી આ માનવવસ્તી ‘ધોરાજી’ તરીકે ઓળખાઈ !
પહેલાં લોક વસ્યા અને પછી જાગીરદાર કે રાજા આવ્યો, એવો ધોરાજીનો આરંભિક ઇતિહાસ છે. શિકાર. લૂંટફાટ અને ચોરી કરવા આવેલા સુમરા અહીં સ્થિર થયા અને તેમના નેતા હોથી સુમરાએ ગામ પર પોતાનું આધિપત્ય જમાવ્યું. ધોરાજીના પાદરમાં વહેતી નદીનું નામ સફુરા, હોથી સુમરાની દીકરીના નામ પરથી પાડવામાં આવ્યું હોવાનું મનાય છે. ઈ.સ. ૧૭૪૮માં ગોંડલના રાજા હાલાજીએ, ધોરાજીના જાગીરદારે, જૂનાગઢના નવાબ સામે કરેલી લડાઈમાં મદદ કરી, નવાબના દુશ્મનને હરાવ્યો અને બદલામાં ‘ઘરની ધોરાજી’ કહેતાં ધોરાજી, સુપેડી, ડુમિયાણી, નાની મારડ અને પીપળિયા એ પાંચ ગામનું પરગણું મેળવ્યું હતું. એ રીતે ગોંડલ રાજ્ય ધોરાજીમાં સ્થપાયું. ધોરાજીમાં ચારણો પછી મુસ્લિમો આવી વસ્યા અને જૂનાગઢના નવાબે ધોરાજી ગોંડલને સ્વાધીન કર્યું એવો રસપ્રદ એનો ઉદ્દભવ છે.
ગોંડલના રાજા ભાકુંભાજીએ ઈ.સ. ૧૮૦૫માં ધોરાજીની સલામતીને ધ્યાનમાં રાખીને કિલ્લો બાંધવાનો શરૂ કર્યો. આજે તો એ કિલ્લાના થોડા અવશેષો જ બચ્યા છે. આ કિલ્લાને ચાર દરવાજા (કાઠિયાવાડ દરવાજો, પોરબંદર દરવાજો અને સોરઠ દરવાજો) અને ત્રણ બારી (દરબારની બારી, ભીમજીની બારી અને સતીની બારી) હતી. એમાં વધઘટ પણ થતી રહી હતી. ધોરાજીના કિલ્લાને તોરણ બંધાયા પછી સૌ પહેલો બહારનો વસવાટ કણબી ખેડૂતોનો થયેલો. ગોંડલનરેશ સંગ્રામજી આજના આણંદ જિલ્લાના વઘાસી ગામે પરણેલા. એટલે એમણે પોતાની સાસરીના ખેડૂતોને ધોરાજીમાં લાવી વસાવ્યા. એ રીતે વઘાસીના કણબીઓ બહારથી આવી વસેલા તેઓ આજના ધોરાજીના આદિ વસાહતીઓ ગણાય છે. તેમણે પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા ‘વઘાસિયા’ અટક ધારણ કરી છે.
***
ધોરાજી ક્રમે ક્રમે વિકસતું ગયું. ભારતીય સમાજની જ્ઞાતિવ્યવસ્થા મુજબ કિલ્લામાં વસવાટ થતો રહ્યો. ધોરાજીમાં આજે ખ્રિસ્તી સિવાયના તમામ ધર્મના અને અઢારે ય વરણના લોકો વસે છે. ગામની વસ્તીમાં અડધોઅડધ મુસ્લિમો છે, તો દલિતોનું પણ મોટું સંખ્યા બળ છે. પણ જૂના જમાનામાં કિલ્લા નજીક રાજપૂતોને વસાવ્યા હતા. જેથી તે રાજની રખવાળીનું જ્ઞાતિગત કામ કરે. ગામના અગ્નિ ખૂણે આજના દલિતો-પછાતો-મુસ્લિમોને વસાવ્યા હતા. કણબીઓને ખેતી અને રહેઠાણની જમીનો આપી ગામના મધ્ય ભાગમાં વસાવ્યા હતા, તો બ્રાહ્મણોને મંદિરોની અને રાજની નજીકમાં રાખ્યા હતા.
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ધોરાજીનો દરબારગઢ બંધાયો. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવો દરબારગઢ એના અદ્દભુત કોતરણીવાળા પ્રવેશદ્વારોથી સોહતો રાજમહેલ હતો. પુરાતત્વની દૃષ્ટિએ રક્ષિત એવી આ ઇમારત હવે તો ખંડેર બની રહી છે. તેની બાજુમાં અને અંદર મામલતદાર સહિતની સરકારી કચેરીઓ બેસે છે. આજ દરબારગઢમાં ગોંડલના પ્રગતિશીલ અને પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીનો જન્મ થયો હતો. દરબારગઢને અડીને ભીમજીની બારી આવેલી છે. બહારપુરાની દલિત મુસ્લિમ વસ્તીનું તે એક પ્રવેશદ્વાર છે. લોકજીભે ભીમજીની બારી ‘ગંધારો દરવાજો’ તરીકે ઓળખાય છે. કેમ કે ભીમજીની બારી અને આજના ગંધારા દરવાજાની અંદરબહાર લોકો પેશાબ કરે છે, ગંદકી કરે છે. આ બારીમાંથી પસાર થવું ભારે દુષ્કર છે. એક પ્રજા તરીકે આપણે આપણા વારસાનું કેવું જતન કરનારા છીએ અને ખુલ્લામાં શૌચમુક્ત નગરોનો સરકારી નારો કેવો બિનઅસરકારક-બોદો છે તેનું જીવંત પ્રતીક ધોરાજીનો ગંધારો દરવાજો છે.
આજના ધોરાજીની પાંચમા ભાગની વસ્તી બહારપુરામાં વસે છે. પણ તેમાં માત્ર બે જ કોમો છે – દલિત-પછાતો અને મુસ્લિમો. બહારપુરાની રચનાનો ઇતિહાસ પણ રંજ અને આક્રોશ જન્માવે તેવો છે. આરંભે દલિતો-પછાતો-કારીગરો અને મુસ્લિમો કિલ્લાની અંદરના ગામમાં વસતા હતા. પણ ગામનો વિકાસ થયો, આધુનિકતા આવી ત્યારે તે ગામની બહાર ધકેલાયા. વિકાસ સાથે વંચિતોનું વિલોપન એ કંઈ એકવીસમી સદીની જ કથા નથી કે તેના પર એકલા નરેન્દ્ર મોદીનો ઇજારો નથી. આધુનિક અને પ્રગતિશીલ ગણાતા ગોંડલ રાજમાં પણ 'બહારપુરા' સર્જાયું હતું, જે મારા ધોરાજીવાસનું સરનામું બનવાનું હતું.
ઈ.સ. ૧૮૮૧માં ધોળાથી ધોરાજીની રેલવે શરૂ કરવામાં આવી. રેલવેને કારણે થનારા વિકાસને અનુલક્ષીને ગામનો નવો નકશો ઘડાયો. એમાં કિલ્લેબંધ ગામમાં વસતા દલિતો, પછાતો, કારીગરો અને મુસ્લિમોને ગામની બહાર, ‘બહારપુરા’ વસાવી ત્યાં ધકેલ્યા. આજનું બહારપુરા એમ બધી રીતે શહેરની બહાર છે. સાવ જ ઉપેક્ષિત અને નરકાગાર ! એને જાણે કે વિકાસ અડતો જ નથી. વિકાસને ત્યાં લગી આવવાનો લોકતાંત્રિક રાજમાં રાજહુકમ નથી. ધોરાજીના શાસનકર્તાઓ માટે તે સાવ બહારનો અને અણમાનીતો વિસ્તાર છે. ત્યાં ન રસ્તા છે, ન ગટરો છે, ન બેંક છે, ન શાળા છે. ધોરાજીના પ્રથમ દલિત નગરપતિ પણ અહીં જ વસે છે. એવું જ મુસ્લિમ પ્રતિનિધિઓનું પણ છે. પ્રાતિનિધિક લોકશાહીમાં બહારપુરાનો હિસ્સો અને પ્રતિનિધિત્વ છે પણ વિકાસનાં ફળ જ નહીં, એના મૂળમાં પણ એનો હિસ્સો શૂન્ય છે. મજાની વાત એ છે કે આ જ બહારપુરામાં મુલ્કમશહૂર ખ્વાજા મોહકમદ્દીન સૈરાની અને લાલશા બાપુની દરગાહો છે. દર વરસે આસો માસમાં અહીં મોટો ઉર્સ ભરાય છે, જેની સૌરાષ્ટ્રના મોટા મેળાઓમાં ગણના થાય છે. આ ઉર્સમાં હજારો લોકો આવે છે. અન્યથા જેમને કદી બહારપુરા જવાનું થતું નહીં તે ધોરાજીની ઉજળિયાત વસ્તી અહીં રાતભર ચાલતા મુજરા દેખવા જતી હતી. ઉર્સના ચચ્ચાર દિવસ ગંદુ, ગોબરું, ઉપેક્ષિત બહારપુરું એના એ તમામ લક્ષણો અકબંધ રાખીને રોશનીથી ઝળાહળાં થઈ ઊઠે છે.
***
ત્રણ સદી જૂના ધોરીઆઈના ધોરાજીની પહેલી વસ્તી ગણતરી ૧૯૨૧માં થઈ ત્યારે વસ્તી હતી ૨૫,૦૦૦. ૧૯૩૧માં તે વધીને ૨૯,૦૦૦ અને ૧૯૬૧માં ૫૦,૦૦૦ થઈ હતી. ૨૦૧૧માં ધોરાજીની વસ્તી ૮૪,૫૪૫ની હતી. ૧૦૦૦ પુરુષે ૯૫૩નું સ્ત્રી પ્રમાણ સારું કહી શકાય તેવું છે. ગોંડલરાજનું ફરજિયાત શિક્ષણ ધોરાજીને ફળ્યું છે. ધોરાજીમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૧.૮૦ ટકા છે.
મહારાજા ભગવતસિંહજીની જનમભોમકામાં, એમના નામની શાળામાં મારે નોકરી કરવાની હતી. ધોરાજીની આ જ ભગવતસિંહજી હાઈસ્કૂલમાં ૨ જુલાઈ, ૧૯૩૨થી ૩૧ માર્ચ, ૧૯૩૯ સુધી જાણીતા વાર્તાકાર ચુનીલાલ મડિયા ભણતા હતા. ભગવતસિંહ અને મડિયાના સ્મરણે સ્વાભાવિક આનંદ અને રોમાંચ હતો. પણ ૧૬મી જૂન, ૨૦૧૫ની સવારે જ્યારે મેં શાળામાં પગ મૂક્યો ત્યારે તેના પ્રથમ દર્શને, શાળાના પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં, ચાર ખૂણે તકાઈને મુકાયેલી, તિરંગા રંગની ચાર તોપો જોતાં મારો સઘળો આનંદ વરાળ થઈ ગયો. કોઈ શાળાના પ્રવેશદ્વારે કલમને બદલે તોપ જોઈને આઘાત લાગવો સ્વાભાવિક હતો. પણ આવા તો ઘણા આઘાતો મને મળવાના હતા.
૧ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ ભગવતસિંહે આ શાળાના મકાનનો પાયો ખોદાવેલો. હાલના ગેલેક્સી ચોકમાં જૂની ભગવતસિંહ હાઈસ્કૂલ અને રેલવે સ્ટેશન રોડ પર નવી ભગવતસિંહ હાઈસ્કૂલ એમ બે શાળાઓ હતી. એક જમાનામાં શિક્ષણનું એકમાત્ર ધામ એવી આ શાળા શિક્ષણથી ધમધમતી હતી, તે આજે વેરાન છે. વિદ્યાર્થીઓ મેળવવાના ફાંફાં છે. શાળાના પિસ્તાળીસ વર્ગખંડો છે, પણ ધોરણ ૯ થી ૧૨ના ચાર જ વર્ગો બચ્યા છે. શાળાના કેમ્પસમાં હેલિપેડ છે અને બહુ ઓછાં ઝાડ-છોડ સાથેનું ઉજ્જડ ચોગાન છે. થોડા મહિના પછી મેં મેદાનમાં પાંચ-દસ જગ્યાએ માટીના ટીંબા જોયા. મારું શહેરી મન માનતું હતું કે એ બાળકોએ બનાવેલા મોલ્લા માતા હશે, પણ સાથી કર્મચારીઓએ મારો ભ્રમ ભાંગ્યો. ખરેખર એ સાપના રાફડા હતા.
***
ભગવતસિંહજી હાઈસ્કૂલનો કેવો જમાનો હતો અને તેના શિક્ષણનો કેવો પ્રતાપ હતો તેના પરચા મને મારા બે વરસના ધોરાજીવાસ દરમિયાન મળતા રહ્યા. મુંબઈથી એક મોટા વેપારી તેમની મોંઘીદાટ કાર અને કુટુંબ સાથે ભરબપોરે શાળાએ આવેલા. આ શાળાનો, તેના શિક્ષણનો તેમના વિકાસમાં કેટલો મોટો ફાળો છે તેની વાતો તે બહુ ભાવુકતાથી મને કરતા હતા. પોતાના જૂના શિક્ષકો અને ગોઠિયાઓને સજળ આંખે સંભારતા હતા. જતી પળે એમણે સાવ અડવાણા પગે, બે હાથ જોડીને નતમસ્તકે પાંચ વાર શાળાની પ્રદક્ષિણા કરેલી એ દૃશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. પછી તો આવાં દૃશ્યો ઘણી વાર જોવાનાં બન્યાં, ને એથી સામા છેડાના અનુભવો પણ છે.
શાળાના પ્રવેશદ્વાર પછીના હોલની દીવાલે એક તકતી છે : સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષક અને સુપરવાઈઝર એવા એક ભાઈએ ૨૦૦૦ની સાલમાં શાળાને માત્ર ૭,૭૭૭/- રૂપૈડીનું દાન કરી તેની તકતી મૂકાવીને તેમાં પોતાના ઉપરાંત પત્ની, બે પુત્રો અને ત્રણ પૌત્રોનાં નામો કોતરાવીને અમર કરી દીધાં છે. શાળામાં આ એકમાત્ર તકતી છે. જો તેનો ચાલ વધ્યો હોત તો આજે શાળાની દીવાલો ધરમશાળાની દીવાલો બની ગઈ હોત. એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એટલા શાણા ગણાવા જોઈએ. તેમને મહારાજા પ્રત્યે અને શાળા પ્રત્યે અહોભાવ, આદર અને લાગણી છે, પણ તેનું વરવું પ્રદર્શન કરવાથી તે દૂર રહ્યા છે.
આજથી પોણા ચાર દાયકા પૂર્વે ધોરાજીની જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બંધ કરી તેમાં સરકારી ઓફિસો બેસાડવાનો સરકારે નિર્ણય કર્યો ત્યારે નગરસમસ્તનો વિરોધ એકી અવાજે પ્રગટ થયો હતો. 'જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિ'ના નેજા હેઠળ આંદોલન થયું હતું. ૮ જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ અશ્વિનકુમાર ચુનીલાલ માવાણી નામક પાટીદાર યુવાન એ આંદોલનમાં શહીદ થયેલો. આજે પણ તેની ખાંભી, આ આંદોલન અને સરકારી શાળાના શિક્ષણ માટેની પ્રજાની ચાહતની ગવાહીરૂપ ત્યાં ખડી છે. જો કે લોકોનો વિરોધ બહુ ન ટક્યો. શિક્ષણના ખાનગીકરણ જ નહીં, બજારીકરણ સામે સરકારી શાળાઓને ખુદ સરકારે જ શહીદ કરી દીધી. જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ બંધ પડી ને ત્યાં ૨૦૧૧થી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કહેતાં પ્રાંત અધિકારીસાહેબની ઓફિસ બેસતી થઈ ગઈ છે. હવે ત્યાં ધોરાજીની તમામ સરકારી કચેરીઓ માટે બહુમાળી ભવન બનવાનું છે. એટલે કોઈ પણ દિવસે ચુનીલાલ મડિયા જે શાળામાં ભણતા હતા તે નેસ્તનાબૂદ થઈ જશે. જો રાજકોટમાં ગાંધીજીની શાળા બંધ કરી ત્યાં મ્યુિઝયમ બનાવવાનું હોય તો બાપડા મડિયારાજાનું શું ગજું કે તેમની શાળા બચે ! જૂની ભગવતસિંહ હાઈસ્કૂલ નષ્ટ થવાની છે, તો નવી ભગવતસિંહ મરણાસન્ન છે.
***
ઈ.સ. ૧૯૦૬માં ધોરાજીમાં પહેલી નિશાળ સ્થપાઈ હતી. આઝાદી પૂર્વે, ૧૯૩૪માં ગોંડલ સ્ટેટે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો હુકમ કરેલો. એના દોઢ દાયકા પહેલાં ૧૯૧૯માં કન્યાકેળવણી ફરજિયાત અને નિ:શુલ્ક કરી હતી. ૧૮૮૭માં ધોરાજીમાં કન્યાઓ માટે શાળા શરૂ કરી હતી, જે આજે પણ ગોંડલ રાજ્યની કન્યા કેળવણીની પ્રતિબદ્ધતાના પ્રતીકરૂપે ધોરાજીમાં મોજૂદ છે. ઈ.સ. ૧૯૧૫માં ધોરાજીની એક સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાએ વોલિન્ટિયર્સ યુનિયન હાઈસ્કૂલ નામે પહેલી ખાનગી શાળા શરૂ કરી હતી. આ શાળાના કાયમી નિભાવ ખર્ચ માટે લોકોએ લોટરી કાઢી ભંડોળ ભેગું કર્યું હતું.
શિક્ષણના ખાનગીકરણના વર્તમાન માહોલમાં ધોરાજીમાં ખાનગી અને સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળાઓની ભારે બોલબાલા છે, તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં વળતાં પાણી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસની સગવડોમાં સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળા થઈ શકતી હોય, તો કોઈ ટ્યુશન ક્લાસ શું કામ ચલાવે? એવી ગણતરી અને સરકારી નીતિને કારણે એવી શાળાઓ વધી રહી છે. ધોરાજીમાં આવેલી શાળાઓનાં નામોનો વળી જુદો જ ઇતિહાસ છે. થોડાં નામ જોઈશું તો તેમાં એકતા વિનાની વિવિધતા દેખાશે. ધોરાજીમાં મુસ્લિમ — હા, મુસ્લિમ — સ્કૂલ છે, તો પટેલ વિદ્યામંદિર છે. બેસ્ટ, યુનિક અને રોયલ જેવાં આધુનિક અંગ્રેજી નામો ધરાવતી હાઈસ્કૂલો છે, તો ચાણક્ય, ગોપાલ, નચિકેતા, અર્જુન અને સાંદિપની સાંદીપનિ જેવાં પ્રાચીન નામોની શાળાઓ છે. સંસ્કારધામ શાળા છે, તો આદર્શ શાળા પણ છે. શહેરમાં આર્ટસ, કોમર્સ અને બી.બી.એ. ભણાવતી બે કોલેજો છે, ટેકનિકલ હાઈસ્કૂલ છે, તો મદરેસા પણ છે. ‘શિક્ષણનું હબ' ગણાતા ધોરાજીની બેઉ સરકારી શાળાઓમાં કાબેલ શિક્ષકો અને કર્મઠ આચાર્યો છતાં તે મરવાના વાંકે જીવે છે.
***
હું બે વરસ ધોરાજીમાં હતો તે દરમિયાનની દસમા-બારમા ધોરણની જાહેર પરીક્ષાઓમાં આસપાસના ગામો કે નગરોની શાળાઓ કે છાત્રાલયોના પાટીદાર વિદ્યાર્થીઓને ટ્રાવેલ્સની મોંંઘી બસોમાં પરીક્ષા આપવા આવતા જોતો અને ચાળીસેક વરસો પહેલાં ૧૯૭૯માં, હું અમદાવાદ જેવા શહેરમાં બાર સાયન્સની પરીક્ષા આપવા પાંચ કિલોમીટર દૂરના પરીક્ષાકેન્દ્ર પર પગપાળો જતો તે સતત યાદ આવતું. અહીં ધોરાજીનાં પરીક્ષાકેન્દ્રોમાં પરીક્ષા આપવા આવતા દલિત વિદ્યાર્થીઓની હાલત મારી ૧૯૭૯ની હાલત કરતાં ખાસ જુદી નહોતી. જો કે ધોરાજીમાં દલિત શિક્ષણના આરંભનો ઇતિહાસ આવો ક્રૂર નથી. ધોરાજીના બે બિનદલિત વકીલો મોતીચંદ વ્રજલાલ પારેખ અને મોહનલાલ નાગજી ચિનાઈના પ્રયાસોથી, ઈ.સ. ૧૯૩૨ના પૂના કરાર વરસે, ધોરાજીમાં દલિત બાળકો માટેની અલાયદી શાળા ખોલવામાં આવી હતી. તેમાં વઢવાણના પ્રાગજી સુખલાલ નામે શિક્ષક હતા. આ ઇતિહાસ ધોરાજીની આજની પેઢીના કેટલા દલિત યુવાનો જાણતા હશે? ૧૯૫૫થી ધોરાજીમાં હરિજન સેવક સંઘ દ્વારા દલિત વિદ્યાર્થીઓ માટે ઠક્કરબાપા છાત્રાલય શરૂ કરવામાં આવેલું. જૂનાગઢ રોડ પર આવેલા આ છાત્રાલયને છેલ્લાં ઘણાં વરસોથી સરકારી ગ્રાંટ મળતી નથી. ધોરાજીના સરકારી નોકરિયાતોના આર્થિક ટેકે હાલ તે ચાલે છે એટલે જરૂરિયાતમંદ દલિત વિદ્યાર્થીઓને રાહત છે. ધોરાજીમાં દલિત શિક્ષણનો પાયો બે બિનદલિત વકીલો એ નાંખ્યો હતો તે હકીકત છે. તો આજે ધોરાજીમાં જ્ઞાતિ છાત્રાલયો, ખાસ કરીને પટેલોનાં છાત્રાલયો ધમધોકાર ચાલે છે. ખુદ ઠક્કરબાપા છાત્રાલયની સામે પાટીદાર વિદ્યાર્થીઓની મોટી અને સમૃદ્ધ હોસ્ટેલ આવેલી છે. અન્યત્ર પણ જ્ઞાતિ શાળાઓ અને હોસ્ટેલ ધમધોકાર ચાલે છે, પણ ધોરાજીનો બિનદલિત સમાજ અને ખુદ હરિજન સેવક સંઘ દલિત બાળકો માટેની છાત્રાલય સુપેરે ચાલે તે અંગે સાવ બેપરવા છે. આઝાદીનાં આટલાં વરસે આટલી શૈક્ષણિક સમાનતા અને સમરસતા જરૂર આવી છે.
સૌરાષ્ટ્રમાં સામંતવાદ અને જાતિવાદ આજે ય અકબંધ છે એ હકીકતથી બરાબર વાકેફ, એટલે ધોરાજીમાં દલિત તરીકે શું વેઠવાનું આવશે તેનો અંદાજ હતો અને માનસિક તૈયારી પણ હતી. હા, મારે એક વાતની નિરાંત હતી કે રહેવા માટે મને સરળતાથી સરકારી ક્વાર્ટર મળવાનું હતું એટલે આરંભિક મુશ્કેલીથી હું બચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ‘તમે કેવા?’ એ સવાલ સાવ સહજ રીતે પુછાય છે. ઉંમરના સત્તાવનમાં વરસે મારે જ્યારે આ સવાલનો સામનો કરવાનો આવ્યો ત્યારે પહેલાં તો હું જડમૂળથી હલી ગયેલો. પહેલા જ દિવસે મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરે ‘તમે કેવા?’ પૂછી લીધું, તો ઓફિસમાં મારા બિનદલિત સહકર્મીએ માત્ર મારી નાત જ નહીં, પેટાનાત પણ જાણી લીધી. ‘તમે કેવા?’ એ સવાલનો જવાબ મારી છપ્પન વરસની ઉંમરમાં છ વખત પણ આપવાનો થયો નથી, પણ ધોરાજીમાં છપ્પનન ઘણીવાર આ સવાલનો જવાબ મેં આપ્યો છે. વળી આ સવાલના જવાબમાં જો તમે ‘દલિત’ કહો, તો સાંભળનાર ‘આ વળી કઈ જ્ઞાતિ?‘ એવો ભાવ વ્યક્ત કરે. જો ‘અનુસૂચિત જાતિ’ કે ‘એસ.સી.’ કહો અને સાંભળનાર તેનાથી જ્ઞાત હોય તો ય જાણે ‘આવી તે કોઈ નાત હોતી હશે?’ એવો ડોળ કરે. જ્યારે એ તમારા મોઢે ‘હરિજન’ સાંભળે ત્યારે જ એને ધરવ વળે. જો કે મારે નિખાલસપણે કહેવું જોઈએ કે મને જ્ઞાતિ પૂછનારે કે હું 'હરિજન' છું એવું જાણનારે ધોરાજીમાં મારી સાથે આભડછેટ કે ભેદભાવભર્યું વર્તન કદી કર્યું નથી. મારા બિનદલિત સહકર્મીઓ સાથે બરાબરીના વ્યવહારે જ હું રોજ લંચ લેતો હતો. રોજ બપોરે મારું ટિફિન આપનાર બિનદલિત કે સાંજે હું જ્યાં ઘરઘરાઉ જમવા જતો એ પંડ્યા લોજનાં બ્રાહ્મણ ભાઈબહેનોએ લેશમાત્ર જુદાપણું દાખવ્યું નથી. જો કે સાવ સમાનતાનો પણ વ્યવહાર જોવા મળ્યો નથી. મારું શરૂઆતનું જમનાવડ રોડનું બિનદલિત કે મિશ્ર વસ્તીનું સરનામું ક્યારે બહારપુરાનું બની ગયું, તેની મને ખબર સુધ્ધાં ન પડી. સ્કૂલના મારા બહારપુરાના સહકર્મીઓને તેમના કોઈ સાથી બિનદલિત સાજેમાંદે કે સુખદુખના પ્રસંગે તેમના ઘરે બહારપુરા આવ્યાનું યાદ નથી. લગ્ન કે બીજા સામાજિક પ્રસંગોએ દલિતોને બિનદલિતને ત્યાં અચૂક બોલાવાય, પણ દલિતને ત્યાં કોઈ બિનદલિત ન જ જાય. ચાંલ્લો મોકલે અને બદલામાં દલિત પ્રસંગ વીત્યે બહારનો નાસ્તો મંગાવી સૌનું મોં મીઠું કરાવ્યાનો સંતોષ લે. અમારા એક ઓ.બી.સી. સેવક બહેનના પુત્રના લગ્નમાં આખો સ્ટાફ સાગમટે ગયો, પણ દલિત સેવકની પુત્રીના લગ્નમાં કોઈ ન ગયું. પૂછ્યું તો કહે એમના ઘરે ખાવાનું થોડું ચોખ્ખું હોય.
ધોરાજીમાં હિંદુ પરિવારના અંતિમ શાંતિરથમાં સુંદર ભજન અને સૂરાવલી સાથે શાંતિપૂર્ણ અંતિમ વિદાયયાત્રા નીકળે તેનાથી હું ભારે પ્રભાવિત. ધોરાજીમાં હિંદુ સમસ્ત માટે એક જ સ્મશાન છે એવું જાણ્યું ત્યારે તો હું રાજીનો રેડ થઈ ગયો. (જો કે તેનું ખરું કારણ જમીનનો અભાવ છે), પણ મારા ધોરાજીનિવાસ દરમિયાન મને અંતિમ શાંતિરથમાં કોઈ હિંદુ દલિતની અંતિમયાત્રા જોવા ન મળી કે નગરના સહુ હિંદુઓ માટેના એક જ સ્મશાનમાં હિંદુ દલિતના અંતિમ સંસ્કાર ન જોવા મળ્યા. કેમ કે દલિતો પરંપરાગત રીતે મૃતદેહનું દફન કરે છે અને તેમના દફન માટેની જગ્યા જુદી છે. આમ એક જ સ્મશાન અને આમ સાવ જુદું.
આપણે નાતજાતના ભેદ પાળતા સંકીર્ણ માનવી ક્યારે અને કેવી રીતે બન્યા, તે ધોરાજીમાં આવેલી દેશનેતાઓની પ્રતિમા પરથી જણાઈ આવે છે. આઝાદી પૂર્વે ૧૯૩૪માં રેલવે સ્ટેશન પાસે મહારાજા ભગવતસિંહની પ્રતિમા મૂકવામાં આવી હતી. આઝાદી બાદ ૧૯૫૫માં ધોરાજી શહેર સુધરાઈએ ત્રણ દરવાજા પાસે ગાંધીજીની પ્રતિમા મૂકી છે. ૨૨મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ મેઘવાળ સેવા સમાજ, ધોરાજી દ્વારા માઈસાહેબ(ડો. સવિતા આંબેડકર)ની ઉપસ્થિતિમાં ગેલેક્સી ચોકમાં દલિતોએ ડો. બાબાસાહેબ અંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી. ૧૯૯૩માં જકાત નાકા પાસે સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી. તેનું લોકાર્પણ કેશુભાઈ પટેલે કર્યું હતું. આઝાદી પૂર્વેનું ભગવતસિંહજીનું ધોરાજી આઝાદીના પહેલા દાયકા સુધી ગાંધીજીનું હતું. જે પછીના બે-ત્રણ દાયકામાં આંબેડકર અને સરદાર પટેલની જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયું. જો કે હજુ સારું છે કે કોઈ ધોરાજિયાઓને સાધુ સચ્ચિદાનંદની બત્તી પકડીને ચારણ બાઈ ધોરીઆઈના નામના આ નગરનું નામ ભગવતસિંહજી મહારાજાના જન્મસ્થળ તરીકે ભગવતનગર કરી દેવાનું શૂળ નથી ઉપડ્યું.
***
ધોરાજીથી માંડ ૨૫ કિલોમીટરના અંતરે જૂનાગઢ છે, તો સો કિલોમીટરના અંતરે રાજકોટ, જામનગર અને પોરબંદર છે. જેતપુર, ઉપલેટા અને જામ કંડોરણા તેના પાડોશી તાલુકા છે. હું જે બે વરસ ધોરાજીમાં રહ્યો તે દરમિયાન શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું. એનાથી આખું શહેર ધૂળધૂળ અને રસ્તા સાવ તૂટેલા હતા. મડિયાએ એમનો એકાંકી – નાટકોનો સંગ્રહ ‘રંગદા’ ધોરાજીના ભગવદ રંગમંડપને અર્પણ કર્યો છે. ભગવતસિંહે ખેડુઓના આનંદપ્રમોદ માટે રંગમંડપ બાંધેલો, પણ આજના ધોરાજીમાં આનંદપ્રમોદ અને મનોરંજન માટેની કોઈ જગ્યા જ નથી. જ્યારે એકાંત અને એકલતાથી હું ત્રાસી ઉઠતો ત્યારે બે ઘડી શાંતિથી બેસી શકું એવી જગ્યા મારા માટે ધોરાજીના બ્રહ્મસમાજની પરાગ લાઈબ્રેરી કે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ અને પછી નવું બંધાયેલું સ્વામીનારાયણ મંદિર જ રહેતાં.
આ નગરના સમાજજીવન વિશે કહું તો જેતપુર રોડ ભળભાંખળે જાગી જાય છે અને રાત પડ્યે વહેલો ટાઢો પડી જાય. બહારપુરું ચોવીસ કલાક જાગતું રહે છે, તો મેઈન બજાર વિસ્તાર સવારે મોડા સુધી ઘોરતો રહે છે. જમનાવડ રોડ પર કોઈ એક જ્ઞાતિની વસ્તીનો ઇજારો હવે નથી રહ્યો. અગાઉ શેરડી અને કપાસનું મોટું બજાર ધોરાજીમાં હતું, જે હવે પ્લાસ્ટિકનું બજાર બની ગયું છે. દલિતો-મુસ્લિમો બાંધકામનાં કામો કરી કમાય છે. પહેલાં ધોરાજીનો વેપારવણજ મેમણોના હાથમાં હતો, જે હવે પટેલોના હાથમાં છે. શહેરમાં આધુનિક સુખસગવડો આવી છે, પણ હજુ શહેરનું આધુનિકીકરણ થવું બાકી છે. જેમ ધોરીઆઈ અને સફુરા એ બે સ્ત્રીનામો ધોરાજીની ઓળખ છે, તેમ નંદકુંવરબા છે. પણ આજના ધોરાજી માટે તો તે નામ 'નંદકુંવરબા જનાના ચેરિટેબલ હોસ્પિટલ' પૂરતું જ રહ્યું છે. આ એ નંદકુવર હતાં, જેમણે જમાનાથી આગળ રહીને રાજરાણી છતાં રાજપૂતોની ઓઝલ પ્રથા ફગાવી હતી અને ક્યારે ય પડદામાં ન રહ્યાં. પણ મારા બે વરસના નિવાસમાં મને એકે ય વાર આજના ધોરાજીમાં જાહેર રસ્તે કોઈ યુવાન સ્ત્રીપુરુષ હસતાંરમતાં જતાં જોવાં ન મળ્યાં. અમારી કન્યા શાળાની કન્યાઓને રિસેસમાં પણ બહાર જવાની છૂટ નહોતી. દીકરીઓ આધુનિક વસ્ત્રો જરૂર પહેરતી, પણ દબાયેલી- ચંપાયેલી જ લાગતી. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જેવા શહેરથી દૂરના સ્થળે પણ છોકરા-છોકરીઓ સાથે વાત કરતાં જોવા ન મળે એવું 'મર્યાદાશીલ' વાતાવરણ હતું.
અહીં મુસ્લિમોનાં જીવનને થોડું નજીકથી જોવાનું થયું છે. હિંદુઓની જેમ મુસ્લિમોના તહેવારો દર મહિને આવે ને ધામધૂમથી ઉજવાય. હું રોજ સવારે છાપું લેવા કે ચાનાસ્તા માટે જાઉં તે ત્રણ દરવાજાથી લંઘામાતમ ચોકમાં મુસ્લિમ વસ્તી. અહીં મસ્જિદોની બહારની દીવાલ પરનાં બ્લેક બોર્ડ પર ગુજરાતી લિપિ અને અરબી ભાષામાં કોઈના ને કોઈના જન્નતનશીન થયાના ખબર લખેલા વાંચવા મળે. હવેની પેઢીને અરબી વાંચતાંલખતાં આવડતું નથી એટલે અરબીમાં લખાતું નથી. પણ અરબી ઓળખ છૂટતી નથી. ધોરાજીમાં અડધોઅડધ વસ્તી મુસલમાનોની છે. શહેરમાં ચાળીસથી વધુ મસ્જિદો છે. લગભગ બધી જ મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન થાય છે. રમજાનમાં રોજા શરૂ થવાની અને છૂટવાની ખબર માટે સાયરન વગાડાય છે. મીઠાઈ અને નોનવેજની આટલી બધી વેરાઈટી મેં અહીં જ જોઈ. સામૂહિક લગ્ન કે સામૂહિક યજ્ઞોપવિત જોયાં છે પણ ધોરાજીમાં યોજાયેલા ૨૫૧ બાળકોના સમૂહ ખત્ના કેમ્પ વિશે મેં વાંચ્યું જાણ્યું ત્યારે હક્કાબક્કા રહી જવાયેલું. ભગવતસિંહ અને નંદકુંવર જાણે અહીં રહ્યાજીવ્યા જ નથી એમ લાગેલું. 'વીજળી હાજી કાસમની'ના લેખક-સંશોધક અને નિવૃત્ત સરકારી અધિકારી યુનુસ ચિતલવાલા તથા નવી પેઢીના તેજસ્વી સંશોધક-વિવેચક ફારુક શાહ ધોરાજીમાં આપણી વચ્ચે જ વસે છે એની ખબર ધોરાજીના કેટલા મુસ્લિમોને હશે?
***
ભારે વિશેષતાઓ અને વિચિત્રતાઓથી સભર છે આ નગર. અમદાવાદ-ગાંધીનગરમાં પાટીદારોની એકમાત્ર પટેલ અટકથી જ્ઞાત એવા મને અહીં પટેલોની પાર વગરની અટકો જોવા મળી : મકાતી, જીવાણી, માવાણી, ચનિયારા, બાબરિયા, માંકડિયા, દલસણિયા, જાગાણી, સાવલિયા, સાંઘાણી, ગજેરા, ઉંઘાડ, વસોયા, વાછાણી, કાલરિયા, રામોલિયા, જારસણિયા, હીરપરા, વેકરિયા, રાદડિયા, પાનસુરિયા, ભીમાણી, ઠુંમર, ઠેસિયા, કનેરિયા, કણસાગરા, કાકડિયા, તિલાળા, બાલધા, માથુકિયા, ગધેથરિયા, ચવાડિયા, પટોળિયા, ઉસદળિયા, પોલરા, પાંભર, બોદર, સુદાણી, ત્રાડા અને બોઘરા. દલિતોની પરમાર, સોલંકી, ચાવડા, રાઠોડ જેવી અટકો જ જાણીતી એટલે ધોરાજીના દલિતોની ભાસા અને ભાસ્કર અટકો નવી જ લાગી. આવી થોડી બીજી અટકો છે : ચોરવાડા, સિંગલ, ખીમસુરિયા, વણોલ, મુસડિયા, અઘેરા, વઘેરા, પડાયા, મિયાત્રા, વડિયાતર, મઘરા, વારસુર, બાવરફાડ, વારગિયા અને ભરાડિયા. દરજીમાં લીંબડ તો લુહાણામાં પસવાણી, લુહારમાં હરસોરા તો બ્રાહ્મણમાં મઢવી, વાણંદમાં ભટ્ટી તો કોળીમાં કુવાદ્રા અને કુંભારમાં ધોકિયા અટકો હતી.
ધોરાજીમાં બાવલા ચોક છે, તો અવેડા ચોક પણ છે. ચામડિયા કૂવા ચોક છે, તો સ્વાતિ ચોક છે. વઘાસિયાનો ચોરો છે, તો બાલધાનો ચોરો છે. નદી બજાર છે અને મેઈન બજાર છે, દર રવિવારે ભરાતું ગુજરી બજાર છે તો કરીના અને કરિશ્મા નાઈટવેર અને અંડર ગારમેન્ટ શોપ છે અને હોલીવુડ લેડિઝ ટેલર તો ખરું જ .શહેરમાં એક ખૂણે ચુનીલાલ મડિયા ચોક છે ખરો, પણ તે તો આજે ય પ્રવીણભાઈ ગરબી ચોક તરીકે જ ઓળખાય છે. નગરમાં મોંઘી હોસ્પિટલો અને નિષ્ણાત ડોકટરો છે, તો હાડવૈદ અને ઊંટવૈદો પણ છે. શહેરમાં મોબાઈલની અધધ પચાસ જેટલી દુકાનો છે અને એથી અડધા મેડિકલ સ્ટોર્સ છે. ધોરાજીમાં અડધી ચા પાંચ રૂપિયે મળી રહે છે, પણ રિક્ષાનું મિનિમમ ભાડું વીસ રૂપિયા છે. અમૂલનું દૂધ એમ.આર.પી. કરતાં બે રૂપિયા વધુ ભાવે વેચાય છે. બહારપુરાની હેર કટિંગ સલુનમાં વાળ કપાવ્યા પછી હમામ કહેતાં નાહવાની સુવિધા અપાય છે. આખા શહેરમાં શાળાકોલેજના અભ્યાસક્રમનાં પુસ્તકો સિવાય પુસ્તકો-સામયિકોની કોઈ દુકાન નથી. હા, જૂના પુસ્તકોની બે લારીઓ જરૂર છે. તેજાબાપાનું અન્નક્ષેત્ર ધોરાજીમાં છે. ધોરાજીનાં આશરે દોઢસો દાઉદી વહોરા કુટુંબ સામૂહિક રસોડેથી માસિક રૂ.૧૭૫૦માં ટિફિન મેળવી જમે છે.
હું જ્યાં જમતો તે અંબિકા ભોજનાલયના પરેશભાઈ કહેતા કે ધોરાજીની ત્રણ વસ્તુઓ બહુ વખણાય. ગાંઠિયા, ગફાર અને ગાંડા. કાઠિયાવાડને 'ગાંઠિયાવાડ' કહી શકીએ એવો એનો ગાંઠિયા પ્રત્યે લગાવ છે. ધોરાજીની એક ખાસ વેરાઇટી તે બટાટા અને ભૂંગળાં. (આમ તો એ પણ સૌરાષ્ટ્રની જ વેરાઇટી છે). ગફારના બાફેલા બટાકા, શંકરના ચણા, મનહરની ભેળ અને ખાખીના પાંઉભાજી, ચામુંડાનાં ભજિયાં, અન્નપૂર્ણાના ગાંઠિયા, સદરુની સીંગ, રઘુવીરની પેટિસ અને ફૌજીનું નોનવેજ વખણાય. ઉપરાંત પાણીપુરી અને આઈસ્ક્રીમ પણ ખરાં. શેરડી અને કેરીની સીઝન શરૂ થાય અને પહેલું ફળ આવે તો લોકોને એ ખરીદવા માટે ગાંડાતુર થતા પણ જોયા છે. દિવાળી કરતાં અહીં જન્માષ્ટમીનું વધુ મહત્ત્વ. હજુ શ્રાવણિયો જુગાર અને ગોકુળઆઠમના મેળા ભુલાયા નથી. દલિતો બધા હિંદુ તહેવારો મનાવે છે. ફોન ઉપર અચૂક 'નમો બુદ્ધાય’ કહેનાર દલિતો બુદ્ધ જયંતી પણ મનાવી લે છે. આંબેડકર જયંતી તો દલિતો ઉજવે છે. ઉપરાંત આંબેડકર પ્રતિમા સમક્ષ ૨૬મી જાન્યુઆરી પણ ઉજવે છે. ગામમાં બધા જ ધર્મનાં સ્થાનકો છે. હિંદુ દેવદેવીઓનાં અઢળક મંદિર છે, પણ મને આકર્ષી ગયા તે તો ચિરાગે મામાસાહેબ અને મોજીલા મામાસાહેબનાં મંદિર .. મોજીલા અને ખંતીલા મામાસાહેબનાં ઘણાં મંદિર પછી તો સૌરાષ્ટ્રમાં જોવાનાં થયાં. ખીજડાનાં ઝાડ પાસે સ્ત્રીઓ પોતાના બાળકના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ખોળા ધરી કરે. એ ફળે કે નહીં એ તો કોણે જાણ્યું? પણ આ ખીજડો એ જ મામાસાહેબ. હવે ખીજડા તો રહ્યા નથી પણ મામાસાહેબનાં મંદિરો છે. જેમ મંદિરોથી તેમ ધરમ અને જ્ઞાતિ – પેટાજ્ઞાતિના હોલ, સમાજવાડીથી પણ તે ભરેલું છે. અહીં શાહજી હોલ છે, તો વાતાનુકૂલિત ગાંધીવાડી પણ છે અને દલિતોનું મેઘવાળ સમાજભવન પણ છે. આટલા નાના શહેરમાં પચાસેક હોલ-વાડી – પાર્ટીપ્લોટ શું કામનાં ? એવો સવાલ થાય. એટલું સારું છે કે દલિતો-મુસ્લિમોને બીજા જ્ઞાતિધર્મના હોલ સામાજિક પ્રસંગે મળી રહે છે.
***
૨૦૧૭ના સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં આ લખું છું ત્યારે ધોરાજીમાં પણ વિકાસ ગાંડો થયાના પ્રચારની બોલબાલા છે. પણ મેં વિકાસ નજરોનજર જોયો છે. જે ધોરાજીમાં કપાસ અને મગફળીનો પાક લેવાતો, ત્યાં આજે બારેય મહિના પાંચ દિવસે માંડ અડધો કલાક પીવાનું પાણી મળે છે. જે દિવસે જે વિસ્તારમાં પાણી આવતું હોય તે વિસ્તારમાં ઉત્સવ જેવું દોડાદોડીનું વાતાવરણ નજરે જોયું છે. ચોવીસ કલાક વીજળીનાં બણગાં બહુ સાંભળ્યાં છે પણ ધોરાજીમાં દર બુધવારે દિવસે છ કલાકનો વીજળીકાપ મેં જાતે વેઠ્યો છે. ચોમાસાની રાતોએ અચાનક વીજળી વેરણ બને અને ગરમીથી ત્રાહિમામ થઈ રાતભર જાગ્યો છું ને તો ય ધોરાજીમાં લોકો એકબીજાને ‘કેમ છો?’ પૂછે તો જવાબ ‘મોજમાં હોં' એવો જ મળે છે. અહીં કોઈને ઊંઘ નથી આવતી. હંધાયને નીંદર જ આવે છે.
ધોરાજી કોલજના ગુજરાતીના અધ્યાપક રવજી રોકડને આરંભે જ મળવાનું થયેલું. ગિરીશભાઈ રાઠોડે ધોરાજીના દલિત મિત્રોનો પરિચય કરાવેલો. માધવ મકવાણા અને પ્રવીણ મારુ એ બે શિક્ષકમિત્રોનો સંગ સદાય કરવો ગમ્યો છે. ૨૦૧૬ની ૨૬મી જાન્યુઆરીએ યુવા કર્મશીલ અને લાગણીથી ભર્યાભર્યા મિત્ર ભરત મુસડિયાની મુલાકાત થઈ, જેમણે સંદીપ મુસડિયા અને ગૌતમ રાઠોડ સાથે મળીને મારા બાકીના દોઢેક વરસના ધોરાજીવાસને સહ્ય બનાવ્યો. સવજીભાઈ પટોળિયા એટલે ધોરાજીના ઇતિહાસની રગરગ જાણનાર. એમનો પરિચય બહુ મોડો થયો પણ એમની આંગળીએ મેં ધોરાજીનો થોડો પરિચય મેળવ્યો હતો. ચિતલવાલાસાહેબને એક જ વાર મળવાનું થયું. એવું જ ફારુક શાહનું. પણ એ સૌ સ્મરણમાં બરાબર રહ્યા છે. ૩૧મી જૂને નિવૃત્ત થયો ત્યારે મારા સહકર્મી અને ધોરાજીના મિત્રો સાથે વિદાયભોજન લેતાં માત્ર ઔપચારિકતા જ નહીં, ઉષ્મા પણ અનુભવાઈ. એ પછી દિવસો સુધી ‘વી મિસ યુ’ના સંદેશા આવતા રહ્યા છે. કાઠિયાવાડની પરોણાગત ‘કાઠિયાવાડમાં કોક દિ’ ભૂલો પડ ભગવાન, કે તને સ્વર્ગ દેખાડું શામળા’ એ કાવ્યપંક્તિમાં વ્યક્ત થઈ છે. હું ન તો ભૂલો પડી પરોણાગત માણવા ગયેલ ને ભગવાન તો હું હોઉં જ શાનો? એટલે ધોરાજીના સ્વર્ગનો જે માનવીય અનુભવ થયો તે કૈંક આવો છે.
સૌજન્ય : “સાર્થક જલસો” – 09 : પૃ. 103-111