ના, છાપભૂલ નથી. નરસિંહ મહેતા હોત તો એ પંક્તિ આજના સમયમાં તેમણે કદાચ આમ લખી હોત. મૂળ પંક્તિમાં ભગવંત જ છે, પણ હવે ભગવંત જણાતા નથી ને ઠગવંતની ક્યાં ય ખોટ નથી. એટલે ઠગવંત જ સાચું ગણવું.
એક ઠગવંત તો ચીન, ખરું? તે સરહદે તો જાત બતાવે જ છે, તે ઉપરાંત તેણે કોરોના વિશ્વમાં ફેલાવ્યો ને એનું હજી ઠેકાણે પડે ત્યાં તો કોઈ ગુજ્જુ ચેનલે ઈબોલા વાયરસ આવી રહ્યો હોવાની વધામણી પણ ખાધી છે. એ પહેલાં હંટા વાયરસના ઘંટા પણ વાગી ગયા છે. ચીને એટલું તો કર્યું જ કે ઘણા દેશોને તેણે કરવાં જોઈતાં ઉત્પાદનોથી બચાવ્યા અને ન કરવાં જોઈતાં ઉત્પાદનોમાં જોતર્યા. જેમ કે ભારતે ખાસ માસ્ક અને પી.પી.ઈ. બનાવ્યા નો’તાં તેમાં આત્મનિર્ભર બનવાનો વારો આવ્યો. આ ઉત્પાદનો માટે ફંડ ફાળવવું પડ્યું એને કારણે થવાં જોઈતાં ઉત્પાદનો પર કાપ આવ્યો.
આખા દેશમાં કોરોના કોરોનાનું કામ કરે તો અયોધ્યા, અયોધ્યાનું કામ ન કરે? ત્રણ કે પાંચ ઓગસ્ટે રામ મંદિરનું વડાપ્રધાનને વરદ્દ હસ્તે ભૂમિપૂજન થાય ને ભગવંત સક્રિય બને તેવી દંડવત્ કે દંડ વગર પ્રાર્થના કરીએ. એવું ન કહેવાય કે ભાઈ, અત્યારે દેશમાં કોરોના વકરી ચૂક્યો છે તો ભૂમિપૂજન પછી કરીએ તો ચાલે? એવું પૂછો તો તમે અધર્મી ગણાઈ જાવ. જેને ગળામાં ભગવો નથી તે ધાર્મિક નથી એવું ખરું?
માસ્ક ન પહેરનારનો દંડ ૫૦૦ થઈ ગયો છે, પણ મંત્રીઓ અને તેમના મળતિયાઓ માસ્ક ન પહેરે કે અંતર ન જાળવે તો કોઈ દંડ થતો નથી. એવું જાહેર નથી થયું કે કોરોનાની આચારસંહિતા પ્રધાનોને લાગુ પડતી નથી, પણ આપણે સમજી લેવાનું કે સત્તાને સજા થતી નથી. સુરતનું જે થવાનું હોય તે થાય, પણ પેટા ચૂંટણીને મામલે એક મોટા હોલમાં બેચાર મંત્રીઓએ સભા તો કરવી જ પડે. સોશિઅલ ડિસ્ટન્સિંગની હોલસેલમાં મેથી મારીને કેસરી સભા થઈ જ! શું ઉખાડી લીધું સાહેબોનું? સરકાર, રાજકીય પક્ષો તો જે કરવાનું છે તે કરે જ છે. રાજસ્થાનમાં કોરોના શું ઉથલાવે છે તે તો તે જ જાણે, પણ પક્ષો સરકાર ઉથલાવવાનો ખેલ ખેલી લે તો તેને કોઈ રોકી શકતું નથી. કોઈ સરહદ ગરમ કરી આવે છે તો સાથે સાથે જ કોઈ બાબા અમરનાથની પણ ‘જય’ કરી આવે છે. એના પરથી જ સમજી જવાનું કે નિયમ કે યમ પ્રજા માટે જ છે. ડરે તેને જ કાયદો ડરાવે છે, બાકી નથી ડરતા તે બીજાને ડરાવે છે.
તાજેતરમાં નકલી ઇન્જેક્શનનું કૌભાંડ પકડાયું. તે ય પાછું સુરતમાંથી જ! સુરત પર ઓછી આફત છે તે આવું પાપ પણ થાય છે? આખો પૃથ્વીનો ગોળો ગજવે ઘાલવો હોય તેમ મહાસત્તાઓની જેમ જ લોકો પણ લૂંટાય એટલું લૂંટે જ છે. એક તરફ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની તંગી ને બીજી તરફ નકલી ઇન્જેક્શન સુરતથી અમદાવાદ સુધી પગ કરી ગયા. હવે કૌભાંડીઓને સજા થાય કે નયે થાય,આમ પણ કૌભાંડને ભાંડ સજા કરે તો પણ કેટલીક? સજા પણ મજા જેવી ક્યાં નથી હોતી? હવે કોઈ દયાળુ જીવને ખબર પડે કે ઇન્જેકશનની તંગી છે ને તે સાહેબો આપે તો જ મળે એમ છે તો કોઈ ફેક્ટરી નાખવાનો વિચાર કરે તેમાં કોઈનો ગરાસ શું કામ લૂંટાઈ જાય? ઇન્જેક્શન નકલી છે, પણ ફેક્ટરી તો અસલી છેને! એને નકલી કેવી રીતે કહેવાય? ભાવ તો અસલી કરતા પણ વધારે છે, ત્યાં? કોઈ અસલીથી મારે તો કોઈ નકલીથી, પરિણામ તો સરખાં જ છેને!
આમ આ ઇન્જેક્શન ૪૦,૫૫૦નું એક છે .ઇન્જેકશનો મોંઘાં છે એટલે બધી દવાવાળાને ત્યાં મળતાં નથી, ત્યાં આપણે લાઈન લગાવીએ તો ક્યાંથી મળે? આ તો સ્વિત્ઝરલેન્ડની પેદાશ છે. ગુજરાતમાં એ ઇન્જેકશનો ૬,૪૦૦ જ આવ્યાં છે. પણ સુરતને દયા આવી તો એ પોતે સ્વિત્ઝરલેન્ડ બનવા ગયું. સીધી ફેક્ટરી જ નાખી. સુરતથી ત્રણ તબક્કે ઇન્જેકશનો અમદાવાદ પહોંચ્યાં ત્યાં સુધીમાં ત્રણ ઇન્જેક્શનના ૭૦ હજારના ૧.૩૫ લાખ થઈ ચૂક્યા હતા. અસલના ૩ ઇન્જેક્શનનાં ૧,૨૧,૬૫૦ થાય, પણ નકલના ૧,૩૫,૦૦૦ થાય. હવે કોઈ એના અપરાધીને ફાંસીએ ચડાવવાની વાત કરે તો દોરડું તૂટી જાય કે બીજું કંઈ? કારણ નકલી ઇન્જેક્શનનું તો દોરડું પણ નકલી જ હોવાનુંને!
શું છે કે પ્રજા તરીકે આપણે બેઝિકલી મૂરખ છીએ. એમાં સરકાર કે સાહેબો આપણને ઉલ્લુ બનાવે તો એ એમનો અધિકાર છે. આપણે ડાહ્યાં થવાનાં નથી, તો સરકાર કે સાહેબો જ ગાંડાં થાયને! આજકાલ તો એક જ સૂત્ર ચાલે છે, જો તમે મૂરખ નથી તો બીજાને મૂરખ બનાવો. આપણે જ મૂરખ હોઈએ તો શું છે કે સામાવાળાને મૂરખ બનાવવાનું સહેલું પડે. જેમ કે શિક્ષકોનો ૪,૨૦૦નો પગાર સરકારે ૨,૮૦૦ કરી નાખ્યો. હવે કોરોનામાં આવી ડિંગલી કરવાની હોય જ નહીં, પણ સરકાર ન કરે તો કોણ કરે? કામ તો કરવું પડેને! દેખીતું છે કે માસ્તરો ઊછળે. ઉછળ્યા. વિરોધ કર્યો. થોડા દા’ડામાં સરકારે જાહેર કર્યું કે બધા માસ્તરોને ૪,૨૦૦નો પગાર મળશે. હવે માસ્તરો એટલે પાણીમાં થતાં સુરસુરિયાં. અવાજ તો આવે પણ પરપોટા ફૂટે એટલો. આમ ચૂંટણી, વસ્તી ગણતરી, કોરોના સર્વે કરાવવાના હતા ત્યારે ભણાવવાનું યાદ ન આવ્યું. પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવી હતી એટલે ઓનલાઈન એજ્યુકેશન યાદ આવ્યું. માસ્તરોને કામે લગાડી દીધા. કેટલાક મફતમાં તો કેટલાક અડધા પગારે કામે લાગ્યા. ઘેર બેઠા નેટ ૫૦%નો પ્રોફિટ શું ખોટો? આનો કલાઇમેકસ જાહેર કરવા જેવો નથી. આમ તો એ તુક્કો છે. આમ જ છે એવું નહીં, પણ આમ હોઈ શકે. તમે કહેશો એમાં કલાઇમેકસ શું? ૪,૨૦૦ના ૨,૮૦૦ કર્યા ને ફરી ૪,૨૦૦ કરીને માસ્તરોને રાજી કરી દીધા. એમાં બીજો કયો ક્લાઈમેક્સ…?
જરા કાન આ બાજુ લાવો. ખાનગી છે. ધારો કે તમે માસ્તર છો ને ઘણા વખતથી પગાર વધારો માંગું માંગું કરી રહ્યા છો ત્યાં સરકાર માઈબાપ ૪,૨૦૦ના ૨,૮૦૦ કરી દે તો તમે ૨,૮૦૦ના ૪,૨૦૦ કરવા લડશો કે ૪,૨૦૦ની ઉપરનો સ્લેબ માંગશો? તમે વધારે ન માંગો એટલે ૪,૨૦૦ના ૨,૮૦૦ કર્યા. તમે વિરોધ કર્યો એટલે ફરી ૪,૨૦૦ પર લાવી મૂક્યા તો તમે ૪,૨૦૦ પર રાજી થશો કે નારાજ થઈને ૪,૨૦૦ની ઉપરવટ જશો? માનો કે ન માનો, પણ આપણી સરકાર ઇન્ટેલિજન્ટ પણ છે ને આપણે બેઝિકલી ડફોળ …
હવે જરા એ વિચારીએ કે માર્ચ પહેલાં આપણે વધારાનો સાબુ ઘસઘસ કરતા હતા? સેનિટાઇઝર ઘરે ઘરે હતું? બહુ બહુ તો દવાખાનાઓમાં હતું. તે ઘરે ઘરે ઘૂસી ગયુંને! આ ઓનલાઈન એજ્યુકેશન માર્ચ પહેલાં ઘરોમાં હતું? તે ઘરોમાં આવી ગયું. જેમની પાસે મોબાઈલ, લેપટોપ કે કોમ્યુટર ન હતાં તે બધાં ધંધે લાગી ગયા ને જે લોકો સંતાનોને મોબાઈલથી દૂર રાખવાની વાતો કરતા હતા તે જ મોબાઈલ, નેટ, ટી.વી.ની વેતરણમાં પડ્યાં. આ બધું સાધારણ ઘરોમાં કોઈ ઇચ્છતું ન હતું તે બધાંને એ ખરીદવાની માથાકૂટમાં પડવું પડ્યું. ક્યાંક તો સોફ્ટવેર ખરીદવાનું પણ આવ્યું. એવા અનેક સાધારણ કુટુંબો છે જેમને આવક ઓછી કે બંધ થવા પર હતી તેમને જરૂરી નહીં એવા ખર્ચમાં ઉતરવાનું આવ્યું. નથી લાગતું કે ઈલેક્ટ્રોનિક આઈટેમ્સ ખપાવવાનું કોઈ કાવતરું ચાલ્યું હોય ને એમાં સરકારથી માંડીને બધાંએ જ પાવડા મારીને સામાન્ય પ્રજાને લૂંટવાનું આયોજન કર્યું હોય? કોઈને આમાં કાવતરું ન પણ લાગે. ઈચ્છીએ કે એમ જ હોય, પણ ઓનલાઈન શિક્ષણને નામે ખાસ કરીને પ્રાથમિકના બાળકો પર જે રીતે ત્રાસ ગુજારાયો છે એમાં માબાપ, શિક્ષકો ને સરકાર જવાબદાર છે. હજી પણ શિક્ષણનું ખરેખર શું થવાનું છે તે અંગે સરકાર સ્પષ્ટ નથી. હજી તુક્કાઓ પર જ બધું ચાલે છે. જો અભ્યાસક્રમ ઘટાડવાની વાત નક્કી જ હોય, જેના આદેશો પણ સરકારે આપી દીધા હોય તો તમામ પ્રકારનું શિક્ષણ કે પરીક્ષાઓ દિવાળી સુધી સ્થગિત કરી દેવામાં શી મુશ્કેલી છે તે નથી સમજાતું. અત્યારે અવઢવની જે સ્થિતિ છે તે તો ટાળી શકાયને! રોજ શિક્ષણની તલવાર માથે લટકતી દેખાય છે, પરીક્ષા થશે કે નહીં, સ્કૂલો ખૂલશે કે નહીં, ઓનલાઈન ચાલશે કે બંધ થશે આવા બધા અનેક પ્રશ્નોનો સામનો અત્યારે બધાં જ કરી રહ્યાં છે. એમાં રાહત થાય એવું સરકાર કેમ નથી ઈચ્છતી? એ કેમ એ રીતે વર્તે છે કે પ્રજા સતત તલવારની ધાર પર જ રહે?
અત્યારે આખા ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ ને સંક્રમણના આંકડા ભયંકર રીતે વધી રહ્યા છે, ઘણા કુટુંબોમાં મૃત્યુ પૂરી નિર્મમતાથી પ્રવેશવા લાગ્યું છે, ત્યાં શિક્ષણની ચિંતામાંથી પ્રજાને કમસેકમ દિવાળી સુધી મુક્તિ આપવાનું સરકારે ગંભીરતાથી વિચારવા જેવું છે. અત્યારની ભયાવહ સ્થિતિ તો એવી છે કે બીજી ટર્મ પણ શરૂ થશે જ એવાં કોઈ લક્ષણો જણાતાં નથી. એમાં ભણતરને નામે અત્યારે કોઈ અખતરો સરકાર ન કરે તો આ પ્રજા પર મોટો ઉપકાર જ થશે. આટલું થશે?
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 20 જુલાઈ 2020