વર્ષ 1972ની એક ઉનાળુ સાંજ. ગરમ લૂ હજુ માંડ નરમ પડી હતી અને અમે કેટલાક મિત્રોએ હૉસ્ટેલમાંથી નીકળીને બેંક રોડ પર આવેલા, પ્રખ્યાત શાયર ફિરાક ગોરખપુરીના ઘરની વાટ પકડી. જીવતેજીવ દંતકથા બની ગયેલા ફિરાકના ઘરે થતાં સાંધ્યમિલન અમારા જેવા વિદ્યાર્થીઓ માટે સાહિત્ય, સંસ્કૃતિ, ભાષા, સમાજ જેવા વિષયોમાં સજ્જતા કેળવવાના અવસર બની રહેતા.
અમે પહોંચ્યા ત્યારે ફિરાકસાહેબની મહેફિલ હજુ શરૂ થઈ ન હતી. એ દિવસે ભારતીય ગામડાં વિશે ચર્ચા આરંભાઈ. સ્વાભાવિક રીતે જ આ મહેફિલોમાં સૌથી વધુ ફિરાકસાહેબ બોલતા અને અમે સાંભળતા. હાથમાં રહેલો શરબતનો ગ્લાસ ટેબલ પર મૂકી, હાથની આંગળીઓમાં પકડેલી સિગરેટની રાખને આગવા અંદાજમાં ખંખેરીને, અણીદાર આંખોને છેક અંદર સુધી ફેરવીને તે જે કંઈ બોલ્યા એ બૉમ્બવિસ્ફોટથી કમ નહોતું. તેમણે કહ્યું કે ભારતનાં ગામડાંને નષ્ટ કરી દેવાં જોઈએ. જ્યાં સુધી ગામડાં છે ત્યાં સુધી દેશ અજ્ઞાનતા, ગંદકી, પછાતપણાથી મુક્ત નહીં થાય. તેના બદલે પચાસ હજારથી એક લાખની વસતિ ધરાવતાં નાનાં નગરો કે શહેરો વસાવવાં જોઈએ, જેમનો મુખ્ય વ્યવસાય કૃષિઆધારિત ઉદ્યોગો હોય. અમે બધાં શહેરોમાંથી આવતાં હતાં, પણ અમારાં મૂળ તો ગામડાંમાં હતાં. એટલે તેમની આ વાત સાંભળીને અમે તેમના પર તૂટી પડ્યા. પણ આખરે ફિરાક તો ફિરાક હતા.
તેમણે અમને ભારતીય ગામડાં પર થયેલી ઐતિહાસિક ચર્ચાઓથી વાકેફ કર્યા. તેમણે અમને મહાત્મા ગાંધીના પુસ્તક 'હિંદ સ્વરાજ' અને ગામડાં પ્રત્યેના ગાંધીજીના પક્ષપાતપૂર્ણ પ્રેમ તથા અવાસ્તવિક આગ્રહની વિરુદ્ધ ડૉ આંબેડકરે દલિતોના દૃષ્ટિકોણથી ગામડાંની વાસ્તવિકતા દર્શાવીને કરેલી ઉગ્ર, કડવી પણ તાર્કિક દલીલો જણાવી. ગાંધીજીના મતે ગામડાં સ્વર્ગ સમાન હતાં અને એ સમયના ભારતીય સમાજમાં જે દૂષણો હતા તે માત્ર આધુનિક ટૅક્નોલોજીના કારણે હતાં. ગાંધીજીનું સપનું હતું કે ગામડાં આત્મનિર્ભર બને. ગામડાં તેમની જરૂરિયાતની તમામ ચીજોનું ઉત્પાદન જાતે કરે, ગામની પંચાયત કે નીતિનિયમો જ નહીં, લડાઈઝઘડામાં ન્યાય કરવાનું માળખું પણ તેનું પોતાનું હોય, ગામની ખેતીવાડીમાં એ જ ઓજારો-યંત્રોનો ઉપયોગ થાય, જે ગામના સુથાર-લુહારે બનાવેલા હોય. તે માનતા હતાં કે રેલવેના કારણે કૉલેરા ફેલાય છે. એટલે રેલવેને તો બંધ જ કરી દેવી જોઈએ.
હવે એ ચર્ચામાં પડવાની જરૂર નથી કે ગાંધીજીની આદર્શ ગામની પરિકલ્પના માની લેવાઈ હોત તો આપણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યા છીએ તેનું શું થાત? પરંતુ આપણા માટે ડૉ. આંબેડકરની પ્રતિક્રિયા આજે પણ પ્રસ્તુત છે. ગાંધીજીની ગામડાંમાં સ્વર્ગવાળી વિભાવનાનો મૂળમાંથી છેદ ઉડાડીને ડો. આંબેડકરે ગામડાઓને જીવતાં નરક ગણાવ્યાં હતાં. કાળજું કંપાવતી વાણીમાં તેમણે લખ્યું હતું, ‘ગાંધી જો 'અસ્પૃશ્ય' પરિવારમાં જન્મ્યા હોત તો જ તેમને ગામડાં દલિતો માટે કેવાં નરક છે તેની અસલિયતનો ખ્યાલ આવ્યો હોત.’ જેમનાં મૂળિયાં ગામ સાથે જોડાયેલાં છે તે આજે પણ મહેસૂસ કરી રહ્યા છે કે આંબેડકરના સમયનો 'અછૂત', વચ્ચે થોડો સમય 'હરિજન' થઈને, આજનો 'દલિત' બની ગયો છે. પણ ગામડાં આજે ય તેના માટે નરકસમાન છે..
ફિરાક ગોરખપુરી સાથે વીતાવેલી એ સાંજ આજે એક ખાસ કારણથી ફરી યાદ આવી ગઈ. કોરોનાકાળમાં નગરો અને મહાનગરોમાંથી બધું હારીને-ગુમાવીને પોતાના વતન પરત ફરતાં શ્રમિકોનાં દૃશ્યો હંમેશ માટે સ્મૃતિમાં જડાઈ ગયાં છે. પરંતુ અહીં ઉત્તર પ્રદેશ સરકારે ગામડાંમાં જ શ્રમિકોને રોજી આપવાની મહત્ત્વાકાંક્ષી જાહેરાત કરી, તેની ચર્ચા કરવાનો ખ્યાલ છે. વતન પરત ફરેલા મોટા ભાગના શ્રમિકો પૂર્વી ઉત્તર પ્રદેશનાં છે. જે રાજ્યના વિકાસ માટે તેમણે લોહીપસીનો એક કર્યો હતો તે રાજ્યનો વ્યવહાર તેમના પ્રત્યે તદ્દન અમાનવીય હતો. એટલે સ્વાભાવિક રીતે ઉત્તર પ્રદેશ સરકાર આ બાબતથી નારાજ અને દુ:ખી થાય. પરંતુ આ ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારની યોજના કેવી હશે એ જોવું જરૂરી છે.
પહેલા તો એ સમજવાની જરૂર છે કે શહેરો ભણીની ગતિ માત્ર આર્થિક કારણોથી નથી થતી. શહેર અને બજાર દલિતો અને પછાતોને માણસ તરીકેની ઓળખ આપે છે. ગામડાંમાં આજે પણ દલિતોના જુદા મહોલ્લા ગામના છેવાડે જ હોય છે. ઘણાં ગામડાંમાં આજે પણ દલિતોને તુંકારે અને જાતિવિષયક તુચ્છકારથી બોલાવવામાં આવે છે. ગામના છેવાડે આવેલી જુદી વસ્તીમાંથી નીકળીને તે શહેરોમાં રેલવે લાઇનને અડીને આવેલી ઝૂંપડપટ્ટી કે ગંદા નાળાના કિનારે એટલા માટે રહેવાનું પસંદ નથી કરતાં કે શહેરોમાં તેમને બહુ બધા રૂપિયાપૈસા મળી જાય છે. પરંતુ અહીં શહેરમાં તેમને માણસ તરીકેની ઓળખ મળે છે.
કોરોના હવાઈ માર્ગે આવ્યો, પરંતુ જોતજોતામાં મહાનગરોનો ઝૂંપડપટ્ટીનો વિસ્તાર તેના સપાટામાં આવ્યો. અણઘડ અને અમાનવીય શહેરીવિકાસના પરિણામે આપણાં શહેરોમાં ગગનચુંબી ઈમારતો, સાફસૂથરા રાજમાર્ગો, અને હર્યાભર્યા બાગબગીચાઓની બાજુમાં જ ગંદકીથી ખદબદતાં નાળા પર, ગમે તેમ કરીને માથું ટેકવી શકાય તેટલી ભોંય પર કાચી ઝૂંપડપટ્ટીઓ વસી છે. આઝાદી પછી ક્યારે ય કોઈએ ગરીબ માણસોને રહેવાલાયક શહેરો વિકસાવવાનો પ્રયાસ કર્યો નથી. ઝૂંપડપટ્ટીના વિસ્તારને હટાવીને સ્વચ્છ આવાસો બનાવવાની કોશિશ નથી થઈ. એના બદલે રાજકીય અને આર્થિક રીતે લાભકારી એવી ઝૂંપડપટ્ટીઓમાં જ વીજળી, પાણી જેવી સુવિધા આપવાની વાત હંમેશાં થતી રહી છે.
એ સ્થિતિમાં ચાલીસ લાખથી વધુ શ્રમિકોને વતનના ગામમાં રાખીને સ્થાનિક કક્ષાએ રોજગાર આપવાનો ઉત્તર પ્રદેશ સરકારનો દાવો ચર્ચાસ્પદ છે. જગત આખામાં શહેરીકરણ વધી રહ્યું છે અને ભારતમાં પણ હવે અડધોઅડધ વસતિ શહેરોમાં વસે છે. છેવટે ભવિષ્ય તો શહેરોનું જ છે. માટે સરકારે ફિરાક ગોરખપુરીની સલાહ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ગામડાંના કલ્પિત સ્વર્ગનો મોહ ત્યાગીને સુવિધાજનક આવાસો, રસ્તાઓ, ડ્રેનેજ, પીવાનાં પાણીની વ્યવસ્થા સહિત હરિયાળી ધરાવતાં નાનાં નગરો બનાવવાનું વિચારવું જોઈએ, જે દલિતો, વંચિતો, પછાતોને વર્ણવ્યવસ્થાથી છૂટકારો અપાવી માણસ બનાવે.
(અનુવાદઃ ગૌતમ ડોડિયા)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ.09-10