જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :
એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.
ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.
અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.
આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.
માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.
પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.
અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.
સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.
આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.
કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.
જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :
આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.
“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.
કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.
ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)
આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.
સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.
ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.
કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !
પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.
= = =
(May 19, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર