આમ તો આંકનો ઘડિયો કે આંકનો પાડો કે આંક કોઈ સ્કૂલમાં હવે ગોખાવતું હોય એમ લાગતું નથી. એટલે ઊઠાં ભણાવવાનું પણ ઘણાંને ન સમજાય એમ બને. ઊઠાં ભણાવવાનો અહીં અપેક્ષિત અર્થ છેતરવા સંબંધે છે. આ પ્રયોગ એક સમયે જાણીતો હતો એટલે એને તાજો કર્યો છે. જો કે, છેતરપિંડી એ આજનો બહુ પ્રચલિત ધંધો છે એટલે માત્ર સરકારને જ દોષી ઠેરવવાનો અર્થ નથી, પણ સરકાર જ ઊઠીને છેતરે છે તે વધારે કઠે છે.
બિહારના કટિહારની એક શાળાનું વીડિયો દૃશ્ય જોઈએ. શાળાનું નામ છે, ઉર્દૂ પ્રાથમિક વિદ્યાલય. 1956માં સ્થપાયેલી આ શાળાના એક વર્ગમાં ત્રણ શિક્ષકો છે. એમાં એક શિક્ષિકા ટેબલ પર લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથી રહી છે. બીજી એક શિક્ષિકા અડધા બ્લેક બોર્ડ પર હિન્દી ભણાવે છે ને તેણે ચાકથી આકાશ, કાજલ, ઈનામ જેવા શબ્દો હિન્દીમાં લખ્યા છે. બીજા અડધા બોર્ડ પર એક શિક્ષક ઉર્દૂમાં કશુંક લખીને ભણાવવાની કોશિશ કરે છે. બાળકોના ઘોંઘાટ પરથી વર્ગ ઠાંસીને ભરેલો છે તે દેખાય છે. હા, ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકતી નથી. આ એક જ વર્ગમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષકો બોર્ડ પર લખ્યા કરે છે, શિક્ષિકા લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથે છે ને બાળકો એમની ધૂનમાં ભણવા સિવાય બધું જ કરી રહ્યાં છે. વીડિયો મનિહારીની પ્રાથમિક શાળાનો છે. ગંગા નદીનાં ધોવાણથી 29 શાળાઓ વિસ્થાપિત થતાં અન્યત્ર ખસેડાઇ. આ શાળા એમાંની એક છે. જિલ્લામાં આવી 271 શાળાઓ છે જેને મકાન કે અન્ય સાધનો નથી ને બિહારની સરકાર કહે છે કે છેલ્લાં 17-18વર્ષમાં શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ક્રાંતિકારી તો ખરું જ ને ! મકાન કે સાધનો વગર શાળાઓ ચાલે તે ક્રાંતિ નહીં તો બીજું શું છે? જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે આવી બિલ્ડિંગ વિનાની શાળાઓને મિડલ સ્કૂલ સાથે ટેગ કરવામાં આવી છે. મકાન માટેના પ્રયત્નો ચાલે છે ને તે ચાલ્યા જ કરશે એમાં શંકા નથી.
આ વિગતો પરથી લાગે છે કે ન તો પ્રજા કે ન તો સરકાર, શિક્ષણ બાબતે ગંભીર છે. બાળકોમાં ને ઘેટાંબકરાંમાં કોઈ ફરક જ નથી. તે જેમ ડબ્બામાં કે પાંજરાપોળમાં હોય તેમ બાળકો વર્ગખંડમાં છે. એકથી પાંચ ધોરણ સુધીમાં ભણવામાં કોઈ જ ફરક ન હોય તેમ બધાંને એક જ ખંડમાં ઠાંસવામાં આવ્યાં છે. નથી પાઠ્યપુસ્તકમાં કોઈ ફરક કે નથી ભણાવવામાં કોઈ ફરક ! વારુ, જે ભણાવાઈ રહ્યું છે તે કયાં ધોરણ માટે છે તેની પણ કશી સ્પષ્ટતા નથી કે બધું બધાં માટે જ છે તે ય નથી ખબર. જો આ શિક્ષણ કોઈ એક ધોરણ માટે જ છે તો બાકીના બાળકો માટે શું છે? તેમણે કૈં કરવાનું છે કે કોઈ વાંક ગુના વગર આ બધું સહન કર્યા કરવાનું છે? સૌથી આઘાતજનક બાબત તો એ વર્ગના ત્રણ શિક્ષકોની, રોબોટ જેવી કામગીરી છે. એક લાકડી પછાડ્યા કરે છે તો બીજો ઉર્દૂ લખીને બોલ્યા કરે છે ને ત્રીજી શિક્ષિકા હિન્દી શબ્દો લખે, બોલે છે. એક સાથે એક શિક્ષક ઉર્દૂ બોલે ને એ જ સમયે હિન્દી શિક્ષિકા હિન્દી ભણાવે એ બંને અવાજ, પેલા ઘોંઘાટિયા બાળકોએ સાંભળવાના ને એમાંથી હિંદીવાળાએ હિન્દી ભણી લેવાનું ને ઉર્દૂવાળાએ ઉર્દૂ તારવી લેવાનું. આ 1થી 5 ધોરણનાં બાળકો માટે શક્ય છે? એક બાળક એક સાથે હિન્દી અને ઉર્દૂ ગ્રહણ કરે એ શક્ય છે? એક જ બોર્ડ પર બે શિક્ષકો, બે વિષયો, એકથી પાંચ ધોરણનાં બાળકોને ભણાવે ને બાળકો ભણે પણ, એ ચમત્કાર જ છે ને ! ખરી ક્રાંતિ તો આ છે કે કોઈ પણ પાર્ટીશન વગર એક ખંડમાં, ત્રણ શિક્ષકો, બે વિષય, પાંચ પાંચ ધોરણને એક સાથે ભણાવે છે.
શિક્ષણની આ ક્રૂર રાક્ષસી મજાક છે, બાળકોનાં ભવિષ્ય સાથે થતાં બેશરમ ચેડાં છે. આમાં શિક્ષણ સિવાય બધું જ છે. 17-18 વર્ષમાં બાળકોને જે તે ધોરણ મુજબ જગ્યા ફાળવાય કે વર્ગ દીઠ શિક્ષકો શીખવે એટલું પ્રાથમિક કામ પણ થઈ ન શકતું હોય તો આ આખી શિક્ષણ વ્યવસ્થા મરવા પડી છે એ સિવાય બીજું કોઈ આશ્વાસન લઈ શકાય એમ નથી. સરકારની નફફટાઈની ને નિર્લજ્જતાની આ અવધિ છે. આવું આ એકાદ રાજ્યમાં જ છે એવું નથી. અનેક પ્રકારે ને રીતે બીજે પણ સ્થિતિ આનાથી બહુ જુદી નથી.
ગુજરાતની જ વાત કરીએ તો આ રાજ્ય શિક્ષણની પ્રયોગશાળા છે. એમાં અખતરા, ખતરાની હદે થાય છે. સારી વાત એ છે કે શિક્ષકોની કેટલીક સમસ્યાઓનો સરકારે નિકાલ આણ્યો છે. સરકાર એ મામલે ગંભીર થઈ તેનો આનંદ છે, પણ પ્રયોગો કરવાની કુટેવ જતી નથી એનું દુ:ખ પણ છે. કાલે જ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે શિક્ષકોએ હવેથી આઠ કલાકની નોકરી કરવાની રહેશે. આ વાત ગયે વર્ષે, તે વખતના શિક્ષણ મંત્રીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત, ત્રીજી સપ્ટેમ્બરે પરિપત્રમાં જાહેર કરેલી, પણ તેનો સખત વિરોધ થયો હતો એટલે પરિપત્ર પાછો ખેંચી લેવો પડ્યો હતો. જો સરકારના અન્ય વિભાગોમાં નોકરીના કલાકો 8 હોય, તો શિક્ષકો 11થી 5 જ આવે એ તો કેમ ચાલે? એટલે આઠ કલાકનું ભૂત હાલના શિક્ષણ મંત્રીએ ફરી ધૂણાવ્યું છે. સરકારની વાત અમલમાં મુકાય તો શિક્ષકોએ શાળા છૂટયા બાદ બે કલાક વધુ શિક્ષણ બાળકોને આપવું પડે એમ બને. વાત આટલેથી જ અટકતી નથી. શિક્ષણ મંત્રી ઈચ્છે છે કે જરૂર પડ્યે શિક્ષકો રજાના દિવસોએ પણ શાળામાં આવે અને ભણાવે. એ અંગેની નીતિ રીતિ ઘડવાની વાત પણ શિક્ષણ મંત્રીએ કરી છે.
આમ તો આ સારી વાત છે. શિક્ષકો છને બદલે આઠ કલાક શાળામાં રોકાય ને વધુ બે કલાક શિક્ષણ વિદ્યાર્થીઓને આપે તો આનંદ જ થાય. કોરોનામાં આમ પણ શિક્ષણ આશરે જ ચાલ્યું છે. ઓનલાઈન ભણાવાયું ને પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવાઈ છે. ઓફલાઇન શિક્ષણ વચ્ચે શરૂ તો થયું, પણ કોરોના વકર્યો એટલે વળી ગાડું ઘોંચમાં પડ્યું, પરીક્ષાઓ લીધાં વગર જ પાસ કરવાનો કીમિયો પણ અજમાવાયો, આ બધાંમાં શિક્ષણ અધૂરું રહ્યું છે એવી લાગણી ઘણાંની હતી ને છે. પહેલાં ધોરણનો વિદ્યાર્થી કૈં પણ કર્યા વગર ત્રીજા ધોરણમાં આવી ગયો છે. ત્રીજામાં આવ્યો તો ખરો, પણ એકડો પડતો નથી. એવી જ સ્થિતિ વત્તે ઓછે અંશે બધાં ધોરણની છે. આવી પરિસ્થિતિમાં સરકાર વધારાના કલાક શિક્ષકોને શાળામાં રોકે ને વિદ્યાર્થીઓને શિક્ષણ પાકું કરાવવાનું વિચારે એનાથી રૂડું બીજું શું હોય? પણ એ વાસ્તવિક કેટલું છે તે વિચારવાનું રહે. સ્કૂલના સમયે વિદ્યાર્થીઓનું આવવાનું જ મરજિયાત હોય ત્યાં રજાને દિવસે વિદ્યાર્થીઓ શાળાએ આવશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે નથી સમજાતું. વારુ, ઘણી સ્કૂલો બે પાળીમાં ચાલે છે, એ બંને પાળીમાં કુલ ચાર કલાક વિદ્યાર્થીઓ ને શિક્ષકો ફાળવે ને ભણે-ભણાવે એ વ્યવહારુ લાગે છે? સવારની ને બપોરની સ્કૂલ અંદાજે 12 કલાક ચાલતી હોય ને તેમાં ચાર કલાક બીજા ઉમેરાય તો સ્કૂલ રોજ 16 કલાક ચલાવવી પડે. આટલો સમય ફાળવવા ભાગ્યે જ કોઈ સ્કૂલ તૈયાર થાય. આમ પણ ગયે વર્ષે શિક્ષકોને આઠ કલાક સ્કૂલે હાજર રહેવાનો પરિપત્ર બહાર પડેલો ત્યારે જ તેનો તીવ્ર વિરોધ થયેલો, તો હવે સરકારને એવું કેવી રીતે લાગે છે કે શિક્ષકો ને વિદ્યાર્થીઓ નવા પરિપત્રને સ્વીકારી લેશે?
આમાં સ્કૂલોને દબાણ હેઠળ લાવવામાં આવે તો કદાચ સ્કૂલો તૈયાર થાય પણ ખરી, પણ એમાં ભલીવાર નહીં હોય. સમય બધા આપે તો પણ ભણવા-ભણાવવાનું થાય જ એની કશી ખાતરી નથી. ખરેખર તો શિક્ષણ વિભાગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. શિક્ષકો જેટલા કલાક સ્કૂલમાં આવે છે, એટલામાં જ પૂરતું શિક્ષણ આપી શકાય, જો સરકાર તેને ખરેખર વર્ગમાં ભણાવવા દે ! સાચી વાત તો એ છે કે સરકાર જ શિક્ષકોને ભણાવવા નથી દેતી. સરકારે પોતે યાદી કરવા જેવી છે કે શિક્ષણ ઉપરાંત કેટલાં વધારાના કામમાં તે શિક્ષકોને જોતરે છે? તીડ ઉડાડવાના છે, તો શિક્ષકને સોંપો. કોરોનાનો સર્વે કરાવવાનો છે, તો બોલાવો શિક્ષકને ! વસતિ ગણતરી કરવાની છે, તો તેડાવો માસ્તરને, મતદાન કરાવવાનું છે, તો ગોઠવો માસ્તરને મતદાન મથકે, મંત્રી આવે છે ને ટોળું બતાવવાનું છે, તો બોલાવો સાહેબને, તે વિદ્યાર્થીઓ ખડકીને ભીડ કરી દેશે … આ બધાંમાં ભણાવવાનું થાય તો પણ કેટલુંક? આ ઉપરાંત શિક્ષકોને પત્રકો ભરવામાં, જાતભાતના દિવસો ને તહેવારોની ઉજવણી-ભજવણીમાં જ રોકી રખાય તો શિક્ષક પાસે ભણાવવાનો સમય જ કેટલો બચે? વધારે યોગ્ય તો એ છે કે શિક્ષકને વધારાના કલાક બોલાવવા કરતાં, તેને સોંપવામાં આવેલી ઈતર પ્રવૃત્તિઓ પર કાપ મુકાય ને તેને શાંત ચિત્તે ભણાવી શકે તેવું વાતાવરણ અપાય. એટલું થશે તો શિક્ષકને પણ લાગશે કે પોતે ક્લાર્ક નથી, પણ દેશનું ભવિષ્ય ઘડનાર ભાગ્યવિધાતા છે.
થશે, આટલું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 મે 2022