ગયા રવિવારે જોયેલું ‘બસ, ઘર હી તો જાના હૈ’ ઉદાસ બનાવી દેનારો અનુભવ હતો.
સ્વકેન્દ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભુત્વ હેઠળની કેન્દ્ર સરકારે કોવિડ દરમિયાન આપખુદ અને અવિચારી રીતે આખા દેશ પર ક્રૂર અને લાંબું લૉકડાઉન લાદ્યું. તેને કારણે દેશના લાખો શ્રમજીવીઓને ભૂખમરાથી બચવા માટે શહેરોમાંથી તેમના વતન ચાલી જવાની ફરજ પડી. હજારો કિલોમીટર ચાલીને સ્થળાંતર કરનાર શ્રમજીવીઓનો migrant labourersનો યાતનાલોક ‘બસ ઘર હી તો જાના હૈ’ નાટકનો વિષય છે.
શ્રમજીવીઓએ પગે ચાલીને કે સાયકલ પર માઇલોના માઇલો ખૂંદ્યા, તેમને અમાનવીય શારીરિક શ્રમ, ભૂખ, તરસ, પોલીસનો ત્રાસ વેઠવાં પડ્યાં. તેમાંથી કેટલાક માણસો ભૂખ, થાક કે અકસ્માતથી રસ્તે મરી ગયા.
સ્થળાંતરિત શ્રમજીવીઓના સેંકડો દર્દનાક કિસ્સા છે, જેમાંથી હાથમાંના મોબાઇલમાં ટેલિવિઝનમાંના રામાયણ-મહાભારતમાં અને મશગૂલ દેશે બહુ ઓછા જાણ્યા છે.
સ્થાળાંતરિત શ્રમિકોની આ દુર્દશા યુવા લેખક આદિત્ય ત્રિવેદીને સ્પર્શી ગઈ. તેમણે સંવેદન અને સમજ સાથે આ નાટક લખ્યું. તેના પડકારજનક મંચનનું સૂઝથી દિગ્દર્શન પણ તેમણે જ કર્યું છે. આ સવા કલાકનું નાટક ‘બસ ઘર હી તો જાના હૈ’ વીસ કલાકારો અને કસબીઓની ‘ઇન્ડિ પ્રોડક્શન’ મંડળીએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ત્રણ અલગ અલગ પ્રયોગો તરીકે રવિવારે સાંજે સાતથી અગિયાર કલાક દરમિયાન ભજવ્યું. ખુદ નાટક ઉપરાંત તેની આવી ભજવણી પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર કહેવાય. બિનવ્યાવસાયિક રંગભૂમિના એક સ્થાન તરીકે વિકસી રહેલા ‘પ્રયોગશાલા’ના મંચ પર આ નાટકના અત્યાર સુધી કુલ નવ પ્રયોગો થયા છે.
નાટકમાં યુવાન દીકરી જ્યોતિ (કલાકાર ચાર્મી ઘેલૈયા) અને ઘરડા પિતા દિવ્યનાથ પાંડે (અમીત અગ્રવાલ) છે. બંગલુરુમાં ઘરઘાટી તરીકે પેટિયું રળતી દીકરી પિતાને બાવીસો કિલોમીટર પર બિહારમાં આવેલાં તેમના વતન સમસ્તીપુર ગામે સાયકલ પર બેસાડીને નીકળી છે. લૉકડાઉનની ઘરબંધીના એકાંતને કારણે દિવ્યનાથ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. રોજેરોજ વતન તરફ ડગ માંડતા સંખ્યાબંધ મહેનતકશોને જોતાં તેમને પોતાની પાંચ વર્ષની ઉંમરે જોયેલાં ભારત-પાકિસ્તાનના ભાગલા યાદ આવે છે. તે આઝાદીની લડત વખતના ભારતમાં જીવતાં હોવાની ભ્રમણામાં સરી પડે છે અને ‘સારે જહાં સે અચ્છા’ કે ‘સરફરોશી કી તમન્ના’ જેવાં ગીતો ગાયાં કરે છે.આ માર્મિક પાત્રનું સર્જન લેખકનો એક ફાઇન સ્ટ્રોક છે. બધાં સ્થળાંતરિત શ્રમજીવીઓ જે યાતનાસત્રમાંથી પસાર થયા તે લેખકે જ્યોતિનાં વીતક દ્વારા બતાવ્યું છે. બાપ-દીકરીને સમાંતરે છે મુંબઈની એક ખોલીમાં રહેતો રોજમદાર લક્ષ્મણપ્રસાદ (રિષભ શુક્લા). તે બે હજાર કિલોમીટર ચાલીને વતન દરભંગા જવા નીકળ્યો છે, તેના ઘરે તેની પત્ની છે. આ મજેદાર યુવાન દરરોજની ડાયરી લખે છે, કવિતા પણ લખે છે. માઇગ્રન્ટસ માટેની આસ્થા સાથે રસ્તા પર સ્ટોરી કરવા નીકળેલો એક ચૅનલ-પત્રકાર ઓમપ્રકાશ (તુષાર શર્મા) લક્ષ્મણને લઈને લાઇવ ટેલિકાસ્ટ પણ કરે છે.એ પત્રકારની પીડાની એક વાત છે, તેમ જ લક્ષ્મણપ્રસાદને ભાડુઆત તરીકે ઘરમાંથી કાઢી મૂકનારા તેના મિત્ર જેવા મકાનમાલિક પંચાલભાઈ(નરેન્દ્ર સિંગ)ની મજબૂરીની પણ બીજી વાત છે. જ્યોતિની કહાણી સાંભળીને મનમાં રામ જાગતા મદદ કરનારો આમ તો લાંચિયો જુલમી પોલીસ ચૌબેજી (અનુજ પુરાણી) છે, અને હિજરતી મહેનતકશોને હાઇવે પરના પોતાના ધાબા પર પૈસા લીધા વિના જમાડનાર, આશરો આપનાર દિલદાર સરદારજી પિન્ટુ પાજી (ક્ષિતિજ કપૂર) પણ છે.
નાટક માઇગ્રન્ટ લેબરર્સ સાથે સંકળાયેલી અન્ય કેટલીક બાબતોને સંવાદો કે વાર્તાના ભાગ તરીકે આવરી લે છે. જેમ કે બેકારી, પોલીસ, શાસકો, ભ્રષ્ટાચાર, પત્રકારિતા. શ્રમજીવીઓની સખત રિબામણી, જિદ, આશા, હિમ્મત અને હતાશાને પણ લેખક-દિગ્દર્શકે મોટે ભાગે એક કે બે પાત્રોના દૃશ્યોમાં વણી લીધાં છે. લેખક પીડાના પ્રસંગમાં પણ ક્યારેક સરળ હાસ્ય કે ક્યારેક બ્લૅક હ્યૂમર જગવે છે.
‘પ્રયોગશાળા’ના મર્યાદિત મંચઅવકાશમાં પણ દિગ્દર્શક સ્થળાંતરની તસવીર સૂઝથી ઊભી કરી છે. લગભગ દરેક દૃશ્યપલટાની વચ્ચે સ્ટેજના કે છેડેથી બીજા છેડે જતા ચાર થાક્યાપાક્યા શ્રમજીવીઓ (ઉમેશ, જિજ્ઞેશ, માનવ અને ફુરકન જે બધા નેપથ્યે પણ છે), પિતાને સાયકલ બેસાડીને જતી છોકરીની દૃશ્યરચના, પ્રકાશ આયોજન (રાહુલ અને માનવ) અને સંગીત( પ્રતીક સોલંકી)ના સુમેળથી એક માહોલ સર્જાય છે, જળવાય છે. શહેરી શ્રમિકોના વતનઝુરાપાનો ભાવ લગભગ આખા નાટકમાં જાગતો રહે તે એક સફળતા છે.
બધાં જ કલાકારોએ પોતાની ભૂમિકા ભજવવામાં મહેનત કરી છે. પણ કેટલાંક તેમને ભાગે આવેલાં પાત્ર અને તેમની પોતાની આંતરિક ક્ષમતાને કારણે વધુ ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે.
માઇલસ્ટોન, સાયકલ, વજનદાર થેલા, ડાયરી, કાપડની બે નાની દીવાલો જેવી પ્રૉપ્સનો નોંધપાત્ર ઉપયોગ અને એકંદર મંચસજ્જા(નિશ્મા)નો નાટ્યનિર્માણની ગુણવત્તામાં મોટો ફાળો છે.
અચાનક જાહેર કરવામાં આવેલ અવિચારી, લાંબા અને જડ લૉકડાઉનને કારણે માઇગ્રન્ટ લેબરર્સની આઝાદ ભારતમાં ક્યારે ય ન થઈ હોય તેવી દુર્દશા થઈ. પણ આ સ્થળાંતરની શોકાંતિકા તેના મૅગ્નિટ્યૂડના પ્રમાણમાં તો આપણી સરકારો અને આપણા સમાજને સ્પર્શી જ નથી એમ કહેવાનું થાય.
જૂજ અપવાદો બાદ કરતાં મોટા ભાગનાં માધ્યમો અને સર્જકો પણ આ સંવેદનહીનાતામાંથી બાકાત નથી.
આવા માહોલમાં ગુજરાતમાં આદિત્યએ સર્જેલું નાટક, અને તેને સારી રીતે તખ્તા પર મૂકનાર નાટ્યવૃંદ ઘણાં ધન્યવાદને પાત્ર છે. તેમણે જાણકારોની પાસેથી આ નાટકની મર્યાદાઓને સમજી, નાટકને જરૂરિયાત મુજબ મઠારીને તેનાં ઘણાં પ્રયોગો રાજ્ય અને દેશમાં લઈ જવા જોઈએ.
19 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર