ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ૮૦ વર્ષ વટાવી ચૂકેલા જેલવાસી કવિ વારાવારા રાવને કોરોના લાગુ પડ્યાના સમાચાર આવ્યા. વિદ્રોહી કવિતાના એ સર્જકની તબિયત લથડી છે, પણ તેમને જામીન પણ આપતા નથી. (આ સમાચાર મુખ્ય ધારાનાં કહેવાતાં પ્રસાર માધ્યમોમાં ચમકતા નથી કે ઘણે ભાગે તો તેનો સમ ખાવા પૂરતો ઉલ્લેખ થતો નથી, એ પણ એક સમાચાર છે.) બીજી તરફ દિલ્હીની ચૂંટણીમાં ખુલ્લેઆમ ખૂની ભાષા બોલનારા, શાહીન બાગમાં જઈને બંદૂક ફોડનારા કેટલાક સામે કેસ થયા નથી, તો બીજા જામીન પર મુક્ત છે. કોરોનાની મહામારીના સંકટ વખતે પણ સરકાર જે રીતે કર્મશીલો પ્રત્યે કિન્નાખોરી દર્શાવવાનું ચાલુ રાખ્યું છે એ તેના આપખુદ માનસને પ્રગટ કરે છે. કટોકટીનો ઉત્સાહપૂર્વક વિરોધ કરતા રહેલા વડાપ્રધાન અને એમની સરકાર આજે સવાઈ કટોકટીનું નિર્માણ કરી રહ્યાં છે.
દલિત-વંચિત-પીડિતોની પડખે રહેતા અને અત્યારે જેલવાસ ભોગવતા અગ્રણી કર્મશીલોમાં કવિ રાવ ઉપરાંત પ્રખર બૌદ્ધિક આનંદ તેલતુંબડે, આદિવાસીઓના વકીલ તરીકે જાણીતાં સુધા ભારદ્વાજ, મહિલા અધિકારો માટે ઝઝૂમતા સોમા સેન, માનવ અધિકાર માટે લડતા વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, અરુણ ફરેરા, વિસ્થાપનવિરોધી કર્મશીલ મહેશ રાઉત, વર્નન ગોંઝાલ્વિસ, લેખક-પત્રકાર સુનિલ ધવલે અને રોના વિલ્સન જેવાંનો સમાવેશ થાય છે. સુશાંત શીલનું તો ૧૬ જૂન, ૨૦૨૦ના રોજ મૃત્યુ થયું. તે પશ્ચિમ બંગાળની ડમડમ સેન્ટ્રલ જેલમાં કેદી હતા.
એક તરફ સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે કે જેલમાં ભીડથી બચવા કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોએ કેદીઓને પેરોલ પર છોડવા અથવા જામીન પર મુક્ત કરવા. આ આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઘણા રાજકીય કેદીઓને તો આ ગાળામાં જ જેલમાં પૂરવામાં આવ્યા. વળી, આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે વૃદ્ધ અને બીમારીથી પીડાતા દરદીઓને અગ્રતાક્રમ આપીને મુક્ત કરવા. તો શા માટે વારાવારા રાવ જેવા પ્રખ્યાત કવિને મુક્ત કરાતા નથી? સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિવિધ સરકારોએ કેદીઓને મુક્તિ અવશ્ય આપી છે, પરંતુ તેમાં એક પણ રાજકીય કેદી નથી.
વારાવારા રાવે અને સોમા સેને આરોગ્યની આપદાની અરજી પણ કરી હતી. ૩૧મી માર્ચે NIAની વિશેષ અદાલતે એમની વિનંતીને ઠુકરાવી દીધી. ૧૩ કિલો જેટલું વજન ઘટી જવાથી પુન: રાવે અરજી કરી, જે હજુ એ અનિર્ણિત દશામાં પડી છે. એવી જ રીતે સુધા ભારદ્વાજની અરજી પણ ૨૯મી મેએ એમ કહીને ઠુકરાવી દીધી કે તેમને કોઈ જીવલેણ બીમારી નથી. તેમને જે જેલમાં રાખ્યાં છે, ત્યાં ઘણાં મહિલા કેદીઓ કોરોનાથી સંક્રમિત પણ છે. ત્યાર બાદ આંબેડકર જયંતીએ જ આંબેડકરની પૌત્રીના પતિ અને જાણીતા ચિંતક આનંદ તેલતુંબડે અને માનવધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને પણ કેદી બનાવવામાં આવ્યા. દિલ્હી યુનિવર્સિટીના વિકલાંગ પ્રો. જી.એન. સાંઇબાબા પણ જેલમાં ખૂબ જ બીમાર છે. નેવું ટકા વિકલાંગ ગણાય એવા આ પ્રોફેસરને જેલમાં કોઈ મદદનીશ નથી અપાયો, નથી કોઈને મળવાની છૂટ કે ન તો પત્ર લખવાની છૂટ ! ઉત્તર પ્રદેશની હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે બાળકોનાં મોત થયાં ત્યારે અને અવારનવાર ગરીબ દરદીઓના મદદગાર બનતા ડૉ. કફીલખાનને પણ સરકારની ટીકા કરવા બદલ જેલમાં પૂર્યા છે. તેમણે પેરોલ માટે રજૂઆત કરી હતી, જેથી તે ડૉક્ટર તરીકે સેવાઓ આપી શકે.
આ તમામ લડવૈયાઑ માટે દેશ-વિદેશથી અનેક શિક્ષણવિદો-કર્મશીલોએ મુક્તિની માગણી કરી છે. સોશિયલ મીડિયામાં ભરપૂર ચર્ચાઓ થાય છે, પણ બહેરી સરકારના કાને કશું પહોંચતું નથી. ૧૯મી જૂને, CPI, CPI (M), કૉંગ્રેસ, DMK, RJDના સાંસદ અને ધારાસભ્યોએ કવિ વારાવારા રાવની મુક્તિ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.
આપણાં દેશમા ન્યાયનું નાટક કેવું ચાલે છે તે આ ધરપકડોની સામે બીજી વિગતો મૂકી જોવાથી સમજાશે. શાહીન બાગમાં ગોળી ચલાવનાર કપિલ ગુર્જર, જામિયા વિશ્વવિદ્યાલયમાં ગોળી ચલાવનાર ગોપાલ અને હિઝબુલનાં અગ્રણી આતંકવાદીઓ સાથે જેની ધરપકડ થયેલી અને ત્યાર પહેલાં કાશ્મીરનો દરજ્જો બદલાયા પછી જેમને ‘શેરે કશ્મીર’નો પુરસ્કાર મળેલો એ દેવેન્દ્રસિંહ જામીન પર છૂટા છે! પરંતુ શાહીન બાગના આંદોલન-કારીઓને પકડવામાં સરકારે અસાધારણ ઉત્સાહ દર્શાવ્યો છે. પહેલી ધરપકડ જામિયા મિલિયાના Ph.D.ના વિદ્યાર્થી – RJDના દિલ્હી યુવા છાત્ર અધ્યક્ષ મીરાન હૈદરની બીજી એપ્રિલે થઈ. બીજી ધરપકડ ૯મી એપ્રિલના રોજ MBAની વિદ્યાર્થિની અને જાફરાબાદમાં CAAનો વિરોધ કરી રહેલી ગુલસિફાની થઈ. ત્યાર બાદ જામિયા મિલિયાની એમ.ફિલ.ની વિદ્યાર્થી સકૂરા ઝરગરની ધરપકડ થઈ. શાહીન બાગના આંદોલનની એ સક્રિય અગ્રણી હતી. તેને ૧૦મી એપ્રિલ પોલીસ સ્ટેશને કોમી આંદોલન સંદર્ભે પૂછપરછ કરવા બોલાવવામાં આવી અને ત્યાં જ ધરપકડ કરવામાં આવી ! એ સમયે તે ગર્ભવતી હતી. ત્યાર બાદ એક કેસ દાખલ કરીને સફુરા પર UAPA જેવો ખતરનાક કાયદો લાગુ પાડવામાં આવ્યો ! ૨૬મી એપ્રિલે જામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળનાં પ્રમુખ શિફા રેહમાનની ધરપકડ કરવામાં આવી. AISAની દિલ્હી અધ્યક્ષ (વિદ્યાર્થી નેતા) કંવલપ્રિત કૌરનો મોબાઇલ ૨૭મી એપ્રિલે ક્રાઇમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો. ૩૦મી એપ્રિલે દિલ્હી સરકારના લઘુમતી આયોગના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામખાન પર ફેસબૂકની એક પોસ્ટ સંદર્ભે કેસ દાખલ કરવામાં આવ્યો !
જાણીતા મહિલા સંગઠન ‘પિંજરાતોડ’ની અગ્રણી યુવતીઓ નતાશા નરવાલ અને દેવાંગના કવિતાની ધરપકડ કરવામાં આવી. તે જૂથ શાહીન બાગમાં નિયમિત ગીતો, શેરીનાટક રજૂ કરતું હતું. બંનેની દિલ્હીના કોમી હિંસા સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. નતાશા JNUની Ph.D.ની વિદ્યાર્થી છે, જ્યારે દેવાંગના JNUમાં M.phil. કરી રહી છે. નતાશા પર પણ ૨૩મી મે UAPA લગાવવામાં આવ્યો છે.
આમ, જોઈ શકાય છે કે CAA-NRCનો વિરોધ કરનાર ઘણી મોટી કિંમત ચુકાવી રહ્યા છે. સરકારે એમને વીણી વીણીને જાત જાતના કેસમાં ફસાવ્યા છે. આ યાદી હજુ લંબાવી શકાય તેમ છે. પણ સાર એ કે આ લોકો જેલમાં છે ત્યારે દિલ્હીની હિંસા ભડકાવનારા કે તેનું સમર્થન કરનારા અનુરાગસિંહ ઠાકુર, પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા આજે પણ નિરાંતે છૂટા ફરી રહ્યા છે.
e.mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 11-12